Chalo Farie 5 - Khambat no akhat books and stories free download online pdf in Gujarati

ખંભાતનો અખાત અને ધુવારણ

ખંભાતનો અખાત અને ધુવારણ

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સામાન્ય પરિવારોમાં આજકાલ વિકેન્ડની માણવાનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા ભાગના પાસે કાર છે, પૈસા છે અને ફરવા માટેની આતૂરતા છે. જીંદગી નાની છે જેમાં ફરવા માટેની ઉંમર પણ બહુ મર્યાદિત મળી છે ત્યારે યુવાન હૈયાઓ અને રિટાયર્ડ થઈ ગયેલા અંકલ અને આન્ટી માટે એક નવો રુટ ડિઝાઈન કર્યો છે. જે ખરેખર મોજીલો અને હરીયાળો અને કલ્ચરથી ભરપુર છે. ખંભાતના અખાતની આજુબાજુનો વિસ્તાર સુંદર પ્રકૃતિ અને સંસ્કૃતિથી ભરેલો છે. માત્ર ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલો હોવાથી એક જ દિવસમાં ઘણું બધુ કવર કરી શકાય. ઉપરાંત બે દિવસ માટે પણ સુંદર આયોજન કરી શકાય.

એક સમયે ખેડા જિલ્લાની હદમાં આવેલો ખંભાત તાલુકો હવે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ખંભાત શહેર ગુજરાતના અન્ય નગરો કરતા થોડું અલગ પડે છે. અખાત પાસે આવેલું હોવાથી આ શહેર તાપમાનની દ્રષ્ટીએ પણ પ્રમાણમાં ઠંડુ છે. આ રુટની શરૂઆત કેવી રીતે કરીશું ? ખંભાત જતી વખતે ત્રણ રુટ લઈ શકાય. અમદાવાદથી ખેડા વાયા તારાપુર અને ખંભાત અથવા તો અમદાવાદથી ધોળકા વાયા વટામણ અને ત્યાંથી તારાપુર અને ખંભાત. એ સિવાય પણ આ જ રુટમાં એક થોડો ફાંટો પાડીએ તો અમદાવાદથી બગોદરા વાયા અરણેજ અને ત્યાંથી વાયા વટામણ અને તારાપુર અને ત્યાંથી ખંભાત. જો ખેડાથી ખંભાત જઈએ તો ખેડા પહેલા આવે અને એ પછી માતર આવે છે. માતર પછી આ વિસ્તારમાં પરિએજ નામનું એક ગામ આવે છે જ્યાં એક સુંદર વેટલેન્ડ છે. આ વિસ્તારને સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. ખંભાતથી બગોદરા અને ખેડા સુધીના વિસ્તારમાં ફરતા ફરતા અનેક સારસ પક્ષીની જોડ જોવા મળી શકે છે. આમ આ વિસ્તાર ભારતમાં જોવા મળતા દુર્લભ એવા સૌથી મોટી સાઈઝના ઉડતા પક્ષીઓમાં સ્થાન પામેલા એવા સારસનો વિસ્તાર તરીકે વખણાયેલો છે. પરિએજ ના તળાવમાં પણ અનેક પ્રકારના કિંગફિશર, હેરોન, કોમન કૂટ, ડક, ગીઝ અને આઈબીઝ જોવા મળે છે. આ ઉપરાંત ઈગ્રેટ એટલે કે બગલાઓની વિવિધ જાતો પણ આ વિસ્તારમાં જોવા મળે છે. પરિએજનું તળાવ મોટું અને છીછરું હોવાથી તેને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. છોછરું હોવાથી પક્ષીઓ આ તળાવમાં ઊભા રહીને સરળતાથી માછલી પકડી શકે છે. અહીંથી તારાપુર માત્ર વીસેક કિલોમીટરના અંતરે આવેલું છે. તારાપુર ચોકડીથી ખંભાતનું અંતર ૩૬ કિલોમીટર છે. પરંતુ જો તમે ધોળકાથી ખંભાત જવાનું પસંદ કરો તો અમદાવાદથી સીધો જ સરખેજથી ધોળકા જવાના રસ્તે કલિકુંડના સુંદર જૈન દેરાસરોની પણ મુલાકાત લઈ શકાય. ત્યારબાદ કલિકુંડથી ધોળકા બાયપાસ થઈને વટામણ ચોકડીનો રસ્તો લગભગ ત્રીસેક કિલોમીટરના અંતરે છે. અહીંથી તારાપુર લગભગ પચીસ કિલોમીટર છે અને ત્યાંથી ખંભાત જઈ શકાય. વટામણ પછી આવતા ગલીયાણા - ગોલાણા ગામેથી પણ ખંભાત જવાનો શોર્ટકટ છે પરંતુ જાણકાર વ્યક્તિ સાથે હોય તો અનુકૂળતા વધુ રહે છે.

તારાપુર પાસે આવેલું ચીખલીયા અને કનેવાલનું તળાવ કુદરતી વેટલેન્ડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અહીં વિપુલ પ્રમાણમાં ડોમિસાઈલ ક્રેન એટલે કે કુંજ પક્ષીઓ જોઈ શકાય છે. બર્ડ વોચિંગના શોખીનો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. ભારતના જાણીતા બર્ડ વોચર્સ પણ આ વિસ્તારની મુલાકાત લેવાનું ચૂકતા નથી. કનેવાળના તળાવમાં વરસાદનું કુદરતી પાણી સંગ્રહિત થતું હોવાથી આ વિસ્તારમાં વોટર બર્ડસની મોટી શ્રેણી સરળતાથી જોઈ શકાય છે. હવે અહીંથી ખંભાત તરફ પ્રયાણ કરીએ એ પહેલા ખંભાત વિશે થોડી સાંસ્કૃતિક વાતો કરી લઈએ. એક જમાનામાં ખંભાત નવાબોના હાથમાં હતું એટલે ખંભાતમાં આજે પણ નવાબી ઠાઠ જૂના મકાનોની બાંધણીઓ થકી જોઈ શકાય છે. ખંભાતમાં દાઉદી વ્હોરા સમુદાયના લોકો વધુ રહે છે અને તેઓ અકીકના ધંધા સાથે સંકળાયેલા છે. ખંભાતના અખાતમાંથી વિવિધ રંગોના અકીક પત્થરો એટલે કે નંગો મળે છે જેની સમગ્ર વિશ્વમાં મોટી માંગ છે. અહીં અનેક દુકાનોમાં વિવિધ પ્રકારના અકીક પત્થરો જોવા મળે છે. જેમાં પોખરાજ, પન્નુ, સ્ફટીક, નિલમ ઈત્યાદી પત્થરોનો સમાવેશ થાય છે. ખંભાતના મકાનો પણ વ્હોરા સમુદાય દ્વારા બનાવવામાં આવેલા છે તે આગવા અને આકર્ષક છે. વ્હોરા સમુદાયમાં બારી અને બારણાઓ સાથે નવ ખૂણીયા સાથેના સુંદર ઘરની શૈલી આજે વિસ્મૃત થતી જાય છે પણ આ પ્રકારની શૈલીના મકાનો માત્ર વ્હોરા સમાજની મર્યાદા અને મરતબાને ધ્યાનમાં રાખવામાં આવતા. આ મકાનોમાં સુંદર કાષ્ટકલાના નમૂના પણ જોવા મળતા. એક જમાનામાં ખંભાતનો દરજ્જો અમદાવાદ જેટલો જ હતો પરંતુ તેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખંભાતનો વિકાસ અમદાવાદ જેટલો ના થયો. ખંભાતના અખાતની મુલાકાત લેવાની સૌ કોઈને ઈચ્છા થાય. ખંંભાત શહેરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું સિકોતર માતાનું મંદિર ખંભાતના અખાતનું દ્વાર ગણવામાં આવે છે. અહીંથી દૂર દરિયો જોઈ શકાય છે. પરંતુ દરિયાના પાણીનું અંતર વધુ પાંચથી સાત કિલોમીટરનું છે. ભરતી અને ઓટ દરમ્યાન આ પાણીના સ્તરમાં વધારો ઘટાડો થાય છે. ખંભાત શહેરની આસપાસના વિસ્તારોમાં હજ્જારોની સંખ્યામાં ખજૂરીના વૃક્ષો જોવા મળે છે જેના કારણે આ શહેરમાં પ્રવેશતા જ સુંદર પ્રકૃતિક નજારો જોઈ શકાય છે. અહીં ખજૂરીના વૃક્ષો વચ્ચે સુંદર આંબાવાડીઓ પણ જોઈ શકાય છે. આ વિસ્તારની તાસીરમાં ફળદ્રુપતા જમીનના કણેકણમાં જોઈ શકાય છે. દસ કિલોમીટરનો ખંભાતની આસપાસનો રસ્તો સુંદર પ્રાકૃતિક નજારાથી ભરપુર હોવાથી લોંગ ડ્રાઈવના શોખીનો માટે પણ આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. ખંભાતની સંસ્કૃતિમાં નવાબી સંસ્કૃતિની અસર સીધી જોવા મળે છે જેના કારણે જૂના ખંભાત ગામમાં ઊંચા ઓટલાવાળા મકાનો અને ઈસ્લામિક શૈલીના મસ્જિદો જોઈ શકાય છે. ખંભાતની બજાર પણ ઘણી સમૃદ્ધ છે. ખંભાતમાં એક જમાનામાં ખંભાતી તાળા બનતા જે જૂના પટારાને બંધ કરવામાં વપરાતા હતા. ખંભાતી તાળા ખંભાત અને તારાપુર પાસે આવેલા સોજિત્રામાં બનાવવામાં આવતા હતા. સોજિત્રાના લુહારો આ પ્રકારના વિશિષ્ટ તાળા બનાવવામાં માહિર હતા અને ખંભાતના નવાબે આ કલાને એ સમયે પ્રધાન્ય આપ્યું હોવાના કારણે આ તાળા ખંભાતી તાળા તરીકે ઓળખાયા. આ ઉપરાંત આખા ગુજરાતમાં પ્રખ્યાત એવું ખંભાતનું હલવાસન સૌના મોઢામાં પાણી લાવી દે તેવું છે. ખંભાતના જાણીતા કંદોઈ દ્વારા આ સ્પેશ્યલ રેસિપીની બોલબાલા આખા ગુજરાતમાં ફેલાઈ હતી. આ ઉપરાંત જેમ સુરતની સુતરફેણી વખણાય છે એમ ખંભાતની સુતરફેણી પણ વખણાય છે. ખંભાતની બજારમાં આજે તો ઘણી આધુનિક્તાનો રંગ જોવા મળે છે. ખંભાતની બજારમાં વધુ ઈન્ટરેસ્ટિંગ કંઈક હોય તો તે છે અહીંનું ફ્રુટસલાડ. આસપાસના ગામમાંથી આવતા લોકો અહીં અચૂક ફ્રૂટસલાડ પીવે છે. ખંભાતથી લગભગ વીસ કિલોમીટરના અંતરે ધુવારણ આવેલું છે. ધુવારણના વિદ્યુત મથકમાં થર્મલ ઉર્જાનું યુનિટ હતું જે આજે બંધ છે પરંતુ અહીં આવેલો મહિસાગરનો કિનારો ખૂબ જ આકર્ષક અને નયનરમ્ય છે. મહિસાગર નદી અહીં ખંભાતના અખાતને મળતી સ્પષ્ટ જોઈ શકાય છે. પાંચ પાંડવોના માતા કુંતાનું અહીં સુંદર મંદિર છે. પૂનમની ભરતી વખતે સમદ્રુની પાણી જ્યારે નદીમાં આવે છે ત્યારે નદી અને સમુદ્રના સમાગમને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સાંજના સમયે બે કલાક બેસવાની અહીં મજા છે. ખંભાતનો અખાત ધુવારણમાં વધુ સારી રીતે જોઈ શકાય છે. આ ઉપરાંત અહીં આવેલા વિદ્યુતનગરમાં પણ સુંદર વ્યવસ્થાઓ જોવા જેવી છે જેની આગવી પરમીશન લેવી જરૂરી છે. ધુવારણ ગામ સાવ નાનું ગામ છે જ્યાંના સ્થાનિક લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખંભાત અને ધુવારણના આ રુટમાં સુંદર લીલોતરી છે, સુંદર નવાબી સંસ્કૃતિના અવશેષો આજે પણ જોઈ શકાય છે. એકથી બે દિવસ માટે ફરવા જવા માટેનો આ રુટ એકદમ સરળ છે. ખંભાતમાં રોકાણની વ્યવસ્થા પણ છે. ખંભાતનું અકીકનું બજાર, ખંભાતનો હલવાસન-સૂતરફેણી અને અહીંનું ફ્રૂટસલાડ કોઈપણ આગંતૂકને આ શહેરના પ્રેમમાં પાડી દે છે. તો વળી મહિસાગરના પાણી જ્યારે સમુુદ્ર સાથે ભળે છે ત્યારે આપણની આ ધરતીની સાચી મહત્તા સમજાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED