Karan Ghelo - 10 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 10

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૦


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૦

કરણ રાજા પડ્યો. તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુઃખદાયક સમાચાર સાુભળીને શહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર કરવા લાગ્યા, તથા અધિકારી વર્ગ પોતાના અધિકારની િંચંતામાં પડ્યો. જેઓનાં સગાંવહાલાં તથા મિત્રો રણસંગ્રામમાં માર્યા ગયાં તેઓના દુઃખની તો કાંઈ સીમા ન હતી. કેટલીક ઘરડી ડોશીઓ તથા ડોસાઓ પુત્રરહિત તથા નિરાધાર થઈ બેઠાં; કેટલાંક નાનાં છોકરાં બાપ વિનાનાં થયાથી નિરાશ્રિત થઈ ગયાં; કેટલીક જુવાન સ્ત્રીઓને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ; કેટલીક તરૂણીઓના ધારેલા ભરથાર દેવલોકમાં અપ્સરાઓને વર્યા; અને કેટલાંક સ્ત્રીપુરુષના ભાઈ તથા મિત્રોએ આ જગતનો અનિત્ય સંબંધ તોડી નાખ્યો. શહેરમાં સઘળે રડારડ થઈ રહી; મોટા મોટા મહેલ કે નીચાં ઝૂપડાં સઘળામાં દુઃખ તથા શોકના શબ્દ સંભળાવા લાગ્યા. રાજાના મહેલમાં એક અંદરના ઓરડામાં કરણની સઘળી રાણીઓ એકઠી થઈ. તેઓમાં આકાશમાં જેમ ચંદ્ર સૂરજ પ્રકાશે છે, તેમ રૂપસુંદરી તથા કૌળારાણી પ્રકાશતી હતી. રૂપસુંદરીનું વર્ણન આપણે કરેલું છે. તે આ વખતે પહેલાંના જેવી જ રૂપાળી હતી, પણ તેને આટલા દહાડા સુધી મહેલના ખૂણામાં રાખી મૂકી, તથા તેટલી મુદત સુધી તેને શરીરનું તથા મનનું કાંઈ સુખ મળ્યું નહીં, તેમ જ તેના વર તથા કુટંબ તરફનું જે દુઃખ પડ્યું હતું તે વિસારવાને રાજાની તરફથી કાંઈ કરવામાં આવ્યું ન હતું, એ સઘળાં કારણોથી તેનાં મોં ઉપર ફિક્કાશ આવેલી હતી, તથા તેનો ચહેરો જરા ઝરડાઈ ગયેલો દેખાતો હતો. પણ કૌળારાણી જે રાજાની પટરાણી હતી તેના રૂપનું તો વર્ણન થઈ શકે એવું ન હતું. જે જે ખૂબસૂરત સ્ત્રીઓ ચિત્રકારોએ તથા પ્રતિમાકારોએ કલ્પેલી છે, ઈટાલી દેશના નામાંકિત ચિતારાઓએ તથા મૂર્તિકારકોએ ઈસા પેગંબરની પવિત્ર માતા મરિયમની તસવીર તથા મૂર્તિઓ બનાવેલી છે, જે જે અતિરૂપવંતી સ્ત્રીઓને કવિરાજો પોતાના મનમાંથી ઉત્પન્ન કરીને જગતને દેખાડેલી છે, તે તે જાતનું સૌંદર્ય કૌળારાણીમાં હતું. તફાવત માત્ર એટલો જ કે તેનું રૂપ ક્ષત્રિયની સ્ત્રીને, એટલે રજપૂતાણીને યોગ્ય હતું. આખા ભરતખંડમાં તેના રૂપનો જોટો ન હતો. તેમાં આ વખતે મહાશોકમાં બેઠી હતી તેથી તેની ખૂબસૂરતીમાં ઘટાડો થવાને બદલે તેનું તેજ વધારે પ્રકાશતું હતું. ઈશ્વરની કારીગરી કેવી ચમત્કારિક છે ! તેના શરીરનો ઘાટ એવો સંપૂર્ણ હતો કે કોઈ પણ માણસ, પછી તે જુવાન કે વૃદ્ધ ગમે તે હોય, તોપણ તેને આખા દહાડા સુધી નીરખ્યા જ કરે તોપણ તે ધરાય નહીં, અને તેને ભૂખ કે તરસ કે કાંઈ લાગે નહીં. એવી કૌળારાણી પાસે બે છોકરીઓ ઊભી હતી, અને મરઘીનાં બચ્ચાંને મારવા બાજ ઊંચે ઊડતાં ઊડતાં તલપ મારે છે તે વખતે બચ્ચાં જેમ તેની માની પાંખ નીચે ભરાઈ જાય છે, તથા તેના શરીરને દબાઈને ઊભાં રહે છે, તેમ આ પ્રસંગે તે છોકરીઓ તેની માની સોડમાં દબાઈને ભયભીત થયેલી ઊભી રહેલી હતી. તેઓમાંથી મોટી કનકદેવીની ઉંમર આઠ તથા નાની દેવળદેવીની ઉંમર ચાર વર્ષની હતી; પણ તેઓના શરીરનો ઘાટ તેઓનાં વર્ષ પ્રમાણે જેટલો હોવો જોઈએ તે કરતાં કાંઈક વધારે ખીલેલો હતો. તેઓનું રૂપ તેઓની માના જેવું જ હતું; માત્ર તેઓના મોં ઉપર બાલ્યાવસ્થાનું નિર્દોષપણું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું, તથા તેઓના નિમાળા હજી સોનેરી હતા તથા તે ઉપર કાળાશ હજી ઘણી આવી ન હતી. એટલો જ તફાવત તેઓ તથા તેઓની માના વચ્ચે હતો.

સઘળી રાણીઓ શોકાતુર થઈ બેઠેલી હતી. તથા હવે શું કરવું તે કૌળારાણીને મોંએથી સાંભળવાને રાહ જોતી હતી. રૂપસુંદરીના વિચાર તે વખતે જુદા જ હતા. તેને કરણ રાજા સાથે કાંઈ પ્રીત થયેલી ન હતી, તેથી તેના મોતથી તે બીજી રાણીઓ પેઠે દિલગીર જણાતી ન હતી. ઊલટી તેના વર માધવને પાછો આવેલો સાંભળીને તથા આ જય મળ્યાથી તે પાટણમાં જલદીથી આવશે, અને તેને મુખ્ય કારભાર પાછો મળશે, પછી તે પાછી જશે, અને કેટલુંક પ્રાયશ્ચિત કરાી તે તેને રાખશે, એવી આશાથી તે તેના મનમાં ખુશી થઈ હતી. પણ બીજી રાણીઓની અવસ્થા જુદી જ હતી. તેઓએ કરણ રાજાની પ્રીતિ ચાખી હતી. સ્ત્રીજાતિની આબરૂ વિષે તેઓના વિચારો ઘણા ઊંચા પ્રકારના હતા, તથા રજપૂતાણીઓએ પોતાના ભરથાર મરી ગયા પછી શું કરવું તે વિષેના તેઓના અભિપ્રાય જુદા જ હતા. કૌળારાણી થોડી વાર વિચાર કરી બોલી : ‘‘અરે મારી બહેનો ! આજ આપણા સુખનો સૂર્ય અસ્ત પામ્યો; આજ આપણો ભરથાર, આપણું શિરછત્ર, આપણું પ્રતિપાલન કરનાર, તથા આપણા માથાનો મુગટ રણક્ષેત્રમાં પડ્યો, તથા તેને જીતનાર તુરકડા મ્લેચ્છ લોકો થોડી વારમાં પાટણ શહેરમાં આવી પહોંચશે. આજ આખું ગુજરાત તથા આપણે સઘળાં રંડાયાં. રંડાયાં ! એ શબદ સાંભળતાં સૂર્ય દેવતા, તું તારું મોં શા માટે સંતાડતો નથી ? અને કરણ રાજા પડ્યો એ વાત પ્રસિદ્ધ કરવાને જગતમાં અંધકાર શા માટે વર્તાવતો નથી ? એ શબ્દ સાંભળતાં, અરે ઈંદ્રરાજા ! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી ? અને રૂપ તથા શક્તિમાં તારો બરોબરિયો આજે મૂઓ તેનો શોક શા માટે બતાવતો નથી ? એ શબદ સાંભળીને રે શેષનાગ ! તું ધ્રૂજીને ધરતીકંપ શા માટે કરતો નથી ? તથા તારા ઉપર આવા શૂરા રજપૂતોનાં મડદાંઓનો આવો મોટો ભાર પડ્યો છે તે તને અસહ્ય લાગે છે, એમ શા માટે જણાવતો નથી ? એ શબ્દ સાંભળીને ગુજરાતના પર્વતો ! તથા સઘળી નિર્જીવ વસ્તુઓ ! તમે શા માટે રડતાં નથી ? તથા અમારા દુઃખમાં શા માટે ભાગિયાં થતાં નથી ? અરે ! એ શબ્દ સાંભળીને પશુપક્ષીઓ, જીવજંતુઓ, અને સઘળાં પ્રાણીઓ ! તમે આનંદમાં ફરતાં કેમ દેખાઓ છો ? તમારો સ્વામી રાજા કરણ માર્યો ગયો તે ખબર તમે સાંભળી નથી ? અથવા સાંભળી હોય તો તમારાં અંતઃકરણ એટલાં બધાં જ વજ્ર જેવાં છે ? અરે પથથરોએ પણ આંસુ ઢાળવાં જોઈએ : પણ હું ભૂલું છું. આપણે હવે મિથ્યા શોક શા માટે કરવો જોઈએ ? આપણે રજપૂતાણીઓ છીએ. આપણી નસોમાં ક્ષત્રિયનું લોહી જુસ્સાથી વહે છે, આપણી જાતે શૂરા રજપૂતોને ઉદરમાં રાખ્યા છે, તથા આપણે હિંમતથી ભરપૂર દૂધે બહાદુર લોકોને ધવડાવ્યા છે, તે શું આપણે બેઠાં બેઠાં અહીં રડ્યાં કરીશું ? શું આપણને આપણી પ્રતિષ્ઠા વહાલી નથી ? શું આપણે આપણા પતિવ્રતપણાનું રક્ષણ કરવું નથી ? શું આપણે અહીં બેસી રહી રજપૂતાણીના નામ ઉપર કલંક લગાડવું છે ? શું આપણી અવસ્થામાં આવી પડેલી જે રાણીઓ પૂર્વે થઈ ગયેલી છે તેઓનાં કૃતયો આપણને માલુમ નથી ? માટે હવે આંસુ લૂછી નાખો; હવે હૈયાં કઠણ કરો; આપણા ઉપર આવી પડેલાં દુઃખ વીસરી જાઓ; અને હવે પછી શું કરવું તે ઉપર વિચાર કરો. મુસલમાન લોકો શહેરની લગભગ આવ્યા હશે; તેઓ આપણા પવિત્ર એકાંત ઓરડામાં પ્રવેશ કરશે; તેઓ આપણા ઉપર દુષ્ટ નજર તાકશે; આપણાં અંગ ઉપર જબરદસ્તી કરે એવા દુષ્ટ ચંડાળો તેઓ નહીં હશે, પણ કદાપિ હોય એવો આગળથી વિચાર રાખવો; તેઓના સરદાર આપણું રૂપ જોઈ આપણા પર મોહ પામે; આપણને પરણે; અને આપણા એક ભવમાં બે ભવ થાય; આપણો ધર્મ આપણને ત્યાગ કરવો પડે; તથા એ મ્લેચ્છ લોકોની રીતભાત આપણને પાળવી પડે; એ સઘળું ન થવા દેવાને માટે આપણે શું કરવું જોઈએ તે વિષે સઘળાંઓએ પોતપોતાનો અભિપ્રાય આપવો જોઈએ.’’

બીજી સઘળી રાણીઓ એક અક્ષર બોલી નહીં, તથા કૌળારાણી જે કરે તે પ્રમાણે કરવાનો તેઓએ પોતાનો ઠરાવ જણાવ્યો; તે ઉપરથી તે પટરાણી મોટા આવેશથી, રજપૂતના શૂરાતનથી, તથા ક્ષત્રિયોનું લોહી મોં ઉપર લાવીને ધીમેથી પણ દૃઢતાથી બોલી : ‘‘મરવું, મરવું અને મરવું. એ વિના બીજો કાંઈ ઉપાય નથી. મરવામાં કાંઈ મોટી વાત નથી. એક વાર તો મરવું જ છે, ત્યારે હમણાં મરવામાં શી ચિંતા છે ? જ્યારે આપણી આવી દશા થઈ છે, મૃત્યુમાં શો ભય છે ? જ્યારે હવે પછી કેવી અવસ્થા આપણી હશે એ વિષે આપણને શંકા ઉત્પન્ન થઈ છે, અને દુર્દશા આવશે એવો સંભવ લાગે છે, ત્યારે જીવવા કરતાં મરવું હજાર દરજ્જે સારું છે. આ જગતમાં આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ. જે ટૂંકી મુદત આપણે આ દુનિયામાં વાસો કરીએ છીએ તેટલીો ટૂંકી મુદતમાં આપણે સૌ પોતપોતાનું કામ કરી લઈ આપણો મુકામ ઉઠાવીએ છીએ. અને ગયા પછી શું રહી જાય છે ? કરોડો માણસ જગતમાં આવ્યાં અને ગયાં; તેઓની નામનિશાની કાંઈ રહેલી છે ? તેઓ પૃથ્વી ઉપર થઈ ગયાં તેનાં ચિહ્નો નજરે પડે છે ? સઘળાંનાં નહીં. ઘણાંખરાં તો કાળની મોટી રેલમાં ઘસડાઈ ગયાં, અને તેઓ હતાં જ નહીં એમ લાગે છે; પણ થોડાંક તો દરિયામાંના ખડકની પેઠે મજબૂત ઊભાં છે, અને તેઓ ઉપરથી કાળ રૂપી રેલ જોરથી ચાલી ગઈ તોપણ તેઓના પાયા હજી રહેલા છે; અને અનંત કાળ પર્યંત તેઓ અચળ રહેશે. એ પાયા રહી ગયા તે શું ? તેઓનાં નામ; તેઓની આબરૂ. સારું નામ એક અમુલ્ય વસ્તુ છે; તેની કિમ્મત આખા જગતના સોના, રૂપા, હીરા, મોતી, વગેરે ઝવેરાત કરતાં ઘણી જ વધારે છે. જેની ાસે સારું નામ છે તેના જેટલો શ્રીમંત બીજો કોઈ નથી. બીજી સઘળી દોલત નાશવંત છે, પણ સારું નામ અમર છે. બીજી દોલત તો ખૂટી જાય છે, અને તે દોલત મેળવનારનું નામ એક બે પેઢી પછી નાશ પાસે છે; પણ સારું નામ ધ્રુવના તારાની પેઠે અચળ રહે છે. દુનિયામાં લોકો પોતાના વંશ વડે જ આ લોકમાં અમર રહેવાની આશા રાખે છે, એ પ્રમાણે તો એક અથવા ઘણું તો બે પેઢી સુધી તે ઓળખાય છે, પણ પછી તેનું મીડું વળ્યું. તે હતો અને નહીં હતો એ સરખું જ થાય છે; પણ સારું નામ એ તો જગતને એક મોટો વારસો આપી જવા જેવું છે. સારા નામવાળાનું સ્મરણ કાયમ રાખવાને વંશની જરૂર નથી; તે તો અંધકારમાં સૂર્યના એક કિરણની પેઠે પ્રકાશ્યા કરશે. સારું નામ અથવા આબરૂ એ એક મોટી વસ્તુ છે. સઘળાને તે પારસમણી મેળવવાની આતુરતા હોય છે; પણ સઘળાના પ્રયત્ન સફળ થતા નથી. જેઓએ પોતાના અંગની, અથવા નીતિની શક્તિ વડે જગતમાં મોટા તથા અગત્યના ફેરફાર કર્યા છે તેઓનાં નામ અમર રહી ગયાં છે. વળી જેઓએ અસાધારણ કામો કર્યા છે, એટલે જેઓએ સત્યને વાસ્તે અથવા આબરૂને વાસ્તે પોતાનો દેહ અર્પણ કર્યો છે, તેઓનાં નામ તેઓના દેશના અને વખતે આખી દુનિયાના ઈતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાયેલાં છે. જગતમાં નામ મેળવવા ખાતર મરવું કોણ કબૂલ નહીં કરે ? જે માણસ થોડા દહાડા વધારે દુનિયાની જંજાળ તથા ફિકર ખમવા સારુ પોતાનું સારં નામ જવા દે છે, પોતાની આબરૂ ખોવાનું કબુલ કરે છે, તે ખરેખરો અધમ જાણવો; તેનાં કોઈ પણ વખાણ કરતું નથી; અને જ્યારે તે મરે છે તયારે જેમ વાડીમાંથી નકામા છોડવા નીંદાઈ જાય છે, અને તે છૂંદાઈ જાય છે; જેમ કીડો ભોંય ઉપર ઘસડાતો ઘસડાતો ચાલતાં પગ તળે કચરાઈ જાય છે, તેને કોઈ ગણનું નથી; જેમ એક પશુ જંગલમાં મરી મરી જઈ સડ્યા કરે છે; તેમ તે હતો જ નહીં એવો થઈ જાય છે; અને દરિયાના કિનારા ઉપરની રેતીમાંનો એક દાણો ઊડી જવાથી કાંઈ ખોટ જણાતી નથી, તેમ જગતમાં માણસની કુલ સંખ્યામાંથી તે ઘટેલો કોઈને લાગતો નથી. તેને કોઈ આબરૂ આપતું નથી; તેને વાસ્તે કોઈ રડતું નથી; અને તેની કીર્તિ વધારવાને કવિ તેની કવિતા બનાવતા નથી. સઘળાં માણસો આ પૃથ્વી ઉપરની ટૂંકી મુસાફરીથી તૃપ્ત થતાં નથી. તેઓને ઘણાં વર્ષ પર્યંત આ દુનિયામાં જીવવાની ઈચ્છા હોય છે, અને જ્યારે તેઓ એટલી મુદત સુધી જગતમાં ટકી શકતાં નથી; ત્યારે થોડાં વર્ષ પૃથ્વી ઉપર ને બકી રહેલાં વર્ષો માણસોના સ્મરણસ્થાનમાં જીવવાનો પ્રયત્ન કરે છે. માણસની નજર હમેશાં ભવિષ્ય ઉપર દોડે છે, અને ગમે તેવો હલકો માણસ હોય તોપણ પોતાનું નામ અમર રહે એવી તેનામાં સ્વાભાવિક ઈચ્છા હોય છે. એ સઘળાં કારણોથી આપણે સઘળાંઓએ મરવું જોઈએ, અને તેમ કરવાથી આપણાં નામ શુરી સ્ત્રીઓ જેઓએ સ્વાત્માર્પણ કરી પોતાની પ્રતિષ્ઠા વધારી છે તેઓની ટીપમાં ઉમેરાશે; માટે આ મહેલમાં આગ લગાડી મૂકવી, અને આપણે સઘળાંઓએ એમાં રહી બળી મરવું.’’

મરવાની ભયંકર રીતથી કોઈપણ રાણીનું મન ત્રાસ પામેલું દેખાયું નહીં. સઘળાંએ પોતાની તે પ્રમાણે કરવાની ખુશી દેખાડી. તે ઉરથી સઘળી રાણીઓએ પોતાના દેહ અર્પણ કરવાની તૈયારી કરી. કૌળાદેવીએ પહેલો વિચાર પોતાની કુમળી વયની બે દીકરીઓને વાસ્તે કર્યો. એ બિચારી નાની ઉંમરમાં દુનિયાનું કાંઈ પણ સુખ ભોગવ્યા વિના આવી રીતે મૃત્યુ પામે એ વાત તેમની માની નજરમાં યોગ્ય લાગી નહીં. વળી તેઓના જીવવાથી તેઓની પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચે એમ ન હતું, એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના એક ખાસ ચાકરને બોલાવી તેને તે છોકરીઓ સોંપી અને તેઓને પોતાના બાપ પાસે લઈ જવાને કહ્યું. આટલી વાર સુધી તેનામાં હિમ્મત રહેલી હતી. તેને પોતાના મરવા તરફનું કાંઈ પણ દુફખ ન હતું; પણ પોતાની પ્રાણ સમાન વહાલી છોકરીઓનો વિયોગ થવાનો સમય આવ્યો, ત્યારે તેનું હૈયું ફાટી જવા જેવું થયું, અને તેની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી, તેની છાતી ભરાઈ આવી, અને તે કેટલીક વાર સુધી પોકેપોક મૂકીને રડી. આ બહાદુર રજપૂતાણી નાની છોકરીની પેઠે રુદન કરવા લાગી, તથા શોકવૃત્તિને વશ થઈ ગઈ તે ઉપરથી કોઈએ તેની નિંદા કરવી નહીં, અથવા તેની હિંમત વિષે પણ હલકો વિચાર આણવો નહીં, સઘળું જગત પ્રીતિના પાશથી બંધાયેલું છે. તેમાં માની છોકરાં ઉપરની પ્રીતિથી તો આડો આંક છે. ક્ષુદ્ર જીવથી તે શ્રેષ્ઠ માણસ સુધી પ્રાણીમાત્રમાં જગકર્તા ઈશ્વરે માના અંતઃકરણમાં છોકરાં ઉપર ઘણું જ હેત મૂકેલું છે. જે સ્ત્રીઓ ઘણી નિર્દય હોય છે, જેઓનાં મન ઉપર પારકાનું દુઃખ જોવાથી કાંઈ પણ અસર થતી નથી, એવી વજ્રહૈયાની સ્ત્રીઓ પણ પોતાનાં છોકરાં ઉપર ઘણી જ નરમાશ રાખે છે; તેઓનું દુઃખ જોઈ તેઓ ઘણી પીડાય છે, તથા તેઓનું રક્ષણ કરવાને પોતાના પ્રાણને જોખમાં નાખે છે, તે પ્રમાણે કૌળારાણી જો કે પોતે જાતે મૃતયુથી જરા પણ ડરતી ન હતી, તોપણ પોતાની નાની છોકરીઓની નિરાશ્ચિત અવસ્થા, તેઓથી જુદાં પડવાનું કષ્ટ, તથા તેઓની નિર્ભયતાને વાસ્તે દહેશત, એ સઘળી હકીકત ઉપરથી તેની આંખમાંથી આંસુની ધરા વહેવા લાગી, એમાં શું આશ્ચર્ય ? એ આંસુથી સિદ્ધ થયું કે તેનું અંતઃકરણ ઘણું કોમળ હતું, તથા તે આંસુઓથી તેના સ્ત્રીજાતીય સ્વભાવને શોભા તથા પ્રતિષ્ઠા મળી. છોકરીઓને વિદાય કરતી વખતે તે બોલી : ‘‘અરે મારી પરમપ્રિય દીકરીઓ ! અરે મારી આંખની કીકીઓ, તથા હૈયાના હાર, તમને મેં મારા ઉદરમાં નવ માસ સુધી ઘણી પીડા ભોગવી રાખી, તમને ઘણા દેહકષ્ટની સાથે ઉછેરી. તમને એક ઘડી પણ મારાથી વેગળી કરી નથી. તમારું સુંદર વદન નિહાળતાં મને અતિ આનંદ ઊપજતો. તમારું કાલું કાલું બોલવું સાંભળીને મારો આત્મા ખુશીથી ભરપૂર થતો. તમારા સુખથી હું, અને તમારા દુઃખથી હું દુઃખી થતી. મારા વિના તમારી કોણ સંભાળ રાખશે ? બીજું કોણ તમને લાડ લડાવશે ? બીજું કોણ તમને તમારી માગેલી વસ્તુ તરત પૂરી પાડશે ? અને તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી નીકળીને યુવાવસ્થામાં આવશો ત્યારે તમારી તપાસ કોણ રાખશે ? તમને સીધો રસ્તો કોણ બતાવશે ? તથા જુવાનીની અગણિત લાલચોમાં પડતાં અટકાવવાને તમને સારી સલાહ કોણ આપશે ? પણ હવે બસ થયું. છોકરીઓની તરફથી ઘણી ફિકર કરવામાં મારો આગલો વિચાર અમલમાં આવતાં અટકશે, માટે હવે જાઓ. તેત્રીસ કરોડ દેવતાઓ તમારું રક્ષણ કરો; જગદંબા તથા તેની જોગણીઓ તમારી આસનાવાસના કરો; તથા તમારા ઉપર માના જેટલી પ્રીતિ રાખી તમને સારી પ્રેરણા કરી તમારા કુળની પ્રતિષ્ઠા જાળવો એ મારી પ્રાર્થના છે.’’ તેનાથી વધારે બોલાયું નહીં. છોકરીઓ તેને ચૂડ ભેરવીને ઊભી રહી, પણ તેઓને જોર કરી તરછોડી નાખી, અને ચારને તેઓને જલદીથી લઈ જવાનો હુકમ કરી કૌળારાણી ત્યાંથી આંખ મીંચતી તથા કાન બંધ કરી ચાલી ગઈ. સઘળી રાણીઓએ પોતપોતાના કામકાજનો બંદોબસ્ત કરી લીધો. પછી મહેલના ખજે ભાગમાં જલદીથી બળે એવા પદાર્થો હતા ત્યાં એક મોટો કાકડો સળગાવી મૂક્યો. રાજમહેલ સળગવા લાગ્યો; લાકડાં કડકડાટ કરી પડવા લાગ્યાં; બળતાંએ છાપરાના એક ભાગને પકડ્યો; નળિયાં ઉપરથી નીચે પડવા લાગ્યાં; ધુમાડાના ગોટેગોટ ચાલ્યા; અને તાપના ભડકા ઓરડામાં ઉન્મત્તાઈથી રમત રમવા લાગ્યા. બહાર લોકોનું મોટું ટોળું મળ્યું. તેઓ પાણીના ઘડા, કુહાડા તથા આગ હોલવવાનો તથા ઘર તોડી પાડવાનો સામન લઈને આવ્યા; પણ આગનું જોર વધી ગયું, અને જે મહેલ પાટણ શહેર વસાવતી વખતે વનરાજે બાંધેલો, જે મહેલમાં મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ, ઈત્યાદિ રાજાઓ જન્મ્યા, તથા મૂઆ, જે મહેલમાં જયના આનંદકારક શબ્દ ઘણી વાર સંભળાયેલા અને જેમાં પરાજયને લીધે વિલાપ તથા શોક ઘણી વાર થયેલો, જે મહેલે રાજ્યના નાના પ્રકારના ફેરફાર જોયેલા, અને જેણે આશરે સાડી પાંચસો વર્ષ, વાયુ, વૃષ્ટિ તથા કાળચક્રના અનેક સપાટા ખમેલા, તે મહેલ આજે અગ્નિદેવને ભેટ્યો; અને જેમ દેહ રૂપી ઘરનો ધણી બહાર નીકળી ગયા પછી તેને અગ્નિદાહ કરવામાં આવે છે, તેમ તે રાજમહેલનો ધણી રાજા કરણ તેનો ત્યાગ કરી ચાલ્યો ગયો ત્યારે તેણે પણ અગ્નિમાં પ્રવેશ કર્યો. પણ રાણીઓએ સારું નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કર્યો તે નિષ્ફળ જવાનો હતો; પૃથ્વી ઉપરના તેઓના પ્રવાસની મુદત હજી પૂરી થયેલી ન હતી; તેઓનુું કામ હજી બાકી રહેલું હતું; હજી તેઓને સુખદુઃખનો સ્વાદ વધારે ચાખવાનો હતો; તેથી એવું બન્યું કે જે વખતે આગનું જોર ભરપૂર ચાલી રહ્યું હતું, તથા રાણીઓને પોતાની ધારેલી મતલબ જલદીથી પાર પડશે એવી આશા હતી, તે વખતે મુસલમાન લોકોનું લશ્કર શહેરમાં આવી પહોંચ્યું, અને તે સઘળું બળતા મહેલ આગળ આવી ઊભું રહ્યું.

ગુજરાત જીતવાની એક મતલબ ત્યાંનું અગણિત દ્રવ્ય હરણ કરવાની હતી, તેથી જો મહેલ બળી જશે તો તે માંહેના સઘળા ખજાનાનો નાશ થશે એ બીકથી અલફખાંએ આગ તરત હોલવી નાંખવાનો પોતાના સિપાઈઓને હુકમ કર્યો. તે વખતે હજારો માણસો મહેલ ઉપર તૂટી પડ્યા, અને આગની ગડબડાટમાં લૂંટવાનો સારો વખત મળશે એવી .મેદથી ઘણા જોરથી કામે વળગી ગયા. જોતજોતાંમાં તેઓએ મહેલનો બળતો ભાગ તોડી નાખ્યો, અને પાણીનાં વાસણ પાસેનાં ઘરોમાંથી લાવી આગ હોલવવા લાગ્યા. થોડી વારમાં અંદર જવાનો રસ્તો થયો, અને થોડા બહાદુર મોતને ન ગણનારા સિપાઈઓએ મહેલમાં પેી રાણીઓને તથા બીજાં કેટલાક માણસોને ખેંચી બહાર કાઢ્યાં, અને પડેલી-આખડેલી વસ્તુઓ જે હાથમાં આવી તે લઈ આગળ ચાલ્યા. આ વખતે કૌળારાણી છેક નિરાશ થઈ ગઈ, તથા શત્રુના હાથમાં પડવાની ફિકરમાં પડી. પણ તેણે હિંમત મૂકી નહીં. તે એક ઓરડામાં ભરાઈ, અને તેને માંહેથી બંધ કર્યો. પછી જલદીથી તેણે સ્ત્રીનો વેશ કાઢી નાખીને પુરુષનાં વસ્ત્ર પહેર્યા, પોતાની ખુબસૂરતી ઢાંકવાને વાસ્તે મોં ઉપર રંગ લગાડ્યો, અને તેનું રૂપ બદલી નાખીને ઢાલ-તરવાર બાંધીને ઓરડાની બારીએ ઊભી રહી. તયાં આવીને ‘‘બળું છું રે બળું છું’’ એવી બૂમ પાડી. તે ઉપરથી નીચેના સિપાઈઓએ દયા લાવીને એક સીડી મૂકી, તે ઉપરથી તે નીચે આવી. તે કોઈ રાજાનો ખવાસ હશે એમ જાણી તેના ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં, અને તે વખતે સઘળાઓનું મન મહેલ લૂંટવા તરફ હતું. તેથી તેઓએ બીજી કશી વાત ઉપર લક્ષ આપયું નહીં. થોડીવાર આણીગમ-તેણીગમ ફરીને તે ત્યાંથી જતી રહી, અને એક તેના ઓળખીતા રજપૂત પાસે જઈ તેનો ઘોડો માગી લીધો. તે ઘોડો ઘણો તેજસ્વી તથા જલદ હતો. તે ઉપર સવાર થઈ, તથા રસ્તામાં કોઈ ઉપદ્રવ ન કરે માટે રજપૂતનો વેશ બદલી મુસલમાનનો વેશ ધારણ કરી શહેરના દરવાજા બહાર તે સહેલથી ચાલી ગઈ.

રાજમહેલ જલદીથી છંટાઈ ગયો. બીજી રાણીઓ જીવતી નીકળી. સઘળો ખજાનો સહીસલામત હાથ લાગ્યો. અને શહેરમાં સઘળી વાતે બંદોબસ્ત કરી અલફખાંએ અલાઉદ્દીન પાદશાહની તરફથી ગુજરાતનું રાજ્ય કરવા માંડ્યું. રૂપસુંદરી માધવને જઈને મળી. ઘણા દહાડાના વિયોગ પછી તે ધણીધણિયાણી પાછાં મળ્યાં તેઓ ભેટ્યાં, રહ્યાં, તથા હૃષનાં બીજાં સઘળાં ચિહ્નો તેઓએ દેખાડ્યાં. વરવહુનો સંબંધ એવી રીતનો છે, અને જ્યારે તેઓની વચ્ચે નાનપણથી પ્રીતની મજબૂત ગાંઠ બંધાયેલી હોય છે ત્યરે તે છૂટવી ઘણી મુશ્કેલ થઈ પડે છે. મૃત્યુની તલવારથી જ્યારે તે કપાઈ જાય છે ત્યારે બેમાંથી જે જીવતું રહે છે, તેના અંતઃકરણની દોરી કોઈ વાર જોરથી તૂટી જાય છે, અને તે વખતે જે ભારે કષ્ટ થાય છે તેનો વિચાર જેને દુઃખ વીત્યું હોય તે જ કરી શકે. માધવની બાબતમાં તે ગાંઠ તૂટેલી ન હતી, પણ તુટ્યા બરોબર હતી. રૂપસંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક ન હતો, તે માઘવને સારી પેઠે માલૂમ હતું. બંનેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઊતરી ગયું ન હતું, પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેનું તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી જલદીથી તથા સહેલાઈથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા ન હતી. જ્યારે રૂપસુંદરી આગળના જેટલા જ હેતથી તેને ભેટી ત્યારે તેના હર્ષનો કાંઠો રહ્યો નહીં, રૂપસુંદરીના પ્યારમાં પણ કાંઈ ફેરફાર થયેલો ન હતો. જેટલી હોંશથી રાજા કરણે તેને પોતાના મહેલમાં બળાત્કારે પકડી મંગાવી તથા જેટલો પ્યાર તેને જોવાથી રાજાના મનમાં આવયો હતો, તે હોંશ તથા પ્યાર જો પાછળ પણ કાયમ રહ્યાં હોત, તો તે માધવ પર આટલી પ્રીતિ રાખત કે નહીં એનો જવાબ આપવો કઠણ છે. પણ જ્યારે તેના અંતઃકરણમાંની પ્રીતિનું નિર્મળ જરણ પોતાનો માર્ગ બદલીને બીજી દિશાએ વહ્યું ન હતું, તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાને કોઈ બીજાએ દાવો કર્યો ન હતો; ત્યારે ઝરણે માધવની તરફ જ અસલ માફક વહ્યાં કર્યું, અને તેનું હેત માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહીં, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કરી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મનમાની દક્ષિણા આપી, અને લાડુનું ભોજન કરાવી સઘળા બ્રહ્મદેવોને સંતાષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહીં તેથી માધવ થતા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીનો સંબંધ જારી કર્યો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્દ્ધમાનનગર (વઢવાણ)માં એક વાવ બંધાવી, તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જિતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા. એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેનો પાદશાહ પ્રસન્ન થશે નહીં એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બહાના દાખલ કેટલોક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલૂમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો. કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસૂરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશિયારીમાં તે અનુપમ હતી; તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાંએ ઠરાવ કર્યો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી; જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ, અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સૂઝયું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, તે ક્યે રસ્તે અને ક્યાં ગઈ, તેનાં કાંઈ પણ સમાચાર તેને મળ્યા નહીં. પણ તેટલા ઉપરથી અલફખાં હિંમત હાર્યો નહીં પણ તે જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવાને તેણે ચોતરફ સવારો મોકલ્યો.

જ્યારે અલફખાં કૌળારાણીની રાહ જોતો હતો તે વખતે તે એકલી ઘોડા ઉપર બેસીને પોતાના બાપના દેશ ઝાલાવાડ તરફના રસ્તા ઉપર ઘણી ઉતાવળથી મુસાફરી કરતી હતી. રૂપ હોવાથી જે દહેશત સ્ત્રી-જાતકને હોય છે તે કૌળારાણી ઉપર આવી પડી. તે મહા ફિકરમાં પડી, ઘોડો દોડાવતી દોડાવતી આગળ જતી હતી, પણ તેનું ખરું રૂપ જણાઈ આવશે એવી તેને ક્ષણે ક્ષણે ધાસ્તી પડતી. વેશ બદલ્યો હતો તે છતાં પણ તેને કોઈની સામું જોવાની હિંમત હતી નહીં. તે ધોરી રસ્તો મૂકી આડેઅવળે ઠેકાણેથી જંગલ, પહાડ, તથા વિકટ રસ્તે જતી હતી; તે કોઈ પણ ગામમાં વાસો કરતી ન હતી; પણ કોઈ જંગલમાં એકાંત સ્થળ જોઈ ત્યાં રસોઈપાણી કરી બપોર ગાળતી, તથા તેવે જ ઠેકાણે રાત્રે વાસો કરતી. જે બાગબગીચામાં રહેતી, જેની આગળ રોજ ફુવારા ઊડી રહેતા, જેને ઠંડક કરવાને ખવાસો રોજ પંખા નાખ્યા કરતા, જેને શરીરે ચંદન અરગજાનો લેપ થતો, તેને હમણાં ફાગણ મહિનાના બપોરનો સખત તડકો ખમવો પડ્યો; જે હમેશાં સુખપાલમાં બેસીને ફરતી તેને ઘોડાની સખત સવારી કરવી પડી. જે સવા મણ રૂની તળાઈમાં સૂતી, તથા જેને નિદ્રા લાવવાને હજારો ઉપાય કરવા પડતા તેને હમતાં ભોંય ઉપર સુકાં પાતરાં ઉપર, અથવા વખતે ઝાડ ઉપર સૂવું પડ્યું, અને ત્યાં તેને રાજપલંગ કરતાં મીઠી ઊંઘ આવતી. જે રોજ પકવાન અને બીજાં મિષ્ટ ભોજન આરોગતી તે હમણાં વનફળ અવા કાંઈ હલકું-પાતળું ખાઈને દેહને આધાર આપણી. જેને જરા પણ કામ કરવું પડતું ન હતું, જેનો હુકમ બજાવવાને સેંકડો ખિદમતગારો રજૂ રહેતા તેને હાથે રાંધવું પડતું, તથા બીજું સઘળું કામકાજ કરવાને પોતાની જાત સિવાય બીજું કોઈ ત્યાં ન હતું. કેટલાક દહાડા સુધી એ પ્રમાણે મુસાફરી કરતાં કરતાં એક મોટા અરણ્યમાં તે જઈ પહોંચી. તે જંગલ ઘણું ઘોર તથા બિહામણું હતું. તેમાં ઝાડ તો એટલાં હતાં કે ખરે બપોરે ત્યાં તડકો આવી શકતો નહીં, તથા ઝાડોની ઘટાથી ત્યાં સદા અંધકાર રહેતો, આગળપાછળ નાનામોટા ડુંગરો હતા, તથા તેમાંથી નિર્મળ નદીઓ વહેતી હતી. પવનથી ઝડનાં પાતરાં હાલતાં તેથી ત્યાં નિરંતર શબ્દ થયા જ કરતો; તેની સાથે જ્યારે રાત પડતી ત્યારે શિયાળવાં મોટે અવાજે રડતાં, વાઘ બરાડા પાડતા, તથા બીજાં જંગલી પશુઓ જુદા જુદા અવાજ કરી રાતને ભયંકર કરી નાખતાં. એવા જંગલમાં કૌળારાણી ભયભીત થઈ ભટકતી અને દહેશતને લીધે તેનું શરીર વખતે વખતે થરથર ધ્રૂજતું. તેને રાની પશુઓથી એકલો ડર હતો એમ ન હતું. તે ઓળખાઈ આવે, અને તેને પકડીને પાછા પાટણ લઈ જઈ મ્લેચ્છ લોકોના સરદારને કોઈ સ્વાધીન કરે તે પણ દહેશત તેને હતી; વળી તેને ચોરની તરફથી પણ ઘણી ધાસ્તી હતી. એક તો તેના અંગ ઉપર ઘણાં કીમતી ઘરેાં છુપાવીને રાખેલાં હતાં તે લઈ જવાની લાલચથી ચોર લોકો તેનો કદાપિ જીવ લે; અને બીજું તે સ્ત્રીફ હતી, અને પુરુષનો વેશ માત્ર લીધેલો હતો, તે વેશ નીકળી ગયા પછી તેની ખરી જાત ઉઘાડી પડી આવે તથા દુષ્ટ લોકો તેને ઉપદ્રવ કરે, તથા તેની પવિત્ર કાયાને ભ્રષ્ટ કરે એ પણ તેને ઘણી ફિકર હતી. એ પ્રમાણે તેને ચોતરફથી ચિંતા વળગેલી હતી. તોપણ તેણે હિંમત તથા ધૈર્ય રાખી આગળ ચાલ્યા જ કર્યું; તથા રસ્તામાં આવતાં કોઈ પણ ગામમાં અટકી નહીં. સારા ભાગ્યે તેણે મુસલમાનનો વેશ ધારણ કરેલો હતો. તે વખતે તે લોકોનો એટલો બધો ત્રાસ પડી ગયેલો હતો કે રસ્તામાં કોઈએ તેનું નામ પૂછ્યું નહીં. એથી ઊલટું તે જ્યાં જ્યાં ગઈ તયાં ત્યાં તેને માનપ્રતિષ્ઠા મળતાં ગયાં; તથા તેને જે જોઈતું તે સઘળું તેના ડરથી લોકો તરત આણી આપતા. પણ એ પ્રમાણેનું નિરાંતપણું વધુ દહાડા સુધી કાયમ રહ્યું નહીં; જ્યારે તે જંગલ વટાવવાની તૈયારીમાં હતી, અને જ્યારે તેની સઘળી દહેશત થતા ફિકરચિંતા મટવા ઉપર આવી હતી. તે વખતે એક દહાડો જળવજળ દહાડો રહ્યો હતો તેવામાં તેની સામે દશ માણસનું ટોળું આવી ઊભું રહ્યું, અને ‘‘લૂગડાં ઉતાર’’ એવી રીતે તેને મોટે સાદે કહ્યું. કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અંતઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિંમત પકડીને તે ઘણી ધરપતથી બોલી : ‘‘હું મુસલમાન સવાર છું. અમરા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો. તથા કતલ કર્યો છે; અમે આખું ગુજરાત તાબે કર્યું છે : અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ; અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કર્યાના સમાચાર દિલ્હીના પાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉ છું. માટે જો તમે મને અહીં રોકશો, મને લૂંટશો, બીજી રીતે .પદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છેડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે, તમારાં ઘરબાર બાળી મૂકશે : તમારાં બૈરી-છોકરાંને કાપી નાખશે; અને તમને પણ રિબાવી-રિબાવીને મારી નાખશે. માટે દુર રહો, અને મને તાકીદથી જવા દો. મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જિંદગી પ્યારી હોય તો મને છેડશો માં.’’ આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહીં. કૌળારાણીના આ ધરપતના શબ્દ પવનમાં ઊડી ગયા, અને તેથી દહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, ‘‘અમારા મનને હિંદુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણિયો, એ સઘળા સરખા છે. અમે કાંઈ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે ઓળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદ્દીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિંતા છે; અને તે અમને મારી નાખશે તેની અમને કાંઈ ફિકર નથી. અમે મોતની પડોશમાં રહીએ છીએ; અમે તો મોતની સાથે હળી ગયેલા છીએ; મોત તો અમારો સોબતી છે; તેથી અમે તેનાથી જરા પણ ડરતા નથી. તારા પાદશાહથી અને બીજા કોઈથી મોત કરતાં બીજું વધારે થઈ શકવાનું છે. માટે ઉતાર લૂગડાં, નહીં તો બળાત્કારે લઈ લઈશું.’’ હજી કૌળારાણીએ લૂગડાં ઉતારવાની આનાકાની કરી તેથી તે ચોરને ગુસ્સો ચઢ્યો અને તેઓએ પાસે આવીને તેને ઘોડા ઉપરથી પાડી નાખી, અને તેનાં લૂગડાં કાઢવા માંડ્યાં. ઉપરનું વસ્ત્ર ખેસડતાં મોતી તથા હીરાના હાર જોઈને ચોરોને ઘણું આશ્ચર્ય પણ તેવામાં જયારે સ્ત્રી લક્ષણ તે ભીલ લોકોએ જોયાં ત્યારે તેઓ એવા તો વિસ્મિત થયા કે ત્યાં હવે શું કરવું તેનો વિચાર કરતા ઊભા રહ્યા. કૌળારાણી બેશુદ્ધ થવા જેવી થઈ ગઈ, અને અકળામણમાં તે બોલી ઊઠી : ‘‘શિવ શિવ શિવ ! રે ભગવાન ! આ શી અવસ્થામાં આવી પડી છું ! હું કોણ અને ભીલ લોકો કોણ ! કોઈ વખત ઉપર તેઓ મારી સામું પણ જોઈ શકતા ન હતા, અને આજે તેઓ મારું અપમાન કરે છે. અરે મારા ભરથાર ! અને કરણ રાજા ! તું શા માટે જ્યાં હોય ત્યાંથી આવીને તારી પરમ પ્રિય સ્ત્રીનું રક્ષણ કરતો નથી ? અરે યમરાજો મારો ધણી તારી હદમાં હોય તો તેને ત્યાંથી જલદીથી મોકલી દે કે તેની પટરાણીને આ વખતે તેની તલવારના જોરથી આ દુષ્ટ ચોરોના હાથથી મુકાવે.’’ કૌળારાણીના આ શબ્દ સાંભળીન ભીલ લોકો ત્રાસ પામ્યા, અને તેઓના મનભમાં ખાતરી થઈ કે કરણ રાજાની રાણી હશે, તેના દરજ્જા ઉપરથી તથા તેના શરીર ઉપર જે ઘણાં મુલ્યવાન ઘરેણાં હતાં તે ઉપરથી, જો તેઓના નાયકને ખબર કર્યા વિના તેને લૂંટી લે, અને સઘળો માલ પોતે રાખે તો નાયક ઘણો કોપાયમાન થાય, અને કાયદો તોડવાની તેઓને ભારે શિક્ષા થાય, એ વિચારથી તેઓએ તેને નાયક પાસે લઈ જવાનો ઠરાવ કર્યો. પણ તેઓમાંથી એક જે બીજા કરાતાં વધારે લોભી હતો તેને એ વાત ગમી નહીં. નાયક પાસે લઈ જઈશું તો તે સઘળું લઈ લેશે, અને તેઓને તેમાંથી ઘણું થોડું મળશે એ વિચારથી તેણે તેના સોબતીઓને કહ્યું : ‘‘શું જોયા કરો છો ? તેનું માથું કાપી નાખો; સઘળા લૂગડાં-ઘરેણાં ઉતારી લો; અને તેના મડદાને કોઈ ઠેકાણે ફેંકી દો. નાયક પાસે લઈ જવામાં આપણને શો ફાયદો છે ?’’ બીજા ભીલ લોકોનો અભિપ્રાય તેના જેવો ન હતો. એક સ્ત્રી અને તે વળી આવી મોટી રાણી, તેને નકામી મારી નાખતાં તેઓનું દિલ ચાલ્યું નહીં. વળી ઘરેણાં એટલાં બધાં કીંમતી હતાં કે વેચવા જવાથી પકડાઈ જવાય, અથવા એ વાત છાની રહે નહીં એવી તેઓની ખાતરી કરી હતી, માટે તેઓએ તેઓના સોબતીની વાત કાને ધરી નહીં. તેઓ કૌળારાણીને માનપૂર્વક ઊંચકી ઘોડા ઉપર બેસાડી પાસેના ગામમાં તેઓના નાયકના ઘરમાં લઈ ગયા.

નાયક એક ઝૂંપડામાં એક ખાટલા ઉપર બેઠેલો હતો. તેની ઉંમર ત્રીસ અને ચાળીશની વચ્ચે હતી, પણ તેનો ધંધો ભટકવાનો, તથા જોર વધારે એવો હોવાથી તે પચીશ-ત્રીશ વર્ષની વચ્ચેની ઉંમરનો હોય એવો દેખાતો હતો. નાયકને રામ રામ કરી સઘળા ચોરોએ કૌળારાણીની પહેલેથી તે છેલ્લે સુધી તમામ હકીકત કહી, અને તેને સ્વાધીન કરી. નાયકે ચોરોને ઘણી શાબાશી આપી. અને થોડા દહાડા પછી તેઓને ભાગ આપવાની કબૂલાત આપીને તેઓ સઘળાઓને વિદાય કર્યા.

જ્યારે નાયક એકલો રહ્યો ત્યારે તેણે કૌળારાણીની તરફ જોયા કર્યું. જેમ જેમ તેણે તેને વધારે નિહાળી તેમ તેમ તેના અંતઃકરણમાં કામવિકાર ઉત્પન્ન થતો ગયો. તેણે પોતાની વહુનાં લૂગડાં મંગાવ્યાં, અને કૌળારાણીની પાસે પુરુષનો વેશ ઊતરાવીને તેને બૈરીનાં વસ્ત્ર પહેરાવ્યાં. અગર જો તેણે પોતાનું સુંદર રૂપ છુપાવવાને મોં ઉપર રંગ લગાડ્યો હતો, તોપણ તેની ખુબસૂરતી તે રંગમાંથી પણ પ્રકાશી નીકળી હતી, અને જ્યારે તે તેની એવી અપૂર્ણ ખુબસૂરતીથી મોહ પામ્યો, ત્યારે જો તેની અસલ કાન્તિ નાયકના જોવામાં આવી હોત તો તે શું કરત તે કહી શકાતું નથી.

નાયક તેની પાસે ધીમે ધીમે આવતો ગયો, અને તેને ખુશ કરવાને તેણે ઘણા પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નિષ્ફળ ગયા. તે બોલ્યો : ‘‘જેવો કરણ રાજા આખા ગુજરાતનો રાજા હતો, તેવો હું આ ગવામનો રાજા છું. તેની પાસે જેટલી દોલત તેના રાજ્યના પ્રમાણમાં હતી તેટલી જ મારા રાજ્યના પ્રમાણમાં મારી પાસે છે; તે કરતાં પણ કાંઈ વધારે છે. જેમ તેના મહેલમાં તું સુખથી રહેતી તેમ તું મારા મહેલમાં સુખેથી રહીશ; જેટલું માન તને ત્યાં મળતું તેથી વધારે તને અહીં મળશે, જેટલા નોકરો ત્યાં તારી સેવામાં હતા તેટલા અહીં તને આપીશ. તારો ભરથાર કરણ રાજા તો મરણ પામ્યો, ત્યારે તું શું આટલી જુવાન અવસ્થામાં વિધવા થઈને રહીશ ? હું શું નઠારો છું ! જ્યારે કોઈ રાજાનું રાજ્ય જાય છે તયારે તેને નિશાળના મહેતાજીનો ધંધો કરવામાં પણ થોડો સંતોષ થાય છે, ત્યારે મારી પાસે તો એક નાનું સરખું રાજ્ય છે. તું કદાચ મારા ધંધાને ધિક્કારતી હોઈશ, પણ તેમાં ચૂક છે. રાજાઓને પોતાને રૈયતનું રક્ષણ કરવાને અર્થે જેટલા પૈસા જોઈએ છે તે કરતાં વધારે પૈસા પોતાના સુખને તથા મોજશોખને સારુ રૈયત પાસેથી જોરજુલમથી તે લે છે, તે પણ એક પ્રકારની ચોરી જ છે. રાજાના કારભારીઓને લોકનું કામ કરવાને માટે પગાર મળે છે તે ઉપરાંત તેઓ ગરીબ લોકો ઉપર જુલમ તથા અન્યાય કરી રુશ્વત લે છે, રાજાના પૈસા ખાઈ જાય છે, કામમાં રસળ્યાં કરે છે, એ પણ એક ચોરી છે. સુતાર, કડિયા, મજૂર વગેરે લોકો રોમજના પૈસા લઈ, દહાડાનો ઘણો ભાગ આળસમાં કાઢે છે, અને ધણી પાસેથી આખા દિવસના બરાબર પૈસા ચૂકવી લે છે, એ ચોરી નહીં તો બીજું શું ? સિવાય દરજી સોની વગેરે બીજા સઘળા કારીગર લોકો કસબચોર હોય છે. માટે દુનિયામાં સઘળા ચોર છે એમ કહીએ તો ચાલે. અમારામાં અને તેઓમાં એટલો જ તફાવત છે કે તેઓ ગુપ્ત રીતે ચોરી કરે છે, ને અમે પ્રગટ રીતે ચોરી કરીએ છીએ. વાસ્તવિક કહેતાં તો અમારી ચોરી વધારે સારી છે. બીજા સઘળા સામા ધણીને છેતરીને, વિશ્વાસઘાત કરીને તથા જૂઠું ડોળ ઘાલીને લૂંટે છે; પણ અમે તો ખુલ્લી રીતે તેને જણાવીને તથા વખતે સામા લડીને લૂંટીએ છીએ. માટે સઘળાઓમાં આબરૂદાર ચોર અમે છીએ; પણ દુનિયાનો ધારો ઊલટો છે કે આવા છાના ચોરોને સજા થતી નથી; એથી ઊલટું તેઓને સન્માન મળે છે, અને અમારા લોકોનો તિરસ્કાર થાય છે; અમને તેઓ પાપી, દુષ્ટ ગણે છે; તથા અમને શૂળીએ ચઢાવવાને તૈયાર થાય છે પણ અમે એ વાત મનમાં આણતા નથી. જેટલી બીજા લોકોની આબરૂ છે તે કરતાં વધારે અમારી છે એમ અમે માનીએ છીએ, અને તારે પણ એમ માનવું જોઈએ. માટે મારી સાથે તને રહેવામાં શી હરકત છે ? તું શા માટે બોલતી નથી ? હું તને સાફ કહું છું કે તારી ખુશી હશે અથવા નહીં હશે તોપણ તું મરે હાથ પડી છે તે હું તને જવા દેવાનો નથી. હું તને રાખવાનો જ, માટે ખુશીથી હા કહેવામાં સારું છે.’’ કૌળારાણીએ જોયું કે સામા થવામાં કાંઈ લાભ થશે નહીં, તેથી થોડીવાર વિચાર કરી તેણે નાયકની વાત કબૂલ કરી. પછી નાયકે રાત્રે સારી પેઠે મિષ્ટાન્ન લીધાં, અને સૂતાં પહેલાં રોજ કરતાં બેત્રણ પૈસાભાર અફીણ વધારે ખાધું. જ્યારે તે સૂવાની તૈયારી કરતો હતો તે વખતે કૌળારાણી ઉદાસ થઈ ઊંડા વિચારમાં પડી. તેણે જગદંબાની સ્તુતિ કરી અને પોતાની અવસ્થા જગતની પરમ કૃપાળુ માતા આગળ નીચે પ્રમાણે કહી સંભળાવી. તે બોલી : ‘‘અરે આરાસુરી ! અરે અંબા ભવાની ! રે જગતનું પ્રતિપાલન કરનાર ! હું કેવી સ્થિતિમાં આવી પડી છું ? જેમ કાંકરાઓમાં હીરો, જેમ કાંટાનાં ઝાંખરામાં મોગરાનો છોડ, જેમ ખરસાણીમાં કેળનું વૃક્ષ, જેમ ગીધના ટોળામાં કબૂતર, જેમ વાઘના કોતરમાં ગાય, તેમ આ ચોરના નાયકના ઝૂંપડામાં હું રાણી સપડાઈ ગઈ છું. આ દુષ્ટ ચંડાળ મારા ઉપર બળાત્કાર કરવાની તૈયારીમાં છે. જો હું સામી થઈ હરકત કરીશ તો તે મારો પ્રાણ લેશે. જો હું બોલીશ નહીં તો મારું પતિવ્રતપણું જશે. હે માતા ! હવે હું શું કરું ? એ સઘળા સંકટમાંથી ઉગારનાર તારા વિના બીજું કોઈ નથી. પણ મને હવે યાદ આવ્યું. મારી પાસે એક ખંજર છે તે હું મારી સાડીમાં સંતાડી રાખું, અને તે દુષ્ટ જ્યારે પાસે આવે તે વખતે હું તેને યમદૂતની સોડમાં મોકલું. એવા ચંડાળને મારવામાં કાંઈ પાતક નથી. દુષ્ટ રાક્ષસો જેઓના પાપથી પૃથ્વી ઉપર અતિ ઘણો ભાર થતો, તથા જેઓ દેવતાઓ તથા મનુષ્યને ઉપદ્રવ કરતા તેઓનો સંહાર કરવાને વિષ્ણુને દશ અવતાર લેવા પડ્યા હતા; માતાજીએ પણ શુંભ, નિશુંભ તથા એવા દૈત્યોને માર્યા હતા. જ્યારે એ નાયક દુષ્ટ મતિથી મને ભ્રષ્ટ કરવા ઈચ્છા રાખે છે ત્યારે તેને માર્યામાં જરા પણ દોષ નથી.’’ એવો વિચાર કરી ખંજર પોતાની કમરે ખોસ્યું, અને મન કઠણ કરી આ ભયંકર કામ કરવાને તત્પર થઈ. નાયકને અફીણની કેફ જ્યારે ચઢી ત્યારે તે કૌળારાણી પાસે આવ્યો, પણ તે પાસે આવે એટલામાં તેણે તેનો તોટો પકડ્યો, અને બીજે હાથે ખંજર કાઢી તેના પેટમાં એવો તો કારી ઘા માર્યો કે એક ક્ષણમાં તે ભોંય ઉપર પડી મરણ પામ્યો. આ કામ તેણે એવી હોશિયારીથી તથા ચપળતાથી કર્યું કે મરનારથી કાંઈ પણ બૂમ પાડી શકાઈ નહીં અને તે મૂવો તેની ખબર તેના ઘરમાં કોઈને પડી નહીં. આ ભયાનક કામ કર્યા પછી નાયકના મડદાને એક પેટી પાછળ ગબડાવી દીધું, અને તેનાં લૂગડાં પહેરીને તે વાડામાં ગઈ. તયાં તેના ઘોડામાંથી એક સારો જલદ ઘોડો પસંદ કરી તે ઉપર સ્વાર થઈ રાત્રે ને રાત્રે આગળ ચાલી. નાયક જાણીને તેને કોઈએ હરકત કરી નહીં, અને સવારે જ્યારે નાયકના ઘરનાં માણસોને તેના મોતની ખબર પડી, અને ત્યાર પછી તે ખબર આખા ગામમાં પથરાઈ, અને ગામના કેટલાક લોકો કૌળારાણીને પકડવાને નીકળ્યા, ત્યારે તે ઘણે આઘે ચાલી ગઈ હતી. કૌળારાણીને ખાતરી હતી કે સવારે ગામના લોકો તેની પાછળ લાગશે, અને જો તે આગળ ચાલ્યા કરશે તો કોઈ દહાડો પણ તે પકડાઈ જશે, એ દહેશતથી એક ગામ આવ્યું ત્યાંના રાજા પાસે થોડા દહાડા સુધી રહેવાનો તેણે ઠરાવ કર્યો. રાજાની આગળ તેણે પોતાની સઘળી હકીકત કહી, અને તે સાંભળીને તેને એટલી તો દયા આવી કે પોતાને માથે ભારે જોખમ ખમીને તેને રાખવાનું તેણે કબૂલ કર્યું. સંકટમાં આવી પડેલા માણસોને સહાયતા ન કરવી એમ કેમ થાય ? તેમાં વળી આશ્રય માગનાર સ્ત્રી એટલે ના કહેવી એ તો મુશ્કેલ જ.

જ્યારે કૌળારાણી તે ગામાં શત્રુના ભયથી બચી, તે વખતે ભીલના નાયકના માણસો ઘોડા ઉપર બેસીને તેને પકડવાને આવતા હતા. એ ભીલ લોકોને અલફખાંએ પણ તે જ કામને માટે મોકલેલા સવારો મળ્યા. તે બંને ટોળાનાં માણસોએ માંહોમાંહે વાતચીત કરવા માંડી તે ઉપરથી મુસલમાન સવારોને ખાતરી થઈ કે જે રાણીને તેઓ શોધે છે તે જ નાયકને મારનાર છે. એ સઘળા તે ગામ તરફ ચાલ્યા, પણ રસ્તામાં તેઓ બંનેની વચ્ચે મોટી તકરાર થઈ. જો કૌળારાણી પકડાય તો તેને પોતાના ગામમાં લઈ જવી, અને નાયકનાં બૈરાંછોકરાંની સમક્ષ તેનો રિબાવીરિબાવીને પ્રાણ લેવો એવો તે ભીલોનો મનસૂબો હતો. મુસલમાન સવારોને એવો હુકમ મળેલો કે તેને જીવતી પકડીને અલફખાંની રૂબરૂ રજૂ કરવી. હવે એ બે વાત શી રીતે બને ? માટે તેઓ માંહોમાંહે તકરાર ઉપરથી ગાળાગાળી ઉપર આવ્યા, અને તેમ કરતાં મારામારી ઉપર વાત આવી ગઈ. બંને તરફના કેટલાક માણસો કપાઈ ગયા, અને જો બંને તરફ બે વૃદ્ધ માણસો વચ્ચે પડ્યા ન હોત તો તેઓ સઘળા ત્યાં અનંતકાળ પર્યંત વાસો કરત; કૌળારાણી સુખેથી પોતાના બાપ પાસે જઈ પહોંચત; અને અલફખાં ઘણો જ નાઉમેદ થઈ જાત, પણ એમ થવા દેવાની ઈશ્વરની મરજી ન હતી. બે વૃદ્ધ માણસોએ એવું સમાધાન કર્યું કે જે લોકો તેને પહેલી પકડે તેઓ તેને લઈ જાય. બંને તરફના માણસોએ એ વાત કબૂલ કરી; પણ મુસલમાન સવારો મનમાં ભીલો ઉપર ઘણા ખીજવાઈ રહેલા હતા, અને જો કદાપિ રાણી ભીલોના હાથજમાં આવશે તો તેઓ તેને લઈ જશે, તેઓની સઘળી મહેનત નિષ્ફળ જશે, તથા અલફખાંને ખુશકરી પોતાને ફાયદો કરી લેવાનો આવો પ્રસંગ ફરીથી આવશે નહીં, એ સઘળી વાત ઉપર નજર રાખીને તેઓએ ભીલ લોકોને નક્કી કરવાનો નિશ્ચય કર્યો. પછી એક રાત્રે જ્યારે તેઓ સઘળા સૂતેલા હા, તે વખતે મુસલમાન સવારો સંકેત પ્રમાણે એકદમ ઊઠ્યા, અને સઘળા ભીલ લોકોને કતલ કર્યા. એ નિર્દય કમ ઊંઘતાં માણસો ઉપર કર્યા પછી તેઓ ગામમાં પેઠા, અને ત્યાં રાણીની તજવીજ કરવા લાગ્યા. દૈવયોગે એવું બન્યું કે રાજાના હજામને તેઓએ તે બાબત પૂછ્યું. સઘળા દેશોમાં હજામની જીભ ઘણી લાંબી તથા પેટ ઘણું નાનું હોય છે, તે પ્રમાણે તેણે તેઓને કહી દીધું કે અહીંના રાજાના મહેલમાં એક બે દહાડા થયાં એક પરોણો આવેલો છે. તેનો રાજાજીએ ઘણો સત્કાર કરેલો છે. સવારોને નક્કી થયું કે એ જ કૌળારાણી હશે, તેથી તેઓએ રાજાને તરત સંદેશો મોકલ્યો કે જે નવો માણસ તેની પાસે આવેલો છે તેને અમારે સ્વાધીન કરવો. શરણાગતને શત્રુના હાથમાં આપી દેવો એ સમાન બીજું કાંઈ મોટું પાપ નથી એમ સમજીને, તથા કૌળારાણીએ ઘણા કાલાવાલા કર્યા તેથી દયા લાવીને રાજાએ થોડી વાર આનાકાની કરી, પણ જ્યારે સવાર લોકોના ઉપરીએ ફરી કહેવડાવ્યું કે અમારા કહેવા પ્રમાણે એકદમ કરશો નહીં તો આખું પાદશાહી લશ્કર તમારા ગામ ઉપર તૂટી પડશે. તમારું સઘળું રાજ્ય ઉજ્જડ કરશે, અને તમને ગાદીએથી ઉઠાડી મુકશે, ત્યારે તે રાજા ભય પામ્યો, અને કૌળારાણીને એ સઘળી વાત સમજાવીને કહી. તેણે તે ગામમાંથી નાસી જવાનો ઠરાવ કર્યો, પણ જો તે એ પ્રમાણે કરે તો મુસલમાન લોકોના મનમાં એવું આવે કે તેણે તેને જાણી જોઈને જવા દીધી અને તેઓ તેના ઉપર તેઓનો સઘળો ક્રોધ કાઢે, તેથી તેણે દરવાનોને હુકમ આપ્યો કે જે અજાણ્યો માણસ ગામ બહાર જવાનું કરે તેને પકડી પાદશાહી સવારોના ઉપરીને સ્વાધીન કરવો. તે પ્રમાણે સવારે કૌળારાણી તે રાત્રે ગામ બહાર જવાનું કરતી હતી તે વખતે દરવાને તેને પકડીને તે ઉપરને સોંપી દીધી. તે મરદના વેશમાં બૈરી છે એ જાણવામાં કાંઈ મુશ્કેલી પડી નહીં, અને જ્યારે એ પ્રમાણે નક્કી થયું ત્યારે તે કરણ રાજાની નાસી ગયેલી રાણી સિવાય બીજું કોઈ નહીં હોય એમ તેઓને ખાતરી થઈ. પોતાની મહેનત સફળ થઈ, તથા અલફખાં તેઓના ઉપર ઘણો પ્રસન્ન થશે એવી ઉમેદથી તેઓ કૌળારાણીને લઈ ઘણી ઝડપથી પાટણમાં આવી પહોંચ્યા. કૌળારાણી જીવતી હાથ આવી, તથા તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલીશ તો તે ઘણો ખુશ થશે એ વિચારથી અલફખાંના મનમાં હર્ષ માયો નહીં. કૌળારાણીને બીજે દહાડે રાજમહેલમાં લાવ્યા, અને તયાં તેને બીજી રાણીઓ પાસે ઓળખાવી. તેની ચામડીનો રંગ તડકાથી શામળો પડી ગયો હતો તથા તેણે જે મોં ઉપર રંગ લગાડ્યો હતો તેની અસર હજી સુધી કાયમ હતી, તેથી તેની ખુબસૂરતી અલફખાંના સાંભળ્યા પ્રમાણે જણાઈ નહીં. બીજી રાણીઓના કહેવાથી તેને એક મહિનો મહેલમાં રહેવા દીધી, અને એ પ્રમાણે થવાથી તેને મરજી વિરૂદ્ધ તેનું સુંદર રૂપ પાછું આવ્યું. મહીનો વીત્યા પછી અલફખાંએ તેને જ્યારે જોઈ ત્યારે તેનામાં આવો ફેરફાર થયેલો જોઈને તે ઘણો જ આશ્ચર્ય પામ્યો, અને તેની અપ્સરા કરતાં પણ વધારે રૂપાળી કાંતિ જોઈને તેનો જીવ ઘણો આકુળવ્યાકુળ થયો. તેની આગળ તે સૌંદર્યના એક માનવી અવતાર, આરસની એક પૂતળી જેવી ઊભી રહી. તેને અલાઉદ્દીન પાદશાહ પાસે મોકલી દેવાનો તેનો મનસૂબો છે તે તેને કહી સંભળાવ્યો, અને દિલ્હીમાં જઈ પાદશાહના ઝનાનખાનામાં મુખય રાણીની મિસાલે રહેવા જવાની તૈયારી કરવાને તેણે કહ્યું. કૌળારાણી માઠામાં માઠા સમાચાર સાંભળવાને તૈયાર જ હતી. તેથી આ વાત જાણતાં જરા તે ગભરાઈ નહીં, પણ ડોકું હલાવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ. થોડા દહાડા પછી શહેરમાં એક મોટી ધામધૂમની સાથે સવારી નીકળી ત્યારે જ પાટણ શહેરના લકોએ જાણ્યું કે ગુજરાતની રાણી, અતિ રૂપાળી કૌળાદેવી, મ્લેચ્છ પાદશાહનો મહેલ શણગારવા જાય છે. લોકો તે સવારી જોવાને કોઈ બહાર આવ્યા નહીં. સઘળા ઘણા મોટા શોકમાં પડ્યા. કૌળારાણીનું અંતઃકરણ લોકોની પ્રીતિ જોઈને ભરાઈ આવ્યું, અને પોતાની જન્મભૂમિ હવે છોડવાનો વખત આવ્યો એ દુઃખથફી તેના મન ઉપર એવી તો અસર થઈ કે તે ઘણા જોરથી રડી, અને નીચે પ્રમાણે તેણે વિલાપ કર્યો :

લલિત છંદ

કરણ રાજ ! તું, ક્યાંહ રે ગયો; નગર છોડીને શીદ રે રહ્યો;

કરમ ફૂટિયું, પ્રાણ જાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.ં

તુજ વિના હવે અન્ન ના ગામે; મન તણી મહા વેદના દમે;

દરદ તાહરું ના ખમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે

કરમની કથા, જાય ના કથી, દુઃખ સમુદ્રનો, પાર તો નથી;

ફિકર ચિત્તમાં, ના સમાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

કનકદેવલી ! ક્યાં રે હશો; રઝળતી મૂકી, ક્યાં હવે જશો;

ધીરજ છાતીમાં, ના રખાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

રજપૂતો ! તમે, ન્યાય જાત રે; સકળ સ્નેહીઓ, માતભ્રાત રે;

વિરહ તે તણો કેમ થાય રે; સુખ સદા ગયું હાય હાય રે.

પરમ પ્રિય જે, બાપ તેમણે; કસર ના કીધી મુજ કારણે;

વચન મીઠડાં, ના ભુલાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ગૂર્જર દેશ ! રે, જન્મભૂમિ તું; અવતરી ત્યહાં, પાપણી જ હું;

અધમ લોકને, હાથ જાઉં રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ધરમ મૂકીને, મ્લેચ્છ થાઉં છું; કુળવિચાર સૌ, છોડી જાઉં છું;

તુરકડા વચે, ના વસાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

ઘરધણી મુઓ, દીકરી ગઈ; નગર છોડીયું, ભ્રષ્ટ તો થઈ;

અખૂટ પાપ તે, ના કપાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

અખિલ વિશ્વમાં તું જ જે ધણી; અકળ ઈશ છે; છે દયા ઘણી;

તુજ કૃપા થકી, શાંતિ થાય રે; સુખ સદા ગયું, હાય હાય રે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED