Karan Ghelo - 9 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 9

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૯

ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દીન ખિલજીનું લશ્કર છાવણી નાખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ સવાર, પંદરસો હાથી, વીસ હજાર પાયદળ, તથા પીસ્તાળીસ મોટા સરદારો હતા. ગુજરાત જો જિતાય તો તેનું રાજ્ય ચલાવવાનું કામ અલફખાં જે પાદશાહનો ભાઈ હતો, અને આ સઘળા લશ્કરનો મુખ્ય સરદાર હતો તેને સોંપેલું હતું. તેના હાથ નીચે સઘળો કારભાર માધવને સોંપવો એવો બંદોબસ્ત કર્યો હતો. અને પાદશાહનો વજીર નુસરતખાં લશ્કરની સાથે આવેલો હતો, પણ દેશ સર થજાય એટલે તેને દિલ્હી પાછા જવાનો હુકમ હતો. છાવણી એક મોટા શહેર જેવડી હતી. જેટલાં લડનારાં માણસો ઉપર ગણાવ્યાં, તે સિવાય બૈરાં, છોકરાં, દુકાનદાર, ચાકો તથા બીજાં ઘણાં નકામાં માણસો છાવણીમાં રહેતાં હતાં. વળી ઘોડા, હાથી, ઊંટ વગેરે લડાઈમાં તથા ભાર વહેવામાં ઉપયોગી જાનવરો લાખો હતાં; તેમાં ઘરોને બદલે તંબૂ, ડેરા, રાવટી, વગેરે એક ઠેકાણેથી બીજો ઠેકાણે લઈ જવાય એવી રહેવાની જગા હતી. મોટા સરદારો તથા અમીરોના તંબૂઓ કિનખાબના, ઝરીના, તથા કીમતી લૂગડાંના હતા, અને તેઓ પણ શોભાયમાન દેખાતા હતા. ઠેકાણે ઠેકાણે બજાર ભરાતી, તેમાં માંડવા નાખી દુકાનદારો જુદી જુદી જાતનો માલ વેચતા હતા. છાવણીમાં હંમેશા લોકોની ભીડાભીડ રહેતી, અને રાતને વખતે રોશનીથી ત્યાં મોટી આગ લાગી હોય એમ દેખાતું હતું. થોડી રાત વહી ગયા પછી સઘળા દીવા ઘેર કરવામાં આવતા, તથા છાવણીની આસપાસ મોટાં મોટા બળતાં કરી ચોકીદાર લોકો જાગતો પહેરો રાખતા હતા. એવી રીતે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત તથા મેવાડની સરહદ ઉપર પડેલું હતું. છાવણીની વચ્ચોવચ જે ભભકાદાર તંબૂઓ હતા તેમાંથી એક ઝરીના મોટા તંબૂમાં ત્રણ માણસ ઘણા ઊંડા વિચારમાં બેઠેલા હતા. તેઓ પાટણના રસ્તામાં જે જે ગામ, નદી વગરે આવે તે એક કાગળ ઉપર માંડતા હતા, તથા મુખ્ય રાજધાની શહેરમાં ક્યે રસ્તે જવું, તથા ક્યાં ક્યાં મુકામ કરવો તેની તે નકશા ઉપર તેણે નિશાની કરી હતી. માધવે ગુજરાતના મંડળેશ્વર તથા મોટા સામંતોને ફોડવાને ગુપ્ત જાસૂસો મોકલ્યા, લોકોની પ્રીતિ રાજા ઉપરથી ઉઠાવીને પોતાની તરફ તેઓ ખેંચી લેવાની ઘણી મહેનત કરી તથા મુસલમાન લોકો કરણ રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી બીજો નવો રાજા નીમી સઘળો રાજ્યકારભાર મને સોંપશે, અને તેઓ પાછા પોતાને દેશ જશે, ને પછી હું મારા મદદગાર લોકોને ઘણો જ લાભ કરી આપીશ, એમ લોકોને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નીષ્ફળ ગયા. માત્ર ત્રણસો ને સાઠ સવાર તેને આવી મળ્યા. તે ઉપરથી માધવ અથવા અલફખાં બેમાંથી કોઈ નિરાશ થયા નહીં. તેઓએ ગુજરાતના લોકોની સહાયતા ઉપર ભરોસો રાખ્યો ન હતો, એટલું જ નહીં પણ માધવના કહ્યા છતાં પણ કોઈ મદદ કરશે નહીં એમ આગળથી જ ધારીને તેઓએ બહોળું લશ્કર તથા લડાઈનો સઘળો સામાન સાથે રાખ્યો હતો. ગુજરાત જીવતવામાં જુદા જુદા માણસોનો જુદો જુદો સ્વાર્થ હતો. પાદશાહી રાજ્યમાં વધારો થાય, અને પોતાના ભાઈ અલાઉદ્દીનનું રાજ્ય વિસ્તાર પામે, અને તે સઘળું કદાચ કોઈ દહાડો પોતાના હાથમાં આવે એટલો અલફખાંને ફાયદો હતો. નુસરતખાંને લાભ એટલો જ હતો કે પોતાની બહાદુરી તથા હોશિયારી વડે ગુજરાત સરખો મોટો ફળવાન પ્રાંત જિતાય તો બાદશાહ ઘણો ખુશ થાય, તેના ઉપર મહેરબાની વધે, તેની વજીરાતનો પાયો વધારે મજબૂત થાય, અને પોતાની કીર્તિ જો દેશમાં ફેલાય તો કોઈ વખત રાજ્યની ઊથલપાથલમાં તેને તખ્ત મળવાનો લાગ આવે. માધવની મુખ્ય નેમ કરણ રાજા ઉપર વેર લેવાની હતી, અને તેમ કરતાં કદાપિ ગુજરાતનું રાજ્ય ઊંધું વળે, ને રાજા પદભ્રષ્ટ થાય, અથવા લડાઈમાં માર્યો જાય, અને તેની પછી ગમે તે પોતાના દેશ ઉપર રાજ્ય ચલાવે તોપણ તેની મુખ્ય મતલબ પાર પડે એટલી જ તેને ખુશી હતી. વળી તેને રાજ્યકારભાર મળવાની પણ ઉમેદ હતી, તેથી તે ઘણી વખતે ઉમંગમાં દેખાતો હતો. છાવણી બીજે દહાડે સવારે ઊઠવાની હતી તેથી અલફખાં, નુસરતખાં તથા માધવ એ ત્રણે નવ કલાકે મસલત કરવા બેઠા હતા.

અલફખાં - માધવજી, તમારા ધાર્યા પ્રમાણે કરણ રાજા કેટલું લશ્કર એકઠું કરશે ? પાટણ જતાં સુધી રસ્તામાં કાંઈ અડચણ નડશે કે નહીં ? તે બહાર નીકળીને લડાઈ કરશે કે શહેરના દરવાજા બંધ કરી કિલ્લામાં ભરાઈ બેસી રહી શહેર આગળ આપણને રાહ જોવડાવશે ? તમે રાજાની ચાલથી, કિલ્લાની મજબૂતીથી, અહીંના લોકોની બહાદુરીથી, તથા રાજાના લશ્કર તરફનું કેટલું જોર છે એ સઘળાથી વાકેફ છો, માટે તમારાથી એ ખબર પાકી મળશે.

માધવ - કરણ રાજા મારો કટ્ટો વેરી છે, તેણે મને બધી રીતે પાયમાલ કરી નાખ્યો છે, તોપણ બહાદુર નથી એમ મારાથી કહી શકાતું નથી. રજપૂત લોકોમાં શૂરાતનની કાંઈ કસર હોતી નથી, તે પ્રમાણે કરણમાં પણ શૌર્ય ઘણું છે. તેનામાં ભયનું તો નામ જ નથી; તે ભયને ઓળખતો જ નથી; લડાઈથી તે ઘણો આનંદ પામે છે અને અગર જો હજુ સુધી તેની હિંમત કોઈપણ લડાઈમાં કસાયેલી નથી, અગર જો તેની સઘળી બહાદુરી હજુ સુધી તેના શબ્દોમાં જ રહેલી છે, કંઈ કામમાં વપરાયેલી નથી, તોપણ જ્યારે પ્રસંગ પડશે ત્યારે તે નામર્દ ઠરવાનો નથી. તેની બહાદુરીનાં આપને પણ વખાણ કરવાં પડશે. પણ પરમેશ્વરની મહેરબાનીથી તેનામાં જોઈએ તે કરતાં પણ વધારે શૂરાતન છે તેથી જ્યારે આપણું લશ્કર ગુજરાતમાં પેસશે, તથા પાટણથી થોડેક દૂર આવી પહોંચશે, એટલે તે લડાઈ કરવાને એટલો બધો આતુર થઈ જશે કે પાટણનો મજબૂત કિલ્લો મૂકી બહાર મેદાનમાં યુદ્ધ કરવાને નીકળશે, એટલે કિલ્લાને ઘેરો ઘાલવાની મહેનત આપણને કરવી પડશે નહીં. શહેર આગળ જરા પણ ખોટી થવું પડશે નહીં, તથા અનાજ પાણીની તંગી વેઠવી પડશે નહીં, જે થશે તે લડાઈમાં થશે. જો ઈશ્વરની કૃપાથી લડાઈમાં ફતેહ મળી તો આખો ગુજરાત દેશ જિતાયો એમ જાણવું. લડાઈના કામમાં તે બીજા લોકોની સલાહ માનશે નહીં. તે પોતાના જુસ્સાથી ઘસડાયો જશે, અને અંતે રણસંગ્રામમાં તે માર્યો જશે; અથવા મરણતોલ જખમી થશે ત્યાં સુધી તે લડાઈ બંધ પાડશે નહીં. પાટણમાં ઘણા શૂરા અને શાણા સામંતો છે; વળી તેનો વાણિયો મંત્રી પણ ધૈર્યવાળો તથા અગમ બુદ્ધિમાન છે. તેઓની શિખામણ જો રાજા સાંભળશે તો તે પાટના કિલ્લામાં જઈને ભરાશે અને તે કિલ્લો ઘણો જ મજબૂત છે, તથા કિલ્લો લેવાનો સામાન આપણી પાસે જોઈએ તેટલો નથી; અને એ રીતે ગુજરાતના સઘળા કિલ્લા એક પછી એક લેવા પડે તો આપણી કમબખ્તી જાણવી; અન્નપાણીની ઘણી ખોટ પડશે. આપણી સાજે જે બહોળું લશ્કર છે તેને જોઈએ તેટલો ખોરાક પૂરો પડશે નહીં, ત્યારે તેઓમાંથી ઘણા ભૂખે મરી જશે. અને બીજાઓ એટલા તો નારાજ થઈ જશે કે તેઓને અહીં રાખવા ઘણું મુશ્કેલ થઈ પડશે, અને રહ્યા તોપણ તેમનું લડવા તરફ ઘણું દિલ રહેશે નહીં. ગામના લોકો તથા રાજાનું લશ્કર તેઓને હેરાન કર્યા કરશે, અને અંતે કાયર થઈ આપણને ગુજરાત છોડી જવું પડશે. તે વખતે પાદશાહના અધીરા તથા ઉતાવળિયા સ્વભાવથી, તેનું ધારેલું કામ પાર પડ્યું નહીં તેની નાઉમેદીને લીધે તેને જેટલો ક્રોધ ચઢશે તેઓથી, લશ્કરમાં માણસ તથા પૈસા તરફથી ખરાબી થવાને લીધે પાદશાહના મન ઉપર જે અસર થશે તેથી, તથા પાદશાહનો કોઈ વખત પણ પરાજય થયો નથી, તથા ધારેલું કામ નિષ્ફળ ગયું નથી, છતાં આ વખતે જો તેની હાર થાય તો તેનું નામ તૂટી જાય, તેની આબરૂમાં ખલેલ પહોંચે, તેની શક્તિ વિષે તેના તાબાના રાજાઓના મનમાં હલકો વિચાર આવે, અને તેમ થવાથી રાજ્યમાં સઘળે ઠેકાણે બંડ થાય, અને તે જોઈને કોઈ અમીર અથવા બીજો શખ્સ ઊભો થઈ પાદશાહની ગાદી છીનવી લે, બલકે તેની જિંદગીને પણ નુકસાન લાગે, એ સઘળાં પરિણામો પર નજર પહોંચાડી પાદશાહને કેટલી દિલગીરી થાય તથા તે દુઃખના આવેશમાં તે જે કરે તેથી આપણને કેટલો ભય લાગવાનું કારણ થઈ પડે તેનો ખ્યાલ માત્ર કરવો. પણ એ સઘળું મારી આપબુદ્ધિ તથા ટૂંકા અનુભવ પ્રમાણે બનવાનું નથી. રાજાનો સ્વભાવ ઘણો હઠીલો છે તેથી તેણે જો એક વાર પણ લડાઈ કરવાનો અને તેમાં પોતાનું શૌર્ય દેખાડવાનો ઠરાવ કર્યો તો ગમે તે શે તોપણ તેમાંથી તે ફરવાનો નથી; અને જો એક વાર મેદાનમાં યુદ્ધ થાય તો જય મળવાનો વધારે સંભવ છે. અને તેમ જ થશે તેની આશા પણ રાખવામાં આવે છે. રાજા જો લશ્કર એકઠું કરવાની ધીરજ રાખે તો ઘણું મોટું જોરાવર સૈન્ય તેની પાસે થાય. બધા મંડળિક રાજાઓ પોતપોતાનાં માણસો લઈને આવે. પણ હવે આપણે કરણને વખત આપીશું નહીં, આપણે જલદી જલદી કૂચ કરી રાજ્યધાનીના શહેર ઉપર જવું, એટલે તે મંડળિક રાજાઓથી પોતાના સિપાઈઓ એકઠા કરી રાજાને મદદ કરવાનું બની આવશે નહીં. કરણ તેઓની રાહ જોવાનો નથી; પોતાની શક્તિ ઉપર તેને એટલો બધો વિશ્વાસ છે, તથા આપણા ઉપર તેને એટલો તો ધિક્કાર છે કે તે મદદની રાહ ન જોતાં લડાઈ કરવાને તૈયાર થશે. તેના ઘણા મંડલેશ્વર છે તેઓ પોતાના તાબાનાં માણસોને લઈને આવશે, તેમને તથા પોતાના ખાસ લશ્કરને લઈ રાજા લડાઈમાં આવશે. લશ્કરની બહાદુરી વિષે કહેવાની જરૂર નથી. આપણા લશ્કરે રજપૂત સિપાઈઓની સાથે ઘણી વખતે યદ્ધ કરેલું છે, તેઓની હિંમત, લડવાની રીત વગેરેથી તે સારી પેઠે વાકેફ હશે. બહારથી સહાયતા મેળવવાનો તેને સંભવ નથી. દેવગઢનો રાજા આપણાથી એટલો ત્રાસ પામ્યો છે, તથા તેનો એટલી બધી વાર પરાજય થયેલો છે કે તે આ વખતે માથું ઉઠાવવાની હિમ્મત ચલાવશે નહીં. વળી તે આપણા પાદશાહનો ખંડિયો રાજા છે એટલે આપણી સામે થવાનો તેનો ધર્મ નથી. રાજસ્થાનમાંનાં ઉદેપુર, જોધપુર, અજમેર, ઈત્યાદિ સંસ્થાનોના રાણા, રાજાઓ પોતાના જાતભાઈને મદદ કરવા આવશે નહીં. જ્યારે ઘોરીશાહે દિલ્હીના પૃથુરાજ ઉપર ચઢાઈ કરી તે વખતે જેમ બીજા રજપૂત રાજાઓ તેને સહાય થયા હતા તેમ આ વખતે કરણને મેવાડ, મારવાડ અથવા બીજા કોઈ રજપૂત સંસ્થાનના રાજા તરફથી પૈસા અથવા લશ્કરની મદદ મળે એવો સંભવ નથી. રાજાઓએ સૂંઠનો સ્વાદ ચાખ્યો છે. આજ ઘણાં વર્ષ થયાં પાદશાહે પોતે જાતે તેઓની સાથે લડાઈ ચલાવી છે. તેમાં તેઓની ઘણી ખરાબી થઈ છે. તેઓ આપણા લશ્કરનું બળ અનુભવથી જાણે છે, તેથી તેઓ ધઘણા બીએ છે. વળી કરણને મદદ કરી તેઓ પાદશાહની ઈતરાજી કરાવશે નહીં. કરણ પણ એટલો અહંકારી છે, તથા તેને પોતાના બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તેઓની સહાયતા માગશે નહીં, માગશે તોપણ તે મળવા જેટલો હવે વખત રહ્યો નથી. વળી જો તેઓની મદદથી કરણ જય પામે તો પ્રતિષ્ઠા સઘળામાં વહેંચાઈ જાય, અને થોડો ભાગ જ કરણને મળે. પણ તેમ થાય તેમાં કરણ નાખુશ છે, તેને સઘળી આબરૂ પોતાને જોઈએ છે, તેથી તે પોતે એકલો જ વગર મદદે લડશે એવો સંભવ છે. પછી તો શિવજી જાણે. પાટણ જવાના રસ્તામાં કાંઈ હરકત નડે એવું નથી. વચ્ચે કોઈ મોટા પહાડ અથવા મજબૂત કિલ્લા આવતા નથી.ો દેશ સઘળો પાધર છે. ગામ ઘણાં મોટાં તથા પૈસાવાળાં છે; તથા અન્નપાણી પણ પુષ્કળ મળશે તેથી રસ્તામાં આપણને કશી વાતની આપદા પડવાની નથી.

માધવની આટલી વાત સાંભળી અલફખાંનું મન સંતોષ પામ્યું, અને રાત વધારે વહી ગઈ, એમ જાણી માધવને પોતાના તંબૂ ઉપર જવાની રજા આપી. તે વખતે છાવણીમાં સઘળું ચુપાચૂપ હતું. બીજે દહાડેથી કૂચ થવાની હતી, તથા લડાઈનો સમય પણ પાસે આવ્યો હતો એમ જાણીને આગળથી થાક ખાઈ લેવાને ઘણા તે દહાડે રોજ કરતાં વહેલા સૂઈ ગયા હતા. તોપણ ઠેકાણે ઠેકાણે ચોકીદાર સિપાઈ તાપણાની આસપાસ ઘણા ટોળાં વળીને તાપવા તથા વાતચીત કરવા બેઠા હતા. તેઓ સઘળાની વાતનો વિષય ગુજરાત જ હતો. તેઓ જ્યાં જ્યાં ગયેલા ત્યાં ત્યાં જય મેળવેલો, અને કોઈ વખત પણ પોતાનું કામ સિદ્ધ કર્યા વિના આવેલા નહીં તેથી તેઓના પોતાના બળ ઉપર જોઈએ તે કરતાં વધારે ભરોસો હતો. માટે આ વખતે ગુજરાત જિતાશે એ વિષે તેઓને જરા પણ શંકા નહોતી. તેઓમાંથી જેઓ ઘણા નમાઝી તથા ધર્માંધ હતા તેઓ ગુજરાત જીત્યા પછી ત્યાંના સઘળા લોકોની પાસે બર હક્ક મનાવવાને એટલા તો આતુર હતા કે તેઓ રાતદહાડો પરમેશ્વરની પ્રાર્થના કર્યા કરતા કે તે સર્વશક્તિમાન આ કાફર દેશે પાકદીનવાળાના હાથમાં આપે, તેઓના મનનો અંધકાર દૂર કરે, અને તેમાં મુસલમાની ધર્મનું તેજસ્વી કિરણ પ્રકટ કરે, તથા સઘળી મૂર્તિઓ, અને લોકોને અલ્લાતાલાથી દૂર કરાને સેતાને જે જે તદબીર કરેલી છે તે સઘળી પાયમાલ થઈ જાય, તેઓના મનમાં દૃઢ વિશ્વાસ હતો કે આ ઊંચી તથા ઉમદા મતલબ પાડવાને જ માટે પરમેશ્વર આપને ફતેહ આપશે, તથા કાફર લોકોનું જોર તોડી પાડશે; પણ લશ્કરમાં સઘળા લોકો એવા ન હતા. ઘણા તો ઘેર ભૂખે મરતા હતા, અને પૈસા લૂંટવાના હેથી જ તેઓ પોતાનાં બૈરાં-છોકરાંને છોડીને આટલે દૂર પોતાનો જાન જોખમમાં નાખી આવ્યા હતા. તેઓનો વિચાર પૈસા ઉપર જ હતો. રાત્રે તેઓ સૂતા ત્યારે સ્વપ્નામાં ગુજરાતના રાજા, વ્યાપારી, તથા બીજા લોકોની અગણિત દોલત તેઓના જોવામાં આવતી. અને સોના, રૂપા, મોતી, તથા જવાહરના ઢગલામાં તેઓ પોતાના હાથ ઘાલી જેટલું જોઈએ તેટલું તેમાંથી લીધા પછી પાછા દેશ જઈને મોટી હવેલીઓ બાંધવામાં, ગુલામો વેચાતા લેવામાં, ઝનાનામાં ઘણો વધારો કરવામાં, તથા બીજી રિયાસત ભોગવવામાં સઘળી દોલત ખરચીશું, એમ તેઓ ઊંઘમાં પણ વિચાર કરતા હતા.

ઉપર થયેલી સઘળી વાત ઉપર વિચાર કરતો ઘણી ઉદાસ વૃત્તિમાં માધવ પોતાના તંબૂ ઉપર જતો હતો. તેણે ત્યાં જઈ સૂવાને ઘણાં ફાંફાં માર્યા, પણ નિદ્રાદેવીએ તેના ઉપર મહેરબાની કરી નહીં. તે બિછાના ઉપર પછાડા મારવા લાગ્યો, અને તેની આખી જિંદગીનું ચિત્ર એક તખ્તા ઉપર ચીતરાઈને તેની આંખ આગળ આવ્યું. તેને પોતાનાં માબાપ યાદ આવ્યાં; તેની નાનપણથી રમત તથા સોબતીઓ આંખ આગળ આવ્યાં; તેની જુવાની થતાં જે જે ઉમેદ તેના મનમાં આવી હતી, તથા જે જે શેખચલ્લીના વિચાર તેણે કર્યા હતા તે સઘળા એક પછી એક તેના સ્મરણ-સ્થાનમાંથી નીકળતા ગયા. તે પાટણમાં આવ્યો તે વખતે નિર્દોષ હતો, અને આ વખતે તેના મનમાં કેટલા ઊલટાસૂલટા વિચાર હારબંધ આવતા, તથા કેવું ભયંકર તોફાન થઈ રહેલું હતું ? જુવાનીનો રમણીય તથા આશાથી ભરપૂર વખત ગયો તે ફરીથી આવવાનો નથી. પાટણમાં થોડી વાર રહ્યા પછી તેની આશા સફળ થતી ગઈ, તે દરજ્જે ચઢતો ગયો, અને છેલ્લી વારે કરણને ગાદીએ બેસાડીને તેનો મંત્રી થયો, એ સઘળું હમણાં જ બન્યું હોય એમ તેને જણાયું. પછી આફતો આવી પડી; પોતાની પદ્મિની જેવી સ્ત્રી રૂપસુંદરીને રાજા લઈ ગયો; તેનો નાનો ભાઈ કેશવ તે ગડબડાટમાં માર્યો ગયો. તેની ભાભી ગુણસુંદરી સતી થઈ; તથા તે પોતે પોતાનો હોદ્દો છોડી એક ચોરની પેઠે સંતાતો રાજ્ય છોડી ઘણાં સંકટો ભોગવી દિલહીમાં આવ્યો. દિલ્હીમાં જે બનાવ બન્યો તે, તેની પાદશાહ સાથે મુલાકાત, પાદશાહની ગુજરાત જીતવાની કબૂલાત. એ સઘળું તેને એકદમ યાદ આવ્યું ત્યારે તેની છાતી ભરાઈ આવી. અને મનમાં એટલો તો ઉકળાટ થઈ આવ્યો કે તે આ વખતે એક નાના છોકરાની પેઠે મોટે અવાજે પુષ્કળ રડ્યો. પોતાના દેશ ઉપર મ્લેચ્છ લોકોને લઈ આવ્યો તેથી તેના મનમાંનું વેર તો તૃપ્ત થયું, પણ તેના અંતઃકરણમાં તેના આવા કામથી ઘણો પસ્તાવો થયા કરતો, તથા ઘણી જ શરમ લાગ્યા કરતી હતી. જગતના ઈતિહાસ ઉપરથી જણાય છે કે એ પ્રમાણે કરવામાં ાધવ કાંઈ એકલો ન હતો. અસલના વખતમાં બ્રિટન દેશમાં વારટિજર્ને જર્મનીથી સાકસન લોકોને, અને સ્પેનમાં કાઉટ જુલિયને આફ્રિકાથી મુસલમાન સરદાર મુસાને પોતાના રાજા ઉપર માધવના જેવા જ કારણને વાસ્તે વેર લેવાને તેડાવ્યા હતા, તે સિવાય સ્ત્રીહરણને લીધે ઘણા માણસોએ, રાજાની ખરાબી કરવા, પોતાના દેશને તથા લોકોને પરાયા લોકોને હાથ તાબે થવા દફીધા હતા. પોતાની સ્ત્રીના પતિવ્રતપણાનું અભિમાન એવું જ હોય છે; તે ભંગ કરનાર ઉર જુસ્સો પણ એવા જ પ્રકારનો હોય છે; તથા વેર પણ માણસના અંતઃકરણ ઉપર એટલા જ જોરથી અમલ ચલાવે છે. એ સઘળા માણસો પોતાનું વેર લીધા પછી પસ્તાય છે, ત્યારે માધવને ઉપર પ્રમાણે પશ્ચાત્તાપ થાય એમાં શું આશ્ચર્ય ? માણસના મનના બંધારણનો સ્વાભાવિક ધર્મ છે કે જ્યારે કોઈ પણ એક વિચાર ઘણો પ્રબળ થાય છે ત્યારે તે બીજી સઘળી વૃત્તિઓને નિર્બળ કરી નાખે છે. એ વખતે બીજી વૃત્તિઓનું કંઈ ચાલતું નથી; પણ જ્યારે તે બળવાન વિકાર શાંત થાય છે ત્યારે તેનું જોર નરમ પડે છે, અને તેથી તે નીચે બેસે છે, અને બીજા જે વિકારો દબાયેલા હતા તેઓ સઘળા જોર પકડી આવે છે, તેથી કરીને તે માણસને પાછળથી ઘણું દુઃખ થાય છે. એ પ્રમાણે માધવને બન્યું. એ સિદ્ધપુરના રુદ્રમાળની પગથાર ઉપર તે રાત્રે ફરતો હતો તે વખત વેરે તેનું મન વશ કર્યું હતું અને તેના મનની આં આંધળી થઈ હતી, હવે પછી તેની મતલબ પાર પડી, અને રાજા કરણ ઉપર મનમાનતી રીતે વેર લેવાનો સમય પાસે આવ્યો ત્યારે ડાહ્યા વિચારો આવવા લાગ્યા. તેનામાં આટલી વાર સુધી દેશાભિમાન તથા ધર્માંભિમાન દબાઈ ગયાં હતાં, પણ તેઓનો બિલકુલ નાશ થયો ન હતો. હવે જે ગુજરાત દેશમાં તેનો જન્મ થયો, જે દેશમાં તેની બાલ્યાવસ્થા ખુશી તથા આનંદમાં ગઈ, જે દેશમાં તેની જુવાનીમાં તેની ઊગતી આશાની કળીઓ ફૂટી, અંતે ફાટીને તે ઉપર ફૂલ આવ્યાં, જે દ ેશમાં તેની ન્યાતજાત, સગાંવહાલાં, ઓળખીતા, મિત્રો રહેતા હતા, જે દેશમાં તેણે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો, જ્યાંના રહેવાસી પોતાના સ્વદેશી કહેવાતા, જેઓ તેને એક વાર પોતાના પિતા સમાન ગણતા હતા, જેઓનું રક્ષણ કરવું તથા જેઓના સુખમાં વૃદ્ધિ કરવી એ તેનો મુખ્ય ધર્મ છે એમ તે જાણતો. તે દેશ તથા તે રહેવાસીઓનું સ્વતંત્રપણું હરી લેવા. દેશી રાજાને ઉઠાડી મૂકી પારકા રાજાનું રાજ્ય સ્થાપન કરવા, પોતાના દેશીઓને પગે બેડી પહેરાવવા, તથા હમેશાં માટે ગુજરાતને ગુલામગીરીની હાલતમાં નાખવાનો તેણે ઉપાય કર્યો તે વિચારથી તેને મહાકષ્ટ થતું. વળી ધર્મ તરફથજી પણ તેને થોડો પશ્ચાત્તાપ ન હતો. અગર જો શૈવ માર્ગી તથા જૈન માર્ગીઓ નિરંતર લડી મરતા હતા, અગર જો હિંદુ તથા જૈન લોકોના જુદા જુદા પંથો ઉંદર-બિલાડીની પેઠે એકેક ઉપર વૈરભાવ રાખતા, તથા જે જોરાવર હોય તે કમજોરને મારવાને પ્રયત્ન કરતા, અગર જો રાજાઓ પોતાપોતાના મતથી વિરૂદ્ધ માનનારા સઘળા લોકોને ઉપદ્રવ કરતા, તથા જુલમ કરી તેઓને તોડી પાડવાને મહેનત કરતા હતા, તોપણ તે સઘળી જુદી જ વાત હતી. તેઓ સઘળી એક ઝાડની શાખાઓ હતી. પણ હમણાં તો હિંદુઓના કટ્ટર શત્રુ તુરક લોકો ગુજરાત ઉપર આવેલા હતા, તેઓના ધર્મને ઉપર કહેલા સઘળા ધર્મ સાથે કાંઈ પણ સંબંધ ન હતો; બલકે હરેક ધર્મ સંબંધી તથા વ્યાવહારિક બાબતોમાં હિંદુ તથા મુસલમાન ઊલટા જ ચાલતા હતા. મૂર્તિના નામ ઉપર તેઓને ઘણો દ્વેષ હતો. શિવનું લિંગ, માતાની પ્રતિમા, તથા બીજા હિંદુ દેવની મૂર્તિઓ, તથા આદિનાથ તથા પારસનાથની મૂર્તિ, એ સર્વે તેઓની નજરમાં સરખી જ હતી. તેઓનો મત કુરાન કે તલવાર : દયા આવે તો સુન્નત કે જઝિયો. ધર્મ ઉપર તો જુલમ થવાનો જ, અને કોઈ દહાડો તેનો લય પણ થાય. દેવસ્થાનની મસ્જિદ થઈ જાય; જ્યાં હમણાં ઘંટ વાગતા તથા શંખનાદ થતા ત્યાં કોઈ વખત મૂલ્લાં બાંગ પોકારે; જે અધિકાર હમણાં બ્રાહ્મણો ભોગવતા તે હવે પી મુલ્લાં તથા સૈયદ ભોગવે; તથા જ્યાં હમણાં ‘રામરામ’ થતા ‘શિવશિવ’ એ શબ્દ સંભળાતા ત્યાં ‘અલ્લા અલ્લા’ તથા પેગંબરનું નામ સંભળાય, એ કાંઈ થોડી વાત ન હતી.

જે ધર્મમાં માણસ જન્મ્યો હોય જેમાં તે ઊછર્યો હોય, જેનો ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હોય, જેમાં તેણે આ લોકની આશા બાંધી હોય, સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હોય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે. તે ધર્મને નુકસાન લાગે તો પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણેક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈવાર તે ધર્મને અર્થે પોતાનો પ્રાણત્યાગ કરવાને પણ આંચકો ખાતો નથી. માણસના અંતઃકરણ ઉપર ધર્મની આટલી સત્તા છે તયારે માધવને તે વખતે જે કષ્ટ થતું હતું તે કેવળ સ્વાભાવિક જ હતું. વળી લડાઈની આફત તથા ખરાબી સઘળા જાણતા હશે, જેઓને તે વીતી નહીં હોય તેઓએ તે બાબતે સાંભળ્યું હશે, અથવા તેઓ કલ્પના કરી શકતા હશે. આવા સુંદર રળિયામણા તથા ફળવાન ગુજરાતને ઉજ્જડ કરી નંખાવવું, તેના રહેવાસીઓને કતલ કરાવવા, તથા લોકોનું જે દ્રવ્ય તથા મુલ્યવાન વસ્તુઓ તેઓએ શ્રમ કરી મેળવ્યાં હોય તથા ઘણું જતન કરી જાળવ્યાં હોય તે સઘળાં પારકે હાથે લૂંટાવા દેવાં, તથા તે સિવાય બીજી ઘણીક આફતો જે લડાઈથી દેશ ઉપર પડ્યા વિના રહેતી નથી તે સઘળી ગુજરાત ઉપર લાવવામાં સાધન થવું, એ વિચારથી જ માધવને ઘણી બેચેની થતી હતી, તથા તેની નિદ્રાનો અટકાવ થતો હતો.

સવાર પડી એટલે છાવણીમાં ગરબડાટ થઈ રહ્યો. સઘળા કૂચ કરવાને તૈયારો થયા, અને સૂર્ય ઊગ્યા પછી તરત લશ્કર આગળ ચાલ્યું. શત્રુનાં લાખો માણસો એ પ્રમાણે ગુજરાત ઉપર તીડનાં ટોળાંની પેઠે પડ્યાં, અને તે નુકસાનકારક જીવડાંની પેઠે તેઓના રસ્તામાં જે કાંઈ આવ્યું તેને ખરાબ તથા પાયમાલ કરતા ગયા. તે વખતે હોળીના દહાડા હતા. શિયાળો અને ઉનાળો દેશ પર સત્તા ચલાવવાને લડી મરતા હતા, અને લડી લડીને થાકીને તેઓએ સમાધાન કર્યું હોય એમ જણાતું હતું. દિવસે ઉનાળાનો તથા રાતે શિયાળાનો અમલ ચાલતો હતો. ખેતરમાં રવી, એટલે શિયાળાનો પાક હતો તેની કાપણી કરવામાં આવી હતી, અને તેથી તેમાં ખુંપરા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું ન હતું. ખેડૂત લોકો પોતાની મહેનતથી પરવારેલા હતા, તથા ખળીમાંના અનાજની પણ ધારા પ્રમાણે વહેંચણી થઈ હતી. આંબાનાં ઝાડ ઉપર મોર આવેલા હતા, તથા તે ઉપર કોયલ મધુરા સ્વરથી વસંતઋતુને આદરમાન આપતી હતી. ગામોમાં છોકરાં મોટેથી અપશબ્દો બોલીને તથા નિર્લજ્જ ચાળા કરીને હોળી માતાને પ્રસન્ન કરવાને યત્ન કરતા હતા, તથા મોટી ઉંમરના માણસો પણ ઘણી વાર તે છોકરાઓની સાથે હોળીની બેશરમ રમતમાં સામેલ થતા હતા. ઘણે ઠેકાણે ફાગ ખેલવાને કેસૂડાનાં ફૂલનો રંગ, ગુલાલ, અબીલ ઈત્યાદિ તૈયાર કરી રાખ્યાં હતાં. પણ તે વર્ષે ગુજરાતમાં તેના એક બાળકના કૃત્યથી જુદી જ રીતની હોળી ખેલાવાની હતી. હોળી માતાને આ વખતે ઘણી ભુખ લાગી હતી, અને તે શાંત કરવાને હજારો માણસનો ભક્ષ લેવાનો મનસૂબો તેણે કર્યો હતો. જ્યાં લોહી જેવા રાતા રંગના પ્રવાહની રેલ ચાલવાની ત્યાં કેસૂડાના રંગની શી જરૂર ? તથા ગુલાબઅબીલ શા કામનાં ! આ વર્ષે કાંઈ સ્ત્રીપુરુષ હેતથી ફાગ ખેલવાનાં ન હતાં. તેને બદલે લાખો હિંદુ તથા મુસલમાન સામસામા આવી એક ભયંકર હોળી રમવાના હતા. તેમાં પ્યારને બદલે દ્વેષ, તથા મોહને ઠેકાણે વેર હતું. હોળીના ઉત્સવના દિવસ આવ્યા જાણી લોકોમાં જે આનંદ ઊપજવો જોઈએ તેને બદલે આ વખતે તો તેઓનાં હૈયામાં ભડભડ હોળી બળવા લાગી હતી. શત્રુનું લશ્કર પાસે આવતું સાંભળીને, તથા કરણ રાજાએ પોતાનું સૈન્ય તૈયાર કરવા માંડ્યું તે જોઈને જ્યાં ત્યાં સઘળે ઠેકાણે હાહાકાર થઈ રહ્યો હતો. શહેરના તથા ગામોના દરવાજા દિવસને વખતે પણ બંધ રાખવામાં આવતા હતા; ઢોરોને શહેર તથા ગામોની માંહે ચરાવવા માંડ્યાં હતાં; સઘળા મરદો લડવાને અથવા નાસી જવાને તૈયાર થઈ રહી બુકાની બાંધીને ફરવા લાગ્યા હતા; સઘળાં સ્ત્રી-પુરુષો ઘણાં દુઃખી તથા ચિંતાતુર દેખાવા લાગયાં હતાં. ગામડાંના લોકો પોતાનું અનાજ તથા જે થોડાઘણા પૈસા હતા તે સઘળા દાટીને, તથા કૂવા અને વાવો બની શકે તેટલાં પૂરી નાખીને, પોતાનાં ગામ ઉજ્જડ કરી આગળ ચાલ્યાં જતાં હતાં. એ રીતે જેમ જેમ પાદશાહી લશ્કર આવતું ગયું તેમ તેમ નાસતા લોકોનો સમુદાય વધતો ગયો. બાળક, જુવાન અને ઘરડાં, સ્ત્રીઓ તેમજ પુરુષો, પોતાનાં પ્યારાં ગામોને બળતાં જોતાં, રડતાં તથા શોક કરતાં આગળ ચાલતાં. તેઓમાંથી ભુખ, તરસ તથા પૈસાની તંગી અને એવાં બીજાં કારણોથી રસ્તામાં સેંકડો મુડદાં થઈ અથવા માંદા થઈ પડતાં, અને પાછળ શત્રુ પાસે જ હોવાથી તેઓને તેમનાં તેમ મૂકી બીજાં પાટણમાં જલદીથી જઈ પહોંચવાને દોડાદોડ કરી રહ્યાં હતાં. જેઓ રાજાના લશ્કરમાં લડવાને ગયા હતા તેઓ પણ ઘણા જ દુઃખનું કારણ થઈ પડ્યા હતા. કોઈ ઘરડી ડોશી જેનો એકનો એક છોકરો લડાઈ ઉપર ગયો હતો તે જીવતો પાછો આવશે નહીં એ શંકાથી તે બિચારી નિરંતર રડ્યા જ કરતી, તથા તે મરશે તો તેનું આવી દુર્બળ અવસ્થામાં કોણ ગુજરાન કરશે, એ દુઃખથી તેનું અંતઃકરણ વીંધાઈ જતું હતું. કેટલાક તો ડોસાડોસીઓની ઘડપણની લાકડી તથા આંધળાની આંખ જેવા છોકરા લડવા ગયેલા તેથી તેઓ બિચારાં ઘણાં જ શોકાતુર દેખાતાં હતાં. કેટલીક સ્ત્રી પોતાના ભાઈ ભત્રીજા વગેરેને વાસ્તે દુઃખ કરતી હતી. કેટલીક જુવાન સ્ત્રીઓ જેઓ તરત પરણી હતી, જેઓએ સંસારનું સુખ માત્ર ચાખવા માંડ્યું હતુ, જેઓ ધણી-ધણિયાણીને સાંકળી દેનાર છોકરાં રૂપી બંધનથી બંધાયાં ન હતાં, જેઓની દુનિયાની ખુશી હજી ઊગતા સૂરજની પેઠે ક્ષિતિજમાં જ હતી, જેઓની સંસારને લગતી હજારો આશાઓ મનમાં જદ ફક્ત રહેલી હતી, તે સ્ત્રીઓના ભરથાર લડાઈ ઉપર ગયેલા તેથી તેઓના ભવિષ્ય ઉપર એક અંધારો પડદો વળ્યો, તેઓની આશા મનમાં ને મનમાં જ રહી ગઈ, તથા તેઓના સુખના સૂરજ ઉપર એક મોટું વાદળું ફરી વળ્યું હતું. બીજી કેટલીક કન્યાઓ, જેઓ હજી પરણેલી ન હતી, પણ જેઓના ધણી નક્કી થયેલા હતા, તેઓ જ્યારે હસ્તમેળાપ કર્યા વિના મ્લેચ્છ તુરકડા સાથે તલવારની રમત રમવા ગયા, ત્યારે તે બિચારી અબળાના દુઃખનો કાંઈ કાઠો જ ન હતો. તેઓનું સંસારી સુખ તો સ્વપ્નમાં જ આવ્યું અને ગયું; તેઓની પ્રીતિની ઊગતી કળીઓ લડાઈ રૂપી હિમ પડવાથી બળી ગઈ; તેઓની આગળની આશા તો ભવીષ્ય ઉપર રહી, અને હવે પછી તેઓનું શું થશે તેની વાંચનારાઓએ જ કલ્પના કરી લેવી. સુખમાં એ પ્રમાણે ભંગાળ પડ્યું, સુખદાયક તડકામાં એકાએક વાદળ ચઢી આવ્યું, અને ભયાનક વીજળી તથા ગડગડાટ સહિત વરસાદનું એક મોટું ઝાપટું આવવાનો સમય આવ્યો.

હવે પાટણ શહેરમાં કેવી ગડમથલ થઈ રહી હતી તે ઉપર આપણે નજર કરીએ. લશ્કરમાં જેઓ ગયા હતા તેઓનાં માબાપ, છોકરાં, ધણિયાણી તથા બીજાં સગાંસંબંધીઓને ઉપર બતાવ્યા પ્રમાણે દુઃખ થયું હતું. મોટા મોટા વેપારીઓ જેઓએ છળભેદથી તથા હિંમત ચલાવી સાત પેઢી સુધી પહોંચે એટલીું ધન ચાંચવે પાવડે ઉસેડ્યું હતું, તે ધન જોઈને તેઓની આંખમાંથી આંસુની ધાર ચાલતી, અને તેનું શું થશે તે બાબત તેઓ મહા ફિકરમાં પડ્યા હતા. તેઓએ ભોંયમાં મોટા ખાડા ખોદીને સઘળી તેઓની દોલત દાટી, અને આગળ શું થાય છે તેની રાહ જોતા બેઠા. સઘળા નાના વેપારીઓએ પણ એ જ પ્રમાણે કર્યું. દુકાનદારો પોતપોતાના દેવની ભક્તિ કરવા લાગ્યા, અને મ્લેચ્છ શતુરનો એકદમ નાશ થાય, રાજાનો થાય, ધર્મનું રક્ષણ થાય; અને ગુજરાતનું દેશી રાજ્ય કાયમ રહે, તેને માટે ધર્મને લગતા હજારો ઉપાયો સઘળા કરવા મંડી પડ્યા હતા. એ પ્રમાણે સઘળા લોકોમાં ચિંતા પથરાયેલી હતી, તોપણ શહેરમાં કેટલાક લોકો ઘણા આનંદમાં દેખાતા હતા, જેઓની પાસે કાંઈ ન હતું, એટલે જેઓને લૂંટાવાનો કંઈ ભય ન હતો, જેઓને આવી ઊથલપાથલમાં ઘણો લાભ મળવાની ઉમેદ હતી, તથા જેઓ દેશની દોલત સામાનય મિલકત માનતા, અને પારકા તથા પોતાનામાં કાંઈ ભેદ ન ગણાતા, જેઓ અગર મહેનતે પોતાનું ગુજરાન ચલાવતા, તથા મધપૂડા રૂપી જગતમાં આળસુ મધમાખીઓની પેઠે બીજાનું મેળવેલું મધ પોતે ખાઈ જતા; તેઓને આ વખતે ખુશીનો કંઈ પાર જ ન હતો. તેઓની તો ખરી મોસમ આવી હતી, અને તેનો લાભ લેવાને તેઓ તૈયાર થઈ બેઠા હતા. શહેરમાં આસપાસનાં ગામોના લોકો આવી ભરાયા હતા, તથા સઘળું લશ્કર પડ્યું હતું તેથી તેમાં તલ પડે એટલી જગા રહેલી ન હતી. ઘણા લોકો મેદાનમાં પડ્યા હતા, કેટલાક લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા હતા, અને કેટલાકે ઘણાં ભારે ભાડાં આપી ઘરો લીધાં હતાં. સઘળા લશ્કરને ડેરાતંબૂઓ તાણીને તેમાં રાખેલું હતું. એ પ્રમાણે પાટણ સઘળું ખીચોખીચ ભરાઈ ગયું હતું. તે સઘળાઓને ખાવાનું જોઈએ તેથી સઘળી ખાવાની જણસોનો ભાવ ઘણો જ વધી ગયો હતો, અને તેને લીધે બીજી સઘળી વસ્તુઓ પણ તેવી જ મોંધી વેચવા માંડી હતી. એવી મોંઘવારીને લીધે ગરીબ લોકો ઘણું દુઃખ પામવા લાગ્યા, અને કેટલાંક ભૂખગસ મરવા જેવાં થયાં. દુઃખના ઢગલા ઉપર વળ્યા, તેથી સઘળા લોકો લડાઈનો જેમ બને તેમ જલદીથી અંત આવે તે જોવાને ઘણા આતુર હતા.

દરબારમાં પણ ખળભળાટ થઈ રહ્યો હતો. સઘળા મંડળેશ્વરો પોતપોતાના તાબાનાં માણસો લઈને આવ્યા હતા. મંડળિક રાજાઓને મદદ લઈ આવવાને જાસૂસો મોકલ્યા હતા; પણ તેઓને આવતાં વાર લાગશે એમ જાણીને તેઓની તરફથી રાજાએ ઘણો ભરોસો રાખ્યો ન હતો. બહારના જુદા જુદા સ્વતંત્ર રાજાઓના સંધિવિગ્રહિક લોકોએ પોતાના રાજાઓને લખવાને કબૂલાત આપી હતી; પણ એવા સાતપાંચની મદદથી લડાઈમાં જય મેળવવો એમાં કાંઈ પ્રતિષ્ઠા નહીં, તેમજ લડાઈમાં બહાદૂરી બતાવી પોતાનું નામ અમર કરી લેવાની કરણ રાજાની ઈચ્છા હતી, અને જો બહારથી સહાયતા આવે તો તે ઈચ્છા પાર પડે નહીં, તેથી તે સંધિવિગ્રહિક લોકોનો ઉપકાર માની તેઓની તરફથી મદદ લેવાની તેણે ના કહી હતી. રાજા કરણ ઘણા જ ઉમંગમાં હતો. તેની સર્વ શક્તિઓ જે આજ લગી વાપરવામાં ન આવ્યાથી નિદ્રાવશ થઈ ગઈ હતી, સઘળી હવે જાગ્રત થઈ. રાજ્યકારભારમાં તેની સુસ્તી જણાતી હતી તે હવે ઊડી ગઈ. જેમ માછલી પાણીમાં, પક્ષી હવામાં, તથા ભૂચર પ્રાણીઓ જમીન ઉપર જ પોતપોતાનું બળ બતાવી શકે છે, પણ તેઓને તેમની નીમેલી જગામાંથી બહાર કાઢ્યાં એટલે તેઓ નિર્બળ દેખાય છે, તેમ જ્યારે હમણાં લડાઈનો પ્રસંગ આવ્યો ત્યારે જ કરણ રજાનું ખરું રૂપ પ્રકાશી નીકળ્યું. તેણે લડાઈની સર્વ તૈયારી ધમધોકાર કરવા માંડી, અને તે કામમાં તેણે આખો દહાડો અને રાતનો ઘણો ભાગ જાતે મહેનત કરી. પછી મુસલમાન લોકોનું લશ્કર પાટણની પાસે આવતું જાય છે એમ જાણી તેઓની સાથે લડવા જવાને શહેરમાંથી જલદી કૂચ કરવી એવો તેણે ઠરાવ કર્યો. પોતાનો મબસૂસો અમલમાં લાવતાં પહેલાં તેણે પોતાના સઘળા મંડળેશ્વર તથા મુખય સામંત સરદારોની એક સભા કરી, તેમાં કેવી રીતે લડાઈ કરવી, તથા રાજ્યનો બચાવ શી રીતે કરવો તે વિષેનો પ્રશ્ન કર્યો. તે વખતે સઘળા વૃદ્ધ અને શાણા સરદારોએ તેને સલાહ આપી કે મંડળિક રાજાઓ પોતપોતાનાં લશ્કર લઈને આવે ત્યાં સુધી આપણે પાટણના કિલ્લામાંથી બહાર જવું નહીં; એટલા વખતમાં મુસલમાનોનું લશ્કર આવશે, અને શહેરને ઘેરો ઘાલશે, તો તેઓનો નિશ્ચય નાશ થયો એમ જાણવું. જ્યારે મંડળિક રાજાઓ આવી પહોંચશે ત્યારે તેઓ પાછળથી તેઓના ઉપર હુમલો કરશે, તે જ વખતે આપણે પણ કિલ્લામાંથી નીકળીને આગળથી તેમના ઉપર હુમલો કરીશું, જ્યારે એ પ્રમાણે તેઓ બંને તરફથી સપડાશે ત્યારે તેમને બચવું ઘણું મુશ્કેલ થઈ પડશે. અને તેઓ સઘળા નક્કી માર્યા જશે. જો કદાચ આપણી તેમાં હાર થઈ તોપણ પાછા કિલ્લામાં ભરાઈ જવું બની આવશે. અને ત્યાં રહી આપણે તેઓને થકવી નાખીશું. તેઓનું લશ્કર મોટું છે ખરું, પણ તેઓની પાસે મજબૂત તથા મોટા કિલ્લા લેવાને જોઈએ તેવો તથા તેટલો સામાન નહીં હોય, તેમ એટલા બધા માણસોને ઘણા દહાડા સુધી ખોરાક પૂરો પાડી શકાશે નહીં તેથી તેઓના માણસોમાંથી કેટલાક ભૂખે મરી જશે, અને બીજાઓ નાહિંમત થઈ જશે, અને અંતે નિરાશ થઈ તેઓને દેશ છોડી જતાં રહેવું પડશે, એવી અમારી સઘળાની સલાહ છે.

આ વિચાર કરણ રાજાને જરા પણ ગમ્યો નહીં. તે બોલ્યો : ‘‘તમારી સલાહ’’ ઘણી ડહાપણભરેલી તથા ફાયદામંદ છે ખરી, પણ તે પ્રમાણે ચાલવું આપણા લોકોને યોગ્ય નથી. શું આપણે બાયડીઓની પેઠે ઘરમાં ભરાઈ બેસીએ ? શું લડાઈમાં જીતવા જેટલું સામર્થ્ય નથી ? જો કદાપિ આપણો એક લડાઈમાં પરાજય થાય તોપણ શું આપણે એવા નિર્બળ થઈ જઈશું કે તેઓની સાથે બીજી લડાઈ કરી શકીશું નહીં ? શું રજપૂતોમાંથી પાણી ગયું ? શું તેઓનું શૂરાતન ડૂબી ગયું ? શું તેઓ ઘાસ ખાય છે ? શું આપણે આળસમાં પડી વાણિયા વેપારીઓ જેવા કાયર થઈ ગયા ? આપણી આગળના રાજાઓએ જે શૌર્ય દેખાડ્યું છે તે સઘળું શું વ્યર્થ સમજવું ? જો આપણે ક્ષત્રિય થઈને રાંડીરાડ ડોશીની પેઠે ખૂણો પકડી બેસીએ તો આપણે પુરુષ નહીં પણ વ્યંઢળ જાણવા. રાજપૂતોએ શત્રુથી બીવું ! એમ કદી થાય નહીં. શૂરા સામંત સરદારો ! આજ તમારી અક્કલ ઠેકાણે નથી, તમે તમારી સ્ત્રીઓની મસલત લીધી હશે, નહીં તો રજપૂત થઈ આવાં વચન તમે બોલો નહીં. એ ચંડાળ લોકોએ વગર કારણે એક બ્રાહ્મણના કહેવાથી સૂતો સિંહ જગાડ્યો છે; તેઓએ સાપના મોંમાં હાથ ઘાલ્યો છે; કાળને ખીજવી બોલાવ્યો છે; અને મોત પોતાને હાથે માગી લીધું છે. તેઓને દટાવાને પોતાના દેશમાં જગા ન મળવાથી આપણે ત્યાં આવ્યા છે. માટે હવે કાગડા, સમડી તથા ગીધને મોટી ઉજાણી મળશે, તેઓનું આપણાં ખેતરો તથા વાડીઓમાં સારું ખાતર બનશે, અને વળી આવતે સાલ જ્યારે પાક સારો થશે, ત્યારે તેઓને મારવાને જ જાણે પરમેશ્વરે જ મોકલ્યા એમ માની ખેડૂતો ભગવાનનો પાડ માનશે માટે લડવું, લડવું ને લડવું. કિલ્લામાં ભરાઈ બેસવું નહીં, પણ આપણી તલવાર ઉપર તથા સત્ય ઉપર ભરોસો રાખી રણસંગ્રામમાં ઊતરવું, પછી જે થાય તે ખરું. બાયડીઓની રીત પકડી જીતવું તે કરતાં લડાઈમાં પડવું એ લાખ દરજ્જે સારું છે.’’

સામંતોએ રાજાની વાત સાંભળી લીધી; તેઓ પણ રજપૂત હતા, તથા તેઓમાં હિંમતની કાંઈ કસર ન હતી, તેથી તેઓનું લોહી પણ લડાઈની વાતો સાંભઈળીને ઊકળી આવ્યું, અને તેઓની તરફથી હરપાળ ઘણા જુસ્સામાં બોલી ઊઠ્યો : ‘‘રાજાધિરાજ ! તમારી સાથે રણસંગ્રામમાં આવવાને અમને જરા પણ ડર નથી; તેમ કરવામાં અમને ઘણી ખુશી છે; પણ જે કામ કરવું તેમાં પાછળથી દુનિયા આપણા સઘળાને મૂર્ખ કહે એ વાતનો વિચાર કરવો જોઈએ. શત્રુની સામે વર્તવાને હિંમતની સાથે ડહાપણ પણ જોઈએ. લડાઈ કરવામાં કાંઈ હરકત નથી; પણ ન કરે નારાયણ ને જો તેમાં આપણે હાર્યા, અને બીજી વાર લડવાની આપણામાં શક્તિ રહી નહીં, તો એક સપાટામાં આખું રાજ્ય આપણા હાથમાંથી જતું રહે, અને પછી ગુજરાતના લોકો સદા આપણી કસૂર કાઢે, તથા નિરંતર આપણી નિંદા કર્યા કરે, તે ઉપર વિચાર કરી અમે સલાહ આપી. પણ જો તમને તે પસંદ ન હોય, જો તમારી મરજી મેદાનમાં તેઓની સાથે યુદ્ધ કરવાની હોય, તો અમે સઘળા તૈયાર છીએ. જોશીઓને બોલાવી મુહૂર્ત પૂછવું અને શુભ દિવસે અત્રેથી કૂચ કરવી. અંબામા તથા તેત્રીસ કરોડ દેવતાઓ આપણને સહાય થશે.’’ એમ કહી તે જોરથી ખંખાર્યો તથા સઘળાઓએ પોતપોતાની મૂછ ઉપર તાલ લીધી.

જે દહાડાનું જોશીઓએ મુહૂર્ત આપેલું હતું તે દહાડે સવારે રાજા ટોપ તથા બખતર સજીને તથા લડાઈનાં સઘળાં શસ્ત્ર બાંધીને તૈયાર થયો. સઘળા સરદાર તે જ પ્રમાણે થઈ ઊભા રહ્યા. રાજ્યગોરે રાજાને કપાળે ટીલું કર્યું તથા આશીર્વાદ દીધો. ભાટ લોકો રાજાના મનમાં શૂર ચઢાવવાને કવિત બોલવા લાગ્યા. બારણા આગળ મોતીના સાથિયા પુરાયા. ચોગાનમાં સઘળું લશ્કર તૈયાર થઈ ઊભું રહ્યું. દશ હજાર સવાર, પાંચસો હાથી, વીશ હજાર પાયદળ, પાંચસો રથ, એટલાં લડવાનાં સાધન હતાં. કરણ રાજા જ્યારે પોતાના કવચવાળા હાથી ઉપર સવાર થયો, ત્યારે જયજયકારનો નાદ થઈ રહ્યો; શંખનાદ જોરથી થયો; નોબત ગડગડી; થા બીજાં રણસંગ્રામનાં વાજિંત્રો વાગ્યાં. રાજા તથા લશ્કરને જોવાને શહેરમાં લોકોની અથાગ ભીડ થઈ હતી. તેઓ સઘળા લડાઈને પરિણામને વાસ્તે ઘણા ચિંતાતુર દેખાતા હતા. રાજાનું સૈન્ય આટલું થોડું જોઈને તેઓને ઘણો ભય લાગતો હતો. અને જેમ હાથીઓના ટોળામાં એક વાઘના બચ્ચાનુંઅંતે કાંઈ ચાલે નહીં, તેમ એ સૈન્ય આખરે કપાઈ જશે, એવી દહેશત લોકોને રહેતી હતી. તોપણ શૂરા કરણ રાજાને જોઈને તેઓને ઘણો ઉમંગ આવ્યો. તેનો સાદો લડાઈનો પોશાક તથા શૂરથી ભરપૂર આંખ જોઈને તેઓ સઘળા ઈન્દ્રજિત અથવા અર્જુન જોડે તેનો મુકાબલો કરવા લાગ્યા. રસ્તામાં તેના ઉપર ફૂલ તથા ફળની વૃષ્ટિ તેઓએ કરી. તેના હાથી આગળ ફૂલો વેરાતાં ગયાં, તથા તેના જયને વાસ્તે સઘળા લોકોના આશીર્વાદ સહિત કરણ રાજા શહેરની બહાર નીકળ્યો. એ પ્રમાણે રાજાએ એક દહાડામાં, ઘણા દહાડાનાં તેનાં કામોથી થયેલી લોકોની અપ્રીતિ દૂર કરી. શૌર્ય એ ઘણો વિચક્ષણ ગુણ છે, તે હજારો અવગુણને ઢાંકી નાખે છે. અંગળ તથા હિંમતથી લોકો એટલા સાનંદાશ્ચર્ય પામે છે કે ગુણ સિવાય બીજા તેઓની નજરમાં આવતા જ નથી. જગતમાં જે જે શૂરા પુરુષોએ પોતાની બહાદુરીથી દુનિયામાં માત્ર ખરાબી જ કરી છે તેઓનાં નામનો નાશ થવાને બદલે તેઓ અમર રહી ગયા છે, અને જગતના મહાન ખૂનીઓમાં કેટલાક દેવની પેઠે પૂજાય છે, અને કેટલાકનાં નામ દુનિયામાં દીવા જેવાં થઈ પડ્યા છે.

કરણ રાજાએ પોતાના લશ્કર સહિત છાવણી કરી, તેની બે બાજુએ પહાડ હતા, અને પાછળથી નદી વહેતી હતી. એવે ઠેકાણે સઘળું લશ્કર ગોઠવીને લડાઈની રાહ જોતો તે ત્યાં રહ્યો. બીજે દહાડે મુસલમાન લશ્કર આવી પહોંચ્યું, અને કરણનું લશ્કર ક્યાં પડ્યું છે તેની અલફખાંને આગળથી ખબર મળી હી તેથી તે પણ પોતાના લશ્કરની ગોઠવણ કરી લડવાની તૈયારી કરી આવેલો હતો. બપોરની વખતે બંને લશ્કર સામસામાં થયાં. મ્લેચ્છનું લશ્કર દશગણું મોટું જોઈને રજપૂત સિપાઈઓ જરા નાહિમ્મત થયા, અને એ ભય તેઓમાં કાયમ રહેશે તો લડાઈમાં ઘણાં માઠાં પરિણામ થશે એમ જાણી કરણ આગળ નીકળ્યો, અને સઘળા સિપાઈઓની આગળ તેણે નીચે પ્રમાણે ભાષણ કર્યું -

‘‘આજે દાનવો તથા માનવોની વચ્ચે યુદ્ધ થવાનો પ્રસંગ આવ્યો, તેમાં દાનવો બળવાન દેખાય છે તથા તેઓની સંખ્યા ઘણી જ વધારે છે; તોપણ એ દુષ્ટ લોકોને ભગવાન સહાય થશે, એમ તમારે કદી ધારવું નહીં. જગતમાં સતય છે તે જ ઈશ્વર છે, એમ સતય આખરે જય પામ્યા વગર રહેતું નથી. એ મ્લેચ્છ તુરકડા લોકોની આયુષ્યની દોરી તૂટવાનો વખત આવ્યો હશે ત્યારે જ તેઓ ન્યાયાન્યાય વિચાર્યા વિના પારકા દેશને ઉજ્જડ કરવાને મોટું લશ્કર લઈને આવ્યા છે; પણ પરમેશ્વરની કૃપાથી તેઓમાંનો એક પણ તેના સોબતીઓના સમાચાર કહેવાને પાછો પોતાને દેશ જનાર નથી. સત્ય આપણી તરફ છે તેથી પરમેશ્વર પણ આપણા જ પક્ષમાં છે, એમ જાણવું. રણસંગ્રામમાં કેમ લઢવું એ રજપૂતોને કહેવાની જરૂર નથી. આપણે સઘળા ક્ષત્રિયવંશના છીએ. આપણા વૃદ્ધોએ મોટાં મોટાં યુદ્ધો કરેલાં છે. કુરુક્ષેત્રની લડાઈમાં અઢાર દિવસ સુધી લડ્યા છે. તેઓના શૂરાતનની કીર્તિ આખા જગતમાં પથરાયેલી છે. તે રજપૂતો પોતાના બાપદાદાનાં નામ બોળી આવા રાની સિપાઈઓથી બીશે, એવો જરા પણ સંભવ નથી. આપણે આ સમયે આપણા વહાલા દેશને સારુ લડીએ છીએ. આપણી જાતને વાસ્તે, આપણા ઘરને વાસ્તે, આપણાં છૈયાંછોકરાંને વાસ્તે, આપણી સ્ત્રીઓના પતિવ્રતપણાના રક્ષણને અર્થે, આપણા અનાદિ ધર્મના બચાવને સારુ, આપણને જે જગતમાં વહાલામાં વહાલું છે તેને વાસ્તે યુદ્ધ કરીએ છીએ. એ વાત લડતી વખતે સઘળા મનમાં રાખજો. મરવું તો એક વાર છે જ, માટે રણસંગ્રામમાં શા માટે મોતથી બીવું ? હું આકાશ તરફ જોઉ છું ત્યારે અપસરાઓ શૂરા રજપૂતોને વરવાને ફૂલની વરમાળા હાથમાં લઈ તૈયાર થયેલી મારી નજર પડે છે. ખોપરીઓનો હાર કરવાને શિવજી પોતે પધારેલા છે; તથા તેના અગણિત ગણો, ભૂત, પીશાચ વગેરે મોટી ઉજાણી કરવાને આવેલા છે. જોગણીઓ લોહી પીવાને ઊભી રહેલી છે. દેવતાઓ લડાઈનું પરિણામ જોવાને તત્પર થઈ રહેલા છે. એ સઘળાઓની સમક્ષ આપણે લડીએ છીએ, તેઓની આંખ આપણી ઉપર છે; માટે રે શુરા રજપૂતો ! તમારા ક્ષત્રિય નામનું આજ સાર્થક કરો. કોઈ વખત કૂતરાએ વાઘને હરાવ્યો હશે, પણ તે તો ચમત્કાર જાણવો, એવું કાંઈ હમેશાં બનતું નથી, માટે ધૈર્ય ધરીને આજ એ ચંડાળ શત્રુઓના કાપી કકડે કકડા કરો; અને તેમ કરી આખા ભારતખંડમાંથી એ તુરકડાઓનો ભય મટાડો.’’

રાજાનું આવું ભાષણ સાંભળી સઘળા સિપાઈઓને આવેશ આવ્યો અને તેના જવાબમાં એક મોટો પોકાર કરી તેઓએ આખી રણભૂમી ગજાવી મૂકી, તે સાંભળી સઘળા તુર્ક સિપાઈઓ થરથર ધ્રૂજવા લાગ્યા. આ વખતે તેઓને હિંમત આપવાને અલફખાં આગળ આવ્યો ને બોલ્યો : ‘‘પાકદીનના સિપાઈઓ ! તમે સઘળા પોતાનાં ઘર તથા કુટુંબીઓ મૂકીને દૂર દેશ આવ્યા છો, તેમ કરવાની મુખ્ય મતલબ બે છે. પહેલી અને સઘળાથી અગત્યની તો એ કે કાફર લોકને ખરા દીનમાં લાવવા, તેઓનાં દહેરાં તોડી પાડી ત્યાં મસ્જિદો બાંધવી, તેઓની મૂર્તિઓ ભાંગી નાખવી, અને ‘‘લાઈલાહા ઈલ્‌ઉલ્લાદ્‌ મહમ્મદુર રસૂલ અલલાહ’’નો કલામ સઘળે પથરાવવો. બીજી મતલબ આપણું રાજ્ય વધારવું. આપણી કીર્તિ ફેલાવી, આપણા પાદશાહની આબરૂ વધારવી, તથા આપણી દોલતમાં વધારો કરવો. એ બે મતલબ પાર ન પડે, જો અલ્લાતાલાના હુકમથી આપણી હાર થાય, તો નાસવાની કાંઈ જગા નથી એમ તમારે નક્કી જાણવું. આ ઠેકાણે જીતવું કે મરવું. નાસવાનો કાંઈ લાગ નથી; અને નાસવું શા સારું ? શું આપણા સિપાઈઓએ કોઈ ઠેકાણે હાર ખાધેલી છે ? શું કાફરોને આપણે હજારો લડાઈઓમાં હરાવ્યા નથી ? ત્યારે આ વખત શા સારું બીવું ? શું કૂતરાના ભસવાથી વાઘ ડરે છે ? કદી નહીં. માટે રે બહાદુર સિપાઈઓ, આ મુડદાં જેવાં લોકો તમારી સામા મરવા આવ્યા છે તેઓને ભાતનાં છાલાંની પેઠે ઉડાવી દો, અને તેઓનો દેશ સર કરી તેઓની અગણિત દોલત તમારે વાસ્તે લઈ લો. જોજો સિપાઈઓ ! ઉપરથી અલ્લાતાલા તથા હઝરત પેગંબર સાહેબ તમારી લડાઈ જુએ છે. સઘળા ફિરસ્તાઓ આપણને મદદ કરવાને આવ્યા છે. માટે તેઓને એમ લાગે એવું કામ આજ કરશો તો ક્યામતને દહાડે તમારા હાલ ઘણા જ બુરા થશે.’’

મુસલમાન સિપાઈઓનો ધર્મ સંબંધી જુસ્સો બહાર નીકળ્યો તેથી તેઓ ‘‘અલ્લાહો અકબર’’ એવી મોટી ભયંકર ચીસ પાડી ઊઠ્યા. તે વખતે કરણ રાજા મોટા આવેશથી બહાર મેદાનમાં આવ્યો, ને અલફખાં તરફ મોં ફેરવી બોલ્યો : ‘‘જ્યારે હાથી હાથી લડી મરે છે ત્યારે નાનાં નાનાં જાડોનો વગર કારણે ક્ષય થાય છે. તમારા પાદશાહને ગુજરાત લેવું છે અને મારે તે રાખવું. પરિણામે જે નીપજશે તેમાં બિચારા સિપાઈઓને કાંઈ લાભ થવાનો નથી. તયારે તેઓ શા સારુ માર્યા જાય ? માટે તમારામાંથી કોઈની માએ શેર સૂંટ ખાધી હોય તે મેદાન પડો. હું ને તે બે એકલા યુદ્ધ કરીશું. જો હું જીતું તો તમારે દેશ છોડી ચાલ્યા જવું. અને હું મરું, તો મારું લશ્કર પણ તે જ પ્રમાણે કરશે, અને ત્યારથી આખું ગુજરાત તમારું જાણવું.’’ મુસલમાન લશ્કરમાંથી કોઈએ જવાબ દીધો નહીં, તેથી રજપૂત સિપાઈઓએ હર્ષની બૂમ પાડી, તે સાંભળી અલફખાં બોલ્યો : ‘‘જેવી એ કાફર પોતાની જિંદગીની કિંમત હલકી ગણે છે તેવી આપણે ગણતા નથી. આપણને આ જ હાથથી મોટાં કામો કરવાને ખુદાએ મોકલેલા છે. તે કામ પાર પાડ્યા વિના આપણે જિંદગી વગર જરૂરે ફેંકી દેવી જોઈતી નથી. વળી રાજા મુઆ પછી તેનું લશ્કર લડશે નહીં એવો કોનો ભરોસો ? માટે ધારા પ્રમાણે લડવું જોઈએ. પછી જે થાય તે ખરું.’’ એટલું કહી સામા લશ્કરને તેની જગાએથી ખસેડવાને તેણે તેના માણસોને હુકમ આપ્યો.

‘‘અલ્લાહો અકબર’’ની ચીસ પાડી મુસલમાન સિપાઈઓ આગળ ધસ્યા, અને રજપૂતોને તેઓની જગાએથી હડસેલવાને ઘણા પ્રયત્ન કર્યા, તેઓ પહાડની પેઠે જડ થઈ ઊભા રહ્યા. લડાઈ ઘણી ભારે ચાલી. ચોમાસામાં પવનના જોરથી વાદળાં સામસામાં અથડાય છે તેમ તે બંને લશ્કરો અથડાયાં. તલવારોના ખડખડાટથી કાન બહેર મારી ગયા; તેઓના વીજળીના જેવા ચળકાટથી આંખ ઝંખવાઈ ગઈ; તીર તો આકાશમાં એટલાં ઊડી રહ્યાં હતાં કે તેમાંથી કોઈ પક્ષીથી પણ જવાતું નહીં, અને વરસાદની પેઠે તેઓ નીચે પડતાં હતાં. જમીન ઉપર લોહીની રેલ ચાલી; યોદ્ધાઓની ચીસથી ત્યાં કાંઈ પણ શબ્દ સાંભળ્યામાં આવતો ન હતો. એ બધા ગડબડાટની સાથે ઘાયલ સિપાઈઓ ધૂળમાં રગદોળાતા હતા, તથા તેઓને તેમના ઘાથી દરદ થતું તે સઘળાના કષ્ટથી તેઓ બૂમાબૂમ પાડી રહ્યા હતા; બંને તરફના માણસો સેંકડો મૂઆ, પણ રજપૂત સિપાઈઓએ પોતાના ધારા પ્રમાણે તથા પોતાના ધર્મ પ્રમાણે પીઠ ફેરવી નહીં. કરણમાં જાણે ભૂત ભરાયું હોય તેમ જણાતું હતું. તેની આંખ ખૂનથી ભરેલી લાલચોળ થઈ ગઈ હતી. તે પોતાની તેજસ્વી તલવાટ વડે ચોતરફ ફળી વળ્યો, અને જે તેના સપાટામાં આવ્યું તેના બે કકડા કર્યા વિના રહ્યો નહીં. એક વાર તેનો હાથી મરી ગયો, ત્યારે તે ઘોડા ઉપર સવાર થઈને લડ્યો. તે ઘોડો પણ કતલ થઈ ગયો ત્યારે તે પાયદળ સિપાઈઓમાં સામેલ થયો, અને પોતાના શરીરની કાંઈ ફિકર રાખ્યા વિના એક સાધારણ સિપાઈની પેઠે લડ્યો. જ્યારે રાજાના ઉપર ઘણાં તી પડવા લાગ્યાં, જ્યારે તે એક બે ઠેકાણે ઘાયલ થયો જ્યારે કેટલાકે તેને ઓળખીને જાણ્યું કે તે જો વધારે વાર સુધી આ ઠેકાણે રહીને યુદ્ધ કરશે તો બેશક માર્યો જશે, ત્યારે તેને સમજાવીને તેને એક ઘોડો આપ્યો, અને સવારોની હારમાં મોકલી દીધો. રાજાની આવી બહાદુરીથી તેના સામંતો પણ તેવી જ હિંમતથી લડ્યા, અને સાધારણ સિપાઈઓ પણ મરણિયાની પેઠે મોતનો ડર જરા પણ ન રાખતાં પોતાનાં શસ્ત્ર નિર્દયપણે વાપરવા લાગ્યા. મુસલમાન લશ્કરમાં માણસો થાક્યાં; તેઓમાંનાં ઘણાંએ ધૂળ ચાટી; ઘણાં જખમી થયાં; પણ રજપૂતો ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેઓ હઠીને પાછા પોતાને ઠેકાણે ગયા. થોડી વાર સુધી થાક ખાઈ પાછો તેઓએ ધસારો કર્યો, પણ રજપૂત સિપાઈઓ તેઓની ભેટ લેવાને તૈયાર થઈ રહ્યા હતા, અને સૈરંધ્રી જાણીને કૈયોકિચક ભીમની સોડમાં ભરાયો હતો તેમ મુસલમાન લોકોને પણ જોઈએ તેવું જ સામા પક્ષથી આદરમાન મળ્યું. પાછું યુદ્ધ પહેલાં પ્રમાણે જ જોરથી ચાલ્યું, પણ કાંઈ થાક લાલગ્યો નહીં. સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈને તથા પોતાના ભક્તોનું દુઃખ જોઈ ક્ષટ પામીને પશ્ચિમ દીશા તરફથી લાલચોળ મોં કરી ચાલ્યા ગયા; પૃથ્વી ઉપર અંધકાર પથરાવા લાગ્યો; પક્ષીઓ પોતપોતાના માળામાં જવા લાગ્યાં; તારાઓએ એક પછી એક પોતાનું મોંલ બતાવ્યું; કમળનાં ફૂલો બંધ થઈ ગયાં, અને જે મુસાફરો ગામમાં તે વખતે આવ્યા તેઓએ ત્યાં જ રાતનો વાસો કર્યો લડનારાઓથી એકબીજાનું મોં જોઈ શકાતું ન હતું; એટલામાં ચંદ્રમાનો પ્રકાશ થયો અજવાળું તો થોડું પરમેશ્વરની તરફથી આવ્યું, પણ લડવાનું સામર્થ્ય શત્રુઓમાં હમણાં રહ્યું ન હતું તેથી તેઓ પાછા પોતપોતાને ઠામે ગયા, અને રાતે લડાઈ બંધ રાખવાને તથા સવારે ઝળઝળું થતાં પાછો તેનો આરંભ કરવાને અલફખાંએ કરણ રાજાને કહેણ મોકલ્યું. રજપૂતો પણ ઘણા થાકી ગયેલા હતા, તેઓને થોડાક આરામની ઘણી જરૂર હતી તેથી એ પ્રમાણે તેઓએ કરવાનું કબૂલ કર્યું.

રાત ચાંદરણી હતી; રૂપાનાં પતરાં જેવું ચાંદરણું ખીલી રહ્યું હતું. પણ તે વેળા જમીન ઉપર કેવો ભયંકર દેખાવ જોવામાં આવતો હતો ! એક મોટા મેદાન ઉપર હજારો માણસનાં વિકરાળ મોંવાળાં મૂએલાં પડેલાં હતાં, અને તે ઉપર જ્યારે ચાંદરણું પડતું, અને તેઓનાં મોં ઉપર મૃતયુથી ઉત્પન્ન થતા ફિક્કા રંગની સાથે અજવાળાનો રંગ મળતો, ત્યારે તેઓ ખરેખરાં ભયાનક દીસતાં હતાં. ઘાયલ લોકો ચીસાચીસ પાડતા, તેઓને પોતપોતાનાં માણસો લઈ ગયાં, અને તે ઠેકાણે જે ઓસડવેસડ થઈ શકે તે લગાડવામાં આવ્યું. લોહીની તો નીક ચાલી રહેલી હતી. અને તેનો લાલ રંગ બદલાઈને કાળો થઈ ગયો હતો. ગીધ, સમડી, કાગડા વગેરેને સારુ જે મિજબાની પાથરેલી હતી તેનો ઉપભોગ કરવાને તેઓ તે વખતે ત્યાં ન હતાં, પણ વનવાગળાં ઊંચા ઊડ્યાં કરતાં, ઘુવડો પાસેનાં જાડ ઉપરથી અપશુકનવાળો તથા ભયાનક શબ્દ કાઢ્યાં કરતાં, અને શિયાળવાં મુડદાની ગંધથી ત્યાં આવીને મૂએલાં માણસોના આરામનો ભંગ કરતાં હતાં. સઘળું ચુપાચુપ હતું, અને લશ્કરમાંથી કાંઈ પણ મોટો અવાજ આવતો ન હતો.ો એટલાં બધાં માણસો એક એકનો પ્રાણ લેવાને એકઠાં થયાં હતાં, તેઓ આ રાતના દેખાવથી બીને, મોત તેઓની પાસે થઈને ફર્યા કરતું તેઓથી ડરીને, તથા આવી શાંત રાતની વખતે અવાજ કરવાથી રાત્રીના દેવોને ઉપદ્રવ થાય તે ન કરવાને સઘળાં મૂંગાં રહેલાં હતાં. માત્ર કંસારી બોલ્યા કરતી તથા શિયાળવાંને ઉજાણીનું પર્વ હાથ લાગ્યું તેથી તેઓએ બૂમાબુમ પાડી મૂકી હતી. મુસલમાન લોકોએ પોણી રાત નમાઝ પઢવામાં કાઢી. રજપૂત લશ્કરભમાં તે વખતે મહાભારત વંચાતું હતું, અને કુરુક્ષેત્બરની લડાઈમાં જે જે શૂરાતનનાં કામો કરવામાં આવ્યાં હતાં તેમાં વિશેષે કરીને ભીમનાં પરાક્રોની વાત વંચાવાથી સઘળા શૂરા રજપૂતોનું લોહી ઊકળી આવ્યું હતું. તે સિવાય ભાટ લોકોએ આગલા ક્ષત્રિય રાજાઓની લડાઈનાં કવિત કહી સંભળાવી સઘળાઓમાં શૂર ઉત્પન્ન કર્યું હતું. હવે એક પહોર રાત બાકી રહી. ચંદ્રમા અસ્ત થયો, અને અંધારાનું પ્રાબલ્ય થઈ રહ્યું. મુસલમાન લોકોના વચન ઉપર ભરોસો રાખી રજપૂત લોકોએ હજી લડવાની તૈયારી કરી ન હતી. જેવા તેઓ લડાઈના કામમાં પ્રમાણિક તથા વચન પાળનારા હતા તેવા તેઓના શત્રુ હશે એવો વિશ્વાસ રાખ્યાથી તેઓ છેતરાયા. મ્લેચ્છ તુરકડા મતલબ ઉપર માત્ર નજર રાખતા, તે મતલબ હાંસલ કરવાને ગમે તેવા ઉપાય કરવા પડે તે વિષે તેઓને જરા પણ ફિકર ન હતી. જ્યારે રજપૂત સિપાઈઓ ઉપર વર્ણવેલા કામમાં પડેલા હતા તે વખતે ખબર આપ્યા સિવાય મુકરર કરેલા વખતની પહેલાં મુસલમાન સિપાઈઓ તેઓના ઉપર તૂટી પડ્યા. રજપૂતો લડવાને બિલકુલ તૈયાર ન હતા તેથી તેઓમાં ભંગાણ પડ્યું; લશ્કરમાં તૂટ પડી; સઘળે ઠેકાણે ગરબડાટ થઈ રહ્યો; અને અંધારામાં મિત્ર કે શત્રુ કોઈ ઓળખાય નહીં. ‘‘અલ્લાહો અકબર’’ એ બૂમ સંભળાય ત્યારે રજપૂત સિપાઈઓ કપાઈ જતા એમ જણાતું. એવી ‘‘અલ્લાહોઅકબર’’ની બૂમ ઘણી વાર સંભળાતી હતી. કરણ રાજાએ પોતાના લશ્કરને ગોઠવવાની ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ. કાપણી કરનારા ખેડૂતો દાતરડાંથી જેમ અનાજ કાપે તેમ રજપૂતો તે રાતે કપાઈ ગયા. રાજાનો ઘોડો વળી મરી ગયો એટલે રાજાએ ઊભા રહી લડવા માંડ્યું; પણ હવે જય મળે એવી આશા ન હતી. એક તલવારના ઘાથી તેનાં પાંસળાં કપાયાં, અને લોહી વહેવાથી અશક્ત થઈને તે ભોંય ઉપર પડ્યો. એ અવસ્થામાં તે કપાઈ મરણ પામત, પણ દૈવયોગે તે વખતે ઝાંખુંલ ઝાંખું અજવાળું પડ્યું, અને તેનું મોં શૂરા હરપાળે તુરત ઓળખ્યું. રાજા જીવતો રહેશે તો ગયેલું રાજ્ય કોઈ દહાડો પણ પાછું હાથ લાગશે, એવા વિચારથી તેણે બેશુદ્ધ રાજાને ઊંચકી લીધો, અને એક ઝડપદાર સાંઢણી ઉપર બેસી ચાલતો થયો. સવાર પડી એટલે રજપૂત સિપાઈની ખરેખરી અવસ્થા જણાઈ. રાતે અંધારામાં કેટલાક સિપાઈઓ નાસી ગયા હતા. ઘણા તો માર્યા ગયા હતા; અને બાકી રહ્યા તેઓ જીવની આશા છોડી ભારે જોસથી લડતા હા. લડાઈના આરંભની વખતે કરણે પાસેના ગામમાં થોડાક સામંતો તથા કેટલુંક લશ્કર રાખી મૂક્યું હતું, અને આખરની વખતે તેઓ ઘણા કામ લાગશે એવી તેણે આશા રાખી હતી; પણ જ્યારે તેઓએ જાણ્યું કે કરણ રાજા દેખાતો નથી, એટલે તે બેશક માર્યો ગયો હશે, લશ્કર સઘળું કપાઈ ગયું, અને જીતવાની હવે કાંઈ આશા નથી, ત્યારે તેઓએ વિચાર કર્યો કે હવે લડવા જવું એ તો પતંગની પેઠે દીવામાં ઝંપલાવવા બરોબર છે, માટે ખરેખર મરવા જવામાં શો ફાયદો ? જે જીવે છે તેને આ આશા છે; જે જીવે છે તે ફરીથી લડી શકે છે, અને જે જીવે છે તે કોઈ વખત પણ પોતાનું ધારેલું કામ સિદ્ધ કરી શકે છે; માટે નકામું શા માટે મરવું ? કોઈપણ અનુકૂળ પ્રસંગ આગળ આવશે તે વખતે જય મેળવીશું, અને ત્યાં સુધી તે તુરકડાઓને જરા પણ ચેન વળવા દઈશું નહીં, તેઓને રાત દહાડો ઉપદ્રવ કર્યા કરીશું; માટે ગુજરાતની હદ બહાર જતાં રહેવું એમાં જ ડહાપણ છે; એમ કહી તેઓ ઘોડા ઉપર સવાર થયા, અને કમનસીબ તથા રંડાયેલા અણહીલપુર પાટણ ઉપર નજર કરી ઘણા જ જોશથી રડ્યા. તેઓ બોલ્યા : ‘‘રે ગુર્જરદેશ ! રે અમારી જન્મભૂમિ ! તારા ઉપર કેવી મોટી આફત આવી પડી છે ! તારા છોકરાઓને પારકા લોકોએ મારી નાખ્યા; તારા ભરથારનો પણ એ જ દુષ્ટ લોકોએ પ્રાણ લીધો, અરે અમારી મા ! તેં અમને ઉછેરીને મોટા કર્યા; તેં અમને શૂરાતન આપ્યું; અને જ્યારે તારા ઉછેરીને મોટા થયેલા છોકરાઓ કપાઈ ગયા, તારો લાડ લડાવનાર ધણી મરણ પામ્યો, અને તને દુષ્ટ રંડાપો આવ્યો, ત્યારે તું શા માટે પોકેપોક મૂકીને રડતી નથી ? તારું હૈમ્‌ શું વજ્ર સરખું થઈ ગયું છે ? તને શું રડવું આવતું નથી ? શું તારી મરજી પુનર્લગ્ન કરવાની છે ? શું દુષ્ટ મ્લેચ્છ તુરકડાઓનો પાદશાહ જેના હુકમથી તારું નસંતાન ગયું, તથા તને વિધવાવસ્થા પ્રાપ્ત થઈ, તે ખૂની ગોઝરા પાદશાહને તું વરવાનો મનસૂબો કરે છે ? રે દુષ્ટ ! રે ચંડાળ ! તું અમારી મા નથી. અમે કોઈ દહાડો પણ સાવકા બાપના હાથ નીચે રહેવાના નથી; અને તને એક ઘડી પણ વિરામ થવા દેવાના નથી; તારા નવા ધણીને જરા પણ શાતા વળવા દઈશું નહીં. તું શા માટે બોલતી નથી ? જો અમારા કહેવા પ્રમાણે તારો વિચાર નહીં હોય તો તેઓ સઘળાને ગળી શા માટે જતી નથી ? હાય હાય રે હિંદુ ધર્મ ! અને હાય હાય રે હિંદુ રાજ ! તમારા બંનેનો આજે અંત આવ્યો. દેવો સઘળા ઊંઘી ગયા. તેઓથી પોતાનું રક્ષણ થતું નથી તો આપણું શું કરવાના છે ? પણ વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, સઘળા ક્યાં ગયા ? તેઓ પોતાનાં છોકરાંની વહારે કેમ ધાતા નથી ? પણ સઘળાઓએ મળીને સંપ કર્યો છે. સઘળાઓએ આ ગુજરાતનું રાજ્ય પારકે હાથ જવા દીધું છે. ઈશ્વરની એમ જ મરજી હશે, તેમાં આપણું શું ચાલવાનું છે ? આપણાથી તો એટલું જ થઈ શકે કે દેશ મેલીને જતાં રહેવું. માટે ચાલો, ગુજરાતને છેલ્લા રામરામ.’’ એમ કહી તેઓએ પોતાના ઘોડા દોડાવી મૂક્યા, અને પાયદળ સિપાઈઓ ઝડપથી કૂચ કરી ચાલ્યા, અને જ્યાં સુધી તેઓએ ગુજરાતના રાજ્યની સરહદ વટાવી તયાં સુધી તેઓ અટક્યા નહીં, તેમ રસ્તામાં અન્નજળ પણ ચાખ્યું નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED