Karan Ghelo - 14 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 14

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૪


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૪

કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહીં, ત્યારે અલફખાંને ઘણી ચિંતા થઈ. તેણે પોતાના સિપાઈઓના શા હવાલ થયા, એ વાતનો નિશ્ચય કરાને ઘણાં માણસોને મોકલ્યાં, પણ તેઓની ખબર હાથ લાગી નહીં. ચાર-પાંચ દહાડા વહી ગયા, પણ કોઈ રીતના સમાચાર મળ્યા નહીં. તેની પાસેનું લશ્કર બે મહિના લગી લડવાથી તથા આ માણસોના ગુમ થવાથી ઘણું જ ઓછું થઈ ગયું. તેઓને પોતાનું કામ સહેલાઈથી કરી લેવાની જે આશા હતી તે નિષ્ફળ ગઈ તેથી તેઓ ઘણા નાહિમ્મત થઈ ગયા, અને અલફખાં ઉપર સઘળા બડબડવા લાગ્યા. એથી ઊલટું, કરણના લશ્કરમાં ભીમદેવના આવવાથી વધારો થયો. તેઓને આવે વખતે મદદ આવી મળી એ જાણે ઈશ્વરની તરફથી મોટી કૃપાનું ચિહ્ન મળી આવ્યું હોય એમ જાણીને તેઓ ઘણા ખુશી યા, અને તેઓની લડવાની હોંશ વધારે જાગ્રત થઈ. હવે ભીમદેવ દેવળદેવીને જલદીથી લઈ જશે એટલે લડાઈનું કારણ બંધ થશે, એમ જાણી તેઓ ઘણા ઉમંગમાં આવ્યા.

આ વખતે અલફખાંની અવસ્થા કોઈ હલકામાં હલકો સિપાઈ પણ અદેખાઈ ન કરે એવી થઈ હતી, તથા તેના મનમાં જે ફિકર તથા ઉદાસી ઉત્પન્ન થઈ તે એવી હાલતમાં જે માણસ પડેલો હોય તે જ જાણે, તેણે આટલી ઉંમરમાં મોટી મોટી લડાઈઓ કરીને જે કીર્તિ મેળવી હતી તે આવી હલકી લડાઈમાં સઘળી એકદમ ધોવાઈ જવા બેઠી. એક સપાટામાં આખું ગુજરાત જીતી લેવાથી તેણે જે નામ મેળવ્યું હતું તે ઉપર પાણી ફરી વળવાનો વખત આવ્યો. પાદશાહનો સંબંધી હોવાને લીધે તથા પોતાનાં મોટાં પરાક્રમને લીધે જે તેણે મોટામાં મોટી પદવી સંપાદન કરી હતી તે પદવી ઉપરથી આવી ધૂળગજાની વાતને વાસ્તે ગબડી પડવાનો પ્રસંગ આવ્યો; અને જો દેવળદેવીને ભીમદેવ દેવગઢ લઈ જશે, જો તે શંકળદેવની સો પરણશે, જો તેમ થવાથી તે કદી હાથ આવશે નહીં, અથવા તેને પકડવામાં ઘણી ઢીલ થશે, જો તેથી કૌળારાણી કોપાયમાન થશે. અને તે પોતાની સત્તા પાદશાહ ઉપર ચલાવશે, તો પાદશાહનો સ્વભાવ એવો હતો કે તેનો આવો નિકટનો સંબંધ છતાં, તેની મોટી પદવી છતાં, તથા તેની આગલી ચાકરી ઉપર નજર રાખતાં છતાં તેની જિંદગી તથા માલમિલકત તથા કુટુંબકબીલો સલામત રહેશે નહીં એ વાતની તેને પક્કી ખાતરી હતી. એ સઘળા વિચારથી અલફખાં શોકાતુર થઈને બેઠો હતો, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું. હવે એક વાત પર સઘળી આશા રહી હતી. તેની આબરૂ તથા જિંદગી એક દોરા ઉપર ટંગાયેલી હતી. જો છેલ્લી વારે પાસો સવળો પડે તો સઘળી રમત મનમાની રીતે પાછી ઠેકાણે આવે. જો પરમેશ્વર તેના ઉપર આ વખતે રહેમ કરે તો જ તે જીવતો રહે. તેણે બીજા સિપાઈઓ એકઠા કરવાને જે માણસો મોકલ્યાં હાં તેઓ હજી પાછાં આવ્યાં ન હતાં. નવા સિપાઈઓ જલદીથી આવી પહોંચશે એવી તે ઘડીએ ઘડીએ આશા રાખતો હતો, અને એ મદદ જેમ બને તેમ તાકીદથી આવે તેને માટે તે ખુદાતાલાની રોજ બંદગી કરતો હતો. કેટલાંક કાર્યનાં કારણો ઈશ્વરે માણસોથી ગુહ્ય રાખ્યં છે. ઈશ્વરે અલફખાંની પ્રાર્થના સાંભળી તથા મંજૂર કરવી, મુસલમાનોનું જોર વધારવું, તથા હિંદુઓને છૂંદવા એ તેમાંનું એક કાર્ય હતું. તેનો આ હેતુ કોઈ ડાહ્યા જ કારણથી નિર્માણ થવો જોઈએ. અલફખાંની જિંદગી તથા કીર્તિ સલામત રહેવાની, શંકળદેવને વાસ્તે દેવળદેવી સર્જિત નહીં હોવાની, દેવળદેવીના ઉપર પણ કેટલીક આફ આવી પડવાની, તે પણ તેની માની પેઠે મ્લેચ્છ લોકોના હાથમાં જવાની, અને તેનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું. કરણ તેના મનમાં જે વિચાર કરતો હતો કે મારા ઉપર હવે વધારે દુઃખ પડી શકવાનું નથી તે વિચાર ખોટો પડવાનો, તેની આફતનો ઘડો હજી ભરાયો ન હતો તે છલાછલ ભરાવાનો, તેની વહાલી છોકરી તેના હાથમાંથી જવાની, તે મ્લેચ્છ વરને વરવાની, તથા તેન. રઝળીરખડીને મરવાનું, એ સઘળું નિર્માણ થયેલું તેથી જ એક સાંજરે ક્ષિતિજમાં ધૂળના ગોટેગોટા જણાયા, અને થોડા કલાકમાં અલફખાંની છાવણીમાં હિમ્મત તથા હોંશથી ભરેલા પાંચ હજાર તાજા લડવૈયા આવીને મળ્યા. તે વખતે અલફખાંને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન કરી શકાતું નથી. આખા લશ્કરમાં જય જયકારની બૂમ ચાલી, અને તેઓએ એક મોટી ફતેહ મેળવી હોય તેટલી ખુશી તથા આવેશ સઘળા મુસલમાન સિપાઈઓમાં પેદા થયો.

આ નવાં માણસો આવ્યાં એટલે તાકીદથી તથા ધમધોકાર કામ ચલાવવું, એવો અલફખાંએ નિશ્ચય કર્યો. તેણે લડવાની સઘળી તદબીર મનમાં ગોઠવી, તથા બીજે દહાડે તેને અમલમાં લાવવાનો સઘળા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો. તેણે પહેલું કામ એ કર્યું કે બાગલાણમાંથી નીકળવાના પહાડના જે રસ્તા હતા તે સઘળા બંધ કરવાને થોડાં થોડાં માણસો મોકલ્યાં, અને લશ્કરનો મોટો ભાગ પોતાની સાથે લઈને તે કરણના લશ્કર સામે ચાલ્યો.

કરણ રાજા આનંદમાં પોતાની છાવણીમાં ફરતો હતો. મુસલમાનોનું લશ્કર એક ઠેકાણે પડી રહેલું હતું તેનું કારણ તેઓનું કમજોર હતું, એમ તે સારી પેઠે જાણતો હતો. પોતાનાં તથા ભીમદેવનાં માણસો એકઠાં મળવાથી દેવળદેવી સહીસલામત દેવગઢ પહોંચશે એવી તેની ખાતરી થઈ હતી. લડાઈ પૂરી થશે, અને દુશ્મનોની ઉમેદ નિષ્ફળ જશે એ વિચારથી તે ઘણો ખુશ થતો હતો, અને અગર જો એક હલકા કુળના મરેઠા સાથે પોતાની છોકરીને પરણાવવી પડે છે, એ વાત યાદ આવ્યાથી તેને ઘણો સંતાપ થતો હતો તોપણ પરદેશી મ્લેચ્છ કરતાં તે ઘણો સારો એટલાથી જ તેના મનનું સમાધાન થતું હતું. તેના માણસો પણ તેટલા જ ઉમંગમાં હતાં. તેઓ લડાઈથી છેક કંટાળી ગયાં હતાં. અને અગર જો તેઓ રજપૂત હોવાને લીધે તથા આબરૂ વિષે તેઓના ઘણા ઊંચા વિચાર હોવાને લીધે કરણને મુકીને તેઓથી જતાં ન રહેવાયું, તોપણ આબરૂની સાથે પાછા ઘેર જવાનો હવે વખત આવ્યો તેથી તેઓ ઘણા આનંદમાં હતા. કુચ કરવાની તૈયારી થઈ; છાવણી ઉપાડવાનો હુકમ મળ્યો, સઘળા સિપાઈઓએ પોતપોતાનો સામાન તૈયાર કર્યો. દેવળદેવી પોતાનાં કીમતી વસ્ત્ર તથા શણગાર સજી ઘોડા ઉપર સવાર થઈ. કરણ અને ભીમદેવ પણ તે જ પ્રમાણે લડવાનો સામાન સાથે લઈને લશ્કર જોડે ચાલ્યા; પણ તેઓ થોડેક દૂર ગયા એટલે એક જાસૂસ દોડતો દોડતો તેઓની પાસે આવ્યો, અને શ્વાસ ખાધા વિના કરણ તથા ભીમદેવને સમાચાર કહ્યા કે ‘‘અલફખાંના લશ્કરમાં બીજાં નવાં પાંચ હજાર માણસો હમણાં જ ઉમેરાયાં છે, તેણે સઘળા નાકાં ઘેરી લીધાં છે, તથા આપની સાથે લડવાને તે પોતે આવે છે.’’

‘‘અરે પાપી ! આવી ખબર ક્યાંથી લાવ્યો ?’’ અક્ષર જાસૂસની ખબર સાંભળતાં જ કરણના મોંમાંથી નીકળી ગયા. આખું લશ્કર ત્યાં સ્થિર થઈ ઊભું રહ્યું. સઘળાનાં શરીર ઉપરથી લોહી ઊડી ગયું. કરણ અને ભીમદેવ તો મૂઢની પેઠે ઊભા થઈ રહી એકબીજાની તરફ એકીનજરે જોવા લાગ્યા. દેવળદેવી ઘોડો ઉપર બેહોશ થઈને પડી જાત, પણ એક સિપાઈએ તેને પકડી લીધી. તે તો ઘેલી જેવી જ થઈ ગઈ. સઘળાઓને એક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તેઓ સ્થિર થઈ ગયા. કોઈએ તેમના ઉપર સ્તંભનમંત્ર અજમાવ્યો હોય તે પ્રમાણે તેઓ સઘળા પથ્થરનાં પૂતળાંની પેઠે જડ જેવા ઊભા રહ્યા. લશ્કર સઘળું ચૂપાચૂપ થઈ ગયું. કોઈ બોલે પણ નહીં. અને ચાલે પણ નહીં. આવી અવસ્થામાં આવી પડવાનું કારણ કાંઈ તેઓની નામરદાઈ હતું, એવું કદી કોઈએ એક ક્ષણ વાર પણ મનમાં આણવું નહીં. રજપૂત સિપાઈઓ લડાઈથી કદી બીતા નથી; લડવામાં તેઓ ઘણી ખુશી માને છે; લડવું એ તેમનો ધર્મ સમજે છે; લડાઈમાં મરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે; તથા અપ્સરાઓ તેમને વરે છે એવો તેમનો મન છે; લડાઈએ એક જાતની રમત છે, એમ માનવાની તેઓને નાનપણથી ટેવ હોય છે; એથી ઊલટું લડાઈથી બીવામાં તેઓ ઘણી નામોશી ગણે છે; લડતાં પાછાં ફરવામાં તેઓ મોટી ગેરઆબરૂ માને છે. આ વખતે તેઓ સ્થિર થઈને ઊભા રહ્યા તેનું કારણ લડવાની બીક સિવાય કાંઈ જુદું જ હતું. તેઓ તો આ બનાવથી મૂઢ જેવા થઈ ગયા હતા. જે ઉમેદ તેઓએ બાંધી હતી તે સઘળી બિલોરી કાચની પેઠે ફૂટી ગઈ; જે વસ્તુ તેઓના હાથમાં આવી ચુકેલી માનતા હતા તે છટકી ગઈ; તથા જે કામ પાર પાડવાની તૈયારી ઉપર આવેલું હતું તે સઘળું ઊંધું થઈ ગયું. એ બધું એકી વારે વગર ધાર્યે બન્યું તેથી તેઓનાં મનમાં આંચકો લાગ્યો હતો.

કરણે ત્યાં જ પોતાના લશ્કરને અટકાવવાનો હુકમ કર્યો અને હવે શું કરવું તે વિષે વિચાર કરવાને પોતે, ભીમદેવ તથા બીજા વૃદ્ધ તથા અનુભવી સામંતો એક ઠેકાણે મળ્યા. નવા આવેલા સિપાઈઓ તથા તેઓના આવવાને લીધે નવી હિમ્મત પકડેલા મુસલમાનોની સાથે, લડાઈથી થાકેલા તથા નાહિમ્મત થઈ ગયેલા, હોંશ વિનાના રજપૂતો વડે લડવું એ કામ તેઓને જોખમભરેલું લાગ્યું. વળી જો હાર થાય તો ઘણાં માણસ કપાઈ જાય, તેની સાથે દેવળદેવી કદાચ દુશ્મનોના હાથમાં પડે એ વિષે ભીમદેવને ઘણી દહેશત હતી, માટે હમણાં લડાઈ કરાની વિરુદ્ધ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો. બીજા સામંતોએ પણ એવી જ સલાહ આપી કે ‘‘લડવામાં કંઈ ફાયદો નથી.’’ હવે શું કરવું ? બાગલાણાના કિલ્લામાં જઈને ભરાઈ બેસવા સિવાય બીજો કાંઈ ઉપાય ન હતો. તેમ કરવામાં ફાયદો એટલો જ કે, જો લડવાનું યોગ્ય લાગે તો કિલ્લામાંથી બહાર નીકળી પડી શકાય અને જો હાર થાય તો પાછા કિલ્લામાં જઈ શકાય, અને ફરીથી યુદ્ધ કરવાનું બની આવે. એ પ્રમાણે કરવામાં અગર જો થોડી નામર્દાઈ હતી, અગર જો પાછળ ભરાઈને માર મારવો એ તેઓની નજરમાં કાયર પુરુષનું કામ હતું, તોપણ આવે વખતે તેઓની અવસ્થામાં એ જ સારાં સારો રસ્તો તેઓને જણાયો. મરીને શું કરવું ? ‘જે આજે લડીને નાસી જાય તે કાલે લડવાને જીવતા રહે’ એ કહેવત પ્રમાણે ચાલવાનો તેઓએ નિશ્ચય કર્યો. પણ કિલ્લામાં ભરાઈ રહેવામાં એક મોટો ગેરફાયદો હતો. બાગલાણ ગામ કાંઈ મોટું ન હતું; ત્યાંના વેપારીઓ મોટા તથા દ્રવ્યમાન ન હતા; તેથી આસપાસ કાંઈ ઘણાં ગામો ન હતાં; પાસેનાં ખેતરોમાં અનાજ પુષ્કળ પાકતું ન હતું; લોકો જે અનાજ વાપરતા હતા તે આઘેથી આવતું હતું; શહેરમાં ખાનગી લોકો પાસે કાંઈ અન્નનો ઘણો સંગ્રહ ન હતો; તથા દુકાનોમાં માલ જોઈએ તેટલો ન હતો. જો શહેરના લોકોમાં ઉમેરો ન થાય તો આશરે બે-ત્રણ મહિના સુધી ચાલે એટલું અનાજ હતું, પણ જ્યારે લશ્કરનો પડાવ શહેરમાં થાય ત્યારે એક મહિનો પણ પહોંચે એટલો માલ નીકળવો મુશ્કેલ પડે. માટે જે કરવું તે એક મહિનાની મંદતમાં કરી લેવું અને મુસલમાનોને મારી હઠાવવા અથવા તેઓને કાયર કરી થકવીને પાછા કાઢવા; પણ જો એ બેમાંથી એક પણ કામ તેટલી ટૂંકી મુદતમાં બની ન શકે તો પછી શી અવસ્થા ? જો મુસલમાનો જય મેળવીને કિલ્લો સર કરે, અથવા કિલ્લા આગળ ધીરજથી પડી રહે અને શહેરમાં અનાજ આવતું બંધ કરે, અને તેથી ભૂખમરાને લીધે આપણને શરણ થવાની જરૂર પડે, ત્યારે તેમ કરવું ? નાસવાનો રસ્તો કદાચ રહે નહીં; પણ સઘળી હકીકત ઉપર વિચાર કરતાં તેઓ સઘળાએ જલદીથી પાછા ફરી કિલ્લામાં જોવાનો એકમતે ઠરાવ કર્યો.

ઉપર પ્રમાણે હુકમ થતાં જ સઘળું લશ્કર ભારે દિલગીરીની સાથે પાછું ફર્યું અને યમુના રાજ્ય તરફ જતા હોય તેવી મનોવૃત્તિ રાખીને તથા જીવવાની સઘળી આશા છોડી દઈને અને બૈરીછોકરાં તથા બીજા સંબંધીઓને વિસારી દઈને તેઓ આગળ ચાલ્યા. સઘળા વિચારમાં તથા ફિકરમાં ગરક થઈ ચૂપાચૂપ ચાલતા હતા. પાછળ અલફખાંનું લશ્કર ઘણા ઉમંગમાં તથા જય મેળવવાનો પક્કો ભરોસો રાખી કૂચ કરતું હતું. તેઓને પણ અનાજની તાપ હતી, પણ તેઓએ અનાજ પુરું પાડવાને વેપારીઓ જોડે બંદોબસ્ત કર્યો હતો, સઘળાં નાકાં તેઓના હાથમાં આવ્યાં એટલે તેઓની છાવણીમાં વણજારને આવવાની કાંઈ હરકત રહી ન હતી. તેની સાથે વળી તેના રસ્તામાં તથા તેની આસપાસ જે જે ગામો આવતાં ત્યાં જઈ સઘળું અનાજ લૂંટી લાવતા તે તેઓને મુસાફરીમાં કામ લાગતું હતું. વળી તેણે સઘળાં ગામોના લોકોને સમજાવીને શહેર તરફ હાંકી મૂક્યા, અને તે લોકોને પણ અનાજ ગયા પછી જીવવાનો કશો આધાર રહ્યો નહીં, તેથી તેઓ પણ પોતાનાં બૈરાંછોકરાં તથા સાથે લઈ જવાય એવી માલમતા જોડે રાખી બાગલાણ તરફ જવાને નીકળ્યા, અને કરણ કિલ્લામાં પહોંચ્યો નહીં એટલામાં તો તેઓ શહેરમાં દાખલ થઈ ગયા. એ પ્રમાણે તે શહેર લશ્કર સિવાયના માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું. પછી એકબે દહાડામાં કરણના લશ્કરે શહેરમાં પડાવ નાખ્યો, અને કિલ્લાનો તથા શહેરનો બચાવ કરવાને સઘળી તૈયારી કરવા માંડી. લુહારની દુકાનો જાગ્રત થઈ ગઈ; ભાલાઓ, તીરનાં ભાલુડાં, બખતર વગેરે હુમલો તથા બચાવ કરવાનાં શસ્ત્રો તૈયાર થવા માંડ્યાં; તથા શહેરમાંના જુવાન પુરુષોએ પણ જરૂર પડે તો લડવાને વાસ્તે સામગ્રી કરવા માંડી.

એ પ્રમાણે ચારપાંચ દહાડા વીત્યા એટલે અલફખાંનું લશ્કર પણ શહેરના કોટ આગળ થોડે દૂર છાવણી નાખીને પડ્યું, અને દુશ્મનોના મથી પોતાનો બચાવ કરવાને પાકાં કામ બાંધવાનો તેમણે આરંભ કર્યો. તેઓ ધીરજ રાખી લાંબી મુદત સુધી છાવણી નાખીને ત્યાં જ રહેવાના હોય એવી રીતે તેઓએ પાકાં કામ બાંધવા માંડ્યાં; તથા બીજી રીતનો બંદોબસ્ત કરી દીધો, તે ઉપરથી એવું જણાયું કે તેઓને કંઈ ઉતાવળ ન હતી; જે કામને સારુ તેઓ ત્યાં આવ્યા હતા તે કામ પાર પાડ્યા વિના ત્યાંથી એક તસુ પણ પાછા ન ખસવાનો તેઓનો દૃઢ નિશ્ચય માલૂમ પડતો હતો. તેઓ હુમલો કરવાને આગળ ધસતા ન હતા; માત્ર શત્રુઓથી પોતાનો બચાવ કરતા હતા. અલફખાંનો ઈરાદો લડાઈ કરી માણસો તરફનું નુકસાન વેઠવાનો ન હતો. તે સારી પેઠે જાણતો હતો કે શહેરમાંથી થોડા દહાડામાં અનાજ ખૂટી જશે, એટલે માંહેમાંહે લૂંટ ચાલશે, અને છેલ્લી વારે વગર શરતે તાબે થવાની તેઓને જરૂર પડશે, માટે તેની મુખ્ય મતલબ શહેરમાંનું અનાજ ખુટાડવાની હતી, અને તેથી તેણે સઘળાં નાકાં બંધ કર્યાં, અને શહેરમાં એક દાણો પણ અનાજ જઈ ન શકે, એવો બંદોબસ્ત કર્યો. એ કર્યા પછી ધારેલું કામ વગર મહેનતે અને વગર લડાઈએ અને કોઈ રીતે નુકસાન ખમ્યા સિવાય કરી લેવાના અવસરને વાસ્તે શાંત મન રાખી રાહ જોતો બેઠો.

શહેરમાં ગયા પછી કરણને માલુમ પડ્યું કે અનાજને વાસ્તે જે ધાસ્તી રાખવામાં આવી હતી તે ખરી હતી. અતયારથી જ અનાજ મોંઘું થઈ ગયું, અને થોડા દહાડામાં દુકાનોનો માલ ખપી જશે એમ દેખાયું. આખા શહેરમાં એ બાબત શોરબકોર થઈ રહ્યો. કરણે પણ જોયું કે જેમ બને તેમ જલદીથી મુસલમાનો પર હુમલો કરવો જોઈએ, અને જો લાગ ફાવે તો તેઓમાંથી નીકળી જવું જોઈએ. એક ઘોર અંધારી રાત્રે કલાક બેને સુમારે કરણ પોતાના લશ્કર સુદ્ધાં કિલ્લાની બહાર નીકળ્યો. તે વખતે કંસારીના અવાજ સિવાય સઘળું ચૂપાચૂપ હતું. વખતે વખતે ઝાડીમાંથી કોઈ રાની પશુનો અવાજ સંભળાતો હતો, અથવા આસપાસનાં નદીનાળાં આગળ શિયાળવાં ભૂંકતાં હતાં, તે શબ્દ કાને પડતો હતો. આકાશમાં ચંદ્રમા નહીં હતો, અને તારાઓથી જે થોડું અજવાળું પડતું હતું તેમાં ઝાડો તથા ટેકરીઓના ઓળા પડવાથી તેટલો થોડો પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો હતો. ડગલે ડગલે સિપાઈઓ ઠોકર ખાતા હતા, પણ રસ્તાના જાણનાર ભોમિયા સાથે હતા તેથી આવી અંધારી રાત્રે તેઓ ચાલી શક્યા. થોડેક આગળ ચાલ્યા એટલે તેઓએ દુશ્મનની છાવણી દીઠી. તેને ઓળખવાની નિશાની એટલી જ હતી કે તેની આસપાસ ચોકીદાર લોકોએ મોટાં મોટાં તાપણાં સળગાવ્યાં હતાં. તેના અજવાળાને સુમારે તેઓ આગળ ચાલ્યા, અને શત્રુની છાવણી આગળ લગભગ આવી પહોંચ્યા. તે વખતે સઘળા મુસલમાનો ભરનિદ્રામાં પડેલા હતા. જે કોઈ જાગતું હતું તે પણ સૂઈ રહેલું હતું. કરણે પોતાના લશ્કરની ગોઠવણ કરી, તથા અંધારામાં કેમ લડવું એ બાબતે સઘળા હુકમ જુદાજુદા સરદારોને આપી દીધા. પછી પહેલો જે પહેરેગીર તેઓને મળ્યો તેને તુરત ઠાર માર્યો; પણ તેમ કરવામાં એવું બન્યું કે તેણે મસ્તી વખતે મોટી ચીસ પાડી, તેથી પાસેના પહેરેગીર જાગી ઊઠ્યા, અને બળતાંના અજવાળા ઉપરથી સાફ માલૂમ પડ્યું કે રજપૂતોનું તમામ લશ્કર તેઓના ઉપર આવી પડ્યું છે. આ વાત માલુમ પડતાં જ છાવણીમાં તેઓએ દોડાદોડ કરી મુકી, અને સઘળે ઠેકાણે શત્રુના આવવાની ખબર પહોંચાડી દીધી. મુસલમાનોમાં ગડબડાટ થઈ ગયો; સિપાઈઓ ઝપાજપ ઊઠીને હથિયારબંધ થઈ ગયા; અલફખાં તરત બહાર આવ્યો, અને પોતાના માણસોની વ્યવસ્થા કરવાને તેણે ઘણી મહેનત લીધી. એટલા વખતમાં રજપૂતોએ જે જે મુસલમાન તેઓના હાથમાં આવ્યા તેઓને કાંઈ પણ દયા લાવ્યા વગર કાપી નાખ્યા. એ પ્રમાણે આખું લશ્કર ચીરીને કરણના માણસો બહાર જઈ શકત, પણ અલફખાંએ ઘણા થોડા વખતમાં લશ્કરની ગોઠવણ કરી દીધી, અને દુશ્મનને અટકાવાને ધીરજથી ઊભો રહ્યો. જો આ વખતે રાત અજવાળી હોત તો કરણ તથા દેવળદેવી સહેજે શત્રુના સપાટામાંથી બચી જઈ શકત; પણ આ વખતે અંધકારાને લીધે તેઓની ઝડપ થઈ શકી નહીં, અને તેથી દુશ્મનોને સામા થવાનો વખત મળ્યો. મુસલમાનોના સેંકડો માણસ આ રાત્રે કપાઈ ગયા તેથી અલફખાંના તમામ માણસોને ઘણું શૂર ચઢ્યું, તેઓમાં ક્રોધનો આવેશ આવ્યો, અને તેથી તેઓએ એવો ઠરાવ કર્યો કે મરતાં સુધી રજપૂતોને કદી રસ્તો આપવો નહીં. જ્યારે કરણનું લશ્કર તેઓની પાસે આવ્યું, ત્યારે તેઓને આદરમાન આપવાને તૈયાર છે, એમ જણાવવાને તેઓએ એકી વખતે અને એકેસ્વરે ‘‘અલ્લાહો અકબર’’ની જોરથી બૂમ પાડી. તેની સામા રજપૂતોએ ‘‘હરહર મહાદેવ’’નો પોકાર કર્યો. તે વખતે ઘણો જ ભયંકર હતો. બંને લશ્કરના અવાજથી તે સઘળી જગા ગાજી રહી, અને પાસેના ડુંગરોમાંથી તેનો પડઘો પડ્યો. પાછળથી મરતાં અને ઘાયલ થયેલાં માણસો રડતાં હતાં, તથા દરદને લીધે ચીસાચીસ પાડતાં હતાં તે આ મોટા અવાજમાં ધીમું ધીમું સંભળાતું હતું. અંધારામાં તલવારનો ચળકાટ વીજળીની પેઠે દેખાતો હતો. વળી તે વખતે વાતાવરણમાં પણ જાણે એક યુદ્ધ થઈ રહ્યું હતું. ચારે દિશાએથી પવનના સપાટા સામસામા અથડાતા, તેને લીધે ઝાડોના હાલવાથી પણ તેના કડાકા સંભળાતા હતા. વનમાં ઝાડની ડાળીઓ ભાંગી પડતી તેના કડાકા સંભાળાતા હતા. સૂકાં પાતરાં ચોતરફ ઊડતાં તેનો પણ ખડખડાટ થઈ રહ્યો હતો; અને ધૂળ, પાતરાં તથા બીજી હલકી વસ્તુઓ વંટોળિયામાં ઘસડાઈને ઉપર જતી હતી તેથી હવા સઘળી કચરાથી ભરાઈ ગયેલી હતી. આવી વખતે રાની પશુઓનો શબ્દ તો ડૂબી જ ગયો; નગારખામાં તતૂડીનો અવાજ ક્યાંથી સંભળાય ? એવી રીતે ત્યાંનો દેખાવ થઈ રહ્યો હતો. તયાં વિવેકેબુદ્ધિવાળા માણસો, જેઓને ખરું ખોટું સમજવાની શક્તિ આપેલી છે, જેઓની વચ્ચે કેટલીક તરેહનો સંબંધ રહેલો છે, તથા જેઓએ એકબીજાને પોતાના ભાઈઓ જેવા ગણવા જોઈએ એવો જગતકર્તાનો નિયમ છે, એવા માણસો એકએકનો જીવ લેવાને તૈયાર થયેલા હતા, તેઓ સઘળામાં એક જાતનો શેતાન ભરાયેલ હતો, તેઓના મનમાં એક મોટું તોફાન થઈ રહ્યું હતું, અને સઘળા સારા ગુણો તથા વૃત્તિઓ દબાઈ જઈને તેઓને ઠેકાણે માણસના ઘણામાં ઘણા દુષ્ટ તથા નાશકારક વિકારો પ્રબળ થઈ ગયા હતા; તેઓમાંથી હમણાં માણસપણું ગયું હતું; તેઓમાં પ્રેરણાનું જોર વધી ગયું હતું; માણસ અને કનિષ્ઠ પ્રાણીઓમાં જે અંતર છે તે જતું રહ્યું હતું; વિવેકબુદ્ધિ સમાઈ ગઈ હતી; અને તેઓ તે પ્રસંગે રાની હિંસક પશુઓના જેવા થઈ ગયા હતા. જગતનું હિત ચાહનારા લોકો લડવાને ઘણી જ ધિક્કારે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એકએકનું કલ્યાણ કરવું એ હેતુથી માણસને પરમેશ્વરે નિર્માણ કર્યા છે; તથા તેઓને સમુદાય બાંધી રહેવાની પ્રેણા આપી છે તે હેતુથી લડાઈથી નિરર્થક થઈ જાય છે. સ્વરક્ષણને માટે જે લડાઈની ખરેખરી અગત્ય છે, તોપણ પોતાના બચાવને માટે લડવું પડે એ કાંઈ થોડું ખેદકારક નથી. સષ્ટિમાં ઘણી વાર યુદ્ધ થતાં જોઈએ છીએ તે ઉપરથી સિદ્ધ થાય છે કે માણસનો સ્વભાવ જેવો થવો જોઈએ તેવો થયો નથી. આ લડાઈ પણ ઘણી ગેરવાજબી હતી. એક માણસની છોકરીને બળાત્કારે તેની પાસેથી લઈ લેવી એ ન્યાયથી ઊલટું હતું, પણ જ્યાં ‘‘જની તેગ તેની દેઘ’’ ત્યાં ન્યાયાન્યાય કોણ સમજે ? હવે લડાઈ વાજબી અથવા ગેરવાજબી ગમે તેવા કારણથી ઊઠી તે વાતમાં કાંઈ સાર નથી, તેનાં પરિણામો શાં થયાં તે તપાસવા લાયક છે.

દરિયામાં ભારે તોફાનને વખતે મોટાં પહાડ જેવાં મોજાં અથડાય છે, અથવા આકાશમાં જોસવાળા પવનથી ઘસડાતાં બે વાદળાં સામસામાં આવી મળી છે, તેમ કરણનું તથા અલફખાંનું લશ્કર એકેકને ભેટ્યું. પણ એ ભેટવું કાંઈ લાડનું ન હતું, એ તો ‘ભીમભાઈના લાડ’ જેવું ભેટવું હતું. છેક પાસે આવી ગયેલા તેથી તીરકામઠાં બિલકુલ નકામાં થઈ પડ્યાં હતાં. તેઓ ભાલા, તલવાર અને વખતે ખંજર, કટાર, વગેરે ટૂંકાં હથિયારો વડે લડતા હતા, એકએકના ઉપર દયા લાવી પ્રાણ ઉગારવાના તેઓએ સમ ખાધા હતા. મારવું અને મરવું, એ જ વાત મનમાં રાખીને તેઓ લડતા હતા. ‘‘અલ્લાહો અકબર’’ એક તરફથી ને ‘‘હરહર મહાદેવ’’ બીજી તરફથી વારેવારે સંભળાતાં હતાં. તલવાર, ભાલા, વગેરેનો ખડખડાટ થઈ રહ્યો હતો. સેંકડો માણસ ઘાસની પેઠે કપાઈ જતાં હતાં. તે કરતાં પણ વધારે માણસ ઘાયલ થઈને પડતાં તેઓ તેમના સોબતીના પગ નીચે છૂંદાઈ જતાં હતાં, અથવા તેઓને તેમના સાથીઓ બાજુ તરફ ફેંકી દેતા હતા ત્યાં તેઓ પડ્યાં પડ્યાં બરાડાબરાડ પડતાં હતાં. એ પ્રમાણે મારામારી તથા કાપાકાપી ત્રણ કલાક સુધી ચાલી; પણ તેટલા વખતમાં બેમાંથી કઈ પાછું હઠ્યું નહીં. સવાર પડવા લાગી, રાતનો અમલ ઊતરી ગયો, પૂર્વ દિશાએ અરુણનો પ્રકાશ દેખાવા લાગ્યો, વાદળાંનો રંગ તે તરફ ઘણો જ સુંદર રતાશ પડતો થઈ ગયો, તારાઓ એક પછી એક પોતાનું મોં છુપાવવા લાગ્યા, અને આસપાસની સઘળી વસ્તુઓ ધીમે ધીમે અંધકારમાંથી નીકળવા લાગી. થોડી વાર પછી જ્યારે સૂર્ય ઘણા દબદબાથી પૂર્ણ બિંબ સાથે બહાર આવયો, ત્યારે એક ભયાનક તથા હૃદયભેદક દેખાવ નજરે પડ્યો; રણભૂમિમાંથી લોહીની નીક વહેતી હતી; કેટલેક ઠેકાણે લોહીનાં ખાબોચિયાં ભરાઈ રહ્યાં હતાં; સામસામાં લશ્કર વાઘ અથવા વરુનાં બે ટોળાંની પેઠે ગુસ્સાથી તથા ક્રૂરપણાથી લડતાં હતાં; બંને તરફનાં મરી ગયેલાં માણસો જુદેજુદે ઠેકાણે તથા જુદીજુદી રીતે જમીન પર પડેલાં હતાં; કેટલાકનાં મોં વકાસેલાં હતાં; કેટલાકની આંખ ઊઘાડી રહી ગઈ હતી; કેટલાકની શિકલ તેઓના મરતી વખતના કષ્ટને લીધે વિકરાળ થઈ ગયેલી હતી; કેટલાકનાં અવયવો કપાઈ ગયેલાં આઘાં પડેલાં હતાં; અને કેટલાંકનાં માથાં વગરનાં ધડ રઝળતા હતાં. તે જ પ્રમાણે ઘાયલ થયેલા લોકો ભોંય પર ટળવળતા હતા; તેઓની ચાકરી કરનાર કોઈ નહીં, તથા તેઓને ત્યાં જે જોઈએ તે આપનાર કોઈ મળે નહીં; કોઈના તેના ઘા ઉપર હાથ ફેરવનાર નહીં; કોઈ તેને મીઠાં વચન કહી જીવને આરામ આપનાર અથવા દરદમાં દિલાસો આપનાર નહીં; તેના ઘા ઉપર ઓસડ ચોપડનાર અથવા કોઈ પણ રીતે તેની વેદના કમી કરનાર મળે નહીં, એટલે બિચારા પોકેપોક મૂકી રોતા હતા. આવી દુઃખદાયક અવસ્થામાંથી પરમેશ્વર તેઓને જલદીથી આ પાર કે પેલે પાર આણે માટે તે દીનદયાળ પ્રભુખી સ્તુતિ કરતા હતા, તથા કેટલાક આવા દુઃખમાં પોતાની મા તથા બાપને સંભારતા હતા. યુદ્ધ કરવામાં શૌર્ય આણવાને બંને તરફવાળાઓ વાજિંત્રો વગાડતા હતા. જ્યારે સકળ સંસારમાં આનંદકારક પ્રભાત પડી હતી તે વખતે આ ઠેકાણે શોકના શબ્દ આ પ્રમાણે સંભળાતા હતા. જ્યારે આસપાસની નીર્જીવ વસ્તુઓ રળિયામણી દેખાતી હતી તે વખતે આવો ભયંકર તમાશો તે ઠેકાણે બની રહ્યો હતો; અને જ્યારે પશુ, પક્ષી આદિ બીજાં કનિષ્ઠ પ્રાણીઓ ઉમંગભેર ઊઠી પોતાનો ખોરાક શોધવાને, અથવા બીજા કાંઈ કામસર, અથવા ફક્ત ગમતને માટે ખુશીમાં કલ્લોલ કરતાં આણીમેર-તેણીમેર ફરતાં તથા ઊડતાં હતાં, તે વખતે માણસ વિવેકબુદ્ધિવાળાં, ખરુંખોટું તથા પાપપુણ્ય સમજનાર, અમર આત્માવાળાં, સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ પ્રાણી તથા જગતનું ધણીપણું ચલાવનાર એવાં માણસો એકમેકનો પ્રાણ લેતાં હતાં, તથા પશુતુલ્ય થઈ માણસનું મહતવ ખોઈ તેના પેદા કરનારનું અપમાન કરતાં હતાં, તેનો એક મોટો અગત્યનો તથા પવિત્ર હુકમ તોડતાં હતાં.

અજવાળું પડતાં જ બંને લશ્કરવાળાને પોતપોતાને થયેલું નુકસાન માલૂમ પડ્યું અને રાજપૂતો મુસલમાનો કરતાં થોડા માર્યા ગયા તોપણ તેઓની અસલ સંખયા ઓછી હતી તેથી તેઓને ખોટ વધારે જણાઈ, તથા તેઓ ઘણા ઘટી ગયેલા દેખાવા લાગ્યા. દેવળદેવી પણ લશ્કરની સાથે હતી, અને તેને પાછળ રાખેલી હતી. પણ ભીમદેવને તેને વાસ્તે ઘણી ફિકર લાગ્યા કરતી હતી. એટલામાં અલફખાંએ એક તદબીર કરી રાખી હતી તે અમલમાં આવી. તેણે રાત્રે કેટલાંક માણસોને આઘાં રાખ્યાં હતાં, તેઓ હમણાં લડવાને આવ્યાં. તેઓને જોઈને રજપૂત સિપાઈઓના પેટમાં ભારે ફાળ પડી. તેઓને લાગ્યું કે જે પ્રમાણે આ માણસો આવ્યાં તે પ્રમાણે થોડી વાર પછી બીજાં તાજાં માણસ આવશે, અને એવી રીતે તેઓ કદી થાકવાના નથી. એથી ઊલટું તેઓમાં કાંઈ વધારો થશે એવો સંભવ ન હતો; પણ ઊલટો તેઓમાંથી ઘટાડો ગયા કરતો હતો; એવું છતાં જ્યારે અલફખાંના લશ્કરને મદદ મળી ત્યારે તેઓ ઘણા ગભરાયા, તેઓએ જીવવાની સઘળી આશા છોડી દીધી, અને તેમને હાર્યા જેવું જણાયું ભીમદેવને આ વખતે દેવળદેવીને વાસ્તે ચિંતા વધી, અને તેના રક્ષણને માટે તે એટલો અધીરો થઈ ગયો કે તેણે પોતાનો ક્ષત્રિયધર્મ ભૂલી જઈને પાછા કિલ્લા તરફ ફરવાને પોતાના માણસોને ફરમાવ્યું. તેઓને પણ એટલું જ જોઈતું હતું માટે જ્યારે આવી રીતે તેઓને પોતાના સરદાર તરફથી પાછા ફરવાની આજ્ઞા થઈ એટલે તરત તેઓ બંદોબસ્તની સાથે પાછા હઠ્યા, અને શહેરનો રસ્તો પકડ્યો. તેઓને જોઈને તમામ રજપુત લશ્કરે પોતાની પીઠ ફેરવી અને ભીમદેવનાં માણસોની સાથે તેઓ પણ ચાલ્યા. જ્યારે એવો જ જુવાળ બેઠો ત્યારે તેને કોણ અટકાવી શકે ? ઘેટાંનાં ટોળામાંથી એક ઘેટું જે રસ્તે જાય તે રસ્તે બીજાંઓ પણ ચાલ્યા વિના રહે જ નહીં એવો નિયમ છે, તે જ પ્રમાણે લશ્કરમાં થોડા નામરદ તથા બીકણ લોકો નાસવા માંડે એટલે બીજાઓને ચેપ ઊડે છે, અને તેઓને પણ તેઓના સોબતીની પેઠે કરવાનું વલણ થઈ આવે છે. કરણનું લશ્કર જલદીથી બાગલાણ તરફ વળ્યું, અને તેઓની પાછળ મુસલમાનોએ દોટ મૂકી, રજપૂતો નાસતા ગયા, તથા પાછા ફરી ફરીને દુશ્મનોની સામા લડતા ગયા. એમ કરવામાં તેઓનાં ઘણાં માણસો કપાઈ ગયાં, અને કિલ્લામાં પેસતાં પહેલાં એક સાંકડી નાળ હતી તેઓ આવ્યા ત્યાંથી મુસલમાનો અટક્યા; તેઓ રજપૂતોની પાછળ વધારે આવ્યા નહીં. તેઓ પોતાની છાવણીમાં પાછા ગયા, અને રજપૂતો થાકેલા, અથડાયેલા, તથા હાર અને માર ખાધેલા બાગલાણ શહેરમાં પેઠા. મુસલમાનોએ તેઓને વધારે ઉપદ્રવ કર્યો નહીં, પણ તેઓએ શહેર તમામ ઘેરી લીધું હતું તેથી કોઈ પણ માણસ તેમાંથી બહાર જઈ શકતું નહીં, તથા કોઈ તેમાં આવી શકતું નહીં. શહેરમાં અનાજ ન જવા દેવાને ઘણો જ પાકો બંદોબસ્ત રાખ્યો હતો. રજપૂતો શહેરમાં જઈને ઘણા જ ઉદાસ તથા શોકાતુર થઈને પડી રહ્યા. હવે તેઓને વધારે વાર લડવાની હિમ્મત રહી નહીં. તેઓનો ઉમંગ જતો રહ્યો, તથા તેઓ નિરાશ થઈ ગયા. આ વખતે જો શહેર ઉપર મુસલમાનો હુમલો કરે તો શું કરવું ? લશ્કર તો વધારવું જોઈએ અને જો બની શકે તો દુશ્મનોના ઉપર આવો બીજો હુમલો પણ કરવો. શહેરમાં પડી રહેવાથી અનાજ ખપાવી દેવું, દુકાળને વહેલો આણવો તથા શત્રુને શરણે જવાનો પ્રસંગ ઉતાવળથી લાવવો, એવી તરેહના બીજા ઘણા ગેરફાયદા હતા. જો લડવાને બહાર જવાય, અને રાતની વખતે છાપો મરાય, તો કદાચ નાસી જવાનો પ્રસંગ મળે, અને એ પ્રમાણે સઘળાં માઠાં પરિણામોનું એકદમ નિવારણ થાય. વળી એ પ્રમાણે કરવાથી દુશ્મનોનાં ઘણાંએ માણસો માર્યા જાય, તથા તેઓ થાકી જઈ લડાઈથી કંટાળીને તથા લડવાના સામર્થ્યવાળા હતા તેઓને લશ્કરમાં સામેલ કરવાને કરણે ઘણી મહેનત કરી. પણ તેઓમાંના ઘણા જ થોડા લડવાને તૈયાર થયા. તેઓને લડાઈમાં જવાની ટેવ ન હતી; તેઓનું શૂરાતન પ્રકટ થયેલું ન હતું; માટે ઘણાએ જૂઠાં બહાનાં કાઢ્યાં. કેટલાક સંતાઈ બેઠા, અને કેટલાકે તો શરમ મૂકી સાફ ના જ કહી, તેઓ સઘળા કરણના ઉપર ગુસ્સે થયેલા હતા; તેઓના શહેર ઉપર આ આફત આવી પડી તેનું કારણ કરણ છે, એમ જાણીને તેઓ રાતદહાડો તેને અંતઃકરણથી ગાળ દેતા હતા. શહેરમાં અનાજની ઘણી જ મોંઘવારી થઈ ગઈ હતી, તથા બિચારા સેંકડો ગરીબ લોકો મરી જતા હતા, તેઓ કરણ તથા દેવળદેવી ઉપર નિસાસો મુકતા હતા. શહેરમાંના જે જુવાન લોકો લડવાને તૈયાર થયા હતા તેઓનાં માબાપ તથા બૈરાંછોકરાં પણ કરણને શાપ દેતાં હતાં. જે નવાં માણસો કરણના લશ્કરમાં ઉમેરાયાં હતાં તેથી કાંઈ તેમાં ઝાઝો વધારો થયો નહીં, માટે ભીમદેવે શહેરનાં મુખ્ય મુખ્ય માણસોને પોતાની પાસે બોલાવ્યાં, ને તેઓને સમજાવ્યું કે ‘‘હાલ જે લડાઈ ચાલે છે તે કરણ રાજા ઉપરથી નથી, પણ તે તો દેવગઢના રાજા રામદેવજી, જ તમારા સઘળાના રાજા છે, તેના ઉપર ચાલે છે; કેમ કે તમે સઘળા જાણો છો કે લડાઈનું કારણ દેવળદેવી છે; તેને મ્લેચ્છ લોકોને પોતાને વાસ્તે લઈ જવી છે; પણ તે તો આપણા શંકળદેવની સાથે પરણી ચુકી છે, માટે તે તમારી રાણી છે. તમારે તમારી રાણીના બચાવને વાસ્તે લડવાનું છે. તમારે તમારા રાજાની પ્રતિષ્ઠા રાખવાની છે, અને આજે જો તેઓ તમારા રાજાના ઘરની રાણી લઈ જશે તો કાલે તમારાં ઘરનાં બૈરાંને ઘસડી લઈ જવામાં તેમને શી હરકત પડશે ? માટે તમે તમારા લોકોનું, તમારા દેશનું તથા તમારા રાજાનું જરા અભિમાન રાખો, અને જે હવે પછી તમારી રાણી થવાની છે તેને શત્રુઓના હાથમાં પડતી બચાવો. શું દુનિયામાં એમ કહેવાશે કે દેવગઢના રાજ્યના લોકો એવા હીચકારા હતા કે તેઓએ પોતાના પોતાની રાણીને દેશમાંથી પારકા દેશમાં લઈ જવા દીધી ? એમ થાય તો તે મોટામાં મોટી ગેરઆબરૂ સમજવી. પણ મને આશા છે કે તમે સઘળા એવા અધમ નથી કે એમ થવા દઈ તમારું નામ જગતમાં ડુબાવશો, માટે જાગ્રત થઈ જાઓ. આબરૂને વાસ્તે વિચાર રાખો. મરવાની દહેશત છોડી દઈ બૈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ-તલવાર બાંધીને તૈયાર થઈ જાઓ. કોઈ શા માટે જવાબ દેતું નથી ? તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જિંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધૂળ પડી તમારી જિંદગી ઉપર !’’ એટલું કહી તે ચૂપ રહ્યો. તેને એટલો બધો ક્રોધ ચઢી ગયો કે તેનાથી વધારે બોલાયું નહીં.

પણ ભીમદેવનું આ સઘળું બોલવું પવનમાં ઊડી ગયું. એ તો પથ્થર ઉપર પાણી, તેઓ સઘળા જડ થઈને બેસી રહ્યા. કોઈના ઉપર કંઈ અસર થઈ નહીં. તેઓના મનમાં નક્કી હતું કે આ કામમાં જય મળવાનો નથી, માટે જિંદગી શા માટે નકામી ફેંકી દેવી જોઈએે ? પણ જે જિંદગીના ઉપર તેઓને આટલી બધી પ્રીતિ હતી, જે જિંદગીને વાસ્તે તેઓ પોતાની પ્રતિષ્ઠા ખોવા બેઠા હતા, અને જે જિંદગીને વાસ્તે તેઓ પોતાના રાજા આગળ હલકા પડ્યા, તે જિંદગી ઘણી વાર ટકે એવો સંભવ ન હતો. મુસલમાનો સિવાય એક બીજો શત્રુ શહેર ઉપર ચઢી આવ્યો હતો. તે શત્રુ અદૃશ્ય હતો, તેના સપાટામાંથી બચવું મુશ્કેલ હતું, અને તેના હાથથી મરવામાં કાંઈ પણ આબરૂ ન હતી. એ શત્રુ દુકાળ હતો. જો તેઓએ ભીમદેવના કહ્યા પ્રમાણે કર્યું હોત, જો તેઓ સઘળાએ મળીને મુસલમાનો ઉપર હુમલો કર્યો હતો, તો કદાચ આ નવા શત્રુના હાથમાંથી તેઓ જીવતા રહેત; તેઓની પ્રતિષ્ઠા કાયમ રહેત; તેઓના રાજાનું કામ થાત; લડાઈનો અંત આવત; અને બીજાં નઠારાં પરિણામોનો અટકાવ થાત. પણ કહેવત છે કે ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ તેઓની મતિ બદલાઈ ગઈ, અને તેથી તેઓમાંનાં ઘણાં ખરાં ઢોરને પશુની પેઠે મરણ પામ્યાં; તેઓનાં બૈરાંછોકરાંની પણ તેવી જ અવસ્થા થઈ, અને તેઓની માલમિલકત સઘળી ફનાફાતિયા થઈ ગઈ.

શહેરમાં અનાજની ખોટ હતી, એ ઉપર કહેલું જ છે. જ્યરથી શહેરમાં લશ્કરનો તથા આસપાસના ગામના લોકોનો જમાવ થયો ત્યારથી જ અનાજ ઘણું મોઘું વેચાવા લાગ્યું, અને પહેલવહેલાં તો ગરીબ લોકોનો મરો થયો. લડાઈ જલદીથી પૂરી થશે, અને અનાજ બહારથી આવી પહોંચશે એ આશાથી લોકો ધીરજ રાખી દુઃખ વેઠી બેસી રહ્યા. પણ લડાઈનો પાર આવ્યો જ નહીં. અને દુકાનોનો સઘળો માલ ખપી ગયો. સિપાઈઓ તથા બીજા લોકો બૂમાબૂમ પાડવા લાગ્યા; રસ્તામાં રોજ ઘણા લોકોનાં મુડદાં દેખાતાં હતાં; લોકો છેક નિરાશ થઈ ગયા; અને ભૂખના માર્યા ઘેલા જેવા થઈને લૂંટવા નીકળ્યા. એક સવારે શહેરનો તમામ કચરો એટલે હલકા લોકો હથિયાર લઈ નીકળ્યા, અને બધે ઠેકાણે પથરાઈ જઈ લોકોનાં ઘર ફાડી માંહે પેઠા. તેઓની જોડે લશ્કરના સિપાઈઓ પણ સામેલ થયા, અને દરેક ઘરમાં અનાજનો જે સંગ્રહ હતો તે લઈ ગયા, રસ્તામાં કાપાકાપી ચાલી, લોહી વહ્યું. મુડદાંઓ રસ્તામાં પડ્યાં, અને શોરબકોર સઘળે થઈ રહ્યો. દ્રવ્યમાન લોકોએ બન્યો તેટલો અટકાવ કર્યો પણ તેમ કરવામાં ઘણાના જીવ ગયા, તોપણ તેઓનું ફાવ્યું નહીં. તેઓના ઘરનું સઘળું અનાજ લૂંટાઈ ગયું અને હવે તેઓને ભુખે મરવાનો દહાડો આવ્યો. પણ થોડા દહાડા વહી ગયા એટલે પેલું લૂંટેલું અનાજ થઈ રહ્યું, એટલે પાછા સઘળા સરખા થઈ ગયા. હવે દુકાળ રાક્ષસે પોતાનું ખરેખરું રૂપ પ્રકાશ્યું, અને હે ભુખનું દરદ સઘળાંને સરખું લાગવા માંડ્યું. આવે વખતે તો બિચારા લોકોની દુર્દશાનું યથાસ્થિત વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. જો બરાબર થઈ શકે તો તેથી દયાવૃત્તિને ઘણો આંચકો લાગે, ને શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય. રસ્તામાં લોકોના ચહેરા જોવાથી ચીતરી ચઢ્યા વગર રહે જ નહીં. તે બિચારાં ભૂખે મરી ગયેલાં માણસોનાં શરીર લોહી ઊડી જવાથી ધોળાં ફક જેવા થઈ ગયાં હતાં; તેઓમાંથી માંસ તથા ચરબી પીગળી જવાથી હાડકાં સઘળાં બહાર નીકળી આવ્યાં હતાં; તેઓના ચહેરા ફિક્કા સુકાઈ ગયેલા, તથા ખરબચડા થઈ ગયેલા હતા; અને તેઓ એવા તો બિહામણા થઈ ગયા હતા કે તેઓમાં અને મલિન ભૂતમાં કાંઈ અંતર રહેલું ન હતું. વળી ભયંકર ચહેરા ઉપર તેઓના મનના સઘળા દુષ્ટ વિચારો બહાર નીકળી આવેલા હતા. દ્વેષ, અદેખાઈ, ક્રોધ, મરવા તથા મારવા વિષે બેપરવાઈ, તથા ભૂખમરાથી જ યમના દરવાજા આગળ આવી પહોંચેલા લોકોમાં જે જે નઠારા ગુણો પ્રકટ થઈ આવે તે સઘળા તેઓનાં મોં ઉપર સાફ માલૂમ પડતા હતા. સારાંશ કે તેઓના ઉપર ખુદ મોત આવીને બેઠું હતું, અને જો તે માણસનું રૂપ ધારણ કરે તો તેનું સ્વરૂપ આ લોકના જેવું બરાબર થાય. એ તો આપણે તેના બહારના દેખાવનું વર્ણન કર્યું; પણ તેઓના મનમાં જે અવ્યવસ્થા થઈ રહી હતી, ભૂખને લીધે તેઓને જે મહા વેદના થતી હતી, તેનું વર્ણન તો વૈદશાસ્ત્રમાં જેઓ પ્રવીણ હોય તેઓ જ કરી શકે તથા જેઓને તે વાતનો અનુભવ થાય તેને જ તેની ખબર પડે. રસ્તે ચાલતાં ચાલતાં કેટલાંક તમર ખાઈને પડી જતાં, અને તત્કાળ મરણ પામતાં; અથવા તેઓ એકબે દિવસ સુધી તેવી હાલતમાં રિબાયા કરતાં. જ્યાં સઘળા ઉપર સરખી જ આપદા આવી પડેલી, ત્યાં એકેક ઉપર દયા પણ કોણ લાવે ? તથા તેનું દુઃખ મટાડવાને કોણ ઉપાય કરે ? માટે તેઓ રસ્તામાં બીજાં મૂએલાં માણસોની સાથે જીવતાં પડી રહેતાં હતાં, કેટલાકથી તો બહાર નીકળાતું જ ન હતું. તેઓ ભૂખથી એવાં અશક્ત થઈ ગયાં હતાં કે તેમનાથી ઉઠાતું પણ ન હતું. તેઓ ઘરમાં સૂતાં સૂતાં બરાડાબરાડ પાડતાં હતાં. નાનાં નાનાં છોકરાં રસ્તામાં ટળવળતાં હતાં અને પછાડા મારીમારીને મરી જતાં અથવા મરણતોલ થઈને ભોંય ઉપર પડતાં હતાં. છોકરાંની મા ઘેલી જેવી આણીગમ-તેણીગમ દોડતી, અને કટકો રોટલો જે તેણે છુપાવી રાખ્યો હોય તે પોતાનાં હાડપિંજર જેવાં સુકાઈ ગયેલાં છોકરાંને ખવડાવતી, અને તેટલો સૂકો રોટલો પણ કોઈ હારમખોર આવે તો તેના હાથમાંથી લઈ જાય માટે તે ચોતરફ જોયા કરતી, કેટલીક બૈરીઓની નજર આગળ તેઓનાં નાનાંનાનાં કુમળાં બાળક તરફડીને મરી જતાં તેને જોઈને બેબાકળા ડોળા કરી મોં ઉઘાડું રાખી ઊભી રહેતી. પોતાને ખાવાનું મળે નહીં, એટલે દૂધ તો ક્યાંથી જ આવે ? આથી ધાવણાં છોકરાં પીલાઈ પીલાઈને મરી જતાં હતા. તેઓના દરદથી તથા ભૂખથી તેઓની માની પણ એવી જ અવસ્થા થતી હતી. ઘરડાં અશક્ત ડોસાઓ તથા ડોસીઓ પડીપડીને મરતાં હતાં. અને ભરજુવાનીમાં આવેલાં સ્ત્રીપુરુષો પણ કાળચક્રના સપાટામાં આવી ગયાં હતાં. દુકાળની આગળ બધી જ જાતનાં, ઉંમરનાં, તથા પદવીનાં માણસો સરખાં જ હતાં. મોત ચોતરફ ફરતું હતું. તેના હાથમાં ઘણું કામ આવી પડ્યું હતું. ગરીબ લોકોનાં મડદાં રસ્તામાં, ગલીમાં, અને ઘરોમાં કોહી જતાં હતાં. તેઓને બાળવા જવાની કોઈનામાં શક્તિ રહી ન હતી, તથા જ્યાં સઘળાંને મરવાની ધાસ્તી સરખી જ ત્યાં એકએકને શરમ તથા સંબંધ તો ક્યાંથી જ રહે ?

હવે અનાજ તો થઈ રહ્યું, અને જીવતાં રહેલાં માણસોને કોઈ જાતનો ખોરાક તો જોઈએ, માટે કેટલાંક ઝાડનાં ફળ ખાઈને જીવતાં, કેટલાંકને ત્યાં ગાય-ભેંસ હતી તેઓ દૂધ પીને પોતાનાં શરીરને આધાર આપતાં, કેટલાંક ઢોરની પેઠે ઘાસ ખાતાં, કેટલાંક પાતરાં ખાતાં, વળી બીજાંઓ એમાંથી કાંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં, અને વખતે ધૂળ ને મટોડું ખાતાં, જે કાંઈ નરમ વસ્તુ ચાવી શકાય તેવી હોય તે સઘળી ભક્ષ કરવામાં આવતી. એ બધાની સાથે પેટનું ભરતિયું થવાને માટે પુષ્કળ પાણી પીતાં હતાં. આવો નઠારી જાતનો, જેથી પોષણ થઈ ન શકે એવો, વખતે શરીરને નુકસાન પહોંચાડે એવો ખોરાક ખાવાને લીધે, તથા મરી ગયેલાં માણસોની સડી ગયેલી લાશોમાંથી જે દુર્ગંધ તથા પ્રાણઘાતક હવા નીકળતી હતી તેને લીધે શહેરમાં મરકી ચાલી. લોકોને તાવ, જીવમાં ચૂંથારો, અને અંતે સનેપાત થવા લાગ્યો. એ પ્રમાણે તે લોકોના ઉપર દુકાળ અને મરકી એ બે આફતો આવી પડી, અને તેથી મૃત્યુનું કામ ઘણું જ ધમધોકાર ચાલવા માંડ્યું. જેઓ કદાચ દુકાળના સપાટામાંથી બચે તેઓ મરકીના ઝપાટામાં ઘસડાઈ જાય. જ્યારે શહેરમાં મરકીએ દેખાવ આપ્યો, ત્યારે તો લોકો છેક નિરાશ થઈ ગયા. તેઓએ જીવનની સઘળી આશા છોડી દીધી અને મોતને વાસ્તે ઘણી જ બેપરવાઈ દેખાડવા માંડી. પછી રસ્તામાં જે મડદાં પડે તેને કોઈ ઉઠાવે પણ નહીં; ત્યાં ને ત્યાં તેઓ સડ્યા કરે. ઘરમાં પણ મડદાં પડી રહેતાં. શહેરમાં કાગડા, ગીધ અને સમડી ધોળે દિવસે મડદાંને પીંખી નાખતાં; વખતે કૂતરાં, બિલાડાં તેઓને ઘસડતાં તથા ફાડી ખાતાં; રાત્રે જંગલમાંથી શિયાળવાં તથા બીજાં હિંસક પશુઓ શહેરમાં ઉજાણી કરવા આવતાં. ગાય, ઢોર તથા બીજાં પાળેલાં જાનવરો ધણી વિના, ખાધા વિના મરવા લાગ્યાં, તેઓએ પણ શહેરની દુર્ગંધમાં વધારો કર્યો. માણસો તથા તેની સાથે સંબંધ રાખનારાં પ્રાણીઓનો આ પ્રમાણે નાશ થતો હતો, અને માંસભક્ષક પશુઓનાં મનને મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. દુકાળ તથા મરકીને લીધે જેવો લોકોની શરીરની અવસ્થામાં ફેરફાર થયો તેવો જ તેઓની મનની સ્થિતિમાં પણ ફેરફાર થયો હતો. માણસમાં જે દુષ્ટ તથા નઠારા ગુણો હોય છે તેઓ સઘળા આ વખતે પ્રકટ થયા તથા સઘળા સારા તથા ઊંચા ગુણો દબાઈ ગયા. માણસોમાંથી માંહોમાંહેની શરમ ઊઠી ગઈ; સગાપણાનો નાસ થયો; દોસ્તી હોલવાઈ ગઈ; સ્વાર્થ સ્વાર્થ સઘળે ઠેકાણે સઘળાનાં મનમાં વ્યાપી રહ્યો. માબાપ અને છોકરાંની વચ્ચેનું તથા ધણીધણિયાણી વચ્ચેનું સઘળું હેત નાસી ગયું. આ વખતે કોઈ કોઈનું નહીં.સૌને સૌનું લાગ્યું હતું. લોકોના મનમાંથી ધર્મનો અંશ જતો રહ્યો; પરમેશ્વરને તેઓ ભૂલી ગયા; મોતનો ડર તથા મૂએલાં માણસને વાસ્તે માન એ બંને જતાં રહ્યાં. આ સઘળી આફત જોવાથી તથા મોત તેઓની પાછળ પાછળ ડગલાં ભરતું હતું તે વિચારથી ઈશ્વર તરફ મન લઈ જવાને તથા શોકાતુર થઈને શાણપણ તથા ગંભીરતા પકડવાને બદલે તેઓ ઊલટા ખુશી થતા તથા આણીગમ-તેણીગમ અતિ આનંદમાં ફરતા. તેઓનાં મગજ ભુખથી ફરી ગયેલાં હતાં. આવી અસ્વાભાવિક વર્તણૂંક કોઈ બીજા જ કારણને લીધે તેઓએ પકડી હતી. એ ગમે તેમ હોય તોપણ દિવસે અને રાત્રે કેટલાંક ભૂત જેવાં બિહામણાં માણસોનાં ટોળાં રસ્તામાં મોટે અવાજે તથા ખુશીથી ગાતાં, વાજિંત્રો વગાડતાં, તથા ઘણો શોર કરતાં જતાં હતાં. એ પ્રમાણે કરવામાં તેઓની મતલબ કાંઈ પણ જણાતી ન હતી. તેઓ માત્ર વખત કાઢવાને તથા મોતનો વિચાર દૂર કરવાને ફરતાં હતાં. કેટલાંક માણસો સનેપાતના જોરમાં બહાર નીકળીને ફરતાં અથવા દોડતાં હતાં. તેઓ ગાતાં, બૂમ પાડતાં અથવા વગર અર્થનું અને વગર મતલબનું બોલતાં, અને છેલ્લી વારે એવા જોરથી ખડખડાટ હસી પડતાં કે આખો મહોલ્લો ગાજી રહેતો. એ પ્રમાણે શહેરની અવસ્થા થઈ રહી હતી.

હવે કિલ્લામાં જ્યાં કરણ રાજા, ભીમદેવ, દેવળદેવી તથા મુખ્ય સામંતો અને બીજા સરદારો રહેતા તેઓને વાસ્તે તે કિલ્લાના કોઠારમાં કેટલુંક અનાજ ભરી રાખેલું હતું તેમાંથી થોડું થોડું તેઓ વાપરતા, અને એ પ્રમાણે કસર કરી તેઓએ અનાજ અતયાર સુધી પહોંચાડ્યું હતું; અને હજી થોડા દહાડા વધારે ચાલે એટલું બાકી રહેલું હતું. લોકોને એ જોઈને ઘણી અદેખાઈ આવતી હતી, અને તેઓને વાસ્તે પોતે મરણ પામે, અને જેઓ લડાઈનાં મુખ્ય કારણ તેઓ જીવતાં રહે એ જોઈને તેઓને ક્રોધ આવતો હતો. પણ તેઓને ગુજરાતના દુર્દશામાં આવી પડેલા દુર્ભાગી કરણ રાજા ઉપર દયા આવતી હતી, તથા પોતાના રાજાના કુંવર ભીમદેવની તેઓ આબરૂ રાખતા હતા, તેથી તેઓએ કિલ્લા માંહેના લોકોને કશી રીતનો ઉપદ્રવ કર્યો નહીં. એ છતાં પણ કેટલાક ફિતૂરી, હલકા, તથા લુચ્ચા લોકોએ કિલ્લા ઉપર હુમલો કરી તેમાંનું અનાજ લૂંટી લેવાને એક કરતાં વધારે વર નિશ્ચય કર્યો; પણ તેઓમાંના વિચારવંત, દયાળુ, તથા રાજનૈષ્ઠિક લોકોએ તેમને સમજાવયા કે એટલું અનાજ લૂંટી લાવ્યાથી શહેરમાંનાં આટલાં બધાં માણસોને કાંઈ વધારે વાર ફાયદો થવાનો નથી, અને કિલ્લામાં મોટા માણસો જેઓ દુનિયામાં અગત્યના છે તેઓ મરણ પામશે, તે વાત તેઓના મનમાં ઊતરી, તેથી પોતાના ધારેલા કામથી બંધ પડ્યા. પણ તેઓનો ક્રોધ હજુ સુધી શમ્યો ન હતો. તેઓની પાસે એક ઉપાય તૈયાર જ હતો. જો તેઓ સઘળા મળી શહેરના દરવાજા ઉઘાડી નાખી મુસલમાનોને અંદર આવવા દે તો તેઓના દુઃખનું તુરત નિવારણ થાય. પણ તેમ તેઓએ કર્યું નહીં. એ પ્રમાણે દગલબાજી કરવામાં ઘણી ગેરઆબરૂ છે, એમ તેઓ સારી પેઠે જાણતા હતા. તેમ કરવાથી જે પરિણામો નીપજે તેને વાસ્તે તેઓ ઘણા દિલગીર હતા. તેટલા માટે જ આટલું બધું કષ્ટ તેઓએ સહ્યું; દુકાળ અને મરકી પોતાના શહેરમાં આવવા દીધાં; પોતાનાં વહાલામાં વહાલાં માણસોને પોતાની નજર આગળ પીલાઈપીલાઈને આવા ભયંકર મોતે મરતાં જોયાં; તથા પોતાના મોતને વાસ્તે પણ કાંઈ દરકાર રાખી નહીં, તેઓનો આ વિચાર જોઈને આપણને ખરેખરું આશ્ચર્ય લાગવું જોઈએ, અને તેમના પ્રતિષ્ઠા જાળવવા વિષેના એવા ઉમદા વિચાર જોઈને આપણે વિસ્મિત થવા વિના રહેતા નથી. આટલી બધી વાર તેઓએ આવા વિચાર રાખ્યા, પણ હવે તેઓનું મન બદલાયું. અને કેટલાક હલકા લોકોએ ઠરાવ કર્યો કે હવે શહેરના દરવાજા ઉઘાડા મૂકી દેવા, અને આ દૈવકોપનો એકદમ અંત આણવો. વળી આપણે અહીં રહીને પણ શું કરીએ છીએ ? આપણામાં હવે લડવાની કાંઈ શક્તિ રહી નથી. કરણ અને ભીમદેવનું લશ્કર ઘણુંખરું મરી પરવાર્યુ છે, અને જે કોઈ જીવતા રહ્યા હશે તેઓની અવસ્થા લડવા લાયક રહી નહીં હોય, માટે હવે દરવાજો બંધ રાખ્યાી ને પડી રહેવાથી વધારે માણસોનો નાશ થાય છે પણ તેથી કાંઈ કામ સિદ્ધ થાય એવો સંભવ નથી. માત્ર વખત વધારે મળે છે. પણ એટલા વખતના જૂજ ફાયદાને માટે માણસોના અમૂલ્ય જાનની ખરાબી થાય, એ કાંઈ વાજબી નથી, એ ઉપરથી તેઓએ ઠરાવ કર્યો કે એ સઘળી વાત કરણને જઈને કહેવી, ને તેને કાને નાખીને એ કામ કરવું.

એ વિચાર પ્રમાણે ઘણા માણસોએ કિલ્લામાં જઈ કરણની આગળ સઘળી હકીકત કહી, અને હવે શહેરમાં શત્રુઓને આવવા દેવાની રજા માગી. કરણે તેઓનો ઉપકાર માન્યો, અને પોતાની પુત્રીને વાસ્તે તેઓ આટલી લાંબી મંદત સુધી મહાભારત દુઃખ તથા નુકસાન વેઠીને રહ્યા, તેને માટે તેઓને ઘણી જ શાબાશી આપી. કરણને તેઓના ઉપર ઘણી જ દયા આવતી હતી, અને તેઓ કહે છે તે સઘળી વાત ખરી છે એવી તેના મનમાં ખાતરી થઈ હતી. હવે જીતવાની આશા તો મુદ્દલ રહી જ ન હતી. સિપાઈઓ સઘળા આ જગત્‌ છોડીને જતા રહ્યા હતા, અને જીવતા રહેલા આ લોક અને પરલોકની વચ્ચે લટકતા હતા. તેઓ કાંઈ લડવા લાયક રહ્યા ન હતા, તેથી હવે કિલ્લામાં ભરાઈ રહેવું નિરર્થક છે, એમ તેને સાફ જણાયું, અને વધારે માણસોને મરતાં અટકાવવાને માટે તેણે લોકો પાસે એક રાતની મહેતલ માગી, અને બીજે દહાડે દરવાજા ઉઘાડા મૂકવાની તેમને રજા આપી. લોકો તે સાંભળીને સંતોષ પામી ઘેર ગયા, અને બીજા દહાડાની રાહ જોવા લાગ્યા. તેઓ ગયા પછી કરણ ઊંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું ? અત્યાર સુધી તેને એવી આશા હતી કે થોડા દહાડામાં કિલ્લામાંનું અનાજ ખપી જશે, એટલે પોતે તથા પોતાની છોકરી બંને એક પછી એક અથવા સાથે ભૂખથી મરી જશે, એટલે લડાઈ એની મેળે સંપૂર્ણ થશે. પણ તેમ થવાને વખત આવ્યો નહીં. લોકોએ તેટલી ધીરજ રાખી નહીં. હવે એક રાત વચમાં રહી તેમાં કાંઈ તેના ધાર્યા પ્રમાણે થવાનું ન હતું. માટે શસ્ત્ર વડે બેમાંથી એકનો જીવ લીધા સિવાય બીજો કાંઈ ઉપાય રહ્યો નહીં. બેમાંથી કોણે મરવું એ વાતનો વિચાર રહ્યો. દેવળદેવીને મારવાનો આગળ કરણે વિચાર કર્યો હતો, તેને કાપી નાખવાને તેણે તલવાર ઉગામી હતી, પણ એ અસ્વાભાવિક કામ કરવા જતાં તેનું મન હઠી ગયું હતું. આવી બાળક છોકરીને શી રીતે મારી નખાય ? માટે પોતે જ મરવું એ સારું છે; પોતાના જીવવાથી કાંઈ ફળ ન હતું; પોતે ઉંમરે પણ પહોંચ્યો હતો; પોતાના સુખના દિવસ પાછા આવશે એવો સંભવ ન હતો; તેથી દુઃખમાં બાકીનાં વર્ષ કાઢવા કરતાં એકદમ આયુષ્યની દોરી તોડી નાખવી એ સારું એમ તેણે નક્કી કર્યું. રાત્રે બાર વાગતે જ્યારે કિલ્લામાં સઘળા ભરઊંઘમાં હતા ત્યારે લૂગડાં પહેરી એક તેજ તલવાર સાથે રાખીને કિલ્લામાંથી બહાર નીકળ્યો. તેનો દેખાવ જોવાથી જ તરત જણાઈ આવે કે તે વખતે તે કાંઈ ભયંકર કામ કરવાને જાય છે. તે પોતાની દીકરીને જગાડીને છેલ્લી વાર મળ્યો પણ નહીં તોપણ તેને અંતઃકરણથી આશીર્વાદ દઈને તથા તેની જિંદગી અને પ્રતિષ્ઠાના સંરક્ષણ વાસ્તે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યાંથી ચાલી નીકળ્યો. બહાર મેદાનમાં પૂર ચાંદરણું ખીલી રહ્યું હતું તેમાં વચ્ચે ઝાડો તથા ડુંગરોના ઓળા પડ્યા હતા. હવા બિલકુલ સ્થિર હતી, ઝાડોનાં પાંદડા લગાર પણ હાલતાં ન હતાં. સઘળું ચૂપાચૂપ હતું, તેમાં કરણનાં પગલા સાફ સંભળાતાં હતાં. તે વખતે વખતે ઈશ્વરનું સ્મરણ કરતો હતો. અને આખી દુનિયાની આ છેલ્લી ભેટ લેતો હતો. થોડી વાર સુધી ઊંચી-નીચી ભોંય પર ચાલ્યો પછી તે એક મોટા મહાદેવના દહેરા આગળ આવી પહોંચ્યો. તે દેવસ્થાન તે જગાએ ઘણું નામાંકિત હતું, અને તે ઘણું વિસ્તીર્ણ હતું. તે રાત દહાડો ઉઘાડું હતું, અને આ વખતે તેમાં કે તેની આસપાસ કોઈ માણસ ન હતું. કરણ તે દહેરામાં જ્યાં શિવલિંગ હતું ત્યાં ઊભો રહ્યો. તેણે ત્યાં એકચિત્તે મહાદેવની સ્તુતિ કરી, પછી મહાદેવની પૂજા કરી, અને થોડાંક ફૂલ પોતાની સાથે લઈ આવ્યો હતો તે તેના ઉપર ચઢાવ્યાં. પછી તે ઘણા જુસ્સાથી ઊભો થયો, અને તલવાર મ્યાનમાંથી કાઢીને પોતાની ડોકે અડકાડી મોટેથી અને જુસ્સાથી બોલ્યો : ‘‘હે મહાદેવ ! હે ભોળાનાથ ! હે શંકર ! હું કેવી આફતમાં આવી પડ્યો છું તે તું સારી પેઠે જાણે છે. તેમાંથી ઊગરવાનો કાંઈ રસ્તો સૂઝતો નથી. માટે રે જગત્‌ના પ્રલયકર્તા ! આ તારી સમક્ષ મારો દેહત્યાગ કરું છું, નહીં તો બચવાનો માર્ગ બતાવ.’’ એટલું કહી તેણે તલવાર આઘી ખસેડી જોરથી ઉગામીને ડોક ઉપર મારવા તૈયાર કરી; પણ તેટલામાં કોઈએ તેનો હાથ પકડ્યો હોય એમ લાગ્યું. તેની તલવાર ભોંય ઉપર પડી ગઈ, અને આકાશવાણી થતી હોય એમ ઘૂમટમાંથી નીચે પ્રમાણે શબ્દ સંભળાયો : - ‘‘અરે કરણ રાજા ! તારા દુઃખનો પાર જ નથી. પણ તું આપઘાત કરીશ મા. જે થાય તેને થવા દે. તને કાલે બચવાનો રસ્તો જડશે, માટે ધીરજ રાખ.’’ કરણે એ શબ્દ સ્પષ્ટ સાંભળ્યા. અને તેનો અર્થ પણ તે સમજ્યો. મહાદેવની વાણી થઈ એવી ખાતરી તેને થઈ તેથી સંતોષ પામ્યો, અને આકાશવાણી ખરી પડશે એવો પૂરો ભરોસો રાખીને તેણે તલવાર મ્યાનમાં ઘાલી, મહાદેવને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા પછી પાછો કિલ્લા તરફ ગયો.

બીજે દિવસે શહેરના કેટલાક લોકોએ કોટ ઉપર ચઢીને સલાહનું નિશાન દેખાડ્યું. તે ઉપરથી અલફખાંએ પોતાની તરફથી કેટલાંક માણસોને મોકલ્યાં. તેમની આગળ શહેરના લોકોએ પોતાની સઘળી હકીકત કહી. તેઓની કેવી દુર્દશા થઈ હતી તે સઘળું તેઓને દયા ઊપજે એવી રીતે કહી સંભળાવ્યું. તે આખું શહેર તેઓને સ્વાધીન કરવાને કબૂલ કર્યું, પણ એટલી શરત કે અમારી માલ મિલકતને તમારે છેડવી નહીં. તેઓએ કહ્યું કે અમે મરી રહેલા છીએ; હવે મરતાંને મરવામાં કાંઈ આબરૂ તથા મોટાઈ નથી. વળી કરણ રાજા તથા દેવળદેવી તમારા હાથમાં આવશે એટલું તમારું ધારેલું કામ પાર પડશે; પછી શહેરના બિચારા નિરપરાધી લોકોને મારી નાખવામાં તથા તેની મિલકત લૂંટી લેવામાં તમને શો ફાયદો છે ? માટે એ વાત તમારા સરદારને કહો, અને જો એ પ્રમાણે કરવાને તમે અભયવચન આપો તો અમે શહેર તમને આજે સ્વાધીન કરીએ. મુસલમાનોએ એ સઘળી વાત જઈને અલફખાંને કહી, તેથી તે સરદારને ઘણી દયા આવી અને તેઓની અરજ વાજબી, તથા કબૂલ કરવામાં કાંઈ નુકસાન થાય એવી નથી એમ જાણીને શહેરના લોકોને તે કબૂલત કહી સંભળાવી, અને તે દહાડે રાત્રે શહેરના દરવાજા ઉઘાડા મુકવાનું ઠરાવ્યું. પહેલી રાત્રે શહેરના લોકોએ એક દરવાજો ઉઘાડ્યો, અને મુસલમાન લોકો પાસે જ હતા તેઓ ધસારો કરી માંહે પેઠા. શહેરમાં પેસતાં જ તેઓ કરણ તથા દેવળદેવીને શોધવા લાગ્યા. રસ્તામાં કેટલાક મરદો તથા બૈરીઓ તેઓને જોવાને ઊભેલાં હતાં તેઓમાંથી જ કોઈ દેવળદેવી હશે એમ તેઓને વહેમ જવાથી તેઓ તેમને પકડીને ઘસડવા લાગ્યા અને તેમનું ઘણી રીતે અપમાન કરવા લાગ્યા અને તેમનું ઘણી રીતે અપમાન કરવા લાગ્યા, એ પ્રમાણે તેઓએ ઘણાં બૈરાંને કર્યું. તે તેઓના ધણીથી તથા બીજા માણસોથી ખમાયું નહીં, માટે તેઓએ મુસલમાન સિપાઈઓ સાથે પહેલાં તકરાર કરી; પણ તે તકરારથી કાંઈ જ ફાયદો થયો નહીં, ત્યારે તેઓએ વળગાઝૂમી કરી, અને તેમ કરવામાં આખરે મારામારી ઉપર આવી ગયા. મુસલમાનોને આટલી મુદત સુધી શહેર આગળ પડી રહેવું પડ્યું, તથા તેઓમાંના ઘણાખરા માર્યા ગયા, તેથી તેઓ શહેરના લોકો ઉપર ઘણા ગુસ્સે હતા. તેમાં વળી જ્યારે આ લડાઈ કરવાને પ્રસંગ આવ્યો, ત્યારે તેઓએ આટલા દિવસનું એકઠું થયેલું વેર એકદમ તેઓના ઉપર કાઢવાને નિશ્ચય કર્યો. ત્યાં તલવારો નીકળી; અને કેટલાક જેઓ દુકાળ તથા મરકીના સપાટામાંથી બચ્યા હતા તેઓ આ લડાઈમાં માર્યા ગયા. જ્યારે આ ગરબડાટ શહેરના મુખ્ય બજારમાં થઈ, તે વખતે કેટલાક અટકચાળા તથા લૂંટવાની ઉમેદ રાખનારા મુસલમાનોએ એક દુકાન સળગાવી મૂકી. એ આગ લાગવાથી સઘળા મુસલમાન સિપાઈઓ ઘણા ખુશ થયા. તેઓને એટલું જ જોઈતું હતું. જ્યારે અલફખાંએ શહેરના લોકોની જિંદગી તથા માલ મિલકત બચાવવાને અભયવચન આપ્યું, ત્યારથી તે સિપાઈઓ નાઉમેદ થઈ ગયા હતા. તેઓને લૂંટ મેળવવાની આશા હતી, અને તે પૂરી પડશે એવી આખરી સુધી તેઓને ખાતરી હતી, પણ છેલ્લી વારે તે આશા ભંગ થઈ ગઈ એ જોઈને તેઓ ઘણા ખીજવાયા હતા, પણ જ્યારે આગ લાગી અને તે ભંગ થઈ ગઈ એ જોઈને ઘણા ખીજવાયા હતા, પણ જ્યારે આગ લાગી અને તે હવે પથરાઈને આખા શહેરમાં ફેલાશે ત્યારે લોકોનાં ઘરમાં ભરાવાને તથા તેમાંથી દોલત લઈ લેવાને કાંઈ હરકત નહીં, એ ધારણાથી તેઓએ આગ હોલવવાની કાંઈ મહેનત કરી નહીં. બલકે શહેરના બેત્રણ ભાગમાં થોડાકે જઈને નાનાં નાનાં ઘરો સળગાવી મુક્યાં. રાતનો વખત, પવન નીકળેલો, કોઈ હોલવનાર મળે નહીં, શહેરમાં થોડાં જ માણસો રહી ગયેલાં અને તેઓ એવાં અશક્ત કે તેઓથી કાંઈ કામ બની શકે નહીં, તેથી આગ ઘણા જોરથી ફેલાઈ અને થોડા વખતમાં આખું શહેર અગ્નિની ઝાળમાં લપેટાઈ ગયું. આ વખતે શહેરનો દેખાવ ઘણો ભયંકર થઈ રહ્યો. ઘરો સઘળાં ઘાસની પેઠે ભડભડ બળવા લાગ્યાં. મુસલમાન સિપાઈઓમાં કાંઈ બંદોબસ્ત રહ્યો નહીં, તેઓ સઘળા અલફખાંના હુકમથી ઊલટા ચાલીને બધા શહેરમાં ફળી વળ્યા, અને જે મોટાં મોટાં ઘરો તેઓની નજરે ચડ્યાં તેમાં પેસીને લૂંટફાટના કામમાં પડ્યા.

આગ એ એક મોટી આફત છે, તેમાં વળી બાગલાણ જેવી અવસ્થામાં આવી પડેલા શહેરમાં આગ, એથી તો આડો આંક જાણવો. કેટલાક મરકીના રોગથી પીડાતા તથા ભૂખે અધમરતા થઈ ગયેલા લોકો જેઓ ઊઠી શકતા ન હતા તેઓ ઘરમાં જ બળી મુઆ. તેઓને કાઢનાર કોઈ મળે નહીં. કેટલાક પોતાના જીવ બચાવી શકે તેવા હતા તેઓ પોતાનાં બૈરાં છોકરાંને તથા ધનદોલતને છોડીને નાઠા. બૈરીઓ તથા છોકરાં જેટલા નાસી શક્યાં તેટલાં બચ્યાં; બાકીનાં આગમાં ફૂંકાઈ ગયાં. કેટલાક કીમતી દાગીનાની એક નાની પેટી લઈ બહાર નીકળતા તેઓને રસ્તામાં મુસલમાનો પકડતા, તથા તેઓની પાસે જે હોય તે છીનવી લેતા. જે બિચારા પૈસા વગર ખાલી હાથે મળતા તેઓને પકડીને ખૂબ માર મારતા. અને તેને ઘર તેઓને લઈ જવાનું તથા દોલત બતાવવાનું તેની પાસેથી કબૂલ કરાવતા. જેઓ ઘરમાં પડી રહેતા હતા તેઓને પણ મારફાડ કરી દ્રવ્ય ક્યાં સંતાડ્યું છે તે દેખાડવાની ફરજ પાડતા. જેઓ પૈસા બતાવે નહીં, અથવા જેઓની પાસે પૈસા હોય નહીં. તેઓને વહેમ ઉપરથી એટલો માર મારતા કે તેથી તેઓ જલદીથી મરણ પામતા. એ પ્રમાણે શહેરમાં ગડબડાટ થઈ રહી. જે હિંદુ જાય તેને અટકાવી મુસલમાન સિપાઈ કહેતા કે ‘‘કાફર ! પૈસા દેખાડ.’’ તે વખતે જો તેઓનું મન ન મનાવે તો તલવાર વડે તેના બે કટકા કરી નાખતા. અલફખાંનો હુકમ કોઈ માનતું ન હતું તેથી તે ઘણો ચીઢવાઈ ગયો. તેનાથી લશ્કરમાં બંદોબસ્ત રાખી શકાયો નહીં, એ જ તેના મનને મોટી નામોશી લાગતી હતી. પણ આ વખતે તો તેના મનમાં એક બીજી મોટી ફિકર હતી, દેવળદેવીને હાથમાં લેવાની ઘણી જ આતુરતા હતી. આ સઘળી લડાઈનું કારણ જો છેલ્લી વખતે છટકી જશે તો તે ફરીથી હાથ લાગશે નહીં; લડાઈ સઘળી વ્યર્થ જશે; પાદશાહ ઘણો કોપાયમાન થશે; અને જિંદગી રદ જેવી થઈ જશે. તેના મનમાં મોટી ધાસ્તી હતી કે જો આ વખતે તે જતી રહેશે તો તેને અટકાવનાર કોઈ નથી, માટે લશ્કરને પાછું એકઠું કરી તેને જલદીથી શોધી કાઢવી જોઈએ. એક વાર તે હાથ લાગી એટલે પછી શહેર જેટલું લૂંટવું હોય તેટલું લૂંટે તેમાં કાંઈ આપદા ન હતી. તેણે સિપાઈઓને સમજાવ્યા, ધમકાવ્યા તથા બીજા ઘણા ઉપાયો કર્યા, પણ કોઈ લૂંટમાંથી પાછું આવ્યું નહીં.

હવે જ્યારે કરણ રાજાને આ સઘળી વાતની ખબર પડી ત્યારે તેને ઘણી જ ખુશી થઈ. તેણે જોયું કે જ્યારે અલફખાંના સિપાઈઓ લૂંટવાના કામમાં પડેલા છે ત્યારે નાસી જવાનો સારો લાગ છે. કમળાપૂજા કરી રહ્યા પછી જે આકાશવાણી તેણે સાંભળી હતી તે હમણાં ખરી પડશે એમ તેને લાગ્યું, કેમ કે તેને પકડનાર તથા હરકત કરનાર કોઈ જ ન હતું. તેણે ત્યાંથી નાસવાની તૈયારી કરી. અને પોતે, ભીમદેવ, દેવળદેવી તથા થોડાંક ખાનગી માણસો એટલાં કિલ્લાને પાછળ રસ્તે નીકળ્યાં, અને ઘણા જલદ ઘોડા તૈયાર રાખેલા હતા તે ઉપર સવાર થઈને તેઓ પૂરવેગે દેવગઢ જવાને નીકળી પડ્યાં. રસ્તામાં દુશ્મનોનું એક પણ માણસ તેઓને મળ્યું નહીં તેથી તેઓ નિરાંતે ઝડપથી કૂચ કરી આગળ ચાલ્યાં.

જ્યારે બાગલાણમાં સઘળી દોલત લૂંટાઈ રહી ત્યારે મુસલમાન સિપાઈઓ અલફખાંની રૂબરૂ હાજર થઈ ગયા, અને જે તક્સીર કરી હતી તેને માટે તેઓએ માફી માગી. તે વખતે મધ્યરાત્રિ થઈ હતી, પણ અલફખાં તેઓને લઈને તરત કિલ્લા તરફ ગયો. પણ અંદર જવાનો રસ્તો કાંઈ જડ્યો નહીં. કેટલીક વાર આણીગમ-તેણીગમ ફર્યા પછી તેઓને એક માણસ હાથ લાગ્યો, તે તેને કિલ્લાની પાછળની બાજુએ લઈ ગયો. ત્યાંના દરવાજા ખુલ્લા હતા તેટલા ઉપરથી અલફખાં નિરાશ થઈ ગયો, અને તેણે તરત અનુમાન કર્યું કે પક્ષીઓ પાંજરામાંથી ઊડી ગયાં. તોપણ કદાચ દરવાજો જાણી જોઈને ઉઘાડો મુક્યો હોય કે ખુલ્લો જોઈ બીજાના મનમાં આવે કે તેમાં કોઈ નહીં હોય, અને તેમ જાણી વધારે ખોળ ન કરે, અને તેઓ તેમાં સંતાઈ ગયાં હોય, માટે જ્યારે આટલે સુધી આવ્યા ત્યારે કિલ્લાની માંહે સઘળે ફરીને જોવું, અને તેઓ ત્યાં નથી એ વાતની પક્કી ખાતરી કરવી, એ મતલબથી તેઓ કિલ્લામાં પેઠા, અને મોટી મોટી મશાલો સળગાવી કિલ્લામાં ખૂણેખોતરે સઘળે જોઈ વળ્યા. સવાર થવા આવી પણ કરણ, દેવળદેવી કે કોઈ ત્યાં માલૂમ પડ્યું નહીં તેથી અલફખાંને ઘણી દિલગીરી તથા ગભરાટ થયો. લગભગ હાથમાં આવેલી દેવળદેવી તેણે ખોઈ. તેની સઘળી મહેનત છૂટી પડી. તેણે સિપાઈઓને હજારો ગાળો દીધી. તેઓ લૂંટવામાં પડવાથી તેનું કામ સઘળું બગડી ગયું. હવે કેમ થશે ? તેને ખાતરી થઈ કે દૈવ તેની સામા છે અને કરણની સામા લડવું અને દૈવની સામા લડવું બરોબર છે. તેને હમણાં વહેમ પડવા લાગ્યો કે મારા દહાડા હવે પડતા આવ્યા છે; મારો સૂર્ય અસ્ત પામવા ઉપર આવ્યો છે; માટે મારા કામમાં ધાર્યાથી ઊલટું જ થાય છે. તેના મનમાં હવે નક્કી થયું કે તેઓ ઘણે આઘે નીકળી ગયાં હશે; અને દેવળદેવી એક વાર દેવગઢમાં પહોંચી, અને શંકળદેવને પરણી એટલે તો સઘળું થઈ ચુક્યું; પછી તેમાં કાંઈ ઉપાય ચાલવાનો નથી. તોપણ જ્યાં લગી આશા છે ત્યાં લગી શ્રમ તો કરવો જોઈએ, એમ ધારી તેણે દેવગઢ તરફ જવાનો સિપાઈઓને હુકમ કર્યો. તેઓ ઘણા જલદીથી આગળ ચાલ્યા. જરા પણ આરામ લેવાને ઊભા રહ્યા નહીં. જ્યારે સાંજ પડી, અને થોડું થોડું અંધારું સઘળે પથરાયું, ત્યારે તેઓએ ક્ષિતિજમાં ધૂળ ઊડતી જોઈ તે ઉપરથી તેઓએ અનુમાન કર્યું કે એ જ કરણનાં માણસો હશે. એમ ધારીને તેઓ વધારે ઝડપથી દોડ્યા; અને જેમ જેમ પાસે જતા ગયા તેમ તેમ કરણનાં માણસો સ્પષ્ટ દીસવા લાગ્યાં.

આણીગમ કરણે પણ જોયું કે દુશ્મન તો લગભગ પાસે આવી ચૂક્યા. તેઓ ઘણા થાકી ગયેલા હતા તેથી વધારે ઝડપથી જવાને અશક્તિમાન હતા, પણ તેઓને સંતોષ એટલો જ હતો કે હવે રાત પડવા આવી હતી; આગળ ઝાડી ઘણી ખીચોખીચ હતી, તથા રસ્તા ઘણા વિકટ હતા. વળી ગામડાના લોકો જેઓ આ રસ્તાના ભોમિયા હતા તેઓ મુસલમાન લોકોને ભમાવ્યા વિના રહેશે નહીં, એટલે આપણે દેવગઢ જવાને વખત મળશે. અલફખાંએ મશાલ તૈયાર કરાવી એટલા જોરથી કૂચ કરી કે છેક કરણની પાસે તે આવી પહોંચ્યો. આ જ વખત સમાલવાનો હતો. આ વખતે જો કાંઈ તદબીર કરવામાં નહીં આવે તો દેવળદેવી નિશ્ચય મુસલમાનોના હાથમાં પડશે, માટે ભીમદેવ પોતાના માણસો સાથે દેવળદેવીને લઈને એક બાજુ તરફના રસ્તા નીકળી ગયો, અને અલફખાંને એકલા કરણની પાછળ જવા દીધો. એ પ્રમાણે કરણ તથા દેવળદેવી જુદાં પડ્યાં, એ વાત અલફખાંને માલૂમ ન હતી, માટે તેણે દેવળદેવીની ઉમેદે કરણની પાછળ દોટ મૂકી. રાત અંધારી હતી, ઝાડી ઘણી જ ગાઢી આવી પડી; બંને લશ્કરવાળાઓએ રાત્રે ઘણું જ દુઃખ ભોગવ્યું, પણ કોઈ હઠ્યું નહીં. આખી રાત મુસલમાનોએ ચાલ ચાલ કર્યાં કર્યું, અને જ્યારે સવાર પડી, ત્યારે તેઓ એક મોટા મેદાનમાં આવ્યા એમ તેમને માલૂમ પડ્યું; ત્યાં તજવીજ કરતાં જણાયું કે દેવગઢ ત્યાંથી હવે એક મજલ દૂર રહ્યું હતું. પણ અફસોસની વાત એટલફી જ કે કરણનું કાંઈ ઠામઠેકાણું જડ્યું નહીં; તેની કાંઈ નિશાની નજરે પડી નહીં. હવે તો નક્કી થયું કે કરણ દેવગઢ પહોંચ્યો હશે, અથવા જલદીથી પહોંચશે, માટે પાછળ દોડવાભમાં કાંઈ ફળ નથી, માટે છેક નિરાશ થઈ અલફખાંએ ત્યાં મુકામ કર્યો અને તપાસ કરવાને ચોતરફ માણસો મોકલ્યાં. આખો દહાડો વહી ગયો તોપણ કાંઈ ખબર મળી નહીં. કરણ તો દેવગઢ સહીસલામત આવી પહોંચ્યો. અને ભીમદેવ આડે રસ્તે પડ્યો હતો તે કેટલેક દૂર જઈ એક ગામમાં મુકામ કરી ત્યાં રહ્યો અને તે ઠેકાણે દુશ્મનોનો આવવાનો સંભવો નથી, જાણીને તયાં દહાડો થાક ખાઈ બીજે દિવસે ત્યાંથી નીકળવું એવો ઠરાવ કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED