Karan Ghelo - 5 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 5

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૧ : પ્રકરણ ૫


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - પ

મહાભારતમાં પ્રસિદ્ધ થયેલા હસ્તિનાપુરની પડોશમાં જમના નદીને કિનારે દિલ્હી શહેર જે હમણાં છે, તયાં પહેલાં રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાઓનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકિર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કરી, અને તે પહેલી વાર પરાજિત થયો તોપણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયો, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.

દિલ્હીનો પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કર્યું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણા હિન્દુ રાજાઓની સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.

ઈ. સ.૧ર૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી. લોકોએ રાતે બજારમાં તથા ઘેર ઘેર રોશની કરી હતી, તથા દિવસે ઘણાં ઊંચાં તથા કીમતી લૂગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ હેલું હતું. થોડી મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો, તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણા સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખો ઈન્સાફ મળતો હતો; કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઊલટું સઘળા લોકોને માલૂમ હતું કે નવા પાદશાહ અલાઉદીદીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયા કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજતથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ઘર્મન વાસ્તે પણ ઘણું ઝનૂન હતું. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રીજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલ પર હાથ ફેરવી બોલ્યો : ‘‘મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તેને કદી શક આવે જ નહીં; કેવા ક્રૂરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેેગીરને ઈશારત કરી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારનો ઘા કર્યો; ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો; પણ તેટલામાં અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાખી દઈ તેનું માથું કાપી નાંખ્યું; અને કેવાા દુષ્ટ અંતઃકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મૂઆ પછી તેની રાણી કલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામનાતેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો; પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખરો વારસ હો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી કલેકાજહાને ઘણા સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અજર કરી, અરકલીખાં મુલતાનથી આવ્યો નહીં, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર-ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા. કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો; અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી. ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાંને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો; તે બે મહિના સુધી ચાલ્યો. આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લો પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કર્યું; પણ એટલી તેઓએ શરત કરી કે બે શાહજાદાની જિંદગી બચાવવી. એ શરત અલફખાંએ મંજૂર કરી, અને તે પાળવા બાબત પણ સખત કસમ ખાધા. એ પ્રમાણે તે શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.

પાદશાહ ઘણો જ ખુશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહીં. શહેરમાં મોટો આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કર્યા નહીં, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કર્યો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પૂરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાતોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કાપાયમાન થશે એમ સમજી બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદુશાહને ઘણો સમજાગ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા ના ઉમેદ થઈ ગયા તોપણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કર્યો. તે દહાડે દિલ્હીની સઘળી મસ્જિદોમાં વાએઝ કરાવવાનો તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવળીને દહાડે મુસલમાનોનો જમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસ્જિદોમાં બપોરે બાર વાગે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાંસારાં લૂગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસ્જિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધૂમ થઈ રહી હતી. દરેક દેવાલયમાં ઘણા બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્રો ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલો વાળતા હતા. હજારો લોકો દર્શન કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી. એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો.એવામાં ત્યાંથી મુસલમાનોનું એક ટોળું મસ્જિદમાં જતું હતું, તેઓને આ સઘળો ઠાઠમાઠ જોઈને એટલો તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલ આબરૂ મળવાથી તેઓને એટલો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાક બ્રાહ્મણોને ડાંગ વતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયેલા ન હતા. તેઓમાં હજી શૂરાતનબાકી રહેલું હતું. તેથી આ ગાળો દેવને અપમાન, તથા ડાંગનો મારતેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાક મુસલમાનો ઉપર તૂટી પડ્યા, અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહીં. તેઓએ ઘણો માર ખાધો, અને બેત્રણ તો મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બૂમ ચાલી. મુસલમાનો ગલીએ-ગલીએ તથા ચકલે-ચકલેથી તથા મસ્જિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમજ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈગયો. શહેરમાં સઘળાંઓએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા. લડાઈ તો ભારે ચાલી. લાકડી, તલવાટ, ખંજર, પથ્થર, ઘરનાં નળિયાં વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણી જ ગડબડ થઈ રહી. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો. બંને તરફના ઘણા માર્યા ગયા; કેટલાક મણતોલ જખમી થયા; કેટલાક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છૂંદાઈને મરણ પામયા. લડાઈનો શોરબકોર ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ તથા બીજા ઘણી તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા. મુસલમાનો તથા હિંદુઓનાં ટોળેટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી ન હોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજૂરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત. તો આ લડાઈનોો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.

પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણા નાસી ગયા. કેટલાક પાસેના ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાક ઓટલા ઉપર ‘અમે લડવામાં સામેલ નથી,’ એમ જણાવવાને બેસીોગયા. મુસલમાનોના કરતાં હિંદુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે છટકી ગયા. લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કર્યો કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઊભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા. પકડાયેલા માણસોમાં મુસલમાનો કરતાં હિંદુઓ વધારે હતા, તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મૂકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર રહ્યા હતા. થોડી વારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજૂરમાં ઊભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયેલો હતો પાદશાહ સોનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેરાત જોતાં આંખ ઝંખવાઈ જાય એટલો તે શણગારાયેલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી ન હતી. તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરા પણ દુર્લક્ષ આપવામાં આવ્યું ન હતું. તેના શણગારનો ઈરાદો શોભા આપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો; અને દોલત પણ તેણે બેશુમાર મેળવી હતી. કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કરી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયેલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઈતિહાસકર્તા લખે છે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસો મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું અને ચાર હજાર રેશમનાં થાન નજર કર્યા, અને તેની સાથે બીજી પણ ઘણી કીમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તી તો ઘણી હશે, તોપણ ત ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાન દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈપણ પાદશાહ ધનવાન હતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કોઈ પાર ન હતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેઓ બીજો વૈભાવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.

એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મોં એવું મોટું ને વિકરાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના હે જ નહીં. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતરી લોકો ઉપર મજબૂત રીતે તથા સખ્તીથી રાજદંઢ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કાંઈ પણ નિશાની માલૂમ પડતી ન હતી. તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા. અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા. એક તરફનો તેનો વજીર ખાજા ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્‌ગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા, બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો; બીજો મલેક ફકરૂદ્દીન કૂચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો. એ સિવાય બીજા ઘણા અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દરવેશો તથા બીજા ઘણાં માણસો હતાં.

એવા દરબારમાં તે પકડાયેલા ફિતૂરી લોકોને લાવી ઊભા રાખ્યા. પાદશાહે ઈન્સાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કર્યો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મલેક ફકરૂદ્દીન કૂચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મૂક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પૂછપરછ કરી લડાઈ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફકરૂદ્દીને જાણી લીધી. ઈન્સાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજિયો ઉઠાવ્યો; તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કર્યું. તથા કેટલાક હિંદુઓને માર્યા. પછી હિંદુ લોકે સામા થ તેઓને માર્યા, એ તેઓની ન્યાયાધીશ નજરમાં એક મોટી ચૂક હતી. અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ જ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો. જો સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુનો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તૂટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહીં, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહીં, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્યછે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખત્યાર નથી. જે માણસને નુકસાન લાગ્યું હોય તેણે પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને તે રાજા ત્રાહિત માણસ હોવાથી તેને બેમાંથી કોઈ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી, તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથા અંટસ ઘણું કરીને હોય છે, અને તેથી તેઓની વિવેકબુદ્ધિ ઉપર જે પડદો વળી જાય છે. તેમ રાજાને થતું નથી તે હંમેશાં નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ; તેથી તે બંનેનો ગુનો તપાસવાને, તેઓમાંથી વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને, તથા જેનો ગુનો માલુમ પડે તેને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. અગર જો આ રસ્તો વાજબી છે, તથા તેનો ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબૂલ કરે છે, તોપણ લોકો હમેશાં તે પ્રમાણે કરતા નથી; અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાત સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહીં, પણ તેઓને વેર લેવાની શક્તી હોતી નથી તેથી તેઓ આ રસ્તો પકડે છે તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોમાં પરમેશ્વરે પશુઓ અને બીજા કનિષ્ઠ પ્રાણીઓની પેઠે કેટલીક પ્રેરણાઓ મુકેલી છે. તેની સામે વિવેકબુદ્ધિનું ઘણી વખતે કંઈ પણ ચાલતું નથી. એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણાં કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી, અથવા તેમ કરવાને વખતે પણ મળતો નથી. દુઃખને બદલે દુઃખ દેવું એ એક સઘળાં પ્રાણીઓમાં પ્રેરણા છે. ખામોશી અને ક્ષમા વિચારશક્તિ વડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જવવાનો અને પોતાની મોદદે વિવેકબુદ્ધિને બોલાવવાનો વખત મળે છે ત્યારે જ ખામોશી, દયા, ક્ષમા, કામમાં આવે છે. પણ સઘળાં માણસોને એ સ્વાભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી; માટે જ્યારે તેઓને કોઈપણ પ્રકારે ઉપદ્રવ પહોંચે છે ત્યારે તુરત તેનો બદલો વાળવાની જ તેઓની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કાંઈ પણ ભાન રહેતું નથી, તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે, અને એથી ઊલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે કે કાયદા કરનારાઓએ કાયદા કરતી વખતે તે વાત ધ્યાનમાં લીધેલી જ છે; કારણ કે જ્યારે કોઈ ગુનેગાર ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુનો કરવા સામા માણસે કાંઈ મજબૂત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબૂત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી; પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કર્યો; તેઓએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાને જખમી કર્યા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનોએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીનો પ્રસંગ વિના ઉપયોગ કર્યો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધ નહીં પણ તેઓનું સામર્થ્ય ઓછું હોવાને લીધે જ બનયું. માટે તેઓનો ગુનો પણ હિંદુઓના જેટલો જ હતો, અને તેઓને પણ તેટલી જ સજા થવી થવી જોઈતી હતી, એવું આપણે ઈન્સાફની રાહે ધારીએ ખરા. પણ મુખ્ય ન્યાયાધીશ ફકરૂદ્દીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહીં ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેનો ઉદ્દેશ ન હતો. તેની અદાલતમાં ઈન્સાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી; તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયેલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝૂકતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓને જ મારવા કરેલી હતી. તે જ પ્રમાણે ઈન્સાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો. તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયેલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધૂમ કરાવી તે જોઈને હરેક સાચા મુસલમાનને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કર્યું, તથા કાફરોને ડાંગ વતી માર્યા તેમાં તેઓએ ખોટું કર્યું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શિર છે. કાફર હિંદુઓ મૂઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની ો તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા. મુસલમાનોને હિંદુઓએ માૃયા એ તેઓએ મોટામાં મોટો ગુનો કર્યો; અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ. એવો વિચા કરી ફકરૂદ્દીન ન્યાયાધીશ બોલ્યો : ‘‘લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કર્યું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલુમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જેો હિંદુઓ આ ઠકાણે ઊભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલી જ કે જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તેમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બૈદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય.’’ આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ. જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટ જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઊલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડી વાર થઈ ગયા, અને કેટલીક વાર પછી તેઓએ ન્યાયધીશને જાહેર કર્યું કે ‘‘ખુદાવંદ ! જો લડાઈ ઉઠાવનાર આ હાજર કરેલા મુસલમાન ન હતા, તો લડાઈમાં પહેલાં સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારા મારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા, માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.’’ ન્યાયધીશથી એ કારણ બતાવી શકાય એવું ન હતું. તેના ધર્માંધપણા સિવાય બીજું કાંઈપણ કારણ ન હતું. પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો. અને જુસ્સામાં બોલી ઊઠ્યો કે ‘‘તમે પહેલી લડાઈ શરૂ કરી કે નહીં તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી. તમે લડાઈમાં સામેલ હતા, તથા તમારા હાથથી મુસલમાન લોકોના જીવોગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કરી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો !’’ એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો. તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં. તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું તયાં તેઓને ઊભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા.

એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો એનું યથાસ્થિત વર્ણન અશક્ય છે. ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઈંટ, સડેલા ઈંડા વગેરે ઘણી ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી હતી. તે દુષ્ટ ચંડોળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈન્સાફ કે દયા કાંઈ પણ જણાતી ન હતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફત ઉમંગથી ઊભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બૈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લી વાર મળવાને આવ્યાં હતાં. પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય ને તેઓની મુલાકાતથી જે મરનારનેૃ થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું નહીં. બૈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધકાં નહીં તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણી રીતે તેઓનો શોક બતાવતાં હતાં. તે જોઈને મુસલમાનોને ઊલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા. એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર. શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય તેઓનાં શસ્ત્રમાં વધારે શક્તિ આવે.

મુખ્ય કોટવાલે ઈશારત કરી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણી વાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાકનાં મથાં ચીરાઈ ગયાં, કેટલાકની છાતી ભાંગી ગઈ, કેટલાકનાં શરીરના બીજા ભાગ છૂંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ. લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાક તો તત્કાળ મરણ પામ્યા; કેટલાક હસહસતા થઈ ગયા; કેટલાક બેભાન થઈ ગયા; અને જેઓમાં થોડીઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જિંદગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણી વાર સુધી પહોંચી નહીં. થોડી વારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આશરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા, આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા, અને તેઓમાંથી જીવતો અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા, તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી. પણ વજ્રહૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કરી નહીં. તેઓએ ખુદાતાલાના માનીતા લોકોને માર્યા એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઊંડા ખાડામાં એકઠા હડસેલાવી દીધા અને કોઈપણ જાતની ક્રીયા કર્યા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.

આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એકલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મુલેકાજહાન તથા બીજા કેટલા માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાઓની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયાર થવા લાગી.

એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે ઠંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત; પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહીં. તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બૈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયા કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ કારણ જડ્યું નહીં, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યા કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઊંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું બાબતે એ સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાખ્યા, અને તેઓના હાથપગ તરત બાંધી દઈને તેઓના મોંમાં ડૂચા ઘાલ્યા. પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડોળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચપ્પુની અણી વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાખ્યા. મરવાની દહેશતથી, આંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મોટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊલુઘખાંની, અહમદ હબીબની તથા બીજા કેટલાક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાખી.

શાહજાદાઓને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુઃખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જ જતી રહી એ વાત તેઓને જ્યારે માલુમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા ેવા થઈ ગયા, અને મોટા જોરથી બૂમાબૂમ પાડવા લાગ્યા : જીવતા રાખ્યા તે આટલા સારુ ? અરે, આંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારું આંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભૂંડું. મરવું તો છે જ, પછી વહેલું કે મોડું. પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખૂબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત. અરે ! એ તો જીવતા ભોંયમાં દટાવું ! અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે ન નાખ્યા ? જો મરી ગવયા હોત તો સઘળું પૂરું થાત. પછી કાંઈ દેખવું નહીં અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું. એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુઃખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું. અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ આંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે રાજ મેળવવાનો લોભ કેવો ભૂંડો છે ! અને પાદશાહા વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું; પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદિગારના નામનો શુકર કરત. પણ આ દુફખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભને લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું. તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો ! અમે કોઈને ઉપદ્રવ કર્યો નથી; અમે કોઈનું બગાડ્યું નથી; બલકે અમારાથી જેટલું બની શક્યું તેટલું ઘણાનું સારું કર્યું છે. પણ હવે દુઃખ રડવામાં શો ફાયદો છે ? જે થયું તે થયું. તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઊલટું અમારું નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ; માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ, ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.’’ આટલું બોલી તેઓએ પોતાનું મોં સીવી લીધું.

બીજે દહાડે અલફખાંની છાવણી ઊઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા. ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અર્ધા મૂએલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચેન પડે નહીં એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાં તથા નુસરતખાંએ તેઓને બંનેને ઠાર મારવાનો નિશ્ચય કર્યો. એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હતું. જ્યારે મધ્યરાત્રિને વખતે તે એ શાહજાદાઓ ભરઊંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર હતી તેની લેશમાત્ર શંકા પણ તેઓના મનમાં નહીં હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સૂતા હતા. તેઓનાં દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મરાઓને પણ દયા આવી; પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહીં તો તેઓ જાતે માર્યા જશે, તેથજી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાં ઉપર જખમ કર્યો. એ જખમથી કદરખાં તો તરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તે એક ઘા બસ થયો નહીં. તેણે તરફડિયાં મરવા માંડ્યાં, અને ‘‘શુકર અલ્લા ! આ દુઃખમાંથી જલદી તેં છુટકાવો કર્યો.’’ એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહીં તેથી તે ખૂની ગભરાયો, શાહજાદાએ તેની તરફ પોતાનું મોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઊઠ્યો, ‘‘કાફર હરામખોર, જલદીથી બીજો ઘા મારી આ જિંદગીનો દોરો એકદમ તોડી નાખ. તારા અણઘડપણાથી મને કેટલું દુઃખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ઘા, અને આ દુષ્ટ, પાણી જહાનમાંથી મને છોડાવ.’’ પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ; તે જડભરત જેવો ઊભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું; અને તેના મન ઉપર તેનો અખત્યાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મૂકીને જતો રહ્યો. તેનું ખંજર પડ્યું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેૃની વેદના પણ અસહ્ય થતી ગઈ. તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કાઢ્યું. હાથમાં તે ખંજર લઈ તેણે ઈશ્વરની સ્તુતિ કરી, અને ‘‘બિસ્મિલ્લાહ ઉર્‌ રહેમાન ઉર્‌ રહીમ’’ એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યં કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહીં, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજૂરમાં જઈ ઊભો રહ્યો.

દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બૈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. ઓરડાની સ્થિતિ એ બૈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દીવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું ન હતું. ભીંતની છેક ઉપર બે ત્રણ જાળિયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેી તેમાં રહેલી બૈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ગાઢું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બૈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુઃખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુઃખી માણસનું ચિત્ર દોરવું હોય, અથવા જો કોઈ કવીને તેના માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બૈરીને જોવી. તે ખરેખરું દુઃખનું સ્વરૂપ હતું. જો દુઃખ માનવદેહ ધારણ કરી શકે તો તે આ બૈરીના જેવું જ સઘળાને માલુમ પડે. તેને પોતાના શરીરનું બિલકુલ ભાન ન હતું. તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની સિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મોં ઉપરની નસો ફૂલી આવી હતી. તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઊડી જવાથી તે મુડદાની જેવી ફિક્કા રંગની દેખાતી હતી. જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ માલૂમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી. અને સાધારણ રીતે જે ચળકાટ તથા બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલૂમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તનેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; કોઈ વખત વગર મતલબે આણીગમ-તણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહીં. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહીં પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગિયા માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મોંમાંથી તૂટક તૂટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કાંઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તૂટક તૂટક વાક્યો વાપરે છે એવાં વાક્યો તે બોલતી; અને ઘડીએઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મૂકીને રોવું એ સિવાય તેના જુસ્સા વડે તેનાથી વધારે થઈ જતું હતું. જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાખતી; તેનાં પહેરેલાં લૂગડાં ફાડી નાખતી; માથું તથા છાતી એટલા જોરથી કૂટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતી નહીં. વખતેવખતે તે ઊઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના હોઠ દાંત વડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી તેનાં સઘળાં કપડાં ખરાબ થઈ ગયેલાં હતાં, તથા હોઠમાંના લોહીથી તેનું મોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું. અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બિચારીનું મગજ ઊંધુંચત્તું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખત્યાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.

તે જાતે ઘણા મજબૂત મનની, ખટપટી તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મર્યા પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ્ય જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખબર ન કરતાં, નાના કદરખાંને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહીં; તેને, તેના છોકરાને, તથા તેના મળતિયા લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદો પાણીના પરપોટાની પેઠે એકદમ ફૂટી ગઈ. એ દુઃખ કાંઈ ઓછું ન હતું. પણ તેટલેથી બસ થયું નહીં. તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા; અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાં

એ આપયું; તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા. એથી ઊલટી તેઓના ઉપર વધારે આફત પડી. તોપણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા. પણ જ્યારથી તે શાહજાદાઓથી છૂટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા ઊંઘમાં તે વારે પોતાના છોકરાની કફનમાં વીંટાળેલી લાશ જોયા કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દહેશત હતી, જે નઠારા વિચાર તેના અંતઃકરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું. તેને એક ખાનગી જાસૂસે ખબર કરી કે શાહજાદાઓને આંધળા કરી મારી નાખ્યા છે એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથફી થોડી વાર પછી જાગ્રત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ. તે જાગ્રત તો થઈ, પણ નહીં જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહીં; અને અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બિચારી આવી પડી.

જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી. પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઊલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુઃખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઊભી રહેતી, અને જે લોકો આવતાજતા તેઓને એકી નજરે જોયા કરતી લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુઃખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા. માત્ર દરવેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જે તે કંઈ પણ વાત બરાબર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાનો ગુસ્સો વખતોવખત જણાવ્યા વિના રહેતા નહીં. એક વખતે બેગમ બારીએ ઊભી હતી તે ખવતે એક દરવેશે ઊંચું જોઈ પોકાર કર્યો : ‘‘બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસો મણ ગોશ્ત, બસો મણ ખાંડ, તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો. એવા સખી દરવેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નાખાવ્યો. તેનાં શાં શાં ફળ નીપજ્યાં છે તે તું જાણે છે ? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે ? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળિયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારું થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સૂઝ્‌યો નહીં, તે વરસે વરસાદ આવ્યો નહીં તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભૂખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલએ મુદડાં થઈ પડ્યાં, અને આખા કુટુંબને કુટુંબ દુઃખને લીધે જમના નદીમાં ડૂબીને મરી ગયા. દરબારમાં કૂટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો. પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઈ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ મર્યા ગયા. અને તારી આ અવસ્થા થઈ. સીદ્દી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કરેલાં પાપનાં ફળ તું ભોગવે છે.’’

દરવેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે બેગમને ચીઢવવી, તથા દરવેશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ નાઉમેદ થઈ ગયો. તેને જવાબ આપવાને બદલે બેગમ પહેલા પ્રમાણે જ જડભરત જેવી ઊભી થઈ રહી, અને કેટલીક વાર પછી ખડખડ હસી પડી. પોતાના બોલો પવનમાં ઊડી ગયા એમ જાણીને તે દરવેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED