ASHIRVAD books and stories free download online pdf in Gujarati

ASHIRVAD

જોગી ઠાકુરના : આશીર્વાદ (૧૯૬૮)

કિશોર શાહઃસંગોઇ

આશીર્વાદ એ હૃષિકેશ મુખર્જીની સરળ અને લાગણીશીલ ફિલ્મ છે. આ ફિલ્મ ન્યુ થિયેટર્સના બી.એન.સરકાર અને વી.શાંતારામને અર્પણ કરાઇ છે. જમીનદારીના બેકગ્રાઉન્ડ પર રચાયેલી આ ફિલ્મમાં એ સમયે જમીનદારના જુલ્મો અને એમની ક્રુરતા છતા થાય છે, છતાં ક્રૂરતાના આ કાદવ વચ્ચે પણ ક્યાંક માનવતાનું કમળ ખીલે છે એની પ્રતિતી પણ થાય છે. જમીનદારોના જુલ્મ અને શોષણ નકસલવાદના મૂળ હોઇ શકે. આ ફિલ્મની કથા આંખને ભીની કરી દે એવી છે. આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે અશોક કુમારને ૧૯૬૯નો ફિલ્મફેર ઍવોર્ડ અને ૧૯૬૯નો નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યો હતો.

નિર્માણ : એન.સી. સીપ્પી-હૃષિકેશ મુખર્જી

વાર્તા-સ્ક્રીનપ્લે-ઍડિટીંગ-ડિરેકશન : હૃષિકેશ મુખર્જી

કલાકાર : અશોક કુમાર-સંજીવ કુમાર-સુમિત્રા સન્યાલ-વીણા-સજ્જન-હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય-એસ.એન. બેનર્જી-બેબી સારીકા-લીલા ગાંધી-અભિભટ્ટાચાર્ય-પદ્મા ખન્ના અને અન્ય.

સંવાદઃ ગુલઝાર

ગીત : ગુલઝાર-હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

ગાયક : લતા-આશા-હેમલતા-અશોક કુમાર-હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય-મન્ના ડે

સંગીત : વસંત દેસાઇ

કોરીયોગ્રાફી : લીલા ગાંધી.

ડૅન્સ ડિરેકશન : બીરેન ત્રિપાઠી

ફોટોગ્રાફી : ટી.બી.સીથારામન

આર્ટ ડિરેકશન : અજીત બેનર્જી

બંગાળના ચંદનપુર ગામની કથા છે. જ્યાં જમીનદારીનું ચલણ હતું. શિવનાથ ઠાકુર (અશોક કુમાર) એક જમીનદારનો ઘરજમાઇ છે. એની સત્યપ્રિયતાને અને માનવતાને લીધે લોકો એને જોગી ઠાકુરના હુલામણા નામે બોલાવે છે. એમ.એ. ભણેલો જોગી ઠાકુર ગીત-સંગીત-કવિતા અને લોક સાહિત્યનો રસિયો છે. એની સાથે એક વહી (નોટબુક જેવું પુસ્તક જેમાં વેપારીઓ નામુું/એકાઉન્ટ લખતા) હોય છે; જેમાં એ સાહિત્યનો ઉતારો કરે છે, કવિતાઓ લખે છે. લીલા (લીલા ચૌધરી) એની પત્ની છે. લીલા જમીનદારીના બધા પાઠ ભણી છે. એ ક્રૂર છે. મહેસૂલ માટે ગમે તેવા જુલ્મો કરતાં અચકાતી નથી. એમને એક નાજુક ઢીંગલી જેવી દિકરી છે. નીના ઉર્ફે બીટ્ટુ. બીટ્ટુ ચિત્રકામ અને કવિતાની ચાહક છે. જોગી ઠાકુર સંગીત શીખવા ઢોલ અને મૃદંગ વાદનના ઉસ્તાદ બૈજુ (હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય)ને ત્યાં હરિજનવાસમાં અવરજવર કરે છે. બૈજુને એ ગુરૂ માને છે. બૈજુને એ કહે છે : હમારે દેશ કા દુર્ભાગ્ય દેખો ગુરૂ. શેક્સપીયર, શેલી, કીટ્‌સ કીસીને કહે દીયા તો બડા કલ્ચર્ડ કહેલાતા હૈ. બડી ખીદમત કી જાતી હૈ ઉનકી. અરે ! અસલ કલ્ચર તો યહાં હૈ ગુરૂ ઔર તુમ ભૂખે મરતે હો. મૈં તો તુમ્હારે પૈર છુઉંગા. બૈજુ : ક્યા કર રહે હૈ, ઠાકુર ! ક્યા કર રહે હૈ ? મુઝે પાપ ક્યોં દે રહે હૈં ? જોગી ઠાકુર : કૈસા પાપ ગુરૂ ? બૈજુ : આપ માલિક હૈ, શિવ-બ્રાહ્મણ. જોગી ઠાકુર : દોનોં નહીં, દોનોં નહીં ગુરૂ. ઔર તુમ મુઝે બ્રાહ્મણ કહેતે હો ? બ્રાહ્મણ તો વો હોતા હૈ જો દૂસરોં કો જ્ઞાન દેતા હૈ. ઓર મુઝ કો જ્ઞાન કૌન દે રહા હૈ ? તુમ દે રહે હો તુમ. તુમ મેરે લીએ બ્રાહ્મણ હો.જોગી ઠાકુર અને બૈજુની સંગીતની જુગલબંધી અને મૈત્રી ઉચ્ચવર્ણના લોકોને ખટકે છે.

ગામમાં લગાન ભરવાનો તકાજો થાય છે. બૈજુ પણ ઝપટમાં આવી જાય છે. જોગી ઠાકુર ઘરમાંથી પૈસા ઉપાડી ગરીબ બૈજુને આપે છે. ઘરમાં ખબર પડી જતાં ઝગડો થાય છે. લીલા : તુમ ઝમીંદારી કે તૌર તરીકે મુઝે મત શીખાઓ. જોગી ઠાકુર : મૈં જાનતા હું તુમ ઝમીંદાર કી બેટી હો. ઝમીંદારી કા કામ તુમ્હે મુઝ સે જ્યાદા આતા હૈ. લેકીન ઇન્સાનીયત ભી તો કોઇ ફર્ઝ હૈ ! લીલાઃ યહ ઉપદેશ ગાંવવાલોં કો જાકર સુનાઓ જીન કે તુમ નેતા બનતે ફિરતે હો. જોગી ઠાકુર : નેતા બેતા કૂછ નહીં. મૈં તો એક સાધારણ આદમી હું. અચ્છા, લીલા તુમ તો ભગવાનકી પૂજા કરતી હો. ઇતના તો સમજતી હો કી ભગવાનને સબ કો એક હી મીટ્ટીસે બનાયા હૈ, એક હી ધરતી મેં પૈદા કીયા હૈ. તુમ્હારે લીએ, મેરે લીએ ઉસને અલગ અલગ જમીન તો નહીં બનાઇ. ફીર તું મેરી ઝમીં, મેરી ઝમીંદારી કર કે ભગવાન કા અપમાન ક્યોં કરતી હો ? અંતે ઝગડાથી ત્રસ્ત જોગી ઠાકુર ઘર છોડી જાય છે. એ શહેરમાં આવે છે. બગીચામાં એનો મેળાપ બાઇસ્કોપવાળા મહાદેવ સાથે થાય છે. એ મહાદેવને ત્યાં રહે છે અને બાળકોને બાઇસ્કોપના ખેલ સાથે ગીતો પણ સંભળાવી એમનું મનોરંજન કરે છે. શહેરમાં એને નીના(સારીકા) નામની બાળકીનો મેળાપ થાય છે. તાવની બિમારીથી શહેરની નીના મૃત્યુ પામે છે. જોગી ઠાકુરને આઘાત લાગે છે. એ પોતાની નીનાને મળવા ચંદ્રપુર પાછો ફરે છે.

ચંદનપુરમાં બળેલા મકાનોના ભગ્ન અવશેષો વચ્ચે જોગી ઠાકુર ફરે છે. એના પગ પાસે જુલ્મના અલ્પવિરામ જેવું બળેલું ઢોલક શાંત પડ્યું હોય છે. એ બૈજુને શોધે છે. એને પાગલ બૈજુ મળે છે. બૈજુની દિકરી રૂકમણી (પદમા ખન્ના)ને મુનીમ(સજ્જન) ઉઠાવી ગયો હોય છે. જોગી ઠાકુર મુનીમનો પીછો કરી એને શોધે છે. મુનીમ રૂકમણી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે જોગી ઠાકુર એની હત્યા કરે છે. કોર્ટમાં કેસ થાય છે. જોગી ઠાકુર ગુનો સ્વીકારી લે છે અને સજા પામે છે. જેલમાં એ નીના માટે કવિતાઓ લખે છે. જેલમાં એને મળવા એનો સાળો મોહન (એસ.એન.બેનર્જી) નિયમીત આવે છે અને બધા સમાચાર આપે છે. નીના કહેવાયું છે કે એના પિતા સાધુ થઇ ગયા છે. આ દરમિયાન રૂકમણી અને લીલા પણ મૃત્યુ પામે છે. વહીના પાના કવિતાથી ભરાતા જાય છે અને સમય વિતતો જાય છે.

નીના (સુમિતા સન્યાલ) યુવાન થાય છે. એની સગાઇ ડૉ. બીરેન(સંજીવ કુમાર) સાથે થાય છે. ડૉ. બીરેનને જેલની હૉસ્પિટલમાં પોસ્ટીંગ મળે છે. બીરેન કેદીઓથી ડરે છે. જેલર એને કહે છે : હમ મુજરીમોં કો કૈદ ખાનેમેં ઇસ લીએ રખતે હૈ, તાકી વહ બહાર કે તમામ રીશ્તે-નાતોં સે કટ કર અપને આપ કે સાથ રહેં. અપને આપ કો દેખેં. અપની અચ્છાઈઓં ઓર બુરાઇઓં કો ખુદ પહેચાને ઓર પરખેં ઉન્હે. કૈદી કોઇ બાઘ-ભાલુ થોડે હી હૈં કી ઉન્હે પીંજરોં મેં બંધ કર દીયા જાય. જૈસે શરીર કી બિમારીયોં કે લીએ અસ્પતાલ હૈ, વૈસે મન કી બિમારીઓં કે લીએ જેલ એક રીફોર્મીંગ સ્કૂલ હૈ. જેલમાં બીરેનની સેવા માટે જોગી ઠાકુરની નિયુક્તિ થાય છે. બીરેનના ખંડમાં ફૂલોનો ગુલદસ્તો મૂકતાં જોગી ઠાકુર કહે છે : યે ફૂલ ઊંચે હૈં ન સાબ, ઐસા માલુમ હોતા હૈ જૈસે ઍડીઓ પર ઉચક કર આસમાં કો છૂ રહે હૈ. કોંપલેં સર ઊઠા કર જબ દેખેં કૌન આયેગા ગર બહાર નહીં,/ આંખે જબ દેખતી હો દરવાજે, કોઇ કહે કે ઇન્તઝાર નહીં.

બીરેનના રેડિયો પર જોગી ઠાકુર પોતાનું ગીત ‘‘એક થા બચપન’’ પુત્રી નીનાના કંઠે સાંભળે છે. નીના બીરેનને મળવા આવે છે ત્યારે જોગી ઠાકુર એને જુએ છે. નીનાને ડાકુ અને ખૂનીઓ પ્રત્યે નફરત હોવાથી જોગી ઠાકુર એનાથી દૂર રહેવા પ્રયત્નો કરે છે. નીનાની ઇચ્છા હોય છે કે એના પિતા એને લગ્નના આશિર્વાદ આપવા જરૂર આવશે. બીરેન-નીનાના લગ્નની તારીખ નક્કી થાય છે. જોગી ઠાકુર બિમાર પડે છે. જોગી ઠાકુરની સજા પૂર્ણ થતાં એને જેલમાંથી મુક્તિ આપવાનું નક્કી થાય છે. પણ બીમારીને કારણે એ અટકે છે. બીરેન એમને લગ્નનું આમંત્ર આપે છે.

જેલમાંથી જબરદસ્તીથી રજા લઇ બિમાર જોગી ઠાકુર ચંદનપૂરનો પ્રવાસ આદરે છે. ચંદનપૂરની ભાગોળે લગ્ન પ્રસંગે દાન લેવા જતા ભીખારીઓના ટોળામાં એ ભળી જાય છે. આ ટોળામાંનો બૈજુ એને ઓળખી લે છે. બન્ને હવેલીએ જાય છે. નીના ભીખારીઓને દાન આપવા બહાર આવે છે. પિતા એની લાડકી પુત્રીને આશિર્વાદ આપે છે. આશિર્વાદ આપી, બૈજુ સાથે જોગી ઠાકુર હવેલી બહાર નીકળી જાય છે. થોડે દૂર પહોંચતાં જોગી ઠાકુરની તબિયત ગંભીર થઇ જાય છે. બધાને જોગી ઠાકુરની હાજરીની ખબર પડે છે. મોહન, બીરેન અને નીના પણ પહોંચે છે. બંધિયાર જેલમાં રહેલા જોગી ઠાકુર ખુલ્લા આકાશ તળે અંતિમ શ્વાસ લેતા પહેલા મૃદંગ વાદન સાંભળે છે. ભેટમાં નીનાને કવિતાઓની વહી આપે છે, જેમાં માત્ર એક પાનું હજી કોરું છે. પ્રેમ અને વિશ્વાસની કવિતાથી એ પાનું ભરવાનું કહી જોગી ઠાકુર અનંતની યાત્રાએ પ્રસ્થાન કરે છે.

ગીતો :

* સાફ કરો ઇન્સાફ કરો (લતા-આશા-હેમલતા-અશોક કુમાર-હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય) આ ગીત લાવણી નૃત્ય પર ફિલ્માવાયું છે. આ ગીતમાં ઉખાણાઓ પૂછાય છે અને એના જવાબ મંગાય છે. એક જાતના મુકાબલા જેવું આ ગીત છે. એક સમયે પારસીઓમાં આવા મુકાબલા થતા. એ કલગીતોરા કહેવાતા. એનું એક ઉખાણું છે : કઇ બરસ તો કભી ન આયે/આયે; તો ફિર કભી ન જાયે/કાટો ફેંકો ફીર ભી આ જાયે/બુઝે કોઇ યે બતલાયે. જવાબ છે દાઢી.

* કાણોં કી એક નગરી દેખી જીસમે સારે કાણે થે (અશોક કુમાર)ઃ આ વિનોદી ગીત છે. મસ્તીના આ ગીતમાં ગપ્પા જ મારવામાં આવ્યા છે. નદી પુલ પર વહે, પાણી પર રેલગાડી ચાલે, વાંદરાઓની પૂછડી પર દ્રાક્ષના ઝૂમખા લટકે. ચાંદની રાતે બધા છત્રી ઓઢી ફરે અને ઝાકળ માથા પર પડે તો માથું ફાટી જાય.

* રેલગાડી.. (અશોક કુમાર) : આ સુંદર બાળગીત છે. આ ગીતમાં રેલગાડીની અને ગીતની ગતિ તાદૃશ કરવા કૅમેરા ઝૂમીંગનો ઉપયોગ ખૂબ સરસ થયો છે. આજે પણ લોકોની આ ગીત યાદ રહ્યું છે.

* નાવ ચલી. નાની કી નાવ ચલી.(અશોક કુમાર) : આ પણ બાળગીત છે. અશોક કુમારે એની રેન્જ પ્રમાણે સુંદર રીતે ગાયું છે.

* સાંવરીયા ઘર આ. (લતા) : વરસાદ વરસતો હોય ત્યારે પ્રિયતમને મળવાનો તલસાટ અહીં પ્રગટ થાય છે.

* એક થા બચપન એક થા બચપન (લતા) : વિરહી પિતા-પુત્રીના પ્રેમ વચ્ચેના પ્રતિક જેવું આ સુંદર ગીત છે. એનું ફિલ્માંકન એવું થયું છે કે જોનારની આંખ ભીની થયા વગર ન રહે.

* જીવન સે લંબે હૈ બંધુ, યે જીવન કે રસ્તે(મન્ના ડે) : જીવન અને મૃત્યુના ગૂઢ સંદર્ભ ધરાવતું અર્થ સભર આ ગીત ગાડાવાળો ગાય છે. (માઝી ગીતોની જેમ હિન્દી ફિલ્મોમાં ગાડાવાળાના ગીતો પણ સ્થાન પામ્યા છે.) આ ગીતના અંતે મૃત્યુના પ્રતિક જેવી સ્મશાનમાં બળતી ચિતા પાસેથી ગાડું પસાર થાય છે. આ દૃશ્ય ગીતના શબ્દોને સાર્થક કરતાં કરતાં કહ્યા વિના ઘણું બધું કહી જાય છે.

ફિલ્મમાં દુહો પણ છે : તન કી જાત સભોં કી માટી શ્રદ્ધા મન કી જાત,/આજ બડી કલ છોટી હો જાય ખોટી ધન કી જાત.

બાળકો માટે એક જોડકણું પણ છે : બંદરવાલા ચંદરશેખર/આયા અપના બંદર લેકર/દેખો બચ્ચોં ચન્દ્રમા કે અંદર/ઘૂસ ગયા એક બંદર/ઘૂસ કે બંદર બોલા/ કીતના સુંદર ગોલા/ફીરતે ફીરતે બસ્તી ગાંવ/થક જાતે દોનોં કે પાંવ/ડમરૂ સુન કે દૂર દૂર સે બચ્ચે આતે ગાતે ગાતે/આતે ચિલ્લાતે બંદર આયા બંગલૂર સે.

આ ફિલ્મમાં કેટલીક કવિતાઓ પણ છે.

*કંધે ઝૂક જાતે હૈ બોજ સે ઇસ લમ્બે સફર કે/હાંફ જાતા હું મૈં જબ દિન કી ચઢાનેં ચઢતે/સાંસેં રહ જાતી હૈ જબ સીને મેં એક ગુચ્છા સા હોકર/ઓર લગતા હૈ કી દમ તૂટ જાયેગા યહીં પર/એક નન્હી સી મેરી કવિતા મેરે સામને આકર મુઝ સે કહતી હૈ મેરા હાથ પકડકર/ મેરે શાયર લા મેરે કંધોં પે રખ દો/ મૈં તેરા બોઝ ઊઠા લુંગી. (લીલાના મૃત્યુ પછી જેલની કોટડીમાં આ કવિતાનું પઠન થાય છે ત્યારે પ્રકાશના બે શેરડા જોગી ઠાકુરના ખભા પર પડતા દર્શાવાયા છે.)

*ઇસસે અચ્છી હી ફરીશ્તોં કેં બસર ક્યા હોતી./ગમ કી રોનક જો ઇધર હૈ ઉધર ક્યા હોતી./સુબહ તક જીને કી મહોલત નહીં હૈ/વરના રાત જબ ઇતની મહેરબાં હૈ, સહર ક્યા હોતી.

*બસ એક હી સૂર મેં એક હી લય મેં/સુબહ સે દેખ દેખ કૈસે બરસ રહા હૈ ઉદાસ પાની./ ફુહાર સે મલમલી દુપટ્ટે ઉડ રહે હૈ/ તમામ મૌસમ ટપક રહા હૈ/તમામ કાયનાત રીસ રહી હૈ/હરેક શય ભીગ ભીગ કર દેખ કૈસી બોઝલ સી હો ગઇ હૈ/દિમાગ કી ગીલી ગીલી સોચોં સે, ભીગી ભીગી ઉદાસ યાદેં બરસ રહી હૈ/થકે થકે સે બદનમેં બસ ધીરે ધીરે સાંસોં કા ગર્મ લોબાન જલ રહા હૈ.

*કોંપલેં સર ઊઠા કર જબ દેખે કોન આયેગા ગર બહાર નહીં/આંખેં જબ દેખતી હો દરવાજે કોઇ કહે દે કે ઇન્તજાર નહીં.

રીત-રીવાજો : એ સમયના મુનીમો ટોપી પહેરતા. મોટો મુનીમ રેશમી કિનારની ભરતવાળી ટોપી અને નાનો સાદી કાળી ટોપી. લખવા માટે કલમ અને ખડિયો હતા. કપડા મૂકવા વાંસને આડો ઝૂલતો બાંધતા. મહેમાનગતીમાં હુક્કો આપવો સામાન્ય હતું. એ સમયે ધનવાનોના મોભા જેવો રેડિયોગ્રામ દર્શાવાયો છે.

દિગ્દર્શનના ચમકારા : ફિલ્મના પ્રથમ જ જનરલ શોટમાં હવેલીના ગેટ પર મુખ ફાડીને બેઠેલા બે સિંહોના પૂતળા બતાવ્યા છે જે હવેલીની ભીતરના ક્રૂર વાતાવરણને તાદૃશ કરે છે. જોગી ઠાકુરનું સપનું સેપીયા કલરમાં છે. શહેરની નીનાના મૃત્યુના સમાચાર સાંભળી વાંદરાના હસતા મુખવટા પાછળ રડતી આંખો ઘણું બધું કહી જાય છે. આંખો વિનાનો મુખવટો હસતો હોવા છતાં નિષ્પ્રાણ જણાય છે. જોગી ઠાકુર જેલમાં કવિતા લખવાનું શરૂ કરે છે ત્યારે જેલની ઘડિયાળમાં ટકોરા પડે છે. જાણે કહેતા હોય કે મનુષ્ય પર સમય રાજ કરે છે. જોગી ઠાકુર અંતિમ શ્વાસ લે છે ત્યારે કાળા વાદળ સૂર્યને ગ્રસી લે છે. મૃદંગ વાદનથી થરૂ થતી ફિલ્મ મૃદંગ વાદનથી પૂરી થાય છે.

આશીર્વાદ ફિલ્મનો બોજ અશોક કુમારના ખભા પર જ છે. એમનો અપ્રતિમ અભિનય આ ફિલ્મને ગરિમા બક્ષે છે. હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનો અભિનય માણવા જેવો છે. અન્ય કલાકારોએ પણ પોતાના પાત્રો ન્યાય આપ્યો છે. અશોક કુમાર અને હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનો મેકઅપ ભલે સાદો હોય પણ ફિલ્મમાં ધારી અસર ઊભી કરે છે. વસંત દેસાઇનું સંગીત પણ કર્ણપ્રિય છે. આ ફિલ્મે બે બાળગીતો અને જોડકણાં ભેટ આપ્યા છે, જે અવિસ્મરણીય છે. ફિલ્મી કારકીદર્ીમાં, ફિલ્મ ઉદ્યોગને હૃષીકેશ મુખર્જી અને અશોક કુમારનું અમૂલ્ય નજરાણું છે આશીર્વાદ.

-કિશોર શાહ kishorshah9999@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED