પૂર્ણવિરામ,,,, Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂર્ણવિરામ,,,,

લેખ:- પૂર્ણવિરામ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.




પૂર્ણવિરામ,,,,,,,,,,

હવે ત્મબે થશે કે આ સ્નેહલ પૂર્ણવિરામ છે તો અલ્પવિરામ કેમ મૂકે છે? બરાબર ને? કારણ કે પૂર્ણવિરામ દરેક વખતે અંત નથી સૂચવતું, એ ક્યારેક નવી શરૂઆત પણ કરાવી જાય છે. સાચું ને? જ્યાં સુધી કોઈ એક બાબત પર પૂર્ણવિરામ ન મૂકીએ ત્યાં સુધી નવી શરુ થઈ શકતી નથી.

પણ હમણાં થોડા સમય પહેલાં જ, એટલે કે બે ત્રણ મહિના અગાઉ જાણવા મળ્યું કે કૉલેજમાં અભ્યાસ કરતા એક છોકરાએ આત્મહત્યા કરી. હજુ માંડ આ ઘટનાના પડઘા શાંત થયાં હતાં ત્યાં બીજા આવા જ સમાચાર જાણવા મળ્યા. શું આજનું યુવાધન એટલાં બધાં તણાવમાં જીવે છે કે એને એની જીંદગી પર પૂર્ણવિરામ મૂકતા પણ ખચકાટ નથી થતો?

શું આ ઘટના પાછળ માતા પિતા જવાબદાર નથી? બની શકે કે બાળપણ આખુંય સુખ સગવડોમાં વિતાવ્યું હોય, પાણી માંગે ત્યાં દૂધ હાજર થયું હોય અને અચાનક જ જીવનની મુશ્કેલ પરિસ્થિતિ એકલાં હાથે વેઠવાની આવે તો બાળક નાસીપાસ થઈને આવું પગલું ભરી લે છે. દરેક મા બાપને પોતાનું બાળક વ્હાલું જ હોય! એમનાથી શક્ય એટલી તમામ સગવડો એને આપવા એમનાથી બનતાં પ્રયત્નો કરી છૂટે છે. પણ ખબર છે? આ સગવડો આપવાનાં ચક્કરમાં માતા પિતા બાળકને અગવડતામાં કેવી રીતે જીવવું એ શીખવવાનું જ ભૂલી જાય છે. એમને એવો વિચાર કેમ નથી આવતો કે ભવિષ્યમાં જ્યારે તેઓ મૃત્યુ પામશે ત્યારે એ બાળકને મુસીબત નથી જ આવવાની એની ખાતરી છે? બાળકને સવલતો આપો પણ સાથે હિંમત પણ આપો, કે જેથી કરીને નાની અમસ્તી વાતમાં એ જીવનનું પૂર્ણવિરામ ન કરી નાંખે.

બીજું બધું તો જવા દો, બાળકને નાનપણથી જ પડ્યો બોલ એ રીતે ઝીલી આપે છે કે જ્યારે આ જ બાળક મોટું થાય છે અને મોટી મોટી માંગણીઓ કરે છે ત્યારે આ જ મા બાપ એને ના પાડી દે છે. પરિણામ - આત્મહત્યા. એક મોબાઈલ નહીં અપાવ્યો, મોબાઈલ પર ગેઈમ ન રમવા દીધી, મિત્રો/બહેનપણીઓ સાથે બહાર ન જવા દીધું, ફ્રેન્ડ્સને બર્થ ડે પાર્ટી ન આપવા દીધી - આવા તદ્દન નકામા કારણોસર બાળકો આત્મહત્યા કરી લે છે. શું આ રીતે જીવન પર પૂર્ણવિરામ મૂકવું યોગ્ય છે?

આમાં બાળકનો કોઈ જ વાંક નથી. એને ક્યારેય શીખવવામાં જ નથી આવ્યું કે મુસીબતનો સામનો કેવી રીતે કરાય? સામનો છોડો, મુસીબત શું છે એ જ નથી જાણ થવા દેતાં. પછી આ બાળક કેળવાય નહીં એમાં કોઈ નવાઈની વાત નથી.

આ તો માત્ર એક પાસું જોયું સમાજ વ્યવસ્થાનું! આવા તો ઘણાં પાસા છે, જેમાં આપણને નજીવી બાબતે પૂર્ણવિરામ જોવા મળશે, પછી તે સંબંધમાં હોય કે જીવનમાં. જે રીતે છૂટાછેડાનાં કિસ્સાઓ વધી રહ્યાં છે એ જોતાં લાગે છે કે ઉપર ચર્ચા કરી એમ દીકરી કે દીકરો સંબંધમાં સમજદારી ક્યાં બતાવવી એની તાલીમ જ પામ્યા નથી! આમાં અગત્યનો ભાગ આપણી ટીવી ધારાવાહિક પણ ભજવે છે. મોટા ભાગની ધારાવાહિક ઘરમાં ઝગડા જ બતાવે છે. સુખી અને સંપન્ન કુટુંબ એક પણ ધારાવાહિકમાં નથી. જેટલું મોટું અને પૈસાદાર કુટુંબ એટલાં જ કાવતરા વધારે! શું આ જ છે ભારતીય સંસ્કૃતિ???

હજુ પણ જો બાળકને યોગ્ય દિશામાં વાળવા માટે વાલીઓ જાગૃત નહીં થયાં તો ખબર નહીં કેટલીય ઘટનાઓ, કેટલાય પ્રસંગો એવા હશે કે જેમાં અલ્પવિરામ મૂકી વાક્ય બદલી શકાય એમ હોવાં છતાં પૂર્ણવિરામ મૂકી એનો અંત જ લાવી દેવામાં આવશે. માત્ર શિક્ષકો કશું નથી કરતાં એવો આરોપ દરેક નબળા પરિણામ વખતે મૂકવાને બદલે દરેક મા બાપે એ વિચારવાની જરુર છે કે, "શું સ્કૂલ અને ટયુશનની ફી ભરવા સિવાય એમનો પોતાનો બાળકને ભણાવવા કે અન્ય બાબતો પર ધ્યાન આપવામાં ફાળો છે?" જો આનો જવાબ ના હોય તો ચોક્કસથી ભવિષ્યમાં કોઈ અણધાર્યા પરિણામ માટે તૈયાર રહેવું પડશે.

આજની પેઢીમાં સહનશક્તિ સતત ઘટતી જ રહી છે. ક્યાંક એવું ન બને કે સહનશક્તિ પર પણ પૂર્ણવિરામ લાગી જાય!

આભાર.🙏

સ્નેહલ જાની.