વખોડવાથી બનાય બુદ્ધિજીવી? Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વખોડવાથી બનાય બુદ્ધિજીવી?

‘ અરે , આ માઈક પરથી વહેતા માથું પકવનારા ગીતો સુવા જ નથી દેતા યાર , આ ગણપતિ હોવા જ નાં જોઈએ , આપણને કેટલી તકલીફો પડે છે ....... ‘ ‘ આજ તો રસ્તા માં એટલો ટ્રાફિક એટલો ટ્રાફિક ને કે માંડ માંડ ઓફીસથી ઘેર પહોચાયું ....હાળા હાવ હાલી જ મર્યા છે ...નીકળી જ પડ્યા છે ગરબા રમવા ...’ .. ‘ અરે , એ કોલેજ તો સાવ ભંગાર છે ..અમે જ માંડ માંડ ભણી ને બહાર નીકળ્યા છીએ ને અને એકદમ અભણ ભણાવનારાઓ.. ‘ ... ‘ શું બેકાર લેખો લખે છે ...સાવ ભંગાર ...હું તો વાંચતો જ નથી ને ....બધું ગુગલ જ કરેલું હોય છે ..’ ...’ અરે એ બ્રાંડની ગાડી લેવાય જ નહિ યાર ...એકદમ થર્ડ ક્લાસ આવે છે ... મારા ફલાણા ફલાણા સગાએ લીધેલી તો અત્યારે માથે હાથ મૂકીને પસ્તાય છે .બે મહિનામાં જ થાકી જવાના ..’ ..........લીસ્ટ લાંબુ થઇ શકે એમ છે પણ વાતનો સુર એક જ છે ..બસ વખોડ્યા કરો ...વખોડ્યા કરો ..... !!!

આજકાલ આ ફેશન ચાલે છે વખોડવાની . તમારે કોઇથી અલગ દેખાવું છે , તમારી જાતને બીજાથી વધુ બુદ્ધિમાન સાબિત કરવી છે , તમે કઈક બીજાથી હટકે વિચારો છો , ભલે ને અંદરથી એગ્રી હો પણ છતાય દેખાવા નથી દેવું ...તો સીધો ને હાથવગો ઉપાય છે માંડો વખોડવા . જોયું આ ભાઈ કે બહેન તો બીજાથી કેટલું અલગ વિચારે છે અને ખરેખર એમની પાસે એ ઘટના કે વ્યક્તિને જોવાની અલગ જ દ્રષ્ટિ છે એવું સાબિત કરાવવું છે તો ભલે ને ગમે એટલું લોકપ્રિય હોય , લોકાભિમુખ હોય કે મેજોરીટી અભિપ્રાયો એ બનાવ કે વ્યક્તિની તરફેણમાં આવતા હોય તો શું થઇ ગયું ? આપણે ઉલટું જ ચાલવાનું ....બુદ્ધિજીવી દેખાવુ છે ને ? બસ તો માંડી પાડો વખોડવા ....

અને આવી બુદ્ધિજીવી ક્રિયાનો સૌથી પહેલો , હાથવગો અને સહેલો શિકાર છે તહેવારો . હજુ તો ગણપતિ ને અઠવાડિયાની વાર હોય ત્યાં આવા ચિંતાતુર ચંદ્ર્વદનો મંડશે મરશીયા ગાવા . એય ને હવે અવાજોનું પ્રદુષણ વધશે ને ગણપતિ ને અને આપણે શું લાગે વળગેથી લઈને એક જ હાથે સરકાર , સ્થાનિક તંત્ર અને આશ્થાળુંઓ સહીત આખા ને આખા ગણપતિબાપ્પા ને ઝપટે લઇ લેશે પણ આ ઝપટ બોલાવતી વખતે એ ભૂલી જશે કે એના જ કુટુંબમાં કે ઘરમાં કે વડીલોમાં ગણપતિ પ્રત્યે આસ્થા રાખનારાઓ બહુમતીમાં હશે જ . પણ ના .... જુદું દેખાવું જરૂરી છે . કોઈ પીપુડી સાંભળે કે નાં સાંભળે એ તો એનો વિરોધગાન ચાલુ જ રાખશે .

શ્રાવણમાં દૂધનો બગાડ થાય છે , નવરાત્રી લવરાત્રી બની જાય છે , અંબાજી ચાલતા જનારાઓ ગંદકી કરે છે , રસ્તો બ્લોક કરે છે , અકસ્માતો થાય છે , પિતૃપક્ષની મજાકો ઉડાવાય છે , ઈદ પર બકરાઓ કપાય છે ... વગેરે વગેરે . ઠીક છે ભાઈ લોકશાહી છે તો દરેકને અધિકાર છે વાણીસ્વાતંત્ર્યનો પણ એનો અર્થ એ તો નથી કે દરેક વખતે લોકોની લાગણીનું ધ્યાન રાખ્યા વગર આપણી ગાજરની પીપુડી વગાડ્યા જ કરવી ? બરાબર છે કે સમાજમાં કોઈ ચીજ , ઘટના કે વ્યક્તિ વિષે ચિંતા કરવી વ્યાજબી છે અને એક જાગૃત નાગરિક તરીકે એ જરૂરી પણ છે જ પરંતુ સાવ મો માથા વગરનું વખોડ્યા જ કરવું એનો કોઈ તાર્કિક જવાબ નથી મળતો .

પણ આ જ બુદ્ધિજીવીઓની નિશાની છે . એમની પાસે દરેક ઘટના કે વ્યક્તિ પછી ચાહે એ સારી હોય કે ખરાબ પણ એનું વિરોધ કે વખોડવાની સચોટ અને સતત દલીલો મોજુદ જ હશે . અને મજાની વાત એ છે કે દરેક ઘટના કે વ્યક્તિ વિશેષમાંથી એ કૈક ને કૈક એવી વસ્તુઓ શોધી લે કે તમે પણ દંગ થઇ જાવ . તહેવારોની જ વાત લઈએ તો તહેવારો આપણા સમાજજીવનનો એક અનિવાર્ય હિસ્સો છે . તહેવારોની ઉજવણી આપણા તંગ અને ભાગદોડવાળા જીવનમાં ખુશી અને આનંદની થોડી પળો લાવે છે અને એ કાઈ આજકાલથી શરુ થયેલું તો છે નહિ . અનાદિકાલથી અને સમગ્ર વિશ્વમાં જુદી જુદી રીતે તહેવારોની ઉજવણી થાય છે , હા એ ખરું છે કે બદલાતા સમાજ અને વ્યવસ્થા વચ્ચે તહેવારોની ઉજવણી પણ આગવા અંદાજથી થોડી વિચલિત થઇ ગઈ હશે એની નાં નહિ પણ એનો અર્થ એવો તો નથી જ કે એ ગલત છે .

ગણપતિ , નવરાત્રી , દિવાળી કે બીજા તહેવારો અગાઉ ઉજવાતા એના કરતા વધુ માત્રામાં અને વધુ વ્યાપક રીતે ઉજવાતા થયા છે તો સ્વાભાવિક છે કે એની ઉજવણીઓમાં પણ આધુનિકતા ભળે જ . જો આપણે પણ ૧૯૭૦ના દાયકાનું બેલ બોટમ પહેરવાની બદલે લેટેસ્ટ જીન્સ પહેરતા થઇ ગયા હોઈએ તો સ્વાભાવિક છે કે તહેવારોની ઉજવણી પણ બદલાતા સમય ને સંજોગો મુજબ જ થવાની અને એ કરનાર પણ આપણે જ હોવાના . તો પછી વિરોધ શેનો ? એક્બાંજુથી આપણે એવું માનીએ કે જીવનની હર એક પળ આનંદ અને ઉલ્લાસથી વિતાવવી જોઈએ અને એક બાજુ આવું કરનારાઓ ને ભાંડતા રહેવા ? જબરી ડબલ ઢોલકી વગાડી જાણીએ છીએ ..હે ને ...?

પણ શું થાય કૈક જુદું તો દેખાવું કે નહિ ? બધાની સાથે હૈશો હૈશો કરીએ તો પછી આપણે બુદ્ધિજીવી શેના હે ? અહી મને કોઈ હાસ્યકલાકાર નો એક જોક યાદ આવે છે કે ગામના પાદરે બેઠેલા ડોસાઓ કે જેના ચોરણા ગોઠણેથી ફાટી ગયા હોય છે , ઘરમાં કોઈ સાંભળતું નથી હોતું એ પાછા ઓટલે બેઠા બેઠા સુફિયાણી વાતો કરતા હોય કે ‘ ભલે મોદી વડોપ્રધાન થયો પણ જાજુ ટકશે નહિ ...” મોદી ટકે કે નાં ટકે પણ જો સિલાઈ નહિ મારે તોહ તારો ચોરણો વધુ નહિ ટકે એ પાક્કું છે ....!!! કહેવાનો અર્થ કે ઘણી વાર વખોડવામાં એ ભૂલાય જાય છે કે આપણી આ તુતી તો ગામ બહાર પણ સંભળાય એમ નથી . પણ , નાં .... વિરોધ કરવો એટલે કરવો . તહેવારો તો એક ઉદાહરણ છે બાકી ગમે તે ટોપિક હોય ને બુધ્દિજીવી દેખાવાનો સરળ અને સસ્તો ઉપાય છે અલગ વિચારો પછી ચાહે એની કોઈ સત્યતા હોય કે નાં હોય પણ એક વાર તો વિરોધ કે વખોડી જ નાખવાનું .

આપણા દેશમાં બે વસ્તુઓ તમને બહુ જડપથી સેલીબ્રીટી બનાવી શકે છે , એક તો બુદ્ધિજીવી હોવું અથવા તો દેખાવું અથવા તો નાં હોય તો પણ એ પ્રમાણે વર્તવું અને બીજું સેક્યુલર હોવું . બસ જો આ બે ચીજ પર તમારી હથોટી આવી ગઈ તો પછી તમે સડસડાટ સેલીબ્રીટી બની જવાના પછી ચાહે તમે લેખન ના ક્ષેત્ર માં હો , કળાના ક્ષેત્રમાં હો કે પછી તમારા વર્તુળ માં હો પણ અચૂક સેલેબ થઇ જવાના . સેક્યુલર દેખાવું અને એ રીતે વિચારવું એ તો વાળી એનાથીય સહેલું ને સટ કામ છે કારણ કે હિંદુ બહુમતી ધરાવતા આ દેશમાં માંડો લઘુમતીઓ તરફી વિચારવા , બસ બની ગયા સેક્યુલર !!!! આખું ગામ જે દિશામાં જવાનું હોય એ જ દિશામાં જવાનું પણ એ પહેલા એના કરતા મારી પાસે બીજી સારી દિશા છે એવું ઠસાવવાની જી જાન થી કોશિશ કરવાની જ . હિમ્મત નાં હારવી , આજે નહિ તો કાલે કોઈ તો સાંભળશે જ અને એમ કરતા પણ થોડા ઘણા પણ હા એ હા પોકારે તો પણ ફાયદો તો વખોડનાર ને જ છે ને ..!!

બુદ્ધિજીવી દેખાવા માટે કે છું જ એવું ઠસાવવા માટે ઉપર કહ્યું એમ વખોડવાની વિવિધતા પર માસ્ટર ડીગ્રી મેળવી લેવી . રસ્તા પર ખાડા છે - પછી ભલે ને સડસડાટ લીસ્સા ચમકતા રસ્તાઓ પર આપણે હજારો કિલોમીટરનો પ્રવાસ કરતા હોય પણ ના વાત તો ખાડાવાળા રસ્તાની જ કરવાની , ગાયોનો ત્રાસ છે - આવું કહેતી વખતે ગાય આપણી માતા છે એ વસ્તુ નજર અંદાઝ કરવી જરૂરી છે , તહેવારો પર ભગવાનની સાથે સાથે લોકોનો ત્રાસ છે - આવું કહ્યા પછી પણ સોમનાથ કે દ્વારકાની મુલાકાત તો લેતી જ રહેવાની , પરીક્ષા સીસ્ટમ બેકાર છે - પછી ભલે ને આપણને ખબર હોય કે સીસ્ટમ બદલવા માટે આપણો નહિ પણ સરકારનો અભિપ્રાય કામ કરતો હોય છે , અને એક વાર માની પણ લઈએ કે આપણે બીજાથી અલગ અને સાચું વિચારી કે લખી શકીએ છીએ પણ પછી શું ? વ્હોટ નેક્સ્ટ ? શબ્દોના લવિંગીયા ફોડવાથી કે વખોડવાની વાકછુંટ થી થોડું બધું બદલી જવાનું છે ?

અત્યાર સુધી આટલું વાંચનારને કદાચ આ કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમૂહ ને સંબોધીને લખાયેલું લાગી શકે પણ એવું હરગીજ નથી . આ જ આજકાલ નો લેટેસ્ટ ટ્રેન્ડ છે ...વખોડવાનો !!! વિરોધ કરવાનો અને વખોડવાનો બંનેનો મકસદ અલગ હોય શકે . વિરોધ કરવામાં તો ફક્ત વિરોધ જ આવે જયારે વખોડતી વખતે એ ભૂલી જવાય છે કે આપણે જેને વખોડી રહ્યા છીએ એ જે તે સ્થાન પર વર્ષોથી છે અથવા તો પોતાની મહેનત કે હોવાપણા થી ત્યાં છે . મોટાભાગે તો આંગળી પણ હલાવી ના શકનારાઓ કે પોતાનું કશું જ યોગદાન ના આપી શકનારાઓ નો આ ગૃહઉદ્યોગ હોય છે આઈ મીન દિમાગ-ઉદ્યોગ !!!!! એક ગણપતિ , દિવાળી , નવરાત્રી કે ઇવન ઈદ કે પછી મેળાઓ , સમારંભો , મેળાવડાઓ , ક્રિકેટ મેચો થી લઈને અને સ્થાનિક થી લઇ ને અમેરિકા , ઈઝરાઈલ કે પછી નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી સુધીના ને લલકાર કે સલાહો આપતા રહેવી પડે કે પછી આમાંથી કાઈ સારું હોય કે નાં હોય પણ એક એક ચીજ ને વખોડતા રહેવી પડે અને આ કામ સતત કરતુ રહેવું પડે .

સોસીયલ સાઈટો પર તો રીતસરનું આ બાબતમાં યુદ્ધ ફાટી નીકળતું હોય છે . દેશ કે વિદેશની કોઈ પણ ઘટના કે વ્યક્તિ વિષે કોઈ સારી બાબતને ધરાહાર અવગણીને પણ એના વિષે ટીકા ટિપ્પણ કે વખોડવામાં રીતસરની કોમેન્ટો અને સ્ટેટસોમા લડાઈ ફાટી નીકળતી હોય છે . કુછ ભી કર ફેસબુક પર ડાલ ની જેમ તહેવારો , ઘટનાઓ , વ્યક્તિઓ વગેરે વગેરેના વખાણ કરતા કે પ્રચાર કર્તા લખાણોની સામે આવી વિરોધાત્મક કે પછી ખોનચ્રાઈ કરતી પોસ્ટોનો રાફડો ફાટી નીકળે છે . ઠીક છે આવા માધ્યમો તમારી અભિવ્યક્તિ રજુ કરવા માટે જ છે પણ મોટાભાગે એ વિરોધમાં કે વખોડવામાં હું કઈક અલગ છું કે મારી પાસે બીજાથી નવું ચિંતન છે એવું સાબિત કરવાની લ્હાય વધુ હોય છે .

સવાલ એ થાય છે કે શા માટે પણ ? કોઈ તહેવાર , પ્રસંગ કે વ્યક્તિવિશેષની સફળતા કે એના સામર્થ્યને વખોડ્યા વગર સ્વીકારી નાં શકાય ? જયારે બહુમતી લોકો કોઈ એક પ્રણાલી , ઉજવણી કે ઘટનાને હોશથી અને દિલથી ફોલો કરતા હોય ત્યારે નુક્તેચીની કરવાની શું જરૂર ? કબુલ કે ખોટું થતું હોય ત્યાં આંગળી ચીંધવી એ નાગરીક્ધર્મ છે પણ એવું દર વખતે કરવું જરૂરી થોડું છે ? અને એ પણ આપણે જાણતા હોઈએ કે ખોટી જગ્યાએ આંગળી થઇ રહી છે . નો ડાઉટ કે તહેવારોમાં ઘણી એવી વસ્તુઓ બનતી હોય છે કે જે કદાચ એ ઉજવણી સાથે સુસંગત નથી હોતી પણ છતાયે જો મોટાભાગના લોકો એને અવગણીને પણ એમાં સામેલ થતા હોય ત્યારે ફક્ત ને ફક્ત અલગ દેખાવની લ્હાયમાં વખોડવું કે વિરોધ કરવું કેટલું વ્યાજબી છે ? કોઈ વ્યક્તિ સફળ થયો હોય તો એ એના જોરે અને આવડતથી જ થયો હોય છે નહિ કે દાન-દક્ષિણાથી , તો એની સફળતા ની સારી વાતો નો આનંદ ઉઠાવવાને બદલે એને કોઈ ખોટી રીતે સફળતા મેળવી હશે એવી ધારણાઓ બાંધીને એને વખોડવાનું બંધ ના કરી શકાય ? તહેવારો વર્ષોથી ઉજવાય છે , અને વર્ષો સુધી ઉજવાતા રહેશે જ ...અને હા સમય સમય મુજબ ઉજવનારાઓ એમાં અનુરૂપ ફેરફારો કરતા જ રહેતા હોય છે કારણ કે આમેય લાઈફ જ એટલી ભાગદોડ વાળી થઇ ગઈ છે કે હવે પહેલા જેવી તહેવારો ની ઉજવણી મોટાભાગના લોકો માટે શક્ય પણ નથી પણ છતાયે કોઈ પણ ધર્મમાં તહેવારો એની પહેચાન હોય છે એની ઉજવણી કે એમાં માનવું જરૂરી છે અને એટલું જ જરૂરી છે એની ઉજવણી કરવી . બદીઓ કે અગવડતાઓ હોવા છતાં પણ બહુધા ધર્મમાં ઉજવણી સદીઓથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે , વખોડવાથી શું ફાયદો ?

દરેક ચીજ , ઘટના , વ્યક્તિ કે પ્રસંગ માં કૈક ખોટું થતું હોય તો સુધારો કરાવવો કે સુધારા વિષે અંગુલી નિર્દેશ કરવો સારી વાત છે પણ જયારે ખબર જ હોય કે અમુક ઘટના કે વસ્તુઓ સદીઓથી થતી રહેતી હોય અને થતી રહેવાની હોય ત્યારે એનો વિરોધ કરવો અથવા તો ખબર જ હોઈ કે આ જ પ્રક્રિયા કે ઘટનામાં થી જ આપણે મોટા થયા છીએ ત્યારે વખોડવું કે વિરોધ કરવો એ બીજું કઈ નહિ પણ આપણે બીજાથી કે પછી ટોળાથી અલગ વિચારીએ છીએ એવું ઠસાવવાનો એક પ્રયત્ન માત્ર જ ગણાય વખોડવા કરતા એમાં શક્ય હોય તો તત્કાલીન સમાજને અનુરૂપ કોઈ ફેરફાર લાવી શકીએ તો એ વધુ ઉત્તમ ગણાશે .!!! અસ્તુ !!!