Karma No Kaydo - 6 books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો - 6

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

‘કર્મણ્યેવાધિકારસ્તે’

પંચમહાભૂતથી બનેલાં તમામ પદાર્થો, માણસો અને પશુ-પક્ષીઓ સહિતની ઉત્પત્તિનું કારણ પ્રકૃતિ છે. તેનું નિયમન અને અનુશાસન પણ પ્રકૃતિનું છે. બધાં કર્મો પ્રકૃતિ દ્વારા જ સંચાલિત થાય છે. જન્મ પણ તેનો એ મોત પણ તેનું. હાનિ પણ તે અને લાભ પણ તે. બાળપણ તેનું અને વૃદ્ધાવસ્થા પણ તેની. તો પછી માનવીના હાથમાં શું ? - તેવો સહજ પ્રશ્ન થયા વગર ન રહી શકે.

આ માટે શ્રીકૃષ્ણ કહે છે : ‘ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્શ્વક્રબ્મઙ્ગેંક્રથ્જીભશ્વ’ - કર્મમાં અધિકાર છે. પ્રકૃતિએ વ્યક્તિને બોલવાનો અધિકાર, ગંધ અનુભવવાનો અધિકાર, સ્પર્શ અનુભવવાનો અધિકાર, સાંભળવાનો અધિકાર, ચાલવાનો અધિકાર, દોડવાનો અધિકાર, બેસવાનો અધિકાર, સૂવાનો અધિકાર, મનથી ઇચ્છાઓ કરવાનો અધિકાર અને બુદ્ધિથી નિર્ણય કરવાના અધિકાર સહિત જીવન જીવવાનો અધિકાર આપેલો છે.

શ્રીકૃષ્ણ બહુ જ જાણી જોઈને શબ્દ વાપરે છે : ‘ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્શ્વક્રબ્મઙ્ગેંક્રથ્જીભશ્વ’ તમામ અધિકારોમાં તેની ફરજ પણ સાથે જ વણાયેલી હોય છે અને બધા અધિકારો તેમની મર્યાદામાં જ રહેલા હોય છે. જે વ્યક્તિ કર્મમાર્ગના આ અધિકારોની મર્યાદા અને ફરજને નથી જોતી તે અધિકારની સીમાને લાંઘી જાય છે અને પરિણામે જે પ્રકૃતિએ જ્યાં અધિકાર આપ્યો હતો ત્યાં જ ધિક્કાર મેળવે છે.

જો કોઈ કહે કે હું ગમે તેમ ખાઈશ અને ગમે તેમ બોલીશ, કારણ કે મને ખાવાનો અને બોલવાનો અધિકાર છે. આપણે વિચારી શકીએ છીએ કે આવી વ્યક્તિની શી હાલત થાય. ગમે તેમ ખાવાવાળાને થોડી જ કલાકોમાં દવાખાના-ભેગો કરવો પડે અને ગમે તેમ બોલનારાને પોલીસસ્ટેશન.

આપણે વિચાર કરીએ કે પ્રકૃતિએ બાળકને બોલવાનો અધિકાર આપ્યો છે. લગભગ દરેક બાળક બે-ત્રણ વર્ષમાં બોલતાં શીખી જાય છે, પરંતુ કેમ બોલવું, ક્યાં બોલવું અને શું બોલવું તેવી હકીકતોને સમજતાં માણસને ઘણાં વર્ષો વીતી જાય છે. કેમ બોલવું, ક્યાં બોલવું, ક્યારે બોલવું અને શું બોલવું તે બાબતો વ્યક્તિના અધિકારક્ષેત્રની બાબતો છે.

આપણા બંધારણે વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે, પરંતુ જે રીતે આપણા નેતાઓ તેનો ઉપયોગ કરે છે તે જોતાં તેમનાં મોં ઉપર તાળું મારવાનું મન થઈ જાય છે. વળી પહેલાં નિવેદન કરીને પાછા પોતાના જ નિવેદન અંગે ખેદ પ્રગટ કરતા તો જોવા મળે છે.

બંધારણમાં વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યા પછી દેશની સંસદે વાણીના દુરુપયોગને રોકવા હજારો કાયદાઓ રચવા પડ્યા છે. તેવી જ રીતે કર્મ-સ્વતંત્રતાનો અધિકાર આપ્યા પછી પ્રકૃતિએ અધિકારોનો દુરુપયોગ કરનારા માટે હજારો નિયમો બનાવ્યા છે. આ નિયમોનો બોધ મેળવ્યા વગર કર્મ કરનારાઓ પ્રકૃતિના નિયમોની જાળમાં એ રીતે સપડાય છે. જેમ કોઈ ગુનેગાર કાયદાની જાળમાં.

જેમ ઇંગ્લૅન્ડમાં અલિખિત બંધારણ અસ્તિત્વમાં છે, તે રીતે પ્રકૃતિનું બંધારણ પણ અલિખિતપણે અસ્તિત્વમાં છે. જેમ ઇંગ્લૅન્ડમાં આખરી નિર્ણય રાણીના હાથમાં રહેતો (હવે હાઉસ ઑફ લૉર્ડ્‌સ), તે રીતે પ્રકૃતિ તેના અલિખિત બંધારણમાં આખરી નિર્ણય પોતાની પાસે રાખે છે, તેથી કર્મમાં સ્વતંત્ર દેખાતી વ્યક્તિ કર્મના ફળ બાબતે સ્વતંત્ર નથી.

ખાવાનો માણસને અધિકાર છે અને જે ખાવું હોય તે ખાઈ શકે છે, પણ ખાધેલું પચાવવામાં માણસ પરતંત્ર છે, જેથી અધિકાર પચાવવાની બાબતથી પરતંત્ર થઈ જાય છે. જે ખાતા સમયે ધ્યાન નથી રાખતો તે પચાવવા સંબંધે હેરાન થાય છે, જેથી ખાવાની બાબતે જ વ્યક્તિએ પોતાના અધિકારક્ષેત્રને જાણી લેવું જરૂરી છે, પરંતુ ખાવાના શોખીનો અને ખાવાના લોભીઓ મન ભરીને ખાઈ લે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે.

મારા એક સ્નેહી હતા, જેમણે ખાવા બાબતે અમુક સૂત્રો નિર્મિત કર્યા હતાં. તેમનું પહેલું સૂત્ર હતું : ‘ઘરે ખાવું તે ઝેર ખાવું, પારકું અન્ન ભર-ઉદર ખાવું.’ તેઓ ગમે ત્યાં જાય. હોય તેટલી વાનગીઓ ખાય. વળી પોતાનો બચાવ કરતાં કહેતા : “જો આપણે ન ખાઈએ તો બનાવવાળાને ખોટું લાગે.” તેમની આવી આદતોથી જતે દિવસે તેમને હાઈપર એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબીટીસ થયાં હતાં. છતાં ખાવાની આદતો તો તેમની તેમ જ રાખી હતી. થોડા સમય પહેલાં જ બંને કિડની ફેલ થઈ જતાં ૫૯ વર્ષની વયે તેમનું અવસાન થયું.

અધિકાર તેના આપવાવાળાની મર્યાદામાં બંધાઈને રહે છે. પ્રત્યેક અધિકાર સિમીત છે. કોઈ પણ અધિકાર અબાધિત નથી હોતો. અબાધિત કહેવામાં આવતા અધિકાર પણ અબાધિત નથી હોતા, જેથી દરેક અધિકારને તેની મર્યાદામાં જ ભોગવવો જોઈએ, અન્યથા અધિકારોનું સીમા-ઉલ્લંઘન થાય છે અને ત્યાંથી જ કર્મોની મુસીબતોનો આરંભ થાય છે.

મારા ગામના એક વડીલ હતા. તેઓ રોજ કૉર્ટમાં આવતા. તેમનો કોઈ કેસ ન હતો અને કૉર્ટનું કોઈ કામકાજ પણ ન હતું. છતાં રોજ-રોજ બે-ત્રણ કલાક તેઓ કૉર્ટમાં ગાળતા. અમારા ન્યાયાધીશમહોદયે તેમને બે-ત્રણ વાર પૂછ્યું પણ ખરું : “દાદા ! કાંઈ કામ હોય તો બતાવો.” પરંતુ તે વડીલ “કાંઈ નહીં, સાહેબ ! અમસ્તા જ.” તેવા જવાબો આપીને કાંઈ કહેતા નહીં.

એક દિવસ મેં તેમને કહ્યું : “વડીલ ! મને લાગે છે કે તમે અમસ્તા તો નથી આવતા. તમારા આવવાનું પણ કોઈ ને કોઈ કારણ છે, કારણ કે કારણ વગર કાર્યનો જન્મ ન હોય. બતાવો કે તમે કયા કારણે રોજ-રોજ કામ વગર કૉર્ટમાં આવો છો ?”

મારો પ્રશ્ન સાંભળીને તેમણે મને કહ્યું : “વકીલ સાહેબ ! તમે મારા ગામના છો અને ગામભાણેજ છો એટલે તમને કહું છું. જુઓ, મારી ઉંમર અત્યારે ૭૮ વર્ષની થઈ છે. હું ભણવામાં તો ચાર ચોપડી જ ભણ્યો છું. હવે ખબર નથી કે મોત ક્યારે આવશે, પણ એક અદમ્ય ઇચ્છા અંતરમાં રહી જાય છે. જો તમે પૂરી કરાવી શકો તો કહું.”

મેં તેમને આશ્વાસન આપ્યું : “વડીલ ! તમે નિઃસંકોચ કહો. હું તમારી ઇચ્છા પૂરી કરવા મારાથી બનતા પ્રયાસો કરીશ.” મારા આશ્વાસન પછી તેમણે હળવેથી કોઈ બીજો ન સાંભળે તેમ કહ્યું : “જુઓ, તમને સામે ન્યાયાધીશ-સાહેબની મોટી ખુરશી દેખાય છે ?” મેં કહ્યું : “હા.” “બસ મારે તેના ઉપર એક દિવસ માટે બેસવાની ઇચ્છા છે.”

વડીલની વાત સાંભળીને હું પણ દંગ રહી ગયો. મનોમન થયું કે પોતાની જ ઇચ્છાઓ અહીં જન્મોજન્મ ભટકાવે છે ત્યાં કોઈની ઇચ્છાના ચક્કરમાં શા માટે પડવું જોઈએ ? પણ મારાથી કહેવાઈ ગયું હતું એટલે આશ્વાસનરૂપે પણ કાંઈક પ્રયત્ન કરવો જરૂરી હતો. ન્યાયાધીશ મહોદયશ્રી મારા મિત્ર જેવા હતા, એટલે મેં મિત્રભાવે તેમને કહ્યું : “સાહેબ ! આપણી કોર્ટમાં રોજબરોજ કામ વગર આવતા વડીલની મહેચ્છા કહો કે આખરી ઇચ્છા તે એક દિવસ માટે આપની ખુરશી ઉપર બેસવાની છે.”

ન્યાયાધીશશ્રી હસતાં-હસતાં કહેવા લાગ્યા : “તમે પણ ખરા છો ! તમારે મને નોકરીમાંથી વૉલન્ટરી રિટાયર્ડ કરાવવાની ઇચ્છા લાગે છે !” પરંતુ થોડી વાર પછી ખુદ ન્યાયાધીશશ્રીએ મને કહ્યું : “જ્યારે આપણી કોર્ટમાં ખાસ કામ ન હોય તેવા દિવસે તેમની ઇચ્છા પૂરી કરી દઈએ.”

આખરે એક દિવસ પસંદ કરીને વડીલને સમયસર આવી જવા કહ્યું. વડીલને ન્યાયાધીશનો કાળો કોટ પહેરાવીને ખુરશી પર બેસાડ્યા. ખાસ કોઈ કામ ન હતું. પરંતુ બે-ત્રણ પરચૂરણ કામોના પક્ષકારો કોર્ટમાં હાજર હતા. તે પક્ષકારોનો પોકાર કરીને વડીલ ન્યાયાધીશશ્રી સમક્ષ હાજર કરવામાં આવ્યા, પરંતુ પક્ષકારો અને પરચૂરણ કામના કાગળોને જોતાંની સાથે જ વડીલ ન્યાયાધીશશ્રીને પરસેવો વળવા લાગ્યો. ખુરશી ઉપર તો બેસી ગયા, પણ આગળ શું કરવું ? હું હાજર હતો. મેં કહ્યું : “વડીલ ! ગભરાશો નહીં. તમને જેવું આવડે તેવું કરો.” પરંતુ કરે પણ શું ? ચાર ચોપડીનું ભણતર અને કોર્ટ-કામગીરીને પ્રેક્ષક તરીકે જોવાનો અનુભવ શું કરાવી શકે ? પરસેવો લૂછતાં બે-ત્રણ ગ્લાસ પાણી પી ગયા અને મને બોલાવીને કહ્યું : “હવે મને નીચે ઉતારો !”

વડીલને ભીંસમાં આવતા જોઈને મારી ભીંસ હળવી પડી ગઈ હતી, તેથી મેં કહ્યું : “જુઓ, વડીલ ! હજી તો એક કલાક જ થયો છે. તમારી ઇચ્છા પ્રમાણે આજનો દિવસ તો તમારે જ કામ કરવાનું છે. તમને જે આવડે તે કરો, પણ આજનો દિવસ તમારે આ ખુરશી ઉપર જ ગાળવાનો છે.” તેઓ મારી વાત સાંભળીને ગળગળા થઈ ગયા અને કહેવા લાગ્યા : “હવે તો મને ચક્કર આવે છે ! મારી બધી ઇચ્છા પૂરી થઈ ગઈ છે ! હવે મહેરબાની કરો અને નીચે ઉતારો !” ન્યાયાધીશની ખુરશી પણ એટલી મોટી હતી કે વડીલ જાતે ઊતરી શકે તેમ ન હતા.

આખરે કલાક-સવા-કલાકમાં જ ન્યાયાધીશશ્રીની મોટી ખુરશીમાંથી તેમને નીચે ઉતાર્યા. ખુરશીમાંથી ઊતરતાંની સાથે વડીલ પલાયન કરી ગયા ને ફરીને ક્યારેય કૉર્ટમાં પાછા નહોતા આવ્યા.

જે સાચો અધિકારી નથી તેને અધિકાર શોભતો નથી. અધિકાર તેના સાચા અધિકારીને જ શોભે છે. વળી સાચા અધિકારીનો અધિકાર પણ તેના અધિકારક્ષેત્રથી બહાર જઈને નથી શોભતો. સાચા અધિકારીએ પણ તેને મળેલા અધિકારોને પોતાના અધિકારક્ષેત્રમાં જ ભોગવવા પડે છે.

અમારી કૉર્ટમાં એક ન્યાયાધીશમહોદય આવેલા, જેમને મફત છાપું વાંચવાની, મફતનાં શાકબકાલું અને ફૂટ લેવાની આદત પડેલી. મફતનું છાપું વાંચવા માટે તેઓ બસસ્ટૉપ સુધી સવાર-સવારમાં જ લુંગી પહેરીને જતા હતા. કૂતરાઓ પાછળ પડે, લોકો આંગળી ચીંધે, પણ કોઈની કોઈ પરવા કર્યા વગર તેમની મફતેચ્છાઓ પૂરી કરી લેતા.

એક દિવસ ફ્રૂટવાળાને ત્યાં જઈને કહ્યું : “જો, ભાઈ ! હું અહીંનો ન્યાયાધીશ છું. અહીંનો પી.એસ.આઈ. પણ મને સલામ મારે છે. તાલુકાનો મોટામાં મોટો અધિકારી હું છું - કહો કે હું અહીંનો રાજા છું, તેથી તારે રોજ મને થોડું ફ્રૂટ મફત આપવું પડશે.” બિચારો ફ્રૂટવાળો સામાન્ય માણસ હતો, તેથી રોજબરોજ મફત ફ્રૂટ આપવા લાગ્યો, પણ ન્યાયાધીશશ્રીની મહેચ્છાઓ પણ ઔર વધતી ગઈ. પહેલાં બે સફરજન મફત લેતા હતા તેને બદલે બે-બે કિલો સફરજન મફત મગાવતા થઈ ગયા.

આખરે ફ્રૂટવાળાએ કંટાળીને ના પાડી. ફ્રૂટવાળાની ના સાંભળીને ન્યાયાધીશશ્રી ખૂબ જ ચિડાઈ ગયા. તેમણે કૉર્ટમાં આવીને પોલીસમૅનને મોકલ્યો અને ફ્રૂટવાળા ઉપર એન.સી. ગુનો દાખલ કરાવ્યો. બિચારો ફ્રૂટવાળો ગભરાતો હતો. તે મને મળ્યો અને કહ્યું : “સાહેબ ! હું મુસીબતમાં મુકાયો છું !” મેં તેને કહ્યું : “જો, ભાઈ ! ગભરાવાની કોઈ જરૂર નથી. ન્યાયાધીશ રોજ તારે ત્યાંથી કેટલું ફ્રૂટ મફત લઈ જતા હતા ?” તેણે કહ્યું : “સાહેબ ! શું કહું ? પહેલાં તો એક-બે સફરજન લઈ જતા, પણ પછી તો બે-બે કિલો સફરજન, દ્રાક્ષ, સીતાફળ, કેરી - બધું જ મફત મગાવતા થયા, એટલે મેં ના પાડી.” મેં કહ્યું : “સારું થયું કે ના પાડી, કારણ કે સામાન્ય એન.સી. ગુનામાં વધુમાં વધુ દંડ એક્સો રૂપિયાનો હોય છે. રોજનું બસો-ત્રણસોનું ફ્રૂટ મફત આપવું તે કરતાં તો દંડ ભરવો સસ્તો પડશે.”

મેં ફ્રૂટવાળાને જે સલાહ આપી હતી તેની ખબર ન્યાયાધીશશ્રીને પડી ગી. આખરે પોતાનો વટ જમાવી રાખવા ન્યાયાધીશે એન.સી. ગુનામાં પોતાની સમક્ષ હાજર થયેલા ફ્રૂટવાળાને કાયદાની બહાર જઈને પાંચસો રૂપિયાનો દંડ કર્યો. બિચારો ફ્રૂટવાળો રોતો-કકળતો મારી પાસે આવ્યો તેણે કહ્યું : “સાહેબ ! તમે સો રૂપિયાની વાત કરતા હતા, તેને બદલે મને તો પાંચસો રૂપિયાનો દંડ કર્યો છે ! વળી રોજ-રોજ કેસ કરીને પાંચસો-પાંચસો રૂપિયા દંડ કરશે તેવી ધમકી પણ આપી છે !” મેં તેને કહ્યું : “જો, ભાઈ ! ન્યાયાધીશને પણ તેના અધિકારો તેના મર્યાદાક્ષેત્રમાં જ ભોગવવાના હોય છે. અહીં કોઈનો અધિકાર તેની મર્યાદાથી બહાર નથી હોતો.”

આખરે આ બાબતે હાઈકોર્ટ સુધી રજૂઆતો કરવામાં આવી. ન્યાયાધીશની સામે ઇન્કવાયરી હેલ્ડ થઈ. રેકૉર્ડ ઉપરના પુરાવાઓ અને ફ્રૂટવાળાની રજૂઆતો મુજબ ન્યાયાધીશે તેમના અધિકારક્ષેત્રની બહાર જઈ કરેલા અપકૃત્ય માટે ન્યાયાધીશને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આખરે ડિસમિસ પણ થયા.

અધિકાર તેના સાચા અધિકારીને જ શોભે છે અને સાચા અધિકારીનો અધિકાર પણ તેના અધિકારની ક્ષેત્રમર્યાદામાં જ શોભે છે. જ્યારે આવી બાબતોમાં કોઈ ચૂક થાય છે ત્યારે પ્રકૃતિનું અલિખિત બંધારણ કામ કરે છે અને અનધિકારીને તથા અધિકારનું ઉલ્લંઘન કરવાવાળાને તેની યથાયોગ્ય સજા મળે છે. આપણી કાયદાકીય વ્યવસ્થામાં તો ઘણા અનધિકારીઓ ખુરશીએ ચડીને દંગલ મચાવી રહ્યા છે, પરંતુ કુદરતની વ્યવસ્થામાં અનધિકારીને અધિકાર હડપવાનો કોઈ મોકો નથી મળતો.

પ્રકૃતિના જગતમાં પ્રત્યેક વ્યક્તિનો સ્વધર્મ અને તેનું અધિકારક્ષેત્ર છે. પોતાના ધર્મક્ષેત્રના અધિકારો ભોગવતાં અને ફરજો અદા કરતાં જે ચૂક થાય છે તે પ્રકૃતિના કર્મના કાયદાથી સરભર કરવામાં આવે છે. માણસે બનાવેલા કાયદામાં છીંડાં (ીજષ્ઠટ્ઠી) છે અને ત્યાંથી ઘણા ગુનેગારો છટકી જાય છે, પરંતુ કર્મના કાયદામાંથી છટકવાનો કોઈ ને કોઈ મોકો ક્યારેય નથી મળતો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED