ચાલો એક સારી શરૂઆત કરીએ વાંચનની ટેવ કેળવીએ I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલો એક સારી શરૂઆત કરીએ વાંચનની ટેવ કેળવીએ

ચાલો એક સારી શરૂઆત કરીએ વાંચનની ટેવ કેળવીએ

વાંચનનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય જ નહિ. દરેક વ્યક્તિએ જીવનમાં વાંચન કરવાની એક સારી ટેવ કેળવવી જ જોઈએ વાંચન કરવાથી વ્યક્તિમાં નવા-નવા વિચારોનું સર્જન થાય છે. વાંચન કરેલા શબ્દોથી તમારા મગજમાં એક અનોખા વિશ્વનું સર્જન થાય છે. જેનું સર્જન તમારા મનમાં થયું છે અને જેનો ફક્ત તમે જ અનુભવ કરી શકો છો જે તમારી કલ્પના શકિતનો વિકાસ કરવામાં મદદરૂપ નીવડે છે. જે રીતે એક ફિલ્મ પ્રોડયુસર અને ડિરેકટર ફિલ્મની વાર્તા પરથી એને સમજીને પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરી તેના મનમાં આવાજ એક વિશ્વનું સર્જન કરી જે અનુભવે છે. તે મુજબ લોકો સમક્ષ એક ફિલ્મનું નિર્માણ કરીને રજુ કરે છે. અને જે આનંદ તેણે પોતાની કલ્પના શક્તિથી મેળવ્યો હતો તે આપણે તેની ફિલ્મને જોઈને માણી શકીએ છીએ આમ ફિલ્મમાં દર્શાવેલ દુનિયા એ ખરા અર્થમાં વાસ્તવિકતા નથી હોતી પણ આવી જ એક વિચારોમાંથી ઉદ્ભવેલી દુનિયા છે. આમ જુદા જુદા વિષયોનું વાંચન થકી જ્ઞાન મેળવી તેને સમજી અને સમજેલા જ્ઞાનમાંથી નવા-નવા વિચારોનું સર્જન થકી આપણે પણ આપણા એક અલગ વિશ્વની કલ્પના કરી શકીએ છીએ અને આપણાં એક અલગ વિશ્વનું સર્જન કરી શકીએ છીએ.

કહેવાય છે ને કે માણસ જેવું વાંચે છે. તેવા જ વિચારો ધરાવે છે અને તેવો જ બને છે. નાના બાળકો વાંચી શકતા ના હોય અથવા તો એમની સમજણ શકિત એટલી બધી ન હોય અને એટલે જ ઘરડા (અનુભવી) વ્યકિતઓ ઘરમા નાના બાળકોને તેમના અનુભવો પરથી તેમને નાનપણમાં બહાદુર અને તેજસ્વી અને પરાક્રમી વ્યકિતઓની વાર્તાઓ કે પછી નાના ભુલકાઓના મગજમાં સારા સાહસિક વિચારોનું સર્જન થાય તે પ્રકારની વાતો દ્વારા તેમના વ્યકિતત્વના વિકાસમાં પોતાનો અમુલ્ય ફાળો (યોગદાન) આપે છે. વાંચનનો શોખ ધરાવતો વ્યકિત ક્યારેય પણ એકલો-અટુલો બની જતો નથી કે નથી પોતાની જીંદગીમાં કદી કંટાળી જતો. વાંચનની ટેવ રાખનાર વ્યક્તિ લાબાં સમય સુધી પોતાની જાતને એકલતાથી બચાવી શકે છે અને એ મેં પોતે પણ અનુભવ કર્યું છે કે પુસ્તકો વાંચન કરવાની ટેવ કેળવવી એક મેડીસીન તરીકે કામ કરે છે. જે મારા મનને સદાય પ્રફુલ્લિત રાખે છે. પુસ્તકોનું વાંચન કરવાની તમે તમારા વિચારો અને લાગણીઓને વધારે સારી રીતે સમજી શકો છો જે તમને તમારા જીવનનો સાચો અભિગમ અને માર્ગ બતાવે છે. પુસ્તકોનું નિયમિત વાંચન તમને એક સારા વિચારક અને એક સારા માણસ બનવામાં મદદરૂપ થાય છે અને પુસ્તકો જ શું કામ ? પુસ્તકો જ નિયમિત વાંચવા એવું કયા છે, તમે બીજા ઘણા દૈનિક સામયિકો તથા આર્ટિકલ પણ વાંચી શકો છો. વાંચો અને નિયમિત કાંઈ ને કાંઈ વાંચવાની ટેવ કેળવો અને આજે તો આપણે સૌએ ટેકનોલોજીનો આભાર માનવો રહ્યો કારણ કે આપણે વાંચવા માટે સારા પુસ્તક ખરીદવા જવા માટે બજારમાં કે પછી લાઈબ્રેરીમાં પણ જવાની જરૂર રહેતી નથી આપણે આપણા પસંદગીના વિષય પરના તમામ પુસ્તકો અને લેખો આંગળીની એક કિલકે ઘરે બેઠા-બેઠા આપણા મોબાઈલ કે કોમ્પ્યુટર પર ઝડપથી મેળવી શકીએ છીએ અને વાંચી પણ શકીએ છીએ. એક સારો લેખ આપણને સારી રીતે મોટીવેશન પુરુ પાડી શકે છે આપણને પ્રેરણા આપે છે. આપણામાં હકારાત્મક વિચારો અને ભાવનાઓનું સર્જન કરી શકે છે.

ધીમે – ધીમે જેમ જેમ તમે વાંચવાનો શોખ કેળવતા જશો, વાંચન નિયમિત કરતા જશો તેમ તેમ તમારા મગજમાં શબ્દ ભંડોળ અને જ્ઞાનનો વધારો થતો જશે અને તેમ તેમ તમારા પોતાના મગજમાં પણ તમે તમારા પોતાના નવા નવા વિચારોનું સર્જન કરતા જશો અને એ સર્જેલા વિચારો તમને એક સારા લેખક, સારા વિચારક અને સારા વકતા તેમજ એક સારા લીડર બનાવશે. એક સારા લેખક બનવા માટે પણ એક સારા વાચક બનવું પડે છે. અને તો જ તમે તમારા જ્ઞાનનો વિકાસ કરી શકો છો. વાંચનથી સર્જેલા વિચારો તમને તમારા જન્મથી મળેલા વિચારો નિયમો સામે એક ચેલેન્જ આપશે અને તમે તમારા જુના વિચારો અને નવા વિચારોની સરખામણી કરી એક સારી પરિસ્થિતિનું સર્જન કરશો.

તમે કેવા પ્રકારના વ્યક્તિ બનશો તે તમે કેવા પ્રકારનું વાંચન કરો છો તેના પર પણ આધાર રાખે છે અને સાથે સાથે જે તે વાંચન કર્યા પછી તમે તમારા જીવનમાં તેના પર કેટલો અમલ કરો છો તેના પર પણ આધાર રાખે છે. હા, એ વાત તો છે કે જે લેખો અથવા લખાણ નેગેટીવ (નકારાત્મક) વિચારોથી સર્જાયેલ હોય તે ન વાંચવા જોઈએ અથવા તેનાથી દૂર જ રહેવું જોઈએ કારણ કે તેના વાંચન પછી તમારામાં પણ એની અસર થાય જ છે. એટલે જ કેટલું વાંચવું એ મહત્વનું નથી પણ કેવું વાંચવુ એ પણ મહત્વનું છે તેથી હમેશા સારા પુસ્તકો અને લેખો જ વાંચવા જોઈએ. આજના આ સ્પર્ધાત્મક જીવનમાં લોકો અભ્યાસ કરીને ડીગ્રી, ડીપ્લોમા માસ્ટરી, ડોકટરી જેવી ઉપાધિઓ તો હાંસલ કરી લે છે પણ વાસ્તવિક જીવનમાં કે સામાજીક જીવનમાં તેમની આ બધી ઉપાધિઓ કાંઈ કામ લાગતી નથી, અને ફકત કામ લાગે છે તો તે છે તેમના સંપુર્ણ જીવન દરમિયાન કે અભ્યાસ દરમ્યાન તેમણે સમજીને ગ્રહણ કરેલી બાબતે અને એ બાબતોમાંથી સર્જન પામેલા નવા વિચારો અને એ વિચારોનો પોતાના જીવનમાં અમલ કર્યેથી મેળવેલા અનુભવો અને એટલે જ તો કહેવાય છે ને કે કેટલું ભણ્યાએ મહત્વનું નથી પણ કેવું ભણ્યા એ પણ એટલું જ મહત્વનું છે. વાંચનની બાબતમાં પણ આમ જ છે. અને એ જ બાબત પર પણ આજના જમાનામાં મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ અને સરકારી નોકરીઓમાં ઉચ્ચ હોદ્દા પર નિમણુંક માટે લેવામાં આવતી પરીક્ષાઓ જેવી કે આઈ.પી.એસ.,આઈ.એ.એસ. ,અથવા તો રાજય સ્તરે લેવામાં આવતી કલાસ-૨ અધિકારી માટેની પરીક્ષાઓ અને તે માટે લેવાતાં ઈન્ટરવ્યુ (મૌખિક કસોટી) પર આજ બાબતો પર ભાર મુકવામાં આવે છે. કારણ કે "એક સારો રીડર જ એક સારો લીડર બની શકે છે." એક લીડર (અધિકારી) ને પોતાની કચેરીના કે પોતાના નેતૃત્વમાં કામ કરતા તમામ કર્મચારીઓને સતત માર્ગદર્શન આપતા રહેવાનું હોય છે. તેમની દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીમાં તેમને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરવાનું હોય. છે. તેમના કામમાં આવતી સમસ્યાઓનું સમાધાન પણ લાવવાનું અને તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શનનું કામ પણ એક લીડરે જ કરવાનું હોય છે અને તે માટે તેણે એક સારા રીડર બનવું જરૂરી છે. જો તે એક સારો રીડર હશે તમામ પ્રકારનું તેની પાસે જ્ઞાન હશે અને તમામ વિષયોમાં બહોળુ વાંચન હશે તો તે આવી પરિસ્થિતિઓને સારી રીતે સમજી તેનો સરળતાથી ઉકેલ લાવવા સમક્ષ થઈ શકશે અને એટલે જ આવી પ્રતિષ્ઠત જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરતા ઈન્ટરવ્યુ/પરીક્ષાઓમાં ઉમેદવારોના જ્ઞાનનો બહોળો પરિચય કરાવતી પરીક્ષાઓ લેવામાં આવે છે અને જે સારા રીડર હશે તે આવી પરીક્ષામાં જરૂર સફળ થશે જ....


છેલ્લે આ લેખને અંતે હું કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન દોરવા માગીશ.

૧. કાંઈ પણ વાંચો પણ સારા અને હકારાત્મક વિષયો વાળા પુસ્તકો/લેખો જ વાંચો...

૨. હંમેશા વાંચનની સામગ્રી અને આંખો વચ્ચે ચોક્કસ અંતર રાખીને વાંચો જેમ તમને અનુકુળ આવે તેમ વધારે નજીક પણ નહિ ને વધારે દૂર પણ નહિ.

૩. વધારે બુકસ એક સાથે વાંચવા કરતા એક જ બુક સમજીને વાંચવી હિતાવહ છે.

૪. તમે જે કાંઈ પણ વાંચો છો તેને સારી રીતે સમજો અને શક્ય હોય તો તેનો પોતાના જીવનમાં અમલ પણ કરો.

૫. વાંચેલી સામગ્રીમાંથી મહત્વની માહિતી/પૃષ્ઠ ને નિશાની કરી અલગ અથવા તો ઝડપથી મળે એ રીતે રાખો કારણ કે તમનેએ માહિતી ક્યારેક તો જરૂરી લાગશે.


૬. કેટલીક વાર એવું પણ બનશે કે કોઈ એક બૂક કે વિષય વસ્તુનું વાંચન કર્યા પછી તેને સમજવામાં થોડી વધુ વાર લાગશે તો તેમા નિરાશ ન થશો. જો તમે એકવાર ન સમજી શકો તે બીજી વાર અથવા તો થોડીવાર આરામ કર્યા પછી સમજવાનો પ્રયત્ન કરો તમે ચોક્કસ સફળ થશો...

૭. જો શકય હોય તો પુસ્તકો વાંચવા માટે તમારા ઘરમાં એક પ્રિય સ્થળ બનાવો જયાં તમે જયારે ઈચ્છો ત્યારે વાંચી શકો જયાં તમને વધુ રીલેક્ષ લાગે અને તમને વાંચનનો આનંદ થાય.

 

આમ, તમારા જીવનમાં વાંચનની પ્રવૃત્તિને એક મહત્વની પ્રવૃત્તિ તરીકે લઈ તેને તમારા રોજિંદા જીવનમાં સ્થાન આપો અને વાંચવાની ટેવ કેળવી વાંચનનો અદ્ભૂત આનંદ મેળવો....