Ruh sathe ishq return - 23 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 23

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 23

કબીર હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તો રમણભાઈ સમેત એમનાં કઢાવેલાં સોનોગ્રાફી રિપોર્ટ્સ બધું કોઈક અજાણ્યો શખ્સ આવીને લઈ ગયો હતો..ત્યાં કોણ આવ્યું હશે એવી અટકળો લગાવતો કબીર દોલતપુર થી શિવગઢ તરફ પોતાની ગાડીને દોડાવી મુકે છે.

કબીર ને હતું કે આ કોઈ મોટી ગેમ પોતાની સાથે કોઈક રમી ગયું છે..આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક ગીરીશભાઈ હોવાં જોઈએ એવું કબીરને લાગ્યું.શિવગઢ પહોંચ્યો ત્યાં સુધી કબીરને એક જ વાત ની ચિંતા હતી એ હતી રમણભાઈનાં જીવ ની..પોતે રમણભાઈ ને જોડે શહેરમાં લઈ ગયો હતો એટલે એમને હેમખેમ ઘરે પહોંચાડવાની જવાબદારી પોતાની ઉપર હતી એ વાત કબીર સમજતો હતો..માટે એની ગાડીને સીધી રમણભાઈ નાં ઘરનાં આંગણે લાવીને બ્રેક કરી.

"રમણભાઈ..રમણભાઈ..."કબીરે ગાડીમાંથી ઉતરતાં જ રમણભાઈ ને અવાજ આપ્યો.

"હા બોલો.."રમણભાઈ બારણું ખોલીને બહાર આવતાં બોલ્યાં.

રમણભાઈ ને હેમખેમ જોઈ કબીરનાં જીવ માં જીવ આવ્યો..એ અધીરાઈ પૂર્વક રમણભાઈ જોડે ગયો અને બોલ્યો.

"રમણભાઈ તમને અહીં લઈને કોણ આવ્યું..?અને ત્રિવેદી સાહેબની હોસ્પિટલમાં કઢાવેલાં રિપોર્ટ્સની ફાઈલ ક્યાં છે..?"

"હું તો અહીં જ હતો અને તમે કયાં ત્રિવેદી સાહેબ અને કેવાં રિપોર્ટ્સની વાત કરો છો..?"કબીરનાં સવાલની સામે સામા સવાલ કરતાં રમણભાઈ એ પૂછ્યું.

"અરે તમે આ શું બોલી રહયાં છો..હું તમને લઈને દોલતપુર ગયો હતો અને ત્યાં પ્રકાશ ત્રિવેદીની હોસ્પિટલમાં તમારી સોનોગ્રાફી અને રિપોર્ટ્સ કઢાવ્યાં હતાં.. તમને ખબર ના હોય તો જણાવી દઉં કે તમારાં એપેન્ડિક્સ ઓપરેશનનાં બહાને તમારી કિડની કાઢી લેવાઈ છે.."કબીર બેચેની સાથે બોલ્યો.

"તમને કોને કહ્યું કે આમનું એપેન્ડિક્સ નું ઓપરેશન થયું છે..આમને તો કિડનીમાં સડો પડ્યો હતો એટલે એમની ઓપરેશન કરી કિડની કાઢી લેવાઈ છે.."રમણભાઈ ની પત્ની બહાર આવતાં બોલી.

રમણભાઈ અને એમની પત્નીનું બદલાયેલું વર્તન અને પહેલાં કરેલી વાત કરતાં વિપરીત બયાન સાંભળી કબીર તો માથું ખંજવાળતો રહી ગયો..એને સમજાતું નહોતું કે પોતાનાં બધાં દાવ ઉલટા કઈ રીતે પડ્યાં હતાં.

"મને લાગે છે કે તમે કોઈકનાં દબાણ કે ધમકીથી વશ થઈને આવું કહી રહ્યાં છો..હકીકત શું છે એ જાણ્યાં પછી ચૂપ રહેવું પણ ગુનો જ કહેવાય એની તમને ખબર હોવી જોઈએ..અને આ તો તમારી પોતાની ઉપર વીતેલું છે..તો તમે જ ચૂપ રહેશો તો કઈ રીતે ચાલશે..?"કબીર સમજાવટનાં સુરમાં બોલ્યો.

"સાહેબ,મહેરબાની કરીને અમને અમારાં હાલ પર છોડીને તમે અહીંથી ચાલ્યાં જાઓ..અને અમારી સલાહ માનો તો તમે પણ આ ગામ છોડીને જ ચાલ્યાં જાઓ.."રમણભાઈ નો હાથ પકડી એમને ઘરનાં અંદર લઈ જતાં એમની પત્ની કબીરને ઉદ્દેશીને બોલી.

કબીર કંઈક બોલે એ પહેલાં તો એમને મકાનનો દરવાજો બંધ કરી દીધો..આમ થતાં કબીર નિરાશ વદને જઈને પોતાની ગાડીમાં ગોઠવાયો..આગળ શું કરવું એ વિશે એને કંઈપણ સમજાઈ નહોતું રહ્યું..અચાનક કબીરનાં મગજમાં એક વિચાર સ્ફુર્યો અને એને પોતાની ગાડીને મહાદેવ મંદિર તરફ જતાં રસ્તે ભગાવી મુકી. હવે આ ગામમાં સૌથી વધુ વિશ્વાસ કોઈ ઉપર કરી શકાય એ હોય તો એ હતાં મહાદેવ મંદિરનાં પૂજારી હરગોવનભાઈ.

કબીર જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે આરતીની તૈયારીઓ ચાલુ હતી..કબીરે એ તૈયારીઓમાં હરગોવનભાઈ ની મદદ કરી અને પછી પોતાનાં હાથે જ આરતી ઉતારી..લોકો નું ટોળું વિખેરાતાં કબીર હરગોવનભાઈ ને મળ્યો અને બોલ્યો.

"મહારાજ મારે તમારી સાથે ઘણી અગત્યની વાત કરવી છે..હું એક એવી મુસીબતમાં મુકાયો છું જેમાંથી નીકળવામાં ફક્ત તમે જ મારી મદદ કરી શકો છો.."

કબીરની વાત સાંભળી હરગોવનભાઈ એ કહ્યું.

"હા બોલ ને બેટા.. હું તારી કઈ રીતે મદદ કરી શકું છું.."

હરગોવનભાઈ અને કબીર ત્યારબાદ મહારાજ ની રહેવા માટે મંદિરની બાજુમાં મોજુદ ઓરડી હતી એમાં જઈને બેઠાં. કબીરે મહારાજ ને પોતાની અને રાધા ની થયેલી મુલાકાત વિશે જ્યારે જણાવ્યું ત્યારે તો હરગોવનભાઈ ને વિશ્વાસ જ ના બેઠો..પણ જેમ-જેમ કબીર પોતાની અને રાધાની જીંદગી ની દરેક પરત ખોલતો રહ્યો એ સાંભળ્યાં બાદ તો કબીરની વાત પર હરગોવનભાઈ નો વિશ્વાસ સુદ્રઢ થઈ રહ્યો હતો.

આ બધામાં કબીર ની મહાદેવની આરતી ઉતારવાની જે રીત હતી એ બિલકુલ મોહન સાથે મળતી આવતી હતી એની ઉપરથી હરગોવનભાઈ કબીર ની વાત સ્વીકારવા મજબુર બન્યાં.

કબીરે ગીરીશભાઈ, રાજુ અને ઠાકુર પ્રતાપસિંહ દ્વારા રાધાની હત્યા કરી એની આત્મહત્યા ની વાત જણાવી ત્યારે પહેલાં તો હરગોવનભાઈ એની વાત સાથે સહમત ના થયાં.પણ જ્યારે કબીરે બલી ની વાત દોહરાવી ત્યારે હરગોવનભાઈ નાં મગજમાં એક ઝબકારો થયો અને એ બોલ્યાં.

"તો દીકરા તું જ મોહન છે હું એ વાત સાથે સહમત છું કે રાધાની રૂહે તને એની હત્યાની વાત જણાવી એ સાચી છે કેમકે તું જે પ્રકારે ઠાકુર દ્વારા અપાતી બલી ની વાત કરી રહ્યો છે એમાં મને સચ્ચાઈ લાગે છે.."

"તમને મારી વાત પર વિશ્વાસ છે એ સાંભળી આનંદ થયો પણ બલીની વાત તમે સાચી માની લીધી એનું કોઈ કારણ..?કબીરે પૂછ્યું.

"તે કહ્યું કે ગીતા ગર્ભવતી હોવાથી એની ઠાકુર પ્રતાપસિંહ દ્વારા બલી આપવામાં આવી હતી..અને એવી જ બીજી સાત સ્ત્રીઓની બલી પણ ઠાકુરે આપી હોવાની વાત તે કહી તો બાકીની સાત સ્ત્રીઓ કોણ હતી એની મને ખબર છે.."હરગોવનભાઈ બોલ્યાં.

"શું તમે જાણો છો કે બાકીની સાત સ્ત્રીઓ કોણ કોણ હતી..?"કબીરે સવાલ કર્યો.

"હા,કેમકે આ ગામમાં અત્યાર સુધી ગીતા સિવાય બીજી સાત સ્ત્રીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ છે..લોકો માને છે કે એમનાં પતિ શિવગઢ વર્ષે બે-ત્રણ વાર માંડ આવતાં હોવાથી એ બધી કંટાળીને કોઈકની સાથે ભાગી ગઈ હશે પણ તારી વાત સાંભળી મને લાગે છે કે એ સાતે સાત ગરીબ બિચારી સ્ત્રીઓ આ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધા નો ભોગ બની હતી."હરગોવનભાઈ બોલ્યાં.

"તમે મને એ સાત સ્ત્રીઓનાં ઘર નું એડ્રેસ આપી શકો છો જેથી હું એમનાં પરિવાર ને મળીને બીજી વાતો જાણી શકું.."કબીરે કહ્યું.

"મને યાદ છે ત્યાં સુધી તખી કરીને એક સ્ત્રી સિવાય કોઈનાં પરિવાર નાં લોકો અહીં રહેતાં નથી..કેમકે આ બધી સ્ત્રીઓનાં પરિવાર માં એમનાં પતિ સિવાય કોઈ નહોતું અને પોતાની પત્ની કોઈ બીજાની સાથે ભાગી ગઈ હોવાની વાત સાંભળી એમાંથી કોઈ શિવગઢ આવ્યું જ નથી..સિવાય કે તખી નાં ઘરવાળા નટુ સિવાય.."હરગોવનભાઈ એ જણાવ્યું.

"કાલે સાંજે તમે નટુ ને અહીં બોલાવી રાખજો હું એને તખી નાં ગાયબ થવાની સચ્ચાઈ જણાવીશ તો એ જરૂર મારી મદદ કરશે.."કબીરે કહ્યું.

"દીકરા ચિંતા ના કર હું તારી સાથે જ છું એ હેવાનો ને એમનાં કર્યાની સજા આપવામાં..પણ એ લોકો ખૂબ તાકાતવર છે તો એમની સાથે બદલો લેવાનું કોઈ નક્કર આયોજન તે વિચાર્યું છે..?"મુદ્દા નો સવાલ કરતાં હરગોવનભાઈ બોલ્યાં.

એમના જવાબમાં કબીરે રમણભાઈ ને લઈને દોલતપુર જવાની અને દોલતપુરથી રમણભાઈનાં અચાનક ગાયબ થવાની અને અહીં આવ્યાં પછી એમની બોલી બદલાઈ જવાની વાત વિસ્તૃત રીતે જણાવી..કબીરની વાત સાંભળી હરગોવનભાઈ ચિંતિત સ્વરે બોલ્યાં.

"આનો મતલબ તો સાફ-સાફ એ છે કે ગીરીશભાઈ નાં માણસો તારી ઉપર નજર રાખીને બેઠાં હતાં..તો હવે તારે આગળનું દરેક કદમ ઘણું સાચવીને મૂકવું પડશે."

હરગોવનભાઈ જે બોલ્યાં હતાં એ વાત પર વિચાર કરતાં કબીર ને યાદ આવ્યું કે એક વ્યક્તિ હંમેશા પોતે દોલતપુર જાય ત્યારે બાઈક લઈને એની પાછળ આવતો હતો જેને ગીરીશભાઈ એ જ પોતાની પાછળ મોકલ્યો હોવો જોઈએ એ બાબતે કબીર ચોક્કસ બન્યો.

"તો તમે જ કોઈ ઉપાય બતાવો..?"કબીરે હરગોવનભાઈ ને ઉદ્દેશીને કહ્યું.

કબીર ની વાત સાંભળી હરગોવનભાઈ બોલ્યાં.

"કબીર તારે જો યોગ્ય રીતે એ પાપીઓને સજા આપવી જ હોય તો સૌથી પહેલાં આ બદમાશ ટુકડીની સૌથી નબળી કડી એટલે કે રાજુ નું કંઈક કરવું પડશે..રાજુનો ઉપયોગ કરીને જ તું એની ઉપર જેમનો હાથ છે એવાં ગીરીશભાઈ અને પ્રતાપસિંહ ની ગરદન સુધી પહોંચી શકાશે."

"સારું તો હું રાજુ નું શું કરવું એ વિશે ઘરે જઈને વિચારું..પણ તમે નટુ ને કાલ સાંજે બોલાવી રાખજો.."કબીર બોલ્યો.

"સારું દીકરા તું જા..પણ તારું ધ્યાન રાખજે.."કબીરને માથે હાથ મુકીને હરગોવનભાઈ એ કહ્યું.

હરગોવનભાઈ ની રજા લઈને કબીર પાછો વુડહાઉસ તરફ જવા માટે નીકળ્યો.કબીરનાં મનમાં ઘણાં વિચારો એકસાથે દોડી રહ્યાં હતાં.હવે આગળ શું કરવું એ વિષયમાં કબીર અત્યારે તો દિશા શૂન્ય જ હતો.

કબીર વુડહાઉસ પહોંચ્યો ત્યારે સાડા સાત વાગી ચુક્યાં હતાં.ત્યાં પહોંચીને કબીર સીધો પોતાનાં રૂમમાં ગયો અને પછી ફ્રેશ થઈને પાછો નીચે આવ્યો એટલે જીવાકાકા એ એને ગરમાગરમ જમવાનું પીરસી દીધું.કબીરે જમી લીધું એટલે જીવાકાકા પોતાનું બધું કામ નિપટાવીને પોતાનાં ઘરે જવા રવાના થયા એ સાથે જ કબીરે સાવચેતી ખાતર પહેલાં તો વુડહાઉસનાં બારી બારણાં મજબૂતાઈથી લોક કર્યાં અને પછી લેન્ડલાઈન માં કોઈકનો નંબર ડાયલ કરવાનો પ્રયત્ન કર્યો..પણ કબીર નાં આશ્ચર્ય વચ્ચે લેન્ડલાઈન નંબર બંધ હતો.

કબીર થોડું વિચાર્યા બાદ પાછો પોતાનાં રૂમમાં આવ્યો..કબીરે આવીને પહેલું કામ પોતાની રિવોલ્વર સરખી રીતે લોડ કરેલી છે કે નહીં એ ચેક કર્યું કેમકે કબીર જાણતો હતો કે ગીરીશભાઈની સામે પડવાનું જે રિસ્ક એને ઉઠાવ્યું હતું એની સામે જાન નો ખતરો હતો એટલે હવે દરેક ડગલું સમજી વિચારીને ભરવું જોઈએ એ વાત કબીરનાં મનમાં ચોક્કસ હતી.

"હજુ તો સાડા આઠ પણ નથી થયાં અને રાધા તો અઢી વાગ્યાં પહેલાં આવશે નહીં એટલે સમય પસાર કરવાં કબીરે રસ્કિન બોન્ડ ની પોતે જે નોવેલો લાવ્યો હતો એમાંથી એક નોવેલ the face in dark and other hauntings કાઢી અને વાંચવાનું શરૂ કર્યું..લગભગ સાડા બાર વાગ્યાં સુધીમાં તો કબીર આખી નોવેલ પુરી કરી ચુક્યો હતો.

હજુ તો રાધા ના આવે ત્યાં સુધી કબીરને બીજાં બે કલાક જેટલી રાહ જોવાની હતી એટલે કબીર સમય પસાર કરવાનાં ઉદ્દેશથી નીચે રસોડામાં ગયો અને કોફી બનાવી કાચનાં મગમાં ભરીને પાછો પોતાનાં રૂમમાં આવીને પલંગ પર બેઠો.

કોફીનાં દરેક ઘૂંટની સાથે કબીર જાણે આગળ ની ચાલ નું નવું પગથીયું ચડવાની કોશિશ કરી રહ્યો હતો..ગઈ વખતે તો છેક ઉપરથી પટકાયા જેવી હાલત થયાં બાદ કબીર હવે કોઈ નાના માં નાની કસર રહી જાય એવાં મૂડમાં નહોતો.

રાજુ ને કઈ રીતે પોતાનાં સકંજામાં લેવો એ વિશે કબીર વિચારતો હતો ત્યાં એનાં મગજમાં કોઈકનો ચહેરો યાદ આવી ગયો.આમ થતાં જ કબીરનાં ચહેરાનો નૂર ગાયબ થઈ ગયો.કબીર ને હવે કોઈ નવી ચિંતા કોરી ખાતી હતી એ એનાં ચહેરાનાં બદલાયેલાં ભાવ જોઈ પુરવાર થતું હતું...!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર રાજુ સાથે શું કરશે..?અત્યારે કબીરનાં મગજમાં કોનો ચહેરો યાદ આવ્યો હતો..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED