Ajit Bhimdev - Ra ane mahamantri books and stories free download online pdf in Gujarati

રા અને મહામંત્રી

રા’ અને મહામંત્રી

રા’ નવઘણ આવ્યો. દામોદર એની જ રાહ જોતો હતો. રા’ કોણ જાણે કેમ ઉત્સાહમાં લાગ્યો. એનું સાંઢણીદળ ઠીક તૈયાર થઈ ગયું હોવું જોઈએ. એના મનમાં તો એક જ વાત બેઠી હોય. પોતે સિંઘનાં રણ ખેડે. એ રણજોદ્ધાને રસ, રણનો હતો. એણે દામોદરને ખંડમાં બેઠા, કે તરત કહ્યું : ‘મહામંત્રીરાજ ! હું ઉતાવળો આવી ગયો, એટલા માટે કે, વાત ખીલે બંધાઈ જાય. આપણે વિદાય થઈએ. અમારું ત્યાંનું સાંઢણીદળ તમે જોશો, અને તમારી છાતી ગજ ગજ ઊંચી આવશે. શું નામી સાંઢણીઓ આવી રહી છે ! એક જુઓ ને એક ભૂલો. ભગવાન સોમનાથ પ્રત્યેની અપાર લોકશ્રદ્ધાનું એ ફળ છે. અને હજી તો આવી જ રહી છે. એક હજી આવવાની છે, એ જ્યારે આવશે ત્યાર પછી કોઈની દેન નથી કે, ઝડપમાં અમને પહોંચે. હવે અમારે બહુ ખોટી થાવું પડે, એ ઠીક નથી. આપણે મહારાજની રજા લેવા જઈએ.

‘જઈએ ભલે. પણ તમારી સાંઢણી ક્યાંથી આવવાની છે રા’ ?’ દામોદરને પોતાની વાત રજૂ કરવાની હતી. એટલે એણે ધીમેથી શરૂઆત કરી.

‘સાંઢણી આવશે નાઘેર પંથકમાંથી, પ્રભુ ! રણપંખણી નામ પ્રમાણે જ એનું કામ. રણમાં જાણે પંખી ઊડ્યું એમ જોઈ લ્યો. એ આવવાની છે !’

દામોદર ચમકી ગયો. એણે આ નામ સાંભળ્યું હતું. એને મનમાં ચટપટી થઈ. ત્યાં ધિજ્જટજી ને ધ્રુબાંગ પણ આના ઉપર જ મદાર માંડીને રહ્યા હતા. અને પોતે તો એમને રા’ની રાણકી લાવી દેવાનું કહીને આવ્યો હતો. એણે રા’ની પાસે વધુ વાત કઢાવી.

‘પણ રાણકીને કોઈ ન પહોંચે, નવઘમજી !’

‘રાણકીને કાંઈ કોઈ ટપે ?’ રા’ નવઘણે અભિમાનથી ઉત્સાહમાં આવી જઈને કહ્યું. ‘એ તો નવસોરઠનો પ્રાણ છે, પ્રભુ ? એ હઇને તો જૂનાગઢનો કિલ્લો છે ! અમારે પડવું નથી, પણ પાટણ સામે પડવું હોય, તો આ એક રાણકી ઉપર કાઠું માંડ્યું, પછી તમતમારે પાટણનું બધું સેન મેદાનમાં ઉતારો ને !’ રા’ મોટેથી નિખાલસપણે નાના છોકરા જેવા ઉત્સાહથી હસી પડ્યો, ‘તમે ઘોડો લઈ લીધો પણ હજી આ સાંઢણી છે !’

‘પણ હવે તમારે પાટણ ઉપર કટક લાવવાપણું રહ્યું છે જ ક્યાં ? તમે તો પાટણમાં ભળી ગયા છો. આવડો મોટો તમે ભોગ આપ્યો છે એ કાંઈ અમસ્તો ? અમને ક્યાં ખબર નથી ? અમે તમારો કિલ્લો માગ્યો હતો, ઘોડો નહિ. પણ તમે ને પાટણ જુદાં હો તો દખધોખો ઊભો થાય. તમારું મનદુઃખ એ અમારું પહેલું મનદુઃખ !’

‘મનદુઃખ તો એમાં શું પ્રભુ ! ઘોડાને રાખ્યો એ આજ લેખે લાગ્યું. ભગવાન સોમનાથને એ સમર્પણ થઈ ગયો. એના કરતાં બીજી કોઈ મોટી વાત થવાની હતી ? એ તો થઈ ગયું. જયપાલને હવે તો પહોંચી પણ ગયો હશે.’

‘એવું છે રા’ ! આપણે આ કર્યું ન હોત તો જયપાલ ઉપર કોઈને વિશ્વાસ બેસત નહિ. તમે તમારા ઘરમાંથી કોક અણમોલ રતન કાઢીને આપો, તો તમારો કોઈક ભરોસો કરે. આપણી આ વાત એવી હતી. હવે આપણી વાત ખીલે બંધાવાની !’

‘એ તમે હવે બાંધી લ્યો મંત્રીરાજ ? એટલે બીજું કાંઈ નહિ અમે છુટા તો થાઈએ. પછી અમારું મન હાથ રહે ન રહે !’

રા’ લડાઈના જ ધૂનભર્યા ઉલ્લાસમાં લાગ્યો. દામોદરને લાગ્યું કે આ રણજોદ્ધાએ પોતાનું પંદરસો સાંઢણીદળ દીઠું છે, એનો આ બધો નશો લાગે છે !

રા’ ની બેપરવાઈ ભરેલી શૂરવીરતાને વખાણવી કે વખોડવી એ એને સમજાણું નહિ. હજી આ બધા એકલજોદ્ધાઓ રણમાં મરી ખૂટવાની ખુમારીમાંથી ઊંચા આવતા જ ન હતા ! એનો ભીમદેવ પણ આ જ પંથનો હતો. રા’ એ શોધ્યો છે જમાઈ, કેસર મકવાણો, એ પણ આ જ પંથનો. ચૌહાણ આ પંથના. આ બધી ગાંડી શૂરવીરતાઓને ગુપ્ત મહારાજ્યનો ચક્રવર્તી પંથ બતાવવો, એ આકાશમાંથી તારા લાવવા જેવું અઘરું કામ હતું. અત્યારે તો દામોદરે રા’ના ઉલ્લાસમાં ઉલ્લાસ પ્રેર્યો.

‘રા’ નવઘમજી ! કહો ન કહો, પણ તમે આજે કાંઈક મોજમાં છો. કોઈ દસોંદીએ કવિતાની લાણ આપી છે કે શું છે ? કે કોઈ ચારણ-બારોટને લાખપસાવ આપીને આવ્યા છો ? તો મહારાજને વાત કરીએ !’

‘ભૈ ! મંત્રીરાજ ! તમારા રાજમાં લાખપસાવ આપવા જેવું તો કોઈ પરાક્રમ હવે ક્યાં થાય તેવું છે ? પણ હું તો સાંઢણીદળના વિચારે મોજમાં આવી ગયો છું !’ ભોળિયા રા’ એ મનની વાત કહી નાખી.

‘ત્યારે એમ કહો ને ! તમારા એ મોજના સમુંદરને હું પણ એક નવો રંગ આપું, રા’ નવઘણજી ! ભગવાન સોમનાથે કોણ જાણે કેવી નીલગર વિજયા આંહીં મોકલી છે, પણ તમે વાત સાંભળશો ને ડોલી જશો.’

‘શું થયું છે પ્રભુ ? કાંઈ નવા જુદ્ધના સમાચાર આવ્યા છે ?’

દામોદર હસી પડ્યો : ‘તમે તો રા’ નવઘણજી ! જુદ્ધ સિવાય બીજું કાંઈ દેખતા જ નથી.’

‘બીજું હવે મારે ગલઢેગઢપણ શું દેખવાનું હોય, પ્રભુ ? હવે તો જુદ્ધ દેખતો દેખતો ચાલ્યોજાયઉં એટલે બસ, ગંગ નાયો.’

‘પણ આ તો મહા જુદ્ધના યોદ્ધાઓ પણ બે ઘડી ડોલી જાય એવી વાત બની ગઈ છે, રા’ આવી છે તમારે ત્યાંથી જ. જૂનાગઢના ભૈરવી ખડક વિના બીજે ક્યાં એનો જનમ હોય ?’

‘અમારે ત્યાંથી આવી છે ?’ રા’ વિચારમાં પડી ગયો. તે કાંઈક સંભારતો લાગ્યો. તેને કાંઈ સમજણ પડી નહિ.

‘મેં તો કાંઈ સાંભળ્યું નથી, શું વાત છે પ્રભુ ?’

---------------

*ભાંગ

‘તમે સાંભળશો ને ડોલી જશો. તમને થઈ જશે કે લાખપસાવ શું, કિલ્લો પણ શું, અરે ખુદ રાણકીની ન્યોછાવરી કરી નાખીએ તો પણ આવતી કદરદાનીમાં ઓછું પડે. ભગવાન સોમનાથની મોકલેલી પ્રેરણા વિના આવી વાત જન્મે જ નહિ ને.’

રા’ કાંઈક સંભારી રહ્યો, પણ એને દામોદરની વાતમાં કાંઈ સમજણ પડી નહિ. કોઈ વાત હમણાં બની હોય તેવું એણે જાણ્યું ન હતું.

‘કાંઈ સમજાતું નથી મંત્રીજી !’ તે બે હાથ જોડી બોલ્યો.

‘નવઘણજી ! આપણે ક્યાં જવાનું છે, કહો !’

‘કેમ વળી ? દુર્લભસેન મહારાજને મળવા.’

‘પણ શું કરવા એ તો તમે જોણો છો નાં ?’

‘તમે કહ્યું તેટલું જાણું છું હમીરને સિંધને રસ્તે પાછો વાળી દેવામાં એમની મદદ લેવાની છે.’ ‘થયું ત્યારે. તમે સમજ્યા છો તે બરાબર છે.’

રા’ આતુરતાથી દામોદરની સામે જોઈ રહ્યો. પણ દામોદર તો ધીમે ધીમે જ વાત ઉખેળવા માગતો હતો.

‘એવું છે રા’ નવઘણજી ! સિંઘને માર્ગે સુલતાન પાછો તો ફરે. એ હવે પાછો ફરી જવા માગે પણ છે. એટલે કોઈક પણ પાટણનો રાજવંશી એની સત્તા સ્વીકારશે કે તરત એ ઊપડી જશે. આ વાત છે. પણ એને મોટામાં મોટી ચિંતા સિંધના મારગની છે. એ માર્ગે એને દોરનાર કોણ ? એ મારગનો છેક સુધીનો ભોમિયો કોણ ? પોતે તો આ બાજુ પહેલવહેલો જ આવ્યો છે. આવતાં તો દોડતા આવવાનું હતું. પણ હવે અઢળક ધન કમાણો છે. લૂંટના માલનો કોઈ પાર નથી. આડે કોઈએ વિઘન ઊભું કર્યું હોય, તે તરફ જાય તેમ નથી...’

રા’ ઊંચોનીચો થવા માંડ્યો.

આ બધી વાત થઈ ગઈ હતી. પણ જે વાત દામોદર કહેવાનો હતો, તે તો હજી આવતી જ ન હતી.

દામોદર રા’ની અધીરતા કળી ગયો. તેણે ત્વરા કરી.

‘સિંધનાં એ રણનાં અફાટ મેદાનો એને મૂંઝવી રહ્યાં છે. એને ભોમિયાની જરૂર છે, એ ક્યાં મળે ? આપણે પણ કોઈ ભોમિયાની શોધમાં હતા, એ તમે જાણો છો. ભોમિયા મળે, તો એને ધરપત થાય. એ એને રણરેતમાં દોરે !’

‘હા....’ રા’ નવઘણના દિલમાં ધ્રાસકો પડી ગયો. ને નવો પ્રકાશ પણ આવી ગયો. દામોદર મહામંદ્રીની વાતની કડી સમજતાં એ ઊંડો ઊતરી ગયો. આ ભયંકર માર્ગે, ભોમિયા તરીકે જનારા માણસોની છાતીની કલ્પના કરતાં, એ પોતે પણ ધ્રૂજી ગયો. સાંઢણી ઉપરની દોડ તો એના પ્રમાણમાં છોકરાની રમત જેવી લાગી. દામોદરે એની કલ્પનાનેે વધારે ઉત્તેજી : ‘પણ એવા મરજીવા કાંઈ રેઢા પડ્યા છે રા’ ? એવા માતાના બત્રીસ લક્ષણા કાંઈ ઘેર ઘેર પાકે છે ? એવા નરપુંગવોના કાંઈ ફાલ આવે છે ?’ પણ ભગવાન સોમનાથે પ્રેરણા મોકલી, અને એક નહિ, બે નહિ, પણ ત્રણ ત્રણ વીરભદ્રો, આ કામ માટે મળી આવ્યા.

‘હેં ! શું કહો છો ?’ રા’ અરધો ઊભા જેવો થઈ ગયો. ‘મળી આવ્યા ? ખરેખર ? કોણ છે એ બત્રીસલક્ષણા ? કોની કૂખમાં આવાં અણમોલ રતન પાક્યાં ?’

‘ભૈરવી ખડકમાંથી ઊભા થયેલા છે, નવઘણજી !’

‘કોણ છે પ્રભુ ! કોણ છે ? ક્યાંના છે ?’ દામોદર વાતને ખીલે બાંધી લેવા માગતો હતો. તે ધીમેધીમે જ વાતને ઉખેળતો ગયો : ‘રા’ ! નવઘણજી ! આ ગર્જનકને સોમનાથના ક્ષેત્રમાંથી હાંકી કાઢવાનો જશ તમારે ત્યાં આવે છે. જેવી અદ્‌ભુત તમારી રાણકી છે, તેવા અદ્‌ભુત આ નરોત્તમો છે. એમને રણરેતના મહાસાગરમાં જવા દેવા, અને ભાગી છૂટવાના આધાર વિના, સેંકડો અને હજારો દુશ્મનોની વચ્ચે ટુકડે ટુકડા થઈ જતા કલ્પવા....’ દામોદરનો કંઠ ઘડીભર રૂંધાઈ ગયો. તે થોડી વાર થોભી ગયો.

રા’ નવઘણજી ! એ કલ્પના મારા મગજમાં આવે છે, અને દેહ આખો વેદનાથી બળી ઊઠે છે. ત્યાં રણમાં એમને કાંઈક આધાર જેવું લાગે એવું મારે એમને સબળમાં સબળ એક સાધન આપવું છે, પણ સાધન મળતું નથી.’

‘શું સાધન આપવું છે પ્રભુ ? શું આપવાનું છે ? શું મળતું નથી ? આવા મરજીવાને આપવાનું નહિ મળે તો તો થઈ રહ્યું ! તો તો દેશ રંડાઈ ગયો. હું લાવી આપું, જે જોઈતું હોય તે બોલો !’ ‘તમે તો છો જ, પણ એવું છે નવઘણજી ! આ તો જાણે મારી કલ્પના છે. પણ હમ્મીરના સેનને આ આડે માર્ગે દોરનારા ત્યાં જાય....

‘પણ પ્રભુ ! એ છે કોણ એ તો કહો !’ રા’એ ઉતાવળે વચ્ચે જ કહ્યું, એને બાળકની પેઠે નામ જાણવાની તાલાવેલી લાગી હતી.

‘મેં તમને ન કહ્યું રા’ ? ગિરનારના ભૈરવી ખડકમાંથી ભગવાન સોમનાથે પોતે એમને ઘડીને મોકલ્યા છે. જે હોય તે !’

રા’ ને તૃપ્તિ થઈ નહિ, એ ઊલટાનો વધારે ઉત્સુક બની ગયો.

‘હં.... પછી ? તમે શું કહી રહ્યા હતા, પ્રભુ ? સાધન જોઈએ છે. એની વાત હતી, શું સાધન જોઈએ ?’

‘હા આપણે આ મરજીવાને ત્યાં મોકલીએ. એ ત્યાં જાય. સેનને દોરે. નપાણીઆ રેતરણમાં, ભયંકર વાવંટોળમાં, ભીષણ આગમાં, હાડ બાળી નાખે એવી ભોમાં. પણ આ સેન ખોટે મારગે ચડ્યું એમ હમ્મીર જાણે, ત્યારે હમ્મીર શું કરે ? કલ્પના કરો, હમ્મીર શું કરે !’

‘હમ્મીર ભોમિયાના રાઈ રાઈ જેવડા ટુકડા ખરી નાખે.’

‘આ.... હા.... એ કેમ જોયું જાય રા’ નવઘણજી ! જાણ્યા છતાં આપણે આ થવા દેવું એમ ? એ મરજીવા ત્યાંથી પણ હાથતાળી દઈને ભાગી નીકળી શકે, ત્યાં રણરેતમાં પણ કાંઈક નવું કરી બતાવી શકે, ત્યાં ગર્જનકની ત્રીસ હજાર સાંઢણી મોં વકાસીને જોતી રહે, ને એ હાથતાળી દેતા ઊડી જાય, એવું સાધન એમને આપવું છે. એ ક્યાંય મળતું નથી. ભોમિયા બનનારા એ જેવા તેવા નરપુંગવો નથી. એ તો મા પાર્વતીના દ્વારપાલો છે. એ જ ભગવાન શંકરના સાચા ગણો છે... તમારી રણપંખણી આપવાની છે, હું કહું છું. આપણે એ એમને આપીએ, તો સુલતાનની ત્રીસે હજાર સાંઢણી ફીંફાં ખાંડે. અને કદાચ.... અને કદાચ.... ભગવાન સાથે ાપે તો એ ભાગી છૂટે ! કામ કરીને પાછા આવી જાય ! આ માગણી છે રા’ !’

રા’ નવઘણ, આ એકલ લડાતા જુદ્ધની કલ્પના માત્રથી ઊંચો નીચે થઈ ગયો હતો. નરપુંગવોની સમર્પણકથાના રંગે એ રંગાઈ ગયો હતો. તેનો હાથ તલવાર ઉપર જ ગયો. તે અરધોપરધો બેઠા જેવો થઈ ગયો. તે ગોઠણભેર થઈ ગયો. ‘મહેતા ! આ તો ભગવાન શંકરના ગણ શું... વીરભદ્રો પોતે જ આવ્યા છે એમ કહો ને ! એમને રણપંખણી શું, એમને તો મારી રાણકી આપું, તો પણ ઓછું. પણ એ બત્રીસા છે, કોણ ?’

‘તમારા જ છે નવઘણજી ! ધ્રુબાંગજી ને ધિજ્જટજી ! તમારા જ છે ! બીજા કોઈ નથી.’

‘હેં !’ રા’ નામ સાંભળતાં છક્ક થઈ ગયો. એ તૈયાર થયા છે ? આ ઉમ્મરે ? શું કહો છો ?’

‘હા, નવઘણજી ! તમારા એ બે પ્રતાપી માણસોએ, છેવટનો રંગ રાખી દીધો છે. એ તૈયાર થયા છે. અને સાથે પેલા એક પંડિતજી છે.’

‘પંડિતજી ? એ કોણ ?’

‘પંડિતજી ધૂર્જટિજી !’

‘અરે ! એ દૂધિયો બાળક ? શું કહો છો ? ત્યારે તો આ બધી વાતું, સોમનાથ ભગવાનની પોતાની મોકલેલી છે. તે વિના આમ થાય નહિ. મારો ગજ વાગે નહિ, ને વાત કળાઈ જાય, નકર મનમાં તો થાય છે કે હું પણ ભેગો ધોડ્યો જાઉં ! આ તો ભગવાનની મોકલેલી વાત છે !’

‘મને પણ એમ જ લાગે છે.’ દામોદર બોલ્યો : ‘એટલે તો મેં તમને કહ્યું. પણ તમે ભેગા જાવ તો પછી સુલતાનના સેનમાં ખાબકે કોણ ? એટલે એવી વાત મનમાં લાવવાની હોય નહિ. તમે ક્યાં થોડું કર્યું છે ? તમે ઘોડો આપીને ભગવાનને ચરણે કિલ્લો મૂકીદીધો. સાંઢણી રામકી આપીને, રાજ આપી દીધું !’

‘અને હજી આપવાનું બાકી છે. રણપંખણી ઉપર હું પોતે પણ ત્યાં હોઈશ - પ્રભુ ! રા’ બોલ્યો. ભગવાન સોમનાથી ભક્તિની તલ્લીનતા એને દોરી રહી હતી. એના મોં પર તેજ આવી ગયું : ‘મારે તો ત્યાં દેહ આપવાનો છે, આટલું આપ્યે શું વળે ?’

રા’ મારા !’ દામોદર પ્રીતિથી બોલ્યો : ‘નવઘણજી ! તમારે અને મહારાજે તો હજારોનાં સેન દોરીને હમ્મીર સામે જવાનું છે. અત્યારે તો ઠીક, ગર્જનકને દાબતા પાછળ રહેશો, પણ મેં જે કહ્યું એ સ્વપ્નું નથી, નવઘણજી ! હું તો એ અત્યારે જ જોઈ રહ્યો છું. આપણી વાત મેળેમેળ ઊતરતી આવે છે. તેનો અર્થ જ એ છે. હવે ચાલો મહારાજની વિદાય લેવી હોય તો...’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED