Mangal Prabhat books and stories free download online pdf in Gujarati

Mangal Prabhat

મંગળ પ્રભાત

ગાંધીજી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧. સત્ય

૨. અહિંસા

૩. બ્રહ્મચર્ય

૪. અસ્વાદ

૫. અસ્તેય

૬. અપરિગ્રહ

૭. અભય

૮. અસ્પૃશ્યતાનિવારણ

૯. જાતમહેનત

૧૦. સર્વધર્મસમભાવ-૧

૧૧. સર્વધર્મસમભાવ-૨

૧૨. નમ્રતા

૧૩. સ્વદેશી

૧૪. સ્વદેશીવ્રત

૧૫. વ્રતની આવશ્યકતા

પરિશિષ્ટ

‘મંગલપ્રભાત’

યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચતા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માગણી એકબે ભાઇઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઇએ એવો ગાંધીજીઓ આગ્રહ હોવાથી, દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક ફળ તે આશ્રમનાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ ‘વ્રતવિચાર’ને નામે પ્રસિદ્ધ થયું.

આદર્શ કેદી તરીકે સરકારને બધી રીતે નિર્ભય કરી મૂકનાર ગાંધીજીએ જેલમાંથી સ્વદેશી પર કશું ન લખવાનો નિર્ણય કર્યો. એટલે ‘વ્રતવિચાર’માં એ એક વસ્તુ રહી ગઇ હતી. બહાર આવ્યા પછી એમણે સ્વદેશી વ્રત પર એક લેખ ઉમેરી આશ્રમવ્રતોની વિચારણા સંપૂર્ણ કરી છે.

ઉપરકહ્યું છે તેમ એે પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાંએટલે આ પ્રવચનસંગ્રહનું નામ ‘મંગળપ્રભાત’ જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કરહ્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી અતિશયોક્તિ છે ખરી ?

- દત્તાત્રેય બારકૃષ્ણ કાલેલકર

પહેલી આવૃત્તિનું નિવેદન

તા. ૨૨-૭-’૩૦ને દિવસે યરવડા જેલમાંથી આશ્રમ ઉપર લખેલા પત્રમાં પૂજ્ય ગાંધીજીએ લખ્યું :

“... ના કાગળમાં સૂચન છે કે મારે દર અઠવાડિયે કંઇક પ્રવચન પ્રાર્થના સમયે વાંચવા સારુ મોકલી દેવું. વિચાર કરતાં મને આ માગણી યોગ્ય લાગી છે. પ્રાર્થના સમયે કંઇક વધારે ચેતન રેડવામાં આ મારો ફાળો ગણજો.”

અને એ જ પત્ર સાથે સત્યવ્રતનું વ્યાખ્યાન મોકલી આપ્યું. તે પછી દર અઠવાડિયે એક પછી એક બીજાં વ્રતનાં વ્યાખ્યાન મોકલતા ગયા. તેમનો આ સંગ્રહ છે.

સાબરમતી, તા. ૯-૯-’૩૦

નારણદાસ ખુ. ગાંધી

મંત્રી, ઉદ્યોગમંદિર

૧. સત્ય

૨૨-૭-’૩૦

સવારની પ્રાર્થના પછી

આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને જ પહેલું લઉં છું.

‘સત્ય’ શબ્દ સત્‌માંથી છે. સત્‌ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્‌’ એટલે ‘સત્ય’ છે. તેથી પરમેશ્વર ‘સત્ય’ છે એમ કહેવાી કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત્‌’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.

અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન - શુદ્ધ જ્ઞાન - છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર નામની સાથે ચિત્‌ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શોક હોય જ નહીં. અને સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હોય. આથી જ ઇશ્વરને આપણે સચ્ચિદાનંદ નામેપણ ઓળખીએ છીએ.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જે કારણે આપણી પ્રત્યેક. એને જ કારણે આપણી પ્રત્યેક શ્વાસોચ્છવાસ લઇએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઇ પડે. સત્ય વિના કોઇ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.

સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ અર્થમાં સત્ય શબ્દ યોજયો છે.વિચારમાં વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજું કંઇ જાણવાપણુંનથી રહેતું. કેમ કે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી ? આ કસોટી વાપરતાં શીખી જઇએ તો આપણને તરત ખબર પડે કે કઇ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઇ ત્યાજ્ય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી.

પણ સત્ય જે પારસમણિરૂપ છે, જે કામધેનુંરૂપ છે તે કેમ જડે ? તેનો જવાબ ભગવાને આપ્યો છે : અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુ વિશે આત્યંતિક ુઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુદ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો ? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી જેને તે સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી, એટલું જ નહીં પણ તે જ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તોપણ તે સુધરી જવાની છે જ. કેેમ કે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહન કરવાનું હોય, તેની પાછળ મરવાનું હોય. એટલે તેમાં સ્વાર્થની તો ગંધ સરખીયે ન હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લગી કોઇ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિને તે ‘શીશતણું સાટું’ છે; અથવા તે હરિનો મારગ હોઇ તેમાં કાયરતાને સ્થાન, તેમાં હાર જેવું કંઇ છે જ નહીં. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.

પણ હવે આપણે લગભગ અહિંસાને કઠિ આવી પહોંચ્યા. એનો વિચાર આવતે અઠવાડિયે કરીશું.

આ પ્રસંગે હરિશ્વંદ્ર, પ્રહ્લાદ, રામચંદ્ર, ઇનામ હસનહુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દૃષ્ટાંતો વિચારી જવાં જોઇએ. આ રટણ બીજા અઠવાડિયા લગી સહુ, બાળક,મોટાં, સ્ત્રી - પુરુષ. ચાલતાં, બેસતા, ખાતાં, પીતાં, રમતાં, બધું કરતાં કર્યા જ કરેને તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઇ જાય તો કેવું સારું ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણે બધાંને સારુ નીવડો.

૨. અહિંસા

તા. ૨૯-૭-’૩૦

મંગળપ્રભાત

સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.

પણ સત્યનાં સંપૂર્ણ તો આ દેહે અસંભવિત છે. તેણી કલ્પના જ માત્ર કરી શકાય. ક્ષણિક દેહ વાટે શાશ્વત ધર્મનો સાક્ષાત્કાર સંભવતો નથી. તેથી છેવટે શ્રદ્ધાનો ઉપયોગ કરવાનો તો રહે જ છે.

તેથી અહિંસા જિજ્ઞાસુને જડી. મારા માર્ગમાં જે મુસીબતો આવે તેને હું સહન કરું, કે તેને અંગે જેનાશો કરવા પડે તે કરતો જાઉં ને મારો માર્ગ કાપું ? આ પ્રશ્ન જિજ્ઞાસુ પાસે ખડો થયો. જો નાશ કરતો ચાલે તો તે માર્ગ કાપતો નથી પણ હતો ત્યાં જ રહે છે, એમ તેણે જોયું. જો સંકટો સહન કરે છે તો તે આગળ વધે છે. પહેલે જ નાશે તેણે જોયું કે જે સત્યને તે શોધે છે તે બહારની પણ અંતરમાં છે. એટલે જેમ જેમ નાશ કરતો જાય તેમ તેમ તે પાછળ પડતો જાય, સત્ય વેગળું જાય.

આપણી ઉપર ચોર ઉપદ્રવ કરે છે તેમાંથી બચવા સારુ તેમને દંડયા. તે ક્ષણે તે ભાગ્યા તો ખરા, પણ બીજી જગ્યાએ જઇને ધાડ પાડી. પણ બીજી જગ્યા પણ આપણી જ છે, એટલે આપણે તો અંધારી ગલીમાં આથડ્યા. ચોરનો ઉપદ્રવ વધતો ગયો, કેમ કે તેમણે તો ચોરીને કર્તવ્ય માન્યું છે. આપણે જોયુંં કે આના કરતાં સારું એ છે કે ચોરનો ઉપદ્રવ સહન કરો, તેમ કરતાં ચોરને સમજ આવશે. આટલું સહન કરવામાંથી આપણે જોયું કે ચોર કંઇ આપણાતી જુદા નથી. આપણને તો બધા સગા છે. તેમને દંડવા હોય નહીં. પણ ઉપદ્રવ સહન કર્યે જઇએ તેથી બસ નથી. તેમાંથી તો કાયરતા પેદા થાય. એટલે આપણે બીજો વિશેષ ધર્મ જોયો ચોર આપણાં ભાઇભાંડુ હોય તો તેમનામાં તે ભાવાના પેદા કરવી જોઇએ. એટલે આપણે તેઓને અપનાવવાને સારુ ઉપાયો શોધવા પૂરતી તસ્દી લેવી રહી. આ અહિંસાનો માર્ગ. આમાં ઉત્તરોત્તર દુઃખ વહોરવાની જ વાત આવે છે, અખૂટ ધીરજ શીખવાની વાત આવે છે. અને જો તે હોય તો અંતેો ચોર શાહુકાર બને છે, આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ; ઇશ્વરનો, સત્યનો મહિમાં વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિંમત વધે છે; આપણે શાશ્વત - અશાશ્વતનો ભેદ વધારે ગળે છે, નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે.

આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્ધેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાંં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ ? તોયે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.

મારે લખવું હતું સહેલું, લખાઇ ગયું કઠણ. છતાં જેણે અહિંસાનો જરાયે વિચાર કર્યો હશે તેને સમજવામાં મુશ્કેલી ન આવવી જોઇએ.

આટલું સહુ જાણી લે : અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે,જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ. તેમાં ઊલટી કઇ ને સૂલટી કઇ ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઇ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઇક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય દૃષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ - સત્ય છે. તે જ છે. તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિંસા; તેને કદી નહી છોડું. જે સત્યરૂપ પરમેશ્વરને નામે આ પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરવાનું તે બળ આપો.

૩. બ્રહ્મચર્ય

૫-૮-’૩૦, યં. મં.

મંગળપ્રભાત

આપણાં વ્રતોમાં ત્રીજું વ્રત બ્રહ્મચર્યનું છે. ખરું જોતાં બીજાં બધાં વ્રતો એક સત્યના વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે ને તેને જ અર્થે રહ્યાં છે. જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે. તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાંદર્શન કરવાને અર્થે છે તે પ્રજોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ? ભોગવિલાસથી કોઇને સત્ય જડ્યાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી.

અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે બીજાને અર્થે શું રહ્યું ? એનો અર્થ જ એ થયો, ‘અમે બે પહેલાંને બીજાં બધા પછી.’ પતિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે, એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઇ શકે એ સ્પષ્ટ છે. એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે ‘પોતાનું’ માનેલું એક કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઇ રહ્યું છે. તેની જેટલી વદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઇ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઇ ન શકે; વિવાહની બહારની વિકારનું તો પૂછવું જ શું ?

ત્યારે જે વિવાહ કરી બેઠાં છે તેમનું શું ? તેમને સત્ય કોઇ દહાડો નહીં જડે ? તે સર્વાર્પણ કદી નહીં કરી શકે ? આપણે તેનો રસ્તો કાઢ્યો જ છે; વિવાહિત અવિવાહિત જેવાં થઇ જવું. આ દિશામાં આના જેવં સુંદર મેં બીજું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઇ કહી શકાય. વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઇબહેન ગમતાં થઇ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઇ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઇ પડે છે. આમાં પતિપત્ની કંઇ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે, કુટુંબ વધારે છે. પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઇ શકે છે. એકબીજા વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે.જ્યાં સ્વાર્થી, એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.

ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હ્ય્દયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઇ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઇ ગણાય ? વીર્યનો ઉપયોગ બંનેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરુપયોગ છે અને તેથી તે ઘણા રોગોનું મૂળ થઇ પડે છે.

આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે. અહીંઅકે ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારેે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે. શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું, એવું આપણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી શરીરને તો તુરત કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો. મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બંને સાથે જનાર છે એમ કહેવાય.

આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશક્ય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે. જનનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ અધૂરી ને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાંત્યાં ભમવા દઇ એક જ ઇન્દ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે ? કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુ જુએ, જીભથી વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, તે છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે, એ તો અગ્નિમાં હાથ નાખ્યા પછી ને દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જે જનનેન્દ્રિયને રોકવાનો નિશ્ચય કરે તેણે ઇન્દ્રિયમાત્રને તેના વિકારોથી રોકવાનો નિશ્ચય કરેલો હોવો જ જોઇએ. બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકસાન પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઇ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્યું છે. તે હવે પછી વિચારીશું.

બ્રહ્મચર્યનો મૂળ અર્થ બહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં ચર્યા એટલે તેને લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

૪. અસ્વાદ

૧૨-૮-’૩૦

મંગળપ્રભાત

બ્રહ્મચર્યની સાથે બહુ નિકટ સંબંધ ધરાવતું આ વ્રત છે. મારો અનુભવ એવો છે કે આ વ્રતને પહોંચી વળાય તો બ્રહ્મચર્ય એટલે જનનેન્દ્રિયસંયમ સાવ સહેલો થઇ પડે. પણ આને વ્રતમાંનોખું સ્થાન સામાન્ય રીતે નથી અપાતું. સ્વાદને મોટા મોટા મુનિવરો પણ જીતી નથી શક્યા, એટલે તે વ્રતને નોખું સ્થાન નથી મળ્યું. આ તો માત્ર મારું અનુમાન છે. એમ હો યા ન હો, આપણે આ વ્રતને નોખું સ્થાન આપ્યું છે તેથી તેનો વિચાર સ્વતંત્રપણે કરી લેવો ઘટે છે.

અસ્વાદ એટલે સ્વાદ ન લેવો. સ્વાદ એટલે રસ. જેમ ઔષધિ ખાતાં આપણે તે સ્વાદીલી છે કે કેવી તેનો વિચાર ન કરતાં શરીરને તેની જરૂર છે એમ સમજી તેની માત્રામાં જ ખાઇએ છીએ, તેમ જ અન્નનું સમજવું. અન્ન એટલે ખાદ્ય પદાર્થમાત્ર. તેથી દૂધ-ફળનો પણ અહીં સમાવેશ છે. જેમ ઔષધ ઓછી માત્રામાં લીધું હોય તો અસર નથી કરતું અથવા થોડી કરે છે ને વધારે લીધું હોય તો હાનિ કરે છે, તેમ જ અન્નનું છે. તેથી કંઇ પણ વસ્તુ સ્વાદ લેવાને અર્થે ચાખવી એ વ્રતનો ભંગ છે. સ્વાદીલી લાગતી વસ્તુ વધારે લેવી એ તો ભંગ સહેજે થયો. આ ઉપરથી સમજી શકાય કે વસ્તુની સ્વાદ વધારવા કે બદલવા સારુ કે અસ્વાદ મટાડવા સારુ મીઠું ભેળવવું એ વ્રતભંગ છે. પણ અમુક પ્રમાણમાં મીઠાની આવશ્યકતા અન્નમાં છે એમ આપણે જાણતા હોઇએ ને તેથી તેમાં મીઠું નાખવું એમાં વ્રતભંગ નથી. શરીરપોષણને સારુ આવશ્યકતા ન હોય છતાં મનને છેતરવા સારુ આવશ્યકતાનું આરોપણ કરીને કંઇ વસ્તુ ઉમેરવી એ તો મિથ્યાચાર થયો ગણાય.

આ પ્રમાણે વિચારતાં આપણે જોઇશું કે અનેક વસ્તુઓ આપણે લઇએ છીએ તે શરીરરક્ષાને સારુ આવશ્યક ન હોઇ ત્યાજ્ય થઇ જાય છે. અને એમ અસંખ્ય વસ્તુનો ત્યાગ સહજ થઇ જાય, તેના વિકારમાત્ર શમી જાય. ‘એક તોલડી તેર વાનાં માગે છે’ ‘પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે’, આ બધાં વચનોમાં બહુ સાર સમાયેલો છે. આ વિષય ઉપર એટલું બધું ઓછું ધ્યાન દેવાયું છે કે વ્રતની દૃષ્ટિએ ખોરાકની પસંદગી લગભગ અશક્ય થઇ પડી છે. વળી બચપણથી જ માબાપ ખોટું હેત કરીને અનેક પ્રકારના સ્વાદો કરાવી શરીરને બગડી મૂકે છે ને જીભને કૂતરી કરી મૂકે છે, જેથી સમજણો થતો સંસાર શરીરે ને સ્વાદદૃષ્ટિએ મહાવિકારી જોવામાં આવે છે. આનાં કડવાં પરિણામ આપણે ડગલે ને પગલે અનુભવીએ છીએ : અનેક ખર્ચમાં પડીએ છીએ. વૈદ્યદાક્તરોને સેવીએ છીએ, ને શરીર તથા ઇન્દ્રિયોને વશમાં રાખવાને બદલે તેમના ગુલામ થઇ અપંગ જેવા રહીએ છીએ. એક અનુભવી વૈદ્યનું વચન છે કે જગતમાં તેણે એક પણ નીરોગી મનુષ્યને જોયો નહોતો. જરા પણ સ્વાદ થયો ત્યારે જ શરીર ભ્રષ્ટ થયું ને ત્યારથી જ ઉપવાસની આવશ્યકતા તે શરીરને સારુ પેદા થઇ.

આ વિચારશ્રેણીથી કોઇએ ગભરાવાની જરૂર નથી. અસ્વાદવ્રતની ભયંકરતા જોઇ તે છોડવાની પણ જરૂર નથી. આપણે કોઇ વ્રત લઇએ છીએ ત્યારથી તે સંપૂર્ણતાએ પાળતા થઇ ગયા એવો અર્થ નથી. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રામાણિક, દૃઢ પ્રયત્ન મન, વચન, કર્મથી મરણ લગી કરવો. અમુક વ્રત મુશ્કેલી છે. તેથી તેની વ્યાખ્યા મોળી કરી મનને છેતરીએ નહીં. આપણી સગવડને સારુ આદર્શને ઉતારવામાં અસત્ય છે, આપણું પતન છે. આદર્શને સ્વતંત્રપણે જાણી તે ગમે તેટલો કઠિન હોય છતાં તેને પહોંચવાનો માથાતૂટ પ્રયત્ન કરવો એ પરમ અર્થ છે - પુરુષાર્થ છે. (પુરુષ શબ્દનો અર્થ કેવળ નર ન કરતાં મૂળ અર્થ કરવો. પુરમાં એટલે શરીરમાં રહે છે તે પુરુષ. આમ અર્થ કરતાં પુરુષાર્થ શબ્દનો ઉપયોગ નર-નારી બંનેને સારુ થઇ શકે.) મહાવ્રતોને સંપૂર્ણતાએ ત્રણે કાળ પાળવા જે સમર્થ છે તેને આ જગતમાં કંઇ કરવાપણું નથી; તે ભગવાન છે, તે મુક્ત છે. આપણે તો અલ્પ, મુમુક્ષુ, જિજ્ઞાસુ, સત્યનો આગ્રહ રાખનારાં, તેની શોધ કરતાં પ્રાણી છીએ. એટલે ગીતાની ભાષામાં ધીરે ધીરે પણ અતંદ્રિત રહી પ્રયત્ન કર્યા કરીએ. આમ કરશું તો કોક દિવસ પ્રભુપ્રસાદીને સારુ લાયક થઇશું ને ત્યારે આપણા રસમાત્ર બળી જશે.

અસ્વાદવ્રતનું મહત્ત્વ જો સમજ્યા હોઇએ તો આપણે તેના પાલનને સારુ નવો પ્રયત્ન કરીએ. તેને સારુ ચોવીસે કલાક ખાવાના જ વિચારો કરવાની આવશ્યકતા નથી રહેતી; માત્ર સાવધાનીની, જાગૃતિની અતિ આવશ્યકતા રહે છે. આમ કરવાથી થોડા જ સમયમાં આપણે ક્યાં સ્વાદ કરીએ છીએ ને ક્યાં શરીરને પોષવા ખાઇએ છીએ એની ખબર પડી રહેશે. આ ખબર પડ્યા પછી આપણે દૃઢતાપૂર્વક સ્વાદો ઓછા કરતા જ જઇએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુક્ત પાક જે અસ્વાદવૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે રોજ શું ખાઇશું કે રાંધશું તેનો વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય નેજે આપણે સારુ ત્યાજ્ય ન હોય તે ઇશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ તેની ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઇ ઊઠીએ. આમ કરનાર સહેજે અસ્વાદવ્રતનું પાલન કરે છે. સંયુક્ત પાક તૈયાર કરનારાં આપણો બોજો હળવો કરે છે. આપણા વ્રતનાં તે રક્ષક બને છે. સ્વાદ કરવાની દૃષ્ટિથી તે કંઇ તૈયાર નહીં કરે, કેવળ સમાજના શરીરના પોષણને સારુ જ પાક તૈયાર કરશે. ખરું જોતાં આદર્શ સ્થિતિમાં અગ્નિનો ખપ ઓછામાં ઓછો અથવા મુદ્દલ નથી. સૂર્યરૂપી મહાઅગ્નિ જે વસ્તુઓ પકવે છે તેમાંથી જ આપણું ખાદ્ય શોધાવું જોઇએ. અને આમ વિચાર કરતાં મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ધ થાય છે. પણ એટલે ઊંડે અહીં ઊતરવાની આવશ્યકતા નથી. અહીં તો અસ્વાદવ્રત શું છે, તેમાં શી મુશ્કેલીઓ છે ને નથી, તથા તેનો બ્રહ્મચર્યપાલન સાથે કેટલો બધો નિકટ સંબંધ છે તે જ વિચારવાનું હતું. આટલું મનમાં ઠસ્યા પછી સહુ યથાશક્તિ એ વ્રતને પહોંચી વળવાનો શુભ પ્રયત્ન કરે.

૫. અસ્તેય

૧૯-૮-’૩૦, ય. મં.

મંગળપ્રભાત

હવે આપણે અસ્તેયવ્રત ઉપર આવીએ છીએ. ઊંડે ઊતરતાં આપણે જોઇશું કે બધાં વ્રતો સત્ય અને અહિંસાના અથવા સત્યના ગર્ભમાં રહ્યાં છે. તે આમ દર્શાવી શકાય :

કાં તો સત્યમાંથી અહિંસા ઘટાવીએ અથવા સત્ય-અહિંસાને જોડી ગણીએ. બંને એક જ વસ્તુ છે; છતાં મારું મન પહેલાં તરફ ઢળે છે. ને છેવટની સ્થિતિ જોડીથી - દ્ધંદ્ધથી - અતીત છે. પરમ સત્ય એકલું ઊભે છે. સત્ય સાધ્ય છે; અહિંસા એ સાધન છે અહિંસા શું છે એ જાણીએ છીએ; પાલન કઠિન છે. સત્યનો તો અંશમાત્ર જાણીએ છીએ; સંપૂર્ણતાએ જાણવું દેહીને સારુ કઠિન છે. જેમ અહિંસાનું સંપૂર્ણ પાલન દેહીને સારુ કઠિન છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી કરે તે સત્ય જાણે કે પ્રેમધર્મ પાળે એમ કોઇ નહીં કહે. છતાં ચોરીનો દોષ આપણે સહુ થોડેઘણે અંશે જાણ્યેઅજાણ્યે કરીએ છીએ. પારકાનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ, પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે : - જેમ એક બાપ પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવાને ખાતર, છાનોમાનો કંઇ વસ્તુ ખાઇ જાય છે. આશ્રમનો કોઠાર આપણો બધાનો છે એમ કહેવાય; પણ તેમાંથી છાનેમાને જે ગોળની ગાંગડી પણ લે છે તે ચોરી છે. એક બાળક બીજાની કલમ લે છે તે ચોરી કરે છે. ભલે સામેનો માણસ જાણે, છતાં કંઇ વસ્તુ તેની રજા વિના લેવી એ પણ ચોરી છે. એટલે કે રસ્તે પડી ગયેલી વસ્તુના આપણે માલિક નથી, પણ તે પ્રદેશના રાજા અથવા તે પ્રદેશનું તંત્ર છે. આશ્રમની નજીક મળેલી કંઇ પણ વસ્તું આશ્રમના મંત્રીને સોંપવી જોઇએ. મંત્રી, જો તે આશ્રમની ન હોય તો, સિપાઇને હવાલે કરે.

આટલે લગી તો સમજવું પ્રમાણમાં સહેલું જ છે. પણ અસ્તેય આથી બહુ આગળ જાય છે. કોઇ વસ્તુ લેવાની આપણને આવશ્યકતા નથી, છતાં તે જેના કબજામાં હોય તેની પાસેથી, તેની ભલે રજા મેળવીને પણ, લેવી એ ચોરી છે. ન જોઇતી એક પણ વસ્તુ લેવી ન જોઇએ. આવી ચોરી જગતમાં વધારે ને વધારે ખાવાના પદાર્થો વિશે ખાય છે. મને અમુક ફળની હાજત નથી છતાં લઉં છું, અથવા જોઇએ તે કરતાં વધું લઉં છું તો તે ચોરી છે. કેટલી હાજત વસ્તુત : છે એ માણસ હંમેશાં જાણતો નથી, ને લગભગ આપણે બધાં આપણી હોવી જોઇએ તેના કરતાં વધારે હાજત કરી મૂકીએ છીએ. તેથી આપણે અજાણપણે ચોર બનીએ છીએ. વિચાર કરતાં આપણે જોઇશું કે આપણી ઘણી હાજતો આપણે સંકેલી શકીએ છીએ. અસ્તેયનું વ્રત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઇ છે.

ઉપર બતાવી તે બધી બાહ્ય અથવા શારીરિક ચોરી કહીએ. આથી સૂક્ષ્મ અને આત્માને નીચે પાડનારી કે રાખનારી ચોરી તે માનસિક છે. મનથી આપણે કોઇની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે. મોટાં કે બાળક સારી વસ્તુ જોઇ લલચાઇએ તે માનસિક ચોરી છે. ઉપવાસી શરીરથી તો નથી ખાતો, પણ બીજાને ખાતાં જોઇ મનથી સ્વાદને સેવે છે તે ચોરી કરે છે, ને પોતાના ઉપવાસનો ભંગ કરે છે. જે ઉપવાસી ઉપવાસ તોડતાં ખાવાના વિચારો ગોઠવ્યા જ કરે છે તે અસ્તેયનો ને ઉપવાસનો ભંગ કરે છે એમ કહી શકાય. અસ્તેયવ્રત પાળનાર ભવિષ્યમાં મેળવવાની વસ્તુના વિચારના વમળમાં નહીં પડે. ઘણી ચોરીઓના મૂળમાં આ એઠી ઇચ્છા રહેલી જોવામાં આવશે. આજે જે વિચારમાત્રમાં રહી છે તે મેળવવાને આવતી કાલે આપણે સારાનરસા ઉપાયો યોજવા મંડી જઇશું.

અને જેમ વસ્તુની ચોરી થાય છે તેમ વિચારની ચોરી પણઇ થાય છે. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદ્‌ભવ્યો હોય છતાં પોતે જ પ્રથમ કર્યો એમ જે અહંકારમાં કહે છે તે વિચારની ચોરી કરે છે. આવી ચોરી ઘણા વિદ્ધાનોએ પણ દુનિયાના ઇતિહાસમાં કરી છે ને આજ ચાલ્યા કરે છે. ધારો કે મેં આંધ્રમાં નવી જાતનો રેંટિયા જોયો. એવો રેંટિયો મેં આશ્રમમાં બનાવ્યો ને પછી કહું કે આ તો મારી શોધ છે. આમાં મેં સ્પષ્ટ રીતે બીજાએ કરેલી શોધની ચોરી કરી છે, અસત્ય તો આદર્યું છે જ.

એટલે અસ્તેયવ્રતનું પાલન કરનારે બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે.

૬. અપરિગ્રહ

૨૬-૮-’૩૦, ય. મં.

મંગળપ્રભાત

અપરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઇ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઇશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી, જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યનેત્યાં તેને ન જોઇતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ડાઢે ઠરે છે. સહું પોતાને જોઇતો જ સંગ્રહ કરે તો કોઇને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઇચ્છે છે, કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળનેપેટ પૂરતું મળવાનો ધર્મ છે. તેથી તેના અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા - પૂરતુંં સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તોતેને રોજ જોઇશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઇક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીે ને ઓછો કરતાં જઇએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઇચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઇશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ નહીં કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઇ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઇ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે, ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઇએ.

આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઇએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમાં અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઇત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય - અને ખરું છે જે - તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લોભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઇ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઇએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઇ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ પ્રાપ્ત છે.

૭. અભય

તા. ૨-૯-’૩૦

મંગળપ્રભાત

આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્લોક બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઇએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુકત, તલવારાદિ કસેલો નહીં. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબપરિવાર વિશેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય, આબરૂનો ભય, કોઇને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવાળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એકમાત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે છતાં નાના પ્રકારનાં દુઃખોથી નાસે છે. કોઇ પોતે મરવા તૈયાર હોય છે, પણ સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઇ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતા૩ં હેબતાઇ જશે. કોઇ પોતે માનેલી આબરૂ, પ્રતીષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદાના ભયથી કોઇ સીધો માર્ગ જાણતાં છતાં લેતા અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્ચન્દ્રની જેમ પાયમાલ થવાની તેમનામાં તૈયારી હોવી જોઇએ. હરિશ્ચન્દ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થી માત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઇ ઐતિહાસિક કથા કરતાં આનંતગણી વધારે છે, ને આપણે સહુને સંઘરવા, મનન કરવા યોગ્ય છે.

અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી, અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરંભમાં જ કહ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાતી તો ડરીને જ ચાલવાનું છે. કામ - ક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઇએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભયમાત્ર દેહને લઇને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. આમ વિચાર કરતાં આપણે જોઇ શકીએ છીએ કેભયમાત્ર આપણી કલ્પનાની સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘માર’ પણું કાઢી નાખીએ એટલે. ભય ક્યાં છે ? તેન ત્યત્કેન ભુઝજીયા : એ રામબાણ વચન છે. કુટુંબ, પૈસો, દેહ જેવાં ને તેવાં રહે. તેમને વિશેની આપણી કલ્પના બદલવી રહી. એ ‘આપણાં’ નથી, એ ‘મારાં’ નથી; એ ઇશ્વરનાં છે; ‘હું’ પણ તેનો છું, ‘મારું’ એવું આ જગતમાં કંઇ જ નથી. પછી મને ભય શાને વિશે હોઇ શકે ? તેથી ઉપનિષદકારે કહ્યું, ‘તે ત્યાગ કરીને તે ભોગવ.’ એટલે આપણે તેના રખેવાળ રહીએ, તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઇએ, શૂન્યવત્‌ થઇ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.

૮. અસ્પૃશ્યતાનિવારણ

તા. ૯-૯-’૩૦

મંગળપ્રભાત

આ વ્રત પણ અસ્વાદવ્રતની જેમ નવું છે અને કંઇક વિચિત્ર પણ લાગે. જેટલું વિચિત્ર છે તેના કરતાં વધારે આવશ્યક છે. અસ્પૃશ્યતા એટલે આભડછેક; અને અખા ભગતે ઠીક ગાયુંં છે, ‘આભડછેક અદકેરું અંગ’. એ જ્યાં ત્યાં ધર્મામાં ધર્મને નામે કે બહાને વિઘ્ન નાખ્યા જ કરે છે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઇ નથી જે રીતે ઢેડભંગીને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ અસ્પૃશ્ય નથી, તે રીતે મૃતદેહ પણ અસ્પૃશ્ય નથી, એ માન ને કરુણાને પાત્ર છે. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી અથવા હજામત કરી - કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની દૃષ્ટીએ. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી - ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધુએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય, પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડાવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે ગીતાપાથ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે આચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છીએ કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં પણ એ હિંદુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઇ નહીં તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઇબહેનને અપનાવે. તેનો હેતે, સેવા ભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, ‘અસ્પૃશ્ય’નાં દુઃખો દૂર કરે, વર્ષા થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે. આ દૃષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામ રહ્યાંં છે તેમને વ્રતધારી તુચ્છ ગણશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતાનિવારણને વ્રતરૂપે આચરનારા ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારીને સારુએક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમ અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્ત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિશે જ દાખલ થઇ ગયો છે એમ નથી. સડાનો સ્વભાવ છે કે પ્રથમ રાઇના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે, તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે, અન્ય સંપ્રદાયો પ્રત્યે આવી છે, એક જ સંપ્રદાયની વચ્ચે પણ પેસી ગઇ છે, તે એટલે સુધી કે કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાં પાળતાં પૃથ્વી ઉપર ભારરૂપ થઇ પડ્યા છે. પોતાનું જ સંભાળતાં, પોતાને પંપાળતાં, નહાતાંધોતાં, ખાતાંપીતાં નવરા જ થતા નથી. ઇશ્વરને નામે ઇશ્વરને ભૂલી પોતાને પૂજતા થઇ ગયા છે. એટલે અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહીં માને; તે જીવમાત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું. આમ જોતાં અસ્પૃશ્યતાનિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતાનિવારણનો પણ એ જ અર્થ છે. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતાનિવારણ. આમ અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડેઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિંદુ ધર્મના સડાંરૂપે વિચાર્યો છે, કેમ કે તેણે હિંદુ ધર્મમાં ધર્મનું સ્થાન ઝડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામના જેવી કરી મૂકી છે.

૯. જાતમહેનત

તા. ૧૬-૯-’૩૦

મંગળપ્રભાત

જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉચના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઇ ગયો હતો - રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ, શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૉયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નોહની છે. તેને ટૉલ્સ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હો, આપણા આ વ્રતની એ ઉત્પત્તિ છે. બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઇ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાો શો અધિકાર હોય ? બાઇબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’ કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટયા કરે ને તેના મોંમાં કોઇ ખાવાનું મૂકે ત્યારે તે ખાય તો તે લાંબો વખત ખાઇ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથમાં હલાવીને. જો આમ કોઇક રીતે અંગકસરત રાયરંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કોઇ કહેતું નથી, અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસોનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દશ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો બેદ ટળી જાય. અત્યારે તો જ્યાં ઊંચનીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઇ છે, માલિક - મજૂરનો ભેદ સર્વવ્યાપક થઇ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઇ કરે છે. જો સહુ રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તેથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ. સહએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપુર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. બાળક, બુઢ્ઢાં અને રોગથી અપંગ થયેલાં મજૂરી નકરે એને કોઇ અપવાદ ન સમજે. બાળક માતામાં સમાય છે. જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢાં અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?

૧૦. સર્વધર્મસમભાવ - ૧

તા. ૨૩-૯-’૩૦

મંગળપ્રભાત

આપણાં વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’નો અનુવાદ છે. એ મને ગમ્યો નહોતું ગમ્યું. પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસા દૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો ? તો તો આપણે પરમેશ્વર થયા. કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખાતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી, જેમ ઇશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ સંપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયા કરે છે, થયા કરવાના આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઇશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જોઇએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઇને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં ્‌આપણે તેમાં દોષ જોઇ શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમા જે કંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ આપતાં સંકોચ ન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.

બધા ધર્મો ઇશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે, ઇશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો ? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી, સાચા. પણ સહું ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાનાધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે,તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્મન્ધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના.

અહીં ધર્મઅધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઇ ગયાં છે, આજે પણ મોજુદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ - મનુષ્યો - પ્રત્યેના સમભાવમાં કંઇક ભેદ છે. મનુષ્યમાત્ર - દુષ્ટ અને શ્રેષ્ઢ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારુ જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક જ છે. પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહીં ટળે. છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું, પણ તેને પાતરાં અસંખ્ય છે.

૧૧. સર્વધર્મસમભાવ - ૨

તા. ૩૦-૯૦-’૩૦

મંગળપ્રભાત

આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. મારો કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી હતા. સદ્‌ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રુસ્તમજી શેઠને ‘મને વહાલું વહાલું દાદા રામજીનું નામ’ બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : “ ‘દાદા રામજી’ને બદલે દાદ હોસ્મઝદ ગાઓની.” ગવરાવનારે ને ગાનારે આ વિચાર સાવ સ્વાભાવિક હોય તેમ ઝીલી લીધો. ને ત્યાર પછી રુસ્તમજી શેઠ હાજર હોય ત્યારે તો અચૂક અને તે ન હોય ત્યારે કોઇ કોઇ વાર અમે એ ભજન દાદા ‘હોરમઝદ’ને નામે ગાતા. સદ્‌ગત દાઉદ શેઠનો છોકરો સદ્‌ગત હુસેન તો આશ્રમમાં ઘણી વાર રહેતો. તે પ્રાર્થનામાં ઉત્સાહપૂર્વક ભળતો. તે પોતે બહુ મીઠા સૂરમાં ‘ઑર્ગન’ સાથે ‘યે બહારે બાગ દુનિયા ચંંદરોજ’ ગાતો, અને તે ભજન અમને બધાંને એણે શીખવી દીધું હતું ને પ્રાર્થનામાં ઘણી વાર ગવાતું. આપણી અહીંની પ્રાર્થનામાળામાં તેને સ્થાન છે, તે સત્યપ્રિય હુસેનનું સ્મરણ છે. એના કરતાં વધારે ચુસ્તપણે સત્ય આચરનારા નવજુવાન મેં જોયા નથી. જોસફ રૉયપૅન આશ્રમમાં ઘણી વાર આવે જાય. તે ખ્રિસ્તી તેમને ‘વૈશ્ણવજન’ બહુ ગમતું. તે સંગીત સરસ જાણે. તેમણે ‘વૈષ્ણવજન’ને ઠેકાણે ‘ક્રિશ્ચિયન જન તો તેને કહીએ’ એમ લલકાર્યું. બધાંએ તરત ઝીલ્યું. જોસફના હર્ષનો પારન રહ્યો એમ મેં જોયું.

આત્મસંતોષને સારુ જ્યારે હું જુદાં જુદાં ધર્મપુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, જરથુસ્તી, યહૂદી અને હિંદુ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષ પૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહીં હોય. પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઇ યાદ નથી. પણ એમનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાંતો એકસરખા જોતો. કેટલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમ જ હિંદુ પુસ્તકોનું હતું. આજ પણ કેટલુંયે નથી સમજતો. પણ અનુભવે જોઉં છું કે જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું તે આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચોપોતાની મેળે ઊકલી જાય છે; અને જ્યાંં આપણને દોષ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતાઅને વિવેક હોય છે તેથી કોઇને દુઃખ નથી થતું.

એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે ધર્મઅધર્મનો ભેદ રહે છે. અને અધર્મ પ્રત્યે સમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય તો ધર્માધર્મનો નિર્ણય કરવામાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી ? આવો પ્રશ્ન થાય અને એવો નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પણ આપણામાં ખરી અહિંસા વર્તતી હોય તો આપણે વૈરભાવમાંથી બચી જઇએ છીએ. કેમ કે અધર્મ જોતાં છતાં એ અધર્મ આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે. અને તેથી કાં તો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે. અથવા આપણી ભૂલ આપણને બતાવશે. અથવા બંને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે સામેનો અહિંસક નહીં હોય તો એ કઠોરતા વાપરશે;તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઇશું તો આપણી મૂદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારુ પણ આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.

૧૨. નમ્રતા

તા. ૭-૧૦-’૩૦

મંગળપ્રભાત

આને વ્રતોમાં નોખું સ્થાન નથી અને ન હોઇ શકે. અહિંસાનો એ એક અર્થ છે, અથવા કહો કે એના પેટમાં છે. પણ નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઇએ. જ્યારે નિયમાવલિ પહેલી ઘડાઇ ત્યારે મિત્રવર્ગમાં તેનો મુસદ્દો મોકલ્યો હતો. સર ગુરુદાસ બૅનરજીએ નમ્રતાને વ્રતોમાં સ્થાન આપવાની સૂચના કરી હતી, ને ત્યારે પણ એ દાખલ ન કરવાનું એ જ કારણ બતાવ્યું હતું જે અહીં લખું છું. પણ જોકે તેને વ્રતમાં સ્થાન નથી છતાં તે વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે; આવશ્યક તો છે જ. પણ નમ્રતા કોઇને અભ્યાસથી આવી જાણી નથી. સત્ય કેળવાય, દયા કેળવાય, નમ્રતા કેળવવી એટલે દંભ કેળવવો એમ કહેવાય. અહીં નમ્રતા એ વસ્તુ નથી કે જે મોટા માણસોમાં એકબીજાને માનાર્થે શીખવવા કેળવવામાં આવે છે. કોઇ બીજાને સાષ્ટાંગ નમસ્કાર કરતો હોય છતાં મનમાં તો તેને વિશે તિરસ્કરા ભર્યો હોય; આ નમ્રતા નથી, લુચ્ચાઇ છે. કોઇ રામનામ જપ્યા કરે, માળા ફેરવે, મુનિ જેવો થઇ સમાજમાં બેસે, પણ માંહે સ્વાર્થ ભર્યો હોય તો તે નમ્ર નથી પણ પાખંડી છે. નમ્ર મનુષ્ય પોતે જાણતો નથી કે ક્યારે તે નમ્ર છે. સત્યાદિનું માપ આપણે પોતાની પાસે રાખી શકીએ, પણ નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શકતો નથી. વસિષ્ઠ-વિશ્વામિત્રનો દાખલો તો આપણે ઘણી વાર આશ્રમમાં સમજી ગયા છીએ. આપણી નમ્રતા શૂન્યતા લગી જવી જોઇએ. આપણે કંઇક છીએ એમ મનમાં ભૂત ભરાયું એટલે નમ્રતા ઊડી ગઇ ને આપણાં બધાં વ્રતો રોળાઇ ગયાં. વ્રતપાલન કરનાર જો મનમાં પોતાના પાલનનો ગર્વ રાખે તો વ્રતોની કિંમત ખોઇ બેસે ને સમાજમાં વિષરૂપ થઇ પડે. તેના વ્રતની કિંમત ન સમાજ કરે, ન પોતે તેનું ફળ ભોગવી શકે. નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. વિચાર કરતાં માલૂમ પડી જાય એવું છે કે આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઇ નથી શરીર રૂપે ક્ષણજીવી છીએ. કાળના અનંત ચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. પણ જો એ ચકરાવામાંથી નીકળી જઇએ એટેલ કંઇ નથી થઇ જઇએ તો બધું થઇ જઇએ. કંઇ થવું એટલે ઇશ્વરથી-પરમાત્માથી, સત્યથી-વિખૂટા થવું. કંઇ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલી બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું. આ જીવનને પાણીના પરપોટાની ઉપમાં આપી છે એમાં હું મુદ્દલ અતિશયોક્તિ નથી જોતો. આવી નમ્રતા - શૂન્યતા - કેળવવાથી કેમ આવી શકે ? પણ વ્રતોને ખરી રીતે સમજવાથી ઇચ્છનાર અહંકારી કેમ થઇ શકે ? તેણે તો પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય ? તેણે તો પ્રાણ પાથરવાનો નિશ્ચય કર્યો ત્યારે જ પોતાના દેહને ફેંકી દીધો. આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. અને તેથી આળસને, પાખંડને ઘણી જગ્યાએ સ્થાન મળી ગયું છે. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઇશ્વર પોતે ચોવીસે કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઇ જઇએ, તેનામાં ભળી જઇએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઇએ. સમુદ્રથી છૂટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલી બિંદુને આરામ ક્યાંથી ? સમુદ્રને એક ક્ષણનો પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઇસ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઇએ, એટલે આપણો આરામ ગયો, આરામની જરૂર પણ ગઇ. એ જ ખરો આરામ; એ મહા અશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાપર્ણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસેનથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ. એ અનુભવવાના અરાદાથી આશ્રમમાં ભેળાં થયાં છીએ. બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે. બીજું ત્રીજું કરતાં એ કોઇક દિવસ આપણે હાથ આવી જશે. એને જ શોધવા જતાં એ પ્રાપ્ય નથી.

૧૩. સ્વદેશી

પ્રવચનોમાં ‘સ્વદેશી’ ઉપર લખવાનું માંડી જ વાળીશ. રાજ્ય પ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે તેમાં ત્રુટી આવે એમ લાગે છે. સ્વદેશીનું કેવળ ધાર્મિક દૃષ્ટિએ લખતાં પણ કેટલુંક એવું લખવું જોઇએ કે જેનો રાજ્યપ્રકરણની સાથે આડકતરો સંબંધ હોય.

૧૪. સ્વદેશીવ્રત

સ્વદેશીવ્રત આ યુગનું મહાવ્રત છે. જે વસ્તુ આત્માનો ધર્મ છે, પણ અજ્ઞાનને કે બીજે કારણેઆત્માને જેનું ભાન નથી રહ્યું તેના પાલનને સારુ વ્રત લેવાની જરૂર પડે છે. જે સ્વભાવે નિરામિષાહારી છે તેને આમિષાહાર ન કરવાનું વ્રત લેવાપણું ન હોય. આમિષ તેને સારુ પ્રલોભન નથી એટલું જ નહીં, પણ આમિષ જોતાં તેને ઓકારી આવશે.

સ્વદેશી આત્માનો ધર્મ છે પણ તે ભુલાઇ ગયો છે. તેથી તેને વિશે વ્રત લેવાની જરૂર રહે છે. આત્માને સારુ સ્વદેશીનો અંતિમ અર્થ સ્થૂળ સંબંધોમાત્રથી આત્યંતિક મુક્તિ છે. દેહ પણ તેને સારુ પરદેશી છે. કેમ કે દેહ બીજા આત્માઓની સાથે ઐકય સાધતાં તેને રોકે છે, તેના માર્ગમાં વિઘ્નરૂપ છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશીધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે.

આ અર્થ ખરો હોય તો આપણે સહેજે સમજી જઇએ કે આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઇ રહેવું એ સ્વદેશીધર્મ છે. એ સેવા કરતાં દૂરના રહી જાય છે અથવા તેને હાનિ થાય છે એવો આભાસ આવવાનો સંભવ છે. પણ તે આભાસમાત્ર હશે. સ્વદેશીની શુદ્ધ સેવા કરતાં પરદેશીની પણ શુદ્ધ સેવા થાય જ છે. જેવું પિડે તેવું બ્રહ્માડે.

એથી ઊલટું દૂરનાની સેવા કરવાનો મોહ રાખતાં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે. મારી ઉપર આધાર રાખનાર કુટુંબીજન અથવા ગ્રામવાસીને મેં મૂક્યા એટલે મારી ઉપરનો તેમનો જે આધાર હોય તે ગયો. દૂરનાની સેવા કરવા જતાં તેની સેવા કરવાનો જેનો ધર્મ છે તે તેને ભુલે છે. દુરનાની આળપંપાળ તે કરતો હોય તેમ બને, એટલે ત્યાંનું વાતાવરણ તેણે બગાડ્યું ને પોતાનું ચૂંથીને તો તે ચાલ્યો જ હતો. આમ દરેક રીતે તેણે નુકસાન જ કર્યું. આવા હિસાબો અસંખ્ય કલ્પી સ્વદેશીધર્મ સિદ્ધ કરી શકાય. તેથી જ ‘સ્વધર્મે નિધનં શ્રેય : પરધર્મો ભયાવહ : વાકય નીકળ્યું છે. એનો અર્થ આમ જરૂર કરી શકાય :’ ‘સ્વદેશી પાળતાં મૃત્યુ થાય તોયે સારું છે. પરદેશી તો ભયાનક જ છે.’ સ્વધર્મ એટલે સ્વદેશી.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખી હું તેને પંપાળું, તેને ખાતર ધન ચોરું, બીજાં કાવતરાં રચું, એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે. સ્વધર્મના પાલનથી પરધર્મીને કે હાનિ પહોંચે જ નહીં, પહોંચવી જોઇએ નહીં. પહોંચે તો માનેલો ધર્મ સ્વધર્મ નથી પણ તે સ્વાભિમાન છે તેથી જ ત્યાજય છે.

સ્વદેશીનું પાલન કરતાં કુટુંબનો ભોગ પણ આપવો પડે, પણ તેવું કરવું પડે તો તેમાંયે કુટુંબની સેવા હોવી જોઇએ. જેમ પોતાને જતા કરીને પોતાને રક્ષી શકીએ છીએ એમ કુટુંબને જતું કરી કુટુંબને રક્ષતા હોઇએ એમ બને. મારા ગામમાં મરકી થઇ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીને, પુત્રોને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઇ મોતને શરણ થાય તો મેં કુટુંબનો સંહાર નથી કર્યો, તેની સેવા કરી છે. સ્વદેશીમાં સ્વાર્થ નથી અથવા છે તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.

આ વિચારશ્રેણીનો આશ્રય લેતાં મેં ખાદીમાં સામાજિક શુદ્ધ સ્વદેશી ધર્મ જોયો. બધા સમજી શકે તેવો, બધાને જે પાળવાની આ યુગમાં, આ દેશમાં બહુ આવશ્યકતા છે એવો કયો સ્વદેશી ધર્મ હોઇ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઇ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાઓને નુકસાન થાય છે એમ કોઇ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા ચોરી કરતાં અટકાવાય તો તેમાં તેને નુકસાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુકસાન નથી, લાભ છે, અયોગ્ય રીતે જેઓ અર્થ સાધતા હોય તેમના એ અનર્થનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે.

પણ જેવો રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પેહરી-પહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ મહામોહમાં ડુબેલા છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે, એ સ્વદેશી ધર્મની પરિસીમાં નથી. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. તેઓ તો ચાલતા પ્રવાહમાં તણાઇ રહ્યા છે. સ્વદેશીવ્રતનું પાલન કરનાર નિત્ય પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાં જ્યાં પડોશીની સેવા કરી શકાય એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે.પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધરાવવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઇને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરતા નહીં મંડી જાય.

પણ સ્વદેશી ધર્મજાણનાર પોતાના કૂવામાં ડૂબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી - અહિંસામાંથી - ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.

૧૫. વ્રતની આવશ્યકતા

તા. ૧૪-૧૦-’૩૦

મંગળપ્રભાત

વ્રતના મહત્ત્વ વિશે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઇશ. પણ વ્રતો જીવન બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિશે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ.

એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે : ‘અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિશે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહીં પણ તે મનની નબળાઇ સૂચવે છે. હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.’ તેઓ કહે છે : ‘દાખલા તરીકે, દારૂ ન પીવો સારું છે તેથી ન પીવો સારું છે તેથી ન પીવો, પણ કોઇ વાર પિવાયો તો શું થયું ? દવા તરીકે તે પીવો જ જોઇએ. એટલે તે ન પીવાનું વ્રત એ તો ગળે હાંસડી ઘાલ્યા જેવું થાય. અને જેમ દારૂનું તેમ બીજી બાબતમાં. અસત્ય પણ ભલાવને સારુ કાં ન કહીએ ? મને આ દલીલોમાં વજૂદ લાગતું નથી. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહીં તે જ અડગ નિશ્ચય ગણાય. એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતનો અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હોય તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણાયો હોય તે આખરે પાપરૂપ સિદ્ધ થાય તો તે છોડવાનો ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિશે વ્રત કોઇ લેતું નથી, લેવું જોઇએ નહીં. જે સર્વમાન્ય ધર્મ ગણાયો છે પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિશે વ્રત હોય. ઉપરના દૃષ્ટાંતમાં તો પાપનો આભાસ માત્ર હોય. સત્ય કહેતાં કોઇને હાનિ થઇ જશે તો ? એવો વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યની આ જગતમાં કોઇને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. તેમ જ મદ્યપાનને વિશે કાં તો એ વ્રતમાં દવા તરીકે અપવાદ મૂક્યો હોય, અથવા ન મૂક્યો હોય તો શરીરનું જોખમ વહોરવાનો વ્રતની પાછળ નિશ્ચય હોય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેહ જાય તોયે શું ! દારૂ લેવાથી દેહ રહેશે જ એવો પટ્ટો કોણ લખાવી શકે છે ? અને તે ક્ષણે દેહ નભ્યો ને બીજી જ ક્ષણે કોઇ બીજા કારણસર જાય તેનું જોખમ કોને માથે ? અને એથી ઊલટું, દેહ જતાં પણ દારૂ ન લેવાના દૃષ્ટાંતની ચમત્કારિક અસર દારૂની બદીમાં ફસાયેલા મનુષ્યો ઉપર થાય એ જગતને કેટલો બધો લાભ છે ! દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઇશ્વરની ઝાંખી કોઇ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઇ સૂચક નથી પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તો પછી કરવી જ એનું નામ વ્રત. અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરકત નથી. પણ ‘બનશે ત્યાં લગી કરીશ’ એમ કહેેનારા પોતાની નબળાઇનું અથવા અભિમાનનું કરીશ’ એમ કહેનારા પોતાની નબળાઇનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે, ભલે તેને પોતે નમ્રતાને નામે ઓળખાવે. એમાં નમ્રતાની ગંધ સરખીયે નથી. ‘બંને ત્યાં સુધી’ વચન શુભ નિશ્ચયોમાં ઝેર સમાન છે એમ મેં તો મારા પોતાના જીવનમાં પહેલી અગવડે પડી જવું. ‘સત્ય બને ત્યાં સુધી પાળિશ’ એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં ક્યાંયે બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવાની ચિઠ્ઠીનો ક્યાંયે ચેક એ હૂંડીરૂપે સ્વીકાર નહીં થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઇશ્વરની દુકાને વટાવી નહીં શકાય.

ઇશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તો એ ઇશ્વર માટે. સૂર્ય મહાવ્રતનધારી છે, તેથી જગતનો કાળા નિર્માણ થાય છે ને શુદ્ધ પંચાંગો રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હમેશાં ઊગ્યો છે ને હમેશાં ઊગ્યા કરશે, ને તેથી જ આપણે આપણાને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહીં તો વેપાર ચાલે જ નહીં. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ ચાલી શકે ? તેથી વ્રતની આવશ્યકતા વિશે આપણા મનમાં કદી શંકા ન જ ઊઠો.

પરિશિષ્ટ

વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી નીચેનો ભાગ આપવામાં આવ્યો છે.

૧.સત્ય

સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહ્રલાદની જેમ માતાપિતાદિ વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.

૨. અહિંસા

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓની માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે, પણ પ્રેમ કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્ધેષ કર્યા વિના સહન કરે.

૩. બ્રહ્મચર્ય

બ્રહ્મચર્યના પાલન વિના ઉપરનાં વ્રતોનું પાલન અશકય છે. બ્રહ્મચારી કોઇ સ્ત્રી કે પુરુષ ઉપર કુદૃષ્ટિ ન કરે એટલું બસ નથી પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહીં કરે. અને વિવાહિત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિની સાથે પણ વિષયભોગ નહીં કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથએ નિર્મળ સંબંધ રાખશે. પોતાની કે બીજી સ્ત્રીનો કે પોતાના પતિનો કે બીજા પુરુષનો વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષા કે બીજી વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે. પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બંનેની કોઇ વસ્તુ વિશે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

૪. અસ્વાદ

મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે એવો અનુભવ હોવાથી અસ્વાદને નોખું વ્રત ગણવામાં આવ્યું છે. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહીં. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા વગેરેનો ત્યાગ કરે. માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે. આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

૫. અસ્તેય

બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સૂક્ષ્મ સત્ય તો એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરે છે અને આપે છે. તેનાથી વધારે મુદ્દલ ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઇ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.

૬. અપરિગ્રહ

અપરિગ્રહ અસ્તેયના પેટામાં જ રહેલું છે. અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય છે.

૭. જાતમહેનત

અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતનો નિયમ આવશ્યક છે. વળી મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રીપુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવા યોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વૃદ્ધ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે.

આ આદર્શને અવલંબીને આશ્રમમાં મજૂરો અનિવાર્ય હોય ત્યાં જ રાખવામાં આવે છે. ને તેમની સાથે શેઠચાકરનો વહેવાર નથી રાખવામાં આવ્યો.

૮. સ્વદેશી

મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે આ ભાવનાનું નામ સ્વદેશી છે. પોતાની નજીકનાની સેવા છોડીને દૂરનાની સેવા કરવા કે લેવા ધાય છે તે સ્વદેશીનો ભંગ કરે છે. આ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે. તેના ભંગમાં અવ્યવસ્થા રહેલી છે. આ નિયમને આધારે બનતા લગી અપાણે આપણી પડોશની દુકાન સાથે વ્યવહાર રાખીએ; દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.

૯. અભય

સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. અને હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન અપાયું છે. જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઇથી ડરે, ન મોતથી ડરે.

૧૦. અસ્પૃશ્યતાનિવારણ

હિંદુ ધર્મમાં અશ્પૃશ્યતાની રૂઢિએ જડ ઘાલી છે. તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એવી માન્યતા હોવાને લીધે અસ્પૃશ્યતાનિવારણને નિયમમાં સ્થાન આપ્યું છે. અસ્પૃશ્ય ગણાતાંને સારુ બીજી જાતિઓના જેટલું જ આશ્રમમાં સ્થાન છે.

આશ્રમ જાતિભેદને માનતું નથી. જાતિભેદથી હિંદુ ધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે. આશ્રમ વર્ણાશ્રમધર્મને માને છે. તેમાંની વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે તેથી વર્ણ-નીતિનું પાલન કરનાર માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકી નો સમય શુદ્ધ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે. સ્મૃતઓમાં રહેલી આશ્રમવ્યવસ્થા જગતનું હિત કરનારી છે. પણ વર્ણાશ્રમધર્મ માન્ય હોવા છતાં આશ્રમનું જીવન ગીતામાન્ય વ્યાપક ને ભાાવનાપ્રધાન સંન્યાસના આદર્શને આગળ રાખી રચાયેલું હોવાથી આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.

૧૧. સહિષ્ણુતા

આશ્રમની એવી માન્યતા છે કે જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યકત કરનાર છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્ધારા વ્યક્ત થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિશે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી. સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો; પણ બધા ધર્મમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED