કર્મનો કાયદો ભાગ - 32 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 32

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૩૨

પ્રવૃત્તિ અને નિવૃત્તિ

કર્મમાર્ગ ઉપર પ્રવૃત્તિ અને નિવૃત્તિના તબક્કા આવે છે અને જાય છે. સમયાનુસાર માણસે કર્મમાર્ગમાં પ્રવૃત્ત અને નિવૃત્ત થતા રહેવું પડે છે. કારણ કે જેની પ્રવૃત્તિ હોય તેની નિવૃત્તિ અવશ્ય હોય છે; પરંતુ સ્મરણીય બાબત એ છે કે પ્રવૃત્તિને જ નિવૃત્ત થવાનું છે, કર્મને નહીં. કર્મથી નિવૃત્ત થવાનો કોઈને કોઈ મોકો નથી.

ઌ બ્દ્ય ઙ્ગેંબ્અદ્રક્રદ્ય્ક્રૠક્રબ્ પક્રભળ્ બ્ભડ્ઢઅસ્ર્ઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢઢ્ઢભૅ ત્ન

ઙ્ગેંક્રસ્ર્ષ્ટભશ્વ જઽક્રઃ ઙ્ગેંૠક્રષ્ટ ગષ્ટઃ ત્ઙ્ગેંઢ્ઢબ્ભપહ્મટક્રળ્દ્ય્ક્રશ્વષ્ટઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૫

શ્રીકૃષ્ણ કહે છે કે અહીં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકે. પ્રકૃતિના ગુણોથી પરવશ દરેકને જીવન છે ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે. શ્રીકૃષ્ણની આ વાત ખૂબ જ મહત્ત્વની છે. જો માણસ આ વાતનું હાર્દ સમજે તો આજના જમાનામાં દેખાતાં ઘણાં સ્ટ્રેસ અને ડિપ્રેશન (ઙ્ઘીિીજર્જૈહ) વગર દવાએ મટી જાય તેમ છે.

આજે માણસ પ્રવૃત્તિને બદલે કર્મ છોડવામાં પડ્યો છે, પરંતુ કર્મ તો જીવન રહેતાં છૂટે તેમ નથી. ખરેખર પ્રવૃત્તિ છોડવાની હોય છે, પરંતુ જ્યારે પ્રવૃત્તિના નામે કર્મ છોડવાના પ્રયાસો શરૂ થાય છે ત્યારે અવળા પ્રયાસોનાં અવળાં પરિણામ માણસને જ ભોગવવાં પડે છે.

ભારતમાં વિદ્યાશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ), ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ જેવી ચાર આશ્રમવ્યવસ્થાથી ઋષિઓએ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતો સમાજ નિર્મિત કર્યો હતો, પરંતુ કાળક્રમે તેની સમજણ લુપ્ત થઈ છે. નોકરીમાંથી રિટાયર્ડ થતો માણસ જીવનયોગ્ય નવી પ્રવૃત્તિ માટે રિચાર્જ થવો જોઈએ, તેના બદલે ટાયર્ડ અને રિટાયર્ડ થાય છે.

નોકરીથી રિટાયર્ડ થવું તે નોકરીની પ્રવૃત્તિથી રિટાયર્ડ થવું હોવાને બદલે મોટા ભાગના લોકો નોકરીથી રિટાયર્ડ થતાની સાથે જાણે જીવનનિવૃત્તહોય તેમ સમજે છે. વળી આપણો સમાજ પણ એવો છે કે તે પણ નોકરીની નિવૃત્તિને જીવનનિવૃત્તિમાં ખપાવે છે. સમાજ તેને જીવન નિવૃત્તિના વિચારો આપે છે. નોકરિયાતનો નિવૃત્તિસમારંભ કોઈ શોકસભાથી કમ નથી રહેતો.

હું એક શિક્ષકના નિવૃત્તિ સમારંભમાં ગયેલો. મને નિવૃત્તિ સમારંભનો અધ્યક્ષ બનાવ્યો હતો. એટલે મારે સૌથી છેલ્લે બોલવાનું હતું, પણ મારી પહેલાંના વક્તાઓએ સમારંભને જે રીતે શોકમગ્ન બનાવ્યો હતો તેમાં શું બાલવું તે કઠણ હતું. અમુક-અમુક વક્તાએ તો ‘ભગવાન તેમના આત્માને શાંતિ આપે’ ત્યાં સુધીની વાતો કરી દીધેલી ! બિચારા નિવૃત્ત થતા શિક્ષક જાણે દિવંગત બની ગયા હોય તેમ બેબાકળા બનીને સાંભળી રહ્યા હતા. લગભગ બધા વિશ્વામિત્ર જેવા વક્તાઓએ તેમને સદેહે સ્વર્ગ મોકલવાના પ્રયાસ કરીને તેમની હાલત ત્રિશંકુ જેવી કરી નાખી હતી. આપણો મોટા ભાગનો સમાજ પ્રવૃત્તિની નિવૃત્તિને કર્મનિવૃત્તિ સાથે સરખાવે છે, જે કારણે નિવૃત્ત થતો માણસ સમાજ તરફથી ડિપ્રેશન અનુભવે છે. પ્રવૃત્તિની નિવૃત્તિ હોય છે, કર્મનિવૃત્તિ નથી હોતી. જે લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિનો યથાયોગ્ય ભેદ નથી સમજતા તેમને શ્રીકૃષ્ણ આસુરી સ્વભાવના ગણાવે છે.

‘ત્ઢ્ઢઉંડ્ડક્ર ન બ્ઌઢ્ઢઉંડ્ડક્ર ન પઌક્ર ઌ બ્ઘ્ળ્થ્ક્રગળ્થ્ક્રઃ ત્ન

ટક્રટ્ટભક્ર : ૧૬-૭

શું પ્રવૃત્તિ કહેવાય અને શું તેની નિવૃત્તિ કહેવાય ? ક્યાં પ્રવૃત્ત થવું અને ક્યાં નિવૃત્ત થવું ? ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે નિવૃત્ત થવું ? કેમ પ્રવૃત્ત થવું અને કેમ નિવૃત્ત થવું ? - આવા પ્રશ્નો માણસની યોગ્ય બુદ્ધિ વગર અને સમાજના યોગ્ય માર્ગદર્શન વગર માણસને હેરાન કરી રહ્યા છે.

અભ્યાસ, નોકરી, ધંધો, સંબંધો, વ્યવહાર અને સંસારના તમામ પ્રપંચો એક પ્રવૃત્તિ છે. વખતે-વખતે માણસને તેમાં પ્રવૃત્ત થવું પડે છે. જેમાં પ્રવૃત્ત થયા હોઈએ તેને નિવૃત્ત પણ કરવું પડે છે, પરંતુ ક્યાં અને ક્યારે પ્રવૃત્ત-નિવૃત્ત થવું તે નિર્ણય જો બુદ્ધિગમ્ય ન હોય તો વ્યર્થ છે.

પાંચ વર્ષના નાના બાળકને હાથમાં દફતર આપી, માથે કુમકુમનો ચાંદલો કરીને નિશાળે બેસાડી અભ્યાસમાં પ્રવૃત્ત કરવામાં આવે તે યોગ્ય છે, પણ પચાસ વર્ષના આઘેડને હાથમાં દફતર સાથે માથે કુમકુમતિલકનો ચાંદલો કરીને નિશાળે બેસાડવો સારો ન લાગે, છતાં જે લોકો બાળપણમાં આ પ્રવૃત્તિ ચૂકી ગયા હતા તેમને સાક્ષરતા મિશનના નામે આજે પચાસ વર્ષે હાથમાં પાટી-પેન આપીને ભણાવવા પડે છે.

પચીસ વર્ષનો તરવરિયો યુવાન થોડે ચડીને પરણવા જાય તે શોભે છે, પણ કોઈ કબીર બેદી સિત્તેર વર્ષે ચોથા લગ્ન માટે તૈયાર થાય ત્યારે સગી દીકરીને પણ વાંધો પડે છે. પાંચ-સાત વર્ષનું બાળક રમકડે રમે ત્યાં સુધી સારું લાગે, પણ વીસ વર્ષનું થયા છતાં રમકડાં ન મૂકે તે ઢગો કહેવાય છે. ઘરમાં વહુ આવ્યા પછી વ્યવહારમાં સાસુઓ ચંચુપાત ન છોડે તો કજિયો કહેર વર્તાવે તેમાં નવાઈ નથી લાગતી, છતાં આપણા સમાજની સાસુમા પોતાનો તલભાર જેટલો વહીવટ છોડવા પણ રાજી નથી હોતી.

સવારના ચઢતા પહોરે સાસુમા મંદિરેથી ઘરે આવતાં હતાં. રસ્તામાં ગોરમહારાજ મળ્યા એટલે સાસુએ પૂછ્યું : “મહારાજ ! ક્યાંથી ?” મહારાજે કહ્યું : “જરા તમારા ઘરે લોટ માગવા ગયો હતો.” સાસુએ કહ્યું : “એમ ? શું લોટ આપ્યો મારી વહુએ ?” મહારાજે કહ્યું : “ના, હાથ સારા નથી એટલે ફરીને આવજો તેમ કહ્યું.”

ગોરમહારાજના મુખેથી વહુનો જવાબ સાંભળીને સાસુનો પારો ચડી ગયો. તેમણે ગોરમહારાજને કહ્યું : “અરે, મહારાજ ! તમને વહુથી ના પડાય જ કેમ ? ચાલો, મારી સાથે.” બિચારા ગોરમહારાજે કહ્યું : “જવા દો, માજી ! હું તો કાયમ આવું છું. ફરી આવીશ.” પણ સાસુ એકનાં બે ન થયાં. તેમણે કહ્યું : “સવાલ લોટનો નથી. આ સવાલ તો બહુ મોટો છે. આપણી સંસ્કૃતિનો સવાલ છે. તમે અત્યારે જ મારી સાથે ચાલો.” બિચારા ગોરને એમ કે જો લોટ મળતો હોય તો ચાલો, પાછા જઈએ. આપણે તો બીજા ઘરે પણ લોટ જ તો માગવો છે.

ગોરમહારાજ સાસુ સાથે પાછા આવ્યા. ગોર મહારાજ દરવાજે ઊભા રહ્યા અને રાહ જોતાં ‘નારાયણ હરે’ બોલ્યા ત્યારે અંદરથી સાસુમા પ્રગટ થયાં, સાસુએ કહ્યું : “જાઓ, મહારાજ ! કાલે આવજો.” મહારાજે કહ્યું : “માજી ! એ તો તમારી વહુએ પણ કહ્યું’તું !” સાસુએ કહ્યું : “હું એ જ તો કહેતી હતી કે વહુથી કેમ ના કહેવાય ? કોઈને લોટ આપવો કે ન આપવો એ નિર્ણય જો વહુ કરે તો આપણી સંસ્કૃતિથી વિરુદ્ધ જ કહેવાય. જાઓ, હવે હું તમને કહું છું કે કાલે આવજો.”

બિચારા ગોરમહારાજ ધરમનો ધક્કો ખાઈ આવ્યા. સ્ટોરી તો જૂની છે. હવે કોઈ ગોરમહારાજ લોટ માગવા નથી આવતા. તે સમય ગયો, પણ સાસુઓની ટેવ તો જેમની તેમ જ રહી છે. વહુએ ડ્રેસ પહેરવો કે સાડી પહેરવી ? ઘરમાં રિંગણાંનું શાક કરવું કે પછી બટેટાંનું કરવું ? મહિને શાકભાજીમાં કેટલા રૂપિયા ખર્ચાયા ? રસોઈમાં તેલ કેટલા લિટર વપરાયું ? લાઈટ બિલ કેટલું આવ્યું ? - આ બધી જ માથાકૂટોને માથે લઈને ફરતી સારુઓની નિવૃત્તિ જ નથી ઇચ્છતી ત્યારે કલહનાં બીજ રોપાય છે.

વખત આવ્યે પ્રવૃત્તિને નિવૃત્ત કરી દેવી જોઈએ, નહીંતર એક વખતની યોગ્ય પ્રવૃત્તિ પણ ગધ્ધાવૈતરું બની જાય છે. તુલસીકૃત ‘રામાયણ’માં યોગ્ય નિવૃત્તિને પણ નવધા ભક્તિ પૈકીની એક ભક્તિ ગણાવી છે.

ન્દ્દ ઘ્ૠક્ર ઽક્રટ્ટૐ બ્ખ્ક્રથ્બ્ભ ખ્ક્રદ્યળ્ઙ્ગેંૠક્રક્રષ્ટ, બ્ઌથ્ભ બ્ઌથ્ધ્ભથ્ ગરુપઌમૠક્રક્રષ્ટ ત્ન

ઘણા ધંધાઓ એવા છે કે જેમાં કોઈ રિટાયરમેન્ટ જ નથી હોતું. આપણે ત્યાં કહેવત છે કે દરજી જીવે ત્યાં સુધી સીવે. વકીલની વકીલાત, જિંદગીભરની હજામત. રામ જેઠમલાણી બાણું વર્ષે નરેન્દ્ર મોદીનો કેસ પણ લડે અને અમિત શાહનો પણ લડે, કેજરીવાલનો કેસ પણ લડે અને આશારામનો પણ લડે.

નેતાનું પેંતરું, છોડે નહીં વેતરું. જૂના જમાનાના નેતાઓ, ચૌધરી ચરણસિંહ, બાબુ જગજીવનરામ, સીતારામ કેસરી અને આજના લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, મોતીલાલ વોરા વગેરે જેવા અનેક રાજકીય નેતાઓ રિટાયરમેન્ટનું નામ જ ન લે. આપણા દેશમાં સાઠ વર્ષે મોટા ભાગના નોકરિયાતોને રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે, પણ આપણા રાજનેતાઓ તેમની ઇનિંગ પૂરી થયાનું સ્વીકારતા જ નથી.

૧૯૧૧થી બ્રિટનની સક્રિય રાજનીતિમાં જોડાયેલા વિન્સ્ટન ચર્ચિલ ૧૯૫૫ સુધી સક્રિય રહ્યા હતા. બે ટર્મ માટે બ્રિટનના વડાપ્રધાન રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય અપાવનાર ચર્ચિલની કન્ઝર્વેટિવ પાર્ટીને વિશ્વયુદ્ધ પછી પરાજય મળ્યો છતાં ઓપોઝિશન લીડર તરીકે તેઓ સક્રિય રહ્યા. પછીના ઈલેકશનમાં કન્ઝર્વેટિવ પાર્ટી ફરી સત્તા ઉપર આવી અને ચર્ચિલ ફરી વડાપ્રધાન થયા, પરંતુ ૧૯૫૩માં તેમને સ્ટ્રોકની બીમારી થઈ. તેણે ચર્ચિલને નિવૃત્તિનું મહત્ત્વ સમજાવી દીધું. ચર્ચિલે વડાપ્રધાનપદે ચાલુ હોવા છતાં નિવૃત્તિનું મન બનાવી લીધું, ૧૯૫૫માં જ્યારે તેમની ટર્મ પૂરી થઈ ત્યારે તેમણે રાજીનામું આપી તમામ રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ લીધી.

તેમના જીવનનો એક પ્રસંગ છે. નિવૃત્તિ બાદ એક સવારે જ્યારે તેઓ પોતાના બગીચામાં ફૂલછોડને પાણી પાઈ રહ્યા હતા ત્યારે એક પત્રકારે આવીને તેમને પ્રશ્ન કર્યો : “મિ. ચર્ચિલ ! બ્રિટનના હાલના વડાપ્રધાન તમારી નીતિઓ વિરુદ્ધ ઘણા નિર્ણયો લઈ રહ્યા છે જે માટે આપ શું કહેવા માગો છો ?” ત્યારે ચર્ચિલે કહ્યું : “માફ કરો, મેં રાજકારણ છોડી દીધું છે. તમે મને આ ફૂલછોડ સંબંધી પ્રશ્ન કરી શકો છો, પરંતુ સક્રિય રાજકારણના પ્રશ્નો નહીં. હવે હું સક્રિય રાજનીતિથી નિવૃત્ત છું. રાજકારણની તે સક્રિયતા હવે મેં આ ફૂલછોડ સાથે જોડી દીધી છે.”

માણસે પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું છે, કર્મથી નહીં, જેથી એક પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં કર્મને તુરંત બીજી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરી દેવું જરૂરી છે. જો તેમાં કોઈ અંતરાલ (ખ્તટ્ઠ) પડે તો માણસને જીવન અર્થહીન લાગતું થઈ જાય છે. માણસ ડિપ્રેશનનો ભોગ બને છે. જીવન નર્કાગાર બને છે. રિટાયર્ડ થયેલ વ્યક્તિની સ્કિલ (જીરૈઙ્મઙ્મ)નો સમાજ ઉપયોગ કરી શકે અને રિટાયર્ડ થયેલી વ્યક્તિ પોતાને અનુરૂપ પ્રવૃત્તિ મેળવતી રહે તે દિશામાં યોગ્ય કાર્યો થવાં જરૂરી છે. યોગ્ય પ્રવૃત્તિ અને યોગ્ય નિવૃત્તિ માટે ભારતમાં એક ક્રાંતિકારી જાગરણની જરૂર છે.

***