Kamsutrani jivant kadi books and stories free download online pdf in Gujarati

Kamsutrani Jivant Kadi....

કામસૂત્ર

ની જીવંત કડી...

લેખક ;- સુલતાન સિંહ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭

પ્રસ્તાવના :-

સૌપ્રથમ મારી ઇબુક ડાઉનલોડ કરવા બદલ ખુબ ખુબ આભાર... આ એક ચિંતનાત્મક, વૈચારિક અને પૌરાણિક પ્રકારનો લેખ છે કદાચ એમાં ઘણી વાતો ઈતિહાસને લગતી જોવા મળશે પણ એમાં એક વાત મુખ્ય છે કે ઈતિહાસ કોઈનાથી બદલી શકતો નથી એટલે જરૂર મુજબ ઈતિહાસની ઘટનાઓ દોહરાવાઈ છે...

દરેક વાંચકને વિનંતી કે લેખ વાંચ્યા પછી પોતાનો અભિપ્રાય જરૂરથી જણાવવો ફક્ત સ્ટાર આપવા કરતા એ આપવાના થોડાક કારણો પણ લખશો તો વધુ ગમશે...

અભાર...

કામસૂત્રની કડી...

“ કામસૂત્ર ” શબ્દ જાહેરમાં તો બોલવો પણ જાણે પાપ છે વિશ્વાસ ના આવે તો કોઈક વાર લોકોના મોટા ટોળામાં ઉભા રહીને બોલી જોજો ફર્ક તમને જાતેજ નઝરે દેખાઈ જશે. સૌપ્રથમ તો આ શબ્દ સાંભળતાની સાથેજ આપણા મગઝમાં જે ચિત્ર આવે એ છે “સેક્સ” હા બિલકુલ એવુજ ચિત્ર પણ સામે આવે. પણ આ પુસ્તક એના સિવાયનું પણ ગણું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન ધરાવે છે જે આપણી માનસિકતા કરતા તદ્દન અલગ છે. વાત્સ્યાયનના કામસૂત્ર ગ્રંથમાં યૌન સબંધ અંગેની જુદી જુદી ૬૪ કળાઓ સહીત સાત અધ્યાયોમાં વિભાજીત જીવનના ધ્યેયોને ઉચ્ચતમ બનાવવા અંગેનું પણ વિસ્તૃત વર્ણન છે. સાત અધયાયોમાં વહેચાયેલો આ ગ્રંથ વિશ્વનો સૌપ્રથમ યૌનસબંધો પર આધારિત ગ્રંથ છે અને વિશ્વના કેટલાય વ્યક્તિ એના પર સંશોધન કરી ચુક્યા છે, કરે છે અને કરતા રહેવાના છે. આ પુસ્તકના સાતેય ભાગ વિશ્વને પોતાનામાં સમાવી લે એવા સાત સમુદ્રોની ગહેરાઈ ધરાવે છે દરેકને એમાં જાણે કઈક નવું જાણવા મળી જાય છે.

ઋષિ વાત્સ્યાયન દ્વારા રચાયેલો આ સ્રોત ગ્રંથ શું છે એ તો બધા જાણે છે પણ એની ઉપયોગીતા હજુય ગણા લોકોથી છુપી છે. જેના પાછળ માનવ મનની વિકૃતિનો પણ સમાવેશ કરી શકાય છે જે હમેશા આ પુસ્તક અંગે વિકૃત માનસિકતા ધરાવતો આવ્યો છે અને એનાથી દુર ભાગતો રહ્યો છે. જેના પાછળનું મુખ્ય કારણ શિષ્ટાચાર ના હોઈ વિકૃતતા વધુ જોવા મળે છે. જે વ્યક્તિ ઐતિહાસિક સ્થળે જઈને એજ શિલ્પ સ્થાપત્યો સાથે ફોટા પડાવે છે ત્યારે કદાચ એ વિકૃતતા આડે નથી આવતી પણ એ શબ્દો અથવા એ પુસ્તક વિશેની ચર્ચામાં ના જાણે કેમ એ આવતી હશે.

કામસૂત્ર એટલે શું...? સેક્સ અને સહવાસની ચર્ચા.. એક રીતે હા કારણકે “sex is not a bad thing”. હા એ કુદરતી પ્રક્રિયા છે જે સદિયોથી સતત ચાલતી આવી છે. પુરાણોના આધાર અને વાત્સ્યાયન દ્વારા રચિત કામસૂત્ર એક બીજો નિર્દેશ પણ કરે છે કે “sex is a one type of divine way”. પણ કેવું એ પ્રશ્ન અગત્યનો છે. હા “sexual pleasure” એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે જેને કોઈ પ્રકારે રોકી શકાતો નથી જેને અધ્યાત્મીક્તાની દ્રષ્ટિએ પણ જોઈ શકાય છે. પણ જ્યાંરે એ માનસિક સ્તરે માણસને રાહ ભટકાવે ત્યારે એ આધ્યાત્મિકતા થી દુર થઇ ભૌતિકતામાં પ્રવેશે છે. પૌરાણિક સમયમાં કામક્રીડા શારીરિક સ્તર સુધી માર્યાદિત ગણાતી હતી અને કદાચ એ અધ્યાત્મિક દ્રષ્ટીએ પણ એટલીજ અગ્રીમ હતી. અને એની આધ્યાત્મિકતા અને પવિત્રતાના કારણેજ આજે પણ આપણને પૌરાણિક સ્થાપત્યોમાં અજેય કામુક મુદ્રાઓ અને શીલા સ્થાપત્યો જોવા મળે છે પછી એ ભલેને મંદિર હોય, કિલ્લા હોય, વાવ કે ગુફાઓ હોય, મહેલો કે ભાવનો હોય, સ્થંભો કે ગુબંજો હોય, તોરણ કે મહાલયો હોય કે પછી ઐતિહાસિક દીવાલોજ કેમ ના હોય.

કામસૂત્ર સાથે જોડાયેલું વાત્સાયનના ગ્રંથને જીવંત બનાવતું અભિન્ન અંગ એટલેકે મધ્યપ્રદેશના છત્તરપુર જીલ્લામાં આવેલું શહેર ખજુરાહો. ખજુરાહો કામસૂત્રમાં દર્શાવાયેલી ચોસઠ કળાના કામુક શીલા સ્થાપત્યો માટે જાણીતું છે તેમજ તે ભારતીય પુરાતન ખાતા દ્વારા સંરક્ષિત તેમજ વિશ્વ સંગઠન દ્વારા તેને વિશ્વ વિરાસતોમાં સમાવી લેવાયેલું સ્થળ પણ છે.

ઐતિહાસિક ગ્રંથો અને સંદર્ભોના આધારે ખજૂરાહોમાં લગભગ ૮૫ મંદિરો હતા જેમાંથી અત્યારે માંડ ૨૫ નજરે પડે છે. અથવા તો બાકીના જમીનમાં દફન છે અથવા તો સમયની માર સામે પડી ભાંગ્યા છે જેની શોધખોળ પુરાતન ખાતા દ્વારા સતત થઇ રહી છે. કેટલાક મંદિરો એના આસપાસના ખેતરોમાં દફન હોવાના પણ દાવાઓ છે જેના આધારે એમ માની શકાય કે ખાજુરાહોનો વિશ્વ વારસો હજુ ત્રીજા ભાગ કરતા પણ વધુનો ઝાંખો અથવા જમીનમાં દફન છે.

ખજુરાહો મંદિરના સજાવટના આકારો અહીના શાસકોની સંપતિ અને શક્તિના પ્રતિક સમાન છે. મોટા મોટા ગુબંજો એ એમની શિવ ભક્તિની શાખ પૂરતા નજરે પડે છે. મુખ્ય મંદિરના પ્લેટફોર્મની ચાર સહાયક વેદી જે આશરે ઇશવી ૯૫૪ માં નિર્માણ પામી છે તે મંદિરનો સબંધ તાંત્રિક સમુદાય સાથે નો દર્શાવે છે. જેનો અગ્રભાગ બે પ્રકારની મુર્તીકાળાઓથી સણગારવામાં આવ્યો છે એક તો મિથુન અને બીજું આલિંગન કરતા દંપતીના આકાર વડે. ખજૂરાહોની મુલાકાત સાથે કાલીંજર અને અજયગઢના કીલ્લાને પણ સમાવી લેવાય છે જે એના સંઘર્ષની લોહીયાળ ગાથા અને ચંદેલ સામ્રાજ્યની વીરતાની સાક્ષી પૂરે છે..

ખજુરાહોનો ઈતિહાસ...

કામસૂત્રની જીવંત કડી એટલે ખજૂરાહોના મંદિર કદાચ વિશ્વના એવા પ્રથમ દેવ મંદિર જેમાં કમસુત્રની દરેક યૌનક્રીડાની કલાઓને પથ્થરો પર જીવંત બનાવાઈ છે. ખજૂરાહોના મંદિર એટલે ચંદેલ વંશની શૌર્યગાથા અને ભારતીય ઈતિહાસને અપાયેલી અમુલ્ય ભેટ જેમાં ૮૫ પથ્થર કોતરણીના ઉત્કૃષ્ટ નમુના રૂપી મંદિરોનો સમાવેશ થાય છે. જેમાંથી બધાનું બાંધકામ લગભગ ઇસાની ત્રીજી સદીમાં થયેલું છે લગભગ ઇસવી ૯૫૦ થી ૧૦૫૦ના પૌરાણિક સમયગાળામાં હેમવતીના પુત્ર ચંદ્રવર્મનના શાસન દરમિયાન નિર્માણ પામેલ છે.

ખજુરાહો એટલે મધ્યપ્રદેશમાં આવેલ છત્તરપુર જીલ્લામાં આવેલું મંદિરોનું શહેર જેનું પ્રાચિનતમ નામ ખજુર પુરા અને ખજુર વહીકા હતું જેની જનગણના ૨૦૦૧માં ૧૯૨૮૨ જેટલી હતી. અને આજે પણ એને મંદિરોના શહેર તરીકેજ ઓળખવામાં આવે છે જે વિશ્વમાં સૌપ્રથમ વળાંક ધરાવતા પથ્થરોના મંદિર તરીકે પ્રચલીત છે. જેમાં કામસૂત્રમાં દર્શાવેલા દરેક સમાગમ અને રતીક્રીડાની કલાને બારીકાઇ પૂર્વક પથ્થરો પર કંડારવામાં આવ્યું છે. જે એ વખતના ચંદેલ સામ્રાજ્યની રાજધાની તરીકે ચંદ્રવર્મનનો ગઢ ગણાતો હતો. આમતો ચંદ્રવર્મન બુંદેલખંડના રાજપૂત શાસક હતા પણ એમણે માતા હેમવતી ના કહેવાથી અહી લગભગ ૮૫ મંદિરોનું નિર્માણ કર્યું હતું.

ખજૂરાહોના પ્રાચીન મંદિરોને ૧૯૮૬ના વર્ષ દરમિયાન વિશ્વ સંગઠન દ્વારા વિશ્વ વિરાસત તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. જેથી કરીને એની જાળવણીની જવાબદારી હવે આખા વિશ્વના માથે આવી ગઈ છે. ખજુરાહોને વિશ્વ વિરાસતમાં સ્થાન મળવાના કારણો પણ અસંખ્ય છે જેમાં મંદિરની કોતરણી એના ઇતિહાસનું જીવંત વર્ણન કરે છે. તેમજ એનું બાંધકામ, એના સ્થાપત્યો, એની બારીકાઇ, એનો ઈતિહાસ, એનો મર્મ અને એના વિશેષ પથ્થરો જેના કારણે આ કામુક મુદ્રાઓમાં કંડારાયેલા મંદિર હજારો વર્ષોથી સલામત ખડા છે. ખજૂરાહોના મંદિરો માનવ જીવનમાં કામક્રીડાનું મહત્વ સમજાવે છે જેના કારણે એને ઇતિહાસની ખડકી ગણવામાં આવે છે જ્યાંથી ભૂતકાળને જોઈ શકાય છે. આ મંદિરોની કળા એટલી ભવ્ય છે કે દરેક ખૂણામાં નઝર નાખતા જાણે કઈક નવુંજ મળી આવે છે. આ મંદિરો સતત એની સાબિતી આપતા રહ્યા છે કે ચંદેલ સામ્રાજ્યના લોકો કામક્રીડા સાથે યુધ્ધ વિદ્યામાં પણ એટલાજ પારંગત અને નિપૂર્ણ હતા.

અસ્તિત્વ સામે સંઘર્ષ...

કહેવામાં આવે છે કે વૃક્ષ વાવવું સરળ છે પણ એને ઉછેરવું અને મોટું કરવું અને એથીય વધુ એની જાળવણી કરવી અઘરું કામ છે. બસ આજ વાત ચંદેલ સામ્રાજ્ય માટે પણ એટલીજ સત્ય સાબિત થઇ રહી હતી. કામક્રીડાને દર્શાવતા આ ખજૂરાહોના ૮૫ મંદિર જ્યારથી બંધાયા હતા ત્યારથી અત્યાર સુધી ઓછો સંઘર્ષ નથી વેઠ્યો. એના નિર્માણ સાથે એની સુરક્ષાના પ્રબંધ પણ સતત કરાતા રહ્યા છે. ચંદેલનું સૈનિક મુખ્યાલય સતત એની જાળવણી માટે ખડે પગે મુસ્લિમ શાસકો સામે જજુમતો રહ્યો છે.

કાલીંજર પહાડી જે ચંદેલ સામ્રાજ્યનું સૈનિક મુખ્યાલય હતું અને લગભગ ખજૂરાહોના સપાટ મેદાનો કરતા ૧૧૫ કિમીના અંતરે છે અને ખજૂરાહોમાં ચડાઈ કરવા એ પહાડી પાર કરવી અગત્યની છે. જ્યાં રાત દિવસ સૈનિકોનો કડક પહેરો ગોઠવાયેલો હતો જેમાં ૩૬૦૦૦ ઘોડે સવારો, ૪૫૦૦૦ પગપાળા સૈનિકો, અને ૬૪૦ હાથીઓનું સૈનિક બળ સામેલ હતું. આ બધા સૈનિકો માટે કાલીંજર પહાડી પર અભેદ દીવાર અને કિલ્લાનું નિર્માણ કરાયું હતું.

એ વખતનો મુસ્લિમ સમુદાય એટલે સુધી કે અફઘાનના મુસ્લિમ શાસકો પણ સતત ચંદેલ પર હમલા કરીને ખજૂરાહોના સ્થાપત્યો ને ધ્વસ્ત કરવાના સપના સેવતા રહ્યા હતા. એ સમયના મુસ્લિમ શાસકોનાં વિચારો મુજબ ચંદેલ સામ્રાજ્ય દ્વારા શિલ્પોમાં કરાયેલી નગ્નતાની નુમાઇશ અભદ્ર ગણાતી હતી અને એ લોકો આ બધું ધ્વસ્ત કરવા ઈચ્છતા હતા. પણ ચંદેલના સૈનિકોએ એમને હમેશા એ વાતની પ્રતીતિ કરાવી છે કે ચંદેલ સામ્રાજ્ય કામશાસ્ત્ર સાથે યુધ્ધશાસ્ત્રમાં પણ એટલાજ પારંગત છે. લગભગ વર્ષો સુધી આવા યુધ્ધો ખેલાતા રહ્યા હતા પણ ચંદેલ સેનાએ પોતાનો વરસો સાચવવામાં રતીભર ઉણપ દાખવી ના હતી.

ખજુરાહો સાથે જોડાયેલી ગાથા...

ખાજુરાહોનો ઈતિહાસ સંપૂર્ણ રીતે તેના શાસક ચંદેલ વંશ અને રાજા ચંદ્રવર્મન સાથે જોડાયેલો છે અને કોઈ બીજી ગાથા કે અટકળોનો સમાવેશ નથી. મધ્યકાલીન સમયના ગણાતા દરબારી ચંદ્રવર્દાયજીએ ચંદેલ વંશની ઉત્પત્તિની ગાથાનું વર્ણન પૃથ્વીરાજ રસોના મહોબા ખંડની સભામાં કઇક આ પ્રમાણે વર્ણવ્યું હતું.

કાશીના રાજકીય પંડિતની એકએક પુત્રી હેમવતી હતી. જેનું અપાર સોંદર્ય એની મૂડી હતું જેની તુલના એમણે સોંદર્યની સ્વામીની સાથે કરી હતી. ગરમીના દિવસોમાં જ્યારે એ કમળથી ભરેલા તળાવમાં નહાવા આવી હતી ત્યારે આકાશ માર્ગેથી પસાર થતા ચંદ્ર દેવ એના રૂપમાં મોહિત થઇ ગયા હતા. હેમવતીની સુંદરતાથી મોહિત થઇ ચંદ્રદેવે માનવ સ્વરૂપ ધારણ કરી માનવ સહજ સમજ મુજબજ ગમતી વસ્તુને પામવાની ગેલછામાં હેમવતીનું હરણ કર્યું. પણ બદનસીબે હેમવતી એક વિધવા સ્ત્રી હતી અને એની સાથેજ એક પુત્રની માતા પણ હતી. જેના પરિણામે હેમવતીએ ચંદ્રદેવ પર પોતાના હરણ અને સ્ત્રી સ્વમાન હનનનો આરોપ મુક્યો હતો.

ચંદ્રદેવને પોતાની ભૂલના પશ્ચાતાપ માટે હેમવતીને એક પરમવીર પુત્ર પ્રાપ્તિનું વચન આપ્યું જે ભવિષ્યમાં એક મોટો શાસક બનશે અને એક ભવ્ય મોટા યજ્ઞ દ્વારા એના પાપનું નિવારણ કરાવશે એવો વિશ્વાસ અપાવ્યો. ચંદ્રદેવના કહ્યા મુજબ હેમવતી પોતાના પુત્રને ખજુરપુરા (હાલના ખજુરાહો) ગામે લઇ ગઈ જ્યાં તે એક મહાન રાજા બનવાનો હતો. તેમજ અનેક બાગો, મંદિરો અને ભવનોના નિર્માણ કરવાનો હતો જે વાત ભવિષ્યમાં ચંદ્રદેવના આશીર્વાદથી સાચી પડી. હેમવતીએ પુત્ર ને જન્મ આપ્યો જેના માટે એને ઘરબાર છોડી નાના ગામમાં વસવાટ કરવો પડ્યો હતો.

હેમવતીનો ચંદ્રદેવના આશીર્વાદે જન્મેલો પુત્ર પણ પિતાના જેમજ તેજસ્વી, બહાદુર અને મહા શક્તિશાળી હતો. ફક્ત ૧૬ વર્ષની ઉમરે પણ એ બાળક શસ્ત્રો વગર જ વાઘ સાથે બાથ ભીડી લેતો હતો. પુત્રની વીરતાને કારણે હેમવતીએ ચંદ્રદેવની ઉપાસના કરી અને એમને પ્રશન્ન કર્યા. પ્રશન્ન થયેલા ચંદ્રદેવે એને એક પારસ પથ્થર અને ખજુરાહોનો શાસક બનાવ્યો. પારસ પથ્થર લોખંડને સોનામાં પરિવર્તિત કરી શક્તિ ધાતુ છે.

ચંદ્રવર્મન સતત યુધ્ધો જીતતો જતો હતો અને ચંદેલ સામ્રાજ્યના રક્ષણ માટે એણે કાલીંજર પર્વત પર એક વિશાળ અને અભેદ કિલ્લાનું નિર્માણ કરાવ્યું જે એ વખતમાં સૈનિક મુખ્યાલય ગણાતું હતું. હેમવતીના કહ્યા મુજબ ચંદ્રવર્મને તળાવો, ઉદ્યાનો અને જંગલોથી ઘેરાયેલા ખજૂરાહોમાં ભવ્ય ૮૫ અદ્વિતીય મંદિરોનું નિર્માણ કાર્ય કરાવ્યું જેમાં કામસૂત્રની દરેક કલાને પથ્થરના શિલ્પો દ્વારા કંડારવામાં આવ્યા છે.

ખજુરાહોનો વારસો : જોવાલાયક સ્થળો

  • લક્ષ્મી મંદિર – લક્ષ્મણ મંદિરના સામેજ આવેલું આ મંદિર અતિ ભવ્ય અને કલાત્મક છે.
  • કંદરિયા મહાદેવ મંદિર – આ ચંદેલ રાજા વિદ્યાધર દ્વારા મોહમદ ગજનવી સામેની જીતના અનુંલક્ષ્યમાં બનાવાયુ હતું. આમાં આવેલું મકર તોરણ એની ખાસિયત ગણવામાં આવે છે. આ મંદિર લગભગ ૧૦૭ મીટર ઊંચું છે અને એમાં સમાવિષ્ટ શિલ્પોમાં ૬૪૬ બહારના ભાગે અને ૨૪૬ અંદરના ભાગે છે.
  • વરાહ મંદિર – કલાત્મક મંદિરમાં વરાહ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેને વરાહ અવતાર વાળી પ્રતિમા વડે કંડારવામાં આવ્યું છે.
  • લક્ષ્મણ મંદિર – સ્થાપત્યોમાં ઉત્તમ કલાકૃતિઓનો સમાવેશ.
  • સિંહ મંદિર – આ મંદિર જગદંબા અને કંદરિયા મહાદેવના મંદિરના વચ્ચે આવેલું છે.
  • દેવી જગદંબા મંદિર – આ મંદિરની વિશેષતા ત્યાના શાર્દુલ પશુના ચિત્રણ માટે પ્રશીધ્ધ છે. શાર્દુલ એક પશુ છે જે પૌરાણિક સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું જેનું શરીર સીહનું અને મસ્તક પોપટ હાથી અથવા વામન જેવું હતું.
  • સૂર્ય (ચિત્રગુપ્ત) મંદિર – આ મંદિરનું નિર્માણ પણ વિદ્યાધરના કાળમાં થયુ હતું. એમાં સૂર્યની પ્રતિમા સાત ફૂટ ઉંચી અને કવચ ધારણ કરેલ અવસ્થામાં છે તેમજ એમાં સૂર્યદેવ સાત ઘોડા પર સવાર જોવા મળે છે.
  • વિશ્વનાથ મંદિર – શિવ મંદિરમાં ઉત્તમ મંદિર જેનું નિર્માણ ૧૦૦૨ કે ૧૦૦૩ માં થયું હતું. જેના ગર્ભમાં શિવલિંગ સાથેજ નંદી પર સવાર શિવ પ્રતિમા દર્શાવવામાં આવી છે.
  • નંદી મંદિર – નંદી મંદિર ભગવાન શિવની સવારી નંદી માટે છે જેમાં નંદીની પ્રતિમા દર્શાવાઈ છે.
  • પાર્વતી મંદિર – આ મંદિરને છત્તરપુરના મહારાજા પ્રતાપ સિહે ઇસવી ૧૮૪૩- ૧૮૪૭ ના સમયમાં બંધાવ્યું હતું. જેમાં પાર્વતીને ગાય પર સવાર દર્શાવવામાં આવ્યા છે.
  • વામન મંદિર – આ મંદિરનું નિર્માણ કાર્ય ૧૦૫૦ થી ૧૦૭૫ દર્શાવાય છે.
  • જાવરી મંદિર – આ મંદિરનું નિર્માણ કાર્ય ૧૦૭૫ થી ૧૧૦૦ દર્શાવાય છે.
  • જૈન મંદિર – આ મંદિર ગામની સ્કુલના પાછળના ભાગે સ્થિત છે. જે દિગંબર સંપ્રદાય દ્વારા બનાવાયા છે તેમજ એની જાળવણી પણ એજ લોકો કરે છે.
  • ચતુર્ભુજ મંદિર – આ મંદિરનું નિર્માણ કાર્ય જાવરી અને દુલાદેવ મંદિરનો મધ્યાંત સમય માનવામાં આવે છે. એક માત્ર ખજુરાહો મંદિર જેમાં મિથુન પ્રતિમાનો અભાવ જોવા મળે છે. આ મંદિરના શિલ્પોમાં ભાવાત્મકતા અને સજીવનતા નો અભાવ જોવા મળે છે.
  • દુલાદેવ મંદિર – આ શિવ મંદિર છે જેને કેટલાક ઈતિહાસકારો કુવરનાથ મંદિર તરીકે પણ ઓળખાવે છે. જેનો નિર્માણકાળ ૧૦૦૦ મી સાલ ગણવામાં આવે છે. જેમાં ગંગાની મૂર્તિ સુંદર ઢંગથી અંકિત કરાયેલી છે.
  • સંગ્રહાલય – સંગ્રહાલયના ભવનને ચાર વિભાગોમાં વહેચવામાં આવેલું છે જેમાં શૈવ, વૈષ્ણવ, જૈન અને ૧૦૦થી વધુ જુદા જુદા પ્રકારની મૂર્તિઓ રાખવામાં આવી છે. જેમાં મૂર્તિઓને સમુહમાં કામ કરતા દર્શાવાઈ છે તેમજ વિષ્ણુ પ્રતિમાને ચુપ રાખવાનો ઈશારો કરતા દર્શાવાઈ છે. તેમજ ચાર પગ વાળી શિવ પ્રતિમા પણ અતિ સુંદર મુદ્રામાં છે.
  • જેની પ્રવેશ ટીકીટ ૫ રૂપિયા છે. જેમાં સમાવિષ્ટ જૈન સંગ્રાલયમાં ૧૦૦ જેટલી જૈન મૂર્તિઓ છે. તેમજ જનજાતિ સમુહ દ્વારા પાકી માટીના શિલ્પો, ધાતુના શિલ્પ, લાકડીઓના શિલ્પ, પેન્ટિંગ, આભુષણ, મુખવટા અને તેતું રાખવામાં આવ્યા છે.

  • કાલીંજર કિલ્લો – શિવભકતોની કુટી સમાન પ્રાચિનતમ કિલ્લો જે ચંદેલ સૈનિક મુખ્યાલય માટે બંધાયો હતો. ૧૦૫ કિમીની દૂરે આવેલો આ કિલ્લો ઇસા સદી પૂર્વેનો માનવામાં આવે છે. જેનો મુખ્ય અર્થ શિવના આધારે અપાયું છે કાલ એટલે શિવ અને જરણ કરનાર એટલે જર. ૧૦૮ ફૂટ ઊંચા આ કિલ્લામાં પ્રવેશ કરવા જુદી જુદી ભાતના સાત દરવાઝા છે અને બેશકીમતી પથ્થરો અહી વેરાયેલા પડ્યા જોવા મળે છે. કાલીંજરના પેટાળમાં વહેતી પાતાળગંગા નદી એની પેટાળીય ગુફાઓને જીવંત બનાવે છે.
  • અજયગઢ કિલ્લો – વિંધ્ય પહાડીની ચોટી પર સ્થાપિત આ કિલ્લો ખાજુરહોથી ૮૦ કિમી દુરી પર છે. જેના દરવાજા સુધી પહોચવા ૪૫ મીનીટની ઉભી ચઢાઈ પર કરવી પડે છે જેમાં વચ્ચેજ અજય પલકા તળાવ નામની નામની નદી પણ છે. જેના થોડાક સમયે પહેલાજ ભારતીય પુરાતન ખાતા દ્વારા દેખભાળ હેઠળ લીધો છે.
  • [ એક વિનંતી આ મારો પ્રથમ સંસોધાનાત્મક લેખ છે તો તમારા અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપવા...]

    લેખક :- સુલતાન સિંહ

    [ સંસોધન અને માહિતી વિવેચનને આધારિત લેખ...]

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED