વારાણસીના ઘાટ અને આરતી SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારાણસીના ઘાટ અને આરતી

અમે દિલ્હીથી 630 કિમી દૂર આઠ કલાકમાં પહોંચાડતી વંદેભારત ટ્રેન દ્વારા વારાણસી  મુખ્યત્વે ખાસ કાશી વિશ્વનાથ મંદિર  જોવા જ ગયેલ. એનું કાશી કોરિડોરમાં સમાવેશ કરેલું મંદિર પરિસર ખૂબ સરસ અને ખૂબ જગ્યા વાળું છે.  મંદિરનું સુવર્ણમંડિત  શિખર અદ્ભુત લાગે છે.  બહાર શાપુરી મોલ પાસે આવેલ હેલ્પ ડેસ્ક મોકલે એ સિવાય અંદર પુરોહિત કે પંડા કે સાધુ તમારી સાથે કે એકલા  પ્રવેશી શકતા નથી.

ત્યાં ઓનલાઇન નોંધાવેલ દર્શન અને અન્ય સામાન્ય દર્શનની અલગ લાઇન હોય છે.   ત્યાં દર્શન વિશે અલગ લેખ  વિસ્તૃત વર્ણન અને અમુક સૂચનો સાથે લખીશ. એ બધું એકદમ ચોખ્ખું છે અને  ત્યાં ચુસ્ત પણે લાઇન મેઇનટેઈન થાય છે. મોબાઈલ, ચંપલ, ચીજવસ્તુઓ રાખવા ખૂબ સારી વ્યવસ્થા છે. ત્યાં સામાન્ય લાઇન કલ્પના બહાર લાંબી હોય છે. કદાચ બે કલાકે દર્શન થઈ શકે છે પણ જરાય ધક્કામુક્કી વિના. દિવસ ચડે ગરમી થાય એટલે મંદિરના કર્મચારીઓ પ્લાસ્ટિકની નેટ ના બનેલા તમારી લાઇનના પાથ પર  પાણી છાંટતા રહે છે. લાઇન આ નેટ પર  થી જ જાય છે. આજુબાજુ સતત સાફ થતી રહેતી આરસની ફર્શ છે.

મંદિરની અંદરથી અમે પાછળ ઘાટ પર જઈ શક્યાં. ત્યાં નેપાળી મંદિર  પશુપતિનાથની અદ્દલ કોપી, ભારતમાતા મંદિર વગેરે છે. ઘાટ પરથી ગંગાજી નાં સુંદર દર્શન થાય છે અને ત્યાં શાંત વાતાવરણ છે. 

બસ, મંદિર પરિસર પૂરતું જ આવી સુંદર વ્યવસ્થા છે. બહાર ફરતે બધી બાજુ 2 કિમી  સુધી એકદમ  સાંકડી ગલીઓ, યાત્રાળુઓનાં સતત આવતાં ધાડાં,  મોટે ભાગે એક સાથે સો  ઉપર  વ્યક્તિઓ સાથે આવતા યાત્રાળુ સંઘ, અતિ ગીચ માનવ ટ્રાફિક,  નદી સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી એ બધી નકારાત્મક બાજુઓ જોઈ.

કોઈને એક દોઢ કિલોમીટર ચાલી શકાય એમ ન હોય તો પેડલ કે ઇલેક્ટ્રિક રિક્ષાઓ  એક કિમી ના પણ 100 રૂ. ઠગી લે!આમ મંદિરની બહાર, નદી નજીકનું  બધું ન ગમે એવું  હતું પણ પાછું મોદીએ ડેવલપ કરાવ્યું એ દોઢ કિલોમીટર  દૂર જાઓ એટલે બહારનું વારાણસી સારું છે. નવો રીનોવેટેડ અસ્સી ઘાટ આરતી જોવા ઓછી ભીડ વાળો છે. હું વહેલી સવારે  સવા પાંચે ત્યાં ગયો અને  સવારની આરતી જોઈ. મારે તો  સાંજે પણ ત્યાં જ જવું હતું.  શ્રીમતીએ વાંચેલ કે દશાશ્વમેઘ  ઘાટની આરતી સાચી આરતી છે એટલે સાંજે ત્યાં ગયાં પણ ત્યાં તો હાલી ન શકાય એટલી ભીડ બે કિલોમીટર દૂરથી શરૂ થયેલી.  સાંજની  7 વાગે થતી આરતી માટે  સાંજે 5 વાગ્યાથી આટલી, સાચે જ હૈયે હૈયું દળાતી ભીડમાં લોકો દબાતા, પરસેવે નહાતા  ખાલી આરતી જોવા આવે છે. ખીચોખીચ પાર્ક હોડીઓમાં  કહે એમ કે  નદીમાંથી આરતી બતાવશું  અને 100 રૂ. વ્યક્તિદીઠ લીધા, એ બોટ બધી  એક ઝરૂખા પર આરતી માટે વપરાતાં મોટાં સ્ટેજની બેય સાઈડ પર  ફક્ત પાર્ક જ હતી.  એ નદી સન્મુખ મોટાં સ્ટેજ પરથી આરતી થઈ અને ખીચોખીચ હોડીઓમાં 100 રૂ. આપી લોકો બેઠાં. ન આપે એને તો ઘાટ પર ઉભવાની જગ્યા પણ ન હતી.

આરતી ચોક્કસ પ્રેક્ષણીય હતી. આખી આરતી દરમ્યાન જાણીતાં સ્તોત્રો સુરીલા અવાજે માઇક પર ગવાતાં  રહેલાં.બરાબર સાત વાગે, (શિયાળામાં  સાડા છ વાગે) એટલે ચળકતા જરી જામા પહેરેલા આઠ પંડિતો પહેલાં શંખ વગાડે પછી અગરબત્તીઓની ઝૂડીથી, પછી ધૂપનાં ખૂબ મોટાં વલયોથી, પછી અનેક દીપશિખાઓ વાળી આરતી નદી સામે ફેરવે. સાથે  તાલબદ્ધ રીતે નગારાં અને ડાકલાં વાગતાં જાય. એ પછી નદીને નેપકીનથી મોં લૂછતા હોય એમ હાથમાં લાલ કટકો ફેરવે, પછી નદીને અરીસો બતાવે! પછી  સહુ પર પાણી ફેંકે. ઉપર પ્રતીકાત્મક ફૂલ પાંદડીઓ વેરે.એ વખતે બોટની ધાર પર ઉભેલાઓ પોતાના પર નદીમાંથી હથેળી ભરી જળ  લઈ અંજલિ નાખે. ફરીથી એક શંખ વાગે અને આરતી પૂરી.પછી એ જ ભીડ દસેક મિનિટમાં ઘાટ ખાલી કરી નાખે એટલે રસ્તાઓ સતત અર્ધો કલાક માણસોથી ઉભરાતા રહે.નવો નમો ઘાટ  અમે બપોરે જોયો. ત્યાં ઘણાં સુંદર શિલ્પો નમસ્તે મુદ્રામાં હતાં. મને લોકલ વ્યક્તિએ અને સવારે રિક્ષાવાળાએ કહેલ કે ત્યાંની રાતની રોશની ચૂકવા જેવું નથી. ત્યાં ચોપાટી ની જેમ ઠંડી લહેરો સાથે ચાલવા લાંબો ઘાટ છે, બાળકોની રાઈડો છે. સતત સંગીત વાગતું રહે છે.  એ શહેરથી, કાશી વિશ્વનાથ મંદિરથી 17 કિમી દૂર છે. ત્યાં આરતી થાય છે કે નહીં એ વિશે કોઈ ચોક્કસ નહોતું. હા, આ દશાશ્વમેઘ ઉપરાંત અસ્સી ઘાટ પર  સાયં આરતી થાય જ છે.  એ ઘાટ કા. વિ. મંદિરથી ખાલી 4 કિમી દૂર છે. એ દશાશ્વમેઘ ઘાટની  ખીચોખીચ ગિરદીમાં  લોકોનાં  પાકીટ, મોબાઈલ વગેરે ગયાં તે  દસબાર લોકો મોબાઈલ, પાકીટ, વસ્તુઓ ચોરાયાની ફરિયાદ માટે  નજીકની પોલીસ ચોકી પર આવેલા.પોલીસ કહે અહીં મોબાઈલ, પટ્ટો કાપી પર્સ, રિસ્ટવોચ, વીંટી જેવું ગુમાવવું સામાન્ય છે. ભીડ જ એ જગ્યા સમાવી શકે કરતાં અનેક ગણી વધુ થાય છે ને ત્યાં કોઈ લાઇન કે એવી વ્યવસ્થા નથી.  લોકલ કોઈને એ કરવા દેવું નથી. તો સરકાર ત્યાં પણ લાઇનો અને બેસવા બેય બાજુ , થાય તો સન્મુખ વાઘા બોર્ડર પર છે એવું સ્ટેડિયમ કેમ કરતી નથી?દશાશ્વમેઘ અને મણિકર્ણિકા ઘાટ ભૂલથી પણ ન જવું. દૂર સુધી લોકો 100 સ્ટેપ  જ  દૂર છે એમ કહ્યા કરે.  અમે એમને એમ ઉતરતા ઢાળે  ભીંસાતા એક કિલોમીટર ગયા, ગંદાં પગથિયાં, સાંકડી ગલીઓ, પગ મૂકવાની જગ્યા નહિ અને ચારે બાજુ ટાઉટ

.મણીકર્ણીકા અને હરિશ્ચંદ્ર ઘાટ  મડદાં બાળવા માટે જાણીતા હતા. હવે અન્યત્ર લઈ જાય છે. એ રસ્તે એક જ નનામી જોઈ. હવે ત્યાં લાઈનબંધ ચિતાઓ સળગાવી જાહેરમાં બાળતા તે બંધ થઈ ગયું છે. મૃતદેહોને ગંગામાં પધરાવી દેવાતા નથી. હવે સાવ નદી કાંઠે ગીચ મેદની સામે અગ્નિદાહ આપી શકાતો નથી.તો ફરવા કે આરતી જોવા એ બધા મંદિર પરિસરને અડીને આવેલા ઘાટ ભૂલી જાઓ એવી મારી સલાહ છે.

મેં સવારે 5 વાગે આરતી જોઈ અને  ‘સુબહ એ બનારસ‘ કૃઝ  જ્યાંથી પકડી એ અસ્સી ઘાટ અને આગળના, મંદિરથી 5 કિમી દૂરના ઘાટ સારા છે. અસ્સી  ઘાટ સવારની આરતી માટે પ્રખ્યાત છે પણ સાંજની પણ ત્યાં જોવી સારી.  એ બેય ઘાટ પર સવાર સાંજ આરતી થાય છે.હું ગયેલો એ કૃઝ પસાર થયેલી  ત્યાંથી જોએલ  છેક ઉત્તર તરફના એક બે ઘાટ સ્નાન માટે ઠીક હતા.  જૂના રાજાઓએ બનાવેલા અને હવે વારાણસી કોરિડોર અંતર્ગત રીનોવેટ થઈ ગુલાબી પથ્થરના બનેલા. ટ્રાવેલવાળાઓ કહે છે અને બધે વાંચીએ છીએ એ દશાશ્વમેઘ, લલિતા, મુનશી, મણીકર્ણીકા જેવા ઘાટ પર ન જાઓ એટલે તો મંદિરમાંથી સીધા નીચે જવાય એમ કર્યું છે ને બીજા ઘાટ કર્યા છે.વારાણસી એટલે લોકો માને છે એમ મંદિર ફરતે 500 મીટર નહિ, to fro 32 કિમી ઉત્તર દક્ષિણ વિસ્તરેલું શહેર છે. એ જ જોવા જેવું છે.એ સારનાથ, સર્વેદ મંદિર વગેરેની પોસ્ટ  હવે મૂકીશ. એ સાચું વારાણસી. ત્યાં જ ઘણું જોવા, માણવા, જાણવા જેવું છે.  અયોધ્યા અને કા. વિ., બેય મંદિરોની અંદરની વ્યવસ્થા માટે માન થઈ જાય. પણ જેવા બહાર નીકળો એટલે અંધાધૂંધી. અયોધ્યામાં પણ રામ જન્મભૂમિ પર સરસ વ્યવસ્થા પણ નજીક હનુમાનગઢી પાસે અત્યંત અવ્યવસ્થા, પંડાઓ, ટાઉટ લોકો, ધક્કામુક્કી - એ બધું જોઈ  ત્યાં દર્શન માંડી વાળેલ. અહીં તો એનાથી ક્યાંય ખરાબ સ્થિતિ દશાશ્વમેઘ ઘાટ તરફ અને નજીકના રસ્તાઓ પર જોઈ.ત્યાંનું એક અખબાર જ કહેતું હતું કે Unimaginable Chaos on  very narrow streets of varanasi is normal.અહીંની, મંદિરની 3 કિમી ની ત્રિજ્યા મોટે ભાગે શેરીઓ સતત ગોળ વળાંકો, ઢાળો, ખાડાઓ વાળી, બેય બાજુ ખુલ્લી ગટર વાળી છે. ઉપરથી માંડ દસેક ફૂટ પહોળી હશે. બે સાઇકલ કે ઇલેક્ટ્રિક રિક્ષા  સામસામા આવી જાય તો લોકોએ દબાઈને જવાય તો જવાનું, નહીંતો ઊભા રહી જવાનું. ઓલા, ઉબેર મુખ્ય માર્ગો સિવાય મળતી નથી. પિક અપ પોઇન્ટ નજીકનું મેઇન રોડનું કહો તો 300 મી., 700 મી., 1 કિમી, ફરી 400 મી. એમ બતાવ્યા કરે, મારે 20 મિનિટ સુધી ન ડ્રાઈવર આવ્યો ન એનો ફોન રિસિવ. પેડલ કે ઇલેક્ટ્રિક રિક્ષા કેટલા કહે, ખબર છે? એક કિમીના 100. રૂ. નજીક. ટાંટિયાની કઢી કર્યા વગર છૂટકો નહિ.આપણે ગૂગલ મેપ બતાવી કહીએ કે 2.4 કિમી છે તો એ કહે મેપ ખોટા છે, 7 કિમી. છે.અમે મોદીએ ઉદ્ધાટન કરેલ સર્વેદ મંદિરથી વળતાં જોયું કે સાચે જ ગૂગલ  વારાણસીમાં ઘણી જગ્યાએ સાવ  ખોટું બતાવે છે. આ ગોળગોળ સાંકડી શેરીઓ અને દર 30 ફૂટે આવતા વળાંકોમાં ગૂગલ મેપ કામ કરતું નથી.આ અફડાતફડીમાં અમે 20 મિનિટ ભરાઈ પડ્યાં અને આખરે 450 મીટર ના 50 રૂ. પકડાવી 2 કિમી ચાલતાં ગયાં. એ પણ ચાલવું અશક્ય હોય એમ યાત્રાસંઘોનાં ધાડાં નાં ધાડાં વચ્ચે દબાતા.મંદિરના  છોડ્યા પછી  આશરે દોઢ કિમી પછી મોદીજી દ્વારા કરવામાં આવેલ વારાણસી કોરિડોર શરૂ થાય છે. એ સાચું વારાણસી છે. મુખ્ય રસ્તાઓ પહોળા અને મકાનો વ્યવસ્થિત છે. હા, અંદરની શેરીઓમાં ક્યારેક પાણી ભરેલાં તો ક્યાંક 50 ફૂટ પહોળા રસ્તા પર કપચી સિમેન્ટના ઢગલા કે ક્યાંક કોઈ વાહન કે રેંકડી રસ્તો ટોટલી બ્લોક કરીને ઊભી હોય.શહેર પોતે જ કહે છે - 'મુઝે મેરે હાલ પે છોડ દો મુજે તુમસે કુછ ભી ના ચાહીએ.'મંદિર પ્રીમાઈસિસમાં ખરેખર સારી વ્યવસ્થા અને જગ્યા છે. સરકારે કરી છે. બાકી તો નજીકમાં  રસ્તા પહોળા કરે તો એ લોકોની લૂંટ ક્યાં જાય? રિક્ષાવાળા, 'આવો સાડી કેમ બને એ બતાવું ' વાળા, ‘સારી હોટેલ લઈ જાઉં’ વાળા, પિતૃઓના આત્માને મોક્ષ અપાવવા અસ્સી અને બીજા ઘાટ પાસે ખાટલા નાખી મીનીમમ 3 કે 4 હજારથી શરૂ કરનારા - એ બધાનું શું થાય?યે હૈ ઠગોં કી નગરિયાં તું દેખ બબુવા.જો કે મંદિરની અંદર દર્શન પૂરા  સંતોષથી કર્યાં. અકલ્પ્ય ભીડમાં ભીંસાયા એ સિવાય  દશાશ્વમેઘ ઘાટની આરતી પણ યાદ રહે એવી સુંદર હતી.