Karan Ghelo - 8 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 8

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૮


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૮

બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટના સર્વ રહેવાસીઓ છૂટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દિવાળી તો તે જ દહાડે થઈ, અને લોકો ઘણા ઉમંગથી સવારના પહોરમાં એકબીજાને જુહાર કરવા, બોણી લેવા તથા અન્યોન્ય ભેટ લેવા ઘણાં ઊંચાં વસ્ત્ર પહેરીને નીકળ્યાં. તે વખતે પોતાના મહેલમાં હરપાળ તથા શક્તિ દેવી ઉલ્લાસથી વાત કરતાં હાં, રાજાના દરબારમાં જવાની તૈયારી કરવામાં પડ્યાં હતાં, તથા કરણ રાજા જો કાંઈ ઈનામ આપવાનું કહે તો શું માગવું તે વિષે ખાનગી ગોઠડી કરતાં હતાં.

આશરે દોઢ પહોર દહાડે દરબાર ભરાવા લાગ્યો. દશેરાને દહાડે જેઓ મળ્યા હતા તેઓની સાથે આ વખતે પુરના મુખ્ય વ્યાપારીઓ તથા બીજા શ્રીમંત લોકો પણ દરબારમાં બિરાજેલા હતા. હરપાળ પણ ઘણાં ભભકાદાર લૂગડાં પહેરીને આવ્યો. તેને રાજાએ પોતાના જમણા હાથ તરફ પાસે બેસાડ્યો. જુહારનું તથા તે દહાડાનું બીજું કામ થઈ રહ્યા પછી કરણે હરપાળની તરફ જોયું, તેણે જે મહાભારત કામ કર્યું તેને માટે તેનો શાબાશી સાથે ઉપકાર માન્યો, અને એ કામનો ઘટતો બદલો તો તે આપી શકે તેમ ન હતું તથાપિ જે કાંઈ તે માગે તે ઘણી ખુશીથી તેને આપવાનું તેણે કબૂલ કર્યું. હરપાળે ઊઠીને રાજાને સાષ્ટાંગ દંડવત્‌ કર્યા અને હાથ જોડી એટલું જ માગી લીધું કે એક રાતમાં જેટલાં ગામ ઉપર તોરણ બંધાય તે સઘળાં મને ઈનામમાં આપવાં.

હરપાળ એટલું જ માગશે એમ કરણને આશા ન હતી; એથી વધારે ઈનામ માગી લેશે એમ તેને ફિકર હતી. પણ એક રાતમાં તો ઘણાં જ થોડાં ગામો ઉપર તોરણ બંધાઈ શકાશે, એમ ધારી તેણે તેની અરજ તરત કબૂલ કરી. દરબાર બરખાસ્ત થયા પછી હરપાળ પોતાને ઘેર ગયો, અને જે સઘળું બન્યું હતું તે પોતાની વહુને કહ્યું. હવે રાત્રે જેમ બને તેમ વધારે ગામો ઉપર તોરણ બાંધી શકાય એવી ગોઠવણ કરવાના કામને વાસ્તે એકલી શક્તી દેવી બસ હતી. પણ માત્ર તેમનાથી જ તે કામ મનમાનીતી રીતે થઈ શકશે એવો પાકો ભરોસો હરપાળને આવ્યો નહીં. થોડોક વિચાર કર્યા પછી તેને બાબરો ભૂત યાદ આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું ભૂતે કબૂલ કર્યું હતું, અને વળી જો તેને કાંઈ કામ સોંપવામાં નહીં આવે તો તે તેને ખાઈ જશે એવી તેની સાથે શરત થઈ હતી તેથી બાબરાને એકદમ બોલાવી મંગાવી તેને પણ શક્તિની સાથે સામેલ રાખવો એવો તેણે ઠરાવ કર્યો. બાબરાનું ધ્યાન ધરતાં જ તે તરત હરપાળ આગળ આવી ઊભો રહ્યો, અને તેની સઘળી વાત સાંભળી લીધી. એક તો તે હરપાળને પુરતી રીતે મદદ કરવાને બંધાયેલો હતો, અને બીજું તેને વધારે મદદ કરવાથી કરણનું નુકસાન વધારે થશે, અને તેથી તેના મનનું ધારેલું વેર કંઈક લેવાશે એ બંને વિચારથી તે ઘણો ખુશ થયો, અને દીવા થતે પોતાની સાથજે બીજા મદદગાર ભૂતોને લઈને હાજર થવાને વચન આપ્યું. કબુલ કરેલ વખતે તે સવા લાખ ભૂતને તેડીને આવ્યો, અને શક્તિદેવીને સાથે લઈ તેઓ સઘળાં તોરણ બાંધવા નીકળ્યાં.

બીજે દહાડે સવારે કરણે પોતાના પ્રધાનને એક સાંઢણી આપીને કેટલાં ગામો ઉપર તોરણ બંધાયાં તેની તપાસ કરવાને મોકલ્યો, આગળ જતાં માલુમ પડ્યું કે પહેલું તોરણ પાટડી ઉપર રાત્રે નવ વાગતે બંધાયું. પછી તેના તાબાનાં છસો ગામો ઉપર તોરણ બંધાયા, અને સવારના ચાર વાગતાં સુધીમાં કુલ બે હજાર ગામો ઉપર તોરણ બંધાયાં. પ્રધાન ઘણો ગભરાયો, અને ધાર્યું કે આ તો હરપાળે ગજબ કર્યો. તેણે તે ગામોની એક ટીપ કરી, અને કરણને આપી. એ ટીપ વાંચીને તેને જે ક્રોધ ચઢ્યો, તથા આશ્ચર્ય લાગ્યું તેનો વિચાર માત્ર કરી લેવો. બે હજાર ગામ ઈનામમાં આપવાં ! શું બાબરા ભૂતને કાઢવાને બે હજાર ગામનું ઈનામ ? અરે કેશવને મારતાં બે કોડી પણ ખરચ થયો નથી, અને તેના મરી ગયા પછી તેના ભૂતને ગામ બહાર કાઢવાને આટલી મોટી બક્ષિસ કરવી ? ગુજરાતના કોઈપણ રાજાએ આટલી મોટી જાગીર કોઈને આપી નથી. કોઈ પણ રાજાએ પોતાના પ્રાણ બચાવનારને પણ આટલું મોટું ઈનામ આપવું પડે છે ? હું વચનથી બંધાયો છું; મેં મારો કોલ આપયો છે; અને રાજાનું વચન કદી પણ મીથ્યા થવું ન જોઈએ. વળી હરપાળ મારી માસીનો દીકરો છે તેથી તેને આપવાથી મને જરા સંતોષ થાય છે. હવે ગમે તેમ મન વાળવું. ખરું પૂછો તો મારા દહાડા જ વાંકા બેઠા છે, અને મારા સઘળા ગ્રહોએ ગામ જવા માંડ્યું છે, અને મારી દુર્દશા થવાનો સમય પાસે આવતો જાય છે. હશે, વધારે વિચાર કરવાથી સારું ફળ નથી, માટે બક્ષિસનામા ઉપર સહીમોહર કરી આપવાં.

તે જ દહાડે રાત્રે કરણ જ્યારે ફુલારાણીના મહેલમાં ગયો તયારે તેની ઉદાસ વૃત્તિ જોઈને રાણી ઘણી જ દિલગીરી થઈ. ભૂતનો ઉપદ્રવ મટવાથી તે ઘણી જ ખુશ થઈ હતી, અને આ રાત તેણે તેના ધણી સાથે આનંદમાં કાઢવાનો ઠરાવ કર્યો હતો, પણ કરણના મોંએ તેના ઉલ્લાસ ઉપર ટાઢું પાણી રેડ્યું. પોતાના સ્વામીની દિલગીરીનું શું કારણ છે તેની તજવીજ રાણીએ કરવા માંડી, પણ ઘણી વાર સુધી કરણે તેની આગળ પોતાનું મન ખોલ્યું નહીં. પણ સ્ત્રીહઠ આગળ પુરુષ ઘણી વાર લાચાર થઈ જાય છે તેમ કરણ પણ આ વખતે થયો. તેને પોતાની મરજી ઉપરાંત તેની સ્ત્રી આગળ પોતાના ખેદનું ખરું કારણ બતાવવાની જરૂર પડી. ફુલાદેવી સઘળી વાત સાંભળીને ઘણું આશ્ચર્ય પામી, પણ રજપૂતાણી તેના ડહાપણ તથા સમયસૂકતાને માટે પ્રસિદ્ધ છે. તેને એક ઉપાય તરત સૂઝ્‌યો, અને તે બોલી : ‘‘મારા સ્વામી ! તમે જરા પણ એ વિષે ફિકર રાખશો મા. હું હરપાળની દૂરની સગી થાઉં છું; તે મને બહેન કહે છે; માટે આવતી બળેવે જ્યારે તેને રાખડી બાંધીશ, ત્યારે તેમાંથી ઘણાં ગામ માગી લઈશ.’’ કરણ આ તદબીર સાંભળીને હરખાયો તો ખરો, પણ તેને લાગલું જ યાદ આવ્યું કે હરપાળ તો કાલે સવારે પાટડી જાય છે. અને તયાંથી તે પાછો આવવાનો નથી. ફુલારાણીએ આ પણ તેની ચિંતા મટાડી. તેણે પોતાના ચાકરને બોલાવી પોતાનો રથ જોડાવી મંગાવયો, અને લુગડાંઘરેણાં પહેરી તેમાં બેસી હરપાળના મહેલમાં ગઈ.

હરપાળ તે વખતે જાગતો હતો તેથી તેની મુલાકાત સહેજ થઈ. માંહોમાંહે ખબરઅંતર પૂછી, અને બાબરા ભૂતને કાઢી તેને મહા વેદનામાંથી ઉગારી તેને વાસ્તે તેનો ઘણો જ ઉપકાર માન્યો. આગળ વાતચીત કરતાં જ્યારે ફુલારાણીને જણાયું કે હરપાળ બીજે દહાડે સવારે પોતાના ઈનામી ગામ ઉપર જનાર ત્યારે તે બોલી : ‘ભાઈ! તું તો જાય છે, પછી મારી કોણ બરખાસ્ત લેશે ? મારાં માબાપ તો મરી ગયાં છે તે તું જાણે છે. આખા જગતમાં મારો પિયરનો સગો તું જ માત્ર છે, માટે જ્યારે તું જઈશ ત્યારે તે તરફનું કામ કોણ કરશે ? તથા તે તરફનો વહેવાર કોણ સાચવશે ? માટે ભાઈ ! જતાં પહેલાં મારો કાંઈ બંદોબસ્ત કર, મરા ખરચને વાસ્તે કાંઈ કરતો જા.’ આ સઘળું સાંભળીને હરપાળ ઘણું ગૂંચવાયો, પણ તે લાચાર; તે હવે શું કરી શકે ? તેણે તેને પહેલાંથી બહેન કહેલી એટલે હવે સગપણનો ઈન્કાર પણ કેમ કરાય ો અને તેનું વાજબી માગણું આપ્યા વિના કેમ જવાય ? માટે જીવ કઠણ કરીને ત્યાંથી ઊઠી એક કાગળ તથા લખવાનાં બીજા સાધન લઈ આવ્યો, અને ભાલનાં પાંચસો ગામ તેને લખી આપ્યાં. ફુલારાણી બક્ષિસનામું લઈને થોડી વાર બેસી વિદાય થઈ, અને કરણ કાગળ આપ્યો.

બે હજાર ગામોમાંથી પાંચસો પાછાં આવ્યાં, એટલા ઉપરથી કાંઈ સંતોષ માનવા જેવું હતું ખરું, પણ પંદરસો ગામો ગયાં તે કાંઈ થોડું નુકસાન ન હતું. હવે બીજો કંઈ ઉપાય ન હતો તેથી તેણે જેમ તેમ મન વાળી ફુલારાણી સાથે તે રાત કાઢી. તે વખતે હરપાળ તથા શક્તિ ઘણા ઊંડા વિચારમાં પડ્યાં હતાં. બાબરા ભૂતને કાંઈ કામ સોંપવામાં ન આવે તો તે તેને ખાઈ જાય એવી તેણે શરત કરી હતી, માટે પાટડી જતાં પહેલાં કાંઈ એવું કામ તેને આપવું કે તેનો પાર જ આવે નહીં. તે શું આપવું તે બાબત તેઓ વિચાર કરતાં હતાં. આખરે શક્તિને એક યુક્તિ સૂઝી. તેણે બાબરા ભૂતને બોલાવવાને હરપાળને કહ્યું. બાબરો તરત હાજરો થયો. તેને એક મોટો લાંબો વાંસ લાવવાને શક્તિએ હુકમ કર્યો. ભૂત તેવો એક વાંસ તરત લાવ્યો. તેને ભોંયમાં દટાવ્યો, અને તે ઉપર ચઢવું અને પાછા ઊતરવું, પાછું ચઢવું ને ઊતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેણે ભૂતને હુકમ કર્યો, અને ફરમાવ્યું કે જ્યારે એમ ચઢ-ઊતરનું કામ પુરું થાય ત્યારે બીજું કામ લેવાને મારી પાસે આવવું, એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થયો.

એ વાત બન્યાને એક મહિનો વીતી ગયો. હવે કરણ છેક નવરો પડ્યો, હવે તેને કાંઈ અગત્યનું કામ કરવાનું રહ્યું નહીં, તેથી તેના મનનું જોર તેના શરીર ઉપર ચાલ્યું, અને તેની મનોવૃત્તિઓ સઘળી પ્રબળ થઈ. પોતાના રાજ્યની ટૂંકી મુદતમાં જે કામો તેણે કર્યા હતાં તે ઉપર વિચાર કરવા લાગ્યો, હવે પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો, અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો. તેને ખાવું, પીવું તથા બીજી કોઈ તહેરનો એશઆરામ જરા પણ ગમે નહીં; રાત્રિએ નિદ્રા આવે નહીં; અને જો થોડી વર કાંઈ ભાંગી-તૂટી ઊંઘ આવે તો ઘણાં ભયાનક સ્વપ્નાં આવી ઊંઘ તથા આરામનું ખંડન કરે. દશેરાની રાતની વંતરીઓ, તેઓને આપેલા કોલ, તેને દીધેલી શિખામણ, ગુણસુંદરીનો મરતી વખત પહેલાંનો દેખાવ, શહેરના દરવાજા આગળ તેને તથા આખા રાજ્યને તેણે દીધેલો શાપ, તેની બળતી વખતની ચીસ તેના સાંભળ્યામાં આવી એવી કલ્પના, કેશવ બાબરો ભૂત થઈ ફુલારાણીને વળગ્યો તથા આખા પુરને ભારે ઉપદ્રવ કર્યો તે, એ સઘળું વારેવારે અનુક્રમે તેના મનમાં રાત દહાડો આવ્યા જ કરતું હતું. રોજ રોજ જ્યારે મધ્ય રાત્રે મનના ઉકળાટથી તથા ઊંઘ ન આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અર્ધો ઊંઘતો, અર્ધો જાગતો સૂતેલો હોય તે વખતે કેશવ તથા ગુણસુંદરી બંને તેની આગળ જાણે ઊભાં રહેતાં, અને જે દુષ્ટ કામોથી તેઓનો પ્રાણ ગયો તેને વાસ્તે તેઓ રાજાને એટલા તો ઠોક પાડતાં કે તેને આખે શરીરે ઝરી છૂટતી; બધું અંગ ઠંડુગાર થઈ જતું; અને શુદ્ધિ આવતાં જે પશ્ચાત્તાપ તથા અંતઃકરણને ભારે કષ્ટ થતું તેની તો કલ્પના જ માત્ર થઈ શકે, એવું મહાભારત દુઃખ તેને સહેવું પડ્યું. અને તેની અસર તેના શરીર તથા મન ઉપર પણ જણાઈ આવી. આગળ તેનું જે બળવાન શરીર હતું તે ધીમે ધીમે ઘસાવા લાગ્યું. તેનું લોહી જે લાલચોળ હતું તે ફિક્કું પડવા લાગ્યું. તેના ગાલ બેસી ગયા. તેની આંખ ઊંડી ખાડામાં પેસવા લાગી. તેનો ચહેરો આગળ જે નિશ્ચિંત તથા હસમુખો હતો તે ઉપર ચિંતા આવી બેઠી, અને તે ઊંડા વિચારમાં પડેલો હોય એમ હમેશાં દેખાવા લાગ્યો. તેની રાણીઓએ તેને અંગમોહથી, ચતુરાઈથી, તથા બાહ્મ વસ્તુઓની સહાયતાથી દિલગીરીમાંથી કાઢવાને ઘણા પ્રયત્નો કર્યા, પણ સઘળા વ્યર્થ ગયા. જે રૂપસુંદરીને વાસ્તે તેના ઉપર આ સઘળું દુઃખ આવી પડ્યું, જેને વાસ્તે તેણે આ લોકમાં અપજશનો ગાંસડો બાંધ્યો, અને પોતાના રાજ્યને તથા શરીરને જોખમમાં નાખ્યું, જે રૂપસુંદરીને વાસ્તે તેણે પોતાના અમર આત્માને અક્ષય દુઃખના ખાડામાં નાખ્યો, અને આ ક્ષણભંગુર જગતમાં હલકી જાતનું અનિશ્ચિત સુખ મેળવવામાં પરલોકમાંના સર્વોત્કૃષ્ટ, અમર્યાદ, અનંતકાળ સુધી પહોંચે એવાં અચળ સુખ ઉપરથી હાથ ઉઠાવ્યો, તે રૂપસુંદરીને પણ એક ખૂણામાં રહેવા દીધી, અને તેની અપ્સરા જેવી કાંતિ તથા પરી જેવા વદનને જોવાથી જે અપાર સંતોષની આશા રાખતો હતો, તે પૂરી ન પડતાં ઊલટી તે નજરે પડતાં જ, બલકે તેનો વિચાર મનમાં આવતાં જ, તેને ઘણો જ સંતાપ ઊપજવા લાગ્છો. હાય હાય ! રૂપસુંદરી ! રાજાની સાથે સમાધાન કરતી વખતે તેણે તને મોટાં મોટાં સુખની જે આશા આપી હતી તથા પોતાની પટરાણી કરવાનું તને જે વચન આપયું હતું તે સઘળું પાણીના પરપોટાની પેઠે ફૂટી ગયું. તું રાજમહેલના એક ખૂણામાં પડી રહી, અને રાજાએ તને ન માની, એટલે આખા મહેલમાં તું શુન્ય જેવી થઈ પડી.

માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત ! જ્યાં સુધી તેને કાંઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેનો અતિ ઘણો મોહ રહે છે. તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ કરવાને તૈયાર થાય છે; અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપયોગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જિવાશે નહીં, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઊતરી જાય છે, અને જે આઘેથી હીરો દખેાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કટકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે, અને જેમ એક નાનું છોકરું રડીને એક રમકડું લે છે, અને તે મૂકી બીજાને લેવાનું કરે છે, તેમ તેનું મન તે વાત ઉપરથી બીજી નવી વાત ઉપર દોડે છે. એ પ્રમાણે ફોકટ શ્રમ કરવામાં તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જે સુખ મેળવવાને તેઓ અમૂલ્ય અવતાર અર્પણ કરે છે તે સુખ એક ભૂતના તાપણાની પેઠે આઘું ને આઘું જ જતું જાય છે.

કરણ રાજાને એ પ્રમાણે જ થયું. તેની જિંદગીના રસ્તા ઉપર તોફાન તથા અંધકાર આગળ આવવાનાં છે એમ તે જાણતો ન હતો, તોપણ જેટલું દરદ તેને હમણાં લાગતું હતું તે એટલું તો તીવ્ર હતું કે તે પોતાની જિંદગીથી એ કંટાળી ગયો; અને દુઃખની સામા થવાને તથા પાછું હડસેલવાને જુવાનીમાં જે ગુણ હોય છે તે તેનામાં દબાઈ ગયેલો, તેથી પૂર્વે કેટલાક રાજાઓએ કર્યું હતું તે પ્રમાણે દુનિયાનો ત્યાગ કરી કોઈ પવિત્ર સ્થળે જઈ એકાંતવાસ કરી જગતની ચિંતાથી વિરક્ત થઈને પરમેશ્વરની ભક્તિમાં બાકી રહેલી આવરદા કાઢવાનો તેણે નીશ્ચય કર્યો. પણ હજુ તેનું મન સંસારની માયાની જાળમાંથી છૂટું થયું ન હતું. હજી તે સંસારના મોહથી છેક કાયર થયો નહોતો; હજુ તેના મનમાં રાજપાટ ચલાવવાની, વિષયાદી સુખ ભોગવાની ઈચ્છા પ્રબળ હતી, તેથી દુનિયાનો ત્યાગ તેનાથી થયો નહીં. હમણાંનું દુઃખ જલદીથી જતું રહેશે, આગળ ઘણું સુખ થશે, મનને વિષે જે અંધકાર, હમણાં આવીને ઠસેલો છે, તે વેરાઈ જઈને તયાં ભરપુર અજવાળું પ્રકાશશે એવી તેને આશા હતી, અને એ આશાને જોશી લોક ઉત્તેજન આપતા હતા. તેના મહેલમાં રોજ રોજ જોશીઓનાં ટોળેટોળાં આવતાં હતાં, અને તે લોકોની કમાઈ તે વખતમાં એટલી તો વધી ગઈ હતી કે સઘળાં બ્રાહ્મણો તથા જતિઓનું મન બીજી વિદ્યાઓ પડતી મુકી જ્યોતિષશાસ્ત્રનો થોડોઘણો અભ્યાસ કરવા ઉપર દોડ્યું. તેની જન્મોત્રી જોવાતાં જોવાતાં, તથા ઘણાના હાથમાં જવાથી ફાટીને ચીંથરા જેવી થઈ ગઈ, અને અગર જો કોઈ વૈદ્ય અથવા સુરઈયો તે ફાટેલા કાગળને વાસ્તે એક પૈસો આપતાં પણ આંચકો ખાય, તોપણ જોશીઓએ સ્વાર્થ રૂપી ચશ્માં તેઓની આંખે પહેરેલાં તેથી તેઓને તો તે ચીંથરિયા કાગળના કટકામાં કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ, રાજા કરણ જેટલી ઉદારતા, રાજા વિક્રમ જેટલો પરોપકાર, યુધિષ્ઠિર જેટલી સત્યતા, ભીમ જેટલું અંગબળ, અર્જુન જેટલું પરાક્રમ દેખાતું હતું. જ્યારે ઘણા માણસો એકની એક જ વાત એક માણસને કહ્યાં કરે ત્યારે તે છેતરાઈને સાચું માને એમાં કાંઈ ઘણું આશ્ચર્ય નથી. દુનિયામાં ઘણી વાતો ઘણાના કહેવા ઉપરથી જ સાચી મનાય છે, ત્યારે જેઓ જ્યોતિષશાસ્ત્ર સાચું મને, તેઓ આવા આધાર ઉપરથી કહેલી વાત સહેલાઈથી માન્ય કરે એમાં શી નવાઈ ? વળી જે વાત આપને અનુકૂળ હોય તથા માનવી ગમે તે ઉપર, પ્રતિકૂળ તથા માનવાને અણગમો થાય એવી વાત કરતાં આપણો વધારે જલદીથી વિશ્વાસ બેસે છે. તેથી કરણ રાજાએ જોશીઓના કહેવા ઉપર ભરોસો રાખ્યો, તથા તેઓનાં વચન સાચાં માનને ખોટી આશાથી તેણે પોતાના મનને દિલાસો આપ્યા કર્યો, અને મહારણમાં થાક તથા તરસથી કષ્ટાતો મુસાફર મૃગજળ જોઈને પાણીની આશા રાખી ચાલ્યો જ જાય છે, તેમ કરણ રાજાએ આગળ ઉપર સારાની ઉમેદ રાખી સંસાર રૂપા પ્રવાસમાં શાંત મનથી ચાલવાનો નિશ્ચય કર્યો.

પણ કરણના અંતફકરણમાં પશ્ચાત્તાપનો કીડો હજી જીવતો હતો તે તેને નિરંતર કોતરી ખાતો હતો, તથા દુષ્ટ કર્મનો અગ્નિ તેનામાં હોલઈવાયો ન હતો. તે તેના શરીરને બાળ્યા જ કરતો હતો. તેનો ઉપાય જોશીઓના હાથમાં ન હતો. જોશીઓનું કામ ભવિષ્યકાળને લગતું હતું, વર્તમાન કાળને લગતું ન હતું, તેથી જોશીઓ સિવાય બીજા લોકોનું પણ તેને કામ પડ્યું. દરરોજ પુરાણીઓ એના જેવી અવસ્થામાં આવી પડેલા તથા તયાર પછી સુખી થયેલા રાજાઓની કથા કરી દૃષ્ટાંત રૂપી ઉપદેશ આપી દિલાસો આપતા હતા. પવિત્ર વેદના શબ્દ કાને જ માત્ર પડે તો તેથી અઘોર પાપ સુકા વાંસની પેઠે બળી જાય, તથા મુક્તિ થાય, એવો ભરોસો આપીને વેદિયા બ્રાહ્મણો તેના મહેલમાં વેદનાં પારાયણ કરતા હતા. શાસ્ત્રી લોકો બ્રહ્મહત્યા સુધીનાં પાપનાં જુદાં જુદાં પ્રાયશ્ચિતો બતાવી તે પ્રમાણે રાજા પાસે કરાવી ઘણા પૈસા તેની પાસેથી કઢાવતા હતા. ગૌદાન, પ્રાજાપત્ય, આદિ બીજી ઘણી દક્ષિણા બ્રાહ્મણોને મળવા લાગી. એટલું કર્યા છતાં પણ રાજાને શાંતિ થઈ નહીં તેથી ધીમે ધીમે તેના વિશ્વાસ શાસ્ત્રના ઉપાયો ઉપરથી ઊઠવા લાગ્યો. તે જોઈને બ્રાહ્મણો ઘણા ગભરાયા, અને આવો વખત જતા રહેશે તો ફરીથી પાછો આવવાનો નથી, એમ જાણીને તેઓ ઘણા ચિંતાતુર થયા. તે વખતે થોડાક વૃદ્ધ બ્રાહ્મણો રાજા પાસે ગયા, અને જે જે ક્ષેત્રો તથા પવિત્ર સ્થળો શાસ્ત્રમાં કહેલાં છે તથા લોકોમાં મનાય છે તે સઘળાંનાં માહાત્મ્ય કહી સંભળાવ્યાં, અને અંતે એવું કહ્યું કે ‘‘કાશી ગયા, પ્રયાગ વગેરે બીજાં ક્ષેત્રો તો ઘણાં દૂર પડ્યાં, અને ત્યાં આપ જેવા રાજાઓથી જવાય એવું નહીં, તેથી આપણા રાજ્યમાં તથા પાડોશમાં સરસ્વતીને કાંઠે શ્રીસ્થળ (સિદ્ધપુર) ક્ષેત્ર છે તેનો મહિમા ઘણો છે, માટે ત્યાં જઈ સરસ્વતીમાં સ્નાન કરવું, અને દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરી રુદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવાં, એટલે દેહનું સાર્થક થશે, તથા મુક્તિનું સાધન મળશે એટલું જ નહીં પણ હાલમાં આપના મન વિષે જે ઉકળાટ છે તે શાંત થઈને સ્વચ્છ તથા નિર્મળ થશે. થોડી વાર રાજ્યધાનીની બહાર જવાથી રાજ્યને કાંઈ નુકસાન થવાનું નથી. માટે અમારી સલાહ જો માન્ય કરો તો શ્રીસ્થળની યાત્રાએ જાઓ. યાત્રાઓમાં દેવદર્શનથી જે લાભ થાય છે તે એક કોરે મૂકીએ તોપણ તેથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. જુદી જુદી યાત્રાઓના મહીમા યાત્રાળુ લોકોએ સાંભળ્યાં હોય તેથી તેઓને આગળથી જ નક્કી હોય છે કે તયાં જવાથી આપણાં સઘળાં પાતકોનો નાશ થશે, અને જ્યારે એ મનને નિશ્ચય હોય ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી જ નથી. કલ્પનાની મન તથા શરીર ઉપર ઘણી સત્તા છે. ઘણી જોરાવર કલ્પનાથી ન હોય એવી વસ્તુઓ જોવામાં, તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે. તેથી સઘળી જ્ઞાનેંદ્રિયો છેતરાય છે, તથા આખા જગતમાં નાના પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે, કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે, અને કલ્પનાની સત્તા વડે જ તે બેશુદ્ધ થઈ નિદ્રાવસ્થામાં પડે છે. એ સિવાય કલ્પનાની શક્તિ બીજી ઘણી રીતે ચાલે છે. માટે જો શ્રીસ્થળના મહિમા ઉપર પુરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે. વળી જગાના ફેરફારથી પણ ઘણું કાર્ય થાય છે. જો શરીરના રોગી લોકોને જગાફેર થવાથી ઘણી વાર આરામ થાય છે તો મનના રોગીઓનું દુઃખ તેમ કર્યાથી શા માટે નિવારણ નહીં થાય ? વળી જેઓને પશ્ચાત્તાપની મહાપીડા નડે છે, તેઓને જગા બદલવાથી ઘણો ફાયદો થયા વિના રહેતો નથી. જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, તેની પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહસ્થાનમાં રહેલી હોય છે. પણ ત્યાં તેઓ એકલી હોતી નથી. હરેક પ્રતિભાને વીંટળાયેલી કેટલીક હકીકત હોય છે, તે સુખદાયક અથવા દુઃખદાયક હોય તોપણ જ્યારે વિચારશક્તિ વડે તેઓમાંથી એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે છે એટલે તેને લગતી હકીકત પણ તેની સાથે એકદમ બધી ધસી આવે છે. જ્યારે પરદેશમાં સ્વદેશ યાદ આવે ત્યારે તેની સાથે આપણાં માબાપ, સગાંવહાલાં, ઓળખીતા લોકો, મિત્રો, આપણો નાનપણનો વખત, તેની ખુશી, જુવાનીનો વખત, તેમાં ભોગવેલાં સુખ, એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે; અને તેમાંની કેટલીકથી આપને સુખ અને કેટલીકથી દુઃખ ઉત્પન્ન થાય છે. તેમ જ માણસે જ્યાં ખૂન કરેલું હોય ત્યાં તે રહે તો તે જગા ઉપરથી જ ખૂન વિષેના ભયંકર વિચારો તેના મનમાં નિરંતર આવ્યા કરે; અને તેથી તેને જરા પણ સુખશાતા વળે નહીં. એથી ઊલટું તે જો તે જગા છોડીને બીજે ઠેકાણે જાય તો ત્યાંની નવી વસ્તુઓની પ્રતિમા તથા તેઓની સાથેની નવી હકીકતો સ્મરણસ્થાનમાં આવી ભરાય, અને તેમ છતાં નીચે દબાયેલી પ્રતિમાઓને ઉપર આવવાનું કઠણ પડે, તેથી તેઓ કોઈ કોઈ વાર જ નીકળી આવી તેને .પદ્રવ કરે. એવી રીતે નવી પ્રબતિમાઓનો સંગ્રહ વધારે થવાથી જૂની ઉપર ભાર વધારે થાય, અને તેઓ વધારે દબાતી જાય, અને તેનું પરિણામ એ થાય કે મનને વધારે સુખ તથા શાંતિ થતી જાય. એવું જગા બદલવાનું માહાત્મ્ય છે. વળી પ્રાચીન કાળના મહર્ષિઓએ જે જે ક્ષેત્ર તથા યાત્રાનાં તીર્થ પસંદ કરેલાં છે તે રમણીય તથા ચિત્તાકર્ષક સ્થળ જોઈને જ કરેલાં છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ થયેલી નદીઓ ઉપર જે જે જગા છે તેઓમાંથી કેટલીકમાં યાત્રા ભરાય છે. સૃષ્ટિમાં જે સઘળી વસ્તુઓ છે તેમાં નદીઓ ઘણી જ ચમત્કારી છે. વરસાદનું પાણી કોઈ ડુંગરના પોલાણમાં એકઠું થઈ તેમાંથી ઊભરાઈને વહે, અને તે ધીમે ધીમે મોટી થઈ આગલ ચાલે, તથા લાખો લોકોના પ્રાણનો આધાર થઈ પડે છે, તે જોવાથી માણસનું મન ઘણું વિસ્મિત થાય છે. નદીથી તેના કાંઠા ઉપરનાં શહેરના લોકોને પાણી પૂરું પડે છે, તથા આસપાસનાં ખેતરોમાં પાણી સિંચાય છે એટલું જ નહીં, પણ હિંદુ લોકોને અને ખાસ કરીને બ્રાહ્મણોને સ્નાનસંધ્યાદિ કર્મો કરવાને તે ઘણી કામની થઈ પડે છે. વળી મોટાં વહાણ ચાલે એવી નદીઓથી વ્યાપારની વૃદ્ધિ થઈ તે ઉપરનાં શહેરોની આબાદીમાં વધારો થાય છે, તથા એક સ્થળની નવાઈની તથા વધારાની જણસો બીજે સ્થળે લઈ જઈ શકાય છે. નદીના જુદા જુદા ઘાટ આગળ ઘણા લોકો નહાતા હોય, ઘણી સ્ત્રીઓ પાણી ભરતી હોય, કેટલીક સ્ત્રીઓ લૂગડાં ધોતી હોય, કેટલાક બ્રાહ્મણો સાંજ સવાર સંધ્યાદિ કર્મો કરતા હોય, તે વખતે કાચ જેવા નિર્મલ પાણી ઉપર પવનની લહેરથી નાનાં મોજાં થતાં હોય, સામા કાંઠા ઉપર જાડો હોય, વચમાં હોડીઓ તથા વહાણો ખલાસી સહિત ડોલતાં હોય, તે જોઈને મનને શાંતિ તથા આનંદ ઊપજે છે વળી નદીને જોવાથી માણસને તેઓ સંસાર યાદ આવે છે. જેમ નદી પહાડમાંથી નીકળતી વખતે નાની હોય છે તથા બહાર પડ્યા પછી થોડેક સુધી તે ફૂલોમાં તથા કાંકરામાં રમતી જાય છે, તેમ માણસ બાલ્યાવસ્થામાં હોય છે. નદી આગળ ચાલ્યા પછી તેમાં બીજી નદીઓ આવી મળે છે, તેમ માણસો મોટા થયા પછી ઘણા જોડે સંબંધ બાંધે છે. નદી વધારે આગળ ચાલ્યા પછી એટલી મોટી થાય છે કે તે ઘણાં માણસોને ઘણી અગત્યની થઈ પડે છે, તથા તે ઉપર વહાણો ફરવાથી વ્યાપાર ચાલે છે તથા માણસના સુખને તથા શોખને વાસ્તે જે વસ્તુઓ જોઈએ તે સઘળી પૂરી પાડે છે, તેમ માણસ ભરજુવાનીમાં બીજાઓને ખપ લાગે છે તથા ભારે ભારે કામો માથે લે છે. અને નદી જેમ છેલ્લી વારે અમર્યાદ સમુદ્રને મળી જાય છે, તેમ માણસ પણ અંતે લય પામી તેનું અંતવાન આયુષ્ય અનંતકાળ સાથે મળી જાય છે. માટે નદીઓ જોયાથી માણસની જિંદગી ઉપર તેનો વિચાર દોડે છે, તથા પરમેશ્વરના એક મોટા કામ આગળ શૂન્ય જેવો તે થઈ જાય છે. કેટલાંક તીર્થ મોટી ઝાડી તથા મહા વનમાં હોય છે, ત્યાં ઝાડોની ઘટામાં એકાંતપણાનો વાસો હોય છે. વળી એવે કેટલેક ઠેકાણે મોટા મોટા પર્વતો હોય છે. એવી રળિયામણી જગામાં કોના મનમાં ભક્તિ આવ્યા વિના ન રહે ? જ્યાં ઈશ્વરે બહોળે હાથે પોતાની ઉદારતા વાપરેલી છે, જ્યાં જગત્‌કર્તાનાં મોટાં કામો માણસનાં હલકાં તથા નબળાં કામોની જાણે મશ્કરી કરતાં હોય એમ લાગે છે, જ્યાં ઘણી તરેહની સૃષ્ટિની શોભા એકઠી મળેલી હોય છે, જ્યાંની ભૂમિ એવી તો પવિત્ર તથા દેવતાઈ જણાય છે કે ત્યાં કાંઈ દુષ્ટ કામ કરતાં જ માણસને ત્રાસ લાગે છે, તથા જેનો નમૂનો લઈ પૃથ્વી ઉપરના કેટલાક જંગલી લોકોએ પોતાનું સ્વર્ગ કલ્પેલું છે, એવાં રમીય તથા પવિત્ર સ્થળોમાં માણસને પોતાનું તુચ્છપણું તથા હલવાઈ સમાજાય, પોતાના કરતાં અતિ ઘણી બળવાન કોઈ બીજી શક્તી છે એમ તે જાણે, તથા તે શક્તિ આગળ નમ્રતા પકડી તેને નમીને તેને પોતાનો દેહ તથા આતમા સોંપે, તેની બેહદ સ્તુતિ કરે, તેના ઉપર દૃઢ વિશ્વાસ રાખી ભક્તિમાં વધારો કરે, તથા જે થાય છે તે તેની ઈચ્છાથી જ થાય છે એમ ખાતરી કરી ધૈર્ય તથા શાંતિ મનને વિષે રાખે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.’’ ઘરડા બ્રાહ્મણોએ ઉપર પ્રમાણે યાત્રાનો મહિમા રાજા આગળ કહી સંભળાવ્યો.

ઉપલી સઘળી વાત સાંભળીને કરણના મત ઉપર ઘણી અસર થઈ, અને તે જ વખતે સિદ્ધપુરની જાત્રાએ જવાની તૈયારી કરવાનો હુકમ કર્યો. બેત્રણ દહાડા પછી થોડાંક માણસ લઈ તથા કાંઈ પણ ધામધુમ કર્યા સિવાય રાજા કરણ સિદ્ધપુર જવાને નીકળ્યો. સિદ્ધપુરમાં ઘણાં શૈવ તથા જૈન દેવસ્થાનો હતાં. તેઓમાં શૈવ દેવસ્થાનો ઉપર ધજા ચઢતી, પણ કેટલાંક વર્ષ થયાં જૈન દહેરાં ઉપર ધજા ચઢાવવાની મના થયેલી હતી, તે છતાં પણ જ્યારે મોતીશાને દિલ્હીથી પાછા આવ્યા પછી કારભાર મળ્યો ત્યારે તેની હિમાયત ઉપરથી, તથા તેની છાની ઉશ્કેરણીથી તેઓના ઉપર ધજા ચઢાવવા માંડી,. આ જોઈને બ્રાહ્મણોને ઘણો જ ક્રોધ ચઢ્યો ને તેઓએ એ બાબત રાજાની આગળ ફરિયાદ કરી, પણ મોતીશાએ યુક્તી કરી તેઓનું કાંઈ ચાલવા દીધું નહીં. રાજા હવે તેમના ગામમાં આવ્યો, અને તેમનું હવે નક્કી કામ પડશે એવું તેઓએ ઠરાવ કર્યો કે જ્યાં સુધી રાજા જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઊતરાવે નહીં ત્યાં સુધી તે સવા લાખ સોનાની મહોર દક્ષિણા આપે તોપણ કોઈ રીતની ક્રીયા તેઓએ તેને કરાવવી નહીં. બીજે દહાડે સરસ્વતી નદીમાં સ્નાન કરી દેહશુદ્ધ પ્રાયશ્ચિત કરવાનો રાજાનો મનસુબો હતો, અને તે કારણસર તેણે ગામના મુખ્ય બ્રાહ્મણોને બોલાવ્યા, અને તેઓની આગળ પોતાનો વિચાર કહ્યો. બ્રાહ્મણોએ દૃઢતાથી જવાબ દીધો કે શૈવમાર્ગી રાજાના રાજ્યમાં જૈન ધર્મવાળાઓએ પોતાનાં દેવસ્થાનો ઉપર હુકમથી ઊલટા ચાલીને ધજા ચઢાવી છે તે ઊતરાવવાને અમે ફરિયાદ કરી, પણ તમારા જૈન મંત્રીની સલાહથી તમે અમારી વાત ઉપર ધ્યાન આપ્યું નહીં, માટે જ્યાં સુધી અમારી વિનંતી કબૂલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી અમારામાંથી એકપણ આપને કોઈ જાતની ક્રિયા કરાવશે નહીં.

બ્રાહ્મણોનું આવું બોલવું સાંભળીને રાજા ઘણો કોપાયમાન થયો, અને તેણે બ્રાહ્મણોને અપમાન કરી કાઢી મુક્યા. પછી એ સઘળી હકીકત તેણે મોતીશાને કહી. તે વખતે મોતીશાએ જોયું કે હવે લાગ આવ્યો, એમ જાણીને તેણે બ્રાહ્મણો ઉપર જુલમ કરવા માંડ્યો, તથા તેઓનાં દેવસ્થાનના અંગના હક્ક ખોટા કરવા તરફ લક્ષ લગાડ્યું. એ જ વખતે તેણે રાજાને જૈન માર્ગમાં લાવવાને ઘણા પ્રયત્નો કર્યો, તથા સઘળે ઠેકાણેથી ઘણા પ્રવીણ જતિઓને બોલાવી મંગાવ્યા. તેઓએ વાદવિવાદ કરી તથા બંને ધર્મનો મુકાબલો રાજા આગળ કરી દેખાડી તેને આદીનાથનો ભ્કત કરવાને ઘણો શ્રમ કર્યો, પણ રાજામાં ધર્મ સંબંધી જુસ્સો થોડો હતો, તથા તેણે એકતરફી સઘળી વાત સાંભળી હતી, તેથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. જ્યારે જતિઓએ તેનું માથું ઘણું ફોડાવ્યું ત્યારે તેણે બંને પક્ષોના ભણેલા લોકોની સભા કરી વાદવિવાદ કરવાનો વિચાર જણાવ્યો, તે તેઓએ કબુ કર્યું, પછી ગામમાંના સઘળા બ્રાહ્મણોને સભામાં આવવાનાં નિમંત્રણ દીધાં, અને મુકરર કરેલ દહાડે ઘણા બ્રાહ્મણો તથા જતિઓ એકઠા થયા. રાજા એક ઊંચા આસન ઉપર બેઠો. મોતીશા તથા બીજા મોટા કારભારીઓ તેની પાસે હારબંધ બેઠા, અને રાજાની સાથેના તથા ગામમાંના બીજા લોકો પાછળ ઊભા રહ્યા. સઘળા બેઠા પછી એક જતિએ બ્રાહ્મણોને કહ્યું કે - કુમારપાળ રાજાના વખતમાં જે વાત બની હતી તે તમને સાંભરતી નથી ? નહીં સાંભરતી હોય તો હું તમને કહી સંભળાવું. બ્રાહ્મણોએ કાંઈ ઉત્તર વાળ્યો નહીં, તેથી જતિ બોલ્યો :

‘‘એક દહાડે કુમારપાળ રાજા પાલખીમાં બેસીને ચૌટામાંથી જતા હા ત્યારે તેને હેમાચાર્યનો શિષ્ય મળ્યો, તેને તેણે પુછ્યું કે આજે શી તિથિ છે ? તે દહાડે ખરેખરી અમાસ હતી, પણ શિષ્યથી ભૂલથી કહેવાઈ ગયું કે મહારાજ ! આજે પૂનમ છે. તે વખતે કેટલાક બ્રાહ્મણો તે રસ્તે થઈને જતા હતા તેઓએ એ જવાબ સાંભળ્યો, અને ખડખડ હસી પડી તે શિષ્યની મશ્કરી કરી બોલ્યા કે, આ બોડકો શું જાણે ? આજે તો અમાવાસ્યા છે. કુમારપાળે આ વાત સાંભળીને ઘેર જઈને હેમાચાર્યને બોલાવ્યા. પેલો શિષ્ય તેના અપાસરામાં જઈ પહોંચ્યો ત્યારે તે ઘણો શરમાયો, તથા ખેદ પામ્યો. આચાર્યે તેને પૂછ્યું કે શું થયું છે ? તે ઉપરથી તેણે તેની આગળ સઘળી વાત કહી, ત્યારે આચાર્યે તેને કહ્યું કે એ વાતમાં તારે કાંઈ ચિંતા રાખવી નહીં. રાજાના માણસો સાથે તે મહેલમાં ગયો. કુમારપાળે પૂછ્યું કે આજે શી તિથિ છે ? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમાવાસ્યા; પણ હેમાચાર્યે કહ્યું કે પૂર્ણિમા. બ્રાહ્મણોએ કહ્યું કે રાત્રે જણાશે. જો પૂનમ હશે તો પૂર્ણ ચંદ્ર દેખાશે, અને એમ થાય તો સઘળા બ્રાહ્મણોએ રાજ્ય છોડી જતા રહેવું, પણ જો ચંદ્ર ન ઊગે તો જતિઓને દેશનિકાલ કરવા. હેમાચાર્યે એ વાત કબુલ કરી, અને પોતાને અપાસરે ગયો. તેને એક દેવીનું સાધન હતું તેની તેણે આરાધના કરી, અને તે દેવીની યુક્તિથી સઘળાની નજર બંધાઈ તેથી પૂર્ણિમાનો ચંદ્ર ખરેખરો ઊગ્યો હોય એમ સઘળાએ જોયું. બ્રાહ્મણો હાર્યા, અને તેઓને દેશનિકાલ કરવાનો હુકમ થયો.’’

જતિએ આ વાત કહી એટલે એક બ્રાહ્મણ બોલ્યો કે જ્યારે પર્વાર્ધ કહ્યો ત્યારે ઉત્તરાર્ધ શા માટે કહેતા નથી ? જો તમારી કહેવાની ખુશી ન હોય તો સઘળા સભાસદોને હું કહી સંભળાવું : - ‘‘તે વખતે દેવબોધી આચાર્યને પાટણમાં બ્રાહ્મણો બોલાવી લાવ્યા. સારે કુમારપાળ રાજાએ બ્રાહ્મણોને બોલાવી મંગાવ્યા. અને રાજ્યની બહાર જવાનો હુકમ કર્યો. તે વખતે દેવબોધી આચાર્ય આગળ પડી બોલ્યા કે કોઈને રાજ્ય બહાર કાઢી મુકવાની શી જરૂર છે ? આજે નવ કલાકે મહાસાગર પોતાની મર્યાદા છોડીને આખા દેશ ઉપર ફરી વળશે. એ સાંભઈીને રાજાએ હેમાચાર્યને બોલાવ્યા, અને પૂછ્યું કે બ્રહ્મચારી કહે છે કે જળપ્રલય થનાર છે તે ખરું છે કે નહીં ? હેમચાર્યે કહ્યું કે જળપ્રલય કદી થનાર નથી, અને જગતને આરંભ નથી માટે લય પણ નથી. દેવબોધી આચાર્યે કહ્યું કે ઘડી મૂકો, અને શું થાય છે તે જુઓ. ત્રણે જણા ઘડીની પાસે બેઠા. જ્યારે નવ કલાકની તૈયારી થઈ તયારે તેઓ મહેલની પહેલી મેડી ઉપર ચઢ્યા, અને પશ્ચિમ તરફની બારીમાંથી જોયું તો દરિયાનાં મોજાં તેઓની તરફ જલદીથી આવતાં દીઠાં. મોજોં આગળ આવતાં જ ગયાં, તે એટલે સુધી કે શહેરનાં સઘળાં ઘરો પાણીમાં ગરક થયાં. રાજા તથા બંને આચાર્યો ઉપર જતા ગયા, પાણી પણ તેમ જ ચઢતું ગયું; જ્યારે તેઓ છેલ્લી અથવા સાતમી મેડી ઉપર ગયા અને નીચે જોયું તો આખું શહેર, ઊંચામાં ઊંચાં ઝાડ, તથા ઊંચા દહેરાંના શિખરો ડુબી ગયેલાં દીઠાં અને પાણીનાં મોજાં સિવાય કાંઈ બીજું દેખાયું નહીં. કુમારપાળ રાજાએ ઘણો ભય પામીને દેવબોધી આચાર્ય તરફ જોયું, અને પૂછ્યું કે બચવાનો હવે કોઈ રસ્તો છે કે નહીં ? તે બોલ્યો કે પશ્ચિમ તરફથી એક હોડી આવશે તે આ બારી પાસે થઈને જશે. જે તેમાં જલદીથી કૂદી પડશે તે બચશે. તે ત્રણે જણાએ પોતપોતાની કમર બાંધી અને હોડીમાં જલદીથી કૂદી પડવાની તૈયારી કરી. એટલામાં આઘે એક હોડી દેખાઈ. તે પાસે આવતી ગઈ, તે વખતે દેવબોધી આચાર્યે રાજાનો હાથ પકડ્યો; અને કહ્યું કે હોડીમાં ઊતરવાને આપણે એકબીજાને સહાય થવું જોઈએ. હોડી બારી આગળ આવી ત્યારે રાજાએ તેમાં કૂદી પડવાનું કર્યું, પણ સ્વામીએ તેને પાછળ ખેંચી લીધો. હેમાચાર્યે બારીમાંથી છલંગ મારી; પણ દરિયો તથા હોડી એ બંને ખોટાં હતાં, તેથી આચાર્ય નીચેની ફરશબંધી ઉપર પડ્યો અને તેના કટકે કટકા થઈ ગયા. પછી હેમાચાર્યના શિષ્યોને કતલ કર્યા, અને રાજા કુમારપાળ સ્વામીનો ભક્ત થયો.’’

એ બંને વાત સાંભળી કરણ રાજા બોલ્યો : ‘‘બંને પક્ષવાળા સમાન થઈ રહ્યા. બલકે હેમાચાર્યના કરતાં દેવબોધી આચાર્યે વધારે પરાક્રમ કર્યું, તથા વધારે ચમત્કાર કરી દેખાડ્યો.’’ તે ઉપરથી બ્રાહ્મણો બોલ્યો : ‘‘રાજાધિરાજા ! જગતમાં અસલ દેવધર્મ હતો. વેદ અનાદિ છે, તથા તેમાં જે લખેલું છે તેમાં કોઈ માણસથી ચૂક કાઢી શકાતી નથી. જ્યારે વેદના ગુહ્યાર્થ સમજવા કઠણ પડ્યા, ત્યારે તે ઉપર ભાષ્ય, ટીકા, મહર્ષિઓએ કરી. પછી વેદ ઉપરથી ધર્મ તથા ક્રિયા બતાવી આપવાને છ શાસ્ત્ર થયાં. પેહલાં તો એ મીમાંસા રચાઈ. પ્રથમ એટલે પૂર્વમીમાંસા જૈમિનીએ રચી, તેમાં વેદોક્ત કર્મો કરવાથી સ્વર્ગસુખ મળે છે માટે યજ્ઞાદિ કર્મ કરવાં એ બતાવ્યું છે. ઉત્તરમીમાંસા વ્યાસે રચી તેમાં અધ્યાત્મજ્ઞાન છે. નયાય ગૌતમે રચયો, તેમાં ન્યાયશાસ્ત્ર લખેલું છે. કણાદનું તર્કશાસ્ત્ર તેમાં જગતની ઉત્પત્તિ પરમેશ્વરે પરમાણુથી પોતાની ઈચ્છા વડે કરી છે એમ બતાવ્યું છે. કપિલમુનિનું નિરીશ્વરી શાસ્ત્ર તથા પતંજલિનું ઈશ્વરી શાસ્ત્ર, એ બંને છેલ્લાં કહેલાં શાસ્ત્રનું નામ સાંખ્યશાસ્ત્ર છે. એ છ શાસ્ત્રોમાંથી ગૌત્તમના ન્યાયશાસ્ત્રમાં તથા કણાદની તેની શાખામાં નિરીશ્વરી મત દેખાડેલો છે. કપિલના સાંખ્યશાસ્ત્રમાં પરમેશ્વરને કબૂલ રાખેલો નથી, તથા પતંજલિએ એવો અભિપ્રાય આપ્યો છે કે પ્રકૃતિ અનાદિ છે. બુદ્ધ જેણે બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યો તેની મરજી હિંદુ ધર્મમાં સુધારો કરવાની હતી, પણ પોતાની કીર્તિ પાછળ કાયમ રાખવાને તેણે નવો માર્ગ ચલાવ્યો. તેણે પહેલાં તો અનાદિ વેદની સત્યતા અને સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરી તે પ્રમાણે નિરીશ્વરી મત ચલાવ્યો. તેના શિષ્યો ઘણું કરીને આખા હિંદુસ્થાનમાં વધી ગયા, અને કેટલીક વાર સુધી એવી ધાસ્તી રહી કે વેદધર્મ દુનિયામાંથી ડૂબી જાશે. પણ ઈશ્વરે તે વખતે કુમારિલ ભટ્ટાચાર્ય, ઉદયનાચાર્ય તથા શંકરાચાર્યને મોકલ્યા. તેમણે આખા ભરતખંડમાં ફરી, બૌદ્ધ ધર્મના ઘણા જ વિદ્વાન પંડિતો સાથે વાદ ચલાવી, તેઓનો મત ખંડન કર્યો. ઉદયનાચાર્યકૃત બૌદ્ધ ધર્મખંડન પુસ્તક અદ્યાપિ છે. તેઓે હિંદુ ધર્મને પાછો જીવતો કર્યો. બૌદ્ધ ધર્મમાંથી સેંકડો વર્ષ પછી જૈન શાખા નીકળી. એ જૈન તથા બૌદ્ધ માર્ગમાં થોડોઘણો ફેર છે; પણ તે બતાવી આપવાનું આ ઠેકાણે ફળ નથી. હિંદુ ધર્મ અને જૈન ધર્મ એ એમાં કેટલું મળતાપણું તથા જુદાઈ છે, તે મારા અલ્પ જ્ઞાન પ્રમાણે હું દેખાડી આપીશ.

જૈન લોકો માને છે કે પરમેશ્વર છે જ નહીં, અથવા હોય તો તેનામાં કામ કરવાની અથવા જગત ચલાવવાની શક્તિ નથી. તેઓ માને છે કે પદાર્થ અનાદિ છે. તેઓના ઋષિઓને તેઓ ઈશ્વર જેવા માને છે. હરેક પ્રાણીને જીવતું રાખવાને ઘણી સંભાળ રાખે છે. તેઓના જતિનું કામ વંશપરંપરા ઊતરતું નથી. વેદ ઈશ્વરની તરફથી આવેલા છે એમ તેઓ મનતા નથી, તેઓ બલિદાન કરતા નથી, તથા અગ્નિને માનતા નથી. અને તેઓ માને છે કે શાંતિ રાખી એકાગ્ર ચીત્તે ધ્યાન ધરવું એ જ સર્વોત્કૃષ્ટ સુખ છે. તેઓમાં પણ હિંદુઓની પેઠે જ્ઞાતિભેદ છે. અગર જો વેદને તેઓના ધર્મનો પાયો તેઓ સમજતા નથી, તોપણ તેઓમાંથી જે વાત તેઓના ધર્મથી વિરુદ્ધ હોતી ની તેને તેઓ ઘણું માન આપે છે. વેદમાં પશુનો વધ કરવાની આજ્ઞા આપેલી છે, તથા પ્રાણી સિવાયનાં બલિદાનમાં પણ અજાણતાં જીવહિંસા થયા વિના રહે જ નહીં, એટલી જ વેદ સામે તેઓની મુખ્ય હરકત છે. તેઓ હિંદુઓના સઘળા દેવતાઓને કબુલ રાખે છે, અને તેઓમાંના કેટલાને પૂજે છે, પણ તેઓને પોતાના ઋષિઓથી ઊતરતા ગણે છે, અને તે ઋષિઓને સૌથી વધારે માન આપે છે. એ ઋષિઓએ તપશ્ચર્યા કરી દેવતાઓની ઉપર શ્રેષ્ઠતા મેળવેલી છે, એમ તેઓ ગણે છે. તેઓને તીર્થકર કહે છે. તેઓ આ યુગના ચોવીશ, પાછલા યુગના ચોવીશ, અને આવતા યુગના ચોવીશ છે. તેઓમાંથી કેટલીક જગાએ રિશોબા એટલે આ યુગનો પહેલો તીર્થકર ઘણો મનાય છે, પણ સઘળે ઠેકાણે ત્રેવીશમો પારસનાથ તથા ચોવીશમો મહાવીર એ બંને ઘણા પૂજાય છે. હિંદુઓના દેવોની હકીકતમાં તથા તેઓની પદવીમાં જૈન લોકોએ કેટલોક ફેરફાર કર્યો છે. તેઓ ઘણા દેવોને માનતા નથી, તથા તેઓની કુલ સંખ્યામાં વધારો કર્યો છે. ઉદાહરણ, તેઓ ચોસઠ ઈનદ્ર તથા બાવીસ દેવીઓને માને છે.’’

બ્રાહ્મણની ઉપલી વાત સાંભળી એક જતિ બોલ્યો : ‘‘એ સઘળું તો ઠીક છે, પણ આપણા બંને ધર્મમાં મુખ્ય તફાવત તો એટલો જ કે પરમેશ્વરે કોઈ કાળે સૃષ્ટિ ઉત્પન્ન કરેલી છે એમ તમે માનો છો; સૃષ્ટિ કોઈ કાળે પણ પેદા થયેલી નથી, પણ પદાર્થ અનાદિ છે, એમ અમે માનીએ છીએ. હવે એ બે મતમાંથી ક્યો ખરો છે તેનો નીશ્ચય કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ બનાવ્યા વિના પોતાની મેળે પેદા થતી નથી, એવો લકોમાં વિચાર ચાલી રહેલો છે. એક પથ્થરનું પૂતળું જોઈને સહેજે વિચાર ઉત્પન્ન થાય છે કે તેને કોઈ વખત પણ કોઈએ બનાવ્યું હશે. જ્યારે કોઈ ઉજ્જડ દેશમાં આપણે જઈએ, અને ત્યાં એક ભાંગેલું-તૂટેલું ઘર આપણા જોવામાં આવે તો આપણે તે ઉપરથી અનુમાન કરીએ છીએ કે કોઈ માણસે તે બાંધ્યું હશે, અને કોઈ કાળે આ ઠેકાણે માણસ રહેતું હશે. અગર જો એ વાત ખરી છે કે કોઈ કોઈ વખત અકસ્માત્‌ કેટલાક પદાર્થના સમાગમથી એક નવો પદાર્થ બને છે, જેમ કે મટોડી તથા બીજા કેટલાક પદાર્થો એકઠા મળી તેઓના ઉપર પાણીની ક્રિયા લાગ્યાથી તેના જુદી જુદી આકૃતિના તથા મહત્વના પથ્થરો બને છે ખરા, તોપણ જે વસ્તુઓની બનાવટમાં સંકેત માલુમ પડે તે વસ્તુઓ અકસ્માત્‌ કોઈના બનાવ્યા સિવાય થયેલી છે એમ માનવું મુશ્કેલ પડે છે. ઘરો જેના જુદા જુદા ભાગ જોવાથી ખાતરી થાય છે કે તેઓ માણસને રહેવા સારુ બનાવેલાં છે; વહાણો જેને તપાસવાથી જણાય છે કે તેઓને પાણી ઉપર તરવાને યોગ્ય કરેલાં છે; તથા તેવી બીજી ઘણી મનુષ્યકૃત વસ્તુઓ જેમાં કાંઈ સંકેત માલૂમ પડે છે તેઓ સઘળીનો કોઈ બનાવનાર હોવો જ જોઈએ, અને તે બુદ્ધિમાન હોવો જોઈએ, એવું સઘળાએ અનુમાન કરેલું છે. તે જ પ્રમાણે માણસનું શરીર, પક્ષીઓનો આકાર તથા બીજા સૃષ્ટિ માંહેલા પદાર્થોમાં સંકેતનાં ચિહ્નો દેખાય છે, તે ઉપરથી તેનો કર્તા છે, તથા તે બુદ્ધિમાન છે, એવું આપણે અનુમાન કરીએ; પણ એ સઘળાં અનુમાન માણસના ટુંકા અને અનુભવથી કરેલાં. વાસ્તવિક કહેતાં માણસ કાંઈ પદાર્થ બનાવી શકતો નથી; તે તો તેનું રૂપ ફેરવે છે, તથા જુદા જુદા પદાર્થોને એકત્ર કરે છે. સૃષ્ટિમાં જે જે પદાર્થો આપણે જોઈએ છીએ તેઓ સઘળા મિશ્ર હોય છે, પણ અમિશ્ર પદાર્થો જે સઘળા પદાર્થોમાં પરમાણુ રૂપે રહેલા છે તેઓને પણ કોઈએ બનાવ્યા હોય, એમ આપણાથી કહી શકાતું નથી વળી પદાર્થોની બનાવટમાં સંકેત છે તે ઉપરથી તેઓ જુદા જુદા અમિશ્ર પદાર્થોના અકસ્માત્‌ મિશ્રણથી થયેલા છે, એમ આપણાથી કહી શકાતું નથી. પદાર્થોના સઘળા ગુણ આપણે તપાસ્યા નથી, માટે તેઓમાં ફલાણો ગુણ નથી, એમ કહેવું મૂર્ખાઈ ભરેલું છે; પદાર્થોમાં બુદ્ધિ એ એ ગુણ છે, અને તે ગુણ વડે તેઓ એવી રીતે એકત્ર થાય છે કે તેથી સંકેતનાં ચીહ્નો તેઓમાં જોવામાં આવે છે. જો પદાર્થોમાં બુદ્ધિનો ગુણ ન હોત અને તે છતાં પણ સૃષ્ટિનો દેખાવ હમણાંના જેવો હોત તો તેઓનો બુદ્ધિવાન કર્તા હોવો જોઈએ, એમ કબૂલ કરવું પડત. વળી તેમ કબૂલ કરવામાં ત્રણ મોટી હરકત નડે છે. એક તો એ કે શૂન્યમાંથી કાંઈ બની શકતું નથી. જેઓ માને છે કે પરમેશ્વરે કોઈ કાળે સૃષ્ટિ પેદા કરી, તેઓએ એમ પણ માનવું જોઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં અવકાશમાં કાંઈ જ ન હતું. ત્યારે તેનો પદાર્થ આવ્યો ક્યાંથી ? શૂન્યાવકાશમાં કાંઈ શી રીતે ઉત્પન્ન થયું ? એ વાત સંભવિત નથી. બીજું ઈશ્વર અનાદી છે, અને સૃષ્ટિ તો કોઈ વખતે પેદા થઈ, ત્યારે તે ઉત્પન્ન થયા પહેલાં ઈશ્વર અનંતકાળ સુધી હતો અને અનંત કાળમાં તેણે શું કર્યું ? તેટલા વખત સુધી તે નવરો બેસી રહ્યો ? ત્યારે તે પછી સૃષ્ટિ બનાવવાનું તેને શું કામ હતું ? આટલા અનંતકાળ ઊંઘ્યા કર્યું ત્યારે તેને તે વિચાર કેમ સૂઝ્‌યો નહીં ? અને એક અમુક વખતે શા માટે અને શી અગતય પડી તેથી વિશ્વનું મંડાણ કર્યું, તેનો ઉત્તર કોઈથી દઈ શકાશે નહીં. વળી પદાર્થ નાશવંત નથી. કોઈપણ વસ્તુ દુનિયામાં નાશ પામે છે, એમ કહેવું ખોટું છે. જેને આપણે નાશ કહીએ છીએ તે માત્ર અવસ્થાંતર છે. જ્યારે એક સગડીમાંના કોયલા બળી જાય છે, ત્યારે તેઓમાંના કેટલાક ભાગની રાખ થાય છે, કેટલાક ધુમાડામાંથી ઊડી જાય છે, તેમાંનો ભીનાશનો ભાગ વરાળ થઈને ઉપર ચાલ્યો જાય છે, અને બાકીનો ભાગો વાયુરૂપ થઈને હવામાં જતો રહે છે. જો એ સઘળા ભાગ એકઠા કરીને તોળીએ તો તેઓનું વજન અસલ કોયલાના જેટલું જ થાય. માટે કોયલાનો બળીને નાશ થયો એ કહેવું ખોટું છે, તેઓનું માત્ર રૂપ બદલાયું, તથા તેઓનાં ઘણાં રજકણ બીજાં રૂપ ધારણ કરી બીજે ઠેકાણે જતાં રહ્યાં, એ પ્રમાણે સૃષ્ટિ માંહેલા સઘળા પદાર્થોનો નાશ થતો નથી; માટે જગતનો લય પણ કોઈ કાળે થવાનો નથી. આ જગતનું રૂપ બદલાય, તેમાંની વસ્તુઓનાં રજકણો છૂટાં છૂટાં પડી જાય, પણ તેનો ખરેખરો ક્ષય થઈ શકતો નથજી. હવે જ્યારે તેનો ક્ષય થઈ શકતો નથી ત્યારે તેનો આરંભ પણ નથી, એમ માનવાને મજબૂત કારણ છે. એ ત્રણ કારણોને લીધે પદાર્થો અનાદિ છે એવો મત બાંધી શકાય; જેઓ સૃષ્ટિની ઉત્પત્તિ માને છે તેઓ પરમેશ્વરને સનાતન માને છે. માટે એ બેમાંથી એકને તો અનાદિ માન્યા વિના ચાલતું જ નથી, ત્યારે પદાર્થને તેવે રૂપે ગણવામાં શી હરકત છે ? માત્ર એટલી જ કે તેઓ છેક નાનપણથી સાંભળતા આવ્યા છે કે પરમેશ્વરે સૃષ્ટિ રચી છે, તથા તેને કોઈએ બનાવ્યો નથી, માણસના એ પ્રમાણેના વલણ સિવાય પદાર્થોના અનાદિપણાને માનવાને કાંઈ અડચણ નથી, અને તેમ માનયાથી ઘણું સુગમ પડે છે, તથા સંસારમાં વધારે સુખ ઊપજે છે.’’

બ્રાહ્મણને આ સઘળી તકરાર સાંભળી ઘણું આશ્ચર્ય લાગ્યું, અને માણસ જેવો પ્રાણી જેને વિવેકબુદ્ધિ આપેલી છે તે તેનો આવો ઊંધો ઉપયોગ કરી જગતમાં ઈશ્વર નથી, એમ માને એ વાત તેને ઘણી જ દુષ્ટ તથા અસ્વાભાવીક લાગી. તે બોલ્યો : ‘‘તમારા ત્રણ અપવાદોનું વજન એક રતિભાર પણ નથી. આ જગત શૂન્યથી કાંઈ બની શકતું નથી એ વાત ખરી છે. પણ પરમેશ્વરની શક્તિ અપાર છે, તે આપણી ટૂંકી અક્કલ વડે માપી શકાતી નથી, અને તે શું કરી શકે તેની આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી. માટે શૂન્યાવકાશમાં પોતાની ઈચ્છાના બળે કરીને જ તે પદાર્થ ઉત્પન્ન કરી શકે; એ ઠેકાણે આપણો ટૂંકો તથા અલ્પ અનુભવ કાંઈ કામ લાગતો નથી. બીજું, આ વિશ્વ રચાયા પહેલાં અનંતકાળ સુધી પરમેશ્વરે શું કર્યા કર્યું તે આપણાથી કહી શકાતું નથી, તથા તે જાણવાની આપણને જરા પણ અગત્ય નથી. જ્યારે તેને અનુકૂળ લાગ્યું હશે ત્યારે સૃષ્ટિ સરજી હશે. પણ તેણે શું કર્યું હશે એ ન જાણવાથી પરમેશ્વર છે જ નહીં એમ એકદમ અનુમાન કરવું, એ પણ ઘણી જ મુર્ખાઈ છે. ત્રીજું અગર જો તમારા કહ્યા પ્રમાણે પદાર્થો નાશવંત નથી, તોપણ તેટલા ઉપરથી તેઓનો આરંભ નથી, એમ સિદ્ધ થઈ શકતું નથી. તમારા ધર્મ સિવાયના દુનિયાના સઘળા ધર્ળ્મના લોકો કોઈપણ પ્રકારના પરમેશ્વરને માને છે, અને તેની સાથે એવું પણ કબૂલ રાખે છે કે આખી સૃષ્ટિ તેણે બનાવેલી છે. તેનું અસ્તિત્વ જગતમાં સઘળે ઠેકાણે મોટે અને વંચાય એવે અક્ષરે લખેલું છે, તથા માણસ જાતના અંતઃકરણમાં કોતરેલું છે. મંદમંદ વાયુ આવીને સઘળી સૃષ્ટિને સુખ આપે છે તે, તથા વંટોળિયો અને તોફાની વા, જાડ તથા ઘરને તળિયા ઝાટક કરી નાખી આખા જગતમાં અતિ ઘણું નુકસાન કરે છે, ‘પરમેશ્વર છે’ એમ બહેરા લોકોને કહી સંભળાવે છે. પક્ષીઓ પોાના મધુર રાગથી પરમેશ્વરના ગુણ ગાય છે, તથા નદીઓના મોટા ધોધ અને દરિયામાં મોજાંનો ગડગડાટ પરમેશ્વરનું અસ્તિત્વ દાંડી પીટી પ્રગટ કરે છે. જે ચમત્કારી સૂર્યનું તેજ તથા ગરમી જગતને જીવતું રાખે છે, જે શીતળ ચાંદરણું તથા અગણિત તારાઓનું ઝાંખું અજવાળું રાતને શોભાયમાન કરે છે, તેઓ પરમેશ્વરને દેખાડી આપે છે. જે ઊંચા અને ભયાનક પર્વતોનાં શિખર વાદળાંઓની અડોઅડ ગયેલાં છે, તથા તેઓ પાણીનું આકર્ષણ કરી સઘળી પૃથ્વીને ફળવાન કરે છે તેઓ પરમેશ્વરની તરફ આંગળી કરે છે; સારાંશ, કે આખા વિશ્વમાં હરેક વસ્તુ તેના પેદા કરનારનું અસ્તિત્વ સિદ્ધ કરી આપે છે. તે છતાં પણ દુષ્ટ તથા ઊંધી અક્કલના માણસો, આંખકાન બંધ કરી તથા વિચારશક્તિ અને અનુમાનશક્તિનો અઘટિત ઉપયોગ કરી, કૃતઘ્ન થઈ, અભિમાનથી કહે છે કે પરમેશ્વર નથી, તથા જગ પોતાની મેળે બનેલું છે. અરે ! સારી વસ્તુઓનો કેવો નઠારો ઉપયોગ થઈ શકે છે !’’

બ્રાહ્મણનું આ જુસ્સાભરેલું ભાષણ સાંભળીને તથા પોતાનો ખરો અભિપ્રાય ન સમજતાં બધા જૈન લોકોને આવા સખત તેણે ઠોક પાડ્યા તે સાંભળીને જતિએ ઘણું હસવું આવ્યું, અને બોલ્યો : ‘‘મહારાજ ! તમારામાં સમજ કરતાં જુસ્સો વધારે છે. પરમેશ્વર છે જ નહીં એમ કોણે કહ્યું ? તકરારને આરંભે મેં એવો અભિપ્રાય જણાવ્યો હતો કે પદાર્થ અનાદિ છે, એટલે સૃષ્ટિ કોઈએ પેદા કરી નથી. પણ પરમેશ્વર નથી એમ મેં કહ્યું નથી... મેં આગળ કહેલું છે કે પદાર્થોમાં સંકેત તથા બુદ્ધિના ગુણ છે તે ગુણને એકત્ર કરીને તેમાં અહંકાર એટલે હુંપણું મેળવીએ, અને તે ગુણોના પુરુષનું રૂપ આપીએ તો એવી રીતે થયેલા અસ્તિત્વને પરમેશ્વર કહેવાય. અમારા મત પ્રમાણે એ પરમેશ્વર નિરંતર, અચળ, તથા શાંત રહે છે, અને તેની અથવા તેની ઈચ્છાની સત્તા પદાર્થોના બીજા ભાગ ઉપર ચાલતી નથી. અમારો પરમેશ્વર તમારા પરમેશ્વર જેવો ખટપટી, જંજાળી તથા સઘળાં કામમાં પોતાનું માથું ઘાલનારો નથી. તમે તો તમારા પરમેશ્વરને નામે લોકોને છેતરીને તમારું પેટ ભરો છો, અને જેમ માબાપ પોતાનાં છોકરાંને મહેતાજીનું નામ દઈ હમેશાં ધમકાવ્યા કરે છે તેમ તમે પરમેશ્વરનો ભય લોકોને બતાવી તેઓની પાસેથી પૈસા કઢાવો છો. આપણા બંનેના ધર્મમાં પરમેશ્વર વિષેના મતમાં એટલો જ ફેર છે; માટે તમારા શબ્દ તમારે પાછા લઈ લેવા જોઈએ.’’

બ્રાહ્મણ આ જતિનું બોલવું સાંભળી જરા પણ ગભરાયો નહીં, પણ તેણે ધીરજથી જવાબ દીધો કે ‘‘તમારું પરમેશ્વર માનવા અને ન માનવાનું બંને સરખું જ છે. જે મહેતાજી મારે પણ નહીં અને ભણાવે પણ નહીં તે મહેતાજી શા કામના ? જગતમાં તમારા જેવા પરમેશ્વરથી શો ફાયદો ? જગતનું બંધારણ એવું કહેલું છે કે જો સઘળા માણસો ઈશ્વરી નિયમ પ્રમાણે વર્તે તો જ સંસાર સારી રીતે ચાલે. હવે ઈશ્વરી નિયમ પ્રમાણે ચાલવું, એ ઘણું કઠણ છે, તથા તેથી ઊલટું ચાલવામાં ઘણી વખતે તુરત લાભ થાય છે ખરો, તથા તે નિયમો તોડવામાં ઘણી લાલચ છે, તોપણ તે પ્રમાણે તેઓ ન કરે તથા તરતનું નુકસાન ભોગવીને પણ સઘળા સારે રસ્તે ચાલે, તેને માટે ભય કોનો ? તથા ઊલટ શાથી થાય ? સારા કામ કરવાથી હમેશાં દુનિયાનું સુખ મળતું નથી, તથા દુષ્ટ કર્મો કરનારને હમેશાં દુનિયામાં શિક્ષા થતી નથી, ત્યારે જો પરમેશ્વ તરફથી સારા કામનાં સારાં ફળ ભોગવવાની આશા, તથા માઠા કામનાં માઠાં ફળ ભોગવવાનો ભય લોકોમાં ન હોય તો આ દુનિયામાં સારા ગુણ તો ક્વચિત જ જોવામાં આવે, અને દુષ્ટ વિકારનું પ્રબળ વધી જઈને જગતનો જલદીથી ક્ષય થાય. માટે પરમેશ્વરના ભયની જગતમાં જરૂર છે. વળી જ્યારે માણસ ઉપર કોઈ મોટી આફત આવી પડે. જ્યારે દુષ્ટ રોગોથી તેનું શરીર પીડાતું હોય, જ્યારે તેની વહાલી આશાનો ભંગ થાય, જ્યારે તેના કુટુંબનું કોઈ માણસ આ દુનિયાનો કોઈ વખતે ત્યાગ કરે, ત્યારે તેને શાંતિ ક્યાંથી આવે છે ? તથા એવે વખતે દિલાસો શાથી મળે છે ? પરમેશ્વર ઉપરના ભરોસાથી જ. ઈશ્વરેચ્છા એ એક માણસની મોટી ઢાલ થઈ પડે છે. તે ઉપર વિપત્તિના કારી ઘા પડે છે તોપણ તેની અસર કાંઈ જણાતી નથી. તે એક ભરદરિયા વચ્ચે ખડક છે, તે ઉપર ઊછળતાં તથા તોફાની મોજાં અથડાય છે તોપણ તે જરા ડગતો નથી. જો માણસ સંસારનાં કામ ચલાવવામાં પોતાના કરતાં કોઈ પણ શ્રેષ્ઠ શક્તિને માને નહીં, તો તેના દુઃખનો કાંઈ કાંઠો રહે નહીં. પરમેશ્વરને તમે કહો છો તે પ્રમાણે જંજાળી, ખટપટી તા સઘળાં કામમાં માથું ઘાલે એવો માનવાથી જગતને ઘણા ફાયદા છે; તે સઘળા વિસ્તારે કહેવા માંડુ તો આખો દહાડો વહી જાય માટે એટલેથી જ પૂરું કરું છું. હવે તમારા ધર્મની એક બીજી વાત કહું છું. જીવહિંસા કરવી એ મહાપાતક છે, એમ અમે કબૂલ કરીએ છીએ; પણ તમે લોકો એ વાતમાં છેક હદ બહાર જાઓ છો. તમે જ્યાં બેસો છો તયાં પહેલાં વાળો છો. બોલો છો, ત્યારે મોંએ લૂગડું બાંધો છો, અને એ સિવાય જીવનું રક્ષણ કરવાને ઘણા હસવા લાયક ઉપાય કરો છો, એ સઘળો તમારો ઢોંગ છે. તમે નાના જીવો, પાળો છો, અને મોટા જીવને મારો છો. તમે ધર્મ નિમિત્તે માણસને મારતાં બીતા નથી અને ઝીણાં જીવડાં ઉગારવાને હજારો બંદોબસ્ત કરો છો. તમે જાણતા તો હશો કે આખું વિશ્વ જીવથી ભરપૂર છે. જે હવાનો આપણે શ્વાસ લઈએ છીએ તેમાં અસંખ્ય જીવ હોય છે, અને ભોંય ઉપર ચાલનારાં પણ અગણિત ઝીણાં જીવડાં હોય છે, આપણે મોં ઉપર ગમે તેવું લૂગડું બાંધીએ, અથવા બેસતી વખતે જમીનને વાળીએ, તોપણ શ્વાસોચ્છ્‌વાસ લેવામાં હજારો જીવ શરીરમાં જાય છે, અને બેસતાં હજારો બલકે લાખો ઝીણાં જીવડાં છૂંદાઈ મરે છે. આપણો એ ઠેકાણે ઉપાય ચાલતો જ નથી. એવાં જંતુને જોઈ શકે, એવી પરમેશ્વરે આપણી આંખ તીક્ષ્ણ બનાવેલી નથી, ત્યારે તમારા જેવો ઢોંગ શા માટે કરવો જોઈએ ?’’

તકરાર ઘણી લાંબી ચાલ. અને તેનો પાર જલદીથી આવશે નહીં એમ જાણી કરણ રાજા વચ્ચે બોલી ઊઠ્યો : ‘‘હવે બસ થયું, એ ભાંજઘડથી મારું માથું દુખવા આવ્યું, વધારે સાંભળવાની મારી ખુશી નથી. પરમેશ્વરે મને શિવમાર્ગી માબાપને પેટે જન્મ આપ્યો તેથી હું તો તે જ ધર્મ પાળીશ. મારે જૈન ધર્મનું કાંઈ કામ નથી. સઘળા ધર્મ ખરા છે. જે ધર્મમાં આપણે અવતર્યા હોઈએ તે જ જો બરાબર પાળીએ તો પરમેશ્વર પ્રસન્ન થાય. એક ગામ જવાના ઘણા રસ્તા હોય છે, તેમાં કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ વિકટ, કોઈ સુગમ, પણ સઘળેથી અંતે તે ગામે પહોંચાય છે. કોઈ સ્ત્રીએ પોતાના ધણી ઉપર વશીકરણ કર્યું તેથી તે બળદ થઈ ગયો; ત્યાં પડોશમાં કેટલાક છોડવા ઊગેલા હતા તે ખાધાથી તેનું રૂપ બદલાઈને તે પાછો માણસ થયો. તે છોડવામાં એવો ગુણ છે, તે ન જાણાં બળદે તે ખાધા, છતાં તેને એ પ્રમાણે ફાયદો થયો. તેમ આપણા ધર્મનો મર્મ આપણે જાણીએ નહીં તોપણ તે પાળ્યાથી આપણને પણ તે બળદની પેઠે લાભ થાય. માટે હવે વાદ પુરો થયો તેથી સૌએ પોતપોતાને ઘેર જવું.’’

જતિઓથી પોતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું નહીં તેથી તેઓ દિલગીર તથા ઉદાસ થઈને ઊઠ્યા, અને આવી ખાતરી કરી આપે એવી તેઓની તકરાર છતાં પણ રાજાના મન ઉપર કાંઈ અસર થઈ નહીં, તેથી તેની અતિ સ્થૂળ બુદ્ધિ ઉપર અફસોસ કરીને ઘેર ગયા. મોતીશાનું લોહી પણ ઊડી ગયું; અને જે જતિઓ ત્યાં મળેલા હતા, તેઓની મૂર્ખાઈનો ધિક્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો. બ્રાહ્મણોએ એ પ્રમાણે જય મેળવ્યો તેથી તેઓનો હર્ષ માતો ન હતો. રાજાએ તે વખતે જૈન દેવસ્થાન ઉપરથી ધજા ઊતરાવી નાખવાની આજ્ઞા કરી, અને તેમ કરી આવા બારીક વખતે તેણે તેની રૈયતના મોટા ભાગનું મન ઊંચું કર્યું. બ્રાહ્મણોને મોટી મોટી દક્ષિણા આપી, અને તેઓએ તેને દેહશુદ્ધ પ્રાયશ્ચિત કરાવ્યું. પછી રાજા રુદ્ર મહાકાળેશ્વરનાં દર્શન કરવા પગે ચાલતો નીકળ્યો. રસ્તામાં થોડેક આગળ ચાલ્યો એટલામાં એક ટોળું જોઈ તે અટક્યો, અને આ ભીડ શાથી થઈ છે તેની તજવીજ કરવાને તે તયાં ઊભો રહ્યો. તપાસ કરતાં તેને માલૂમ પડ્યું કે જે વાણિયાના ઘર આગળ લોકો મળ્યા હતા તે વાણિયાએ પોતાનો એક છોકરો પરણાવવાને બે હજાર રૂપિયા જેઠાશા શાહુકાર પાસેથી લીધા હતા. એ વાણિયો ઘણો વિષયી હતો તેથી તેણે ઘણાનું દેવું કરેલું હતું, અને તે સઘળું વાળવા જેટલી તેની પાસે મિલકત ન હતી, તેથીો જેઠાશાએ તેને બે હજાર રૂપિયા ધીરતાં આંચકો ખાધો. હવે છોકરો તો પરણાવવો જોઈએ, અને તેમાં ખર્ચ પણ ન્યાતમાં મોટાઈ મેળવાવને વાસ્તે સારો કરવો જોઈએ, તેથી તે વાણિયો કોઈ સારો જામીન શોધવા નીકળ્યો, પણ કોઈએ તે દેવાળિયાની બાંહેધરી કરી નહીં; ત્યારે તે લાચાર થઈને એ ભાટ પાસે ગયો, અને તેને જામીન થવાને વિનંતી કરી. ભાટ લોકોના પૈસા કદી ખોટા થતા નથી, તથા તેઓ ગમે તે ઉપાયથી પોતાનું માગણું વસૂલ કરી શકે છે, તેથી ભાટે જામીન થવાને કબૂલ કર્યું, અને જેઠાશા પાસેથી પૈસા અપાવ્યા. વાણિયાએ ઘણી ધામધૂમથી લગન કર્યાં; ન્યાતમાં ઘણો સારો જમણવાર કર્યો; લહાણું પણ કર્યું અને એ પ્રમાણે બે હજાર રૂપિયા ઉડાવી દીધા. રૂપિયા ઉપર તો વ્યાજ ચઢવા લાગ્યું પણ તે વાતની વાણિયાને કાંઈ ચિંતા ન હતી. તેને રૂપિયા પાછા આપવાનો વિચાર જ ન હતો. કેટલેક વર્ષે બે હજારના ચાર હજાર થયા. એટલાથી વધારે રૂપિયા લેવાશે નહીં, એમ જાણીને જેઠાશાએ ફરિયાદ કરી, અને વાણિયા પાસે તો મળે નહીં, તેથી તેના જામીન ભાટ પાસેથી તે સઘળા પૈસા વસૂલ કર્યા. હવે તે પૈસા પેલા વાણિયા પાસેથી લેવાના ભાટને રહ્યા. ભાટે રોજ રોજ ઉઘરાણી કરી, પણ વાણીયો ક્યાંથી આપે ? તેથી તેણે છેલ્લે નાગો જવાબ દીધો. ભાટ લોકો ઘણું કરીને પોતાના લહેણાની ફરિયાદ સરકારમાં કરતા નથી તેથી, તે ભાટે પણ કરી નહીં; અને કરત તોપણ તે વાણિયા પાસે શું લેવાનું હતું ? તેથી તે તેને બારણે બેઠો, અને ત્રણ દહાડા સુધી પોતે અન્નજળ લીધું નહીં, તથા વાણિયાને અપવાસ કરાવ્યો. મહોલ્લાના લોક ઘણા કાયર થયા અને ભાટ પોતાના ધારા પ્રમાણે તે ઠેકાણે આપઘાત કરશે તો આખો મહોલ્લો ગોઝારો થશે, એમ જાણી વાણિયાને ઘણો સમજાવ્યો, અને અંતે ટીપ શહેરમાં ફેરવી ચાર હજાર રૂપિયા એકઠા કરી ભાટને આપવાનું કહ્યું, પણ તે વાણિયો જડ થઈને બેઠો, અને ભૂખ્યો મરી જાઉં પણ એક પૈસો એ ભાટને આપું નહીં, અને મારી તરફથી કોઈને આપવા પણ દઉં નહીં, એવો તેણે નીશ્ચય કર્યો. લકો સઘળા લાચાર થયા, અને ભાટને તેઓએ વાણિયાનો ઠરાવ કહ્યો. તે સાંભળતાં જ ભાટ પોતાની સાથે તેની એંશી વર્ષની ઘરડી મા લાવ્યો હતો તેનું તલવારના એક ઘાએ માથું ઉડાડી નાખ્યું, તોપણ વાણિયો હઠ્યો નહીં. ત્યારે તે ભાટે ઘણા જુસ્સામાં આવી પોતાના એકના એક બાર વર્ષના છોકરાને બોલાવ્યો, અને તેના પેટમાં કટાર ખોસી મારી નાખ્યો. પછી તેનું વહેતું લોહી ખોબામાં લઈને વાણીયા ઉપર છાંટ્યું, અને બોલ્યો : ‘‘અરે ચંડાળ ! આ ભોગ લે, અને જેમ મારો નિર્વંશ થયો તેમ તારો જજો, તારો પરણેલો છોકરો પણ એમ જ મરજો, અને તું પણ અથડાઈ મહાદુઃખ પામી પીલાઈ પીલાઈને મરજો.’’ સઘળાં લોકો થરથર ધ્રુજવા લાગ્યાં; પણ વાણિયાના વજ્ર જેવા હૈયા ઉપર કાંઈ અસર થઈ નહીં. ત્યારે હવે ભાટ પોતાનો જીવ કાઢવાને તૈયાર થયો. તે જ વખતે રાજા કરણ ત્યાં આવી હોંચ્યો. ભાટે રાજાને જોઈ તેનું દુઃખ નિવારણ કરવાને કહ્યું, પણ રાજાએ તેની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહીં તેથી ભાટમાં વાઘ જેટલો જુસ્સો આવ્યો, અને ગાંડા જેવો થઈ એક છલંગ મારી વાણિયાના ઘરમાં ગયો, અને તરત તે વાણિયાનું તથા તેના બાળક નિર્દોષ છોકરાનું મડદું ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યું, અને ભોંય ઉપર નાખીને પોતાના પેટમાં ખંજર મારી તરત પડ્યો. આ સઘળાં કામો તેણે એવી ઝડપથી કર્યાં કે લોકોને તેને અટકાવવાને વખત મળ્યો નહીં. અને તેઓ સઘળા જડ થઈ ઊભા જ રહ્યા. વાણિયો તથા તેનો છોકરો તો તરત મરી ગયા; પણ ભાટનો જીવ જલદીથી ગયો નહીં. તેણે પછાડા મારવા માંડ્યા, અને શરીરના તથા મનના કષ્ટથી તેને ઘણી જ અકળામણ થવા માંડી. તેની ચોતરફ ફરતી આંખ રાજા તરફ ગઈ એટલે તેને વધારે દરદ થયું, અને જેટલો ક્રોધ તેનામાં બાકી રહ્યો તેટલો મોં ઉપર લાવી બોલ્યો; : ‘‘હે દુષ્ટ રાજા ! બ્રહ્મહત્યા કરતાં પણ ભાટની હતયા વધારે છે. તે અહીં ઊભા રહીને તારી રૈયતના પ્રાણ જતા જોયા. ધૂળ પડી તારા ક્ષત્રિયપણા ઉપર, અને બળ્યું તારું રાજ્ય. તું રજપૂત થઈને તારાથી નિરપરાધી ભાટનો બચાવો થયો નહીં. આજે જેટલા મુઆ તેટલાનું પાપ સઘળું તારે માથે. તું જે કામને સારુ અહીં આવ્યો છે તે કામ સફળ થવાનું નથી. તું વન વન રઝળીશ. તારા ઘરનાં માણસ તને છોડીને જતાં રહેશે. અને તું ક્યા મરીશ તે કોઈ જાણવાનું નથી.’’ એટલું કહી ભાટ ચત્તોપાટ પડી ગયો, અને તેનો આત્મા પોતાનું માગણું વાણિયા પાસેથી વસૂલ કરવાને સારુ ઈન્સાફના છેલ્લા દરબારમાં ફરિયાદ કરવા ગયો.

ભાટનો શાપ સાંભળીને રાજાને એટલું તો કષ્ટ થયું કે તે બેશુદ્ધ થઈને ભોંય ઉપર પડ્યો. તેને તેના માણસો તરત ઊંચકી લઈ પાછા મહેલમાં લઈ ગયા. જ્યારે તેને શુદ્ધિ આવી ત્યારે આસપાસ બેઠેલા બ્રાહ્મણોએ ભાટનો શાપ બાળી નાખવાને શાસ્ત્રમાંથી કાંઈ પ્રાયશ્ચિત શોધી કાઢી તે કરાવવાનું વચન આપ્યું. રાજાને તે સાંભળીને શાંતિ થઈ, અને તેના મનને દિલાસો મળ્યો. પણ એટલામાં પાટણથી એક દોડતો જાસૂસ આવ્યો, તે રાજાના ઓરડામાં ઘસી આવી શ્વાસ ખાધા વિના બોલ્યો : ‘‘રાજાધિરાજ ! એવી સઘળે ઠેકાણેથી ખબર આવી પહોંચી છે કે તુરકડા લોકો મોટું લશ્કર લઈ રાજ્યની હદ ઉપર આવ્યા છે, અને તેઓનો વિચાર આખું રાજ્ય જીતવાનો છે. તેમની સાથે આપણો માજી પ્રધાન માધવ છે. તેઓએ કેટલાંક ગામ માર્યા છે. તથા લોકોો ત્રાસ પામીને અહીંથી તહીં દોડે છે.’’ તુરક લોકો ગુજરાત જીતવા આવ્યા તેથી હવે મોટી લડાઈઓ થશે એ વિચારથી જ કરણનું ક્ષત્રિય લોહી ઊકળવા લાગ્યું, અને તે ઘણી હિંમત પકડી બોલ્યો : ‘‘એ મ્લેચ્છ લોકોને ગુજરાતની ધરતીમાં દટાવું સર્જિત હશે તેથી કાળ તેઓને લલચાવીને અહીં લાવ્યો હશે. હજી મેં કાંચળી પહેરી નથી; હજી રજપૂત લોકોએ તેઓનું શૂરાતન ખોયું નથી; હજી દેશમાં હિમ્મતવાન માણસો છે; ગુજરાતના રાજાને લશ્કરની ખોટ નથી; મજબૂત કિલ્લાઓ પણ પુષ્કળ છે, માટે તેઓને આવવા દો. હું તેઓથી જરા પણ બીતો નથી. મારા હાથ શત્રુને મારવાને ચવળે છે. તથા મારી તલવારને લોહી મળ્યું નથી તેથી તેને ઘણી તરસ લાગી છે. વાહ ! વાહ ! હવે વખત આવ્યો છે. હું કેવો છું તે રણસંગ્રામમાં આખા જગતને દેખાડી આપીશ. જો એ પ્રમાણે ન બનયું હોત તો મારું નામ આગળ ચાલત નહીં. જે થયું છે તે ઠીક છે. સઘળો સામાન તૈયાર કરો, કાલે અહીંથી કૂચ કરીશ, અને પાટણ જઈને યુદ્ધ કરવાને સઘળો બંદોબસ્ત કરીશ.’’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED