મારુ જીવન પરિવાર ને સમર્પિત
સુરેન્દ્રનગર જિલ્લા ના છેવાળે આવેલા એક નાનકળા ગામ વણોદ માં આલમાબેન ૧૯૬૦ ના પહેલી જૂન એ એક દીકરા ને જન્મ આપ્યો. આલમાબેન અને અલ્લુભાઈ ને બે જ દીકરીઓ હતી. પહેલા દીકરા ના જન્મ થી અલમાબેન અને અલ્લુભાઈ ખુબ જ ખુશ હતા. ઘર માં ખુશી નો માહોલ હતો. દીકરા નું નામકરણ કરાયું. અનવર નામ સાથે આવેલા એ નવજાત શિશુ નું જીવન આગળ વધ્યું. અનવર નો ચહેરો ખુબ જ આકર્ષિત અને ગોરી ત્વચા સાથે ખુબ સુંદર દેખાવ ધરાવતો હતો. અલ્લુભાઈ વ્યવસાયે ખેડૂત હતા. અને એમના પિતાજી જાફરભાઈ પણ ખુબ જ લાગણીશીલ અને સમાજ ના સારા આગેવાન હતા. જાફરભાઈ તો ખેતી ની વાર્ષિક આવક આવતી અને એમને ખબર પડે કે કોઈ નો ગામમાં દીકરો કે દીકરી નું કાજ કરવાનું છે તો એ કહ્યા વગર એને ઘરે જઈ એકાંત માં મૂડી આપી આવતા. કદાચ જાફરભાઈ ના એ દાનવીર સ્વભાવ ને દુવાઓ થી જ આજે એમના વંસજો આગળ આવ્યા છે.
અનવર ધીરેધીરે મોટો થતો ગયો. આલમાબેન ઢોર ની રખવાળી કરતા એટલે ઘરે બે ગાય પણ હતી. એ રોજ સવારે શિરામણ માં અનવર ને બાજરા ના રોટલા પર માખણ લગાવી ને આપતા સાથે ગાય નું ચોખ્ખું ઘી. અનવર ને આ શુદ્ધ અને તાકાતવર ખોરાક ના કારણે એના શરીર નો બાંધો પણ મજબૂત બની રહ્યો હતો. અનવર શાળા એ જતો પણ ભણવામાં મન માનતું નહિ. શાળા એ થી નીકળી એ વણોદ ગામના પાદરે એક બગીચો આવેલો હતો. જ્યાં ઘણા આંબલી ના ઝાડ હતા. અનવર ત્યાં જઈ ને બેસતો કે આરામ કરતો.
અલ્લુભાઈ પાસે ૪૫ વિધા જમીન હતી. પણ મોટી બે દીકરીઓ ના લગ્ન અને બીજા ઘરના ખર્ચાઓ માં એ ગિરવી મુકવી પડી હતી. અનવર હવે થોડો મોટો થઇ ગયો હતો. મોટી બહેન ને સાસરે વડાવ્યા બાદ ઘરમાં ખુબ જ કપરી પરિસ્થિતિ હતી. કરકસર પૂર્વક નું જીવન અને અનવર ના જન્મ બાદ એના બીજા ત્રણ ભાઈ ને એક બહેન નો જન્મ એટલે કુલ સાત સંતાનો, અલ્લુભાઈ અને આલમાબેન સાથે નો નવ જાણ ના પરિવાર માં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું.
અનવર હવે પિતાની ખેતી માં મદદ કરવા લાગ્યો. ધોરણ ૮ ના અભ્યાસ બાદ એને ભણવાનું છોડી ખેતી કરવાનો વિચાર કર્યો. પોતાના પિતાની ગિરવી પડેલી જમીન એમના ફુઆ પાસે અને બીજા સગાવહાલાં પાસે હતી. અનવર એ ખેતર નો પાક જયારે એમના ફુઆ ને ત્યાં ગાડા માં મુકવા જતો ત્યારે એની આંખમાં ઝળઝળિયાં આવી જતા. એ વિચાર તો કે આખું વર્ષ ખેતર ખેડવા થી માંડી ને પાક ની લણણી સુધી ઢોર ની જેમ જાત તોડી અંતે મામુલી રકમ માટે કોઈ ને બધું ધન આપી દેવું એ તો કેવી વાત. ધીરે ધીરે એને ત્રણ બળદ નું સંતારડું કર્યું. એ સમય એ જીરા ની ખેતી માં વધુ પૈસા મળતા. એટલે બીજા ની જમીન ભાગવી રાખી ને એમાં થી પૈસા કમાઈ પોતાની જમીન છોડાવી.
અલ્લુભાઈ હવે ખેતી માં પૂરતું ધ્યાન ન આપતા હોવાથી અનવર પર જ બધી જવાબદારી આવી ગયી હતી. એક દિવસ બંને જમવા બેઠા હતા અને અલ્લુભાઈ એ અનવર ને કોઈ વાત માટે થઇ ને છણકો કર્યો. અનવર પોતાની પરિસ્થિતિ અને પરિવાર ના આ માહોલ અને શિક્ષણ ના થોડા અભાવ ને કારણે થોડો ઉગ્ર સ્વભાવ નો બની ગયો હતો. આટલી મેહનત કરવા છતાં એને છણકો સાંભળવા મળ્યો એ એના થી સહન ન થયું ને એ એજ સમય એ ઘર છોડી ને ચાલ્યો ગયો.
અનવર પાસે એ સમય એ ખિસ્સા માં માત્ર ૨૦ રૂપિયા હતા. પહેરેલ કપડે એ નજીક ના ગામ હારીજ પહોંચ્યો. ત્યાં એમના જ ગામના હરદનભાઈ ગઢવી ને ત્યાં રોકાયો. હરદનભાઈ ને અનવર એ ગાડી શીખવાડવા આજીજી કરી પણ હરદનભાઈ ભાઈ એની પાસે ખેતર માં મરચા , ટામેટી જ વીણાવતાં. અને અનવર પૂછે તો કેહતા કે કોઈ આવશે તો એની બદલી માં મોકલી આપશે. અનવર ને થોડા દિવસ પછી અનુભવાયું કે અહીં ગાડી શીખવા નહિ મળે એટલે એ ત્યાંથી ટ્રેન માં અમદાવાદ પહોંચ્યો. કાલુપુર રેલ્વે સ્ટેશન એ પહોંચી અમદાવાદ ની એ.એમ.ટી. એસ. માં અમદાવાદ માં રેહતા પોતાના મામા પાસે જય રહ્યો હતો. ત્યાં બસ માં ટિકિટ ન હોવાથી ચેકિંગ વાળાઓ એ એને પકડી ને ગાડી માં બેસાડ્યો. અનવર પાસે એ સમય માત્ર ૧૦ રૂપિયા હતા. જો એ દંડ રૂપે આપી ને છૂટી જાય તો આગળ કેમ ચાલશે એમ વિચારી એ ચેકિંગ વાળા સાથે ગાડી માં જ ગયો. ત્યાં એક સિનેમા નો શો છૂટ્યો અનવર ત્યાંથી એ ટોળાં માં ખોવાઈ ગયો. અને ચેકીંગ વાળા ગયા પછી એ એક ગાડી વાળા પટેલ ને મળવા ગયો.
પટેલ એ તેને નાઈટ માં ચાલતી ગાડી માં મોકલ્યો. ડ્રાઈવર દારૂ નું સેવન કરતો હતો. અનવર કન્ડક્ટર તરીકે બાજુમાં ગાડી માં હતો. એને એ બધું કામ ઇલીગલ લાગ્યું. પણ ઘર છોડ્યા પછી કમાવાનો રસ્તો બીજો કોઈ હતો નહિ. અને ભણવાનું તો પહેલે થી જ છોડી દીધું હતું. એક દિવસ એને ગાડી માં જૂનાગઢ મોકલવામાં આવ્યો. અનવર ત્યાં જમીયલ શા દાતાર ના દર્શન કરી ગાડી માં સૂતો. રાત્રે એને એક સ્વપ્ન આવ્યું એમાં જમીયલ શા દાતાર એ એને કહ્યું. " યહાં સે ચલા જા બેટે. ગાવ જા કે ખેતી કર ઉસી મેં તેરી રોઝી કા જરીયા હૈ."
અનવર સવાર થતા જ જૂનાગઢ થી અમદાવાદ આવ્યો. પટેલ પાસે થી પગાર લઈને એ ઘરે રવાના થયો. ઘરે પહોંચી પિતા સાથે ફરી જેમ રેહતા હતા એમ રેહવા લાગ્યો ને ખેતી માં જોડાયો. વર્ષો વીતતા ગયા. અનવર અને એની બીજી બહેન ના લગ્ન નો સમય આવ્યો. પૈસા ની તંગી ને કારણે એક સો રૂપિયા ના સૂટ માં અનવર ના લગ્ન થયા. પરણીને ઘરે આવી અનવર પાછો પોતાની ખેતી માં વ્યસ્ત થયો.
ધીરે ધીરે ખેતી માંથી બધી ગિરવી જમીન છોડાવી અને બીજા બે ભાઈ બેન ના લગ્ન કરાવ્યા. પણ કેહવાય છે ને કુદરત ચાહે એની પરીક્ષા લે એવું જ કંઇક અનવર ના જીવનમાં બન્યું. સતત બે વર્ષ દુષ્કાળ પડ્યો. બળદ માટે ખાવા ધન ન હતું. ના ખેત માં ટ્યુબવેલ કે જેથી કોઈ પાક કરી સકાય. બળદ, ગાય, ભેંસ ને સરકારી કેમ્પ માં રોજ ચારો ખાવા મોકલી આપતા. અનવર એ હવે વિચાર કર્યો કે જો આ દુષ્કાળ નો સામનો નઈ કરીયે તો ફરી થી જમીન ગિરવી મુકવી પડશે.
અનવર એ ગામના એ સમય ના કડિયા ઉંમરભાઈ ભૂતાભાઈ પાસે વરસળીયું નામના ખેતર માં એક ૨૦ ફુટ ઊંડો કૂવો બનાવડાવ્યો. અને એમાં પાઇપ ઉતારી રાજકોટિયા પાણીના પંપ દ્વારા પાણી ઉત્પન્ન કર્યું. વરસળીયું ૨૦ વિધા નું ખેતર હોવાથી એમાં સાહસ કરવું અનવર ને યોગ્ય લાગ્યું. હવે રાત દિવસ એક કરી અનવર એ એ દુષ્કાળ ના દિવસો માં પણ પોતાના પરિવાર ની જરૂરિયાતો ને જાળવી રાખી. ક્યારેકે તો ૧૫-૨૦ દિવસે એકવાર ઘરે આવતો. બાકી નો સમય ખેતર માં જ વિતવતો.
અનવર પરિવાર ની આ જવાબદારીઓ માં પોતાના પરિવાર ને જ સમય ન આપી સકતો. એના લગ્ન પછી પત્ની માટે પણ એટલો સમય એ ન ફાળવી સકતો. જો એ બીજા લોકો ની જેમ પત્ની કે પરિવાર ને સમય આપે તો કદાચ એના પરિવાર ની જરૂરિયાત પુરી ન થાય. લગ્ન ને આમ જ દસ વર્ષ થયા પણ એને સંતાન સુખ ન મળ્યું. અનવર ને પણ મનમાં ક્યારેક અનુભવાતું કે લોકો શું કહેશે. પણ એની પાસે પરિવાર ની જરૂરિયાતો પુરી કરવા માટે કોઈ ચારો ન હતો. એને લોકો એ ઘણા મંતવ્યો આપ્યા કે તું બીજા લગ્ન કરી લે , તને આ સ્ત્રી સંતાન નઈ આપી શકે. પણ અનવર પોતાની જાત, એની પત્ની અને પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ હતો. અનવર એ કોઈ ની વાત ન માની.
અગિયાર વર્ષ પછી અનવર ની પત્ની એ એક દીકરા ને જન્મ આપ્યો. અનવર એ દિવસો માં પણ પોતાના કુટુંબ ની જરૂરિયાત માટે ખેતી માં જ વ્યસ્ત હતો. અનવર ને ખુશી મળી પણ એના બાળક ને જોવા માટે એ જય સકે એમ ન હતો. અંતે એક અઠવાડિયા પછી એના થી પુત્ર ને જોવાની ઈચ્છા ને એ દબાવી ન સક્યો ને એ અમદાવાદ પોતાના પુત્ર ને જોવા આવી ગયો. પુત્ર ને પોતાના હાથો માં લઇ એના પિતા તરીકે નું સવરૂપ પ્રગટ થયું. ખુશી ની લહેર એના ચહેરા પર દોડી ગઈ. એની આંખો ના ખૂણા ક્યાંક ભીના થઇ ગયા. પણ પોતાની જાત ને એ ક્યારેય ઢીલી પડવા ન દેતો.
દિવસો પસાર થતા ગયા હવે ચાર ભાઈ હતા પણ ઘર માં બે જ ઓરડા હતા. એટલે અનવર એ ભાઈઓ નો વિચાર કરી એક નવું ટ્રેક્ટર લીધું ને ખેતી મોટી કરી. પોતાના ઘર ની બાજુમાં એક પ્લોટ રાખ્યો ત્યાં ઘર બનાવવાનું વિચાર્યું. પોતાના બીજા નંબર ના ભાઈ માટે એક બીજા એરિયા માં ઘર બનાવડાવ્યું. નાના ભાઈ ના લગ્ન બાદ એક ઘનશ્યામ ઠક્કર નો ડેલો રાખ્યો. આ બધા જ પૈસા ખેતી માંથી એને કમાવ્યા.
ગામમાં વિજલીમથક ના નિર્માણ ની વાત સાંભળી એને પોતાનું ટ્રેક્ટર ત્યાં લગાવ્યું. દિવસે ખેતી અને રાત્રે રેતી ના ફેરા કરી એને એ રાખેલઈ ડેલા વળી જમીન માં ૨ ઓરડા વાળા ઘર બનાવ્યા. પણ હજી પરિવાર સાથે જ રેહતા હતા. બીજા નંબર ના ભાઈ ની દીકરો અનવર ના દીકરા થી ખુબ મોટી હતી. એમના લગ્ન દરમિયાન બધા એ ભૈયો ભાગ પાડવાની વાત કરી.
અનવર એ આટલા વર્ષો માં જાત ઘસી નાખી પણ ક્યારેય ભાઈઓ પાસે થી કઈ ન માંગ્યું અને ભૈયો ભાગ માં પણ જે ચોથે ભાગે આવ્યું એ જ સ્વીકાર્યું. અનવર એ એક વિધા જમીન પણ વધુ ન લીધી કે એક ઘરનો ઓરડો પણ.
અનવર જ્યાં સુધી પોતાની જાત ઘસી ત્યાં સુધી એના પરિવાર નો ખર્ચ ખુબ જ ઓછો હતો. એનું એક જ બાળક અને એની પત્ની. પણ અલગ થયા બાદ એના દીકરા ને વધુ ભણાવવા એ ખુબ કહેતો. એ એના દીકરા ને સમજાવતો કે
"જો બેટા મેં જે કાળા પાણી ની મેહનત કરી છે એ તું નઈ કરી શકે. બસ હું તને ભણાવી સકિશ બાકી મારી પાસે એવું કઈ નથી કે જેથી હું તારું ભવિષ્ય પણ સુરક્ષિત કરી સકુ. બસ તું ભણી ને આગળ આવ તો મને શાંતિ.."
દીકરા ના વધુ અભ્યાસ માટે એને પહેલા હિંમતનગર અને પછી અમદાવાદ મોકલ્યો. દીકરો જે વસ્તુ માંગે એ અનવર એના માટે હાજર કરી દેતો. અનવર પાસે હવે ટ્રેક્ટર હોવાથી સમય બચતો એટલે એને અલ્લાહ ની રાહ માં એ સમય ને પસાર કરવાનું વિચાર્યું. એ દિવસ માં જેટલો સમય મળતો નમાજ પઢવા મસ્જિદ એ જતો. અલ્લાહ ને દુઆ કરતો કે એનું બાળક ભણી ને આગળ આવે. એ મસ્જિદ માં એક વહીવટ કરતા તરીકે કામ કરવા લાગ્યો. ક્યારેક મસ્જિદ માં સાફ સફાઈ કરી લેતો. અનવર ના કઠોર પરિશ્રમ અને અલ્લાહ ની દુવા થી એનો છોકરો ભણી ને એન્જિનિઅર બની ગયો. ક્યારેક ભણવા માટે વ્યાજવા રૂપિયા તો ક્યારેક કોઈ સગાંવહાલાં જોડે ઉછીના લઇ ને એને દીકરા ની કોલેજ ની ફી, હોસ્ટેલ ના ખર્ચ ઉપડ્યા. પણ દીકરા ને ક્યારેય એમ ન કહ્યું કે તું આટલા ખર્ચ કેમ કરે છે. દીકરો માંગે એટલા પૈસા એ દીકરા ને મોકલાવી આપતો.
દીકરા ના એન્જિનિઅર બન્યા પછી હવે એને દીકરા ના ખર્ચ ની તો ચિંતા ઓછી થઇ પણ હાજી ઘર ચલાવવા અને દીકરા ના લગ્ન માટે એની મેહનત ચાલુ જ રહી ૫૬ વર્ષ ની ઉંમર માં પણ ખેતી ચાલુ જ રાખી. દીકરા એ એક દિવસ એને કહ્યું કે
"પપ્પા મારે અમદાવાદ જ સેટલ થવું છે, મારે તમને અને મમ્મી મેં પણ સાથે જ લઇ જાવા છે."
અનવર એ પહેલા તો ખુબ આનાકાનિ કરી કેમ કે એ જાણતો તો કે ખેતી જ એનો મુખ્ય વ્યવસાય છે. પરિવાર નું ગુજરાન આમાં જ ચાલે છે. પણ પત્ની અને દીકરા ની જીદ સામે એને એ વાત માં પણ ઢીલું મુક્યું ને દીકરા ની ખુશી માં જ પોતાની ખુશી માની ને હા પાડી.
દિકરા ના સગપણ થયા ને એને ફરીવાર દીકરા ને સમજાવતા કહ્યું
"બેટા હું ત્યાં શું કરીશ. મને અને તારા મમ્મી ને અહીં જ રેહવા દેને હવે તો તારી પત્ની આવી જશે તો હું અહીં ખેતી કરીશ."
પણ દીકરા એ જીદ કરી ને ત્યાં સાથે રેહવા જ કહ્યું ને ખેતી કાકા ને સોંપી દેવા કહ્યું. પોતાના બાળપણ થી લઈને ૫૬ વર્ષ ની ઉંમર જ્યાં વિતાવી એ ઘરબાર બધું છોડી ને જવું કેટલું અઘરું હોય છે એ કદાચ શબ્દો માં કહી સ્કાય નહીં. પણ એ પોતાની બધી જ જૂની યાદો નો પોટલી બાંધી પોતાની મહેનત થી બનાવેલ એ ઘરબાર મૂકી ને એ દીકરા સાથે અમદાવાદ આવ્યા. અમદાવાદ માં ઘર લેવું ખુબ જ મુશ્કેલ હતું. અનવર એ પોતાના જીવન માં જે પણ કમાવ્યું હતું એ પરિવાર ની જરૂરિયાતો માં અને ભાઈ બહેન ના લગ્ન માં તો પછી દીકરા ના અભ્યાસ માં જ ખર્ચાઈ ગયું હતું. એટલે દીકરા ને ભાડે ઘર માં ના રેહવું પડે ને એના પર વધુ બોજ ન આવે એમ વિચારી એને વર્ષો થી સાચવેલી જમીન જેની સાથે એના હૃદય ના સંબંધ હતા એવા એ કલેજા ના ટુકડા રૂપી જમીન ને વેચી ને અમદાવાદ માં ઘર લીધું અને દીકરા ના ધામધૂમ થી લગ્ન કરાવ્યા.
અમદાવાદ માં આવ્યા પછી પણ એને દીકરા ને વધુ જવાબદારી ન આવી જય એટલે એક ચોકીદાર તરીકે નોકરી સ્વીકારી. દીકરા ના સમજવા છતાં એ નોકરી કરવા લાગ્યા.
"બેટા જો બેસવાનું જ છે. કઈ કરવાનું નથી આમાં,ખેતી કરતા સારું છે આ , આરામ વાળી નોકરી છે. અને ઘરે પણ આખો દિવસ કેમ કાઢું એટલે આ સારું રે મારા માટે.."
આજે પણ અનવર પોતાના ૫૭ વર્ષ ની ઉંમર એ દીકરા માટે કમાય છે. એને ટેન્શન ન આવે અને એ ખુશ રહી સકે એટલા પ્રયત્નો કરે છે.
દરેક દીકરા ને અનવરભાઈ જેવા પિતા. દરેક માતા-પિતા ને અનવર જેવો દીકરો, દરેક પત્ની ને અનવર જેવો પતિ મળે. જે હંમેશા પોતાની જાત ને પરિવાર માટે સમર્પિત કરી દે. પોતાના દરેક શોખ ને મારી એને દરેક જવાબદારી સ્વીકારી. પોતાના સંતાન ને ક્યારેય પોતે બોજ ન બન્યા. ક્યારેય પોતાના માતા પિતાને પોતાના ખર્ચ માટે ન કહ્યું આવા સજ્જન અને મહેનતુ દીકરા , પિતા અને પતિ ની સમાજ ને હંમેશા જરૂર રહેશે..
અનવર એ બોલી ને નહિ પણ કરી ને બતાવ્યું કે...
"મારુ જીવન પરિવાર ને સમર્પિત!"
-- અસ્તુ
આપનો પ્રિય
ઈરફાન જુણેજા