ajanyo shatru -8 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો શત્રુ - 8

છેલ્લે આપણે જોયું કે જેક મિલીને મળવા તેના ફ્લેટ પર જાય છે. મિલી જેકને કંઈક કહેવા માંગે છે, પરંતુ જેક તેની વાત સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી જાય છે.

હવે આગળ........

*********

દિલ્હીમાં બોસ સાથેની મિટિંગ બાદ ઘરે પરત ફરેલા રાણા કપૂર ધૂંધવાયેલા હતા. તેમને કદી સપને પણ વિચાર નહતો કર્યો કે આવા ખતરનાક મિશનમાં તેમની એકની એક લાડકી પુત્રીની ચાઈના જેવા દેશમાં મોકલવી પડશે. ભારતમાં પોતાની નવી નિયામકની જવાબદારી સંભાળતા પહેલા તેઓ ચાઈનામાં ભારતીય રાજદૂતના રાજકીય તેમજ ગુપ્ત બાબતોના સલાહકાર હતા, અને એટલે જો તેમની પુત્રી આ મિશન દરમિયાન રખેને પકડાઈ જાય તો તેની હાલત શું થાય ?એના વિશે ભલીભાતી વાકેફ હતા. આવો અમંગળ વિચાર આવતા જ તેમના મનમાં કડવાશ વ્યાપી ગઈ. એવું નહતું કે તેમને દેશની પરવા નહતી કે પોતાના હોદ્દાની લાજ નહતી, પરંતુ છેવટે તે હતા તો એક મનુષ્ય જ ને! એક પિતા ને. અને દુનિયાનો કયો બાપ જાણી જોઈને પોતાના વહાલસોયા સંતાનને સામે ચાલીને મૌતના મુખમાં ધકેલી દે?

ખરેખર ત્રિષાને એ મિટિંગમાં બોલાવવાનો તેમનો ઈરાદો એ હતો કે, એ બહાને ત્રિષા બોસ અને ગોપાલસ્વામી જેવા લશ્કર અને ગુપ્તચર ખાતાના મોટા માથાની નજરમાં આવે અને તેમને ત્રિષાનો પરિચય થાય. કેમકે તેમના મતે ડિ. આર. ડિ. ઓની કારકિર્દીમાં ખાસ કંઈ ઉકાળી લેવા જેવું હતું નહીં, આગળ વધી વધીને તે કદાચ સિનિયર સાયન્ટીસ્ટની પોસ્ટ પર પહોંચી શકે. પરંતુ જો અત્યારે બોસ અને જનરલની મદદ કરે તો આગળ જતાં તેમની લાગવાથી ત્રિષાને કોઈ મોટા સરકારી ડિપાર્ટમેન્ટમાં આરામથી સલાહકાર તરીકે ગોઠવી શકાય. અને ત્યાંથી આગળની મંજિલ તે પોતે પાર કરાવી દે. પરંતુ એકવાર કોઈ મોટા હાઇપ્રોફાઇલ વિભાગમાં એન્ટ્રી માટે કોઇની તો મદદ લેવી જ રહી.

એટલા માટે જ જ્યારે બોસે જૈવિક હથિયારો પર કોઈ સલાહકાર માટેની વાત કરી, ત્યારે રાણા કપૂરે એ મોકો ઝડપી લીધો અને પોતાની પુત્રીનું નામ સૂચવ્યું. ત્યારે બોસે તેમને તેમની પુત્રીને બોલાવવા પહેલા બે વાર વિચારી લેવા પણ કહ્યું હતું. કેમકે આ કોઈ નાની મોટી વાત નહતી. અને એકવાર કોઈ ઈનવોલ્વ થઈ જાય પછી તેને બહાર નીકળવાની ઈજાજત નહતી. ત્યારે રાણા કપૂરને લાગ્યું હતું કે બોસ કોઈ બાબત ગુપ્ત રાખવાનું કે એવું કંઈ કહેશે. અને જો કોઈ વાત એવી હશે કે જે ત્રિષાને જણાવા જોગ કોઈ ન હોય, તો તેને ત્યાંથી રવાના કરી દેશે. પરંતુ બોસે તો સીધો ધડાકો જ કર્યો, અને તેમનો આવો કોઈ વિચાર છે એનો કોઈને અણસાર પણ નહતો.

તેમને જો એક ટકાની પણ ખાતરી હોત કે બોસ ત્રિષાને ચાઇના મોકલશે, તો તે કદી ત્રિષાને મિટિંગમાં બોલાવેત નહીં. પરંતુ થવાનું હતું તે થઈ ગયું. "ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું?"

ત્રિષા કપડાં ચેન્જ કરી હાથમાં ગરમાં ગરમ દાર્જિલિંગ ટીનાં બે મગ લઈ તેના પિતા પાસે આવી અને ચાનોં એક મગ તેના પિતાના હાથમાં થમાવ્યો. તે જાણતી હતી કે તેના પિતાનો ગમે તેવો ખરાબ મૂડ ચાનાં એક કપથી તરત જ સારો થઈ જતો હતો. રાણા કપૂરે ચાનોં મગ તો હાથમાં લીધો, પણ ચાનીં ચુસ્કી આજે તેમના ગળા નીચે ઉતરે એમ નહતી. તેઓ બસ શૂન્યાવકાશમાં તાકતા મૌન બેઠા હતાં.

પિતા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતા ત્રિષાએ જ વાતની શરૂઆત કરી. "તમે ચિંતા ન કરશો પિતાજી, મને સોંપવામાં આવેલું કામ હું બખૂબી કરીશ. મારી જવાબદારી નિભાવવામાં હું ક્યારેય પાછીપાની નહીં કરૂ."ત્રિષાએ કહ્યું.

તેના પિતા તેને કંઈક કહેવા જતા હતા, પરંતુ ત્રિષા તેમના મનની વાત પારખી ગઈ હોય તેમ વચ્ચે જ તેમને રોકતા કહ્યું,"હું તમારી ચિંતા સમજુ છું. બોસની વાત સાંભળી પહેલા તો મને મારા કાન પર વિશ્વાસ નહતો આવતો, પરંતુ તેમની વાત સાચી છે. જૈવિક હથિયાર વિશે તપાસ કરવી હોય તો એ વિષયનો કોઈ જાણકાર તો જોઈએ જ. સામાન્ય માણસનું એ ગજુ નહીં. હું મારી મોટાઈ નથી કરતી કે હું બહુ મોટી નિષ્ણાત છું. પરંતુ કોઈને જવું તો પડશે ને?"

"મારી પાસે તું મોટાઈની વાત કરે છે, દીકરી? પોતાના સંતાનની મોટાઇ, વખાણ સાંભળવા ક્યાં માં-બાપને ન ગમે? અને તને જે કામ માટે પસંદ કરવામાં આવી છે, એની સામે પણ મને વાંધો નથી,વાંધો તો બસ તે સ્થળ સામે છે. જો રખેને તું પકડાઇ ગઈ, તો તે જગ્યા નર્ક કરતાં પણ બદતર છે."રાણા કપૂર એ કહ્યું.

પ્રત્યુત્તરમાં ત્રિષા કહે છે કે તેઓ શું કામ આવું નેગેટિવ વિચારે છે? તે જરૂર સફળ થશે.

રાણા કપૂર - "તારા માટે હું કોઈ દિવસ નેગેટિવ વિચારી શકું દીકરા? પણ તું હજુ આ જાસૂસીની દુનિયાને નથી જાણતી, એના જેટલી ઉપર દેખાય છે, એના કરતાં અનેક ગણા ઉંડા મૂળીયા એના જમીનમાં અંદર છે. જે કદી કોઈની જાણમાં આવતાં નથી. તે આજ દિન સુધી તારી પ્રયોગશાળામાં પ્રાણીઓ પર જ પ્રયોગ કર્યા હશે? એ પણ તેમને નિર્જીવ કરીને! પણ અહીં જીવતા લોકો પર જે વિતે છે, તેના કરતાં તો મૌત સારૂ."

ત્રિષા તેના પિતાના ચહેરા પર આજે એક અલગ જ વિષાદના ભાવ જોવે છે,જે આજ દિવસ સુધી તેને કદી દીઠા નહતા. પરંતુ તે જવાનું મન બનાવી ચુકી હતી, આથી તેણે કહ્યું કે રાઘવ અને વિરાજ પણ જવાનાં જ છે. તો તેના જવામાં શું વાંધો?

રાણા કપૂર - "તારા જવામાં શું વાંધો? એ બન્ને પ્રોફેશનલ જાસુસ છે. તેમને વર્ષોનો અનુમવ છે. અરે, વિરાજ તો હજુ હમણાં જ પાકિસ્તાનથી આવ્યો છે. હમણાં શું! સીધો પાકિસ્તાનથી જ આવ્યો છે. અને તું હજુ અમેરિકા કે યુરોપ સિવાય ક્યાંય ગઈ છો? જાસૂસીનું પ્રારંભિક જ્ઞાનપણ છે તને? તને શું લાગે? ફિલ્મો અને ટીવીમાં દેખાડે એટલું આસાન કામ છે જાસૂસીનું? કાલ કદાચ જો તું પકડાઈ જાને, તો આ જ વિરાજ અને રાઘવ તને ઓળખવાની મનાઈ કરી દે. અને જો તેમના મિશન માટે તું ખતરો લાગે તો એ જ ક્ષણે તને ગોળી મારી દે."

ત્રિષા-"ના પપ્પા, તેઓ મારા સાથી હશે. તેઓ આવું કદી ના કરે. અને જો કદાચ હું પકડાઈ પણ જઉં, તો તમે, બોસ અને આપણી ગવર્નમેન્ટ તો છે જ ને, મને બચાવવા?"

રાણા કપૂર - "વિરાજ અને રાઘવ તને ના મારે? (કટાક્ષયુક્ત ગંભીર હાસ્ય) અરે તેઓને ઓર્ડર મળે તો અત્યારે જ એ બન્ને એકબીજાના ઢીમ ઢાળી દે. તેઓ બસ ચાવી દીધેલા રમકડાં છે, એક રોબોટ જેવા. જેમને કોઈપણ ભોગે પોતાનો ટાસ્ક કંમ્પલીટ કરવાનો છે. એના માટે એ મરી પણ શકે અને કોઈને પણ મારી પણ શકે. અને રહી વાત તને બચાવવાની, તો તારા આ બાપની એટલી ત્રેવડ નથી, અને બોસ અને સરકાર કદી એ સ્વીકારશે જ નહીં કે તું ભારતીય પણ છો."

ત્રિષા-"હું ગવર્મેન્ટનું જ કામ કરવા માટે જઉં છું, તો શું તેઓ મારા બચાવમાં ફક્ત મારા ભારતીય હોવાનો સબૂત પણ ન આપી શકે?"

રાણા કપૂર - "કોણ ભારતીય? તે જ્યારે હોટલના એ કમરમાં પગ મૂક્યો, ત્યારથી જ તું ભારતીય નથી. ભારતીય તો શું! અત્યાર સુધીમાં તો સરકારી ચોપડે દુનિયામાંથી તારૂ અસ્તિત્વ જ મિટાવી દેવાયું હશે. તો તને બચાવવાની કે ભારતીય તરીકે સ્વીકારવાની વાત જ ક્યાં આવી?"

ત્રિષા-"વિરાજ અને રાઘવનું પણ એ જ પરીણામ આવે? "

રાણા કપૂર -"તારી તો ઓફીશ્યલ આઈડેન્ટીટી મિટાવવાની ખાલી હજુ મેં વાત કરી છે. પરંતુ એ બન્ને તો કાનૂની રીતે વર્ષોથી અસ્તિત્વ ધરાવતા જ નથી."

ત્રિષા-"પરંતુ તેઓ મને ટ્રેનિંગ પણ આપવાના છે જ ને?"

રાણા કપૂર -"એ દસ દિવસ ટ્રેનિંગ તો શું! એક નાનકડો વર્કશોપ પણ ન કહેવાય. અને તું વિરાજ અને રાઘવ સાથે પોતાની કંમ્પેરીઝન ન કર. એ બન્ને જમાનાનાં ખાધેલ છે. અનુભવી છે. અને તું તેમની સામે 'એક નવો નિશાળિયો'.તેઓ કદાચ જીવતા પકડાઈ તો નર્ક કરતા ખરાબ જીંદગી મળશે. જીવાશે નહીં તો મરી પણ જશે. કોઈને મારી પણ દેશે અને મોકો મળે ભાગી પણ છુટશે. પણ તારામાં એ આવડત નથી. અને તારા જેવા એક શિખાઉ વ્યક્તિને મારા જેવો ફક્ત થોડા વર્ષોનો અનુભવી ઓળખી લે. તો તેઓનું કામ જ આ છે. એ તને ના ઓળખી શકે?"

ત્રિષા-"તો શું મારે ન જવું જોઈએ? હું ના પાડી દઉ?"

આ સાંભળી રાણા કપૂરે ગળગળા અવાજે કહ્યું, "હવે જવું તો પડશે જ. આ એક વન વે રસ્તો છે. અહીં આપણે આગળ તો જઇ શકીએ. પરંતુ પાછા વળવાનો કોઈ માર્ગ નથી."

ત્રિષા-"આપણે કોર્ટેની મદદ ન લઇ શકીએ? તેઓ આપણી મરજી વિરુદ્ધ આપણી પાસે કામ કરાવે છે."

રાણા કપૂર એ ક્યારના રોકી રાખેલા આસું હવે આંખોમાંથી છલકાઈ ગયા. તેમને ત્રિષાને કહ્યું, "આ બધી મારી જ ભૂલ છે. મારે બોસને તારૂ નામ સૂચવવાની જરૂર જ નહતી. મારા કારણે જ બધું થયું છે, હું જ તને મોતના મુખમાં ધકેલી રહ્યો છું. કેવો બદનસીબ બાપ છું હું, જે પોતાની જ વ્હાલસોયી પુત્રીનો દુશ્મન બની બેઠો. અને હવે કોર્ટેના દરવાજા ખખડાવાથી કંઈ નહીં વળે. તે હોટલનાં રૂમનો દરવાજો ખખડાવવા પહેલા વિચાર કરવાની જરૂર હતી. હવે તો કદાચ ઈશ્વર જ તને જતાં રોકી શકે તો ભલે. બાકી એ લોકોને ખબર પડે કે હું તને રોકું છું, અને કદાચ જો તું જવાની ના પાડે, તો આપણે કાલનો સૂરજ જોવા ન પામીએ."

ત્રિષાએ તેના પિતાને આટલા કમજોર અને નિઃસહાય ક્યારેય જોયા નહતા. તે મનમાં જ બોસને મળી આ વિશે વાત કરવાનું નક્કી કરે છે. અને પોતાના રૂમમાં સૂવા માટે જતી રહે છે. રાણા કપૂર પણ સૂવા માટે જાય છે. પરંતુ તેમની આંખમાં નીંદર નહતી, ફક્ત નર્યો અંધકાર હતો.

"બોસ, આ છોકરી તો જવા માટે રાજી થઈ ગઈ છે, પણ તેનો બાપ તેને જવા દે એમ લાગતું નથી."બોસને સંબોધતા એક વ્યક્તિ એ કહ્યું.

બોસ-"કંઈ વાંધો નહીં. એ છોકરીને તો રાઘવ સંભાળી લેશે. અને એના બાપને એ છોકરી પોતે(શરારતી હાસ્ય)."

દરસલ બોસ એ પહેલાંથી જ રાણા કપૂરના ઘરમાં જાસૂસી ઉપકરણો લગાવી દીધા હતા. આથી ત્રિષાના તેમને મળવા આવવા સિવાયની બધી વાત તેમણે સ્પષ્ટ સાંભળી હતી.

**********

તો હવે ત્રિષાનું શું થશે? શું બોસ તેને ચાઈના મોકલવામાં કામયાબ થશે? કે રાણા કપૂર તેને રોકવામાં? જાણવા માટે વાંચતા રહો, "અજાણ્યો શત્રુ".

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED