Pooja aej prem books and stories free download online pdf in Gujarati

પૂજા એજ પ્રેમ

પૂજા એજ પ્રેમ

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રી વેરાઈ, મહાકાળી, ખોડિયાર, ગાયત્રી, હોલમાતાજી, બહુચર,ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા,ગાત્રાડમેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ,મોઢેશ્વરી, બુટભવાની, ઊમિયા, વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે.

તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું.

તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાંલેઉવા પટેલ, (ભોઈ), (ગોહિલ), ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન, અને (રબારી) તળપદાકોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને કુળદેવી તરીકે પુજે છે.

જેમાં (દોંગા) પરિવાર ના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીનાં "અનુગ્રહ" મંદિરે લાખો શ્રધ્ધાળુંઓ દર્શને આવે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે.

આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે. શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે.

આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધારગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.

આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે.

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં.

તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યનેદરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.

તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા.

રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી.

આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો.

આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.

આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા.

આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો.

જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે.

જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે.

આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સ્‍થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્‍થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.

જુનાગઢ નાં રાજા રા'નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા'નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું.

રા'નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જયારે રા'નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડોઆશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી.

જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.

ખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.

જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે.

આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે.

આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું.

કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાંગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

હાલ, અહીં માટેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે.

જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે.

અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.

આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારત ભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગર નો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે.

રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલ એ બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગર નાં રાજવી ભાવસિંહજી ગોહિલ એ આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.

અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ભાવનગર નાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં.

જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં ? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં.

આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગર થી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગર થી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે.

ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે.

ભાવનગર (શહેર), સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.

ખોડિયાર માતાજીનું વારાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં પાટણ જિલ્લા નાં સમી તાલુકાનાં વરાણા ગામે આવેલ છે. આ ગામ સમી થી આશરે ૫ થી ૬ કિ.મી.એ આવેલુ છે. અહીં ખોડિયાર માતાનું કોતરણીવાળુ ભવ્ય મંદિર આવેલુ છે.

અહીં વરાણા માં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમ નાં દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં પુરા ભારત દેશમાં વસતા પાટણ જિલ્લા નાં ગુજરાતીઓ માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે. ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે.

અહીં રહેવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે. વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ ૧ થી મહા સુદ ૧૫ સુધી ચાલતા આ મેળામાં સાતમ,આઠમ અને નોમ નું ખાસ મહત્વ છે. તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળામાં ચગદોડ, નાની મોટી ચકરડીઓ, મોતનાં કુવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે. અહીંનાં આજુબાજુનાં તમામ રોડ રસ્તાઓ પર વાહનોની કતાર લાગી જાય છે.

PRAFUL DETROJA

prafulpatel.rajkot@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED