Duniyani Ajayabi - 1 books and stories free download online pdf in Gujarati

દુનિયાની અજાયબી - 1

દુનિયાની અજાયબી :: ભાગ-૧

શક્તિરૂપી આટ્ટુકાલ દેવીનું મંદિર

કેરલના તિરુવનંતપુરમ શહેરમાં આવેલ આટ્ટુકાલ ભગવતી મંદિરની શોભા જ અલગ છે. ધર્મયાત્રાની આ કડીમાં આ વખતે અમે આ તીર્થના વિષે માહિતી આપી રહ્યા છે. કલિકાલના દોષોનું નિવારણ કરનારી એ જ પરાશક્તિ જગદંબા કેરલની રાજધાની તિરુવનંતપુરમ શહેરની દક્ષિણપૂર્વ દિશામાં આટ્ટુકાલ નામના ગામમાં ભક્તજનોને આશીર્વાદ આપતા બિરાજે છે.

અનંતપુરી સંખ્યાબંધ દેવમંદિરોની દિવ્ય આભાથી સુશોભિત નગર છે. મોક્ષની ઈચ્છા ધરાવતા તીર્થયાત્રીઓની આશાનુ કેન્દ્ર. પુરૂષાર્થોને અનુગ્રહ આપનારી ભગવાન અનંતશાયીના દર્શન માટે ભારતના વિવિધ પ્રદેશોમાંથી એકઠી થનારી શ્રધ્ધાળુઓની હાજરીથી તિરુવન્નતપુરમ નગર સદા આબાદ રહે છે. એ યાત્રાળુઓની યાત્રા સફળ ત્યારે જ થાય છે, જ્યારે તેઓ આટ્ટુકાળ આકાર કરુણામયી માઁનો આશીર્વાદ મેળવે છે.

મંદિરને ઉત્પત્તિથી સંબધિત ઈતિહાસ

આટ્ટુકાલ ગામના મુખ્ય પરિવાર મુલ્લુવીડના પરમ સાત્વિક ગૃહનાથની દેવી દર્શનનો જે અનુભવ થયો તે જ મંદિરની ઉત્પત્તિનો આધાર મનાય છે. એવુ માનવામાં આવે છે કે તે દેવી પ્રતિવ્રતા ધર્મના પ્રતીક રૂપે પ્રખ્યાત થયેલ કર્ણકીનો અવતાર છે.

પોંકલ મહોત્સવ : આટ્ટુકાલ મંદિરનો સૌથી મોટો અને પ્રસિધ્ધ ઉત્સવ છે - પોંકલ મહોત્સવ. આ તહેવાર દ્રાવિડ લોકોનું એક વિશેષ આચરણ છે. આ તહેવાર કુંભના મહિનામાં આખા નક્ષત્ર અને પૌર્ણમિ બંનેના મળતા મુહૂર્તમાં મનાવાય છે અને ખૂબ જ પ્રખ્યાત છે. દિવસભર કિર્તન, ભજન બરાબર ચાલે છે અને રાતે મંદિરકળાઓ અને લોક નર્તનો વગેરે કાર્યક્રમ ચાલે છે.

સંગીત સભાઓ પણ ચાલે છે. દેશના વિવિધ સ્થળોથી શણગારેલા રથ-ઘોડા-દીપમાળાઓ વગેરેની સવારી નીકળે છે. નારિયળના પાન અથવા ચમકતા કાગળોથે શણગારેલા સેજ પર દેવીનુ રૂપ મુકીને દીપમાળાઓ બનાવવામાં આવે છે અને તેમને માથે મુકીને બેંડબાજા સાથે નીકળતુ સરઘસ નાચતા-ગાતા જે આવે છે તે અત્યંત મનોહર દ્રશ્ય છે.

નવમાં દિવસે ત્રિવેન્દ્રમ નગરના બધા રસ્તાઓ આટ્ટુકાલ તરફ જાય છે. લગભગ પાંચ કિલોમીટરના અંદર જેટલા પણ મકાન છે તેમના બારણે, મેદાન, રસ્તા જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં ત્યાં પોંકલનુ કેન્દ્ર બની જાય છે. કેરલ જ શુ, કેરલને બહારથી પણ પોંકલ નૈવેધ તૈયાર કરવા માટે અનેક લાખ સ્ત્રીઓ પહોંચી જાય છે. આ બધી સ્ત્રીઓ એક દિવસ પહેલા જ પોંકલ ક્ષેત્રમાં આવીને પોતાનુ સ્થાન નક્કી કરી લે છે. તે સમયે પોતાની સાથે પોંકલને માટે જરૂરી વસ્તુઓ એટલે કે ચોખા, ખાંડ, નારિયળ, લાકડી વગેરે લઈ આવે છે. આ બધી વસ્તુઓ તે દિવસે ત્યાંથી ખરીદવાની પણ સગવડ રહે છે.

આટલી મોટી સંખ્યામાં આવનારી સ્ત્રીઓની સુવિધા અને સંરક્ષણની વ્યવસ્થા અનેક સંસ્થાઓ તરફથી મળે છે. પોલીસ પણ જાગૃત છે. સ્વયંસેવક, સેવા સમિતિઓ, મંદિર ટ્રસ્ટના સ્વયં સેવક આ બધા દરેક પ્રકારની સેવા માટે તૈયાર અને કટિબધ્ધ રહે છે. પ્રયાગના કુંભ મેળાનુ સ્મરણ અપાવનારો એક મહાન મેળો છે - પોંકલ મેળો.

ઉત્સવનો પ્રારંભ ત્યારે જ થાય છે, જ્યારે કર્ણકી ચરિતના આલાપનની સાથે દેવીને કંકણ પહેરાવીને બેસાડવામાં આવે છે. ઉત્સવના નવ દિવસો દરમિયાન તે બધુ ચરિતગાન સર્વ રીતે આલાપિત થઈ જાય છે. એટલેકે કોંટુગલ્લૂર દેવીની આગતા-સ્વાગતતા કરી આટ્ટુકાલ મંદિરમાં લાવવામાં આવે છે. બધી ઘટનાઓ પછી પાળ્ડયરાજાના વધ સુધી છે ચરિતગાન.

પાળ્ડય રાજાના નિગ્રહ પછી વિજયાઘોષ અને હર્ષોલ્લાસ ચાલે છે. સાથે જ પોંકલના ચૂલ્હામાં આગ ચાંપવામાં આવે છે. પછી સાંજે નિશ્ચિત સમયે પુજારી પોંકલ પાત્રોમાં જ્યારે તીર્થજળ છાંટે છે, ત્યારે વિમાનથી પુષ્પવર્ષા થાય છે. દેવીના નૈવેધની સ્વીકૃતિથી પ્રસન્ન થઈને નૈવેધશિષ્ટ માથે લઈને સ્ત્રીઓ પાછી જવા લાગે છે.

તિરુવનંતપુરમ સેંટલ રેલવે સ્ટેશનથી આ પીઠ માત્ર બે કિલોમીટરના અંતરે આવેલુ છે. જ્યારેકે અહીંના હવાઈમથકથી આ ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલુ છે. ભારતના બધા પ્રદેશોથી તિરુવનંતપુરમ પહોંચવા માટે અનેક સુગમ રસ્તા છે. તિરુવનંતપુરમ પહોંચનારા તીથયાત્રી રેલવે સ્ટેશન અથવા બસ અડ્ડાઓ સુધી આટ્ટુકાલ પહોંચી શકે છે. આ યાત્રીઓની સુવિધા માટે બસો, ટેક્સીઓ અને ઓટોરિક્ષાઓ ની લાઈન હંમેશા રસ્તાના કિનારે તૈયાર ઉભી રહે છે. શ્રી પ્દ્મનાભસ્વામી મંદિરની સામે બે કિલોમીટર દક્ષિણ-પૂર્વની તરફ પગપાળા ચાલતા તો ત્રીસ મિનિટમાં જ આટ્ટુકાલ દેવીના સામે પહોંચી જશો.

અંગકોર વાટ, કંબોડિયા

નાનાં-મોટાં પ્રતીકો છૂટાછવાયાં ક્યાંક તે દેશના ધ્વજમાં સ્થાન પામ્યાં છે, પણ સંપૂર્ણ મકાનને આવું માન મળે તે આ એકમાત્ર ઘટના છે. કંબોડિયા માટે આ મકાન કેટલું મહત્ત્વનું તથા આદર્શ સમાન હશે તે વાત આનાથી જ સમજી શકાય. અંગકોર વાટ એ કંબોડિયાનું ગૌરવ છે, તેનાં મૂલ્યોનું પ્રતિબિંબ છે અને તેના ભવિષ્યનું સૂચક છે. અહીં કલાત્મક ભવ્યતા છે. સાથે સાથે સાંસ્કૃતિક ધરોહરનું પ્રતિબિંબ છે તો ભવિષ્ય માટેની પ્રેરણા આપતી રચના પણ છે.

હજુ પણ કાર્યરત હોય તેવું આ વિશ્ર્વનું સૌથી પૌરાણિક ધાર્મિક સ્થળ છે. તેને સમકાલીન તથા ત્યાર બાદનાં આવાં સ્થાનો ખંડેર હાલતમાં આવી ગયાં છે અને ત્યાં પૂજાપાઠ બંધ થઈ ગયા છે. તેવા ત્યજી દેવાયેલાં દેવસ્થાનો માત્ર પ્રવાસીઓનું આકર્ષણ બની રહે, જ્યારે અંગકોરવાટ આજે ૧૦૦૦ વર્ષ જેટલા સમયગાળા પછી પણ દેવસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે.

એમ મનાય છે કે આ સંકુલના મુખ્ય મંદિરની રચના તત્કાલીન ખ્મેર વંશના રાજા સૂર્યવર્મન બીજા દ્વારા કરાઈ હતી. કંબોડિયામાં ખ્મેર વંશનું શાસન ૬ સદી સુધી-ઈસુની ૯મીથી ૧૫ સદી સુધી રહ્યું. આવા લાંબાગાળાના શાસનને કારણે અહીં શાંતિ પ્રવર્તતી, જેને કારણે સ્થિરતા અને સમૃદ્ધિ આવી.

રાજવી પરિવારે આ સમૃદ્ધિને ધાર્મિક માર્ગે વાળી વિશાળ મંદિરો તથા મંદિર-સંકુલ બનાવ્યાં. ખ્મેર સ્થાપત્યનો ગાળો એ કંબોડિયાના સ્થાપત્યના ઈતિહાસમાં ઉત્તમ તથા શાસ્ત્રીય ગણાય છે. ૧૫મી સદી બાદ અંગકોર વાટની સમૃદ્ધિ ક્ષીણ થતી ગઈ અને સંકુલ તથા આજુબાજુની રાજવી વસાહત માટીમાં ધરબાઈને લુપ્ત થઈ ગઈ. ૧૯મી સદીમાં ફ્રેન્ચ સાહસિક દ્વારા તેને ફરીથી દુનિયા સમક્ષ કરાયું ત્યારે સમગ્ર વિશ્ર્વ દંગ રહી ગયું, કેમ કે અંગકોર વાટની રચના ગ્રીક તથા રોમન સંસ્કૃતિના સ્થાપત્યના નમૂનાઓ કરતાં ભવ્ય હતી.

અંગકોર વાટ શરૂઆતના તબક્કામાં રાજવી મંદિર હતું. તે સમયે આ સ્થળે નગરનો વાસ હશે તેમ મનાય છે. પાછળથી આ રાજવી મંદિર અન્ય લોકો માટે ખુલ્લું મુકાયું અને ૧૪મી સદીમાં કંબોડિયામાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થતાં તેને બૌદ્ધ મંદિરમાં રૂપાંતરિત કરાયું. બુદ્ધ ભગવાનને સનાતન ધર્મના એક મુખ્ય દેવ વિષ્ણુનો જ અવતાર ગણાવાયા હોવાથી આ સ્થાનને મંદિરમાંથી બૌદ્ધ સ્થાનક બનાવતી વખતે કોઈ મોટા ફેરફારની જરૂર ન ઊભી થઈ.

અંગકોર વાટની રચના હિંદુ પૌરાણિક કથામાં આવતા મેરુ પર્વતથી પ્રેરિત છે. મેરુ પર્વતને દેવતાઓનું નિવાસસ્થાન પણ મનાય છે. તે વિશ્ર્વની સૌથી અસલ ભૌતિક રચના છે. આ મેરુ પર્વતના નિરૂપણ માટે અહીં ચોક્કસ સંખ્યામાં ચોક્કસ સ્તરે આવેલ મંચ પાંચ શિખરો બનાવાયાં છે. મેરુ પર્વતની કલ્પના પ્રમાણે ચાર અન્ય શિખરોને ચોરસ આકારમાં ગોઠવી વચ્ચેના શિખરને સૌથી વિસ્તૃત તેમ જ મહત્ત્વનું બનાવાયું છે. આ શિખરોની રચના અહીંના સ્થાપત્યની આગવી વિશેષતા તેમ જ ઓળખ છે. આ શિખરો બધેથી નથી જોઈ શકાતાં, પણ ચોક્કસ માર્ગે આગળ વધતાં તે ચોક્કસ રીતે નજર સમક્ષ આવતાં જાય છે. આ શિખર તથા મંચ ફરતે પ્રતીમાત્મક રીતે પાણીના વહેણ માટે ખાઈ રખાઈ છે, જેના ફરતે ૩.૬ કિમી લાંબી દીવાલ બનાવાઈ છે.

સનાતન ધર્મના અન્ય સ્થાનોની અપેક્ષાએ અહીં મંદિર પશ્ર્ચિમાભિમુખ બનાવાયાં છે. પથ્થરમાંથી લખાયેલ કવિતા સમાન આ સંકુલના વિશાળ શિલ્પ મુખાકૃતિ, કમળની કળી સમાન લાગતાં શિખરો, શાસ્ત્રીય રીતે પ્રયોજાયેલાં પ્રમાણમાપ, હિંદુ પરંપરાના પ્રતીકોનો વ્યૂહાત્મક ઉપયોગ આવનજાવનનો અલંકૃત માર્ગ તથા તેની વચમાં આવતાં અર્ધ-મંડપો, અક્ષીય રચના, ચોતરફના ખુલ્લા પીઠ સમાન મંચ, સુસંયોજિત ભારવાહક રચના, અપ્સરા-ગાંધર્વ તથા અન્ય અર્ધદૈવી શક્તિઓની લાવણ્યમય પ્રતિમાઓ, દીવાલ પરના કોતરકામથી કરાયેલ અર્ધ-શિલ્પકામ, વિવિધ પૌરાણિક કથાવસ્તુના કંડારણથી ઊભી કરાતી ચોક્કસ મનોદશા, આવનજાવનનાં માર્ગનું અર્થપૂર્ણ આયોજન અને માનવીને દુનિયાથી વિમુખ કરી પરમ તત્ત્વ સાથે સાંકળવાનો સંનિષ્ઠ પ્રયાસ: આ બધી બાબતો અહીંની ખાસિયતો છે.

અંગકોર વાટની પુરાતત્ત્વકીય આકારણી ૪૦૦ ચો. કિમી. સુધી વિસ્તરેલી છે, જેમાં હયાત જંગલો વચ્ચે ઘણાં મંદિરો, અંગકોર થોમ, નહેર તેમ જ જળ-સંગ્રહાલય જેવા પાણી માટેનાં બાંધકામ, સુઆયોજિત મેદાન તથા ધાર્મિક ક્રિયાકાંડ માટેના અર્ધ-ધાર્મિક મકાનો આવેલાં છે. આ બધામાં ભૌગોલિક પરિસ્થિતિમાં અનુરૂપતા, સામાજિક અગ્રતાક્રમ, સાંસ્કૃતિક તથા પરંપરાગત પ્રતીકાત્મક ગોઠવણી, સંતુલિત ભવ્યતા, પ્રમાણસર ખુલ્લાપણું તથા બ્રહ્માંડનું મોડલ બનાવવાનો વિસ્તૃત અભિગમ ધ્યાનાકર્ષક છે.

આ બધાથી જાણે ભવ્ય વારસો સર્જાયો છે. દક્ષિણપૂર્વ-અગ્નિ ખૂણાના એશિયામાં વિકસેલ શાસ્ત્રીય કલા અને સ્થાપત્યનું જાણે આ પ્રેરણા સ્થાન છે. અહીંથી જાણે અનુભૂતિની ક્ષિતિજો વિકસી હતી. એક રીતે જોતાં અંગકોર વાટ એ જીવંત પરંપરા સમાન છે. ભૌમિતિક ગોઠવણ અને ગાણિતિક ગણના વડે અહીંના સ્થાન આયોજનમાં જાણે પૂર્ણતા ઊતરી આવી છે.

હાલમાં વિશ્ર્વમાં જ્યાં કામ ચાલુ છે તેવી બધી જ પુરાતત્ત્વની જગ્યાઓમાં આ સૌથી વિશાળ છે. એક વિવેચકના મત પ્રમાણે આ રચના ઈજિપ્તના ફેરો તથા ભારતના શાહજહાંએ બનાવેલ બાંધકામ કરતાં અંગકોર વાટનું બાંધકામ એક મહાન કાર્ય છે. આ દાવો સાવ પોકળ નથી. અહીં કરાયેલ બાંધકામની માત્રા તથા ગુણવત્તા જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આવા કામ માટે ઉચ્ચ કક્ષાનું સમર્પણ જોઈએ અને જ્યાં સમર્પણની ભાવનાથી કામ થાય ત્યાં પરિપૂર્ણતા આવવાની સંભાવના વધી જાય.

હિંદુ ધર્મનો ફેલાવો તથા પ્રભાવ તે સમયે ક્યાં ક્યાં અને કેવો હશે તે આ રચનાથી જાણી શકાય છે. માત્ર સિદ્ધાંતોને આધારે પ્રસરેલ આ ધર્મના સ્થાનોમાં આવાં જ સહજ, સ્પષ્ટ તેમ જ યથાર્થ સિદ્ધાંતો પ્રયોજાયા હોય તે સ્વાભાવિક છે. હિંદુ ધર્મની શ્રદ્ધાની તાકાત સમજવા આ મકાન માણવું જ રહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED