હેલો સખી રી - ભાગ 2 Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

હેલો સખી રી - ભાગ 2

અંક-૨. જુલાઈ, ૨૦૧૫.

હેલ્લો સખી રી..

સખીઓનું ઈ-સામાયિક..

“ચોમાસું આસપાસ છે..”

સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા

લેખકોઃ

જાગૃતિ વકીલ, જાહન્વી અંતાણી, ગોપાલી બુચ, કુંજલ છાયા, જીજ્ઞાષા ઓઝા,

એંજલ ધોળકીયા, ડા. ગ્રીવા માંકડ, ડોલી છાયા, શ્લોકા પંડિત, ભાર્ગવી પંડયા, સૌમ્યા જોષી.





COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.આહ્‌વાન - કુંજલ છાયા

૨.ગુરૂ પૂર્ણિમા - જાગૃતિ વકીલ

૩.વાંચે સખી રી.. - જાહન્વી અંતાણી.

૪.હેય, વ્હોટસેપ..! - ગોપાલી બુચ

૫.રૂગ્ણાલય - ડા. ગ્રીવા માંકડ

૬.અનુભૂતિ - કુંજલ છાયા

૭.સાતમી ઈન્દ્રીય - ડોલી ઠક્કર છાયા

૮.લા પંડિત - શ્લોકા પંડિત

૯.સૂર, શબ્દને સથવારે.. - સૌમ્યા જોષી

આહ્‌વાન

કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ.

fmales.group@gmail.com

આહ્‌વાન

રીમઝીમ રીમઝીમ.. રૂમઝુમ રૂમઝુમ કરતું ‘ચોમાસું’ ઋતુનાં ઉંબરે આવી પહોંચ્યું!

૫ જૂન, વિશ્વ પર્યાવર દિવસના રોજ પ્રથમ અંકનાં શુભારંભ બાદ, જુલાઈ મહિનાની શરૂઆત સાથે ‘હેલ્લો સખી રી..’ ઈ-મેગેઝિનનો બીજો અંક પણ પ્રગટ થઈ ગયો. ગત માસમાં કેટલું બધું ઘટ્‌યું અને આગામી સમયમાં ય ઘણાં બનાવો બનશે જ. ત્રણ પેઢીઓથી જેના ચટાકાએ સૌની જીભે રાજ કર્યું એવા ‘મેગી’યુગનું જાણે કે પતન થયું. ઘટનાઓની ઘટમાળમાંથી લોક હૈયે છવાયેલ રહી તારીખ ૨૧મી જૂન.

વૈશ્વિક રાજકીય નેતાનું બિરૂદ આપવાનું મન થાય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અનુરોધ હેઠળ સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જોગવાઈની ઘોષણા કરાઈ અને હકીકતે વૈશ્વિક સ્તરે સામૂહિક રીતે એનું અમલીકરણ થયું. એ એક મોટી ઉપલબ્ધિ ગણાય. વળી, મે મહિનામાં ધામધૂમથી ઉજવયેલ ‘મધર્સ ડૅ’ની સાથોસાથ ૨૧મી જૂન, ‘ફાધર્સ ડૅ’ પણ રંગેચંગે ઉજવાયો. પિતા પ્રત્યેનું વાત્સલ્ય વર્ણવીને સૌ કૃતજ્જ્ઞ થયા. ‘વર્લ્ડ મ્યુઝિક ડૅ’ પણ આ જ દિવસે જાહેર થયેલો છે. આમેય એ દિવસે રવિવાર હોવાથી ઠેકઠેકાણે સંગીતની મહેફિલની રંગત જામી! ઉજાણીનો જાણે ત્રિવેણી સંગમ સર્જાયો.

‘હેલ્લો સખી રી..’નાં બીજા અંકમાં ‘વિસ્તૃતિ’માં ઉઘડતી શાળાએ વિદ્યાર્થી જીવનમાં આવતો સૌથી મહત્વનો તહેવાર ‘ગુરૂપૂર્ણીમા’ વિશે વાંચી શકશો જાગૃતિ વકીલનાં અનુભવી શબ્દોમાં. ‘નહન્યતે’ મૈત્રેયી દેવીની ઉત્કૃષ્ટ સાહિત્યિક બંગાળી નવલકથાનું ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી નગીનદાસ પારેખનાં શબ્દોમાં, પ્રેમની પરાકાષ્ઠા અને પ્રતીતિ વાંચનારને જકડી રાખે છે. આ નવલકથા વિશે વાંચો જાહ્‌નવી અંતાણીની કલમે ‘વાંચે સખી રી..’. જેના પાયામાં જ સશક્ત ‘સ્ત્રી’ સમુદાય હોય એવા સામાયિકમાં ‘સ્ત્રીઆર્થ’ શબ્દને આગવો અર્થ આપનાર વડિલ સખી સુશ્રી પ્રતિભા ઠક્કરની સાથેનો સંવાદ વાંચો, ‘હેય વ્હોટસેપ’ દ્વારા ગોપાલી બુચનાં અંદાઝમાં!

૧ જૂલાઈ, ‘ડોક્ટર્સ ડૅ’ તરીકે ઉજવાય છે. આપણાં ‘હેલ્લો સખી રી..’માં નિયમિત હાજર રહેતાં અનેક તબિબોને હ્ય્દય પૂર્વક આવકાર સહ ‘રૂગ્ણાલય’માં દૂષ્િાત પાણીથી થતા રોગ અને તેનાથી બચવાની તકેદારી વાંચો ડો. ગ્રીવા માંકડની સલાહ. વર્ષાઋતુને માણવા; અને બીજી બે સખીઓનાં શબ્દોની આગવી છટામાં ‘અનુભૂતિ’ વાંચો કુંજલ છાયા સંગે. ઈશ્વરનું સુંદર સર્જન ‘સ્ત્રી.’ એને મળેલ શ્રેષ્ટ વરદાન એટલે કે નવજીવન નિર્માણ કરવું. એજ રીતે એક સ્ત્રીની દ્રષ્ટીએ સર્જનહારની જેમ ‘આર્કિટેક્ટ’નાં ક્ષેત્રને ‘સાતમી ઈન્દ્રીય’ ડોલી ઠક્કર છાયાની સર્જનાત્મક શૈલીમાં વાંચો. લગ્ન એ ખુબ જ પવિત્ર અને સામાજીક રીતરીવાજ થકી અનિવાર્ય છે. પરંતુ આ જ વ્યવસ્થા ખોરવાય ત્યારે? ‘લૉ પંડિત’ ર્શ્લોકા પંડિતની સલાહ વાંચવી રહી. ‘સૂર શબ્દનાં સથવારે’ બરખા રાનીની આહ્‌લાદક મૌસમમાં સંગીતમય ગીત અને ગઝલની સંગત માણી શકાશે સૌમ્યા જોષીની અનેરી રીતે.

નાવિન્ય સભર સાહિત્યિક કઈંક વાંચવા/લખવાનું ગમે એ પણ હથેળીમાં સમાય એવા એન્ડરોઈડ કે આઈ-ફોન ડિવાઈઝમાં એ અવિષ્કારને વધાવીયે. મેઘરાજાની સવારી ચોમેર સુખાકારી વરસાવે એવી શુભેચ્છા સહ.. બીજા અંકને ડાઉન્લૉડ કરી યોગ્ય પ્રતિસાદ આપવાનું આહ્‌વાન.

કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.

fmales.group@gmail.com

ગુરૂ પૂર્ણિમા

જાગૃતિ વકીલ - ભુજ.

jrv7896@gmail.com

økwY Ãkqrýo{k

અષાઢ સુદ પુનમનો દિવસ એટલે ગુરૂવંદનાનો દિવસ. જીવમાત્ર અવિદ્યાની ગ્રંથિમાં જકડાયેલો છે ત્યારે આદ્યગુરૂ શંકરાચાર્યના શબ્દોમાં ‘ગુરૂ’ શબ્દનો અર્થ જીવના હૃદયમાંથી અવિદ્યાની ગ્રંથિઓ ઉકેલી શકે તે જ સાચા ગુરૂ. તે સક્ષાત બ્રહ્‌મરૂપહોય છે. નિર્ગુણ, નિરાકાર પરમેશ્વર પોતે સગુણ સાકાર સ્વરૂપે ગુરૂમાં રહેલા હોય છે; એમ માનવામાં આવે છે.

જે આપણી અવિદ્યાને દુર કરી અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જાય છે. પુરાણોમાં નજર કરીએ તો ગુરૂશિષ્ય પરંપરાના અજોડ અને અનન્ય ઉદાહરણો આજે પણ પ્રેરણાદાયી છે. આજની ઢોંગી, સ્વાર્થી અને અસત્યથી ભરેલી દુનિયામાં સામાન્ય માનવી, એક સાચા, નિઃસ્વાર્થી, વિકારરહિત ગુરૂ કેમ અને ક્યાથી મેળવા એવું વિચારતો હોય છે. પુરાણમાં ગુરૂ દાતાત્રેયએ સામાન્યમાંથી અસામાન્ય જોવાની અનોખી રીત દાખવી હતી. એક-બે નહિ પણ પુરા ચોવીસ ગુરૂઓની શ્રૂખલા બનાવી અદ્‌વિતીય મિશાલ ખડી કરી દીધી છે. જે દર્શાવે છે કે જેની પાસેથી આપણને કઈ પણ નવું જ્જ્ઞાન કે પ્રેરણા મળે તે દરેકેદરેકને તમે ગુરૂ માની શકો!

મહાગુરૂ દ્રોણાચાર્ય, તેમનો પ્રત્યક્ષ શિષ્ય મહાયશસ્વી અર્જુન અને તેમનો વંદનીય પરોક્ષ શિષ્ય એકલવ્ય આ દિવસે કેમ ભૂલાય? ગુરૂએ શિક્ષણ આપવાની ના પડતા તેમની પ્રતિમા બનાવી પરોક્ષ રીતે ગુરૂપદે સ્થાપી, જાતે ધનુર્વિધામાં માહિર થનાર એકલવ્યને અર્જુનપ્રેમી ગુરૂ દ્રોણએ એકલવ્યના જમણા હાથનો અંગુઠો ગુરૂદક્ષિણામાં માંગ્યો ત્યારે જરા પણ ખચકાટ વગર પોતાની જિંદગીભરની મહેનત ગુરૂના ચરણે ધરી દેનાર એકલવ્ય તો અજોડ ગુરૂપ્રેમી શિષ્યનું ઉતમ ઉદાહરણ છે. તો માત્ર અર્જુન પ્રત્યે પક્ષપાત રાખનાર દ્રોણાચાર્ય અજોડ શિષ્યપ્રેમી ગુરૂનું ઉત્તમ ઉદાહરણ છેને? મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિરના વાક્ય ‘નરો વા કુંજરો વા’થી ગુરૂ દ્રોણએ શસ્ત્રો ત્યજ્યા, ત્યારે ગુરૂઘાતી ધૃષ્ટધ્યુમન સામે તે પોતાનો ગુરૂભાઈ અને સાળો હોવા છતાં ગુરૂપ્રેમી અર્જુને તલવાર ઉગામી હતી! શ્રીકૃષ્ણ પરમપિતા હોવા છતાં ભક્તનાં ભગવાન ન બનતા સખા બનીને રહે છે.

પોતાના વખાણ, પ્રચાર કે પ્રસાર ગુરૂએ જાતે ન કરવા પડે પણ તેના વાણી, વર્તન, આચરણમાં એકસુત્રત્વ, સાચા મુલ્યો અને સાચી નીતિ, આંતરિક સુંદરતા જ વ્યક્તિને આપોઆપ ગુરૂ બનવા તરફ પ્રેરે છે. અહી કોઈ ગુરૂનો વિરોધ નથી.. કહેવાતા કે આપોઆપ બની બેઠેલા ગુરૂના નામે ચાલતા પાખંડ અંગે સહુએ વિચારવું રહ્યું. કોઈપણ વ્યક્તિને ઉદ્ધાર કે પતન તરફ દોરનાર તેના પોતાના કર્મો જ છે. કોઈ અન્ય વ્યક્તિ તેમાંથી છોડાવી શકતી નથી. પણ હા, એટલું ચોક્કસ કે સાચા ગુરૂ યોગ્ય દિશા તરફ લઈ જાય છે. સદગુરૂ મળવા એ સફળ જીવન માટે સૌથી અગત્યની બાબત છે. માત્ર ગુરૂપૂનમના દિવસે જ નહિ પણ કાયમ સદગુરૂએ બતાવેલ માર્ગે ચાલી, જીવનપથ ઉજ્જવળ બનાવીએ. સારાસારની વિવેકબુદ્‌ધિ રાખી, સાચા ગુરૂને ઓળખીએ અને તેની આજ્જ્ઞાનું પાલન કરી ભવસાગર પાર ઉતરીએ. એ જ સૌથી મોટી ગુરૂદક્ષિણા કે ગુરૂવંદના છે. દરેક સજીવમાં રહેલા પરમાત્માને ગુરૂ માની, સાચા જીવનનું જ્જ્ઞાન મળે તેવી શુભેચ્છાઓ સહ તમામ ગુરૂગણને શત શત વંદન.....

જાગૃતિ વકીલ. ભુજ.

jrv7896@gmail.com

વાંચે સખી રી..

જાહન્વી અંતાણી - વડોદરા.

jahnviantani@gmail.com

વાંચે સખી રી..

‘નહન્યતે’

મૈત્રેયીદેવી

અનુવાદ - નગીનદાસ પારેખ.

‘નહન્યતે’ એક બંગાળી નવલકથાનો આ ગુજરાતી અનુવાદ છે. દરેક સ્ત્રીઓએ જરૂર વાંચવા જેવો. પ્રેમ ક્યારેય હણાતો નથી., મરતો નથી એ હંમેશા અમર રહે છે. પ્રેમ અવિનાશી છે. સ્ત્રી એ માનવજગતનું અતિ સંવેદનશીલ પાત્ર છે. એ પોતાના પ્રેમને ક્યારેય વિસરી શકે નહિ. પણ છતાંય જયારે સાંસારિક જવાબદારીઓ અને સામાજિક બંધનોને તોડી શકતી નથી, એથી એ પ્રેમને એક ખૂણામાં ધરબી દે છે. અને સમયનું ચક્ર ફરતા કોઈ એવું ચક્ર આવે છે કે એ પ્રેમ ફરી ખૂણામાંથી સળવળાટ કરીને ઉભો થાય છે....

સમયના તકાજાને કારણે એ પ્રેમને દર્શાવી શકાતો નથી. અને ઉભું થાય મન અને મગજ વચ્ચે વિચારોનું તુમુલ યુદ્ધ ! બસ, આ ‘નહન્યતે’ની નાયિકા કવિયત્રી અમૃતા એ જ અનુભવે છે. મુગ્ધાવસ્થામાં થયેલ પ્રેમને એ પ્રૌઢાવસ્થામાં હોય છે ત્યારે ફરી એ જ પ્રેમનો અહેસાસ અનુભવે છે અને સર્જાય છે આ નવલકથા...’નહન્યતે’.

તત્વજ્જ્ઞાની પિતાને ૧૬ વર્ષની પુત્રી અમૃતા પર ખુબ વહાલ અને ગર્વ છે. ૧૬ વર્ષની ઉમરે તે બંગાળીમાં ખુબ પરિપક્વ કવિતાઓ લખતી સમજતી. એને કવિતા સિવાય બીજું કઈં ગમતું જ નહિ. અમૃતા શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુર પાસે પણ જતી, અવારનવાર ત્યાં કવિતાનું પઠન પણ કરતી અને એનું પઠન ગુરૂ રવીન્દ્રનાથને ખુબ ગમતું. અમૃતાના પિતા ભારતીય સંસ્કૃતિના ૨૩ વર્ષના બલ્ગેરિયાના વિદ્યાર્થી મિર્ચા યુકિલડને પોતાને ઘરે લાવે છે. એને રહેવાની અગવડ હોવાથી પોતાના ઘરમાં ભોયતળીયે રૂમ કાઢી આપે છે. અમૃતાના પિતાને શરૂઆતમાં મિર્ચાના જ્જ્ઞાનને લીધે એના પર ખુબ માન, અને પોતાના હોશિયાર શિષ્ય તરીકે ગર્વ હોય છે. એ શાંતિનિકેતનમાં જતા ત્યારે, લાઈબ્રેરીમાં, પોતાના ઘરમાં બધેજ મિર્ચાને સાથે રાખતા. મહિનાઓ બાદ પિતાને ખબર પડે છે કે મિર્ચા અને અમૃતાને પ્રેમ છે! એક વખત અમૃતા, એની બહેન શાંતિ, સાવિ અને મિર્ચા બધા સાથે બહાર જાય છે ત્યારે સાવિની નાદુરસ્ત તબિયતને કારણે એને ત્યાં તકલીફ થાય છે અને ઘરે આવી જાય છે. પરંતુ અમૃતાને ખબર નથી હોતી અને સાવિ, અમૃતા અને મિર્ચાનાં ત્યાં જોયેલા વર્તનની વાત તેની મા ને કરે છે અને.. એ થકી પિતા પાસે વાત પહોચે છે.. એ જ વખતે મા તેને છેક ઉપરના રૂમમાં લઈ જાય છે અને બધું પૂછે છે.. પરંતુ અમૃતા એ વખતે તો આ પ્રેમ કહેવાય એ બાબતે પણ અજાણ હોય છે એટલે સમજી શકતી નથી! બીજે જ દિવસે સવારે એની મા કહે છે કે ઉપરની અગાસીમાંથી જ જોઈ લે મિર્ચા ઘર છોડીને જઈ રહ્યો છે. માત્ર એને તને જોવી છે, એવી એની ઈચ્છા છે.. એને સમજાતું નથી અને એ એને જોવે છે. એ ભાન ભૂલી જાય છે. તેના મા અમૃતાને સાથ આપવા તૈયાર થાય છે પરંતુ પિતાને મંજુર નથી હોતું. એ મિર્ચાને ઘરબહાર કાઢી મુકે છે.. બસ પછી... વાર્તામાં ૧૯૩૦ના અમુક ઐતિહાસિક પ્રસંગોનું ચિત્રણ.

વાર્તામાં ઉપરની બધી જ વાત ૧૯૭૨ની સાલમાં અમૃતા યાદ કરીને જીવે છે એ રીતે વર્ણવી છે. મિર્ચાના ગયા પછી એ પણ ધીમે ધીમે સ્વીકારી લે છે. ઘરનું વાતાવરણ પણ થોડું બદલાય છે. પિતાના જીવનમાં એમની મદદનીશ તરીકે રમા નામનું પાત્ર આવે છે અને માની લાચારી અમૃતા જોઈ નથી શકતી. આ ઘર એને મન હવે સહ્ય નથી થતું. એ ગમે તેમ કરીને પરણવા માંગે છે અને યુવકને જોયા વગર એ પોતાનાથી ઉમરમાં ૧૪ વરસ મોટા, પિતા અને મા કહે છે એવા છોકરાને પરણી જાય છે. નસીબજોગે એ પાત્ર સારૂં નીકળ્યું અને ૩૮વરસ સુધી જે સંસાર રચ્યો એમાં કોઈ જ ત્રુટી નહોતી...

પછી આવે છે.. એના એક જન્મદિને ૧ સપ્ટેમ્બરે ૧૯૭૨ના મિર્ચાનો શિષ્ય સેરગેઈ! અને સર્જાય છે ભૂકંપ.. સેરગેઈને મળવા જાય છે. અમૃતાને જાણવા મળે છે કે મિર્ચા એ પોતાની ચોપડી દ્વારા એને પરીકથાની નાયિકા બનાવી છે.. એ શરમાઈ જાય છે એના ભર્યાભાદર્‌યા કુટુંબમાં.. પુત્ર, પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીથી ભરેલા કુટુંબમાં બધા શું સમજશે? આવું કેમ કર્યું? એણે બીજું શું દર્શાવ્યું છે પરીકથામાં? આવી મુંઝવણો થાય છે.. અને ઘરે આવે છે, પછી અવારનવાર એ જાણે ૧૯૩૦ના સમયકાળમાં પહોચી જાય છે, અવારનવાર એનો પુત્ર-પુત્રવધુ લેખા એને પૂછે છે, “મા, શું મૂંઝવણ છે? તમે કેમ કોઈ ને કઈ કહેતા નથી? તમારે કોઈ એવું નથી કે તમે એને કહી શકો?” અમૃતા શું જવાબ આપે!! આમ વાર્તામાં સ્ત્રીના મનોભાવ ખુબજ સુંદર રીતે વ્યક્ત થયા છે. સ્ત્રીએ શું પોતાનો ભૂતકાળ યાદ કરી જ ન શકે? એના બાળકો મોટા થયા પછી એને શું એના મુગ્ધાવસ્થાનું જીવન ભૂલી જવાનું? ભૂલી જવાનું એ કરતાં ય ગમે તેવા સંજોગો અને જવાબદારીઓ અને સામાજિક બંધન વચ્ચે પણ શું સ્ત્રી પોતાનો પહેલો પ્રેમ અને લાગણી ભૂલી શકે છે??? સ્ત્રી એ ભૂલી શકે જ નહિ.. એજ તો વાર્તાનું શીર્ષક કહે છે.. ‘નહન્યતે’ જેને ક્યારેય હણી શકાતું નથી..

જે અવિનાશી છે.. એ પ્રેમ જીવનમાં ગમે ત્યારે આવી પહોંચે છે, પછી અમૃતા પોતાના પતિને બધી વાત કરે છે અને એમના પતિ મીર્ચાને મળવા માટે મોકલે પણ છે.

આખી વાર્તા જ હું કહી દઈશ તો સખીઓ, તમે વાંચશો શું..? એટલે બાકીના માટે તમારે પુસ્તક હાથમાં લેવું જ રહ્યું. છતાંય એક-બે લાઈન ટાંક્યા વગર રહી શકતી નથી. “પુત્રવધુ લેખા, આંખો લાલ જોઈ દુખવા આવી છે શું, દવા મુકું? એમ પૂછે છે. બેતાળીસ વરસ પહેલા મિર્ચાની ઓરડીમાં ફૂલ ફેંકીને ચાલી જતી અને પાછળથી સંભળાયેલી ‘અમૃતા!’ ‘અમૃતા!’ - બુમમાંથી અચાનક જાગીને તે ‘મા, મા, મા,’ એવી છોકરાની બુમ સાગરના સામે છેડેથી જાણે સાંભળે છે અને જુએ છે તો હાથ ટેલીફોન ઉપર છે, ઘંટડી વાગી રહી છે પણ હાથ જૂઠો પડી ગયો છે. લેખા કહે છે, ‘સુવા ચાલો.’ અમૃતાનો જીવ સોરાયા કરે છે અને ક્યાંય ચાલ્યા જવા તલસે છે.’

કેટલી બધી વેદના, કેટલું બધું દર્દ, કેટલો બધો તલસાટ..! તડપન, સ્ત્રી પોતાના નાજુક હૃદયમાં સમાવી શકે છે. આવું તો કેટલું બધું પુસ્તકમાં વાર્તામાં અનુભવાય છે. આ બધું વાંચવા અનુભવવા જરૂર નવલકથા વાંચશો..

જાહન્વી અંતાણી. વડોદરા..

jahnviantani@gmail.com

હેય, વ્હોટસેપ..!

ગોપાલી બુચ - અમદાવાદ.

gopalibuch@gmail.com

હેય, વ્હોટસેપ..!

પ્રતિભા ઠક્કર - એડવોકેટ, એક તેજતરાર વ્યક્તિત્વ.કાણાને કાણો કહેતા ખચકાય નહી; એવું કહુ તો ચાલે. તેમને માટે એમ કહી શકાય કે “યુંહી કોઈ મિલ ગયા થા,સરે રાહ ચલતે ચલતે.” એમનો પરિચય થયો સીધો ફૅસબુકમાં જ. અને ત્યાંથી શરૂ થયેલી યાત્રા અહી "હેલો સખીરી’ સુધી લઈ આવી.

એમ.એ.એલ.એલ.બી.ડી.ઈન જર્નાલીઝમ (બહાઉદ્દીન કોલેજ, કોમર્સ એન્ડ લો કોલેજ, જુનાગઢ.)ના અભ્યાસને અંતે પ્રેક્ટીસિંગ એડવોકેટ (ભાવનગર ડી.કોર્ટ) તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો પણ મૂળ મ્હાયલોતો સ્ત્રી સમાનતા અને સ્ત્રી સશક્તિકરણનો જીવ. અન્યાય અને અસમાનતા ક્યાંય પણ સહન થાય નહીં એટલે હોદ્દા પણ એવા જ પસંદ કર્યા જ્યાંથી અન્યાય સામે અવાજ કરી શકાય.

* પ્રમુખ - શ્રમિક સંઘ લેબર યુનિયન.

* એક્સ.મેમ્બર ઓફ જેઈલ કમિટી એન્ડ ચિલ્ડ્રન કોર્ટ.

* ઉપ-પ્રમુખ - ગુજરાતી લેખક મંડળ.

જરા ત્રીજા હોદ્દા માટે નવાઈ લાગે.પણ સાહિત્યકારની વ્યાખ્યાથી પર રહીને એમણે ઘણું ખેડાણ આ ક્ષેત્રમાં પણ કર્યું છે. નવાઈ લાગી એટલે પુછી જ લીધું કે વકીલને વળી ભાષા સાથે વાટકી વહેવાર? અને પ્રતિભા બહેનનાં મુખેથી શબ્દો સરી પડયા જે અક્ષર સહ અહીયા મુક્યા છે.

પ્રતિભા બહેનઃ

"કોણ જાણે કઈ રીતે શબ્દો આકારિત થઈ ગયા,

મેં લખ્યું સુરજમુખીને અજવાળું અજવાળું થઈ ગયું."

માનાં હાલરડાંની સાથેજ અને થોડા મોટા થયા પછી બ્રેક્ફાસ્ટની જેમજ કવિતા મળી છે. સવારમાં બા અને મોટી બહેનને કવિતા ગાતા સાંભળ્યા છે. તો નાનીમા અને દાદીમા પાસે કથા વાર્તાઓ સાંભળી છે, વાંચી છે. આમ કવિતા અને વાર્તાઓ સાથેનો નાતો ગળથૂંથીથી જ જોડાઈ ગયો. સાથોસાથ વાંચન તરફની અભિરૂચિને કારણે ગાંધીયુગના સાહિત્ય ઉપરાંત ’મેક્સીમ ગોર્કી’ની ’મધર’ના ગુજરાતી અનુવાદ ’મા’એ ખુબજ પ્રભાવિત કરી.

ગોપાલીઃ વાંચનમાંથી લેખન તરફ કઈ રીતે વળ્યાં?

પ્રતિભા બહેનઃ સમાજશાસ્ત્રની વિદ્યાર્થીની હોવાના નાતે માનવીના સામાજિક સંબંધોના અભ્યાસનો વિષય રસ પૂર્વક રહ્યો અને અભ્યાસકાળ દરમિયાન જ ’ફૂલછાબ’ દૈનિકથી લખવાની શરૂઆત કરી. સામાજિક પ્રશ્નોમાં વધુ રસ હોઈ ‘લૉ’ના અભ્યાસ બાદ વકીલાતની પ્રેક્ટીસ શરૂ કરી. વકીલાતનો વ્યવસાય સમાજ જીવન સાથે સંકળાયેલ છે. આપણી આસપાસ જીવાતા માનવ સંબંધો, સંવેદનાની મૂળ વાત સાથે સ્ત્રીઓની વેદના, વિલંબિત ન્યાય, કોમી વેરઝેર, ધર્મનાં નામે થતા ધતિંગ, રાજકારણીઓનાં ઠઠારા અને આ બધાની વચ્ચે સમસ્યાથી ઘેરાયેલ પ્રશ્નાર્થ ચિન્હ સાથે લઈ ફરતો અને મુંઝાતો સામાન્ય માનવી.. સમાજનો આ આયનો જોયો. થોડું કોર્ટ કમ્પાઊંંડની ઘટનાઓ - કેસો.. અને ૨૦૦૮માં મારો લઘુકથા સંગ્રહ ’પઝલનો માણસ’ પ્રકાશિત થયો. જેમાં એક લઘુકથા’ સ્ત્રીઆર્થ’ છે કે જેમાં એક સ્ત્રી કહે છે કે, એક સ્ત્રી કે એક મા, કે જેની ફરજ માટે કે પ્રયત્ન માટે ’પુરૂષાર્થ’ શબ્દ વપરાય ખરો? શું હું આ દેશ કે જ્યાં જગદંબાના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે એ દેશમાં મારી મહેનત માટે ’પુરૂષાર્થ’ શબ્દને બદલે ’ સ્ત્રીઆર્થ’ ન વાપરી શકું? અને હું આ શબ્દનાં સર્જન પછી એના વ્યાપની મથામણમાં પડી, અને એ દરમિયાન મને ગમતી વ્યંગ શૈલીમાં મેં એક વ્યંગ કાવ્ય સંગ્રહ ’વ્યન્ગીસ્તાન’ પણ પ્રકાશિત કર્યો.

ગોપાલીઃ આ "સ્ત્રીઆર્થ" શબ્દ કઈક નવો લાગ્યો! ક્યાંથી આવ્યો એ શબ્દ? એના વિશે થોડી વધુ વાત કરીએ?

પ્રતિભબેનઃ જો આપણે સામાન્ય રીતે વિચારીએ તો પણ.. એક છોડ વૃક્ષ બને છે ત્યારે આપણી નજર સમક્ષ માટી, ખાતર, પાણી, સૂર્ય પ્રકાશ વગેરેની ભાગીદારી એક સાથેજ જોવા મળે છે, તો માણસનાં જીવનચક્રમાં આવું કેમ? સ્ત્રી-પુરૂષનું સમાંતર મૂલ્યાંકન કેમ નહિ? માણસના જીવનના દરેક તબ્બકે સર્જનથી માંડી સમગ્ર દૌરમાં.. અલબત્ત સર્જનમાં તો સ્ત્રીનો ફાળો અતિ મહત્વનો, બહોળો અને મુલ્યવાન છે, તો પછી આમ કેમ? આપણી સંવેદના, સમજ, વ્યક્ત કરતી ભાષામાં પછીતે પૂર્વની હોય કે પશ્ચિમની કેટલી ઊંંડી ખાઈ જોવા મળે છે ’માણસ’ શબ્દના અર્થને પુર્લીન્ગમાં જ સમજાવાય છે. તો સ્ત્રીની મહેનત માટે પણ ’પુરૂષાર્થ’!!! ભેદની આ ચરમ સીમાને અવગણી તો ન જ શકાય.. આંગળીને વેઢે જોવા મળતી આધુનિકતાથી આપણે સમાનતાના નશામાં ઝૂમી તો ન જ શકીયે. એટલે જ શબ્દથી પણ પરિવર્તનમાં ભાગીદારી કરવા જરૂરી એવો ’સ્ત્રીઆર્થ’ શબ્દ મને સુજી આવ્યો.

ગોપાલીઃ તમે હમણાં એક પુસ્તક પ્રકાશિત કર્યુ, એનું નામ પણ ‘સ્ત્રીઆર્થ’ છે? શેના પર આધારિત છે એ પુસ્તક?

પ્રતિભા બહેનઃ "સ્ત્રીઆર્થ" શબ્દના વ્યાપ અંગેના વિચારોથી જ પ્રેરાઈ મેં વ્હોટસએપ ગ્રુપમાંથી મારા સહીત ૨૧ સ્ત્રી લેખકોને પસંદ કરી એક વાર્તા સંગ્રહ તૈયાર કર્યો અને એનું શીર્ષક જ ‘સ્ત્રીઆર્થ’ રાખ્યું. જેમાં એડવોકેટથી માંડી ડોક્ટર, પ્રોફેસર, એન્જીનીયર, કેટરર અને હોમ મેકર સ્ત્રી લેખકોની સંવેદના અને શક્તિનો પરિચય થશે. મારા આમંત્રણને માન આપી આમાંથી કેટલીક બહેનોએ પ્રથમ વખત જ વાર્તા પર હાથ અજમાવ્યો છે પણ વાર્તા મજબૂત રીતે નીખરી છે. દરેક લેખક કવિ પણ હોઈ દરેકની વાર્તા સાથે કાવ્ય પંક્તિ પણ ખરી. આમ, સહજ રીતે જ રેગીસ્તાન બનતા જતા આપણા ભાવ જગતને ઢંઢોળવાનો પણ આ પ્રયાસ છે. જીવન ચક્રની અંદર ઉંચાનીચા ચગડોળમાં હિંચતી, ફંગોળાતી સ્ત્રી જગતની વાતો અભિવ્યક્તિ આ વાર્તાઓમાં છે, આ વાર્તામાંથી પસાર થનારને, વાંચનારને ક્યાંક પોતાની તો ક્યાંક પોતાની આસપાસની દુનિયા ચોક્કસ ડોકાશે. એ દુનિયાને દિલ અને દિમાગથી સમજવાની કોશિશ અમારી અને તમારી બંને માટે આનંદદાયક રહેશે તો મેં કરેલો આ ‘સ્ત્રીઆર્થ’ સફળતાને આંબશે મારી આ સફરમાં મારી સહ લેખિકાઓ ઉર્વી અમીન, નંદીની શાહ મહેતા, હેતલ શાહ વગેરે બહેનોનો પણ ઘણો જ ફાળો છે, જે મને ‘સ્ત્રીઆર્થ ભાગ - ૨’ તરફ લઈ જઈ રહ્યો છે અને અમને આશા છે કે, અમે જલ્દી આ વાત લઈને તમારી સમક્ષ આવીશું.

ગોપાલીઃ તમારા આ યોગદાન અને અન્ય સાહિત્યિક પ્રવૃત્તિમાં સોશિયલ મિડિયાનો ફાળો કેટલો?

પ્રતિભાબહેનઃ સોસીયલ મીડિયા દ્વારા જ તો અમે બધા સાથે મળેલા છીએ, જેમાં આં. રા. મહિલા દિને અમે વિવિધ શહેરોમાંથી બહેનો મળેલ અને કવયિત્રી સંમેલન કરેલ જેમાં ગોપલી બુચ, સ્મિતા શાહ, શશીકલા ધંધુકિયા, રક્ષા શુક્લ વગેરે એ ભાગ લીધેલ.

ગોપાલીઃ સોશિયલ મિડિયાનો ગેરફાયદો શું? એનાથી બચવા શું કરી શકાય ?

પ્રતિભાબહેનઃ સોસીયલ મીડિયામાં જો તમે બેધ્યાન રહો તો તમારી કૃતિ કોપી પેસ્ટ થઈ ઘણા પોતાના નામે ચડાવી દે છે. અલબત્ત ચોરીની આ માનસિકતા દરેક વખતે નવોદિતો કરે છે એવું પણ નથી, મોટા નામ ધરાવનારાઓ પણ આમાં બાકાત નથી રહેતા અને બીજાનું સર્જન શરમ વગર પોતાના નામે અંકે કરી લેતા હોય છે, આ બહુજ શરમ જનક વાત છે પણ આની સામે એક માત્ર ઉપાય હાલ હાથવગો ખરો કે તમે ગુજરાતી લેખક મંડળ દ્વારા કોપી રાઈટ મેળવી લો.

માત્ર કળા ખાતર કળા નહિ પણ સામાજિક પ્રતિબદ્ધતાને પણ કેન્દ્રમાં રાખીને પણ કામ કરતા પ્રતિભાબહેનને "હેલ્લો સખી રી"ના અભિનંદન.

ગોપાલી બુચ. અમદાવાદ.

gopalibuch@gmail.com

રૂગ્ણાલયઃ

ડા. ગ્રીવા માંકડ - અમદાવાદ.

info@homeoeclinic.com

રૂગ્ણાલયઃ

વર્ષાઋતુમાં જો સ્વાસ્થ્ય બગડે તો...

આહલાદક વર્ષાઋતુ આવી ગઈ છે ત્યારે આ ગમતીલી ઋતુમાં ઉભી થઈ શકતી નાની-મોટી સમસ્યાઓ પર જ એક નજર નાખીયે.. વર્ષાઋતુ તો જાણે ઈશ્વરીય સાક્ષાત્કાર સમી છે! નાના ભૂલકાથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામને મન વર્ષાઋતુ તો પ્રિય હોવાની જ, પરંતુ આ મજા ત્યારે છીનવાય છે જયારે આ સિઝનમાં આપણી તબિયત બગડે છે. ચોમાસું આવે છે એ સાથે સાથે આબોહવામાં કેટલાય ફેરફાર લઈ આવે છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવું, દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં તડકો ન રહેવો. જેથી ખોરાક-પાણી દૂષિત થઈ જવા, ગંદકી વધી જવી વગેરે જેવા પરિબળોને લીધે ઘણા બધા પ્રકારના વાઈરસ, બેકટેરીઆ કે અન્ય સુક્ષ્મ જીવાણુઓનો ઉપદ્રવ ખૂબ સહેલાઈથી વધી જાય છે. એમાય વળી જેમની પ્રતિકારશક્તિ ઓછી હોય એલોકો તો તુરંત જ બીમારીનો ભોગ બની જાય છે. માટે જ ‘ચોમાસામાં ચેતવું’ એવી સલાહ આપણા વડીલો દ્વારા અપાતી રહેતી હોય છે. અહી આપણે ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળતી સમસ્યાઓ વિષે સમજીશું.

૧. શરદી-ઉધરસ તથા તાવ આવવોઃ જે ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાઈરસના ચેપને પરિણામે હોય છે. જેમાં નાક દદડવું, આંખોમાંથી પાણી નીકળવા, ખૂબ વધારે માત્રામાં ઉધરસ થવી, શરીર તૂટવું, થાક લાગવો તેમજ તાવ આવવો વગેરે જેવા લક્ષણો દ્વારા જોવા મળે છે. એમાય વરસાદમાં પલળ્યા હોઈએ, લાંબો સમય સુધી એ ભીના કપડા જ શરીરને અડકેલા રહે અથવા સતત એઅર કંડીશનર સામે જ બેસી રહીએ તો આવા વાઈરસ જલદી લાગૂ પડી જાય, અને પાછો બીજાને ચેપ પણ સહેલાઈથી લગાડી દે.

૨. મલેરિઆ થવોઃ આપણે સહુ જાણીએ છીએ એમ મલેરિઆ ફેલાવતા જંતુ ગંદા પાણીમાં ઉપદ્રવ પામે છે. જેમાં પણ ઠંડી પડીને તાવ આવવો, શરીર તૂટવું, થાક લાગવો, માથું દુખવું વગેરે લક્ષણો જોવા મળે છે. ચેપના જંતુ લઈ જનાર માખી જો કોઈ બીજાને કરડે તો એને પણ મલેરીઆનો ચેપ લગાડી દે છે. બંધિયાર પાણીમાં જંતુ ફેલાતા હોઈ જો ઘરમાં પાણી સ્ટોર કરવાની આદત હોય તો એવા વાસણોને ખાસ કરીને ઢાંકેલા રાખવા.

૩. ટાઈફોઈડ થવોઃ ૫ દિવસથી પણ વધુ સમયથી તાવ આવવો, માથું દુખવું, પેટમાં દુખવું કે ઝાડા થઈ જવા જેવા લક્ષણો હોય તો ટાઈફોઈડનો ચેપ લાગ્યો એમ સમજી શકાય. હા, લેબોરેટરી તપાસ કરાવી લેવી હિતાવહ છે. બહારનું કે લારીનો ખુલ્લો મુકેલો કે વાસી ખોરાક ખાવાથી આ પ્રકારે ટાઈફોઈડ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે થોડી વધુ કાળજી રાખી ઘરે શક્ય હોય તો સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને જ ખાઈ લેવું જેથી બહારનું ટાળી શકાય. ઉપરાંત, ઉકાળેલું પાણી જ પીવું.

૪. હિપેટાઈટીસ છ થવોઃ ચોમાસામાં ખૂબ સામાન્ય રીતે ફેલાતો હિપેટાઈટીસ છ (વાઈરસજન્ય) પણ ચેપી રોગ છે, જે પણ બહારનું કે ઘરનું દૂષિત થયેલ ખોરાક કે પાણી મારફતે ફેલાય છે. જેમાં પણ લક્ષણો સ્વરૂપે તાવ આવવો, શરીર તેમજ સાંધા દુખવા, ભૂખ ન લગાવી તેમજ કઈ ખાવાની ઈચ્છા ન થવી, ઉબકા ઉલટી થવા અને પેટમાં દુખાવો થવો તથા ખાસ કરીને આંખોનો સફેદ ભાગ, ચામડી તથા નખો પીળાશ પડતા થઈ જવા (જેને આપણે કમળા તરીકે ઓળખીએ છીએ). ટાઈફોઈડની જેમ હિપેટાઈટીસ છ પણ દૂષિત થયેલ ખોરાક પાણી ખાવાનું ટાળવાથી ટાળી શકાય છે, ઉપરાંત, ઉકાળેલું પાણી જ પીવું.

૫. ઝાડા થઈ જવાઃ દૂષિત થયેલ ખોરાક કે પાણીને લીધે જયારે ઝાડા થાય છે તેને આપને સામાન્ય ભાષામાં ‘ફૂડ પોઈઝનીગ’ તરીકે સમજીએ છીએ. જેમાં ખૂબ વધારે પ્રમાણમાં પાતળા ઝાડા થતા હોય છે, સાથે ઉબકા કે ઉલટી તેમજ પેટમાં દુખાવાની સમસ્યા પણ રહેતી હોય છે. જેથી શરીર વાટે પાણી પુષ્કળ પ્રમાણમાં નીકળી જતા, પાણીનું નિયમન ખોરવાતા ડીહાઈડરેશન થવાનો ભય રહે છે. આવા સમયે પૂરતી માત્રામાં થોડા થોડા સમયાંતરે ઉકાળેલું પાણી તથા અન્ય લિક્વીડઝ જેમકે નાળીયેર પાણી, ફ્રૂટ જ્યુસ કે લીંબુ પાણી, દાળનું ગાળેલું પાણી વગેરે લેતા રહેવું. ઝાડા તેમજ પેટનો દુખાવો પણ બંધ થઈ જાય એ પછી જ ધીરે ધીરે સેમી સોલીડ અને ત્યારપછી જ રોટલી વગેરે આહાર લેવો.

૬. ચામડીની સમસ્યાઃ ચોમાસામાં આપણા શરીરનું તાપમાન ખાસ કરીને ઘટતું હોવાથી તેમજ ભેજયુકત પવન તથા વરસાદને લીધે પણ ત્વચા થોડી વધારે જ જાળવણી માંગી લે છે. ભીના કપડા લાંબો સમય શરીરને અડકેલા રહ્યા હોય તો એકને તેમજ બેક્ટેરિઅલ ઈન્ફેકશન તુરંત જ થઈ જાય છે. ઉપરાંત, દાદરની સમસ્યા આ ઋતુમાં ખુબ વધારે જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું તથા ચામડીને સદે એ પ્રકારના ફેઈસ વોશથી દિવસમાં બે વાર ચહેરો સાફ કરવો એ આપણી ત્વચા માટે ખૂબ જરૂરી છે.

ચોમાસામાં સામાન્ય તકેદારીના પગલાઃ ઘરમાં મોસ્કીટો રેપેલ્લન્ટનો ઉપયોગ કરવો; બહારનો ખુલ્લો ખોરાક ન લેવો. ઘરનું જ સ્વચ્છ તેમજ સ્વસ્થ ભોજન લેવું; ઉકાળેલું પાણી પીવું; ઘર તેમજ આજુબાજુનો વિસ્તારમાં ચોખ્ખાઈ રાખવી. ઘરની કચરાપેટી પણ ખાસ ઢાંકેલી રાખવી.

- ડો ગ્રીવા માંકડ - અમદાવાદ.

info@homeoeclinic.com

અનુભૂતિ

કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ.

kunjkalrav@gmail.com

અનુભૂતિ

ધગધગતી લોઢી, ચૂલે ચડી હોય. પવાલીમાંથી આંગળાં ઝબોળી પાણીનો તેના પર છંટકાવ થાય ત્યારે કેવો ‘છમ્મ’ અવાજ આવે છે! એમ ઉનાળાનો ધોમધખતો તાપ સહ્યા પછી જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે ધરતીમાં ગજબનો ઉકળાટ ઉભો થાય છે. ભેજ, બાષ્પ બની વાતાવરણમાં ભળે. એકલદોકલ વરસાદે માંડ આબોહવામાં ટાઢક પ્રસરે. શુષ્ક ધરણીનાં ગર્ભમાં વરસાદી અમી છાંટણાંનો સુખકારક સમન્વય થાય. કૂણી કૂપણો ફૂટે, સગળું હરિયાળું થાય. ચોમેર લીલોતરી છવાય અને નૈસર્ગીક વાતાવરણ રળીયામણું બને! આહ! કેટલી સુખદ અનુભૂતિ!

આ કલ્પના માત્રથી જાણે આખા વર્ષનો થાક ઉતરી ગયો. વર્ષાઋતુને અમથી ઋતુઓની રાણી કહી હશે? એનો વટ્ટ અને વગ ઘટે એમ નથી. કેટલાં ય મનામણાં કરવા પડે છે; ક્યારેક તો કાકલૂદી કર્યા પછી પણ માંડ રીઝાય છે. ક્યાંક વરૂણદેવને પૂજવા હોમહવન થાય તો ક્યાંક વર્ષાગીતોની સૂરાવલીઓ રેલાતી હોય છે. બસ, સૌનાં મનમાં એનાં આગમનની વાટ જોવાતી હોય.

આપણો દેશ સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે. સૌ જાણે છે એમ કુદરતે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓને સરખે ભાગે ન્યાયી વરદાન બક્ષ્યું છે! તેમ છતાં દરેક જગ્યાને પોતાની આગવી લક્ષણીકતા હોય એમ બધે જ એક સરખો ટાઢ-તાપ નથી પડતો એમ વરસાદ પણ ન આવે.

શું જરૂર આ વરસાદની?

ભારત ખેતીપ્રધાન દેશ છે. આ ત્રીજાં ધોરણથી શીખ્યાં છીએ. ફક્ત ખેડૂતોની જીવાદોરી વરસાદ પર જ નિર્ભર છે એવું નથી. ધાન હશે તો સૌ ખાઈને ધન્ય થઈ શકશે ને?! જમીનનું સુયોગ્ય બંધારણ અને એની રસાતળનું સંતુલન ખોરવાય નહીં એ પણ જોવું રહ્યું. નહેર, સિંચાઈ કે ડેમની વ્યવસ્થા એ એક વૈજ્જ્ઞાનિક નિવારણ છે. પરંતુ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે વરસાદ અનિવાર્ય છે.

ઈ.સ.ના કેલેન્ડરમાં તો દર ચાર વર્ષે એક દિવસ વધે. આપણાં ગુજરાતી પંચાંગમાં તો ત્રણ વર્ષે એક આખો માસ ઉમેરાય! ‘દુકાળમાં જ અધિકમાસ’ કહેવત પડી છે ત્યારે પેટમાં શેરડો પડે કે આ વર્ષે ધનારત માસમાં દુષ્કાળ તો જાહેર નહીં થાય ને? ક્યાંક માઝા મૂકીને ત્રાટ્‌કશે તો ક્યાંક પવનવેગે પાછીપાની કરીને, કોરી ધરાને તરસાવશે આ વરસાદીયો! આમ જ, સખી જીજ્જ્ઞાષા બહેને વરસાદ સાથે સરસ કાવ્યાત્મક રીતે મીઠો ઝગડો કર્યો છે. જે વાંચવાની મજા આવી જાય તેવું છે.

જીજ્ઞાષા ઓઝાઃ

કોને કરૂં ફરિયાદ, આવે તારી આજ મને રે યાદ,

હાથતાળી દઈ છટકી ગયો તું, લુચ્ચા ઓ વરસાદ!

બા’વરી થઈને દોડી સીમમાં, શેઢે દીધો સાદ,

વાદળી ઢૂંકડી જોઈને માગ્યો, મેં મારો પરસાદ!

ગયો તું ક્યાં છટકી.......લુચ્ચા ઓ વરસાદ!

વાદલડીને વિનવું હવે જો સાસરિયાં કોર,

પિયરીયામાં બહુ રહી; તું આવ ધરાની ઓર!

નેવલાં સુનાં, ડૂસકે ચઢિયાં કર એને આબાદ,

રૂમઝુમ રૂમઝુમ વરસી એને આપ અનેરો નાદ!

ગયો તું ક્યાં લસરી.......લુચ્ચા ઓ વરસાદ!

કૂંજે કૂંજે ભમી આવી હું, જોયું ઘટાની પાર;

માટી તરસે મહેકવા, આવ અષાઢી અસવાર!

બાલૂડાંએ નાવડી રાખી સઢ બાંધી તૈયાર,

મોર, પપીહા, કોકિલ, દાદૂર માંગે તારી દાદ!

ગયો તું ક્યાં ભટકી....... લુચ્ચા ઓ વરસાદ!

તરછોડાયેલ નાર લાગે તું વરસ અનરાધાર,

લીલૂડી ચુંદલડી ઓઢશે, ઝરણાં બાંધશે પાદ!

અવનિ આજે થઈ અધિરી, આપે ઈજન અગાધ,

સાત રંગનો સાફો પહેરી, સુગંધની લૈ સોગાદ!

આવી જા ઝટ રે ફરી........વ્હાલૂડા ઓ વરસાદ!

***

વાંચનની શોખીન અને શબ્દોની અસરદાર પકડ ધરાવતી સખી એંજલે વરસાદી વાતાવરણની ખુબ સરસ અનુભૂતિ લખી મોકલી છે.

એંજલ ધોળકિયાઃ “વરસાદ” ચાર અક્ષરનો આ ઉત્સવ એટલે તન-મનથી ભીંજાવાની ઘટના! ખેડૂત, પ્રેમી, કવિ, ચિત્રકાર, ગાયક કે બાળક વરસાદની વાછંટથી મલકાય નહીં એવું ન બને. સમય સાથે લોકો દરેક ઉત્સવો અને ઋતુઓ ‘ચેટ-બોક્ષ’માં ઉજવતા થયા છે ત્યારે વરસાદમાં દાળવડાં અને ભજીયાંની જયાફત માણવા વાળો વર્ગ હજી જીવંત છે. ઘર, પગાર અને ગાડીઓ મોટી થઈ છે અને સાથે સાથે લોકોના મન તથા નિજાનંદ ઘટ્‌યા છે. સોશીઅલ નેટવર્કીંગ અને ઈ-મેઈલ ના વર્ચ્યુઅલ વર્લ્ડમાં હજી પણ ક્યાંય ભીની માટીની સુગંધ અટેચ કે અપલોડ નથી થઈ શકતી!

વરસાદમાં રેઈનકોટ અને છત્રીને બાજુમાં મૂકી ભીનાં થવું એ એક એવો લ્હાવો છે જે લાખોના ખર્ચે બનેલા વોટર પાર્ક કે લગ્ઝુરીયસ શાવર નથી આપી શકતા. વરસાદમાં કાદવની ચીડ અને ભેજની ફરિયાદ કરી બળાપો ઠાલવતા વ્યક્તિ પ્રત્યે દયાભાવ રાખજો. કદાચ આ સિમેન્ટેડ જગતમાં વ્યાપ્ત કોઈ સિમેન્ટમણિનો એ શિકાર હોય! બની શકે તો એને વરસતા વરસાદમાં મકાઈ ખાવા લઈ જી અને વટાળપ્રવૃત્તિનો પ્રયત્ન પણ કરી લેવો! રખેને એનામાં જીવન પ્રવેશ થાય! વરસાદી મૌસમના ગાળામાં મારૂં એકાદ દિવસનું ગાબડું હોય જ છે! તમે પણ ટ્રાય કરજો કોઈ દિવસ!

“નથી જાવું કોઈનાય કામ પર; વરસાદ તારા નામ પર!”

***

ઝરમર મેહની ઋતુમાં બધું જ જાણે અણીશુધ્ધ ચોખ્ખુંચણક થઈને નવતર ઓપ લે છે. ન વધુ ગરમી કે ન જાજી ઠંડી, માફકસરની ઋતુ. પશુપક્ષીઓ માટે પણ આ સંવનનનો કાળ છે. એક સરસ મજાનું ઝાપટું પડી ગયું હોય પછી પક્ષીઓનાં કલરવની સુસંવાદિતા સાધતાં વૃક્ષોનાં પાદડાંઓમાંથી સરકીને ટપકતાં ટીપાંને એકીટશે જોયા જ કરવાનું મન થાય. અસ્ખલિત વરસતો વરસાદ પ્રેમીયુગલોને માટે પણ પ્રિય અવસર હોય. એકમેકમાં પરોવાઈને કાનમાં હૂંફાળો સાદ કરીને કહે,

“તું પડયા કરે મુશાળાધાર; ‘ને હું જીલું સાંબેલાભેર!”

બીજી તરફ વરસાદી માહોલમાં અતિવૃષ્ટિ જેવું સર્જાય તો? સૌ કોઈનાં કામકાજ ઠપ્પ થઈ જાય. બાળકો/વિદ્યાર્થીઓની શાળા/કોલેજોમાં રજા પડી જાય. કલાકો સુધી વિજળી ગુલ્લ! ખાડા - ખાબોચીયાં અને સડકો પર ઉતરી આવેલ પાણી અને વાહનોનો શોર.. રસ્તાનાં કિનારે વસેલ ઝૂંપડપટ્ટીની વસાહતોની મુશ્કેલીઓ બમણી થાય. ક્યારેક ઘરો/મકાનોમાં પાણી ઉતરી આવે. આહ! કેટલું વિકટ દ્રશ્ય! ખોરવાયેલ જનજીવન માંડ થાળે પડે!

નવપલ્લવિત સ્વચ્છ અને મુશ્કેલી ભરી વરવી એમ બંન્ને સ્થિતીમાંથી એક યા બીજી રીતે પસાર થવાનું આવે. કુદરતનાં ભાથામાં શું સમાયું છે એ તો જે તે સમયે જ ખ્યાલ આવે. હા, હોનારતો ન થાય એની અગમચેતી તેકેદારી ચોક્કસથી રાખી શકાય.

એક વાત સ્વીકારવી જ રહી, આ આહ્‌લાદક ઋતુને વિના સંકોચે માણી લેવી. ફૂંક મારીને પીવી પડે એવી ગરમાગરમ મસાલેદાર ચ્હા, ભજીયા, મકાઈ કે પછી ગોઠણ સુધી કપડાં ઊંંચા કરી પાણીમાં ધીમાં ડગલે ચાલવાની જાહોજલાલી ભોગવી લેવાની તક જતી ન જ કરવી..! ચાતક નજરે મેહૂલિયાને આવકારતાં મનમાં જ ગાયા કરવું, “મારૂં ચોમાસું ક્યાંક આસપાસ છે..”

કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ.

kunjkalrav@gmail.com

સાતમી ઈન્દ્રીય

ડોલી ઠક્કર છાયા - ગાંધીધામ.

dolly_thacker18@yahoo.com

સાતમી ઈન્દ્રીય

હું, ડોલી ઠક્કર છાયા.. qualification Architect Awt..

પાંચ વરસનો અભ્યાસ અને પછી પાંચ વરસની ટ્ઠિષ્ઠૈંષ્ઠી બાદ આપ સહુ સાથે આ રસપ્રદ અને સર્જનાત્મક ક્ષેત્ર ની થોડી વાત જરટ્ઠિી કરી રહી છું.. મેં હમેંશાથી અનુભવ્યું છે કે ઈશ્વરનું શ્રેષ્ટ સર્જન, "સ્ત્રી" અને આ ક્ષેત્રની પ્રકૃતિમાં બહુ સામ્યતા છે. જે એક સ્ત્રીને સારી શિલ્પકાર બનાવે છે.

Architecture એટલે શિલ્પકલા. Buildingમાં જીવ પુરવાની કળા. આપણી સૃષ્ટિના Architect એ પણ એક સુંદર નિર્માણ કર્યું છે અને એ છે "સ્ત્રી." કુદરતે સ્ત્રીને બહમુલ્ય વરદાન આપ્યું છે કે એ નિર્માણ કરી શકે, એક સ્ત્રી કે જે નવા જીવનું નિર્માણ કરે છે! આપણી સંસ્કૃતિમાં ગૃહસ્થીના શુભારંભ ને ઘર વસાવ્યું એમ કહેવાય છે, જયારે એ ઘર વસાવનાર જ ઘર બનાવે છે ત્યારે સોના માં સુંગંધ ભળી જાય છે...ગૃહ સુશોભન હોય કે નિર્માણ, સ્ત્રીની કોઠાસૂઝ ગજબની હોય છે! નાનપણથી મમ્મીને જોઈ છે એ ઘર હમેશા બહુ સરસ સજાવે, ગોઠવે; જે જગ્યા જોઈને એવું લાગે કે આ જગ્યામાં તો આટલો સામાન સમાઈ જ ન શકે ત્યાં એ ખુબ સહજથી ગોઠવી દેતી! જો કે સહજતાથી સમાઈ જવું એ સ્ત્રીની પ્રકૃતિ છે, ને એટલે જ એ ખુબ સહજતાથી એક સાથે બે કુળ તારી જતી હોય છે...!!

એક સ્ત્રી તરીકે હમેશ અનુભવ્યું છે કે જે ઘરમાં રહું એ ઘરને સરળ બનાવા ૂેટ્ઠઙ્મૈકૈષ્ઠટ્ઠર્ૈંહની સાથે એક અનુભવ કે અનુભૂતિની વધારે જરૂર હોય છે. સાચું કહું તો સારૂં ઘર "ઘર વસાવ્યું" પછીથી બનાવતી થઈ! સ્ત્રીની લાગણીશીલતા એને મકાનની જરૂરિયાત બહુ સારી રીતે સમજાવી દે છે. પછી એ મકાન ઘર હોય કે જષ્ઠર્રર્ઙ્મ,ર્ કકૈષ્ઠી, િીજંટ્ઠેટ્ઠિહં કે ર્રજૈંટ્ઠઙ્મ. એ બહુ સારી રીતે જરૂરિયાતો સમજી શકે છે. કેમ કે એ દ્બેઙ્મૈં ંટ્ઠજૌહખ્ત હોય છે! કારણ કે એક સ્ત્રી જ ખુબ સહજતાથી ઘર, પરિવાર, બાળકો, પતિ તદુપરાંત બહારના કામકાજ નિભાવી શકે છે. એ એની સહજ પ્રકૃતિ છે.

Architecture fieldમાં તમારે કડિયાથી માંડી electrician, plumber, p.o.p consultancy, carpenter etc. દરેક ક્ષેત્રના કારીગરો સાથે કામ લેવાનું હોય છે અને બધાને એક જુટ રાખી એક મકાન બનાવાનું હોય. જેમ ઘરના દરેક સભ્યોને એક રાખી એક પરિવાર બનાવતી હોય છે. અને એટલે જ હવેથીArchitecture Fieldમાં સ્ત્રીઓનો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને હવે સ્ત્રીઓ પણ Architecture Fieldનું સૌથી અમૂલ્ય પરિતોષ "PRITZKER PRIZE"ની વિજેતા બની ચુકી છે."ZAHA HADID" અને "KAZYO SEJIMA" આ ખિતાબની વિજેતા બની ચુકી છે. ૨૦૧૦માં "SHELIJA SHRI PRAKASH" પ્રથમ ભારતીય છે. જેમને "WORLD ECONOMIC FORUM'S DESIGN COUNCIL"માં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ પ્રથમ ભારતીય મહિલા છે જેમણે પોતાની "Architecture Firm" સ્થાપિત કરી હતી. એની કલ્પનાશીલ અને સર્જનાત્મક પ્રકૃતિ મકાનના નિર્માણની પાયાની જરૂરિયાત બની રહે છે. સર્જન કરવું એની પ્રકૃતિ છે, સ્ત્રી ખુબ સારી શિલ્પકાર બની શકે છે.

ડોલી ઠક્કર છાયા. ગાંધીધામ.

dolly_thacker18@yahoo.com

લૉ પંડિત

શ્લોકા પંડિત - અમદાવાદ.

shlokapandit@gmail.com

લૉ પંડિત

ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં બારી પાસે એષા ગુમશુમ બેઠી હતી, ઊંંડી ઉતરી ગયેલી આંખો, વિખરાયેલા વાળ, શરીર પ્રત્યેની બેફિકરાઈથી તે ઉદાસ લાગતી હતી. તેની મમ્મી પાસે જ બેસેલી હતી તેમણે કહ્યું, “બેટા ચિંતા નાં કર, જે થવાનું હતું તે થયું હવે તો સ્થિતિ સામે લડવું જ રહ્યું.”

એષાનાં લગ્ન ૨ વર્ષ પહેલા મુંબઈ રહેતા રાહુલ સાથે થયા હતા, સારૂં કુટુંબ જોઈને પરણાવી હતી દિકરીને. સમય જતાં સાસરીયાનો ત્રાસ વધવા લાગ્યો. અધૂરામાં પુરૂં રાહુલ પણ શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો એટલે એષાનાં માતાં-પિતા તેને લઈ આવ્યા પાછા અને પછી રાહુલે મુંબઈથી છૂટાછેડા મેળવવા કેસ કર્યો એટલે કાયદાનાં અજ્જ્ઞાન તેવા મા-દિકરી જઈ રહ્યા હતા મુંબઈ.

તે લોકોની વાતચીત સાંભળી રહેલા તેમની જ સામે બેસેલા એક બહેને તેમને પૂછ્‌યું કે તમને વાંધો ન હોય તો હું તમારી હકીકત જાણી શકું? મારૂં નામ એડવોકેટ અલકા શાહ છે અને હું એક સ્ત્રી અને એક વકીલ તરીકે કાયદાની બાબતે તમારી મદદ કરી શકું તો મને ખુશી થશે.

એષાએ તેની હકીકત કહી અને જણાંવ્યું કે મેડમ આ બાબતે અમે એકદમ જ અજ્જ્ઞાન છીએ. અલકાબેને કહ્યું કે જો હિન્દુ મેરેજ એક્ટની કલમ ૧૩-અ હેઠળ પતિ અથવા પત્ની બંન્નેમાંથી કોઈ પણ પક્ષકાર છૂટાછેડા મેળવવા અરજી કરી શકે. તે દાખલ કરવા માટેની જગ્યાઓમાં જ્યાં લગ્ન થયા હોય તે સ્થળ, અથવા બંને પક્ષકાર છેલ્લે જ્યાં સાથે રહ્યા હોય તે સ્થળ, અને જો કેસ દાખલ કરનાર પત્ની હોય તો તે જ્યાં રહેતી હોય તે સ્થળેથી દાખલ થઈ શકે.

એષા એ પૂછ્‌યું, “મેડમ એવાં કયાં-કયાં કારણોસર છૂટાછેડા મળી શકે? વકિલ સાહેબાએ કહ્યું કે બંન્નેમાંથી કોઈપણ પક્ષકારે વ્યાજબી કારણ વગર પતિ અથવા પત્નીનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય, બંન્નેમાંથી કોઈપણ માનસિક અસ્થિર હોય અથવા કોઈ અસાધ્ય ગુપ્ત રોગથી પીડિત હોય, બંન્નેમાંથી કોઈપણ પક્ષકારને બીજા કોઈ સાથે લગ્નબાહ્ય સંબંધ હોય, કોઈને પણ શારીરિક, માનસિક, સામાજિક ત્રાસ હોય તો છૂટાછેડા મળી શકે. આ ઉપરાંત સ્ત્રીને કેસ ચાલતા દરમિયાન હિંદુ મેરેજ એક્ટ ની કલમ-૨૪ હેઠળ પતિની આવક નાં ૧/૩ સુધીનું વચગાળાનું ભરણપોષણ તથા કલમ-૧૨૫ પ્રમાણે પત્નીને તથા જો બાળક હોય તો તેને પણ ભરણપોષણ મળી શકે. જો પતિ ભરણપોષણનાં ભરવા માટે દંડ સ્વરૂપે જેલમાં પણ જાય તો પણ ભરણપોષણ તો ભરવું જ પડે, તેનાથી મુક્તિ ન જ મળે! જો સ્ત્રી બીજા શહેરમાં રહેતી હોય તો બિલ રજુ કરવાથી આવવા-જવાનો, રહેવા-જમવાનો ખર્ચ પણ મળી શકે.

માહિતી જાણ્‌યા બાદ એષા એ કહ્યું, “પણ જેની આર્થ્િાક સ્થિતિ સારી ન હોય તેનું શું? બીજું એ કે મારે રાહુલને છૂટાછેડા ન આપવા હોય તો?” અલકાબહેને કહ્યું કે તેના માટે જે તે કોર્ટમાં લીગલ એઈડમાં અરજી આપવાની એટલે કોર્ટ તરફથી જ વિનામૂલ્યે વકીલની સહાયતા મળે અને જો તારે છુટ્ટા ન થવું હોય તો આ જ કાયદાની કલમ-૯ હેઠળ લગ્ન જીવનનાં હક્કો પુરા કરવા તથા પુનઃસ્થાપન માટે અરજી કરી શકે અને જો બંને પક્ષકારની સહમતિ હોય તો હિન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩-બી હેઠળ સહમતિથી છૂટાછેડાની અરજી કરી શકાય. સામાન્ય રીતે આવા કેસ સમાધાનથી જ પતે છે અને એ જ સમાજ માટે સારૂં છે!

લડી-ઝઘડીને વર્ષો બગાડીને પણ જો છુટ્ટું જ પડવાનું હોય તો બેટર એ છે કે સહમતીથી અલગ થઈ જવું. જો બાળક હોય તો તે કોણ રાખે એ પણ બંને સહમતીથી નક્કી કરી શકે અથવા કોર્ટનાં ઓર્ડર પ્રમાણે થાય. સામાન્ય રીતે બાળક નાનું હોય તો તેને માતા પાસે જ રાખવાના ઓર્ડર થતા હોય છે. સિવાય કે બાળકને પિતા પાસે મોકલવા માતાની સહમતી હોય. આમ જો સમાધાન થતું હોય તો સૌથી સરસ અને જો ન થાય એમ હોય તો આપણા કાયદાઓ ઘણું સારૂં રક્ષણ પણ આપે છે. એટલે એષા તારે ચિંતા કરવાની જરૂર નથી. એષા અને તેની મમ્મીને ખુબ જ શાંતિ થઈ અને મન પરથી ભાર હળવો થઈ ગયો તેવું લાગ્યું. આમ, કાયદાથી ડરવાની જરૂર નથી. કાયદો હંમેશા ઢાલ નું કામ કરે છે.

શ્લોકા પંડિત. અમદાવાદ.

shlokapandit@gmail.com

સૂર, શબ્દને સથવારે..

સૌમ્યા જોષી - રાજકોટ.

jsaumya762@gmail.com

સૂર, શબ્દને સથવારે..

આપણા દેશમાં વર્ષા ઋતુ એટલે ઉત્સાહ, ઉમંગ અને ઉન્માદની ઋતુ. બળબળતા તાપમાં શેકાઈને ત્રસ્ત બનેલી સૃષ્ટિ પર, વરસાદનાં ફોરાંનો જાદૂઈ સ્પર્શ થાય અને ચપટી વગાડતા જ આખું ચિત્ર બદલાઈ જાય છે. વરસાદમાં સરાબોળ નહાઈને સ્વચ્છ બનેલી અવનિનું બદલાયેલું રૂપ, જીવમાત્રને પ્રસન્નતાથી ભરી દે છે. કવિઓ અને સાહિત્યકારોને તો આ એમની પ્રિય ઋતુ! આપણા આદિકવિ કાલિદાસ અને જયદેવે તેમની કૃતિઓમાં કરેલા વર્ષાનાં સર્વશ્રેષ્ઠ વર્ણનો, આપણી સાંસ્કૃતિક વિરાસતના અમૂલ્ય રત્નો સમાન છે. ત્યારબાદ પણ સમયે સમયે કવિઓ અને સાહિત્યકારોએ અવનિ પરની આ સર્વશ્રેષ્ઠ ઋતુનાં મેઘધનુષી રંગોને, પોતાની કલ્પના અને કલમના સહારે અનેકવિધ સ્વરૂપે આલેખ્યા છે.

આ મેઘધનુષી રંગોને કચકડે મઢીને હિંદી સિનેમાના પડદે પણ કેટલાયે મધુર, યાદગાર ગીતો રચાયા છે. આમ તો, આપણા ફિલ્મી ગીતો માનવીય સંવેદનાઓ પર વધુ આધારિત રહ્યા છે. પણ પ્રકૃતિ, ચાંદ, તારા, મોસમ જેવા રૂપકોને લઈને પણ અનેક યાદગાર ગીતો આપણને ફિલ્મોમાંથી મળ્યા છે. આ ગીતોમાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે, કુદરતી સૌંદર્યને શબ્દોમાં પરોવીને રચાયેલા ગીતોમાં, વર્ષા પર લખાયેલા ગીતો સૌથી વધુ પ્રભાવી રહ્યા છે. એટલું જ નહીં, સંગીતકારોએ પણ આ ગીતોને પૂરેપૂરા સમર્પ્િાત ભાવથી સૂરોમાં પરોવ્યા છે. તો ગાયકોએ પણ આ ગીતોને ગાવામાં, એનો મિજાજ બરકરાર રાખવામાં કોઈ કસર બાકી નથી રાખી. મોટાભાગના વરસાદી ગીતો પ્રણયની નાજુક અનૂભૂતિને વ્યક્ત કરતા, ઉલ્લાસ અને ઉમંગથી ભર્યા ભર્યા મસ્તીખોર ગીતો છે. તો કેટલાક ગીતોમાં વિરહની તીવ્ર અનૂભૂતિ પણ છલકે છે.

૧૯૪૪ની ફિલ્મ ’રતન’માં રજૂ થયેલા સર્વપ્રથમ વરસાદી ગીત "સાવન કે બાદલોં....’ થી લઈને આજ સુધીમાં અનેક એવા ગીતો આવ્યા છે કે જેમાં વરસાદનો ઉલ્લેખ હોય, વરસતા વરસાદમાં ભીંજાતા પ્રેમી યુગલની પ્રણયભીની દાસ્તાન હોય કે પછી ચાતકની જેમ વરસાદની આતુર નયને રાહ જોતા જનસામાન્યનાં હૃદયની આરત હોય કે પછી મસ્ત વરસાદી મોસમમાં ઝૂમતાં નાચતા લોકોની ખુશીઓનો બુંદ બુંદ છલકતો ઉત્સાહ હોય! આવા ગીતોની યાદી બનાવવા બેસીએ તો, લગભગ મોટાભાગના ગીતકાર, સંગીતકાર, ગાયક, ગાયિકાઓના નામ આ યાદીમાં સમાવિષ્ટ થઈ જાય! આજે જે ગીતની વાત કરવી છે એ છે ૧૯૬૦ની ફિલ્મ ’પરખ’નું આ સદાબહાર ગીત...

"ઓ સજના બરખા બહાર આયી...

રસ કી ફુહાર લાયી... અખિયોં મેં પ્યાર લાયી.... "

અર્ધી સદીથી પણ વધુ સમય વીત્યો હોવા છતાં આજે પણ આ ગીતની મીઠાશ મનને અનેરી પ્રસન્નતાથી ભરી દે છે. એવું તે શું ખાસ છે આ ગીતમાં? એક તો, ઝરમર વરસતા વરસાદમાં સમગ્ર વાતાવરણમાં છવાયેલા આહ્‌લાદ વચ્ચે પોતાના પ્રિયતમને યાદ કરતી સીધીસાદી ગ્રામ્ય કન્યાની શાલિનતા અને કૌમાર્યને પોતાના અવાજના આરોહ અવરોહ વડે લતાજી આ ગીતમાં અત્યંત મધુરતાથી વ્યક્ત કરે છે. તો, વહેલી પરોઢે વરસેલા ઝાકળ બિંદુમાં નહાયેલા ફૂલોની તાજગી સમા લાવણ્‌યથી સભર એવી અભિનેત્રી સાધનાનાં રૂપમાં, સાદગી અને સૌન્દર્યનાં સંયોજનની એક વિશિષ્ટ આભા છતી થાય છે. અત્યંત ઋજુ ગીતકાર શૈલેન્દ્ર એ સહજ, સરળ પરંતુ અત્યંત નજાકત ભર્યા શબ્દોમાં વ્યક્ત કરેલા વર્ષા ઋતુના આહ્‌લાદને સંગીતકાર સલિલ ચૌધરીએ સિતારના સૂરોથી અદ્દભૂત રીતે સ્વરાંકિત કર્યો છે.

ફિલ્મ વિષે એક મજાની વાત. અત્યંત પ્રતિભાશાળી નિર્દેશક બિમલ રોય તેમની સંવેદનશીલતા, સૌંદર્યપ્રેમ અને શાલિનતા માટે પ્રસિદ્ધ હતા. ફિલ્મ ’પરખ’ના શૂટિંગ પર પહેલા જ દિવસે બિમલદા તેમની ફિલ્મની આ ખૂબસૂરત અભિનેત્રીને જોઈને એકદમ ગુસ્સે થઈ ગયા! બન્યું એવું કે, જે અરસામાં સાધનાએ ’પરખ’ સાઈન કરી, એ જ અરસામાં સાધનાની સૌપ્રથમ ફિલ્મ ’લવ ઈન શિમલા’ રજૂ થયેલી. આ ફિલ્મમાં સાધનાના લાંબા કપાળને ઢાંકી દેતી હેરકટ કે જે ’સાધના કટ’ તરીકે જાણીતી થયેલી, તે ખૂબ પ્રચલિત થયેલી. સાધના તેની આ પ્રખ્યાત કેશ સજ્જા સાથે જ ’પરખ’ના સેટ પર બિમલદાની સમક્ષ ઉપસ્થિત થઈ. ફિલ્મની સીધીસાદી ગ્રામ્ય યુવતીના પાત્ર માટે આવી ગ્લેમરસ હેર સ્ટાઈલ તો ન જ ચાલે ને. બિમલદા સાધના પર અત્યંત ગુસ્સે થયા. જો કે, સાધના બિમલ રોય જેવા મહાન દિગ્દર્શક જોડે કામ કરવા ખૂબ જ આતુર હતી અને આ મોકો ચૂકવા માંગતી ન હતી. તેથી તરત જ મેક અપ રૂમમાં જઈને સાધનાએ હેર સ્ટાઈલ બદલી નાખી અને હિંદી ફિલ્મ જગતની આ પ્રથમ ’ફેશન આઈકોન’એ, એક સીધીસાદી ગ્રામ્ય યુવતીના પાત્રમાં પોતાના બેમિસાલ સૌંદર્ય અને સહજ અભિનય થકી રૂપેરી પડદા પર ઈતિહાસ સર્જી દીધો! બિમલ રોય પણ સાધનાના અભિનયથી એટલા પ્રભાવિત થયા કે જ્યારે જ્યારે ’પરખ’ વિષે વાત થતી તો તેઓ સાધનાના અભિનયને નૂતન સાથે સરખાવતા. ’પરખ’ એ સાધનાની અભિનય કારકીર્દીની શ્રેષ્ઠતમ ફિલ્મ બની રહી.

જે રીતે અડાબીડ જંગલમાં કો’ અગોચર ખૂણે પડેલો સ્ફટીક, યુગો યુગો સુધી સ્વયં ઝળહળે છે, તે જ રીતે મનના કોઈ અજ્જ્ઞાત ખૂણે સંગ્રહાયેલા, સ્મૃતિમાં સચવાયેલા અને પોતાની મધુરપથી જીવનની અણમોલ સ્મૃતિઓને સ્વયં અજવાળતા આવા બીજા ગીતોની વાત ફરી ક્યારેક....

વરસાદી ઋતુના આગમન સાથે ગરમ ચ્હાની ચૂસ્કી સાથે કવિયત્રી સખી ભાર્ગવી પંડયાની એક ગઝલની મજા માણીયે.

ગામમાં વરસાદ જેવું છે કશુંક,

ચોતરફ ઉન્માદ જેવું છે કશુંક,

વાદળો કેવાં ઉમટે ત્યાં નભે,

રેશ્મી એક સાદ જેવું છે કશુંક.

ડોકિયું કરૂ આ સૂરજ ક્યાં ગયો?

આભમા અપવાદ જેવું છે કશુંક.

યાદ તારી હા, એમ ખૂંચ્યા કરે,

આંખમાં અવસાદ જેવું છે કશુંક.

આંગણાંનો ગુલમ્હોર જોયા કરૂં,

ગાઢ ધેધૂર યાદ જેવું છે કશુંક.

આપણો સંબંધ એમ છલકાઈ ગયો,

દૂર ગેબી નાદ જેવું છે કશુંક.

- ભાર્ગવી પંડયા.

સૌમ્યા જોષી. રાજકોટ.

jsaumya762@gmail.com