Talash - 2 - 32 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 32

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

"જીતુભા, તું 'ગુજરાલ  ડોકટરાઈન' વિશે કઈ જાણે છે." પૃથ્વીએ જીતુભાને આપેલી ફાઈલમાં એક નજર મારતા સુમિતે પૂછ્યું. 

"ના હું આવું કોઈ નામ પહેલીવાર સાંભળી રહ્યો છું."

"ઓકે. કોઈ વાંધો નહીં. ટૂંકમાં કહું તો દોઢ-બે વર્ષ પહેલા એ વખતના આપણા પ્રાઈમ મિનિસ્ટરે વિદેશો, ખાસ કરીને આપણા પાડોશી દેશો સાથેના સંબંધો અંગે પહેલાના અનેક દગાખોરીના અનુભવોને અવગણીને જે સિદ્ધાંતો વિચાર્યા અને..."

"એક મિનિટ સુમિત ભાઈ, આ અત્યારે આ પરિસ્થિતિમાં એ સિદ્ધાંતોની ચર્ચા?"

"જરૂરી છે જીતુભા,એ ચર્ચા જરૂરી છે, કેમ કે એ સિદ્ધાંતો ને કારણે...તને મિલિટરીમાં હતો તો ખ્યાલ હશે જ કે કોઈ પણ દેશ અન્ય દેશો અંગે માહિતી મેળવવા ખાસ કરીને દુશ્મન દેશ અંગે માહિતી મેળવવા પોતાના જાસુસો ત્યાં પ્લાન્ટ કરતા જ હોય છે." 

"હા. એ ખ્યાલ છે. દેશની અંદર અને દેશની બહાર પણ દરેક દેશની જાસૂસોની જાળ ફેલાયેલ હોય છે. જેથી દુશમન દેશ તરફથી કોઈ ખતરો હોય તો તાત્કાલિક સૂચના મળવાથી એમાં કોઈ રસ્તો કાઢી શકાય.પણ આ 'ગુજરાલ ડોકટરાઈન'માં પ્રધાનમંત્રી સાહેબે એવા તે શું સિદ્ધાંત આપ્યા હતા.?"

"એમણે રો(રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ને પાકિસ્તાનની ડેસ્ક તુર્તજ બંધ કરી દેવા માટે પોતાની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન જ ફોન કર્યો. એના 2 દુષ્પરિણામ આવ્યા. એક તો દુનિયા આખીમાં જે નહોતા જાણતા એને પણ ખબર પડી ગઈ કે  ભારતીય જાસુસો પાકિસ્તાનમાં ફેલાયેલા છે. પાકિસ્તાનના એ આરોપ મજબૂત બન્યા કે ભારત અમારે ત્યાં જાસૂસી કરાવે છે. અને બીજું.'રો'એ પ્રધાનમંત્રીના કહેવાથી પોતાના હાથ ખંખેરી લીધા એટલે.."

"એટલે શું? તમે કહેવા શું માંગો છો?"

"એજ જે તું સમજી ચુક્યો છે. 'રો'એ પોતાના જાસુસો ને જે બેકઅપ પૂરું પાડતા હતા એ બંધ કરી દીધું. અને એમની સાથેના તમામ સંબંધો અને સંપર્કો કટ કરી નાખ્યા. એટલે જે જાસુસો પાકિસ્તાનમાં કે એશિયાના અન્ય દેશોમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ જરૂરી માહિતી જમા કરી ભારતને પહોંચાડતા હતા એ માહિતી મળવી બંધ થઈ. જેના દુષ્પરિણામ હવે આપણે ભોગવશું,  કેમકે. એ લોકો શું વિચારે છે કે, આપણા દેશમાં ઘુસપેઠ કરવા કે આતંકી પ્રવૃત્તિ કરવાના શું મનસૂબા છે એ આપણે જાણી નહિ શકીયે. અને બીજું જે લોકો આપણા જાસૂસ હતા એ લોકો 'રો'ની કે અન્ય કોઈ મદદ ન મળવાથી ગભરાયા, અને ચિહ્નિત થઇ ગયા. અને લગભગ 6 મહિના પછી એમના મરવાનો સિલસિલો ચાલુ થયો જેમ જેમ ઓળખાતા ગયા એમ એમ મરતા ગયા. આપણને હમણાં 4-5 દિવસ પહેલા આ માહિતી મળી અને 2 જે દિવસે એમાંથી ચિહ્નિત 4 જણા વિશે વિગતો મળી એ વિગત તને પૃથ્વીએ આપેલ ફાઈલમાં છે. જોકે મેં કામ શરુ કરાવી દીધું છે. પણ મારે મદ્રાસ જવું પડશે એટલે તને અહીં બોલાવ્યો છે. તારે ડાયરેક્ટ આમ સંડોવણી જરૂર નથી. મારો એક મિત્ર છે શેખ ઝાહીદ એ બધું એરેન્જ કરી આપશે. પાકિસ્તાનમાં રહેલા એ 4 જણને એક જગ્યાએ એકઠા કરીને જમ્મુની બોર્ડર ક્રોસ કરી ભારતમાં અનંત નાગ સુધી પહોંચાડવાની જવાબદારી એની છે. પછી તું સાંભળી લેજે. એ લોકો બોર્ડર ક્રોસ કરે એટલે તું દિલ્હી જજે અને ત્યાંથી અનંત નાગ પહોંચજે."

"મને લાગે છે કે હું તમારી સાથે ભારત પાછો આવું અહીં તો કોઈ કામ જ નથી."

"એવું નથી. ઝાહીદ ન માત્ર પેલા લોકો ને બચાવશે બલ્કે તને બીજા અમુક લોકોનો સંપર્ક પણ કરાવશે જે તને 'રો'ના બીજા ફસાઈ ગયેલા લોકો ની માહિતી આપશે. પછી આપણે એ લોકો ને બચાવવા નું કૈક પ્લાનિંગ કરીશું પણ પહેલા કહ્યું એ સમજી ગયો ને બધું. મારા ખાસ મિત્ર શેખ ઝાહીદ તારે જોતી બધી વસ્તુ અહીં બેઠા પાકિસ્તાનમાં એરેન્જ કરી આપશે. તારે એ ચારેય ને પાકિસ્તાન બોર્ડર થી ભારતમાં ઘૂસે એમને મુંબઈ સુધી પહોંચાડવાની જવાબદારી તારી. પછી ભારતમાં કોઈની નજરમાં આવ્યા સિવાય સલામત રીતે નવી જિંદગીમાં ગોઠવવાની જવાબદારી કંપની ઉપાડશે."

xxx 

"સુમિત, શુ ચાલે છે?" અનોપચંદે પૂછ્યું. 

"જીતુભાને ઓલા ઓપરેશનને કેમ હેન્ડલ કરવું એ સમજાવ્યું. અને હવે મુંબઈ જવાની તૈયારી કરું છું."

"આપણે વાતતો થઇ કે તું સીધો મદ્રાસ જજે." 

"પણ મુંબઈ જાઉં તો શું વાંધો છે?"

"જો મારે અંદર અંદર ક્લેશ નથી જોતો. એ મોહનલાલ ને જે કરતો હોય એ કરવા દે."

"મને રૂપિયાની નથી પડી. પણ સ્નેહા..."

"સ્નેહાને કઈ નહિ થાય. ઉલ્ટાનું તું એક પ્રેસ કોન્ફરન્સ ભારતમાં પહોંચી બોલાવ અને જાહેર કરાવી દે કે સ્નેહા વેકેશન પર ગઈ છે."
"પણ પત્રકારો પૂછસે કે એ ક્યાં ગઈ છે તો?"

"સુમિત તારું દિમાગ થાકી ગયું છે. કોઈ પત્રકાર એવું ન પૂછે. અને કોઈ પૂછે તો કોઈ એને જવાબ પણ ન આપે."  

"પણ સ્નેહાની સલામતી?"

"તને મારા પર જેટલો વિશ્વાસ છે મને એટલો જ મો ...મોરલીધર, ગિરધારી માખણચોર પર છે. સ્નેહાને કઈ નહિ થાય."

"ભલે પપ્પા તમે કહો છો એમ પ્રેસ કોન્ફરન્સમાં એનાઉન્સ કરી નાખીશ. હવે હું મૂકું છું. મને ફ્લાઇટ પકડવાનું મોડું થાય છે. 

xxx 

"હેલો જીતુભા,સુમિત ગયો?"

" હા હમણાં જ નીકળ્યા. મને ઝાહીદ શેખ સાથે વાત કરાવી અને સાંજે મળવાનો ટાઈમ નક્કી કરાવ્યો છે. પછી એ એરપોર્ટ પર ગયા."

"ઠીક છે હવે સાંભળ." કહી અનોપચંદે મોહનલાલે પડાવી પડેલ શેર હિસ્સા વિષે કહ્યું. સાંભળીને જીતુભા ચોંકી ઉઠ્યો. પછી સહેજ સ્વસ્થ થઈને એણે કહ્યું. "હવે શું કરવાનું શેઠજી." 

"અત્યાર સુધી તો મોહનલાલે કંપનીની પોલિસી વિરુદ્ધ કોઈ પગલું લીધું હોય એવું લાગતું નથી. પણ એ વોચ રાખવી પડશે. પણ મને હવે 2-4 જણા ને છોડીને કોઈનો ભરોસો નથી. કેમકે વર્ષોથી મેં જે વિચાર્યું હોય એ હું મોહનલાલને જણાવું અને પછી એ જ એ કામ ને અંજામ આપે. એટલે બધા લોકો સાથેનો કોન્ટેક્ટ એનો જ છે અને મોટા ભાગના કામના લોકોની ભરતી એના દ્વારા જ થઇ છે. મને માંડ 2-4 જણનો ભરોસો છે. તારા સુરેન્દ્રસિંહ અને પૃથ્વી સિવાય. જે મારી વાત મોહનલાલ સુધી પહોંચાડ્યા વગર મારું કામ કરે."

"શેઠજી એમ નિરાશ ન થાઓ. તમારા સાથમાં ઘણા લોકો હશે જ બરાબર યાદ કરો." 

"મને 2-4 સિવાય કોઈ યાદ આવતું નથી." આજે જીવનમાં પહેલીવાર અનોપચંદ પોતાને અસહાય અનુભવી રહ્યો હતો."

"હું કહું એમ કરો સહેજ સ્વસ્થ થઇ યાદ કરવાની કોશિશ કરો.જુઓ હું યાદ કરવું કંપનીની પુરા યુરોપની લગભગ બધી બ્રાન્ચ તમારી વફાદાર રહેશે, કેમ કે મોટાભાગની ભરતી નિનાદે કરી છે,"

xxx

જે વખતે અનોપચંદ અને જીતુભા ફોનમાં વાત કરતા હતા એજ વખતે સુમિતે મદ્રાસ જવા માટે ફ્લાઇટ પકડી હતી અને એ પહેલા મદ્રાસમાં મેનેજર કૃષ્ણને સૂચના આપી હતી કે સાંજે 5 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ એરેન્જ કરી રાખે. અને નાના મોટા તમામ પત્રકારોને એમાં ઇન્વાઇટ કરે. તો એજ વખતે સ્નેહા પોતાને મળેલા રૂમમાં આરામ કરતી હતી અને વિચારતી હતી કે શું ખરેખર પોતે આઝાદ છે કે કોઈની કેદમાં છે? એને કઈ સમજાતું નહતું. નીતાને માર્કેટમાંથી કંપનીનું દગાથી થયેલ ટેકઓવર વિષે માહિતી મળી હતી. એને નિનાદને આ બધું જણાવવા ફોન કર્યો પણ ફોન લાગ્યો નહતો. સુમિતને ફોન કર્યો તો એમાં પણ એમ જ થયું કેમ કે સુમિત ફ્લાઈટમાં હતો. અનોપચંદનો ફોન એન્ગેજ્ડ આવતો હતો. કેમ કે એ જીતુભા સાથે વાત કરતો હતો. છેવટે એને સિન્થિયાને પોતાની કેબિનમાં બોલાવી અને પૃથ્વીને ફોન જોડ્યો. તો એજ વખતે મોહનલાલ સુરેન્દ્ર સિંહ સાથે વાત કરી રહ્યો હતો. 

xxx 

"સુરેન્દ્રસિંહ તમારે એક કામ કરવાનું છે."

"હા બોલો મોહન લાલજી."

"જુઓ હવે કંપનીમાં મારો હોલ્ટ છે એટલે અને આમેય તમારી સાથે હું જ કોમ્યુનિકેશન કરું છું એટલે કહું છું કે તમારે એક કામ કરવાનું છે કે તમારે કઈ કરવાનું નથી." 

"હું સમજ્યો નહીં." 

"કઈ નહીં હું સમજાવું. સમજી લો કે તમે સોનલ અને જીતુભાનાં લગ્નની તૈયારી કરવા રજા લીધી છે. એટલે કંપનીના કામમાં નિષ્ક્રિય છો. હા તમારો પગાર ચાલુ રહેશે. પણ કોઈના પણ કહેવાથી.. કોઈ પણ સંજોગોમાં કંપનીના કોઈ પણ નિર્ણયમાં કે મારા રસ્તામાં આડા ન આવતા. જીતુભાને પણ આ વાત સમજાવજો મારે ને તમારે કે ફોર ધેટ મેટર મારે કોઈ સાથે કોઈ દુશ્મનાવટ નથી. તમે મને ન નડતા હું તમને નહીં હેરાન કરું." 

xxx 

"જીતુભા ઝાહીદ શેખ બોલું છું 6 વાગ્યે તમારી હોટેલના અલ મરીના રેસ્ટોરાંમાં મળીએ." હું આપણા મદદગારો ને ત્યાં બોલાવીશ એમની પાસે બીજા 2-3 જણની ઇન્ફોર્મેશન આવી છે. અને અનંત નાગ સુધી બધાને બહાર કાઢવામાં પણ એ મદદ કરશે."

"શેખ સાહેબ એમને મળતા પહેલા મારે તમારી સાથે કેટલીક વાત કરવી છે. આપણે એક કલાક વહેલા મળીએ."

ભલે જીતુભા, જેમ તમે કહો એમ 2 વાગ્યા છે. 5 વાગ્યે હું અલ મરીનામાં આવી જઈશ." ઠીક છે કહી ને જીતુભા એ ફોન કટ કર્યો અને પછી પૃથ્વી ને ફોન લગાવ્યો અને અરજન્ટ બધા કામ મૂકીને દુબઈમાં પોતાને મળવાનું કહ્યું.'

"પણ જા રે જા. કંઈક સમજતો ખરો હજી તો હું બેલ્જીયમ ઉતરીને માંડ ફ્લેટ પર પહોંચ્યો છું. ફરીથી 10-12 કલાકની મુસાફરી.. અને અહીંના કામ...?"

જવાબમાં જીતુભા એ કંપનીમાં થયેલા ફેરબદલ અને સ્નેહના ગાયબ થવા વિશે બધું ટૂંકમાં કહ્યું. અને એના ગાયબ થવા પાછળ કદાચ મોહનલાલનો હાથ હોવાની શંકા પણ દર્શાવી. સાંભળીને પૃથ્વીએ કહ્યું હમણાં નીતા ભાભીનો ફોન હતો એણે મને લંડન જવા કહ્યું છે."

"પરબત, નીતા ભાભી સાથે હું વાત કરી લઈશ તું ફટાફટ દુબઇ આવ. હોટલ પરથી એક ડ્રાઈવર મોકલીશ તારા નામનું કાર્ડ લઈને એ ઊભશે હું કદાચ ક્યાંક બહાર ગયો હોઉં તો એક કામ કરજે. મંઝર એરિયામાં રહેતા ભારતીય ટેક્સી ડ્રાઈવર સુલેમાનને મળજે એ અમદાવાદ વાળા.અબ્દુલનો કઝીન સાળો છે."

xxx  

"શેઠજી, મોહન બોલું છું."

"બોલો શેઠ શ્રી મોહનલાલ શું હુકમ છે."

"હુકમ તો તમને નહીં આપી શકું. પણ એક વિનંતી છે હમણાં 10-12 દિવસ તમે કે તમારા ફેમિલીમાંથી કોઈ ભારત પાછા ન આવશો."

"અને એનું શું કારણ?" કૈક વ્યન્ગ થી અનોપચંદે પૂછ્યું. 

"તમને ખ્યાલ હશે જ હાથી મદમાં આવે ત્યારે આખું જંગલ ખેદાનમેદાન કરી નાખે છે. એના રસ્તામાં આવનારનો કોઈ પણ વિવેકભાન વગર સર્વનાશ થઇ જાય છે "

"સુમિત સાંજે મુંબઈ માં આવે છે. કદાચ સીધો મદ્રાસ જશે."

"શેઠજી તમે તમારી યથેચ્છ બહુ વરસ કંપની ચલાવી, ઘણીવાર એવું બનતું કે મેં કે કોઈ બીજા એ જે વિચાર્યું હોય એની તદ્દન વિરુદ્ધ નિર્ણય તમે લેતા હતા. હવે કંપનીની સત્તા મારા હાથમાં છે. હું ઈચ્છીશ એમ કંપની ચાલશે.એટલે જ કહું છું. તમે કે તમારા ઘરના કોઈ મારા રસ્તામાં ન આવતા. કેમ કે મેં કંઈક વિચાર્યું હશે અને તમે તમારા ઘરનું કોઈ એમાં અવરોધરૂપ થશે તો નાહક મારે..."

"નાહક મારે શું? બોલ મોહનલાલ બોલી નાખ તારા દિલની વાત." 

"તો મારે એ દરેકને અવરોધ રૂપ થતા અટકાવવા પડશે કોઈ પણ ભોગે." કહી મોહન લાલે ફોન કટ કર્યો.  

ક્રમશ: 

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો. 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED