લોકોના મન જીતવાની કળા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકોના મન જીતવાની કળા

પુસ્તક: લોકોના મન જીતવાની કળા ડૉ. જિતેન્દ્ર અઢિયા
પરિચય: રાકેશ ઠક્કર 

        ડૉ. જિતેન્દ્ર અઢિયાનું મોટીવેશનમાં મોટું નામ છે. એમના કાર્યક્રમ અને પુસ્તકો પ્રેરણાદાયી રહે છે. એમના આ પુસ્તકના પરિચયમાં લખ્યું છે કે,‘તેઓએ માઇન્ડ પાવર ઉપરાંત મેમરી, રિલેશનસિપ, એન.એલ.પી, મોટીવેશન, લીડરશિપ, ડિપ્રેશન જેવા બીજા અસંખ્ય વિષયોમાં પણ પ્રોગ્રામો અને પુસ્તકો સમાજને આપ્યા છે. તેઓએ ઘણાં બધાં પુસ્તકો સમાજને અર્પણ કર્યા છે અને જેમાંથી મોટા ભાગનાં પુસ્તકો બેસ્ટ સૅલરની યાદીમાં સ્થાન પામ્યા છે. જેમાં “પ્રેરણાનું ઝરણું” પુસ્તક ૨૦૦૦ની સાલથી ટોપ સૅલિંગ ચાર્ટ્માં રહ્યું છે. જે સાત ભાષામાં ઉપલબ્ધ છે.

        આ પુસ્તકમાં ૧૭ લેખોને સમાવવામાં આવ્યા છે. એમાંના કેટલાક શીર્ષક આ મુજબ છે.

૧. આવું ન કરનારાઓ દુશ્મનોની સંખ્યા વધારે છે

૨. અઘરા માણસો પાસેથી આ રીતે કામ લો

૩. આમ કરવાથી લોકોનો સહકાર મળશે

૪. મુર્ખ લોકો જે કરે છે, તે આપણે નથી કરવાનું

        શ્રી રાજીવ ભલાણી પુસ્તકનાં લેખકનો પરિચય આપતાં ‘અદભૂત કળા’ માં લખે છે કે,‘કોઈ પણ માણસ પોતાના વિષયમાં કેટલો નિષ્ણાત છે એના કરતા અનેકગણી મહત્ત્વની બાબત એ છે કે એણે પોતાના વ્યક્તિત્વને કેવો આકાર આપ્યો છે ? લોકો સાથે કામ પાર પાડવામાં એણે કુશળતા મેળવી છે કે કેમ ? શું એ લોકોનો સહકાર મેળવી શકે છે ? શું એને લોકોનાં મન જીતતા આવડે છે ? જો તમે પણ તમારી જિંદગીને નવો જ આકાર આપવા ઇચ્છતા હો, જિંદગીને વધુ આનંદદાયી અને ઉપજાઉ બનાવવા ઇચ્છતા હો, તો ડૉ. અઢિયાનું આ પુસ્તક આપને ખૂબ જ ઉપયોગી થશે. રોજ ઉપયોગી થશે.’ 

        લેખકે ‘આ પુસ્તક શા માટે?’ એ સમજાવ્યું છે. એમનું કહેવું છે કે લોકોનું મન જીતવાની આ કળા શીખવી અનિવાર્ય છે. એમણે વિસ્તારથી સમજાવતા લખ્યું છે કે,‘આ પુસ્તકમાં જણાવેલ નિયમો તમને લોકોનાં મન જીતવામાં ખૂબ ઉપયોગી નિવડશે કારણ કે એ અનેક લોકોએ વર્ષોથી કરેલ કસોટીમાંથી પાર ઉતરેલાં છે. લોકોનું આપણી સાથેનું વર્તન એમના મનની દોરવણી મુજબ થતું હોય છે. માટે જ્યાં લોકો સાથે કામ પાર પાડવાની વાત હોય, લોકોનો સહકાર મેળવવાની વાત હોય ત્યારે એમનાં ‘મન’ને જીતવા જ રહ્યાં. જગતને જીતવા ફાંફા મારવાની જરૂર નથી. જગત લોકોનું જ બનેલું છે. લોકોનાં મન જીતી શકાય તો સમજો કે જગ જીત્યા.

        જો સામાજિક જીવન સુંદર બનાવવું હોય તો પરિવાર, સગાસંબંધીઓ, મિત્રો વગેરેનો પ્રેમ, હૂંફ અને આદર મેળવવા પડે. પણ લોકોનો પ્રેમ, હૂંફ અને આદર તો જ મળી શકે જો આપણે એમનું મન જીતી શક્યા હોઈએ. માટે લોકોનાં મન જીતવાની કળા શીખવી અનિવાર્ય છે.’

        પહેલું પ્રકરણ ‘આવું ન કરનારાઓ દુશ્મનોની સંખ્યા વધારે છે’ માં ડૉ. જિતેન્દ્ર અઢિયા નિયમ : ૧ સમજાવતા પોતાના સેમીનારના અનુભવો રજૂ કરે છે. અને એક જગ્યાએ લખે છે,‘કોઈ માણસ અથવા એની વાતની ખરાઈ-ખોટાઈ નક્કી કરી નાખવી તે સાવ સહેલું કામ છે. પણ પૂર્વગ્રહથી મુક્ત રહીને એની વાત કે વ્યવહારને સમજવો એ વિરલાઓનું કામ છે. છેક મૃત્યુ સુધી ઈશ્વર આપણને કહેતો નથી કે આપણે સાચા છીએ કે ખોટા ?! શું આપણે ભગવાન કરતા પણ વધુ શાણા છીએ કે લોકોને ખોટા પાડતા ફરીએ ? જ્યારે તમે કોઈ વ્યક્તિની વાતને અથવા એની માન્યતાને ખોટી કહો છો ત્યારે એને એવું લાગે છે કે તમે એને ખોટા કહી રહ્યા છો. વાતને એ વ્યક્તિગત રીતે લે છે, અને દુનિયાની કોઈ વ્યક્તિ ‘પોતાને’ ખોટી નથી માનતી, માટે પછી એ પોતાને સાચો ઠેરવવા દલીલ કરે છે, ઉગ્ર બને છે અને વધુ ખોટું બોલે છે. એની માન્યતા એને મુબારક, પણ એને ખોટો ન કહો.’ 

        ડૉ. જિતેન્દ્ર અઢિયા મનનાં મોતી, મનની પ્રાર્થના વગેરે પુસ્તકો આપી ચૂક્યા છે. અગાધ મન વિષે એમણે ઊંડું ચિંતન કર્યું છે. ‘જે વ્યક્તિ આ કળા જાણે છે, તે જગત પર રાજ કરે છે’ એમ કહેતું અને લોકોના મન જીતવાની કળા જણાવતું આ પુસ્તક રુદ્ર પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.