Karan Ghelo - 13 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 13

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૩


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૩

જુવાન પુરુષ અથવા સ્ત્રી જે પહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુઃખ ઊપજે છે તે સૌથી આકરું છે. એમ થવાથી તેનું હૈયું જેવું ફાટી જાય છે; તેના શરીરમાં અવ્યવસ્થા થઈ જાય છે અને દુનિયા સ્મશાન જેવી ઉદાસ લાગે છે. તેને કાંઈ કામધંધો સૂઝતો નથી; અને જો તે જગાનો ફેરફાર કરી અથવા બીજી કોઈપણ રીતે તે બાબતના સઘળા વિચારો ખસેડી નાખે નહીં તો તેની ખરાબી થઈ જાય છે. જ્યાં પ્રીતિમાં થોડી મુદત સુધી પહોંચે એવો જ અટકાવ થયો હોય, જ્યાં નિરાશાના અંધકારમાં આશાનું કાંઈ પણ ઝાંખું કિરણ આવતું હોય ત્યાં તો ધીરજ રાખી શકાય છે, તથા વખતે તેથી વધારે કાંઈ અસાધારણ પ્રયત્ન પણ થઈ શકે છે; પણ જ્યાં આશાનું ઢાંકણું દેવાયું ત્યાં સુખનું ઢાંકણું દેવાયું એમ સમજવું. ઘણા પુરુષો જ્યારે એવી અવસ્થામાં આવી પડે છે ત્યારે દેશાટન કરે છે, અને ત્યાંના નવા નવા પદાર્થો જોવાથી, નવાં નવાં કામોમાં પડવાથી, તથા વખતે કોઈ નવી સુંદરીના સમાગમમાં થતા સુખથી આગલું દુઃખ નિવારણ કરી શકે છે. પણ સ્ત્રીઓને એ પ્રમાણે થવું કઠણ પડે છે. તેઓનું અંતઃકરણ વધારે નરમ હોય છે, તથા તેઓનાં હૈયાં ઉપર મીણની પેઠે પ્યારની છાપ વધારે મજબૂત બેસી જાય છે તે જલદીથી ભૂંસાઈ જતી નથી; તેઓને બીજા દેશમાં અથવા બીજાં શહેરોમાં ફરવા જવાનું ઘણી વખતે બની આવતું નથી; તથા નવી વાત ગ્રહણ કરી જૂની વાત વિસારી નાખવાને ક્વચિત જ પ્રસંગ આવે છે; તેઓ મૂંઝાયા કરે છે, તેઓ બળ્યા કરે છે, તેઓ જો નાજુક પ્રકૃતિનાં હોય ત્યારે તો તેમનાં શરીરમાં રોગ પ્રવેશ કરે છે અને ક્ષયરોગથી તેઓનો અંત આવે છે. એ પ્રમાણે કાંઈ હમેશાં જ બનતું નથી. તોપણ પ્રીતિમાં આશાભંગ થવાથી પુરુષો કરતાં તમને વધારે દુઃખ થાય છે.

કરણે શંકળદેવનું માગું પાછું વાળ્યું ત્યારથી દેવળદેવીના સુખનો સૂર્ય અસ્ત પામ્યો. આશાને લીધે જે ઉમંગ તેને થયેલો તે જતો રહ્યો. તેના મોં ઉપર ઉદાસીનું વાદળું ફરી વળ્યું; તેનું શીર ગળવા લાગ્યું; તથા ધીમે નાશકારક તાવ તેના શરીરમાં દાખલ થયો. તેનું ખુશકારક હસવું બંધ પડી ગયું; તેના રાગમાંથી મીઠાશ ઊડી ગઈ; તેની વાણીની મધુરતા જતી રહી; અને જે ખુલ્લા દિલથી તથા ઉલલાસથી તે ચાલતી તે ચાલ હવે બિલકુલ બદલાઈ ગઈ. આ સઘળા ફેરફાર જોઈને કરણને પણ ઘણી દિલગીરી થઈ. પૈસા, વહાલા અને બીજા ઘણા ઉપાયોથી તેની અસલ સ્થિતિ પાછી લાવવાને તેણે ઘણાં ફાંફાં માર્યાં; પણ જેનું માથું દુખે તેને પેટ ઉપર ઓસડ ચોપડવાથી શો ફાયદો ? જેના કલેજામાં ઘા લાગેલો તેને બહારના ઉપાય શી રીતે કામ લાગે ? જ્યાં સુધી તેના અંતઃકરણમાંનો કીડો જીવતો રહે ત્યાં સુધી જે જે ઉપાય કરે તે સર્વે વ્યર્થ જાય જ.

એવી ઉદાસ વૃત્તિમાં આવી પડેલી પુત્રીની સાથે કરણ રાજા એક દહાડે બેઠો હતો તથા તેની દિલગીરી કાઢી નાખવાને તેને શિખામણ દેતો હતો. એવામાં એક મુસલમાન અમીર કેટલાંક માણસ લઈને બાગલાણના કિલ્લામાં આવ્યો. અકસ્માત્‌ આવો માણસ આવી રીતે તેના એકાંત રહેવાના ઠેકાણામાં આવ્યો તે જોઈને કરણ રાજાને મોટું આશ્ચર્ય લાગ્યું, તથા તેના જીવને મોટી ફાળ પડી. આ નવતરા આવનારથી કાંઈ માઠાં જ પરિણામ નીવડશે એવી તેને સ્વાભાવિક પ્રેરણા થઈ આવી, અને હવે શી વધારે ખરાબી થશે એ વિચારથી તેણે એક મોટો નિસાસો મુક્યો. તેને સઘળી ફિકર પોતાની પુત્રીને વાસ્તે હતી. એ અમૂલ્ય રત્નને કોઈ લૂંટારો લઈ જશે એ તેને મોટી દહેશત હતી. પોતાને વાસ્તે તેને જરા પણ ધાસ્તી ન હતી. તેના ઉપર તો દુઃખના એવા અને એટલા ઢગલા આવી પડ્યા હતા કે એ કરતાં વધારે દુઃખ તેની કલ્પનામાં પણ આવતું ન હતું. લૂંટાયેલાને ભય શેનો ? તેણે સર્વસ્વ ખોયું હતું; હવે જવાનું કોઈ બાકી રહ્યું ન હતું. કાંઈ પણ પૂછપરછ કર્યા વિના તે અમીર કરણની રહેવાની જગા ઉપર આવ્યો. ઘોડા ઉપરથી તે ઊતરી પડ્યો; પોતાનાં માણસોને કિલ્લાના જુદા જુદા ભાગમાં રહેવાને મોકલી દીધાં; ઘોડા સઘળા ઘોડાશાળમાં બંધાવી દીધા અને પોતે એકલો રજપૂતની આબરૂ તથા મોટા મન ઉપર વિશ્વાસ રાખી ઘરમાં પેઠો. કરણે તેને અંદરના ઓરડામાં આવવાની રજા આપી; પોતાની છોકરીને એક બીજા ઓરડામાં મોકલી દીધી; અને તે અમીરનું સન્માન કરી ઊભા થઈને તેને બેસવાની જગા આપી. મુસલમાન લોકો ઘણું કરીને બોલવામાં ઘણા હોશિયાર તથા વાચાળ હોય છે. તેઓની બોલીમાં એક જાતની નરમાશ તથા મીઠાશ હોય છે, તેઓ ઘણી નમ્રતાથી તથા લાયકીથી બોલે છે, તેથી તે અમીરને પોતાની ધારેલી વાત એકદમ કાઢવામાં કાંઈ મુશ્કેલી પડી નહીં, અને તે વાત તેણે એવી ચતુરાઈથી ચલાવી કે કરણ તેના દુઃખથી ઘણો ચીઢિયો થઈ ગયો હતો તોપણ તેણે તેની વાત અથથી ઈતિ સુધી ધીરજથી સાંભળી લીધી. તે બોલ્યો ‘‘હું સઘળી જહાનનો પાદશાહ અલાઉદ્દીન જેનું તખ્ત દિલ્હી શહેરમાં છે તેના દરબારનો અમીર છું. દેવગઢનો રામદેવ રાજા ત્રણ વર્ષ થયાં ખંડણી આપતો નથી, તથા દક્ષિણના બીજા રાજાઓ પાદશાહને નામના જ માત્ર ાબે હોય એમ વર્તે છે. તેઓના ઉપર સત્તા કાયમ બેસાડવાને પાદશાહે એક મોટું લશ્કર મોકલ્યું છે. તેની મતલબ આખો દક્ષિણ દેશ જીતવાની છે. અમારું લશ્કર કેવું બળવાન હોય છે તથા તે કેવાં કેવાં કામો કરી શકે છે તે તો હવે તમારી આગળ કહેવાની જરૂર નથી, તેનાં પરાક્રમનો વિસ્તાર કરવાને હું ચાહતો નથી, કેમ કે તેમ કરવાથી તમારું દુઃખ તાજું થઈ આવે, એ લશ્કરની સંખ્યા અગણિત છે. તેમાં માત્ર એક લાખ સવાર છે; તેનો સરદાર નાયબ મલેક કાફુર છે. તે ઘણો આગ્રહી, શૂરો તથા લડાઈના કામમાં પ્રવીણ છે. તેની સાથે બીજા ઘણા બુઝર્ગ, દાના, તથા લડાઈના કામમાં ઘણા માહિતગાર એવા અમીર લોકો મસલતદાર છે. તેઓની છાવણી હાલમાં ખાનદેશમાં સુલતાનપુરમાં છે. ત્યાંથી કાંઈ સંદેશો કહેવાને નાયબ મલેક કાફુરે પાદશાહ અલાઉદ્દીનના હુકમથી મને મોકલ્યો છે. તે સંદેશો શો છે તે હું તમને જણાવું છું; તમને ખબર તો હશે કે તમારી રાણી કૌળાદેવી હાલમાં પાદશાહના ઝનાનખાનામાં મુખ્ય દરજ્જો ભોગે છે. તે પટરાણી થઈ પડી છે; તેની સત્તા પાદશાહ ઉપર ઘણી છે; અને પાદશાહ તેને કાંઈ વાતની ના કહી શકતો નથી. એ કૌળારાણીને બે દીકરીઓ હતી તેમાંથી એક મરી ગઈ છે, બીજી તેર વર્ષની જેનું નામ દેવળદેવી છે તે તમારી સાથે રહે છે. તેની માને તેના વિના જરા પણ ગમતું નથી. તે બેનો ઘણાં વર્ષ થયાં વિયોગ થયો છે, તેથી તેને મળવાને સુલતાના ઘણાં આતુર છે. અલબત્ત તમારા કરતાં તેનો છોકરી ઉપર વધારે હક્ક છે, તેને પોતાની છોકરી ઉપર એટલો તો હજી પ્યર છે કે તેના વિના તેની તબિયતમાં બગાડ થશે; વળી તે છોકરી અહીં છે તે કરતાં પાદશાહની પાસે મોટા દરબારમાં સુલતાના સાહેબની સાથે રહેશે તો વધારે સુખી થશે. બેગમ સાહેબે પાદશાહ આગળ દેવળદેવીને તેડાવવાની ઘણી જ ખાહેસ દેખાડી છે. પાદશાહે તેની અરજ મંજૂર કરી છે અને તે પ્રમાણે મલેક કાફુરને એવો હુકમ કર્યો છે કે જો દેવળદેવીને જીવતી દિલ્હી નહીં લાવે તો તેનું માથું કાપી નાખવામાં આવશે. એ પ્રમાણે પાદશાહે સખત હુકમ કર્યો છે, માટે તમારો તે છોકરી આપ્યા વિના છૂટકો નથી; માટે જો તમે તમારી દીકરીનું સુખ ચાહતા હો તો આનાકાની કર્યા વગર મને આપી દો. હમણાં તેની ઉંમર એટલી છે કે તેને માની સંભાળની ઘણી જ જરૂર છે. તેને પણ હમણાં માની ખોટ લાગતી હશે તે ત્યાં જવાથી પૂરી પડશે. હમણાં તે અંધારામાં એક ખૂણામાં સંતાઈ રહી છે તેને અજવાળામાં લાવી તેનું સુંદર ચિત્તાકર્ષક રૂપ જગતમાં પ્રસિદ્ધ કરવું જ જોઈએ. હમણાં તે અમૂલ્ય પાણીદાર રત્ન અગાધ અંધાર મહાસાગરના ઊંડા કોતરમાં પડી રહ્યું છે તેને કોઈ ચોક્સીને આપી કોઈ વીંટીમાં જડવું જ જોઈએ. હમણાં તે એક ખૂબસૂરત ખુશબોદાર ફૂલ જંગલમાં ઊગેલું છે, અને તેની સુગંધ નકામી વેરાઈ જાય છે તેને બદલે કોઈ માળીને ત્યાં લાવી કોઈ ગોટાની વચ્ચોવચ મૂકવું જ જોઈએ. તમે તેને અહીં રાખીને શું કરશો ? તેની આ વયે નિરંતર તમને જ જોયાં કર્યાથી તેને સંતોષ કેમ થાય ? તમારા જેટલી વૃદ્ધ ઉંમરનો માણસ તે તેનો યોગ્ય સોબતી શી રીતે થઈ શકે ? જ્યાં સુધી દેવળદેવી તમારી પાસે છે ત્યાં સુધી તે ટોળામાંથી જુદી પડેલી હરણી જેવી છે; પાણીમાંથી બહાર કાઢેલી માછલીના જેવી છે, જો તમે તેને પાણીમાં પાછી નહીં મૂકી દો તો તે ટળવળીને મરી જશે. તમે એક પતંગને દીવા પાસેથી આઘું કર્યું છે. તે ત્યાં રહેશે ત્યાં સુધી તેને સુખશાતા કેમ વળશે ? તમે વાડીમાંથી એક ફૂલનો રોપો મારવાડના રેતીના રણમાં રોપ્યો છે, તે તયાં પાણી વિના કેમ ઊછરશે ? વાડીનાં ફૂલોમાં રમનારી પોપટીને તમે ત્યાંથી ખસેડીને ઘરમાં મૂકી છે, ત્યાં તેને ખુલ્લા તડકામાં ઊડવાને બદલે ભોંય ઉપર ચાલવાનું મળે તેથી તે કેમ રાજી થશે ? માટે મારા કહ્યા પ્રમાણે કરો. જો તમે એમ કરશો તો તમને પણ ઘણો ફાયદો થશે; તમને કદાપિ એ શરતથી તમારું રાજ્ય પાછું મળશે; તમારે ખંડણી તો બીજા રાજાઓની પેઠે આપવી પડશે તોપણ તમે રાજા કહેવાશો; તમારું ગયેલું સુખ સઘળું પાછું મળશે; પાદશાહ તમારા ઉપર ઘણી મહેરબાની રાખશે; અને આવી દુર્બળ કંગાળ અવસ્થામાં રહેવાને બદલે તમે સઘળી વાતે પહેલાંના જેવા સુખી થશો. આવો વખત ફરીથી આવવાનો નથી; એક તેર વર્ષની બાળકીના બદલામાં લાખો રૂપિયા તમને મળે છે; થોડુંક નુકસાન વેઠ્યાથી બેસુમાર લાભ થાય છે, માટે એ વાત ઉપર પાકો વિચાર કરીને જવાબ દેજો. ઉતાવળ કરવાનું કાંઈ કામ નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે મોં ધોવા જશો મા. તમે રાજવંશી છો. તમે કેટલાંક વર્ષ સુધી એક મોટા દેશ ઉપર રાજ્ય ચલાવ્યું છે, માટે તમને વધોર કહેવની જરૂર નથી. હું તમારી તરફથી નકારની તો આશા રાખતો નથી; પણ જો કદાચ તમારા દુર્ભાગ્યને લીધે. તથા પડતા દહાડામાં માણસની અક્કલ ઊંધી થઈ જાય છે. તેને લીધે જો તમે ના કહેશો તો થોડે અંતરે એક મોટું સૈન્ય તૈયાર છે તે અહીં આવી બળાત્કારે તે છોકરીને પકડી જશે. પછી તમારું કાંઈ ચાલવાનું નથી અને તેમાં તમારી શોભા પણ રહેશે નહીં.’’

આટલી વાત સાંભળતાં સાંભળતાં જ કરણને વારે વારે ક્રોધનો આવેશ તો આવતો હતો, પણ તેણે અત્યાર સુધી તેના મન ઉપર અંકુશ રાખ્યો હતો. હવે જ્યારે તેનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેનું મન વશ રહ્યું નહીં. તેણે જુસ્સાથી જવાબ દીધો - ‘‘અગર જો આસમાન તૂટી પડે, અગર ધરતી રસાતાળ જાય, અગર પાદશાહ પોતે તથા તેથી પણ વધારે ખુદ પરમેશ્વર મારી પાસેથી એ છોકરી માગવા આવે તોપણ હું તેને ખુશીથી તો કદી આપું નહીં. હું હમણાં એવી અવસ્થામાં છું કે મને કોઈ માણસનો ડર રહ્યો નથી. મેં મારું સર્વસ્વ ખોયું છે. હવે મારી પાસે જવાનું બાકી રહ્યું નથી. મારા ઉપર સઘળી જાતની આફત પડી ચુકી છે. હવે વધારે અથવા એથી મોટી આફત બીજી છે જ નહીં. તેથી હું તમારા પાદશાહથી; તમારા મલેક કાફુરથી તથા તેના અગણિત લશ્કરથી જરા પણ બીતો નથી. હજુ રજપૂતો એટલા અધમ થઈ ગયા નથી; હજુ તેઓમાં આબરૂનો છેક નાશ થઈ ગયો નથી; હજુ તેઓમાંથી જાતનો તથા કુળનો અહંકાર એટલો ગયો નથી કે તેઓ પોતાનું રક્ષણ, પોતાનો લાભ, પોતાનું સુખ, પોતાની દીકરી પારકાને આપીને માગે. ના, ના, એવો દહાડો હજુ આવ્યો નથી, અને આવતાં ઘણી વાર છે. છોકરીને મ્લેચ્છ પાદશાહને આપું ? તેને દુષ્ટ ચંડાળ લોકોને સોંપું ? તેને તેના બાપના ક્ટ્ટા શત્રુને, તેના બાપનું વગર કારણે રાજ્ય હરણ કરનારને, તેને આવી દુર્દશામાં લાવનારને ત્યાં મોકલું ? એમ કદી થનાર નથી. જ્યાં લગી આ ઘટમાં પ્રાણ છે, જ્યાં સુધી આ શરીરમાં રુધિર વહે છે, જ્યાં સુધી તલવાર પકડવાને આ હાથ સલામત છે, ત્યાં સુધી હું એ છોકરીને મારા હાથમાંથી જવા દેવાનો નથી. તેને લેતાં પહેલાં તેના રક્ષણને અર્થે મારા પ્રાણ અર્પણ કરવાને તૈયાર છું. મારા મોત પછી તેનું જે થાય તે ખરું પણ શું કરણને વાસ્તે જગતમાં એમ કહેવાશે કે તેણે જીવતાં પોતાના સ્વાર્થને સારુ પોતાની છોકરી વેચી ? કદી નહીં. હું તેને મારે હાથે કાપી નાશી; એ કુમળું ફૂલ અપવિત્ર તથા અધમ હાથમાં જાય તે કરતાં હું તેને તોડી નાખીશ; એ પાણીદાર અમૂલ્ય મોતી કોઈ નીચના શરીરને શણગારે તે કરતાં હું તેને ભાંગી ચૂરેચૂરા કરી નાખીશ. એ વાતની અમને રજપૂતને કાંઈ શરમ નથી. તેથી અમારી કાંઈ અપ્રતિષ્ઠા થવાની નથી. તે તો અમારો અસલથી ચાલ્યો આવેલો સંપ્રદાય જ છે. અમે તો અમારા કુળની લાજ રાખવાને તથા હલકા માણસને અમારી કન્યા આપવી ન પડે માટે છોકરીઓને જન્મતાં જ દૂધપીતી કરીએ છીએ. મેં તેને જીવતી રાખી, મોટી થવા દીધી, એ જ મેં ભૂલ કરી. પણ હજી શું થયું છે ? એક તલવારના ઘાથી ધારેલું કામ બની આવશે. એક ઘાથી મારી, મારા કુળની, મારી જાતની, મારા દેશની આબરૂ રહેશે. એક ઘાથી તમારા પાદશાહની ઉમેદ અફળ થશે. અને એક ઘાથી મારી છોકરી અપવિત્ર થતી બચશે. અરે ચંડાળ, દુષ્ટ, પાપણી કૌળાદેવી ! હવે તને રાણી શા માટે કહું ? અરે ! મેં તને કેટલું સુખ દીધું છે ? મેં તને કેટલાં લાડ લડાવ્યાં છે ? મેં તારો મોંમાંથી પડતો બોલ ઝીલ્યો છે; મેં તને પટરાણી બનાવી હતી તે સઘળાનો બદલો તું આજ બહુ સારો લેવા નીકળી છે ! તને એ જ યોગ્ય છે ! અરે ! તું તારા ધણી, તારી છોકરી, માબાપ, સગાંવહાલાં, ન્યાતજાત, દેશ, એ સઘળું છોડીને ધર્મથી ભ્રષ્ટ થઈ, એક મ્લેચ્છ પાદશાહનના ઝનાનખાનામાં મહાલે છે, તું જીવતા વરે બીજાને વરી, તેં એક ભવમાં બે ભવ કર્યા, તું હમણાં એક દુષ્ટ અધર્મી પુરુષની બાથમાં પૈસાને લોભે ભરાઈ છે, સઘળી જાતનાં સુખ ભોગવે છે, તેની હું અદેખાઈ કરતો નથી; પણ તું મારી જરા પણ દયા રાખતી નથી, તું મારી અવસ્થા જોતી નથી, તું મારા અથાગ દુઃખ ઉપર કાંઈ પણ નજર કરતી નથી; તું કેવી સ્વાર્થી કે તને આટલાં બધાં છતાં છોકરીનું પણ સુખ જોઈએ છીએ, અને હું સઘળી રીતે પાયમાલ થઈ ગયેલો, હું આ મઠમાં સાધુની પેઠે દુનિયાનો તથા સુખનો ત્યાગ કરી બેઠેલો, હું એક છોકરી ઉપર મારા થોડા સુખને વાસ્તે આધાર રાખી રહેલો, તેટલું પણ સુખ તું મારી પાસેથી લઈ લેવા માગે છે ? અરે ભૂંડી ! તારી છોકરી આવવાથી તારા સુખમાં તો તેથી ઘણો જ થોડો વધારો થવાનો છે, પણ હું તો તેના વિના ટળવળીને રઝળીરખડીને મરણ પામીશ. તે સઘળું પાપ તારે માથે. અરે દુષ્ટ ! તું દુખિયાને વધારે દુખિયો કરવા ચાહે છે, તે તને કોઈ દહાડો સુખ થવાનું નથી. તું પણ મારી પેઠે દુખી જ થશે. હમણાં તો તારા સુખના મધ્યાહ્‌નનો સૂર્ય છે, પણ કોઈ વખત પણ સાંજ પડશે, કોઈ વખત પણ એ અસ્ત થશે, અને પછી ઘોર અંધારું થઈ જશે. પણ હું મિથ્યા શોક શા માટે કરું છું ? અને આ સંદેશો લાવનારને શા માટે ખોટી કરું છું ? તમે અમીર સાહેબ ! જઈને તમારા સરદારને કહો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી દેવળદેવીને કદી આપનાર નથી. તમારાથી જે થાય તે સુખેથી કરી લેવું.’’

પેલા અમીરે જોયું કે તેની સાથે વધારે વાત કરવામાં કાંઈ ફળ નથી, અને તે એવો ગુસ્સા ઉપર ચઢી ગયો છે, તથા એવો હઠીલા સ્વભાવનો દેખાય છે કે નરમ ઉપાયથી માનવાનો નથી તેથી તે વધારે બોલ્યા સિવાય ઊઠી ગયો, અને તેણે જતી વખતે કરણને એટલું જ કહ્યું, ‘‘હજી વખત છે, કબૂલ કરવું હોય તો હજી કરો. હું જઈને આ પ્રમાણે સઘળી હકીકત નાયબ મલેક કાફુરને જાહેર કરીશ. તે બધું લશ્કર લઈને તમારા ઉપર ચઢી આવશે, અને બળાત્કારે દેવળદેવીને લઈ જશે, અને હમણાં તેને રાજીખુશીથી આપવાથી જે લાભ થશે તે તે વખતે થવાનો નથી, માટે પછી પસ્તાશો, તેથી વિચાર કરો.’’ કરણ રાજાએ કાંઈ જ જવાબ દીધો નહીં તે ઉપરથી જણાયું કે હજુ તે કબૂલ કરતો નથી. તથા પોતાની હઠીલાઈ મૂકતો નથી તેથી તે અમીર ત્યાંથી ચાલયો ગયો અને કરણનો જવાબ સુલતાનપુર જઈ મલેક કાફુરને કહ્યો.

આ જવાબ સાંભળીને કાફુર ઘણો ગુસ્સે થયો, અને બે-ત્રણ દહાડા પછી બીજો માણસ પાછો કરણની પાસે તેણે મોકલ્યો; તે પણ તે જ જવાબ લઈને પાછો આવ્યો. પાદશાહનો હુકમ થયેલો એટલે દેવળદેવીને લાવવી તો જોઈએ. અલાઉદ્દીને તેને બે ત્રણ વાર ટોકી ટોકીને કહ્યું હતું. તેણે તેને લાવવાનું વચન આપ્યું હતું, તથા તે જો હાથમાં નહીં આવે તો કૌળારાણી કોપાયમાન થશે, અને તેની સત્તા પાદશાહ ઉપર એટલી તો છે કે તેના કહેવાથી તે પણ ક્રોધાયમાન થશે, અને તે જ્યારે રોષે ભરાયો ત્યારે આપણું માથું સલામત રહેશે નહીં એવી કાફુરને પક્કી ખાતરી હતી. પણ એ કામ કાફુરને એટલું તો હલકું લાગ્યું કે પોતે બાગલાણ ઉપર સઘળા લશ્કર સાથે જઈ ત્યાં વખત ખોવો એ તેને જરૂરનું લાગ્યું નહીં. દક્ષિણ દેશ જીતી ત્યાંથી અગણિત દોલત લૂંટી લાવવી, તેમાંથી કેટલોક ભાગ સિપાઈઓને, સરદારોને, તથા તેની સાથે આવેલા અમીરોને વહેંચી આપવો અને બાકી રહેલો ઘણો ભાગ કોઈ દહાડો તખ્ત મેળવવાને કામ આવે માટે પોતાને સારુ રાખવો એ તેની મુખ્ય મતલબ હતી તે ઉપર જ તેની નજર હતી, ત્યારે આવા હલકા કામમાં ગૂંથાવાથી શું ફળ ? તે કામ બીજાઓ પણ કરી શકે માટે તેણે જાતે શા માટે તસ્દી લેવી જોઈએ ? એવો વિચાર કરી તેણે ગુજરાતના સુબા અલફખાંને લખી મોકલ્યું કે, તમારે એક મોટું લશ્કર લઈ અમારી છાવણીમાં જેમ બને તેમ જલદીથી આવી મળવું. વળી તમારે બાગલાણને રસ્તે આવવું, અને ત્યાં કરણ રહે છે તેની પાસેથી ગમે તે ઉપાયથી અને જરૂર પડે તો લડાઈ કરીને પણ તેની છોકરી દેવળદેવીને જીવતી પકડી ઘણી આબરૂની સાથે અમારી પાસે લાવવી. જો એ છોકરી તમારે હાથ આવશે નહીં; જો તે તમારા હાથમાંથી છટકી જશે, અથવા તમે તેને જવા દેશો, તો પાદશાહની તમારા ઉપર ઘણી જ ઈતરાજી થશે. અને તમારે પછી તમારો જીવ ખોવાની જ તૈયારી રાખવી. એ પ્રમાણે અલફખાં ઉપર પાટણ ખત મોકલીને મલેક કાફુરે સુલતાનપુરથી પોતાની છાવણી ઉઠાવી.

આણીગમ કરણ રાજા પણ ઊંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું તે તેને સૂઝયું નહીં. છોકરી આપવાની ના કહી તેથી મ્લેચ્છ લશ્કરનો સરદાર ગુસ્સે થશે, એમાં કાંઈ શક ન હતો. સાંભળ્યા પ્રમાણે અલાઉદ્દીન ઘણા ક્રૂર સ્વભાવનો હતો. તે કદી પોતાનો હુકમ ફેરવતો નહીં. તેના કહેવા પ્રમાણે જો કામ ન થાય તો તે એટલો કોપાયમાન થતો કે જે શખ્સની તે ગફલત થઈ હોય તે પછી અમીર હોય કે ફકીર હોય તોપણ તેને પોતાના જાન ઉપરથી ફારગતી અપાવતો. માટે તેનો હુકમ અમલમાં લાવ્યા વગર કોઈથી પણ ચાલતું નહીં. થોડી મુદતમાં સઘળું લશ્કર આ કિલ્લા ઉપર તૂટી પડશે ત્યારે શું કરવું ? લડાઈ તો શી રીતે કરાશે ? માણસો નથી, પૈસા નથી, તથા બીજી સામગ્રી પણ નથી. અરે પરમેશ્વર ! તું મારા રંક ઉપર દયા લાવીને જો શું માટે અંતે દેવળદેવીને આપી દેવી પડશે ? અરે એ વિચારથી જ મારી કાયા થરથર ધ્રુજે છે, તથા મારા મનમાં ઉકળાટ થઈ આવે છે. પણ હવે આળસુ બેસીને રહેવાને વખત નથી. હવે કાન ફફડાવીને જાગ્રત થવું જોઈએ. હવે પ્રારબ્ધ ઉપર બેસી રહેવામાં મૂર્ખાઈ છે. જો હું મહેનત કરીશ તો પરમેશ્વર મને મદદ કરશે; જો હું આળસુની પેઠે નસીબ ઉપર બેસી નહીં રહેતાં કાંઈ પ્રયત્ન કરીશ તો દેવતાઓ એક કુમળી અબળાની વહારે ધાશે. જો હું યથાસામર્થ્ય કાંઈ ઉપાય કરીશ તો કોઈ પણ આ બિચારી નિર્દોષ પશુને વાઘના પંજામાંથી છોડવાશે. માટે આળસ ! તું જા; નસીબ ! તું દુર બેસ; અને મારી વહાલી ઢાલ-તલવાર તથા ધનુષ્ય બાણ ! તમે મારી પાસે આવો તમારું કામ હવે પડ્યું છે, માટે તમે મારા સંકટમાંથી મને ઉગારો, અને મારી પરમ પ્રિય દીકરીનું સુખ મને કાયમ રખાવો. હજી ગુજરાતમાં ઘણા શુરા સામંતો અંગીઠીમાંના અંગારાની પેઠે રાખમાં દબાઈ રહેલા હશે; હજી ઘણા બહાદુર રજપૂતો દુશ્મનોનું લોહી પીવાને તરસ્યા હશે. હજી ગુજરાતમાં કેટલાક લોકોના મનમાં મુસલમાનો ઉપર વેર લેવાનું હશે. હવે વખત આવ્યો છે. શું તેઓ એવા નિમકહરામ થઈ ગયા હશે કે આ વખતે તેઓના જૂના, દુઃખમાં પડેલા રાજાની મદદે નહીં આવે ? શું તેઓના મનમાંથી શરમ તથા આબરૂ એટલી જતી રહી હશે કે પોતાના દેશનો બચાવ નહીં કરે ? શું તેઓને પોતાના દેશ ઉપરથી એટલી બધી પ્રીતિ ઊઠી ગઈ હશે કે તેઓ નામર્દ હીચકારાની પેઠે પારકા દુષ્ટ મ્લેચ્છ લોકોનો જુલમ મૂગા મૂગા ખમ્યાં કરશે ? શું આવી વખતે તે ચંડાળ લોકો ઉપર વેર લેવાને મારી સાથે સામેલ થશે નહીં ? હું ધારું છું કે હજી એવો વખત આવ્યો નથી; હજી છેક લોકોમાંથી પાણી ગયું નથી; માટે મારા ઉપર જે આફત આવી પડી છે તેની તેઓને ખબર કરવી, તથા આવી વખતે મારી મદદ કરવાને સઘળા રજપૂતોને વિનંતી કરવી.

એ પ્રમાણે વિચાર કરી કરણ રાજાએ કેટલાક લોકોને પત્ર લખયા અને ગુજરાતમાં સઘળે ઠેકાણે જાસૂસો મોકલ્યા. થોડા દહાડા ગયા એટલે હથિયારબંધ રજપૂતો બાગલાણમાં આવવા લાગયા, કેટલાક સામંતો પોતાના વગના માણસોને સાથે લઈને આવ્યા, અને એ પ્રમાણે એક મહિનામાં પાંચ હજાર માણસ એકઠાં થયાં. ધન્ય છે એ રજપૂતોને ! શાબાશ છે બીજા લડવા આવેલા લોકોને ! આ લડાઈમાં જીતવાની ઘણી જ થોડી આશા હતી; હારવાનો સંભવ ઘણો જ હતો; મોત તેઓના મોં સામું તાક્યાં કરતું હતું; એવું છતાં પણ આ બહાદુર લોકો પોતાના જીવની આશા મૂકીને મોતને મળવા સારુ પોતાનાં ઘરબાર, બૈરીછોકરાં વગેરેને મૂકીને પોતાના જૂના રાજાને મદદ કરવા આવ્યા ! કરણ હમણાં કાંઈ રાજા ન હતો, તેની તરફથી તેઓને કોઈ રીતનો ભય કિંવા લાભ ન હતો, તે કાંઈ તેઓને પગાર આપવાનો ન હતો, તેની તરફથી તેઓને કાંઈ પણ પ્રકારની આશા ન હતી, તેની પાસે તેઓને કશી વાતે નુકસાન પહોંચાડવાની શક્તિ ન હતી, તે છતાં તેઓ શા માટે આવ્યા ? ફક્ત રાજા ઉપર પ્રીતિ, ફક્ત પોતાના દેશનું અભિમાન, અને ફક્ત પોતાના દેશીને સહાય થવાની ઉત્તમ વૃત્તિ. અરે ! એ સઘળું હમણાં આપણા દેશમાંથી જતું રહ્યું છે ! અને તે જવાથી જ આપણા લોકો આજ પરતંત્ર થયા છે.

પાંચ હજારનું લશ્કર આટલી ટૂંકી મુદતમાં એકઠું થશે, એવું કરણના સ્વપ્નમાં પણ ન હતું. પણ જ્યારે તેણે એ સઘળા લડવાની હોંશથી ભરપૂર તથા તેની ઉપર આવી પ્રીતિ રાખનારા માણસોને આવેલા જોયા ત્યારે તેના હૈયામાં હર્ષ માયો નહીં, તેનામાં લડાઈનો જુસ્સો પાછો આવ્યો અને તે પાછો રાતદહાડો લડાઈની તૈયારી કરવા મંડી ગયો. કિલ્લામાં જે કાંઈ ભાંગેલુંતૂટેલું હતું તે તુરત સમરાવી દીધું, જંગલમાંથી ભાથાના ભારેભારા મંગાવ્યા, તીરોની અણી કાઢવાને સઘળા લુહારોની દુકાનમાં ભઠ્ઠી તથા હથોડા ધમધોકાર ચાલવા માંડ્યા, ખાનદેશથી વણજારાઓને બોલાવી બાગલાણના રહેવાસી તથા સઘળા સિપાઈઓ તથા તેઓની સાથે આવેલાં સઘળાં માણસોને લાંબા વખત સુધી ચાલે એટલું અનાજ ભરાવવા માંડ્યું, અને બાકીનું વખતે વખતે પૂરું પાડવાને તેઓની સાથે બંદોબસ્ત કર્યો. આ વખતે કરણે પોતાનો હઠીલો સ્વભાવ જરા મૂકી દીધો તથા એકલા પોતાના મત પ્રમાણે જ ચાલવું એ જે તેની નુકસાનકારક ટેવ હતી તે હાલ છોડી દીધી. સઘળાં કામમાં તે પોતાના સામંતોની સલાહ લેવા લાગ્યો, અને ગમે તેવો હલકો સિપાઈ હોય તોપણ તેને બોલવાની તેણે રજા આપી, અને તેનો અભિપ્રાય ખોટો હોય તો કરણ તેને તકરારથી ખાતરી કરી આપતો અને જો ખરો હોય તો તેનો સ્વીકાર કરી તે પ્રમાણે ચાલતો. જો આવી વર્તણુંક તેણે પહેલાં રાખી હોત તો તેનું રાજ્ય કદાપિ જાત નહીં, અથવા જાત તો ઘણી મુદતે તથા શ્રમ કરાવીને તથા દુશ્મનોની ઘણી ખરાબી થયા પછી જાત. પણ માણસ ઘણું કરીને અનુભવથી ડાહ્યું થાય છે. તે ઠોકરો ખાઈને જ શીખે છે. પહેલવહેલાં જ વિચાર કરી સાચે રસ્તે ચાલનારા તથા ખરી રીતે કામ કરનારા થોડા જ હોય છે. તોપણ હમણાં કરણે જે ડહાપણ વાપર્યું, તથા જે યોગ્ય રીતે સઘળું કર્મ કર્યું, તેનાં ફળ કેટલીક વાર સુધી સારાં નીપજ્યાં, અને તેની અસર બીજાં જુદાં જ કારણો જે તેના હાથમાં બિલકુલ ન હતાં તેઓથી જ તૂટી.

જ્યારે કરણ આવી રીતે લડાઈ કરવાની તૈયારીમાં પડેલો હતો તે વખતે આપણે જરા પાટણ તરફ નજર કરીએ. નવ વર્ષ થયાં તે શહેર મુસલમાનોના હાથમાં આવેલું હતું. તેટલી ટૂંકી મુદતમાં પણ તેમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો. દિલ્હીથી જે જુદા જુદા સુબાઓ ત્યાં મોકલવામાં આવ્યા હતા તેઓ પાદશાહની નજરથી દુર પડેલા તેથી ઘણો જ જુલમ લોકો ઉપર કરતા હતા. તેઓને તેમની નોકરી કેટલી મુદત પહોંચશે, એ વાતનો જ નિશ્ચય ન હતો. નોકરીમાંથી કાઢી મુક્યા પછી ઘણું કરીને તેઓની પાસેથી એવો તો દંડ પાદશાહ લેતો કે જો એકલા પોતાના પગાર ઉપર જ રહે તો ચાકરી પછી પ્રમાણિકપણે મેળવેલી સઘળી દોલત તેઓની ઘસડાઈ જાય. તેઓ જુલમ કરી રૈયત પાસેથી લાખો રૂપિયા ખાઈ જાય છે એવો પાદશાહના મનનો સિદ્ધાંત હતો. તેમાં જો કોઈ વાજબી રીતે ચાલે તોપણ તે લુચ્ચો ગણાય, અને તેની અવસ્થા પણ લુચ્ચા જેવી જ થાય તયારે પ્રમાણિકપણે કોણ ચાલે ? પાદશાહના આ દૃઢ વિચારનું પરિણામ એટલું જ થયું કે દેશની આમદાની સરકારને ઓછી થઈ, રૈયત પાસેથી ઘણા જ વધારે પૈસા લેવામાં આવ્યા, અને તે પૈસા સુબાના ખાનગી ખજાનામાં ભરાયા. જમીન ઉપર મહેસૂલ વધારી દીધું અને ખેડૂતો ભુખે મરવા લાગ્યા, તથા તેઓના ઉપર ઘણો જ જુલમ ગુજરવા લાગ્યો. વેપારની વસ્તુઓ ઉપર જકાત પહેલાં કરતાં ચોગણી થઈ તેથી વ્યાપાર પણ તૂટવા લાગ્યો, વેપારીઓને ઘણું નુકસાન પહોંચ્યું, અને શહેરમાંથી દોલતનો પણ ઘટાડો થયો. સહેજ અન્યાયને માટે સારા સારા આબરૂદાર લોકોને પકડી મંગાવી તેઓને એટલી તો દહેશત આપવામાં આવતી, તથા વખતે તેઓના શરીરને ભયંકર યંત્રો વડે એટલું તો દુઃખ દેવામાં આવતું કે તેઓ આવી અવસ્થામાંથી છૂટવાને માગે તેટલું અથવા ઘણામાં ઘણું આપી શકાય તેટલું દ્રવ્ય આપીને મૂગે મોંએ ઘેર જતા. જે લોકોએ પૈસો મેળવી સંગ્રહ કર્યો છે એવો તેઓના ઉપર શક આવે, અથવા જેઓ પોતાની આબરૂને ઘણી પ્યારી ગણે છે એવી બે લોકમાં વાત ચાલે કે તેઓના ઉપર જૂઠાં તહોમત મુકીને તેઓની ઘણી ગેરઆબરૂ કરવામાં આવતી, અને જ્યારે તેઓ સુબાનું ગજવું ભરી આપતા ત્યારે જે તેઓનો છૂટકો થતો. બીજી ઘણી જાતના પહેલાં સાંભળવામાં ન આવેલા કરો લોકો ઉપર બેસાડ્યા; તેઓમાં જઝીઆથી, તેને ઉઘરાવવાની ક્રૂર તથા સખત રીતથી, અને ઉઘરાતદારની લુચ્ચાઈ તથા જુલમથી લોકો ત્રાહ્ય કરવા લાગ્યા. પ્રજાની મિલકત તથા જિંદગી જરા પણ સલામત ન હતાં. તેઓનો વીમો લાખો રૂપિયાના ‘પ્રિમિયમે’ પણ કોઈ ઉતારે નહીં. જે દહાડો જાય તે ગનીમત, જે પૈસા સલામત રહ્યા, જે જીવતા સુધી તેની પાસે રહ્યા તે જ તેના, અને રાત્રે સૂઈને બીજે દહાડે સહીસલામત ઊઠે ત્યારે જ એક દહાડો જીવ્યા એમ કહેવાય. એ પ્રમાણેનો જુલ્મ ચાલી રહેલો હતો. રજપૂતોના રાજ્યમાં બૈરાંઓને ફરવાહરવાની છૂટ હતી તે સઘળી જતી રહી. જે બૈરી ખુલ્લી રીતે રસ્તામાં ફરે તેને મુસલમાન લોકો તે ગમે તેવી આબરૂદાર હોય તોપણ કસબણ સમજતા હતા, અને તેનું ઘણું અપમાન કરતા હતા, તેથી બિચારાં બૈરાંનું તે સુખ પૂરું થયું; તેઓ સઘળે ઠકાણે કેદીની પેઠે ગોંધાયાં; આબરૂદાર લોકોના ઘરમાં ઝનાનખાનાનો ઓઝલ પડદો પળવા લાગ્યો; અને એ પ્રમાણે થવાથી બૈરાંની રીતભાતમાં તથા ચાલચલણમાં પણ માઠો ફેરફાર થવા લાગ્યો ગરીબ લોકોનાં બૈરાં જેને જાતે રળવાની ફિકર હતી, જેને બહાર ફર્યાહર્યા વિના ચાલે નહીં એવું હતું, તેઓ જ માત્ર ઘણી લાચારીથી બહાર ખુલલાં નીકળતાં. તે બિચારાંને પણ ઘણી દહેશત રહેતી, અને તેઓમાંથી કદાપિ કોઈ દેખાવડું હોય તો તેની ખરેખરી કમબખ્તી જ જાણવી. તે બાપડીની તો ડગલે ડગલે ફજેતી, ધર્મને પણ એ જ પ્રમાણે ધક્કો લાગ્યો. તેનું પણ એ જ પ્રમાણે અપમાન થવા લાગ્યું. સવારના પહોરમાં જ્યારે મસ્જિદોમાંથી મુલ્લાં બાંગ પોકારે ત્યારે કોઈપણ દેવસ્થાનમાં ઘંટ, શંખ વગેરે બીજાં વાજિંત્રો વગાડવાની ઘણી સખ્ત મનાઈ કરવામાં આવી હતી. મસ્જિદ આગળ કોઈ પણ હિંદુઓ વાજિંત્ર વગાડે તો તેને ભરે શિક્ષા થતી હતી. મુસલમાન લોકોને ધર્મ સંબંધી કોઈપણ કામમાં ભોગેજોગે કોઈ હિંદુ હરકત કરે તો તેણે તો પોતાના જીવની આશા છોડી જ દેવી. એથી ઊલટું, હિંદુઓના ધર્મ સંબંધી સઘળાં કામોમાં હરકત કરવાની હરેક મુસલમાનને રજા હતી. રજા સ્પષ્ટ તો આપેલી નહીં, પણ તેવી હરકત કરનારને કાંઈ પણ સજા થતી નહીં. એટલે તેમ કરવાની રજા મળેલી હોય તેના જેવું જ હતું. હિંદુઓથી ખુલ્લી રીતે કોઈ પણ ક્રિયા થઈ શકતી નહીં, કેમ કે છેક સૂબાથી તે એક હલકા મુસલમાન ઝાડુ કાઢનાર સુધી સઘળાને ખાતરી હતી કે હિંદુઓનો ધર્મ પાખંડી, શેતાનનો બનાવેલો, તથા જેમ બને તેમ જલદીથી જડમૂળથી ઊખેડી નાંખવા જેવો છે, એવા ધર્મને હરકત કરવામાં, તથા જોરજુલમથી હિંદુના મોંમાં થૂંકીને તથા બિસ્મિલ્લા બોલાવીને તેને મુસલમાન કરવામાં મોટો સવાબ છે, એમ તેઓ માનતા. રોજ રોજ કેટલાક હિંદુઓ પૈસાની તથા આબરૂની લાલચથી મુસલમાન થતા, કેટલાક તો લોકો ઉપર જુલમ કરી શકાશે એવા વિચારથી તથા રાજ્ય કરનારના વર્ગમાં ભળી જવાથી મોટો અધિકાર મળશે, તથા હિંદુ તરીકે તેમના ઉપર જે જુલમ ગુજરતા હતા તે બધામાંથી છૂટા થવાશે, એ મતલબથી જ પોતાનો ધર્મ છોડીને દીન મહમ્મદનું નામ ધારણ કરતા હતા. કેટલાક બિચારાને તો મુસલમાનો પકડીને બળાત્કારે વટાળતા, અને કેટલાકને તો લાલચ આપી બિસ્મિલ્લા બોલાવતા; પછી તેઓ ભીખ માગીને ખાતા; અને મસ્જિદોમાં સૂઈ રહેતા.

હિંદુઓના દેવની તથા દેવસ્થાનોની અને તેઓની સાથે તેઓના પૂજારીઓ તથા બ્રાહ્મણોની પણ તેવી જ દુર્દશા થઈ. દેવસ્થાનોના અંગના ઘણા હક્કો સુબાએ છીનવી લીધા, પૂજારીઓને પૂજા બદલ જે મળતું તે બંધ કર્યું, બ્રાહ્મણોને જે હક્ક તથા વર્ષાસન આગલા હિંદુ રાજાઓએ કરી આપ્યાં હતાં તેઓમાંનાં ઘણાંખરાં અટકાવ્યાં, દેવોનું સઘળે ઠેકાણે અપમાન થવા લાગ્યું, કેટલેક ઠેકાણેથી તેઓનાં દહેરાંમાંથી તેઓને કાઢી ફેંકી દીધા, તેઓનાં દેવાલય ઉપરનો હજારો વર્ષનો ભોગવટો રદ કર્યો. ઘણાં દહેરાંઓ ભાંગી નાંખી તથા કેટલાંકમાં થોડોઘણો ફેરફાર કરી તેઓની મસ્જિદો બનાવી; અને જ્યાં ઘંટનો અવાજ તથા શંખનાદ સંભળાતો હતો ત્યાં મુલ્લાં બાંગ પોકારવા લાગ્યા. બીજે કેટલેક ઠેકાણે ખાનગી લોકોનાં ઘરો તોડી પાડીને ત્યાં મસ્જિદો બાંધી. શહેરની વચ્ચોવચ એક ઘણું જ શોભાયમાન તથા મોટું પંકાયેલું મહાદેવનું દેવસ્થાન હતું તે અલફખાંએ તોડાવી પાડીને ત્યાં જુમા મસ્જિદ બંધાવી. તે ઘણી જ મોટી તથા રોનકદાર હતી. તે ધોળા સંગેમરમરની બાંધેલી હતી, તથા તેમાં સ્તંભો એટલા બધા હતા કે તેઓને ગણવામાં ભૂલ પડ્યા વિના રહે જ નહીં. એ મસ્જિદ તૂટેલી ભાંગેલી હજી પણ છે. એ યઠેકાણે અલફખાં તથા મોટા મોટા અધિકારીઓ નમાઝ પઢવાને આવતા હતા.

એ પ્રમાણે આરંભમાં જ મુસલમાન લોકોએ હિંદુઓ ઉપર જુલમ કર્યો. જૈનમાર્ગી તથા શૈવમાર્ગી એ બંને પોતાનું આદ્ય વેર ભૂલી જઈને એકઠા થઈ બંનેના ધર્મની આવી ખરાબી જોઈને અફસોસ કરવા લાગ્યા. જુલમની ફરીયાદ તો કોને કરે ? દિલ્હી તો ઘણું વેગળું પડ્યું. તયાં જઈ શી રીતે કરાય ? માટે જ્યારે તેઓને ફરિયાદ કરવાની જગા રહી નહીં ત્યારે હરેક જુલમને પ્રસંગે પહેલાં તો તેઓ હુલ્લડ ઉઠાવવા લાગ્યા. પણ મુસલમાનોનું લશ્કર પાસે જ હતું તે તેઓના ઉપર તૂટી પડતું, અને જરા પણ દયા રાખ્યા વિના તેઓને ઘાસની પેઠે વાઢી નાખતું. આખરે તેઓનું કંઈ વળતું નહીં. મફતના હજારો માર્યા જતા. અને એ પ્રમાણે સામે થવાથી જુલમ તો વધતો જતો, તેથી તેઓ ધીમે ધીમે બકરાં જેવા થઈને બેઠા. તેઓના જુસ્સો નરમ પડી ગયો, તેઓનું શુરાતન નબળું પડવા લાગ્યું; એ તેઓની તલવાર તથા બીજાં લડાઈનાં શસ્ત્રો કટાવા લાગ્યાં. બિચારા હિંદુઓ ભાજીખાઉ જેવા થઈ ગયા. લડવાને બદલે બડબડવાનું કામ વધારે ચાલ્યું. જેમ જેમ તલવાર કટાતી ગઈ તેમ તેમ જીભ વધારે તેજ થતી ગઈ; અને ગુલામગીરી તથા જુલમ ઘણા દહાડા મૂગા મૂગા સહન કરવાથી જૂઠું બોલવાની ટેવ, ઢોંગ, લુચ્ચાઈ, હલકાઈ, નબળાઈ, આળસ વગેરે ઘણા દુર્ગુણો એ લોકમાં આવ્યા. પરદેશી જુલમી રાજ્યમાં રહેવાથી એ સઘળા દુર્ગુણો આવ્યા વિના રહેતા જ નથી તે પ્રમાણે હિંદુઓને થયું, અને તેઓનાં મન પર એટલા તો જોરથી ચોટ્યાં કે તેઓની અસર આજ પાંચસો વર્ષ થવા આવ્યાં તોપણ છેક ગઈ નથી.

મલેક કાફુરનો હુકમ અલફખાંને પહોંચતાં તેણે લડાઈની તૈયારી કરવા માંડી, અને થોડી મુદતમાં તેણે દશ હજાર માણસ એકઠાં કર્યા. એટલું લશ્કર લઈને તે પાટણ શહેરથી નીકળ્યો. કરણ રાજા જ્યારે નવ વર્ષ ઉપર એવા જ કામને સારુ પાટણ શહેરમાંથી છેલ્લી વારે ગયો ત્યારે લોકોને જેવો ઉમંગ હતો તથા તેના વિજયને વાસ્તે જેવી આતુરતા લોકોએ બતાવી હતી તેવું આ વખતે કાંઈ જ જોવામાં આવ્યું નહીં. રસ્તામાં લશ્કરના માણસો સિવાય બીજું કોઈ ન હતું. કોઈએ તેઓને આશીર્વાદ દીધો નહીં, તથા કોઈએ પરમેશ્વર પાસે તેઓનો જય પણ માગ્યો નહીં. લોકો ઘણા દિલગીરીમાં હતા, અને અંતઃકરણમાં એવું ચાહતા હતા કે એ સઘળું લશ્કર ધૂળધાણી મળી જાય તો સારું. તેઓ માજી રાજાને રોજ રોજ સંભાર્યા કરતા હા. અને તેને લીધે તેઓની કરણ ઉપર એટલી તે પ્રીતિ વધી ગઈ હતી કે તેની પ્યારી કુંવરી મુસલમાનોને હાથ ન ાય, તથા કરણની અને તેની મદદે ગયેલા રજપૂતોની અને તમામ હિંદુ લોકોની આબરૂ રહે એમ ઈચ્છતા હતા. પણ તેઓને આશા ઘણી થોડી હતી; તેઓ અલાઉદ્દીન પાદશાહનો સ્વભાવ સારી પેઠે જાણતા હતા, તેઓને ખબર હતી કે જે વાત પાદશાહ મન ઉપર લેતો તે વાત તે પાર પાડ્યા વિના રહેતો જ નહીં; તેઓને માલુમ હતું કે મુસલમાનોનું સામર્થ્ય ઘણું હોવાથી જો આ લશ્કરથી ધારેલું કામ બનશે નહીં તો બીજું લશ્કર મોકલશે અને કરણની પાસે તો થોડાં માણસો હતાં, તેથી તેઓ જો કપાઈ ગયાં તો તેઓની જગાએ બીજાં આવવાનાં નથી, તથા તેની આવી પડતી હાલતમાં તથા તેના શત્રુઓની આવી ચઢતી અવસ્થામાં કોઈ રાજારાણા પણ તેને મદદ કરવાના નથી, તેથી નિરાશ થઈને તેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખીને શું થાય છે, તે જાણવાની રાહ જોઈ બેસી રહ્યા. એક મહિનામાં અલફખાં પોતાના લશ્કર સહિત બાગલાણ જવાના બે પહાડો વચ્ચેના એક સાંકડા રસ્તા આગળ આવ્યો. આગળ આપણે કહેલું છે કે બાગલાણની ચોતરફ મોટા ઊંચા પહાડો હતા, અને તે શહેરમાં જવાના ચાર દિશાએ ચાર રસ્તા હતા. એ રસ્તાઓ બે ઊંચા પહાડની વચ્ચે થઈને હતા, અને તેઓ એવા તો સાંકડા હતા કે તેમાંથી ચારપાંચ માણસો અને કેટલેક ઠેકાણે ઘણામાં ઘણા દશ માણસો સાથે એક હારમાં ચાલી શકે. એ પ્રમાણે હોવાથી તેઓને બચાવ કરવો, એ સહેલું કામ હતું. એવે ઠેકાણે થોડા બહાદુર માણસો ઊભાં રહે તો તેમનાથી દસગણાં માણસોને આવતાં તેઓ રોકી શકે. વળી પહાડોની ટોચ ઉપરથી બીજાં માણસો નીચેના લશ્કર ઉપર પુષ્કળ માર ચલાવી શકે અને નીચેના લોકો ઉપલાઓને ઘણું નુકસાન કરી શકે નહીં. એ જ પ્રમાણે થરમોપિલી આગળ થોડા જ યૂનાની લોકોએ અસંખ્ય ઈરાનીઓને રોક્યા હતા, અને એ જ પ્રમાણે હમણાં ત્રણસો રજપૂત સિપાઈઓએ પણ અલફખાંનું તમામ લશ્કર અટકાવ્યું.

કરણે પહાડોમાં થઈને બાગલાણમાં આવવાના સઘળા રસ્તા સાચવવા માણસો રાખ્યા, અને એ પ્રમાણે નાકાબંધી કરી પોતે થોડાક માણસો સાથે રાખી પહાડોનાં મથાળાં ઉપર ફર્યાા કર્યું. જ્યારે તેને ખબર પડી કે ફલાણે નાકે દુશ્મન આવ્યા ત્યારે તે રસ્તાની બે બાજુ ઉપરના બે પહાડોની ટોચ ઉપર પોતાના માણસોને રાખી ઊભો રહ્યો. લડાઈને વાસ્તે સઘળી ગોઠવણ કરી, તથા જુદા જુદા સામંતોએ શાં શાં કામ કરવાં, લડાઈનો શી રીતે પ્રારંભ કરવો, શી રીતે તેને ચલાવવી, કોણે કોને મદદ આપવી, વગેરે ઘણો બંદોબસ્તે કર્યો. અલફખાંએ થોડેક દૂર છાવણી નાખી એક જાસૂસ કરણની પાસે મોકલ્યો. અને તેને કહેવડાવ્યું કે ‘‘તમારે તમારી છોકરી જલથી અમારે સ્વાધીન કરી દેવી, એટલે અમે તમને કાંઈ પણ ઉપદ્રવ કર્યા સિવાય પાછા ફરીશું, અને તેમ કરવાથી અમારા માણસનો, પૈસાનો, તથા વખતનો જે બચાવ થશે તેનો બદલો અપાવવાનો અમે અમારા મુખ્ય સરદાર નાયબ મલેક કાફુરને તમારે વાસ્તે ભલામણ કરીશું. તે આ વાત પાદશાહને જણાવશે એટલે તમને મોટો ફાયદો થયા વિના રહેશે નહીં. માટે જો તમને તમારો તથા તમારા માણસોનો જીવ વહાલો હોય, જો તમારે આ નિષ્ફળ પ્રયત્ન કરવામાં પૈસા નકામા નાખી ન દેવા હોય, અને તમારે જો સુખેથી રહેવું હોય તો અમારા કહેવા પ્રમાણે તરત અમલ કરો. તમે અમથાં મોતનાં ફાંફાં મારો છો. તમે શું એમ ધારો છો કે તમારાં મૂઠીમાં સમાય એટલાં માણસથી અમારું લશ્કર જિતાવાનું છે ? શું એક મોટી જોરાવર નદીનું પૂર હાથ વતી અટકાવી શકાશે ? આસમાન તૂટી પડશે તેને પગ વતી ઝીલી લઈ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની મતલબથી ટિટોડી ઊંચા પગ રાખી સૂવે છે તેના જેવી બેવકૂફી તમારા છે. એમ હોવું જોઈએ તો નહીં, ડાહ્યા થાઓ; વિચાર કરો; અને કોઈ બેઅક્કલ, વિચાર વગરના માણસની શિખામણ ઉપરથી તમે આ મુડદાંઓ એકઠાં કરી મોત માગી લ્યો છો, બળતી આગમાં ઝંપલાવવાનું કરો છો, તથા કાળને વગર બોલાવે મળવા જાઓ છો, એ કામ એક કોરે મુકો. જો તમે લડવા લાયક શત્રુ હોત તો તમારી સાથે હાથ મેળવવા અમે જરા પણ આંચકો ખાત નહીં. પણ તમારી આવી હાલતમાં તમારી સાથે લડતાં અમને શરમ લાગે છે, અમને ધિક્કાર આવે છે, અમને તમારી ઉપર દયા આવે છે. વળી તમને જીતવામાં આબરૂ શી ? સિંહે એક ઉંદર માર્યો એમાં કાંઈ સિંહની પ્રતિષ્ઠા વધતી નથી, માત્ર ઉંદરનો જીવ જાય છે. એક પહેલવાને એક નાના બાળકને માર્યું તેમાં પહેલવાનની શોભા શી ? માટે આ લડાઈનો ઢોંગ મૂકી દો, એવી છોકરાંની રમતથી અમે ડરવાના નથી. અમારા કહ્યા પ્રમાણે દેવળદેવીને આપી દો. મોડાં કે વહેલાં એમ કર્યા વિના તો છૂટકો નથી, ત્યારે ભૂંજીને વાવતા મા. જે કર્યા વિના ચાલે જ નહીં તે તરત કરવામાં ઘણો લાભ છે, માટે તમારો શો જવાબ છે તે જલદી કહો.’’

કરણ બોલ્યો : ‘‘અમે રજપૂત મોતથી બીતા નથી. અમે મરવાને જ આવેલા છીએ, તે જીવતા પાછા ઘેર જવાના નથી. અમે તમને, તમારા પાદશાહને, તમારા લશ્કરને ધિક્કારએ છીએ, અમને સહાય કરનાર પરમેશ્વર છે. અમે એક તેને ભરોસે તથા સત્યને આધારે લડીએ છીએ. પછી જો હારીશું તો અમારાથી જેટલું બન્યું તેટલું કર્યું એટલો જ અમને સંતોષ થશે, માટે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી દેવળદેવીને અમે કદી તમારે સ્વાધીન કરનાર નથી. કદી નહીં, કદી નહીં, કદી નહીં. જો લેવી હોય તો આવીને લઈ જાઓ, એટલો જ મારો જવાબ છે, તે જેણે તમને મોકલ્યા હોય તેમને પહોંચાડજો.’’

જાસૂસે જઈને અલફખાંને કરણનો જવાબ સંભળાવ્યો, તે ઉપરથી અલફખાંને ઘણો જ ક્રોધ ચઢ્યો, અને તેણે એકદમ કૂચ કરી આ જૂઠી હિમ્મતવાળા ઘેલા રજપૂતડાઓને મારીને હાંકી મૂકવાનો લશ્કરને હુકમ કર્યો. મુસલમાન સિપાઈઓ સહેજે જીત મળશે, એવો પૂરો ભરોસો રાખી તથા કોઈ ક્ષુદ્ર પ્રાણીને પગ તળે છૂંદી નાખવું હોય એટલી બેપરવાઈ રાખીને આગળ ચાલ્યા, પણ જ્યારે તેઓએ રજપૂતો પાસે નાકું છોડાવવાને પ્રયત્ન કર્યો ત્યારે તેઓને તેઓની ભૂલ માલૂમ પડી દુશ્મન કાંઈ ધિક્કારવા લાયક ન હતા. પાસે આવતાં જ રજપૂતોએ એવો તો તાકીને તેઓના ઉપર બાણનો માર ચલાવ્યો કે મુસલમાન સિપાઈઓની હાર તૂટી, તેઓ આશ્ચર્ય પામી ઊભા રહ્યા, અને આગળ જવાની તેઓમાં હિમ્મત રહી નહીં. અલફખાંએ તેઓની હિમ્મત જાગ્રત કરવાને ઘણી મહેનત કરી, તથા તેઓને ઘણા સમજાવ્યા, પણ આ પહેલા જ સપાટાથી તેઓમાં એવી તો દહેશત ભરાઈ ગઈ, તથા આટલાં થોડાં માણસોની હિમ્મત જોઈને તેઓ એવા તો વિસ્મિત થયા કે તેઓ થોડી વાર સુધી જડભરતની પેઠે ઊભા જ રહ્યા, અને પછી એકાએક તેઓએ પીઠ ફેરવી નાસવા માંડ્યું. અલફખાં ઘણો ગુસ્સે થયો, પણ લાચાર, તે શું કરે ? તોપણ તેઓ થોડેક સુધી નાઠા પછી તેણે તેઓને અટકાવ્યા. તે દહાડો તો જવા દીધો, પણ બીજે દહાડે પાછી ચઢાઈ કરી. આ વખતે પહાડ નીચેના માણસોએ આગલા દહાડાની પેઠે બાણની વૃષ્ટિ કરી, પણ તેથી મુસલમાનો ઉપર ઘણી અસર થઈ નહીં. તેઓ આગળ વધ્યા જ ગયા. રજપૂતોને પાછા હઠવું પડ્યું, અને જેમ જેમ તેઓ પાછા હઠતા ગયા તેમ તેમ મુસલમાનો આગળ વધતા ગયા. જ્યારે તેઓ સાંકડી નાળમાં ફસાઈ ગયા ત્યારે રજપૂતોએ અટકી પડવા માંડ્યું અને ઉપરથી કરણના માણસોએ તીરનો માર નીચે ચલાવ્યો. મુસલમાનોએ આવું ધાર્યું ન હતું. તેઓના ઉપર બે તરફથી હુમલો એક્કી વખતે થયો. જો ઉપરના શત્રુ સામે પોતાનો બચાવ કરવા જાય તો નીચેના માણસો તેઓને ભાલા વતી વીંધી નાખે, અને એથી ઊલટું કરવા જાયો તો ઉપરથી તીરનો વરસાદ વરસે. એ પ્રમાણે થવાથી મુસલમાન સિપાઈઓ ઘણા અકળાઈ ગયા. તેઓની એકેક હારમાં પાંચ કરતાં વધારે માણસો રહી શકે એટલી જગા નહીં હોવાને લીધે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં. તેઓમાંથી ઉપરાઉપરી માણસો મરવા લાગ્યા, અને આગળ કાંઈ થાગ લાગશે નહીં, એવું વિચારીને તેઓ વેરાઈ ગયા; તેઓમાં ભંગાળ પડ્યું; છૂટકછૂટક સઘળા નાસવા લાગ્યા. આવી અવસ્થામાં રજપૂતોએ એક ધસારો કરી દુશ્મનના ઘણાને કાપી નાખ્યા, અને પાછા પોતાને નાકે જઈ ઊભા રહ્યા. જો કરણ રાજાએ દોડ કરી હોત તો તેની મોટી મૂર્ખાઈ થાત કેમ કે તે મેદાનમાં પડત અને તેના દુશ્મન પાછા ફરીને તેને સપડાવત તો તેની ખરાબી થયા વિના રહેત નહીં. પણ આ વખતે પહેલાંના જેટલી તેણે બહાદુરી તો બતાવી પણ તેની સાથે ડહાપણ વધારે વાપર્યું. જો એટલું ડહાપણ તે વખતે વાપર્યું હોત. જો હમણાંની પેઠે તે બીજા અનુભવી તથા પ્રવીણ શૂરા સામંતોની સલાહ પ્રમાણે ત્યારે ચાલ્યો હોત તો તેને આ દહાડો આવત નહીં. આ વખતે તેના ડહાપણનું ફળ એ થયું કે મુસલમાન લશ્કરનું કાંઈ ચાલ્યું નહીં. તેઓ રોજ રોજ તેના ઉપર હુમલો કરતા, પણ હરેક વખતે હાર ખાધા વિના તેઓ પાછા જતા નહીં. મુસલમાન સિપાઈઓ ઘણા ગભરાયા તથા ચીઢવાયા. તેઓનો સરદાર પણ ઘણો ગુસ્સે થયો, અને જય પામ્યા સિવાય ત્યાંથી જવું નહીં, એવો તેણે પાક્કો ઠરાવ કર્યો. પણ તેના માણસો ઘણા મરાયા, બાકી રહેલા નિરાશ તથા નાહિમ્મત થઈ ગયા અને બીજા સિપાઈઓ એકઠા કરવાને તેણે જે મહેનત કરી તે હજી સુધી પાર પડી નહીં. તેને ઘણી જ શરમ લાગી, તથા આટલા થોડા માણસને તેનાથી હાંકી કઢાતા નથી; એ વાત જો મલેક કાફુર અથવા પાદશાહ જાણશે તો તેની કેવી ફજેતી થશે, તથા આગળ જે જે પરાક્રમો કરી તેણે કીર્તિ મેળવી હતી. તે સઘળી આ સહેજ વાતમાં ડૂબી જશે, એવી ચિંતા થવા લાગી. તેણે ઘણાં ફાંફાં માર્યાં, તેણે લશ્કર ઉપાડી છાનામાના બીજા રસ્તાઓમાંથી જવાનું કર્યું, પણ જ્યાં જ્યાં તે ગયો ત્યાં તયાં તેની સામે તૈયાર થયેલા રજપૂતો લડવાને નીકળ્યા, અને કરણ પણ પોતાના માણસોની સાથે બહુરૂપી અથવા ભૂત હોય તે પ્રમાણે રસ્તાને મથાળે માલૂમ પડ્યો. એ પ્રમાણે બે મહિના સુધી કરણ રાજાએ ઘણા ડહાપણથી તથા બહાદુરીથી લડાઈ ચલાવી, અને અલફખાંએ ગમે તેટલા પ્રયત્ન કર્યા તોપણ તેને કોઈ પણ રસ્તે બાગલાણ આવવા દીધો નહીં. મુસલમાન સિપાઈઓ થાકી ગયા, અને તેઓના ઘણા માણસો માર્યા હતા તેથી અલફખાંએ ઠરાવ કર્યો કે જ્યાં સુધી નવા બોલાવેલા સિપાઈઓ આવી પહોંચે ત્યાં સુધી લડાઈનું કામ બંધ રાખી એક ઠેકાણે છાવણી નાખીને રહેવું. એ ઠરાવથી કરણને પણ મોટો ફાયદો થયો. તે પણ લડી લડીને કાયર થઈ ગયો હતો, તેને ઘણા જખમ વાગ્યા હતા, તથા લડાઈના થાક તથા ફિકરચિંતાથી તેનું મન બેબાકળું થઈ ગયું હતું. તેને આરામ લેવાની ઘણી જ જરૂર હતી, તેના માણસો અસલ પાંચ હજાર હતા તે મરતાં તથા ઘાયલ થતાં માત્ર બે હજાર રહી ગયા હતા. તેઓ પણ ઘણા અશક્ત થઈ ગયા હતા, માટે જે થોડો વિરામ મળ્યો તેથી બંને તરફના માણસોને ફાયદો થયો. હવે કરણ રાજાએ પોતાની અવસ્થા ઉપર વિચાર કરવા માંડ્યો અને આગળપાછળથી તમામ હકીકત જોતાં તેના મનમાં ઘણી ઉદાસી ઉત્પન્ન થઈ. જે બે હજાર માણસ રહી ગયા તેમાં ઘટાડો થયા કરવાનો, વધારાની તો તેને કદી આશા ન હતી; એથી ઊલટું તેને ખબર હતી કે મુસલમાનોના લશ્કરમાં જલદીથી વધારો થવાનો હતો, અને જ્યારે તેઓની મદદે નવા સિપાઈઓ આવશે ત્યારે પોતાના થોડા રહી ગયેલા માણસો તેની સાથે લડી શકશે નહીં, એવી તેને ખાતરી હતી. અંતે તેઓ બાગલાણનો કિલ્લો સર કરવાનો, અને અંતે તેઓ બળાત્કારે દેવળદેવીને લઈ જવાના એ પણ નિશ્ચય હતું. લડવાથી માત્ર દહાડા નીકળે છે; બીજો કાંઈ ફાયદો નથી. તેના હાથ નીચેના સામંતો પણ એ વાત સારી પેઠે જાણતા હતા, અને હલકા સિપાઈઓને પણ મરવા સિવાય બીજી કાંઈ આશા ન હતી, અને મરવાની સાથે પણ જે કામને વાસ્તે મુસલમાન લોકો આવેલા છે તે સિદ્ધ કર્યા વિના તેઓ પાછા જવાના નથી, એવી તેમના મનની ખાત્રી હતી.

હવે કરણે શું કરવું ? લડી લડીને પોતાના માણસોના નકામા જીવ ખોવડાવવા; પોતે પોતાને હાથે મરવું કે લડાઈનો અંત આવે; અથવા પોતાની પુત્રી દેવળદેવી જે આ લડાઈનું સઘળું કારણ હતી તેને મારી નાખવી કે પછી લડાઈ આગળ ચલાવવાની મતલબ રહે નહીં. એ ત્રણે રસ્તા ભયંકર હતા. લડવાથી કાંઈ ફળ નહોતું. તેમાં માત્ર માણસો તરફનું નુકશાન થયા કરતું. પોતાના હાથે તો કેમ મરાય ? એ વાત પણ કરણને ગમે નહીં. આપઘાત કરવામાં ઘણું પાપ છે, એમ તે જાણતો હતો; આપઘાત કરવાથી નરકકુંડમાં પડાય એમ તેણે સાંભળ્યું હતું; તથા આપઘાતથી લોકોમાં અપકીર્તિ થાય એ નક્કી હતું. વળી જે નર જીવે તેને સઘળું મળે; મૂઆ પછી સઘળી આશા છોડવાની છે; માટે આપઘાત તો કરવો નહીં. હવે દેવળદેવીને મારી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નહીં. એ કામ ઘણું દુષ્ટ, ભયંકર, અસ્વાભાવિક તથા ચંડાળને લાયક, તોપણ તેવું કામ કરવાને રજપૂતોને થોડી ફિકર હોય છે. તેઓના તો આબરૂ વિષે ઘણા જ વિલક્ષણ વિચાર હોય છે. જે વાતમાં તેઓએ આબરૂ માની લીધી તે વાતમાં ગમે તેવું ક્રૂર કામ કરવું પડે તોપણ તેઓ જરા પણ આંચકો ખાતા નથી. વળી તેના વિચાર પ્રમાણે સ્ત્રીજાતિને આબરૂ સૌથી વધારે પ્યારી હોવી જોઈએ, અને તેઓના ભાટચારણના રાસા તથા દંતકથા ઉપરથી જણાય છે, કે ઘણાં બૈરાંએ આબરૂનું પ્રતિપાલન કરવાને જ પોતાના વહાલો પ્રાણ અર્પણ કરેલો છે. માટે આવી વખતે દેવળદેવીએ પણ મુસલમાનોના હાથમાં પડવા કરતાં પોતાને હાથે પોતાનો પ્રાણ કાઢવો જોઈએ, અને જ્યારે તે પોતાની મેળે તેમ કરતી નથી, ત્યારે કોઈએ તેને વાસ્તે તે કામ કરવું જોઈએ.

એ પ્રમાણે એક રાત્રે કરણ પોતાના મનમાં વિચાર કરતો હતો. ઘરમાં સઘળાં ચૂપાચૂપ સૂઈ ગયેલાં હતાં. એક દીવો માત્ર ઝાંખો બળ્યા કરતો હતો, અને મધ્યરાત્રિને સમયે તેનો સૂવાનો ઓરડો જાણે ખાવા ધાતો હોય એવો દેખાતો હતો. એવે વખતે વિચાર કરતાં કરતાં એટલો તો તે જુસ્સા ઉપર ચઢી ગયો, તથા તેને એટલું તો શૂર ચઢી આવ્યું કે પથારી ઉપરથી એક લલંગ મારી તે કૂદી પડ્યો, અને પોતાની તલવાર ખેંચી જે ખાટલા ઉપર દેવળદેવી સૂતેલી હતી ત્યાં જઈને ઊભો રહ્યો. દેવળદેવી ભર નિંદ્રામાં સૂતેલી હતી. તેના સુંદર કેશ છૂટા વિખેરાઈ ગયેલા ગમે તેમ પડેલા હતા. તેની ચળકતી આંખો ઉપર પોપચાં અડધાં બિડાયેલાં હતાં, તે રાત્રે જેમ કમળના ફૂલની પાંખડીઓ બંધ થાય છે તેના જેવી દેખાતી હતી. તેના હોઠ જરા આઘા રહેલા હતા, તેમાંથી તેનો ખુશબોદાર શ્વાસ નીકળતો હતો, અને એ ખીલેલા ગુલાબની પેઠે તેઓ મંદમંદ હસતા હોય એમ દેખાતા હતા. તેનું આખું શરીર નિંદ્રાને વશ થઈ બેભાન પડ્યું હતું, અને તેનું સુંદર વદન નિર્દોષપણાને લીધે આનંદમાં દેખાતું હતું. તે સ્વર્ગથી ઊતરી આવેલી અપ્સરાના જેવી લાતી હતી, તેને માત્ર જોવાથી જ ગમે તેવા ખૂની માણસનું પણ ખૂન ઊતરી જાય, આવા પરલોકના પ્રાણીને ઉપદ્રવ સરખો પણથાય નહીં, તો પછી તેને મરવાને ક્યા દુષ્ટ ચંડાળનો હાથ ઊપડે ? વળી આ ઠેકાણે તો તેનો બાપ જ ખૂની હતો. તે બંનેની વચે સહવાસથી ઘણો જ ગાઢો પ્યાર બંધાયેલો હતો. એથી જ્યારે કરણે તેની ઊંઘતી દીકરીનું મોં જોયું એટલે તરત તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ, અને તે ત્યાં સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. અરે, હું કેવો રાક્ષસ ! હું કેવો રાની પશુ કે આવું નિર્દય કામ કરવા તૈયાર થયો હતો, અરે પરમેશ્વર ! તેં ઠીક વખતે મને રોક્યો, નહીં તો આજ હું મારી આ તલવાર મારી છોકરીના અંતઃકરણમાં ખોસત. શિવ ! શિવ ! શિવ ! રે ભગવાન ! હું આ શું કરતો હતો ? શું મારે હાથે મારી જિંદગીનો આધાર તોડી નાખતો હતો ? તે કરતાં તેને શંકળદેવને પરણાવવામાં શી હરકત છે ? તેને તેની સાથે પરણવું બહુ ગમે છે; ને શંકળદેવને વાસ્તે હરઘડી હિજરાયા કરે છે; તેણે શંકળદેવના વિયોગથી પોતાની સઘળી કાયા ગાળી નાખી છે. તયારે જો હું તેને દેવગઢ પરણાવું તો લડાઈ પતી જાય. દેવગઢનો રાજા તેનું રક્ષણ કરવાને સમર્થ છે. અને તેને તો જુદા કારણને સારું અલાઉદ્દીનના લશ્કર સાથે યુદ્ધ કરવું જ છે. માટે તેની સાથે એ છોકરીનું લગ્ન કરવું. તેની જાત હલકી તો છે ખરી, તે મરેઠો છે માટે તેની પદવી રજપૂતોના જેટલી તો નથી તોપણ તેઓ યાદવ છે; અને આવી લાચારીને વખતે કુળ જોવામાં કાંઈ ફાયદો નથી. ઊલટું નુકસાન છે. માટે શંકળદેવ તથા દેવળદેવીએ જે ખાનગી લગ્નની પ્રતિજ્ઞા કરી છે તે મારે મંજૂર છે. એ ઠરાવથી તેને શાંતિ થઈ, અને તેના મનનું તોફાન નરમ પડી તેને ઊંઘ આવી.

આ વાત બન્યા પછી થોડેક દહાડે કરણની છાવણીમાં એવી બૂમ ચાલી કે દેવગઢ તરફથી એક લશ્કર આવે છે. તે કોનું હશે એ ન જાણવાથી કરણના સિપાઈઓમાં ઘણો ગભરાટ થયો, અને તેઓના મનમાં એવો સંદેહ ઊપજ્યો કે જે લશ્કરની મુસલમાન લોકો રાહ જુએ છે તે એ જ હશે. જેથી તેઓ સઘળા તેને અટકાવવાને તૈયાર થઈ ગયા. અલફખાંએ એવું ધાર્યું કે મને જતાં વાર લાગી તેથી મલેક કાફુરે મને આ દદ મોકલી હશે તેથી તેનાં માણસો ઘણાં ખુશી થયાં, અને આ નવા આવનારાઓને આદરમાન આપવાને તેઓ સઘળા તત્પર થઈ રહ્યા. જ્યારે તે લશ્કર થોડું પાસે આવ્યું ત્યારે એવું માલૂમ પડ્યું કે, એ તો ભીમદેવ થોડાંક માણસો લઈને આવે છે, પણ તેની આવવાની શી મતલબ હશે તે કોઈના જાણ્યામાં આવ્યું નહીં. અલફખાંને હવે નક્કી થયું કે જેઓ આવે છે તેઓ તેના મદદગાર ની પણ ઊલટા શત્રુ છે માટે તેઓને અટકાવી પાછા વાળવા જોઈએ. અને તે કારણસર તેણે પોતાનાં થોડાં માણસો આગળ મોકલ્યાં. કરણ પણ ઘણા સંદેહમાં પડ્યો. ભીમદેવની લશ્કર લીઈને આવવાની શી મતલબ હશે ? શું તેનો વિચાર દેવળદેવીને બળાત્કારે લઈ જવાનો હશે ? જો એમ હશે તો પહેલાંથી જ હું તેને મારી ખુશી બતાવીશ, પછી તે શા માટે જોર કરશે ? શું તેનો વિચાર ફરીથી દેવળદેવીનું માગું કરવાનો હશે ? એમ હોય (હોય તો કેવું સારું) તો હું તેના ઉપર જાતે મોટો ઉપકાર કરતો હોઉં એવું દેખાડી કેટલીક શરતે તેની વાત કબૂલ કરીશ. તે અલફખાંને મદદ કરવાને તો આવ્યો નહીં જ હશે. તેને અને અલાઉદ્દીન પાદશાહને તો કટ્ટું વેર છે. પણ હવે તે આવશે ત્યારે સઘળી વાત જલદીથી જણાઈ આવશે.

ભીમદેવે પોતાની સામે લડવાને મુસલમાનોનું એક લશ્કર આવે છે એમ જાણીને, તથા લડાઈ કરી વખત ખોવાની તેની ખુશી ન હતી તેથી પોાનો રસ્તો બદલ્યો, અને એક અજાણે માર્ગેથી પોતાનું લશ્કર લઈ જઈ જલદીથી કરણની છાવણીમાં જઈ પહોંચ્યો. મુસલમાન લોકોની ટુકડી ઘણે આગળ ગઈ, પણ ભીમદેવનાં માણસોને કાંઈ દીઠાં નહીં. આસપાસનાં ગામના લોકોએ ખોટી ખબર આપી તેઓને આણીગમ-તેણેગમ ઘણા રઝળાવ્યા, અને પછી તેઓ જ્યારે કટ્ટી ઝાડીમાં સપડાઈ ગયા ત્યારે તેઓના ઉપર ગામડિયા તથા પહાડી લોક તૂટી પડ્યા. આવે વખતે થોડાક મુસલમાન લોકો શું કરે ? તેઓને નાસવાનો કાંઈ રસ્તો જડે નહીં, ચોતરફથી ઘેરાઈજ્ઞ ગયા તેથી તેઓ નિરાશ થઈ મારીને મરવું, એવો નિશ્ચય કરી લડવાને ઊભા રહ્યા. પણ શેરને માથે સવાશેર, અજાણે ઠેકાણે ઝાડી અને પહાડીની વચ્ચોવચ આવી ગયેલા અને દુશ્મન એક પણ જણાય નહીં, પણ તેઓનાં તીરનો વરસાદ માથા ઉપર વરસ્યા જ કરે, તેથી એક બે દહાડામાં તેઓ સઘળા માર્યા ગયા, અને તેઓમાંથી એક પણ પોતાના સોબતીઓની ખબર કરવાને અલફખાંની પાસે જઈ શક્યો નહીં.

ભીમદેવનું કરણે ઘણું સન્માન કર્યું તથા તેને પરોણો જાણી પોતાની પાસે રાખ્યો. રસ્તાની મુસાફરીથી જે થાક લાગ્યો હોય તે ઊતર્યા પછી ભીમદેવે દેવળદેવીની વાત કાઢી, અને કરણને સમજાવીને કહ્યું કે ‘‘શંકળદેવ તથા દેવળદેવીની વચ્ચે અસાધારણ પ્યાર બંધાયેલો છે. શંકળદેવ દેવળદેવી વિના ક્ષય રોગમાં પડ્યો છે, અને તેને જો તે નહીં મળશે તો તેનું નક્કી મૃતયુ થશે. દેવળદેવીને પણ તે જ પ્રમાણે તેને વાસ્તે લાગતું હશે. હવે તેઓને પરણાવવામાં તમારી તરફથી શી હરકત છે ? કુળની બીજી કાંઈ નથી. પણ તમે મારા અભિપ્રાય પ્રમાણે એવા મૂર્ખ નહીં હો કે એવી જૂજ વાતને વાસ્તે તમારી છોકરીના સુખનો નાશ કરશો, તથા તમને થતા લાભ મૂકી દેશો. કુળની વાત ઘણી જ નજીવી છે. જેવા તમે રજપૂત તેવા અમે યાદવ છીએ. માટે એ લગ્ન કરવામાં તમને કાંઈ કલંક લાગવાનું નથી; પણ ફાયદા કેટલા થશે એનો તો વિચાર કરો. આ સઘળી લડાઈ દેવળદેવીને વાસ્તે છે. જો અલફખાંને ખબર થશે કે જે રાજકન્યા લેવા આવ્યા છીએ તે તો બીજાના હાથમાં જઈ ચૂકી તો તે તરત છાવણી ઉપાડી અમારી સાથે લડવાને આવશે, પછી અમે છીએ અને તેઓ છે. વળી અમે તમને માણસની તથા પૈસાની મદદ કરીશું, એટલે જ્યાં સુધી મારાથી દેવળદેવીને લઈને દેવગઢ પહોંચાશે નહીં ત્યાં સુધી આપણો બચાવ કરી શકીશું. માટે મારી વાત કબૂલ કરો.’’

કરણને એ સઘળું સાંભળવાની આશા જ હતીભ, તથા તેને શો જવાબ દેવો, એ પણ તેણે આગળથી નક્કી કરી રાખેલો જ હતો. તે પણ તે બહારથી ઘણો દિલગીર જણાયો, અને થોડી વાર સુધી જવાબ દેવામાં આનાકાની કરી. પણ જ્યારે તેના ભીમદેવે ઘણા કાલાવાલા કર્યા, ત્યારે તે બોલ્યો : ‘‘તમે કહો છો તે સઘળું ખરું છે. તમારા ભાઈ સાથે મારી દીકરીનું લગ્ન કરવાથી તમે ફાયદા બતાવો છો તે મને થાય તો ખરા, પણ કુળની વાત ઉપરથી જ મારું મન આંચકો ખાઈ જાય છે. હલકા કુળમાં છોકરીનાં લગન કરવાં એમાં અમે ઘણામાં અમે ઘતામાં ઘણી ગેરઆબરૂ માનીએ છીએ. પણ જો શંકળદેવને નહીં પરણાવું તો તે મ્લેચ્છ તુરકડાઓના હાથમાં પડશે, એ પણ વિચારવું જોઈએ. તમને અમે હલકા ગણીએ છીએ તોપણ તમે મુસલમાનો કરતાં લાખ, કરોડ દરજ્જે સારા છો; માટે એમાંથી તમારી સાથે સંબંધ કરવો વધારે સારો છે, એમ સમજી તમારી વાત કબૂલ કરું છું પણ તમારાથી એ દેવળદેવીને અહીંથી શી રીતે લઈ જવાશે ? અલફખાંની મદદે એક મોટું લશ્કર એકબે દહાડામાં આવનાર છે, તે આવે તેની અગાઉ તમારે અહીંથી જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ, અને તમારી લડાઈમાં સામેલ થઈ મારાથી બનશે એટલી મદદ કરીશ. માટે હવે ઉતાવળથી દેવળદેવીને લઈને આપણે સઘળાએ કોઈ આડેઅવળે રસ્તે બહાર નીકળી જવું જોઈએ. દેવગઢ પહોંચ્યા એટલે પાર પડ્યાં.’’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED