Karan Ghelo - 2 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 2

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૧ : પ્રકરણ ૨


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ર

અશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મહાવતો હાથીને તે પ્રમાણે કરવામાં, તમજ રાજાના બીજા નોકરો રથ તૈયાર કરવામાં કામે વળગી ગયા હતા. ખવાસ, ગોલા, રાજાના ભાંડ, મલ્લ વગેરે લોકો પોતાનાં વાહનને માટે મોટી ફિકરમાં દેખાતા હતા. તે દહાડાને વાસ્તે સારાં લૂગડાં તૈયાર કરાવવાને દરજીને ત્યાં દોડાદોડ થઈ રહી હતી. શહેરના સઘળા દરજી, ધોબી તથા મોચી તે દહાડાની આગલી રાત્રે જરા પણ સૂતા ન હતા; તેઓની સાથે તેમના કેટલાક અધીરા ગ્રાહકો પણ જાગરણ કરવા લાગ્યા હતા; તેમ છતાં પણ સવારે તેઓની દુકાને એટલી તો ભીડ થઈ રહી હતી કે કોઈ છૂંદાઈ ન ગયું એ આશ્ચર્યકારક હતું. શહેરમાં ચોમાસાના વરસાદનું પાણી બહાર જવાને મોરીઓ છૂટી મૂકી હતી તે સઘળી લોકોએ તે સવારે બંધ કરી દીધી હતી, તેથી તે રસ્તો આરસી જેવો સાફ થઈ ગયો હતો. તે ઉપર પાટણની સુંદરીઓ નાના પ્રકારના રંગ લઈને હાથ વડે તથા લાકડાનાં બીબાં વડે રમણિક સાથિયા પૂરતી હતી, અને કોનો સાથિયો સારો પુરાય છે તે બાબતે માંહોમાંહે સ્પર્ધા કરતી હતી. શહેરમાં સઘળે ઉત્સવ થઈ રહ્યો હતો, અને પૂર આનંદમાં સ્ત્રીઓ સારાં લૂગડાં, ઘરેણાં પહેરીને મહાલતી હતી. અને વખતે વખતે તેઓના હૈયામાંથી હર્ષ ઊભરાઈ જતો હોય એમ તેઓનાં ગીત ગાવાથી જણાઈ આવતું હતું. સઘળી નિશાળોમાં છુટ્ટી હતી તેથી છોકરાંઓનાં મોં આનંદથી ભરપૂર હતાં; અને આણીગમ તેણીગમ દોડીને, કૂદીને અને એવું બીજું નાના પ્રકારનું તોફાન કરીને તેઓ હર્ષને બહાર જવાનો રસ્તો આપતા હતા. જે ચૌટામાંથી સવારી જવાની હતી તે ચૌટાંમાંના દુકાનદારો, સવારી જોવા આવનાર લોકો તેઓની દુકાનના ઓટલા ઉપર બેસવાનું ભાડું આપશે એ ઉમેદથી ઘણા ખુશમાં હતા. મીઠાઈવાળા, માળી, રમકડાંવાળા, ખાવાનાંવાળા અને બીજા કેટલાકોને તે દહાડે સારો વકરો થવાનો તેથી તેઓ પણ ઘણા જોશભેર ચાલતા હતા. છેલ્લે, જઓ નવ દહાડા ફળાહાર અને અપવાસ કરીને રહેલા હતા, અને જેઓ તે સવારે ચીમળાયલા તથા ભૂખ્યા વરુના જેવા બેઠા હતા તેઓ પણ આજે પારણાનું મિષ્ટાન્ન મળશે એ જ વિચારથી ઘણા આનંદભેર દેખાતા હતા.

રાજમહેલ અથવા રાજપીઠિકા કિલ્લામાં હતો; અને તેને લગતા બીજા ઘણાએક મહેલો હતા. મુખ્ય મહેલ જમીનથી પ૦ ગજ ઊંચો હતો. તે કાળા પથ્થરનો બનાવેલો હતો; અને તેમાં ઘણેક ઠેકાણે સ્ફટિકના પથ્થર વાપરેલા હતા. તે ચોખૂણાકાર હતો. ફરતા કોટમાં ઠેકાણે ઠેકાણે અષ્ટખૂણ બુરજો હતા, અને તેઓના ઉપર ઘુંમટ કીધેલા હતા. આગલા દરવાજાનું નામ ઘટિકા હતું, અને તે દરવાજાની સામા ધોરી રસ્તા ઉપર ત્રિપોલ્ય એટલે ત્રણ દરવાજા હતા. મહેલની ઉપર જમીનથી આશરે રપ ગજને અંતરે મહેલની તમામ લંબાઈ જેટલી એક અગાશી હતી. તે ઉપરથી આખું શહેર નજરે પડતું હતું. એ અગાશીની નીચે ઘણાં સુંદર કમાન હતાં, અને તેઓની બે બાજુઓએ કીર્તિસ્તંભ હતા. દીવાલો ઉપર ઘણી જ સુંદર નકશી કોતરેલી હતી, અને રામ તથા રાવણની લડાઈ, મહાભારતની લડાઈ, કૃષ્ણનો રાસ વગેરે ઘણાંએક ચિત્રો દોરી કાઢેલાં હતાં. મહેલની ભીંતો ભભકાદાર જુદાજુદા રંગોથી રંગેલી હતી, અને તેઓ ઉપર કેટલાએક તખ્તા તથા મોટા-મોટા આરસા જડેલા હતા. તે દિવસે સૂર્યોદયની તૈયારી થતાં જ રાજ્યમહેલમાં ચોઘડિયાં વાગ્યાં, નોબત ગડગડવા લાગી, તથા શંખનાદ થયો એટલે રાજાએ શય્યાથી ઊઠી પોતાના વહાલા ઘોડાને બહાર કઢાવી થોડોએક ફેરવ્યો. પછી દાતણ કરી સ્નાન કીધું; અને પોતાના ઈષ્ટદેવ શિવની પૂજા ઘણાએક બ્રાહ્મણોની સમક્ષ કીધી. પછી બ્રાહ્મણો વેદના મંત્રો ભણ્યા તેમને રાજાએ ધારા પ્રમાણે દક્ષિણા આપી. બહાર જે હજારો ગરીબ ભુખે મરતા ભિખારીઓ એકઠા થયા હતા તેઓને અનાજ આપવાનો હુકમ કીધો. એ કામ થઈ રહ્યા પછી લુગડાં-ઘરેણાં પહેરીને પોતે દરબારમાં જવા નીકળ્યો.

જે વિશાળ ઓરડામાં દરબાર ભરાયો હતો તે ઘણો જ લાંબો, પહોળો તથા શોભાયમાન હતો. તેમાં સ્ફટિકના કીર્તિસ્તંભો હતા. ભોંય ઉપર મોટી ગાદી પાથરેલી હતી, અને તેના ઉપર સફેદ ચાદર બિછાવેલી હતી. બાજુઓ ઉપર તકિયા મૂકેલા હતા અને જે બાજુ તરફ રાજગાદી હતી તે તરફ રાજાના કામદારોને માટે તેઓના જુદાજુદા હોદ્દા પ્રમાણે વધારે અથવા ઓછી ઊંચાઈની બેઠકો બનાવેલી હતી. રાજાની ગાદી સઘળાથી ઊંચી હતી; તે કિનખાબની બનાવેલી હતી; તથા તે ઉપરની ચાદર બંગાળાની ઊંચામાં ઊંચી તથા મોંઘામાં મોંઘી મલમલની હતી; તકીયો પણ તેવો જ બનાવેલો હતો. પાસેની ગાદી યુવરાજ અથવા પાટવીકુંવરની હતી; પણ કરણ રાજાને કુંવર ન હતો તેથી તે ગાદી ખાલી પડેલી હતી. તેની પાસેની ગાદી ઉપર માધવ પ્રધાન બિરાજેલો હતો. તેણે આ વખતે મંદીલની પાઘડી તથા કિનખાબનો ડગલો પહેરેલો હતો, અને સોનું, મોતી, હીરા તથા જવાહિરનાં ઘરેણાંની તેના શરીર ઉપર કાંઈ ખોટ ન હતી. તેની પાસે મુકુટધારી ઠાકોરો તથા મંડળેશ્વરો એટલે પરગણાના માલિકો બેઠેલા હતા. એક બે મંડળિક રાજાઓ પણ હતા. બીજી તરફ ઉદેપેર, જોધપુર વગેરે બીજા રાજ્યસંસ્થાનોમાંથી આવેલા સંધિવિગ્રહકો, જેઓનું કામ લડાઈ તથા સલાહ કરવાનું હતું, અને જે દરબારમાં તેઓ રહેતા હોય તેનાં કામકાજની ખબર પોતાના રાજાને કરવાનું હતું તેઓ, તથા સ્થાન-પુરુષો જેઓ પારકા રાજ્યમાં જઈ ત્યાંના રાજ્યની નોકરીમાં રહેતા અને ત્યાંની ખબરઅંતર પોતાના રાજાને કરતા તેઓ પણ હતા. વળી ત્યાં સામંત એટલે લશ્કરી અમલદારો પણ બેઠેલા હતા; તેઓનો દરજ્જો તેઓના હાથ નીચે જેટલાં માણસ હોય તે પ્રમાણે ગણાતો હતો. તેઓમાં મુખ્ય છત્રપતિ તથા નોબતવાળા એટલે જેઓના ઉપર છત્ર ધરી શકાય તથા જેઓની આગળ નોબત વાગી શકે તેઓ હતા. એક તરફ તલવાર, કટાર, બરછી, ઢાલ વગેરે શસ્ત્રવાળા સિપાઈઓ હતા; એ સિવાય વેદિયા, પંડિત, જોશી વગેરે વિદ્વાન બ્રાહ્મણો બેઠેલા હતા; અને એ સઘળાઓની સામેની બાજુએ ભાટ, ચિતારા, ઘોડા ઉપર બેસતાં શીખવનારા, નાચતાં શીખવનારા, ભાંડ, જાદુગરો, ઈત્યાદિ બેઠેલા હતા. વળી એક ઠેકાણે ગણિકા અથવા વારાંગના પણ કીમતી વસ્ત્ર તથા આભૂષણ પહેરીને બેઠેલી હતી; અને તેની બેસવાની રીત, તેની આંખની ચપળતા, તથા તેના હાવભાવથી સઘળા મોહિત થતા. એ પ્રમાણે તે દિવસે દરબાર ભરાયો હતો. એટલામાં સોનાની છડીવાળા ચોપદારો આગળ ચાલી ‘‘રાજાધિરાજ, ખમાખમાજી, અન્નદાતા’’ એવી નેકી પોકારતા સંભળાવા લાગ્યા. તે શબ્દ સાંભળી દરબારમાંના લોકોને માલૂમ પડ્યું કે રાજા પધારે છે. રાજા દરબારમાં આવતાં જ તમામ દરબારી લોકોએ ઊભા થઈ જુદી જુદી રીતે તેને માન આપ્યું. ચોપદારો વધારે બૂમ પાડવા લાગ્યા, અને આખા દરબારમાં ગણગણાટ શબ્દ થઈ રહ્યો. રાજાજી ગાદીએ બેઠા. ચોપદાર બીજા લોકોને અંદર આવવા ન દેવાને દરવાજા આગળ ઊભા રહ્યા, અને દરબારી લોકો પોતપોતાને ઠેકાણે બેઠા.

કરણ રાજાની ભરજુવાની હતી. તેની ઉંમર ત્રીસ વર્ષનીહતી; તેનું શરીર પરમેશ્વરની કૃપાથી, નાનપણથી અંગકસરત કીધાથી, પાતળું તથા જોરાવર હતું. તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો હતો. તે શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબું હતું. તેના હોઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહીં, એવા સ્વભાવનો હતો એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હંમેશા રતાશ પડતી રહેતી તેથી તેનું રૂપ કાંઈક વિકરાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિંમતનાં સઘળ ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એકબીજાની પાસ આવી ગયેલી હતી તેથી તેનામાં દૃઢતાનો ગુણ કોઈપણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથા પર મંદીલની પાઘડી પહેરી હતી. તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મ્યાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અન એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતાતથા તે ઉપર સોનેરી ટીકડીઓ ચોટાડેલી હતી. તેને માથે મોરપીંછ હતાં. તથા આસપાસ બે ખિદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.

દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશીર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પૂરા થયા પછી ગણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાસટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ અક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી એક ચિતારાએ એક ઘણી જ રૂપાળી સ્ત્રીનું ચિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.

આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ ન હતો તેથી દરબારમાંથી તે ઊઠ્યો. ચોપદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી, કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભોજન કીધું. ત્યારપછી પાનસોપારી તેજાના વગેરે ખાધા, અને સૂવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં અક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરુ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બોલાવ્યા. દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજંયસંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણોને મોંએ સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યો : ‘‘ગુરુજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?’’ગુરુજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, ‘‘રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે. અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહીં તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાને પ્રયત્ન કરશો.’’ ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહીં પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોઠડુંઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોરમહારાજ સાથે સામેલ થવાોને જાગ્રત થયો. ગોરમહારાજે પહલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.

‘‘રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને એકની મિલકત દબાવી પાડે, અને એમ માણસો એકબીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદાજુદા પ્રકારનાં માછલાં એકબીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એકમેકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, ‘મહારાજ, હું પાપનાં કામથી બીઉં છું. રાજ્યકારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હંમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.’ લોકોએ તેને કહ્યું, ‘બીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમજ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકદ્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરુષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભોય પમાડી શકશે નહીં; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયતોજે જે પુણ્યનાં કામ કરશે તે પ્ણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે. દેવતાઓ ઈંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઊંચી પદવી મેળવવાની ઈચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમ કે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઊભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.’’ એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઊઠ્યો ‘જન્મ, મરણ આવરદા થતા શરીરના અવયવો રાજાનાં અન બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરુષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ? તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ ? અને રાજા સુખી અથવા દુઃખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ ?’’ એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.’’

રાજાનાં આટલાં વખાણ તથા રાજ્યપદનું આટલું માહાત્મ્ય સાંભળીને ભાટ ઘણો જ ખુશ થયો અને બોલ્યો : ‘સત્ય છે મહારાજ, રાજા તે બીજો પરમેશ્વર; પૃથ્વી ઉપર પરમેશ્વરની મુનિમ. જેમ પરમેશ્વર ચાહે તે કરી શકે તેમ તે પણ કરી શકે.’ બ્રાહ્મણ બોલ્યો : ‘‘રાખ, એટલી ઉતાવળથી અનુમાન મા કર. સઘળા કરતાં અને રાજા કરતાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિમાં કહેલું છે કે રાજાએ વહેલા ઊઠીને ત્રિવેદી બ્રાહ્મણોની સેવા કરવી, અને તેઓના કહેવા પ્રમાણે કરવું.’’ ભાટ બોલ્યો : ‘‘પણ મહારાજ, મનુસ્મૃતિમાં આમ પણ કહેલું છે કે સૂર્યની પેઠે રાજા આંખ તથા અંતઃકરણને બાળી નાખે છે, અને પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તેના ઉપર દૃષ્ટિ કરી શકતું નથી. તે અગ્નિ તથા જળ છે; તે અપરાધી લોકોના નયાયનો દેવ છે; તે દ્રવ્યનો દેવ છે; તે જળનો ઉપરી છે; તે આકાશનો ધણી છે; તે માણસના રૂપમાં શક્તિવાન દેવ છે; તેનો ક્રોધ થાય તો મૃત્યુ જાણવું. જે ઘેલાઈમાં પણ રાજા ઉપર દ્વેષભાવ દેખાડે તેનો નિઃસંશય નાશ થશે, કેમકે રાજા તેનો નાશ કરવા તરફ જલદીથી પોતાનું મન લગાડશે.’’

બ્રાહ્મણ બોલ્યો : ‘‘એ ગમે તેમ હોય તોપણ બ્રાહ્મણોને રાજાએ માન આપવું, અને તેઓના કહ્યા વિના કાંઈ કામ કરવું નહીં. શાસ્ત્રમાં કહેલું છે કે રાજાગમે તેવા દુઃખમાં હોય તોપણ બ્રાહ્મણોને ક્રોધાયમાન કરવા નહં, કેમ કે એકવાર તેઓ કોપ્યા એટલે તેનો તથા તેના હાથી, ઘોડા, રથ, લશ્કર એ સઘળાનો તે તુરત નાશ કરવાને સમર્થ છે. બ્રાહ્મણો જો કોપે, તો બીજી પૃથ્વીઓ તથા પૃથ્વીપતિઓ કરી શકે, તથા બીજા દેવ તથા માનવને ઉત્પન્ન કરી શકે. એવા બ્રાહ્મણ ઉપર જુલમ કીધાથી ક્યા રાજાને દ્રવ્ય મળી શકે ? વળી મનુ કહે છે કે બ્રાહ્મણની શક્તિ તેના જ ઉપર માત્ર આધાર રાખે છે, તે રાજાની શક્તિ જે બીજા માણસો વડે છે તેના કરતાં શ્રેષ્ઠ છે, માટે પોતાની શક્તિ વડે બ્રાહ્મણો પોતાના શત્રુઓને વશ કરી શકે છે. જે બ્રાહ્મણ શાસ્ત્રમાં પ્રવીણ છે તેને કોઈ મહાવ્યથા કરે તો તેને રાજાની આગળ ફરિયાદ કરવાની જરૂર નથી, કેમ કે તે પોતાની શક્તિ વડે વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તોપણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તોપણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહીં. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મૂકવો. તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહીં, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહીં, વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તોપણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહીં.’’

ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિશે આટલું બધું સાંભળ્યું ન હતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, ‘‘આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખત્યાર આપ્યો દેખું,’’ અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલૂમ ન હતાં તેથી તે બોલ્યો ‘‘હવે એ વાત તો ઘણી થઈ; હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારાના રાજાની તેના પૌત્ર ભર્તૃહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઈતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે -

‘‘તેણે પોતાના બે છોકરાઓને પાસે બોલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી, અને કહ્યું : ‘‘તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, જુદીજુદી કળા તથા હાથની કારીગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કૂદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવો, લશ્કરનાં ટોળાં બાંધવા, તથા તેઓને તોડવાં, અ સઘળામાં પ્રવીણ થવું. દરેક રાજ્યગુણ મેળવવા. શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શીખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને ઓળખતાં, દુષ્ટને યથાયોગ્ય શિક્ષા કરતાં, તથા સંપૂર્ણ ન્યાયી રાજ્ય ચલાવતાં શીખવું, અને તમારું મન ઘણું ઉદાર રાખવું.’’ પછી તો છોકરાઓને નિશાળે ઉત્કૃષ્ટ શિક્ષકોના હાથ નીચે મોકલ્યા. ત્યાં તેઓ ખરેખરા કીર્તિવંત થયા.’’

રાજાએ ઉપલી વાતના પાછલા ભાગમાં ઉપરાઉપરી બગાસાં ખાવા માંડ્યાં. તે વખતે શરદ મહિનાનો આકરો તડકો હતો તેથી ગરમીની અશક્ત કરનારી અસર તેના શરીર ઉપર લાગી, અને રોજની ટેવ પણ મદદે આવી, તેથી ભર્તૃહરિ તથા વિક્રમાદિત્ય બંને કીર્તિવંત થયા તે તેણે સાંભળ્યું નહીં. ભાટે જ્યારે વાત પૂરી કરી રાજાના મોં સામું જોયું ત્યારે તેની વાત ધ્યાન આપી સાંભળવાને બદલે તેને મીઠી નિંદઢરાને વશ થયેલ દીઠો. તે જોઈ ભાટ તથા બ્રાહ્મણ ઓરડામાંથી બહાર ગયા, અને રાજાને સુખેથી ઊંઘ કાઢવા દીધી.

જ્યારે રાજા નિંદ્રાદેવીને વશ થઈ આ લોક તથા પરલોકને વીસરી જઈ મૃત્યુથી ઊતરતી અવસ્થામાં પડેલો હતો તે વતે કિલ્લા આગળ તથા શહેરમાં ભારે ગડબડાટ થઈ રહી હતી. લોકો ઘણા ઉમંગથી સારાંસારાં લુગડાં પહેરી નવી રંગેલી પાઘડીમાં જુવારા ખોસી, તથા નવા જોડા પહરી કેટલાએક એકલા તથા કેટલાએક નાનાંનાનાં છોકરાંને સાથે તેડી સવારી જવાના રસ્તા ઉપર, કોઈ ઓટલા અથવા દુકાન ઉપર બેસતા હતા. કેટલાએક રજપૂત તથજા લશ્કરી લોકો હથિયાર કમરે બાંધીને ઘણા ડોળથી ફરતા હતા. ભીલ, કાઠી, કોળી વગેરે જંગલી લોકો તરત ખસી જઈને રસ્તો આપતા. ઢેડ તથા તેથી હલકી જાતિના લોકો ‘‘ખાસો બાપજી’’ એ પ્રમાણે બૂમો પાડી ધીમે ધીમે રસ્તો કરી જતા, અને લોકોને તેઓને વાસ્તે ખસવું પડતું તે વખતે તેઓને ગાળ દીધા વિના રહેતા નહીં. ઘણી વાર કોઈ ઘોડો અથવા હાથી ભડકતો ત્યારે લોકોમાં દોડાદોડી થતી, અને છોકરાં ચીસાચીસ પાડતાં. મોટા કામદારોનાં બૈરાં સુખાસનમાં બેસી તેમના ધણીનાં સગાં, મિત્ર અથવા ઓળખીતાનાં ઘર હોય ત્યાં જતાં. ગરીબ તથા વચલા વાંઘાનાં લોકોની બાયડીઓ ખુલ્લી રીતે ચાલતી જતી, પણ તેઓને રસ્તામાં કોઈ ઉપદ્રવ કરશે એવી કોઈને દહેશત ન હતી. ઓટલા તથા બારીઓ લોકોથી ભરાઈ ગયાં હતાં. બાકીના લોકો કેટલાએક છાપરા ઉપર અને કેટલાએક ઝાડો ઉપર ચઢીને બેઠા હતા; અને ઘણાંએક રસ્તાની બાજુએ બે હાર કરી ઊભા રહ્યા હતા. દુકાનદારોએ દુકાન ધોળાવી, રંગાવી, તે ઉપર તોરણ બાંધી સઘળો માલ બહાર કાઢેલો હતો, તેમજ રહેવાનાં ઘરો પણ ઘણાંએક રંગાવેલાં તથા ઘણું કરીને સઘળાં ધોળાવેલાં હતાં. એ પ્રમાણે શહેરમાં સવારી જોવાની તૈયારીમાં લોકો બેઠા તથા ઊભા હતા. કિલ્લા આગળ કાઠિયાવાડી, સિંધી, કચ્છી તથા કાબુલી શણગારેલા અને ઘણા ઉમદા જીનવાળા કેટલાએક ઘોડા ખંખારતા, કેટલાએક નાચતા, કેટલાએક ભોંય ઉપર પગ ઠોકતા, તથા કેટલાએક કાવો ફર્યા કરતા હતા. હાથીઓની ઊભા રહેવાતું ન હોય તેમ એક જગાથી બીજી જગાએ જતા, કેટલાએક તેના અતિ બળથી મસ્તી થઈને ડોલતા, તથા કેટલાએક સૂંઢ હલાવી ઊંચી કરી આસપાસના લોકોને નસાડતા હતા. સુખાસન એક કોરે મૂકીને ભોઈ લોકો આણીગમ પેલીગમ મોજ કરતા ફરતા હતા. સવાર તથા પાયદળ સિપાઈ સઘળા હથિયારબંધ તૈયાર થઈ રહ્યા હતા. રાજા કરણે સવારે જે લૂગડાં ઘરેણાં પહેર્યા હતાં તેનાં તે જ હમણાં પણ તેના શરીર ઉપર હતાં. વિશેષ એટલું જ કે બહાર કોઈની નજર ના લાગે માટે હાથે કેટલાંએક મંત્રેલાં માદળિયાં બાંધેલાં હતાં. રાજાનો હાથી ઘણો જ પુષ્ટ તથા બીજા સૌ કરતાં ઊંચાઈમાં વધારે હતો, તેના ઉપર સોનેરી ઝૂલ નાંખી હતી. તેના પગમાં સોનાનાં કડાં ઘોલાં હતાં. તેના કુંભસ્થળ ઉપર મોતીની માળાઓ બાંધેલી હતી. હાથી ઉપરનો મેઘાડંબર તમામ રૂપાનો સોને રસેલો હતો, તથા તેમાં કેટલેએક ઠેકાણે રત્નો જડેલાં હતાં. રાજાની પાછળ માધવ પ્રધાનજી ચંમર લઈને બેઠેલા હતા. અન તેનો પોશાક તથા ઘરેણાં સવારના જેવાં જ હતાં. સવારીની આગળ નોબત થતા ડંકા વગાડનારા ઊંટ અથવા હાથી ઉપર બેઠેલા હતા. નોબતની આસપાસની ઝુલ કિનારીદાર લૂગડાની હતી, અને તેના વગાડનાર પણ સઘળા બાંકા બનીને બેઠલા હતા. તે પછી સવાર તથા સિપાઈઓ આવ્યા. પછી શહેરનાં મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ વગેરે વાહન પર બેસીને ચાલ્યા. વચમાં વચમાં મતલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલ્લે હાથી ઉપર રાજા આવ્યો. સવારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણશિંગડાં, ભૂંગળ, શરણાઈ વગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખ રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઊંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રજા ઉપર ફૂલના હાર, દડા, તથા છૂટાં ફૂલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફૂલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોનારૂપાનાં ફૂલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઊભરાતી જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડુંથોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખૂબસૂરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણાં હેતથી ઓવારણા લીધાં.

સવારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રજા હાથી ઉપરતથી ઊતરીને શમીવૃક્ષ ાગળ જઈ ઊભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી રસપાવ માગ્યો, ‘‘રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.’’ તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા : ‘‘મહારાજ ! આજે રામચંદ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.’’ પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું; તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદનપુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીધો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાબ-અબીલ નાખ્યાં; નૈવેદ મૂક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્‌પાળની પૂજા કીધી. તેમાં પહેલાં ઈંદ્ર એટલે પૂર્વના દેવની કીધી. પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાતરાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યા, અને કહ્યું કે આ સઘળાને અકઠા માદળિયામાં ઘાલી જ્યારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પૂરું થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી; અને અગર જોકે એ દક્ષિણા હંમેશના કરતાં કાંઈ થોડી ન હતી તોપણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણી ફિકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી, અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા; અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો તયાં કજિયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.

એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સવારીની સાથે આપણે પણ પાછા વળીએ. સવારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઊતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સવારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાં સુધી અટકી નહીં. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું. ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સવારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઊભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દૂધ, દહીં, ઘી ખાઈખાઈને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યાા; તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું હતું. એક ઠેકાણે બે સવાર ઘોડા ઉપર બેસીને જૂઠું યુદ્ધ કરતા હતા. બંનેની પાસે બુઠ્ઠી અણીના ભાલા હતા અને તેઓ એક હાથમાં ગંડાના ચામડાની ઢાલ પકડી લડતા હતા, તેમાંથી સામાવાળાના ભાલાના આંચકાથી જે પડી જાય તે હારે, અને લોકો તરત તાળી પાડી બૂમાબૂમ કરી મૂકે. એક રજપૂત સવાર ભાલાવાળાની સામો તલવાર લઈને લડ્યો, અને તલવારની અણીવતી તે સામા માણસને વગાડ્યા સિવાય તેને ઘોડા ઉપરથી ઢાળી પાડ્યો. કેટલાએક કોળી સિપાઈઓ સામે માટીનું ચક્કર મૂકી તેમાં તીર પીંછા સુદ્ધાં પેસે એવી શરતે આઘેથી તીર મારતા હતા. કેટલાએક સવારો પોતાના ઘોડાને કાવો જ ફેરવ્યા ફરતા; કેટલાએક તેઓને નચાવતા; કેટલાએક ઘોડાને થોડુંક દોડાવી પાછા લાવતા. એ પ્રમાણે ત્યાં ગમ્મત થઈ રહી હતી. આશરે એક કલાક સુધી કસરત કરી સવાર લોકો તથા સિપાઈઓ રાજાને જુહાર કરી પોતપોતાને ઠેકાણે ગયા. તમાશગીર લોકો તે દહાડાની હકીકતની વાતો કરતા તથા સવારીની ટીકા કરતાકરતા પાછા વળ્યા. રાજા હાથી ઉપરથી ઊતરી મહેલમાં જઈ લૂગડાં, ઘરેણાં ઉતારી, દેવની પૂજા કરી આરતી ઉતારી ચંદ્રશાળામાં ગયો, અને તયાં ભોજન કરવાની તૈયારી કીધી. રાત્રે રાજા પોતાની રાણી સાથે જમતો, માટે ત્યાં બીજું કોઈ ન હતું. રૂપાના પાટલા માંડ્યા, અને મુખ્ય રાણી સોનાની થાળીમાં જમવાનું પીરસીને લાગ્યાં. જમી રહ્યા પછી સીસાઓ તથા વાડકા આવ્યા, તેમાં દરાખ તથા મહુડાનો દારૂ રાજાએ થોડોથોડો પીધો. ખાઈ રહી હાથ-મોં ધોઈ, રાજાએ પાનસોપારી ખાધાં, અને ત્યાર પછી આખા શરીર ઉપર ચંદન તથા મળીયાગરાનો લેપ કરાવ્યો; તે થઈ રહ્‌ગયા પછી એક રૂપાની સાંકળનો હિંડોળો તે ઓરડામાં હતો તે ઉપર રાજા આરામ લેવા જરા સૂતા. પાસે રૂપાની સુંદર દીવીઓ ઉપર દીવા બળતા હતા તેથી આખા ઓરડામાં ઝળઝળાટ થઈ રહ્યો હતો. એ ઓરડાનાં બારણાં આગળ ચોકીદાર બેઠા હતા, તેઓ રાજા હવે સૂઈ જશે એમ ધારતા હતા. પણ થોડી વાર પછી રાજા હિંડોળેથી ઊઠ્યો, અને એક હલકા રજપૂતનાં લૂગડાં રાખેલાં હતાં તે તેણે પહેર્યાં. તેણે પોતાનું મોં છુપાવવાને બુકાની બાંધી, અને પગે જૂના જોડા પહેર્યા. પછી એક ખવાસને બોલાવી હુકમ કીધો કે આજ રાત્રે વીરચર્યા કરવાનો એટલે નગરચર્યા જોવાનો મારો વિચાર છે, માટે એક લોટામાં પાણી ભરી લઈ મારી સાથે આવવું. ખવાસ હુકમ પ્રમાણે જલદીથી તૈયાર થયો, અને તે તથા રાજા બંને મહેલને પાછલે બારણેથી નીકળી પડ્યા.

તે વખતે દોઢ પહોર રાત થઈ હતી, અને દુકાનદારો દુકાન બંધ કરી પોતપોતાને ઘેર જતા હતા. લોકો પોતપોતાના ઘરમાં જ હતા, અને આખો દહાડો રઝળેલા તેના થાકથી ઘણાએક તો સૂઈ ગયા હતા. કેટલાએક બારીએ બેસી પડોસીઓ જોડે તડાકા મારતા હતા. કેટલેક ઘેર બાયડીઓ એકઠી થઈ માતાના ગરબા ગાતી તે જોવા તથા સાંભળવા કેટલાએક લોકો બહાર મોં ઉઘાડાં મૂકીનેઊભા હતા, અને ગરબાના વિષય, ત ગાવાની રીત, તથા ગાનારીઓના ઘાંટા ઉપર ટીકા કરતાહતા. પાતરવાડમાં પાતરો બારીએ દીવા મૂકીને પોતાનાં અંગ ઉપર કીમતી લૂગડાં, ઘરેણાં તથા ફૂલના હારગજરા પહેરીને બેઠેલી હતી. અને રસ્તે જતા-આવતા લોકોને મોહજાળમાં ફસાવવા ફાંફાં મારતી હતી. તેમાંથી કેટલાએક અભાગિયા લોકો તેની જાળમાં ફસાઈ પડીને ક્ષણભંગુર સુખને વાસ્તે અક્ષય સુખનો આંધળા થઈ ત્યાગ કરતા હતા. કેટલીએક રામજણીના ઘરમાં રાગતાન થતાં હતાં, વાજિંત્રનો નાદ થઈ રહ્યો હતો, અને દીવામાં પડતાં પતંગિયાંની પેઠે કેટલાએક મૂર્ખ લોકો ત્યાં ઝંપલાવતા હતા; અને તેઓની આંખ ઉપર એવાં તો જાડાં પડ વળી ગયાં હતાં કે તેઓ તે સમયે જાણે વિષ્ણુના વૈકુંઠમાં બેઠા હોય એમ તે અધમ પુરુષોને લાગતું હતું. સાંકડી ગલીઓ તથા ઉજ્જડ રસ્તાઓમાં બુકાની બાંધેલા માણસો ચુપકીથી ફરતા હતા, અને લાગ ફાવે તો પારકો માલ પોતાનો કરવાનો તેઓનો ઈરાદો જણાઈ આવતો હતો. કોઈ કોઈ ઠેકાણે વંઠેલ સ્ત્રીપુરુષ પોતાનાં ઘરબાર છોડી દુષ્ટ વિચારથી આમતેમ ભટકિયાં મારતાં હતાં. એ સઘળું રાજાએ જોયું, અને તેમાંની ઘણીએક વાતનો બંદોબસ્ત કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો. રાજસંબંધી વા કોઈપણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહીં. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લૂગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહીં તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.

દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો. તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મલ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઊગેલી લીલી જગા હતી; તે ગૌરવર્ણની સ્ત્રીના હાથમાં ઉપર નીલમની વીંટીના જેવી માલૂમ પડતી હતી. તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચિયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડું કરતા હતા, કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈકોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતોહતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડોની છાયાથી અંધારું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી. તયાં ઊભા રહીને રજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને ત બળતાંની આસપાસ કેટલાંએક બૈરાં કૂંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાસો જોવાની ઘણી મરજી થઈ. તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો : ‘મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી એવી કોઈ બાયડીઓ હશે, મો તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.’ પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહં, અને વળી બીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તેથાય તોપણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો.

જ્યારે તે ટોળા આગઈ જઈ પહોંચ્યો ત્યારે સઘળી બાયડીઓ ક્રોધાયમાન થઈ સ્થિર ઊભી રહી, અને રાજાની સામા ડોળા કાઢીને બોલી, ‘‘અલ્યા માનવી, તું રંક હોય કે રાજા હોય, પણ તારે આવવાનું શું કામ હતું ? તેં અમારી રમતમાં કેમ ભંગ પાડ્યો ? શું તું તારે ઘેરથી રિસાઈ આવ્યો છે ? શું આટલી નાની ઉંમરમાં તું આવરદાથી કંટાળી ગયો છે કે મોતના જડબામાં આવી ફસાઈ પડ્યો ? અહીંથી એકદમ જતો નહીં રહે, તો અમે બધાં મળીને તને ચીરી નાંખી તારા લોહીની ઉજાણી કરીશું.’’ રાજા કરણ એવી રાંડોથી બીએ એવો ન હતો. મ્યાનમાંથી તલવાર કાઢી તેણે જુસ્સાથી કહ્યું, ‘‘હું ક્ષત્રિય રાજપુત્ર, આખા ગુર્જર દેશનો રાજા કરણ વાઘેલો છું, અને તમે મારા રાજમાં રહો છો તેથી મારી રૈયત છો, માટે હું તમને આજ્ઞા કરું છું કે તમે સઘળાં કોણ છો તે તુરત મને કહો.’’વંતરીઓએ જાણ્યું કે આ તો દેશનો ધણી છે, તેથી તેઓ સઘળી તેની આગળ હાથ જોડીને ઊભી રહી, અને તેઓમાંથી એક બોલી, ‘‘રાજાધિરાજ ! અમે વાણિયાબ્રાહ્મણની બાયડીઓ હતી, પણ અમે સઘળી સુવાવડમાં મરી ગઈ, અમારા ધણી બીજીવાર પરણ્યા, તેથી તેઓએ અમારી પાછળ યોગ્ય ક્રિયા કીધી નહીં માટે અમારી અસદ્દગતિ થઈ છે; માટે હે રાજા ! જો તમે તેઓને કહી તેઓની પાસે અમારે સારુ નારાયણબળિ કરાવશો તો જ અમારી ઉદ્ધાર થશે.’’

રાજાએ તેઓના ધણીના નામ લખી લીધાં, અને તેઓને વચન આપ્યું કે હું તમારો જલદીથી આ ગતિમાંથી છૂટકો કરાવીશ. વંતરીઓ એ સાંભળીને એટલી તો ખુશ થઈ કે તેઓ સઘળી બોલી ઊઠી : ‘‘રાજા, તું માગ, જે માગે તે આપીએ.’’ રાજાએ પોતાના ભવિષ્યની વાત પૂછી ત્યારે એક વંતરી બોલી, ‘‘મહારાજ ! અમને ભવિષ્યનું ઘણું જ્ઞાન નથી, તોપણ જ્યારે તમે અમારા ઉપર આટલો ઉપકાર કીધો છે ત્યારે અમે પણ તમને એક શિખામણ દઈએ તે પ્રમાણે તમારે ચાલવું. તમે જાણો છો કે બાયડીઓથી જગતમાં ઘણી ઊથલપાથલ થઈ છે. સીતાને રાવણ હરી ગયો તેથી લંકાનો નાશ થયો, અન રાવણું મૃતયું થયું. દ્રૌપદીનાં ચીર દુર્યોધને ભરી સભામાં ખેંચાવ્યાં તેથી કુરુક્ષેત્રનું યુદ્ધ થઈ તેમાં કૌરવોનો અને તેઓનાં તથા પાંડવ તરફનાં કરોડો માણસોનો નાશ થયો. માટે હે રાજા ! બાયડીથી બહુ સંભાળીને ચાલવું, અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો.’’

કરણ રાજાએ એટલું સાંભળી પાછો વળ્યો, અને આખ રસ્તે આ બનાવ વિષે એટલા બધા વિચાર તેના મનમાં આવ્યા કીધા કે તેણે રસ્તો કાંઈ જાણ્યો નહીં. તે એક યંત્રની પેઠે આગળ ચાલ્યા જ કરત, પણ એક મહાદેવના દેવસ્થાન આગળ ભારે ભીડ થઈ હતી ત્યાં લોકોની ઉપર તે અથડાયો ત્યારે તેને ભાન આવ્યું. આસપાસ જોઈ ભીડ થવાનું કારણ લોકોને પૂછ્યું ત્યારે એક જણ જવાબ દીધો કે દહેરામાં વૈરાટ પર્વનું નાટક થાય છે તે જોવાને લોકો મળ્યા છે. નાટકનું નામ સાંભળીને તે જોવાનું તેને મન થયું. અને ખવાસને બોલાવી બંને જણ દહેરામાં ગયા, તથા ધક્કામુક્કી કરી ઊભા રહ્યા તો ત્યાં વૈરાટ રાજાની સભા મળી હતી. અને પાંડવો એક પછી એક જુદો જુદો વેશ ધારણ કરી રાજાની પાસે નોકરી માગવા આવતા હતા. નાટકની ગમ્મતમાં રાજા એટલો બધો લીન થઈ ગયો કે વંતરીનીવાત તે તમામ ભૂલી ગયો. કેટલીકવારે ખવાસને અફીણને લીધા ઝોકાં તથા બગાસાં ખાતો જોઈને રાજાને પણ બગાસાં આવવા માંડ્યાં, અને એક પહોર રાત રહી છે, એમ સાંભળીને તેણે પાછા મહેલ ઉપર જવાનો ઠરાવ કીધો. જતાં પહેલાં મહાદેવનાં દર્શન કરવાને દહેરા તરફ ગયો, પણ બારણાં આગળ જાય છે એટલામાં ઝમઝમાટ કરતી આવતી એક સ્ત્રીને જોઈને પોતાની મરજી ઉપરાંત તે ત્યાં જ ઊભો રહ્યો, અને તેની શુદ્ધબુદ્ધ ઊડી ગઈ. તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. તેનું મોં પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું અને તેના ગાલના ગૌરવવર્ણ ઉપર વખતેવખતે તેની ભરજુવાનીને લીધે જ્યારે ગલાબી રંગ ચઢી આવતો ત્યારે તેની આગળ ગુલાબના ફૂલનો રંગ પણ ઝાંખો જણાતો. તેનું મોં ઘણું નાનું હતું તથા તે ઉપરના બે હોઠ પાતળા પરવાળાના જેવા રંગના હતા. જ્યારે તે મંદમંદ હસતી ત્યારે તેના દાંત સમાકાર ધોળા મોતીના દાણા જેવા દેખાતા. તેને નાકે ઘણાં ઊંચાં પાણીદાર મોતીની વીંટલી ઘોલેલી હતી. તેનાં મોતી તેના પરવાળા જેવા હોઠને અડકતાં ત્યારે તે કમળની લાલ પાંદડી ઉપર ઓસનાં ટીપાં જેવાં ચળકતાં હતાં. તેના ગાલ ઉપર અક છૂંદણું હતું તેથી તેની ખૂબસૂરતી એટલી તો વધતી હતી કે જેમ ફારસી શાયર હાફિઝ, શિરાઝની એક બૈરીના ગાલ ઉપરના કાળા તલને વાસ્તે સમરકં તથા બોખારા શહેર આપી દેવાને તૈયાર થયો હતો તેમ તે છૂંદણાને માટે આખું ગુજરાતનું રાજ્ય કોઈ આપે તોપણ થોડું હું. તેની આંખ જરા લાંબઘાટી હતી, અને સ્વાભાવિક રીતે કાળી હતી, તેની સાથે વળી તેમાં કાજળનું ઝીણું અંજન કીધેલું હતું તેથી તે વધારે મોહ પમાડતી હતી. તે ઘણી નરમાશવાળી તથા કામથી ભરપૂર દેખાતી હતી. તે એટલી ચપળતાથી ચોગરદમ ફરતી કે જે પુરુષ પર તે પડતી તેના હૃદયમાં કારી ઘા માર્યા વિના રહેતી નહીં. તેની ભમર પાતળી ઈનદ્રના ધનુષ્ય જેવી હતી. અને એ ધનુષ્યમાંથી મદનદેવ પોતાનાં શસ્ત્ર ઉડાવી હજારો લોકોના મનની શાંતિનો નાશ કરતો. તેના કપાળ ઉપર જે રાતો હિંગળોકનો ચાંલ્લો હતો તે તરફના મેદાન ઉપર લોહીના ટપકા જેવો દેખાતો હતો. ચોટલો નાગની ફેણ જેવો ઘટાદાર અને તેવો જ કાળો હતો. તેના કેશ જો છૂટા મૂકે તો તે કમર સુધી પહોંચતા, પણ હમણાં તો તેનો અંબોડો વાળેલો હતો. એ સિવાય તેના બીા અવયવો પણ ઈશ્વરની બેહદ કારીગરી તથા ચાતુર્યના નમૂના હતા. એવી ખૂબસૂરતીતો મોહ કોણ અટકાવી શકે ? માણસ તો માણસ જ ! તેની બુદ્ધી નબળી અને ઘણી જોરાવર લાલચને વશ ઘણું કરીને થાય જ, તેથી રાજા કરણ બેશુદ્ધ થઈ થાંભલાના જેવો ત્યાં જ ઊભો રહ્યો તેમાં કાંઈ ઘણું આશ્ચર્ય ન હતું. તે સ્ત્રી ગયા પછી થોડી વારે જ્યારે રાજા હોંશમાં આવ્યો ત્યારે તે બોલી ઊઠ્યો ‘‘અરે ! હું જાગતો છું ઊંઘમાં ? મેં કાંઈ ઊંઘમાં સ્વપ્નું તો નથી જોયું ? અલ્યા ખવાસ ! મને ચોંટી દે એટલે હું જાગતો છું તેની મને ખાતરી થાય. મેં શું જોયું ? ઈંદ્રપુરીથી કોઈ રંભા આવી ? શું શૂરા ક્ષત્રિયોને વરનારી સ્વર્ગમાંથી અપ્સરા ઊતરીને આવી ? કે શું જગદંબા પોતે જાતે માનવી રૂપ ધારણ કરી મને દર્શન આપી ગયાં ? અને જો એમ હોય તોું હું કેવો પાણી દુષ્ટ અધમ કે હું તેને પગે પડ્યો નહીં !’’ ખવાસ આ સઘળું સાંભળી મનમાં કહેવા લાગ્યો કે રાજા કાંઈ ચળી ગયો, કે ઊંઘના જોરમાં બકે છે. પછી તેની ભ્રાંતિ ભાંગવાને માટે મોટેથી બોલ્યો : - ‘‘મહારાજ, એ કાંઈ રંભા, અપ્સરા કે જગદંબા, કોઈ નથી. એ તો આપણા પ્રધાનજી માધવની ધણિયાણી છે, અને તેની પાછળ ચાકરના હાથમાં સોનાની થાળી હતી, તેમાં ચંદન, પુષ્પ,ધૂપ, નૈવેદ હતું તેથી તે પૂજા કરવા આવી હશે.’’ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આ સાંભળીને કરણ ચમક્યો, અને બોલ્યો, ‘‘માધવની ધણિયાણી ? પેલા માધવની ! એ કાગડાને ત્યાં હંસણી ! એ વાત ખરી છે ? તું જૂઠું તો બોલતો નથી ? આ દેવાંગના ઈંદ્રાસન ઉપર બેસવા યોગ્ય અથવા રાજ્યમંદિરમાં વાસો કરવા લાયક, એ રાજ્યમહેલનું આંગણું દીપાવે એવી સ્ત્રી એક બામણાના ઘરમાં ! જે બામણો આજે તો પ્રધાન છે પણ કાલે અથવા થોડાં વર્ષ પછી કદાચ ઝોળી ભેરવી ભીખ માગવા નીકળે તેને ત્યાં ! અરે ઈશ્વર ! તારે ત્યાં ઘણો અન્યાય છે. શું આવી બાયડીઓઆવા હલકા બ્રાહ્મણો, અથવા શૂરા ક્ષત્રિય સિવાય બીજા લોકો જેઓ આવાં અમૂલ્ય રત્નો પોતાની તલવાર વડે જાળવી શકે નહીં તેઓને વાસ્તે પદા થયેલી છે ? એમ હોય તો નહીં ! એમાં કાંઈ પરમેશ્વરની ભૂલ થઈ છે. તેણે તો મારે જ સારુ કીધેલી, પણ વિધાતાની કાંઈ ચૂકથી તે મારા હાથી છટકી ગઈ. પણ હવે તે ભૂલ સુધારવી જોઈએ; અને એ બિચારીનો આટલી લાંબી મુદત સુધીનો ડૂબેલો હક્ક તેને પાછો આપવો જોઈએ. તેને માધવ પાસેથી લેવી તો જોઈએ. પણ હું શું માગવા જાઉં ? એમ કરું તો મારી શોભારહે નહીં. વળી એ નાગર છે તેથી બૈરી આપે એવો સંભવ પણ નથી. નાગર પણ શૂરાતનમાં ક્ષત્રિયથી જ ઊતરતા છે; માટે તે રસ્તેથી કાંઈ ફળ થવાની આશા રાખવી નહીં, તયારે શું કરવું ? હથિયારબંધ માણસોમાધવના ઘર ઉપર મોકલી તેને બળાત્કારે લઈ આવવી. પછી માધવને સામ, દામ,ભેદ ઉપાયથી સમજાવવો. બાયડી તો લૂગડાં, ઘરેણાંની દાસી, એટલે તે માધવને નકામી, તેથી અંતે તે નિરાશ થઈ પોતાના સ્વાર્થ ઉપર નજર રાખી, ઠેકાણે આવી જશે. એ વગર બીજો કોઈ રસ્તો નથી, માટે કાલે અનુકૂળ વખતે એ જ પ્રમાણે કરવું. એવો વિચાર કરતો કરતો કરણ પોતાના મહેલમાં જઈ હિંડોળે સૂતો, પણ તેને જરા નિંદ્રા આવી નહીં. પોતાની રાણી તેને તે વખતે શંખણી જેવી લાગી, અને સવાર થતાં સુધી તેણે એના એ જ વિચારમાં તળાઈ ઉપર પછાડા માર્યા કીધા. અરે રાજા કરણ ! તારો અવિચારી સ્વભાવ તને છોડતો નથી. જ્યાં સુધી તારી મિટ્ટી મિટ્ટીમાં મળી જશે, ત્યાં સુધી એ તારા સ્વભાવથી તારી ખરાબી થયા કરશે. શું તું એટલી વારમાં વંતરીઓનું વચન ભૂલી ગયો ? તું તારા કામના પરિણામ ઉપર કાંઈ વિચાર કરતો નથી ? તું જાણે છે કે તારું ધારેલું કામ સહેલાઈથી પાર પડશ ! પણ અલ્યા ઘેલા, તું ઝેરી બીભોંયમાં વાવે છે અને તેનાં ઝેરી ફળથી તારો જ નશ થવાનો છે. પણ તેમાં શું કરે ? નાનપણથી તેનો સ્વભાવ જ એવો હતો, અને તેનો અખત્યાર તોડવાને તેણે કોઈ વખત યત્નસરખો પણ કીધો ન હતો. હવે તો નદીના વહેણમાં ઘસાડાયો અને તે ક્યા કાંઠે પડશે તેની તેને ખબર ન હતી. અરે ! ઈતિહાસ લખનારે તારું ઉપનાર ઘેલો રાખ્યું છે તે વાજબી છે તે વાજબી જ છે. તું ખરેખરો ઘેલો, ઘેલો જ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED