Rasoda ni rani ni tips books and stories free download online pdf in Gujarati

રસોડાની રાણીની ટિપ્સ

રસોડાની રાણીની ટિપ્સ

- મિતલ ઠક્કર

* દાળ બાફતી વખતે અંદર ચપટી હળદર અને થોડાં ટીંપાં બદામનું તેલ નાખવાથી દાળ જલદી બફાઇ જશે અને ટેસ્ટી પણ બહુ બનશે.

* એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ એકદમ વધી જશે.

* ટેસ્ટફૂલ ગ્રેવી બનાવતી વખતે જો ટામેટાં ખૂટી પડે તો ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એવી જ સ્વાદિષ્ટ બની શકશે.

* મધ ટકાઉ હોય છે. તે લાંબા સમય સુધી સારું રહે છે. જો તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે ઠરી જાય છે અને વાપરવામાં પ્રતિકૂળ પડે છે. તેથી તેને બહાર જ એટલે કે રસોડામાં રાખો.

* સાદા અને શાહી શાકને એક અલગ સ્વાદ આપવા માટે એમાં થોડો માવો મિક્સ કરો. જો માવો મિક્સ કરવાનું મુશ્કેલ જણાતું હોય તો ચીઝ સ્લાઈસ મિલાવો.

* વધેલા ગાજરના હલવાને પૂરીમાં ભરીને મીઠી પૂરી બનાવી શકાય છે.

* પીનટ-બટર જો ૨-૩ મહિનામાં વપરાઈ જવાનું હોય તો તેને ફ્રીઝમાં રાખવાને બદલે બહાર જ રાખો. જો તે લાંબો સમય રહેવાનું હોય તો તેને ફ્રીઝમાં ૪થી ૬ મહિના સુધી રાખી શકાય છે. જો તમે નેચરલ પીનટ-બટર ખરીદો તો તેના પરનું લેબલ ધ્યાનથી વાંચો. કેટલીક બ્રાન્ડ્સ તેના તેલ છૂટા ના પડી જાય તે માટે તેને રેફ્રિજરેટ કરવાની ભલામણ કરે છે.

*રોટલી વણતી વખતે અટામણને બદલે મેંદાનો ઉપયોગ કરો. રોટલી વધારે સરસ બનશે.

* વધેલા ભાતમાં સફેદ તલ, આખા ધાણા, જીરૂં, ખાંડ, લાલ મરચાંની ભૂકી, હળદર, ચણાનો લોટ અને મીઠું મિક્ષ કરીને ભજીયા પણ બનાવી શકાય છે.

* બટાકા અને ડુંગળી એકસરખું વાતાવરણ માગે છે. પરંતુ બંનેને સાથે રાખવા હિતાવહ નથી. બટાકાને ફ્રીઝમાં રાખવાથી તેમાંનો સ્ટાર્ચ શર્કરામાં પરિવર્તિત થાય છે. બટાકા અને ડુંગળીને ઠંડી, સૂકી જગ્યામાં રાખવા જોઈએ. જેમ કે પ્લેટફોર્મની નીચેનો ભાગ.

*વાસણ માંજતી વખતે રાખના બદલે ચળામણનો ઉપયોગ કરો.

* પલાળેલી અડદની દાળ વધી હોય તો તેમાં અડધો કપ દૂધ અને ૫૦ ગ્રામ માખણ નાંખીને બાફી લેવી. તેમાં મીઠું, ડુંગળી, લસણ, આંદુ, લીલા મરચાં અને થોડો ગરમ મસાલો નાંખીને વઘાર કરવો. સ્વાદિષ્ટ દાલમખની તૈયાર થઈ જશે.

* ટામેટાને બહાર રાખવામાં આવે તો તે સારા રહે છે. જો તે ૧-૨ દિવસમાં વાપરવાના ના હોય તો ફ્રીઝમાં રાખો જ્યાં તે ૨-૩ દિવસ સુધી સારા રહેશે. પરંતુ કાપેલા ટામેટાને તરત જ ફ્રીઝમાં મૂકી દો. કોઈપણ શાક કે ફળ કાપેલા હોય તેમને ફ્રીઝમાં મૂકવાથી તેમાં જોખમી જીવાણુંઓની વૃદ્ધિ ધીમી પડે છે.

* લોખંડની મોટી કઢાઈ સાફ કરવા માટે એની પર હાર્પિક લગાવી અડધો કલાક રાખી મૂકો. પછી ઘસી કાઢો. કઢાઈ ચમકવા લાગશે.

* પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને કિચનની ટાઈલ્સ સાફ કરવાથી કિચન ચમકી જશે અને સાથે દુર્ગંધ પણ દૂર થશે.

* અંકુરિત અનાજને ફ્રિઝમાં મૂકતા પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી દો. આમ કરવાથી તેમાં વાસ આવશે નહીં.

* ગેસની સગડી નીચે રેક્ઝીનનો ટુકડો પાથરી દો અને થોડા થોડા સમયના અંતરે સાફ કરતાં રહો. આમ કરવાથી નીચેની જગ્યા ગંદી નહીં થાય.

* નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એકબીજાં સાથે ચોંટી નહિ જાય.

* કેકને લાંબા સમય સુધી તાજી રાખવા માટે એરટાઇટ ડબ્બામાં બ્રેડનો ટુકડો મૂકીને રાખો. જ્યારે બ્રેડનો ટુકડો કડક થઈ જાય તો તેને કાઢી બીજો ટુકડો મૂકવો. કેક ફ્રેશ રહેશે.

* જે જગ્યાએ ગેસ મૂક્યો હોય એની પાછળની દીવાલ પણ નિયમિત રીતે સાફ કરતાં રહો.

* જો બ્રેડ ઉપર થોડું પાણી પડી ગયું હોય તો તેને એક પેપર નેપકીનમાં વીંટી વીસ સેકેન્ડ માટે માઇક્રોવેવ કરી દો. બધું પાણી ઊડી જશે અને બ્રેડ પહેલાં કરતા વધુ ફ્રેશ થઈ જશે.

* જો સેલડના ટામેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટૂકડા વધ્યા હોય તો બે લીલાં મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર અને દહીં નાખી મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું છે.

* જો સમયનો અભાવ હોય અને લોટ બાંધવાનું ન ગમતું હોય તો લોટ બાંધવાનું મશીન લઈ લો. આ મશીન લોટ બાંધવા ઉપરાંત માખણ પણ કાઢી શકશે અને ભજિયાં માટેનું સરસ ખીરું પણ થોડી જ વારમાં તૈયાર થઈ શકે છે.

* બટાટા પૌવા વધ્યા હોય તો તેમાંથી બહુ ટેસ્ટી સમોસા કે કચોરી બને. તેમાં સૂકા પાઉનો ભૂકો ભેળવો તો કટલેટ પણ બનાવી શકાય.

* મગફળીને શેકીને તેની છાલ કાઢી મિક્સરમાં બ્લેન્ડ કરીને રાખો. ભીંડા, રીંગણ અથવા અન્ય માસેલદાર શાકમાં તેનો થોડો ઉપયોગ કરવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે.

* મેથીનાં ઢેબરાંનો લોટ વધ્યો હોય તો તેને થોડો ઢીલો કરી તેમાંથી ભજીયાં ઉતારી શકાય.

* માખણને ઠંડકમાં રાખવું જરૂરી છે. જૂના જમાનામાં માખણને લગાવવા યોગ્ય બનાવવા બહાર રાખવામાં આવતું હતું. પરંતુ તેને ઠંડકમાં રાખવામાં આવે તો તેમાં જીવાણુઓની ઉત્પત્તિ અટકી જાય છે. વાપરવું હોય ત્યારે તેને થોડાં સમય પહેલાં ફ્રીઝમાંથી બહાર કાઢી લો.

* ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા.

* દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે

* ઘીમાં થોડીક ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે.

* એક સ્પ્રે ક્લીનર હંમેશાં કિચનમાં રાખો. જો કપડાં પર કંઈ ઢોળાઈ જાય તો જરૂર સ્પ્રે કરો, એનાથી ડાઘ તરત નીકળી જશે.

* રીંગણનું રસાવાળું શાક બનાવો છો તો તેમાં ધાણાજીરું ન નાંખો. શાક સ્વાદિષ્ટ બનશે.

* સિંક પાસે એક વાટકી મૂકી રાખો, જેમાં વપરાયેલી ચા ભેગી કરો અને પછીથી પાણીમાં ઉકાળી છોડમાં ખાતર તરીકે વાપરો.

* ભજીયાંને ક્રિસ્પી બનાવવા હોય અને પોચા, નરમ અને ફૂલેલા પણ બનાવવા હોય તો તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી દો. પકોડા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે.

* લસણ છોલવા માટે તેની કળીને અલગ અલગ કરીને પાણીમાં પલાળી રાખો. લસણ જલદી છોલાઇ જશે.

* કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી.

* બેસનના ગટ્ટા બનાવવાને માટે થોડું મોટું બેસન લો. ગટ્ટા સોફ્ટ બનશે.

* ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો.

* રસોઇમાં કોઇ ચીકણી વસ્તુ ઢોળાઇ જાય તો તેની પર બ્લીચ લગાવો અને પછી તેને બ્રશથી સાફ કરો.

* જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો.

* મહેંદીના ડાઘા સરળતાથી કાઢવાને માટે કપડાને ગરમ દૂધમાં ભીનું કરો અને સાબુથી ધોઇ દો.

* ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં.

* ભજીયા બનાવતી સમયે તેના ખીરામાં થોડો લીંબુનો રસ મિક્સ કરો, ભજીયા ઓછું તેલ પીશે.

* જલેબીને કુરકુરી બનાવવા મેંદામાં થોડો ચોખાનો લોટ મિક્સ કરો. જલેબી સ્વાદિષ્ટ બનશે.

* મરચાના વડા બનાવતી સમયે મોટા મરચાંનો ઉપયોગ કરો. તેનાથી તે ઓછા તીખા લાગશે અને બાળકો પણ સરળતાથી તેને ખાઇ શકશે.

* નારિયેળની મિઠાઇ બનાવતી સમયે તેમાં દૂધની જગ્યાએ મિલ્ક પાવડર ઉમેરો. તેનાથી સ્વાદ વધશે.

* ફૂદીનાની ચટણી મિક્સરમાં બનાવી રહ્યા હોવ તો તેને વધારે સમય ન પીસો. તેનાથી તે કડવી થઇ શકે છે.

* જો તમે કુંકિંગ તેલને વિના કોઇ ગંધ ફરી વાપરવા ઇચ્છો છો તો તમે તેને ધીમા ગેસ પર રાખો. તેમાં સુધારેલા આદુને પંદર મિનિટ સુધી ચઢવો. આદુ તેલમાંથી રસોઇનો સ્વાદ દૂર કરશે. ધ્યાન રાખો કે ગેસ ધીમો રહે અને તે ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન થાય.

* પરિવારને હૉટલ કરતાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નાન, પરોઠાં ખવડાવવાં લોટ બાંધતી વખતે પાણીના સ્થાને સૉડાવૉટરનો ઉપયોગ કરો.

* માખણમાંથી ઘી બનાવતી વખતે તેમાં મેથીના થોડા દાણાં નાખવાથી 'ઘી' ની અનેરી સોડમ છૂટશે.

* પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે. બાળકને જો ઝાડા થઇ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે. આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ-ચોખામાં આ પાણી નાંખી તેને રાંધી શકાય છે.

* પાણીમાં એક ઢાંકણ વિનેગાર ભેળવી રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવાથી કીડીઓનો ઉપદ્રવ નહીં થાય.

* સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો.

* શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

* બ્રેડની બંને તરફ માખણ લગાવીને શેકો. આનાથી તે સ્વાદિષ્ટ અને કુરકુરી બનશે.

* ચોખા વધુ પ્રમાણમાં ખરીદાય ગયા હોય તો મૂંઝાશો નહીં. ચોખામાં જીવાત થતી અટકાવવા સૂકા આખા લાલ મરચા ભેળવી દો.

* ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

* પરોઠા માખણથી શેકશો તો તે કુરકુરા અને સ્વાદિષ્ટ બનશે.

* થરમોસમાં એક ચમચી સાકર રાખવાથી થરમોસમાં આવતી વાસ દૂર થશે.

* ટામેટાનો સૂપ બનાવવા માટે તેને ઉકાળતી વખતે જ એક લીલું મરચું, લસણની કળી અને એક ટૂકડો આદું નાંખી ઉકાળો. સૂપનો સ્વાદ બમણો થઇ જશે.

* બટાટા બાફતી વખતે એમાં થોડું મીઠું નાખવાથી બાફ્યા પછી એ ફાટી નહીં જાય.

* રેફ્રિજરેટરને ચકચકિત કરવા તથા તેના પર પડેલા ડાઘા દૂર કરવા ખાવાના સોડાને પાણીમાં ભેળવી તેમાં કપડું ભીંજવી ફ્રિજ લૂછવું. અથવા તો મીઠું ભેળવેલ પાણીથી લૂછવું.

* ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોંડું ફુદીનાનું ચૂર્ણ નાખવાથી એનો સ્વાદ વધી જશે.

* મધની શીશીમાં મરીના દાણા નાખવાથી શીશી પર કીડી ચઢશે નહીં.

* જો ચ્યુંગમ લાગી ગઇ હોય અને નીકળતી ના હોય તો કપડાંને એક કલાક ફ્રિઝમાં રાખી મૂકો.

* અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

* શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તેના માટે થોડી કોફી નાખી શકાય.

*રોટલીને મુલાયમ કરવા લોટ હુંફાળા પાણીથી બાંધવો.

* ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

*જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા(વ્હાઇટ વિનેગાર)માં વેજીટેબલ ઓઇલ ભેળવી, પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાંથી હળવે-હળવે રગડવું.

* એક બાટલીમાં પાણી ભરી તેમાં આદુ મૂકી તેને ફ્રીજમાં મૂકવાથી તે લાંબો સમય સુધી સારું રહેશે.

*રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે.

* કૉફીમાં આદુ એલચી નાખવાથી કૉફી વધુ સ્વાદિષ્ટ લાગશે.

* ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.

* ટામેટા જેવા ખાટા શાકનો સૂપ બનાવતી વખતે તેમાં દૂધ કે મલાઈ નાખવી નહી.

*મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચીમીઠું ભેળવી હાથ પર પાંચ મિનિટ ઘસીને ધોઇ નાખવું.

* મીઠાઈની ચાસણી બનાવતી વખતે એમાં થોડું માખણ ભેળવવાથી ચાસણી સારી થશે.

* ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી ને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.

* જાડી ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું, તેને છોલીને છીણીને ઉપયોગમાં લેવું, તેનો સ્વાદ હોતો નથી, ડુંગળી ન ખાતા હો તો ડુંગળી ને બદલે કોળું, દુધી, કોબીજ ઝીણી છીણીને કે મિક્ષરમાં વાટીને નાખી શકાય.

* ગોળને પીગળી જતો અટકાવવા, ગોળની ભીલી પર ઘી ચોપડીને પાંચ-છ એલચી મૂકી દેવી.

* નવા બટાકા બાફતી વખતે તેમાં કેટલાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ પણ આવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED