Kavinu Mrutyu Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kavinu Mrutyu

કવિનું મૃત્યુ

હસમુખ પાઠકનાં કાવ્યનો આસ્વાદ

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

કવિનું મૃત્યુ- હસમુખ પાઠકનાં કાવ્યનો આસ્વાદ

ચોકની વચ્ચે પડેલા

એક ઉંદરના મરેલા

દેહ પર તીણા ઉઝરડા ન્હોરના

થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના

જોઉં છું હું, જોઉં છું હું,

જોઉં છું - જોતો નથી.

મારી નજર તો સાવ ખાલી,

આંખ જાણે કાચનો કટકો,

અને હું કાળજે કંપું નહીં

ને આ હ્ય્દયમાં કયાંય ના ખટકો!

હવે તો બસ કરૂં,

જંપું અહીં.

-હસમુખ પાઠક - ૧૯૫૨. ’નમેલી સાંજ’ અને ’સાયુજ્ય’.

’ચોકની વચ્ચે’-છડેચોક, ભરબજારની, જબરી અવરજવરની વચ્ચે પડેલા, ’એક ઉંદરના’-સાવ ઉંદર જેવી કિંમત, સાવ ઉંદર જેવું તુચ્છ જીવન, અથવા આખી સૃષ્ટિના મરેલા દેહ પર ’તીણા ઉઝરડા ન્હોરના’-અનેક યાતનાઓ, પીડાઓ, આફતોનાં અતિશય તીણા ન્હોરના ઉઝરડાં ’થીજી રહ્યાં છે.’ વાત ’ઠંડા પ્હોર’ની છે પણ ’ઠંડા પ્હોર’નું ગપ્પું નથી. અહેસાસ છે, તીવ્ર સંવેદન છે અને એટલે તો ચાર-ચાર વિગતો, ચાર-ચાર પંક્તિમાં રજૂ થયા છતાં ક્યાંય અલ્પવિરામ નથી. સીધું ચાર પંક્તિ એક શ્વાસે રજૂ થયા પછી પૂર્ણવિરામ છે.

આ એક અરેરાટીપૂર્ણ, વિષાદઘેરો, વ્યથાપ્રેરક, પીડાકારી અનુભવ. એ અનુભવ ’ચોકની વચ્ચે’ હોવાથી સૌની જેમ ’કવિ’ પણ કરે છે. ’ચોક’ ’ઉંદર’ ’ન્હોર’ ’તીણા ઉઝરડા’ એ ચારે પ્રતીકો હોવાથી અનેક અર્થની ક્ષિતિજો ખોલી આપે છે-જેવું જેનું અર્થઘટન બધાં તો ઠીક પણ કવિય તેને વારંવાર જુએ છે, ’હું’ તરીકે બે વાર તો જુએ છે પણ ત્રીજી વખત જોતાં જ ’હું’ ચાલ્યો જાય છે, ઓગળી જાય છે, ગુરૂ વિરામમાં ખોવાઈ જાય છે એ ખોવાઈ જતાં જ અહેસાસ થાય છે કે ’જોતો નથી,’ કોઈ જોતું નથી, કોઈ અનુભવતું નથી, કોઈ સંવેદતું નથી આવી તીવ્ર સંવેદનાને અને એમાં પોતે ય ’કવિ’ છતાં સામેલ છે? કવિને એ સમજાય છે કે એ જુએ છે છતાં જોતો નથી-આ જીવનની ભાગદોડમાં આ જીવનની આધિ-વ્યાધિ-ઉપાધિએ એને સંવેદનહીન કરી નાખ્યો છે.

’જ્યાં જ્યાં નજર મારી ઠરે(ફરે) યાદી ભરી ત્યાં આપની’ અથવા ’નજર ભરી નિરખો હરિ’ એવી નજર-કવિની નજર ’સાવ ખાલી!’ આ બીજા ષટકમાં(છ પંક્તિના વિભાગમાં) સંવેદનની તીવ્રતા ટોચે પહોંચે છે. આંખ તો કાચ જેવી જડ બની ગઈ છે. ત્યાં માત્ર દ્રશ્યનું પ્રતિબિંબ પડે છે, દ્રશ્ય દેખાતું નથી. કવિથી નિઃસાસો નખાઈ જાય છે કે ’આવું કરૂણ, વ્યથાપૂર્ણ દ્રશ્ય, આવો જગાડી દેનારો અનુભવ છતાં ’હું કાળજે કંપું નહીં.’ ’આ હ્ય્દયમાં ક્યાંય ના ખટકો’ એનો જ મોટો ખટકો કવિને લાગ્યો છે એ આ શબ્દોમાં સંભળાય છે, સમજાય છે, અનુભવાય છે. માટે તો છેલ્લી બે પંક્તિઓ આવી ગઈ છે. દાંત કચકચાવીને, દાંત પીસીને કવિથી બોલી જવાય છે, "હવે તો બસ કરૂં," અને એટલું કહ્યા પછીય રહી શકાતું નથી, સહન થઈ શકતું નથી એવી અસહ્ય અનુભૂતિને શબ્દોમાં વર્ણવવા કરતાં ’જંપુ અહીં’ કહી અટકી જાય છે.

કવિ ’અટકી જાય છે’ પણ ભાવક અટકી શકતો નથી કારણ કે જીવનની નકરી વાસ્તવિકતાનું એક તીવ્ર સંવેદન આટલી(બાર) પંક્તિઓએ તેનામાં ઝંકૃત કરી દીધું છે. કવિએ તો ’સમસંવેદન’ જગાડવાનું તેનું કામ પૂરૂં કર્યું પણ ભાવકના ચિત્તમાં એ તીવ્ર સંવેદન કયાંય સુધી પડઘાયા કરે છે. ભાવકની ભીતર રહેલો કવિ જન્મી ચૂક્યો છે અને સંવેદનનું એક સંપૂર્ણ વર્તુળ પુરૂં થાય છે. ’કવિનો જન્મ’ એવું શીર્ષક કાવ્યને અને ભાવકના ચિત્તમાં પડઘાય છે. ’ધ્રૂવો જન્મ મૃતસ્યચ’.