Sapnana Vavetar - 30 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 30

સપનાનાં વાવેતર પ્રકરણ 30

અનિકેત ગુરુજીની આજ્ઞા પ્રમાણે ઋષિકેશ આવ્યો હતો. રસ્તામાં એની બેગ ચોરાઈ ગઈ હતી છતાં હિમાલય વાળા સન્યાસી મહાત્માએ અનિકેતની તમામ જરૂરિયાતો યાત્રા દરમિયાન પૂરી પાડી હતી.

અનિકેતને ટ્રેઈનમાં કિરપાલસિંગ સરદારનો ભેટો થઈ ગયો હતો અને એણે ઋષિકેશના રોકાણની તમામ જવાબદારી લઈ લીધી હતી. સરદારજીની પોતાની જ હોટલ શિવ ઈન માં એ ઉતર્યો હતો.

અનિકેતે સૌથી પહેલું કામ નહાવાનું કર્યું. સાબુ અને ટુવાલ મુકેલા જ હતા એટલે એણે માથું ચોળીને બરાબર સ્નાન કર્યું. ગંજી ચડ્ડી તો બેગમાં ચોરાઈ ગયા હતા એટલે એણે એની એ જ ગંજી અને ચડ્ડી પહેરી લીધાં. કપડાં પણ એ જ પહેરી લીધાં. નહાયા પછી એ ઘણો ફ્રેશ થઈ ગયો.

એ પછી થોડી વારમાં જ રિસેપ્શનિસ્ટ મનોજ એને ચાર્જર આપી ગયો. એણે પોતાનો ફોન ચાલુ કરી ફેમિલી સાથે વાતચીત કરી લીધી અને પછી ફોનને ચાર્જમાં મૂકી દીધો.

એ પછી એણે આરામ કરવાનું પસંદ કર્યું. લગભગ ચાર વાગે કિરપાલ સિંગ એના દીકરા નિર્મલને લઈને રૂમ ઉપર આવ્યા.

" અંકલ કે પાંવ છૂઓ બેટા. ઈનકી વજહ સે તુમ આજ બચ ગયે હો." સરદારજીએ પોતાના ૧૩ વર્ષના દીકરાને કહ્યું.

" પૈરી પૌના અંકલજી" નિર્મલે નીચા નમીને અનિકેતના ચરણસ્પર્શ કર્યા.

"જીતે રહો બેટા... અબ એકદમ ઠીક હો ? " અનિકેત બોલ્યો.

" જી અંકલ જી." નિર્મલ બોલ્યો.

"અચ્છા હોસ્પિટલમેં તુમ્હારે સાથ ક્યા હુઆ થા વો સબ બાત અંકલજી કો બતાઓ. " સરદારજી બોલ્યા.

" જી પાપા. મુજે છાતી મેં ઔર સર પે બહોત જોર સે ચોટ લગી થી તો મૈં તો એકદમ બેહોશ હો ગયા થા. મુજે અંકલ કબ હોસ્પિટલ લે ગયે મુજે કુછ યાદ નહીં. લેકિન હોસ્પિટલમેં એક સાધુ મહાત્મા મેરે પાસ આયે ઓર મેરે સર પે તથા છાતી પે હાથ ફિરાયા ઔર બોલે કી તુમ્હારે મસ્તિષ્ક કી નસ ફટ ગઈ હૈ ઔર પસલી ભી તૂટ ગઈ હૈ તો મૈં સબ ઠીક કર દેતા હું બેટા. અબ તુમ થોડી દેર મેં હોશ મેં ભી આ જાઓગે. " નિર્મલ બોલી રહ્યો હતો.

" ફિર વો સાધુજીને મેરે સર પે ઔર છાતી પે થોડી દેર હાથ ફીરાયા. મેરે શરીર કે અંદર કુછ હો રહા થા. મુજે બહોત અચ્છા લગ રહા થા. ઉસકે બાદ મૈં હોશમેં આ ગયા લેકિન વો સાધુજી કહીં નહીં થે. " નિર્મલે પોતાની વાત પૂરી કરી.

"દેખો ભૈયા યે બચ્ચાને ક્યા બોલા ? યે સબ આપકે ગુરુજીને હી કિયા હૈ. યે સબ આપને મુજે ટ્રેઈનમેં હી બતા દિયા થા. અબ આપ ઋષિકેશ ગુરુજી કો મિલને આયે હો તો હમેં ભી ઉનકે દર્શન કરવાઓ. " કિરપાલસિંગ બોલ્યા.

"જી લેકિન વો બહોત ઉચ્ચ કોટીકે સિદ્ધ મહાત્મા હૈં. વો કિસીકો દર્શન નહીં દેતે. ઉનકો સિર્ફ મૈં હી દેખ પાઉંગા. શાયદ આજ કલ મુજે મિલને આ જાયેંગે. " અનિકેતથી બોલાઈ ગયું. કોઈ બીજું જ એની પાસે જાણે બોલાવતું હતું.

" બહોત નસીબવાલે હો ભૈયા જો આપકો ઐસે ગુરુજી પ્રાપ્ત હુએ હૈં. હમારે લિયે તો આપ હી ભગવાન હો. કોઈ ચીજ આપકો ચાહિયે તો મેં મંગવા દું. દોનોં ટાઈમકા ખાના આપકો યહાં હી ખાના હૈ. રહેના ખાના સબ ફ્રી હૈ. જીતના મન ચાહે આપ રેહ સકતે હો. " સરદારજી બોલ્યા.

" જી ફિલહાલ તો મુજે કુછ નહીં ચાહિયે. બસ એક બનિયન ઓર ચડ્ડી મંગવા દો. અગર મેરા કામ કલ તક હો ગયા તો મૈં તો નિકલ જાઉંગા." અનિકેત બોલ્યો અને એણે ગંજી અને ચડ્ડીની સાઈઝ સરદારજીને આપી.

સરદારજી એને પગે લાગીને નીકળી ગયા. એકાદ કલાકમાં જ નવી ગંજી અને ચડ્ડી આવી ગયાં.

સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અનિકેત એક ખુરશી ઉપર બેસીને બારીની બહાર દૂર દૂર દેખાતી ગંગા નદીને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એના રૂમમાં સ્વામીજી પ્રગટ થયા.

ભગવા કપડાં. લાંબી જટા અને લાંબા દાઢી મૂછ. સૌમ્ય ચહેરો. છ ફૂટની ઊંચાઈ વાળું કદાવર શરીર. ઉંમર તો ઘણી વધારે હશે પરંતુ ૬૫ ૭૦ ની જ લાગે ! પ્રભાવશાળી વ્યક્તિત્વ !

"આખીર તુમ ઋષિકેશ પહોંચ ગયે. ચલો અચ્છા કીયા. અબ મેરી બાત ધ્યાનસે સુનો. કલ સુબહ સાત બજે તુમકો ત્રિવેણી ઘાટ જાના હૈ. વહાં ગંગામેં તુમકો ડૂબકી લગાની હૈ ઔર ગંગાસ્નાન કરના હૈ. પેહને હુએ કપડે મત નિકાલના. બસ જેકેટ નિકાલ લેના. તુમકો સાથમેં ઔર કોઈ કપડા યા ટૂવાલ નહીં લેના હૈ. ખાલી હાથ જાના હૈ. મૈં તુમકો વહાં મિલુંગા "

અનિકેતે તરત ઊભા થઈને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. સ્વામીજીએ એને આશીર્વાદ આપ્યા.

"ખુશ રહો બચ્ચા. અબ મૈં તુમકો કલ સુબહ ગંગાકે કિનારે મિલુંગા." સ્વામીજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

આવી કડકડતી ઠંડીમાં સવારે ૭ વાગે ગંગાના બરફ જેવા પાણીમાં કપડાં સાથે જ ન્હાવું પડશે અને ન્હાયા પછી ભીનાં કપડાં જ પહેરી રાખવાં પડશે એ વિચાર માત્રથી જ અનિકેત ધ્રુજી ગયો.

અનિકેત બીજા દિવસે એલાર્મ મૂકીને સવારે વહેલો ૫ વાગે ઉઠી ગયો અને બ્રશ કરી, હાથ પગ ધોઈ ગાયત્રીની પાંચ માળા કરવા માટે બેસી ગયો. ગઈકાલની જેમ હાથના વેઢાથી જ એણે પાંચ માળા કરી. એ પછી એણે રૂમ સર્વિસને ઓર્ડર આપી ચા મંગાવી લીધી.

ચા પીને લગભગ સવા છ વાગે એ ત્રિવેણી ઘાટ જવા માટે નીચે ઉતર્યો અને રિસેપ્શન કાઉન્ટર ઉપર ત્રિવેણી ઘાટ જવા માટેનું માર્ગદર્શન લઈ લીધું. એની પોતાની પાસે પૈસા હતા નહીં એટલે એ રિક્ષામાં પણ જઈ શકે તેમ ન હતો. એણે ચાલતા જવાનું જ નક્કી કર્યું. ખાલી હાથે જવાનું હતું એટલે મોબાઈલ પણ એણે હોટલમાં જ છોડી દીધો હતો.

ચાલતાં ચાલતાં લગભગ ૪૦ મિનિટે એ ત્રિવેણી ઘાટ પહોંચી ગયો. ઠંડો પવન સૂસવાટા મારતો હતો. નહાવાની
હિંમત ચાલતી નહોતી. નાહ્યા પછી શરીર લૂછવા માટે ટુવાલ લાવવાની પણ ગુરુજીએ ના પાડી હતી.

બરાબર સાતના ટકોરે એણે જેકેટ કાઢી પહેરેલા કપડે ગંગાના પાણીમાં ડૂબકી મારી. આખું શરીર અને કપડાં ભીનાં થઈ ગયાં. પણ આ શું !! ગંગાનું પાણી તો એને ગરમ ગરમ હૂંફાળું લાગ્યું. એણે બીજી બે થી ત્રણ ડૂબકી મારી. નાહ્યા પછી ઠંડીનું નામ નિશાન ન હતું. એ નાહ્યા પછી જેવો ગંગા નદીની બહાર આવ્યો કે એનાં તમામ ભીનાં કપડાં એકદમ સૂકાઈ ગયાં હતાં. એણે ફરી જેકેટ પહેરી લીધું ત્યાં જ એને સ્વામીજીનાં ફરી પ્રત્યક્ષ દર્શન થયાં.

"મેરા નામ વ્યોમાનંદજી હૈ. તુમ જૂતે પેહન લો. મેરે સાથ મેરી કુટીયામેં તુમકો આના હૈ. મેરા હાથ પકડ લો ઔર દો મિનિટ કે લિયે આંખે બંધ કર લો. " સ્વામીજી બોલ્યા.

અનિકેતે બૂટ મોજાં પહેરીને પોતાના જમણા હાથે સ્વામીજીનો ડાબો હાથ પકડ્યો અને આંખો બંધ કરી દીધી. એ સાથે જ એને લીફ્ટની જેમ એક ઝાટકો લાગ્યો.

"અબ આંખે ખોલ દો. હમ કુટિયા મેં પહોંચ ગયે હૈં. " સ્વામીજી બીજી જ મિનિટે બોલ્યા. ગંગા કાંઠેથી કુટિયા સુધીનો રસ્તો માત્ર એક મિનિટમાં કાપ્યો હતો ! અનિકેતને એક ડગલું પણ ચાલવું પડ્યું ન હતું.

અનિકેતે જોયું તો ઘાસ અને ઝાડની ડાળીઓથી બનાવેલી આ એક ઝૂંપડી હતી. નીચે ચટ્ટાઈ પાથરેલી હતી. એક તરફ મટકામાં પાણી ભરેલું હતું.

" બચ્ચા ખાના વાના ખાઓગે ક્યા ? અભી ભરપેટ ભોજન કર લો. બહોત દૂર તક હમેં જાના હૈ" સ્વામી વ્યોમાનંદજી બોલ્યા.

"જી સ્વામીજી ભૂખ તો લગી હૈ. પતા નહીં આજ સુબહ સુબહ ક્યાં ઇતની ભૂખ મુજે લગી હૈ ! આજ તક મુજે સુબહ સાત બજે ઈતની ભૂખ કભી નહીં લગી." અનિકેત બોલ્યો.

"બસ તો ખાના તૈયાર હૈ. તુમ્હારે ઘર કા હી ખાના તુમકો મિલેગા. વો સામને દેખો તુમ્હારી બેગ પડી હૈ. ખોલ કે તુમ્હારા સારા નાસ્તા બહાર નિકાલ દો." સ્વામીજી બોલ્યા.

અનિકેત તો પોતાની ચોરાયેલી બેગ અહીં જોઈને આભો જ બની ગયો ! આ બેગ અહીં આ કુટિયામાં કેવી રીતે આવી ગઈ ? શું સ્વામીજીએ જ એ અદ્રશ્ય કરી દીધી હતી ? સ્વામીજીની લીલા ખરેખર અદભૂત છે !

બેગની ચાવી તો એના જેકેટમાં જ હતી. એણે તરત જ બેગ ખોલી નાખી. સ્વામીજીએ એને એક મોટી પતરાળી આપી. અનિકેતે પાંચ થેપલાં ચાર પૂરી, અને એક મોહનથાળનો ટૂકડો પતરાળીમાં મૂક્યો. બટેટાની સૂકી ભાજી તો કદાચ બગડી ગઈ હશે છતાં જોવા માટે એણે સિલ્વર ફોઇલ હાથમાં લીધી તો ગરમ લાગી. એણે ફૉઇલ ખોલી નાખી. સૂકી ભાજી એકદમ તાજી જ જાણે કે હમણાં જ બનાવી હોય એટલી ગરમ હતી. એણે અથાણું અને બે આથેલાં મરચાં પણ લીધાં.

" તુમ શાંતિ સે ખા લો. હમેં કોઈ જલદી નહીં હૈ. મૈં આધે ઘંટે મેં આતા હું. યહાં કોઈ નહીં આયેગા. કુટિયા કે બહાર શેર બૈઠા હૈ. મૈં ઉસકો બોલ દેતા હું વો અંદર નહીં આયેગા. તુમ ડરના મત. " સ્વામીજી બોલ્યા અને કુટિયાના દરવાજા પાસે ગયા. તરત જ બહાર બેઠેલા સિંહે એક મોટી ગર્જના કરી. એની મોટી ત્રાડથી અનિકેત ડરી ગયો.

" બસ અબ વો ચૂપચાપ સો જાયેગા. મેરી બાત હો ગઈ ઉસકે સાથ. તુમ આરામ સે ખા લો." કહીને સ્વામીજી અંદર આવીને એકદમ અદ્રશ્ય થઈ ગયા.

બટેટાની સૂકીભાજી ખરેખર એકદમ તાજી હતી. ગરમ પણ હતી. આવું કેવી રીતે શક્ય બને ? ગમે તેમ પણ એને કકડીને ભૂખ લાગી હતી. ધરાઈને એણે જમી લીધું અને જમવાની બહુ જ મજા આવી. કૃતિએ શાક બહુ જ ટેસ્ટી બનાવ્યું હતું !

બેગ પાછી મળી ગઈ હતી એટલે એની ઘણી બધી ચિંતા ઓછી થઈ ગઈ હતી. જો કે આજે તો સ્વામીજીએ એવો ચમત્કાર કર્યો હતો કે કપડાં બદલવાની કોઈ જરૂર હતી જ નહીં. પહેરેલાં કપડાં વોશિંગ મશીનમાં ધોયાં હોય એવાં અને ઈસ્ત્રી ટાઈટ હતાં !

બહાર ડોકિયું કરવાની એની ઈચ્છા થઈ પરંતુ બહાર સિંહ બેઠેલો છે એ યાદ આવ્યું એટલે એ ચટ્ટાઈ ઉપર આડો પડ્યો. થોડીવાર પછી સ્વામીજી પાછા પ્રગટ થયા એટલે એ પાછો બેઠો થઈ ગયો.

સ્વામીજીએ કુટિયામાં બરાબર વચ્ચેના ભાગમાં ગાયનું એક છાણું અને બે-ત્રણ નાનાં લાકડાં મૂકીને મંત્રોથી અગ્નિ પ્રગટાવ્યો.

"અબ તુમ યે ચટ્ટાઈ પર ધ્યાન કી મુદ્રા મેં ટટ્ટાર બૈઠ જાઓ. આંખે બંધ કર લો." અનિકેતને સ્વામીજીએ આદેશ આપ્યો. અનિકેત ધ્યાન મુદ્રામાં બેસી ગયો.

એમણે મંત્રો બોલી બોલીને કેટલીક વસ્તુઓ અગ્નિમાં હોમવા માંડી. એ ધુમાડાથી અનિકેતનો જીવ જાણે કે ઊંડો ઉતરતો ગયો. એ ધીરે ધીરે સમાધિ અવસ્થામાં પહોંચી ગયો. એણે બહારનું ભાન સંપૂર્ણ ગુમાવી દીધું અને પથ્થરની મૂર્તિ જેવો બની ગયો.

સ્વામીજી ઊભા થયા અને એના આખા શરીર ઉપર હાથ ફેરવ્યો. એ પછી એના માથા ઉપર જમણો હાથ મૂક્યો અને કંઈક મંત્રો બોલવા લાગ્યા. થોડી જ વારમાં અનિકેતનું સૂક્ષ્મ શરીર બહાર આવીને સ્વામીજીની સામે ઊભું રહ્યું.

સ્વામીજી પોતે પણ હવે ધ્યાનસ્થ અવસ્થામાં બેસીને સમાધિ અવસ્થા સુધી પહોંચી ગયા. એ પછી એમણે પોતાનું સૂક્ષ્મ શરીર અલગ કર્યું અને અનિકેતના સૂક્ષ્મ શરીરનો જમણો હાથ પકડી કુટિયાના છાપરાની આરપાર થઈને આકાશ તરફ ઉડવા લાગ્યા.

રોકેટની ગતિએ સ્વામીજી અનિકેતને લઈને ઉપર આકાશ તરફ જઈ રહ્યા હતા. સૂક્ષ્મ શરીરમાં અનિકેત એકદમ જાગૃત અવસ્થામાં હતો. ધીમે ધીમે એક પ્રકાશ લોકમાં સ્વામીજીએ પ્રવેશ કર્યો. કોઈ નવી જ દુનિયાનાં અનિકેતને દર્શન થયાં. સ્વામીજીએ પોતાની ગતિ ધીમી કરી દીધી. એ એક ભવ્ય બગીચામાં આવી ગયા.

પૃથ્વી ઉપર ના હોય એવા સુંદર રંગ અહીં વૃક્ષોના અને ફૂલોના હતા. રંગબેરંગી વૃક્ષો અહીં ઊગેલાં હતાં. સમગ્ર બગીચામાં લીલુંછમ કોમળ ઘાસ છવાયેલું હતું. એણે જોયું કે આ બગીચાના છેડે એક સુંદર ભવ્ય મંદિર પણ હતું.

હવે ઉડવાનું બંધ થઈ ગયું હતું અને બંનેના પગ ગાર્ડન ઉપર સ્થિર થયા હતા. સ્વામીજી બગીચાના એક ખૂણામાં એક વૃક્ષની નીચે બેસીને ગાયત્રી મંત્ર કરતા અનિકેતના પરદાદા સ્વ. વલ્લભભાઈના પવિત્ર આત્મા પાસે અનિકેતને લઈ ગયા.

અનિકેતના મોટા દાદાએ સ્વામીજીને જોતાં જ ઉભા થઈને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા.

" પ્રણામ ગુરુજી. આપકો મૈંને બહોત તકલીફ દી હૈ. આપને મેરે લિયે ઇતના કષ્ટ કિયા. " મોટા દાદા બોલ્યા.

" અબ તુમ ઇસકો સમ્હાલો. મૈં અભી જા રહા હું . કામ પૂરા હો જાયે મુજે ફિર સે યાદ કર દેના. " સ્વામીજી બોલ્યા.

"અરે બેટા તને મારા આ ગુરુજીની ઓળખાણ કરાવું. એમનું નામ સ્વામી વ્યોમાનંદજી છે. એમની ઉંમર ૨૦૦ વર્ષ કરતાં પણ વધારે છે. મને ગાયત્રી મંત્રની દીક્ષા પણ એમણે જ આપેલી છે. એમણે પોતે ગાયત્રી મંત્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે." મોટા દાદા સ્વામીજીનો પરિચય આપી રહ્યા હતા.

" આમ તો એ ઋષિકેશથી બહુ જ દૂર હિમાલયની ગુફામાં જ રહે છે. પરંતુ ક્યારેક એ ગંગા કિનારે જંગલમાં એક કુટિયામાં પણ આવતા હોય છે. આ કુટિયાને કોઈપણ વ્યક્તિ જોઈ શકતો નથી. અષ્ટ પ્રકારની સિદ્ધિ એમને પ્રાપ્ત છે. એ પ્રાણીઓ સાથે પણ વાતચીત કરી શકે છે." દાદાજી ગુરુજીનો પરિચય આપી રહ્યા હતા.

" ગુરુજી ખોરાક બિલકુલ ખાતા જ નથી. સંપૂર્ણપણે નિરાહારી છે. ઈચ્છા થાય ત્યારે સંકલ્પ માત્રથી એ પાણી પી લે છે. રોજ બપોરે કોઈ ભરવાડ એમને કટોરો ભરીને દૂધ આપી જાય છે. એ ભરવાડ કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે એ કોઈ જાણતું નથી. સંકલ્પ માત્રથી એ હવામાંથી કોઈપણ વસ્તુ પેદા કરી શકે છે. એમને તું સાષ્ટાંગ દંડવત પ્રણામ કર" મોટા દાદા બોલ્યા.

અનિકેતે સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આશીર્વાદ આપીને ગુરુજી અદ્રશ્ય થઈ ગયા.

" જો બેટા આ ચોથો મહહ્ લોક છે. કુલ સાત ઊર્ધ્વલોક છે. પૂણ્યશાળી આત્માઓ જ અહીં આવી શકે છે. અત્યારે જેવો સૂર્યપ્રકાશ છે એવો જ કોમળ સૂર્યપ્રકાશ અહીં ૨૪ કલાક રહે છે. અહીં દિવસ રાત જેવું કંઈ હોતું નથી. અહીં વિચાર માત્રથી કોઈ પણ જગ્યાએ જઈ શકાય છે. વિચાર માત્રથી મનગમતું ભોજન જમી શકાય છે ." મોટાદાદા અનિકેતને આ ચોથા ઉર્ધ્વલોકનો પરિચય આપી રહ્યા હતા.

" અહીં બધું જ સ્વૈચ્છિક છે. તમને ભૂખ કે તરસ લાગતી નથી પરંતુ તમને જમવાનો વિચાર આવે તો જે પણ વસ્તુ તમે વિચારો એ બધી તરત જ તમને મળી જાય. પાણી પીવાની ઈચ્છા થાય તો વિચાર માત્રથી અચાનક તમે સુંદર સરોવર કે ઝરણા પાસે પહોંચી જાઓ. અહીં કોઈ દુઃખનો અનુભવ થતો નથી કે કોઈ વેદના કે પીડા થતી નથી. તમારા પોતાના સારાં કે ખરાબ કર્મો પ્રમાણે જ તમને મૃત્યુ પછી જે તે લોક પ્રાપ્ત થાય છે. " મોટા દાદા કહી રહ્યા હતા.

" હવે હું તને અહીં ગાયત્રી મંદિરમાં લઈ જાઉં ત્યાં તું દર્શન કરી લે. તું એમ વિચાર કે તું મારી સાથે ગાયત્રી માતાની દિવ્ય મૂર્તિ સામે મંદિરમાં જ ઉભો છે. " મોટા દાદા બોલ્યા.

અનિકેતે દાદાએ કહ્યા પ્રમાણે મંદિરમાં જ પોતે ઉભો છે એવો વિચાર કર્યો અને એ સાથે જ એ મંદિરમાં ગાયત્રી માતાની દિવ્ય મૂર્તિ સામે ઊભો હતો. ગાયત્રી માતાની એકદમ પ્રકાશમય મૂર્તિ હતી. મૂર્તિમાંથી સતત પ્રકાશ બહાર આવતો હતો. આવી જીવંત મૂર્તિ એણે આજ સુધી ક્યારેય પણ જોઈ ન હતી.

મોટા દાદાને પ્રણામ કરતા જોઈને અનિકેતે પણ એમનું અનુકરણ કર્યું અને માથું નમાવીને માતાજીને ભાવથી વંદન કર્યાં.

"અહીં ગાયત્રી માતા એકદમ પ્રત્યક્ષ છે. અહીં કરેલી તમામ પ્રાર્થના અચૂક પરિણામ આપે છે. પરંતુ આ સૂક્ષ્મ લોકમાં ભૌતિક વસ્તુઓ માગી શકાતી નથી. તમે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વગેરે માટે પ્રાર્થના કરી શકો છો. તમારાં પોતાનાં ખરાબ કર્મનાં બંધન જલ્દી તૂટે એના માટે પણ પ્રાર્થના કરી શકો છો. પાપોને બાળવા માટે ગાયત્રી મંત્રથી ચડિયાતો બીજો કોઈ મંત્ર જ નથી. " મોટા દાદા બોલ્યા.

ગાયત્રીમંત્ર પાપ કર્મોને બાળી નાખે છે અને કર્મ બંધન તોડે છે એ રહસ્ય દાદાજી પાસેથી જાણીને અનિકેતને ગાયત્રી મંત્રની તાકાતનો એક નવો જ પરિચય થયો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED