A single stroke of the pen books and stories free download online pdf in Gujarati

પેનની એક જ લકીરે

પેનની એક જ લકીરે

ઇલેક્શનનાં રીઝલ્ટ તો આવશે. જે અનુમાનો લગાવાઈ રહ્યાં છે તેમ જ. એ સાથે એક વાતની કોઈ મિત્ર સાથે ચર્ચા થઈ એ ઉડીને આંખે વળગે તેવી વાસ્તવિકતા લાગી.

પેનની એક જ લકીર આખી સંસ્કૃતિ પર કેવી અસર કરે છે!

આઝાદી આસપાસ બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું હતું અને કુટુંબ નિયોજનની સલામત રીતો કોઈ જાણતું નહોતું તેથી તે અરસામાં અને તે અગાઉ જન્મેલી પેઢીને છ સાત ભાઈ બહેનો હોવાં સામાન્ય હતું. પછી શિક્ષણનો વ્યાપ થોડો વધ્યો અને સારી રહેણીકરણી એટલે શું તે ઘણા લોકો સમજ્યા એટલે ત્રણ ચાર ભાઈ બહેનો સુધી વાત આવી ગઈ.

'70 નાં દસકાની મધ્ય સુધી વળી એવો ટ્રેન્ડ હતો કે સવર્ણો, એમાં પણ બ્રાહ્મણો જ થાય તેટલું ભણે. વણિકોનો વેપારી વર્ગ મહત્તમ હોય અને તે વર્ગના લોકો એવું માનતા કે ખૂબ ઉચ્ચ ભણીને પણ વેપારમાં જોડાવું અને મેટ્રિક જેવું ભણી ને પણ! એટલે તેઓ હજી થોડું ઓછું ભણતા.

ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં માઇગ્રેશન શરૂ તો થયું પણ પટેલ ભાયડાઓ ઓછાં શિક્ષણે પણ બાજી મારી લેતા. તેઓમાં જેઓ ભણ્યા તેઓ ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી વિદેશ પણ સ્થાયી થઈ ગયા. બીજાઓ ખેતી ને બહુ તો બી.એસ.સી. એગ્રી પસંદ કરે.

'79 કે '80 સુધી હાયર એજ્યુકેશન, ખાસ તો મેડિકલ, એન્જિનિયરિંગ, ઊંડા વૈજ્ઞાનિક અભ્યાસ માટે એડમિશનમાં ખાસ તકલીફ પડતી નહોતી. હા, જોબ પ્લેસમેન્ટ માં પગારો ઓછા વગેરે હતા.

મુ. મહેશકાંત વસાવડાનો એક લેખ ખાસ વાતને કારણે યાદ રહી ગયો છે. એન્જિનિયરો બેકાર કે under paid જોબ મેળવવા મજબૂર બને છે તેમને માટે કાઈંક થાય તેવી પ્રબળ માગણીઓ સામે તે વખતના રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ કહ્યું કે એવા એન્જિનિયરો બેકાર રહેવા કરતાં બુટ પોલિશ જેવા લો જોબ કેમ પસંદ કરતા નથી!

(આ વાત જ આંખો પહોળી કરે તેવી છે પણ એની વિરુદ્ધમાં ચર્ચાપત્રો લખતાં જ એ વડીલ અને તેમનાં ધર્મપત્ની મળેલાં એમ તેમણે કહેલું એટલે ખાસ યાદ છે)

મૂળ, આપણી સંસ્કૃતિમાં ખૂબ ઊંડી અસર કરવાની વાત હવે આવે છે.

એ લોકોની અને ઉચ્ચ શિક્ષિત લોકોની આખી પેઢી, થોડું વધુ કમાઈ દેશમાં માબાપને થોડી આરામદાયી જિંદગી આપવા વિદેશમાં તે વખતે ખૂબ હાર્ડશિપ સાથે રહ્યાં ને તેમની આખી પેઢીમાં વિદેશ માઇગ્રેશન ખૂબ મોટા પાયે થયું. અહીં પુરતી તકોના અભાવે. '78 થી આશરે '85 - '88 આસપાસ મહત્તમ. કોંગ્રેસનો એ સુવર્ણકાળ હતો.

વચ્ચે દેશની બેફામ વધતી વસ્તીને બ્રેક મારવા ઇન્દિરા ગાંધીએ 'બે બાળકો બસ' નું સૂત્ર પ્રચલિત કર્યું 1972 માં. શિક્ષિત લોકોએ એ કુટુંબ વ્યવસ્થા અપનાવી. પણ તે કદાચ શહેરી હિન્દુ સવર્ણો પુરતી સીમિત રહી. આગળ વધી પણ હિંદુઓ પુરતી જ.

સંજય ગાંધીએ આજની જેમ સમજૂતી સાથે વસ્તી નિયંત્રણ કાયદા અંગે વિચાર કરવાને બદલે દિલ્હી અને ઉત્તરનાં રાજ્યોમાં બળજબરી કરી, કહે છે ખાસ તો મુસ્લિમો પર. એમાં એ ઇન્દિરા સરકાર ગઈ.

લોકો ભણવાના ફાયદા સમજવા માંડ્યા એટલે વાણિયા, પટેલ માં તો શિક્ષણ વધ્યું જ, સાથે કારીગર વર્ગનાં સંતાનોની પેઢી જોડાઈ. બહોળા પ્રમાણમાં.

હવે એટલી કોલેજો ઉચ્ચ શિક્ષણ માટે હતી નહીં. તે પછી પણ અહીં વિકાસ એટલો ધીમો હતો કે તેમને યોગ્ય વળતર આપતી જોબ્સ પણ નહોતી.

બાકી હતું તે '83 સુધી 33 ટકા અનામત હતી તે મંડલ કમિશન દ્વારા પેનના એક જ ગોદે, એક ધડાકે 50 ટકા ઉપર પહોંચી ગઈ. ક્વોટાઓમાં વહેંચાઇને વધતી જ ગઈ. વધતી જ ગઈ.

બિચારા લેટ '90 અને 2000 ની શરૂ માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા કે યોગ્ય જોબ લેવા માગતા યુવાનો માટે વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા એવી સ્થિતિ સર્જાઈ.

બસ, આ જ કારણે પ્રમાણમાં ખૂબ ઊંચા પૈસા ખર્ચી લોકો સંતાનોને વિદેશ મોકલવા મજબૂર બન્યા. અમેરિકામાં તો બધાને ક્યાંથી સારી યુનિ.માં ભણવા કે જોબ મળે એટલે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ખૂબ મોટા પાયે યુવાનો જવા લાગ્યા. એમાં જ રશિયા અને ચીન માં મેડિકલ એજ્યુકેશન માટેની દુકાનો ખુલી અને આજે યુક્રેન ભણવા ગયેલાઓના થયા એવા હાલ થયા.

એ ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે રશિયા ભણવા ગયેલી આખી ને આખી પેઢી અહીં હોત, જો 2015 પછી ને હમણાં પાંચેક વર્ષથી થયો છે તેવો આર્થિક વિકાસ આ દેશમાં થયો હોત.

એ પેઢીની બહુ વિપુલ સંખ્યા સાવ થોડા માર્ક માટે અહીં એડમિશન ન મળતાં ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે ન્યુઝીલેન્ડ જતી રહી.

જો અનામત 33 ટકા રહી હોત તો બહુ મોટો ફરક પડ્યો હોત. ઘણા તે દેશોમાં ભણી ને સેટલ થવા કરતાં અહીં આગળ આવ્યા હોત, દેશને આગળ લાવ્યા હોત.

એ ગાળામાં જન્મેલી સહુથી વધુ વસ્તી અત્યારે ભારતમાં છે તેમ જ થોડા માર્ક માટે રહી જતાં મોટો ખર્ચ કરી ઓસ્ટ્રેલિયા કે કેનેડા જતી રહેલી મોટી વસ્તી ત્યાં જ ભણી ત્યાં જ સેટલ થવા મજબૂર બની છે અને આજે તેમનાં 65 થી 70 વર્ષ ની ઉંમરે પહોંચેલ મા બાપો ની લગભગ આખી પેઢી વૃદ્ધાવસ્થામાં એકલી રહેવા મજબૂર બની છે. જેઓ પોતાની જાત સાચવી શકે તેમ ન હોય તેમને માટે ઓલ્ડ એજ હોમ, સર્વિસિસ અને આખી વસાહતો થઈ ગઈ. બિચારાં સંતાનોને લાગણી તો હોય પણ દર વર્ષે પંદરેક દિવસ ઓસ્ટ્રેલિયા કે કેનેડાથી આવવું ક્યાં પોષાય! એટલે વયસ્ક એકલાં લોકો માટેની સર્વિસ ફૂલી ફાલી અને સંતાનો મજબૂરીથી દૂર થઈ ગયાં - જો અહીં ભણી શક્યાં હોત ને યોગ્ય વળતરની કમાણી હોત તો?

કોઈને ખબર પણ ન પડે તેમ સરકારના એક જ નિર્ણયની સંસ્કૃતિ પર ઊંડી અસર પડી છે.

માત્ર અને માત્ર, મંડલ કમીશન અને વી.પી. સિંઘની સરકારના 50 ટકા વત્તા અમુક ક્વોટા ને અનામતમાં રાખવાના નિર્ણય ને કારણે આ મોટો બદલાવ આવ્યો છે.

પાછું અહીં ટેકનિકલ અને મેડિકલ, લો, આર્કિટેક્ચર જેવું શિક્ષણ એટલું મોંઘું થયું છે કે તેની લોન આખી જિંદગી ભરવા કરતાં તેઓ એટલા જ પૈસામાં બહાર ભણવા જતાં રહે છે અને એમના બલિદાનનો લાભ લે છે માત્ર પાંચ થી દસ હજારમાં એ જ શિક્ષણ ભણતા અનામત કેટેગરીનાં સંતાનોની આઝાદી પછી આ લાભો લેતી ચોથી પેઢી.

1984 માં ગુજરાતમાં શંકરભાઈ પટેલની આગેવાની નીચે મોટું અનામત આંદોલન થયેલું. આજે ઉચ્ચ વર્ગ એટલો ઓર્ગેનાઈઝડ, એકત્રિત નથી પણ હવેની પેઢી માટે અનામત ખતમ કરવાનો વખત આવી ચૂક્યો છે. તેમને બીજે પ્રાઇવેટમાં મળતાં શિક્ષણના દસમા ભાગને ખર્ચે જે શિક્ષણ મળે છે તે બિચારાં ટેક્સ ભરી ઉપરાંત શૈક્ષણિક લોન ભરી બેવડ વળી જતાં માબાપોને હિસાબે મળે છે. એ સબસીડાઇઝડ શિક્ષણ પણ સત્વરે બંધ થવું જોઈએ.

હજી સમય છે. ભૂખ્યા નહીં પણ વંચિત જનો ની જઠરાગ્નિ જાગશે, ખંડેર ની ભસ્મ કણી ન લાધશે.

મોરારજી ભાઈએ 1995 માં કહેલું કે 'આરક્ષણ ભૂલી જઈ મુખ્ય પ્રવાહમાં સહુએ સામેલ થઈ જવું પડશે કેમ કે બંધિયાર સરોવર ગંધાઈ ઉઠે છે, વહીને સમુદ્રમાં મળી જતી નદી નહીં.'

અત્યારે તો તે વખતની સરકારના એક જ નિર્ણયે, પેન ના એક જ ગોદે આખી બે ત્રણ પેઢીની શું દશા કરી નાખી! સંસ્કૃતિમાં કેવું આમૂલ પરિવર્તન આણ્યું અને ન છૂટકે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ જેવી જગ્યાએ ભણીને સેટ થવા કે તે સાથે જોબમાં ગલ્ફ કન્ટ્રીઝમાં વગર નાગરિકતાએ પણ સેટ થવા કેવો મોટો પ્રવાહ વહ્યો!

હવે સમય આવી પહોંચ્યો છે જલ્દીથી આ પ્રવાહ રોકવાનો.

**"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED