Karma no kaydo books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો ભાગ - 30

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૩૦

શ્રેષ્ઠ કર્મ

ગહનતા ભરેલા કર્મમાર્ગમાં શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટે પણ અસંખ્ય મતો મળી શકે છે. શ્રેષ્ઠ ભોજન કોને કહેવાય તેમ પૂછતાં કોઈ દૂધપાક-પૂરી કહેશે, કોઈ ભજિયાં-ચટણી કહેશે, કોઈ લાડુ કે રબડી કહેશે, તો કોઈ સૅન્ડવિચ, પિઝા, બર્ગર કે દાબેલી વગેરે. તેવી જ હાલત શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટેની થશે. અલગ-અલગ રુચિવાળી વ્યક્તિઓ પોતપોતાનાં કર્મોને શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ કરી રહી છે અને કરતી રહેશે. આ કર્મ જ શ્રેષ્ઠ છે તેવો એક જવાબ ગહનતા અને વિવિધતાભરેલા કર્મમાર્ગમાં મળવો શક્ય નથી. શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે અંગે મત આપતાં શ્રીકૃષ્ણ કહે છે : રુચિપૂર્વક અદા કરેલું કર્તવ્ય કર્મ જ શ્રેષ્ઠ છે.

ઙ્ગેંભષ્ટપ્સ્ર્ક્રઌટ્ટબ્ભ ૠક્રશ્વ ક્રબષ્ટ બ્ઌબ્ભધ્ ૠક્રભૠક્રળ્ડ્ડક્રૠક્રૠક્રૅ ત્ન

(ટક્રટ્ટભક્ર : ૧૮-૬)

જે રુચિકારક હોય, ભૂખને સંતોષ અને સ્વાસ્થ્યને બગાડે નહીં તેવું હોય તે શ્રેષ્ઠ ભોજન છે તેમ કહી શકાય. તે રીતે જે કર્મ રુચિને અનુરૂપ હોય, આત્મસંતોષ મેળવી શકે તેમ હોય અને કર્મ બંધનરૂપ બને નહીં તેવું હોય તે શ્રેષ્ઠ કર્મ કહેવાય. વ્યક્તિ પોતાની રુચિથી જે-જે કર્મ કરે છે તે કર્મ તેને આત્મસંતોષ કરાવે અને બંધન બને નહીં તો તે શ્રેષ્ઠ કર્મ છે તેમ કહી શકાય.

પોતાના ઉપલબ્ધ હોય તેવાં કર્મોમાં રુચિ હોવી જોઈએ અથવા તો પોતાને રુચિ હોય તેવા કામને ઉપલબ્ધ કરવું જોઈએ. મોટા ભાગના માણસો તો એવી સ્થિતિમાં જીવે છે કે જ્યાં પારાવાર રુચિ અને તેમની ઇચ્છાઓ છે, પણ તેમનું યોગ્ય કર્મ નથી. રામ થવું છે, પણ ધર્મનો અભાવ છે. રાવણ થવું છે, પણ શિવભક્તિનો અભાવ છે. અંબાણી થવું છે, પણ ઓળખાણનો અભાવ છે. તાતા-બિરલા થવું છે, પણ મૂડીનો અભાવ છે. રાષ્ટ્રપતિ થવું છે, પણ કોઈના ટેકાનો પણ અભાવ છે. આવી રુચિઓ શા કામમાં આવે ?

બપોરના સમયે રોટલો, મરચું અને મીઠું ખાઈને પેટ ભરતા મજૂરને જુઓ. લુખ્ખા રોટલાને પણ મીઠા અને મરચા સાથે એવી રુચિથી તે ખાતો હોય છે કે તેવી રુચિ જેના ડાઇનિંગ ટેબલ ઉપર પકવાન પીરસાયાં હોય તેવો શ્રીમંત પણ ન લઈ શકે. પોતાના કામમાં જ રુચિ લેવી જોઈએ. પારકાં પકવાનો તો ઝાંઝવાંનાં જળ છે.

એક જગ્યાએ મંદિર બની રહ્યું હતું. ઘણા બધા મૂર્તિકારો મંદિરના પથ્થરોની ઘડાઈ કરી રહ્યા હતા. સવારનો સમય હતો. બે સાધુઓ જેમાં એક ગુરુ અને એક ચેલો હતો તેઓ પણ આ બની રહેલા મંદિરને જોવા ગયા હતા. કારીગરોને પથ્થર ઘડતા જોઈને શિષ્યે ગુરુને કહ્યું : “જુઓ, કારીગરો કેવું સરસ મંદિર બનાવી રહ્યા છે !”

શિષ્યની વાત સાંભળી ગુરુએ કહ્યું : “હા, પણ દરેક નહીં.” શિષ્યે કહ્યું : “ગુરુજી ! બધા કારીગરો તો મંદિર બનાવવામાં લાગ્યા છે. વળી બધા કારીગરો સુંદર નકશીકામ કરી રહ્યા છે, પછી આ સૌ મંદિર નથી બનાવી રહ્યા તેમ કેમ કહેવું ?”

ગુરુએ કહ્યું : “ચાલ, આપણે તે કારીગરો પાસેથી જ જવાબ મેળવીએ.” તેઓ બંને ત્યાં ગયા જ્યાં કારીગરો કામ કરી રહ્યા હતા. પથ્થર ઘડી રહેલા પ્રથમ કારીગર પાસે જઈ ગુરુએ પૂછ્યું : “શું બનાવી રહ્યા છો ?” સવાલ સાંભળતાં તે કારીગરે ક્રોધભરી નજરે ગુરુની સામે જોઈને કહ્યું : “શું આંધળો છો ? દેખાતું નથી ? આ પથ્તરો તોડી રહ્યો છું !”

તેનો જવાબ સાંભળીને બીજા કારીગર પાસે ગયા. પહેલાંની માફક જ ગુરુએ પ્રશ્ન કર્યો : “શું બનાવી રહ્યો છો ?” “શું કરું, ભાઈ ! પાપી પેટનો સવાલ છે, તેથી આ પથ્થર તોડવાની મજૂરી કરી રહ્યો છું.” ત્યાંથી આગળ ચાલ્યા ત્રીજા કારીગર પાસે. તે ગીત ગાતો, મોજ માનવતો કામ કરતો હતો. તેને પણ ગુરુએ પૂછ્યું : “શું બનાવી રહ્યા છો ?” તે કારીગરે કહ્યું : “ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું.”

ગુરુએ તેના શિષ્યને કહ્યું : “જોઈ લે, અહીં મોટા ભાગના પથ્થર તોડી રહ્યા છે, ભગવાનનું મંદિર તો કોઈ-કોઈ જ બનાવી રહ્યા છે. પોતાને જે કાંઈ કામ મળ્યું છે તેને રુચિપૂર્વક કરવું એ જ સાચું કર્તવ્ય છે. કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી, પરંતુ પોતાના કામને જ્યારે કોઈ રુચિપૂર્વક મોજ મનાવીને કરે છે ત્યારે તે શ્રેષ્ઠ કર્તવ્ય સાબિત થાય છે અને સફળ થાય છે.”

કામ તો કામ હોતા હૈ, ન છોટા હોતા ન બડા હોતા હૈ,

લોહા બેચ કોઈ ટાટા, તો જૂતા બેચ કોઈ બાટા હોતા હૈ.

રુચિ તે નથી જે ઇચ્છાને આધીન હોય. રુચિ એ છે કે જે ઇચ્છાઓને પોતાને આધીન કરે. પોતાના કામમાં ગમો-અણગમો સેવનારા ક્યારેય કોઈ શ્રેષ્ઠ કામ નથી આપતા. પોતાના કામમાં, પોતાના કર્તવ્યમાં મન પરોવીને રસ લેવો તેનું નામ રુચિ છે. રુચિ મુજબનું કામ મળે જ તે માણસના હાથની વાત નથી, પરંતુ જે કામ મળે તેમાં રુચિ લેવી તે માણસના હાથની વાત છે.

હિમાલયની પહાડીઓના ગામમાં વસતી એક છોકરી સાતે ઘણોબધો સામાન લઈને સાંજવેળાએ પોતાના ઘરે જવા પહાડી ચડતી હતી. વળી આટલા સામાન સાથે તેણે એક ઝોળી બનાવીને પાંચ-છ વર્ષના છોકરાને પણ ઉપાડેલો હતો. સાથે એક સાધુ પણ પહાડી ચડી રહેલો. સાધુ પહાડીના ચઢાણથી થાકી ગયેલો હતો, પણ તે પહાડી છોકરી ગીતો ગાતી, મસ્તીપૂર્વક પહાડ ચડતી હતી.

સૂર્યનારાયણ પોતાનાં કિરણોને સમેટીને અસ્તાચળ ભણી વિદાય લઈ રહ્યા હતા અને પૃથ્વીના પટ ઉપર અંધકાર તેના પગ પ્રસારી રહ્યો હતો, જેથી થાક ખાવા ખોટી થવું પણ પરવડે તેમ ન હતું. છોકરીની હાલત ઉપર સાધુને દયા આવી, તેથી સહજભાવે સાધુએ કહ્યું : “દીકરી ! આટલા બધા સામાન સાથે આ નાના છોકરાને ઉપાડતાં તને બોજ નથી લાગતો ?” છોકરીએ કહ્યું : “સાધુમહારાજ ! આ બોજો નથી. આ તો મારો નાનો ભાઈ છે. રહી વાત સામાનની, તો આવો સામાન લાવવો, એ તો મારું રોજનું કામ છે.”

સાધુએ તે છોકરીને પ્રણામ કર્યા અને કહ્યું : “દીકરી ! હું ઘણા સમયથી ‘ગીતા’ વાંચતો હતો, પણ આજે મને સમજાયું કે કર્તવ્ય કેમ અદા થાય !”

જેમનાં માથાં કપાઈ જાય, પણ ધડ લડતાં રહે તેમણે કર્તવ્ય અદા કર્યું ગણાય. જેઓ આગમાં તપીને કોઈની આંતરડી ઠારતા રહે તેમણે કર્તવ્ય અદા કર્યું ગણાય. જેઓ પોતાનું જીવન ખર્ચીને કોઈનું જીવન સુધારે તેમણે કર્તવ્ય અદા કર્યું ગણાય, પરંતુ આ બધું જો કર્તવ્યભાવથી થયું હોય તો, અન્યથા નહીં. જેને દોરડે બાંધીને કર્તવ્ય પળાવવું પડતું હોય તે શ્રીકૃષ્ણના ‘ઙ્ગેંભષ્ટપ્સ્ર્ક્રઌટ્ટબ્ભ ૠક્રશ્વ ક્રબષ્ટ બ્ઌબ્ભધ્ ૠક્રભૠક્રળ્ડ્ડક્રૠક્રૠક્રૅ ત્ન’ની વ્યાખ્યામાં ન આવે.

એક બોટમાં પચાસેક મુસાફરો યાત્રા કરતા હતા. સમુદ્ર શાંત હતો. કોઈ તોફાન ન હતું. તેવામાં કોઈનો નાનો છોકરો બોટમાંથી અકસ્માત્ પડી ગયો અને દરિયામાં ડૂબવા લાગ્યો. લોકો જોવા ભેગા થયા અને બોટનો કઠોડો પકડીને સહુ જોઈ રહ્યા હતા, તેવામાં એક ગુજરાતી કાકાએ દરિયામાં છલાંગ લગાવી. લોકો કાકાની હિંમત જોઈને વાહ-વાહ કરવા લાગ્યા. ડૂબતો માણસ તરણું ઝાલે તે કહેવત મુજબ ડૂબતા છોકરાએ કાકાને પડેલા જોઈને તરત પકડી લીધા. પછી તો લોકોએ ઉપરથી રબરની ટ્યૂબ ફેંકી અને કાકા તથા છોકરા બંનેને બચાવી લીધા.

લોકોએ કહ્યું : “આ કાકા તો અદ્ભુત કહેવાય ! તેમની હિંમત અને તેમના સાહસનું સન્માન થવું જોઈએ.” બધાએ ભેગા મળીને કાકાનો સન્માનસમારંભ ગોઠવ્યો, કાકાને હારતોરા કર્યા, મેડલ આપ્યો, ભાષણ કરીને કાકાની વીરતાને બિરદાવી. છેલ્લે કાકાનો વારો આવ્યો. લોકોએ કહ્યું : “કાકા ! હવે તમે આ પ્રસંગે બે શબ્દો બોલો.” કાકાએ કહ્યું : “મારે પણ બે શબ્દ જ બોલવા છે. મને એ બતાવો કે મને ધક્કો કોણે માર્યો ?”

કોઈ ધક્કા મારે અને અઠ્ઠેગઠ્ઠે કર્તવ્ય નભી જાય તે શ્રીકૃષ્ણની વ્યાખ્યાનું કર્તવ્ય નથી. લોકોને ભય દેખાડીને, કાયદાના નિયમોના ધક્કા મારીને કર્તવ્ય પળાવાતું હોય તે કર્તવ્ય રુચિપૂર્વક પાળેલું કર્તવ્ય નથી. જે કર્તવ્યો રુચિપૂર્વક મોજ મનાવતાં અદા થાય તે જ ‘ઙ્ગેંભષ્ટપ્સ્ર્ક્રઌટ્ટબ્ભ’ કહી શકાય. તેવું કર્તવ્ય ઈશ્વરનું જ રૂપ છે અને તેથી તે શ્રેષ્ઠ છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED