Sapnana Vavetar - 26 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 26

સપનાનાં વાવેતર પ્રકરણ 26

બીજા ચાર મહિનાનો સમય પસાર થઈ ગયો. અનિકેતનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવાઈ ગયો. એ દિવસે અનિકેતે પોતાના સ્ટાફને અને પોતાના મિત્રોને સાંજે હોટલમાં ડીનર પાર્ટી આપી હતી અને ત્યાં જ કેક કાપી હતી.

કિરણ વાડેકર અને અનાર દીવેટીયા તો એની ઓફિસમાં જ જોબ કરતાં હતાં. જ્યારે ભાર્ગવ ભટ્ટ અને જૈમિન છેડાને અલગથી આમંત્રણ આપીને બોલાવ્યા હતા.

અનિકેતના તમામ મિત્રો અનિકેતથી ખુશ હતા. જૈમિન છેડાને અનિકેતે ૩૫ લાખ આપ્યા હતા એટલે એમાંથી એણે પોતાના દવાના બિઝનેસનો ઘણો મોટો વિસ્તાર કર્યો હતો. સાથે સાથે એની પત્ની અનારનો પગાર પણ ૭૫૦૦૦ આવતો હતો એટલે એ સૌથી વધારે સુખી હતો.

કિરણને પણ અનિકેત એક લાખ રૂપિયાનો પગાર આપતો હતો એટલે એ પણ સુખી હતો. ભાર્ગવ ભટ્ટના પપ્પા શશીકાંતભાઈને અનિકેતે ફ્લેટમાંથી ઓફિસ કન્વર્ટ કરવાનું બહુ મોટું કામ આપ્યું હતું અને એ પેટે સારી એવી ફી પણ ચૂકવી હતી એટલે ભાર્ગવ પણ ખુશ હતો.

" ભાભી તમારી સાથે અનિકેતે લગ્ન કર્યાં એ પછી અનિકેત તો બિલ્ડર બની જ ગયો છે પરંતુ અમારા બધાની જિંદગી પણ સુખી થઈ ગઈ છે. તમારાં પગલાં ખરેખર અમારા બધા માટે નસીબવંતાં છે. " જૈમિન બોલ્યો.

" થેન્ક્યુ જૈમિનભાઈ પણ તમારા ભાઈએ આજ સુધી મારી પ્રશંસા કરી નથી. " કૃતિ હસીને બોલી.

" ખોટું ના બોલ કૃતિ. તું ભૂલી ગઈ લાગે છે. દાદા પણ તને શુકનિયાળ માને છે અને મેં પણ તારી પ્રશંસા કરી છે. " અનિકેત બોલ્યો.

" ભાભી તમને ફેસ ટુ ફેસ કદાચ ના કહે તો પણ અનિકેત સર પોતે તો એ વાત સ્વીકારતા જ હોય છે. " અનાર બોલી.

" મેં તો એ પણ માર્ક કર્યું છે કે મેડમ જ્યારે જ્યારે પણ ઓફિસે આવે છે એ દિવસે ફલેટનું કોઈ નવું બુકિંગ ચોક્કસ થાય છે. " અત્યાર સુધી ચૂપ રહેલો સૌરભ દિવાન બોલ્યો.

" વાહ ! તો તો મારે હવે રોજ ઓફિસે આવવું પડશે. " કૃતિ હસી પડી.

અનિકેતને ૨૮ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં અને આજથી ૨૯મુ વર્ષ ચાલુ થઈ ગયું હતું એટલે એનો નેગેટિવ મંગળનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો હતો. ગુરુજી આ જાણતા હતા એટલા માટે એમણે અનિકેત અને કૃતિ વચ્ચે શારીરિક સંબંધ ના થાય એના માટે જે શક્તિ મોકલી હતી એ આજે સવારે પાછી ખેંચી લીધી હતી.

અનિકેતનો આજે જન્મદિવસ હતો એટલે કૃતિ આજે સવારથી જ સુંદર રીતે તૈયાર થઈ હતી અને ડીનર પાર્ટીમાં પણ એનો માભો પડતો હતો.

" આજે તો પાર્ટીમાં બધાની નજર તારા ઉપરથી હટતી જ ન હતી. આ સાડી તને ખૂબ જ શોભી રહી છે. તું આજે ખૂબ જ ગોર્જીયસ લાગી રહી છે. " રાત્રે બેડરૂમમાં કૃતિ જેવી દાખલ થઈ કે તરત અનિકેત બોલ્યો.

" દુનિયાની નજરનું છોડો. તમારી નજર તો ક્યાં મારી ઉપર પડે જ છે ?" કૃતિ બોલી.

" ના સાવ એવું નથી. મારી નજર પણ હવે તારા બદનની આજુબાજુ ફરવા લાગી છે. આજે તો તને જોઈને મને પણ કંઈક થઈ જાય છે. પહેલીવાર આજે મેં આકર્ષણનો અનુભવ કર્યો છે કૃતિ. હું ખોટું નથી બોલતો. " અનિકેત બોલ્યો.

" તો તો પછી આજે તો તમારો જન્મ દિવસ છે. આજે હું તમને મારું સર્વસ્વ અર્પણ કરું તો એનાથી વિશેષ મોટી ગિફ્ટ બીજી શું હોઈ શકે ? " કૃતિ આંખો નચાવીને બોલી.

અનિકેતની વાત સાંભળીને કૃતિના શરીરમાં પણ ધીમે ધીમે અનંગનો પ્રવેશ થઈ રહ્યો હતો. એ તો એક વર્ષથી તરસી જ હતી. અનિકેતના શરીરમાં તો સાંજે ડીનર પાર્ટીમાં જવા માટે કૃતિ તૈયાર થઈ ત્યારથી જ કામદેવનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. બંનેની યુવાન ઉંમર હતી અને લગ્નને એક વર્ષ થયું હોવા છતાં આજ સુધી બંને શારીરિક સુખથી વંચિત હતાં.

કૃતિ બેડ ઉપર જઈને અનિકેતને અઢેલીને બેઠી અને પછી લાંબા પગ કરીને બેઠેલા અનિકેતના ખોળામાં એણે માથું ઢાળી દીધું.

અનિકેતે એના માથાના વાળ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને બીજો હાથ ધીમે ધીમે કૃતિની આવેશમાં ધડકતી છાતી તરફ નીચે સરકવા લાગ્યો. બંનેનો આવેશ એટલો બધો હતો કે બંનેનાં કપડાં ક્યારે સરકી ગયાં અને ક્યારે બંને એકબીજામાં ખોવાઈ ગયાં એનું કોઈને પણ ભાન ના રહ્યું !!

સવારે કૃતિની આંખ ખુલી ત્યારે સાત વાગી ગયા હતા અને બંને એ જ અવસ્થામાં સૂતેલાં હતાં. અનિકેતની ઊંઘ ના બગડે એ રીતે ધીમે રહીને કૃતિ બાજુમાં સરકી ગઈ અને સીધી વોશરૂમમાં દોડી.

ન્હાઈ ધોઈને તૈયાર થઈ કપડાં બદલી એ બહાર આવી ત્યારે પણ અનિકેત હજુ સૂતો જ હતો. આઠ વાગી ગયા હતા એટલે એ ધીમે રહીને અનિકેતની બાજુમાં બેઠી. અનિકેતના યુવાન દેહ સામે તાકી રહી. આજે એ ખૂબ જ ખુશ હતી. આ સંસારી જીવનમાં સંવનનના સુખ જેવું દુનિયામાં બીજું કોઈ સુખ નથી એવું એને લાગ્યું. હજુ પણ અનિકેતને વળગી પડવાનું મન થતું હતું. પરંતુ એણે સંયમ રાખ્યો અને અનિકેતને પ્રેમથી જગાડી દીધો.

" અનિકેત ઉઠો હવે આઠ વાગી ગયા છે. હું તો ન્હાઈ ધોઈને તૈયાર પણ થઈ ગઈ. " અનિકેતના માથા ઉપર હાથ ફેરવતાં કૃતિ બોલી.

" અરે ! આટલું બધું મોડું થઈ ગયું ?" અનિકેત સફાળો ઊભો થઈ ગયો અને શરમાઈ પણ ગયો.

બંને જણાં તૈયાર થઈને નીચે ચા પાણી પીવા માટે આવ્યાં ત્યારે સાડા આઠ વાગી ગયા હતા.

અનંગની આગ બંનેને લાગી ગઈ હતી એટલે જન્મદિવસ પછીના ૧૫ દિવસ તો બંને માટે લગભગ હનીમૂન જેવા જ પસાર થઈ ગયા. અનિકેત કૃતિ પાછળ હવે સાચા અર્થમાં પાગલ થઈ ગયો હતો. અને કૃતિ પણ અનિકેતથી એટલી જ સંતુષ્ટ હતી !

" હનીમૂન માટે કોઈ હિલ સ્ટેશને જવાનો પ્રોગ્રામ બનાવવો છે ડાર્લિંગ ?" એક રાત્રે અનિકેતે પૂછ્યું.

" ના અનિકેત. ઉત્તર ભારતમાં અને હીલ સ્ટેશનોમાં તો ઘણી ઠંડી પડતી હશે. આટલી ઠંડીમાં બીજે ક્યાંય જવું નથી. કાશ્મીર પણ ઠંડુગાર હશે અત્યારે તો. એના કરતાં તો ઘરે જ સારાં છીએ." કૃતિ બોલી.

કૃતિએ પોતાનું જીવન હવે સારી રીતે થાળે પડી રહ્યું છે એ ખુશ ખબર એની બેન શ્રુતિને પણ ફોન ઉપર આપ્યા.

" શ્રુતિ તને ખાસ એક સારા સમાચાર આપવા માટે જ અત્યારે ફોન કર્યો હતો. બોલ શું હશે એ સમાચાર ?" કૃતિ બોલી.

" દીદી એક જ સમાચાર સાંભળવા માટે મારા કાન તરસી રહ્યા છે અને એ તું પણ જાણે જ છે. " શ્રુતિ બોલી.

" કયા સમાચાર ?" કૃતિએ જાણી જોઈને આ સવાલ કર્યો.

" હું જલ્દી જલ્દી એક નાનકડા બાળકની માસી બની જાઉં એના. " શ્રુતિ બોલી.

" ધત...તું તો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ ! બસ હવે અમારા સંબંધો ચાલુ થઈ ગયા છે. આટલું કહેવા માટે જ તને ફોન કર્યો હતો. " કૃતિ બોલી.

" હાશ ! આજે દીદી ખરેખર હું બહુ જ ખુશ છું. મને વિશ્વાસ હતો જ કે એક દિવસ તમારું લગ્નજીવન જરૂર નોર્મલ થઈ જશે." શ્રુતિ બોલી.

" હા હનુમાન દાદાની કૃપાથી હવે અમારા સંબંધો ઘણા સારા થયા છે. પણ એના માટે મારે બહુ લાંબી તપસ્યા કરવી પડી. " કૃતિ બોલી.

" એ હવે બહુ મન ઉપર નહીં લેવાનું દીદી. ખરાબ સમય પસાર થઈ ગયો. હવે તમે લોકો જલ્દી જલ્દી સારા સમાચાર આપો. !" શ્રુતિ બોલી.

મંગળનો પ્રભાવ ઉતરી ગયો હોવાથી હવે કૃતિ અનિકેતના ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી. એણે એની પોતાની મહત્વાકાંક્ષાઓને પણ કંટ્રોલમાં કરી લીધી હતી.

પસાર થયેલા છેલ્લા ચાર મહિનામાં અનિકેતની સ્કીમનું એ ટાવર લગભગ પૂરું થવા આવ્યું હતું અને બી ટાવરનું કામ પણ શરૂ થયું હતું. એ ટાવરના લગભગ તમામ ફ્લેટ વેચાઈ ગયા હતા અને બી ટાવરનું બુકિંગ ચાલુ થઈ ગયું હતું.

મકરસંક્રાંતિ પસાર થઈ ગયા પછી એક દિવસ દીવાકર ગુરુજીનો ફોન ધીરુભાઈ શેઠ ઉપર આવ્યો. ફોન ગુરુજીના સેવકે કર્યો હતો.

" ધીરુભાઈ શેઠ બોલો ? " સેવકે પૂછ્યું.

"હા હું થાણાથી ધીરુભાઈ વિરાણી." ધીરુભાઈ બોલ્યા.

" જી. હું રાજકોટથી બોલું છું. ચાલુ રાખજો. ગુરુજી વાત કરવા માંગે છે." સેવક બોલ્યો અને એણે ફોન ગુરુજીને આપ્યો.

" નમસ્તે ગુરુજી. આપનો ફોન આજે સામેથી આવ્યો. બહુ સારું લાગ્યું. " ધીરુભાઈ બોલ્યા.

" જી ૨૨ તારીખે હું મુંબઈ આવું છું. મલાડ સુંદરનગરમાં એક દિવસ માટે રોકાવાનો છું. મારી ઈચ્છા ત્યાંથી તમારા ઘરે આવવાની છે. " ગુરુજી બોલ્યા.

" એ તો મારાં અહોભાગ્ય છે ગુરુજી. આપ કહો એ સમયે હું આપને લેવા આવી જઈશ. " ધીરુભાઈ બોલ્યા.

"જી સેવક મારી સાથે જ રહેશે એટલે એ તમને જણાવી દેશે. " ગુરુજી બોલ્યા અને તરત ફોન કટ કર્યો.

ધીરુભાઈએ ગુરુજીના આગમનના સમાચાર પોતાના પરિવારને આપી દીધા અને એમના સ્વાગત માટે થોડાંક સૂચનો કર્યાં. એક અલગ બેડરૂમ એમના ઉતારા માટે તૈયાર કરવાની પણ સૂચના આપી. ૧૮ તારીખ થઈ ગઈ હતી ત્રણ દિવસ પછી ગુરુજી આવવાના હતા.

કોણ જાણે કેમ ગુરુજીના આગમન વિશે જાણીને સૌથી વધુ આનંદ અનિકેતને થયો. એની પત્ની કૃતિ પણ આ સમાચાર જાણીને ખુશ થઈ.

૨૨ તારીખે બપોરે બે વાગે ગુરુજીના સેવકનો ફોન આવી ગયો કે ગુરુજી સાંજે છ વાગે ફ્રી થઈ જશે એટલે તમે એ સમયે આવી શકો છો. સેવકે મલાડ સુંદરનગરનું પાકું એડ્રેસ પણ લખાવી દીધું.

થાણાથી મલાડ ઘણું દૂર હતું છતાં બોરીવલી થઈને જવાનો રસ્તો વધુ નજીક હતો. ધીરુભાઈએ દેવજીને સાડા ચાર વાગે તૈયાર રહેવા સૂચના આપી. ગુરુજીને લઈ આવવા માટે તેમણે એકલા જવાનું જ પસંદ કર્યું.

ધીરુભાઈ સમયસર સુંદરનગરના ફ્લેટ ઉપર પહોંચી ગયા. ગુરુજી તૈયાર જ બેઠા હતા. ધીરુભાઈ ને જોઈને એ તરત ઊભા થયા. ઘરના તમામ લોકો ગુરુજીને પગે લાગ્યા. એ પછી ગુરુજી યજમાનની રજા લઈને સેવક સાથે બહાર નીકળ્યા. જેમના ઘરે એ આવ્યા હતા એ આખો પરિવાર છેક નીચે સુધી એમને મૂકવા માટે આવ્યો.

ધીરુભાઈએ ગાડીનો દરવાજો ખોલ્યો અને ગુરુજીને અંદર બેસવા વિનંતી કરી. એ પછી એમની સાથે પોતે બેસી ગયા. સેવક આગળના ભાગમાં બેઠો.

" મોટાભાગે તો હું ક્યાંય બહાર જતો નથી પણ સુંદરનગરનો પ્રોબ્લેમ ઘણો મોટો હતો એટલે મારે જાતે આવવું પડ્યું. ત્રણ ત્રણ પ્રેતાત્માઓ ઘરમાં અડ્ડો જમાવીને બેઠા હતા. છેલ્લા છ મહિનાથી ઘરની સ્ત્રીને ખૂબ જ હેરાન કરતા હતા. ગઈકાલે રાત્રે હું આવ્યો એટલે મને જોઈને પ્રેતાત્માઓ ખૂબ જ ભડકી ગયા અને ખૂબ જ ધમાલ કરી." ગુરુજી બોલ્યા.

" આપની આગળ તો એમની ધમાલ ચાલી શકે જ નહીં ને ગુરુજી." ધીરુભાઈ હસીને બોલ્યા.

" પ્રેતાત્માઓ પણ સામી વ્યક્તિની ઓરા જોઈ લેતા હોય છે. જેમની ઓરા એટલે કે આભામંડળ અત્યંત નબળું હોય એમને જ ભૂત પ્રેત હેરાન કરી શકે. મારી સાથે તો સાક્ષાત હનુમાનજીની દિવ્ય શક્તિ છે. એ ડર્યા વગર રહે જ નહીં. ક્યાં સુધી ધમાલ કરી શકે ? બે મિનિટમાં જ શાંત કરી દીધા. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી પ્રેતાત્મા કોઈને શા માટે હેરાન કરતા હશે ? " ધીરુભાઈ બોલ્યા.

" મોટાભાગે તો પ્રેતાત્મા કોઈને પણ હેરાન કરતા નથી. પરંતુ પાછલા જનમના ઋણાનુબંધથી કોઈ આત્મા જોડાયેલો હોય તો જ એ પરેશાન કરતો હોય છે. એ સિવાય કોઈ એવી મેલી જગ્યાએ વ્યક્તિ અચાનક જઈ ચડે તો પણ હલકા આત્માઓ સાથે આવી જાય છે. પ્રેતાત્માઓ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે જ્યારે પ્રકાશ અને શહેરી વિસ્તારથી એ મોટાભાગે દૂર રહે છે. " ગુરુજી બોલ્યા.

" આપ ગયા હતા ત્યાંથી પ્રેતાત્માઓ નીકળી ગયા ? " ધીરુભાઈએ પૂછ્યું.

" હા આજે સવારે જ એમને આગળ ગતિ આપી દીધી. એક પ્રેતાત્મા તો એમનો કુટુંબીજન જ હતો. વેર ઝેર અને બદલો લેવાની ભાવના મૃત્યુ પછી પણ જીવંત રહેતી હોય છે. આજના કળિયુગમાં મુક્તિમાં કોઈને રસ નથી." ગુરુજી બોલ્યા.

" ગુરુજી આપ પ્રેતાત્માઓને એકદમ પ્રત્યક્ષ જોઈ શકો છો ?" ધીરુભાઈ બોલ્યા.

" એકદમ પ્રત્યક્ષ ! જેવી રીતે હું તમને જોઈ શકું છું. તે દિવસે ગુરુપૂર્ણિમાના દિવસે તમારા સ્વ. પિતાજીના સૂક્ષ્મ શરીરને પણ હું પ્રત્યક્ષ જોઈ શકતો હતો !" ગુરુજી બોલ્યા.

એ પછી ધીરુભાઈએ કોઈ સવાલ કર્યો નહીં. સંત પુરુષોને મૌન વધારે પ્રિય હોય છે એ એમને ખબર હતી.

એક કલાકમાં જ ગાડી ઘરે પહોંચી ગઈ. ઘરના તમામ સભ્યોએ ચોખા અને ગુલાબનાં ફૂલોથી ગુરુજીનું દરવાજામાં જ સ્વાગત કર્યું. એ પછી ગુરુજી ડ્રોઈંગ રૂમમાં સિંગલ સોફા ઉપર બેઠા. પ્રશાંતની પત્ની હંસાએ ગુરુજીની આરતી ઉતારી. એ પછી અગરબત્તી સળગાવી ગુરુજીની બાજુના ટેબલ ઉપર મૂકી.

ઘરના તમામ સભ્યોએ એક પછી એક ગુરુજીની આગળ બેસી એમના ચરણોમાં માથું મૂકી પ્રણામ કર્યાં અને આશીર્વાદ લીધા.

ગુરુજીની હાજરીથી જ ડ્રોઈંગ રૂમમાં એક અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. એમની હાજરીથી મનને અપાર શાંતિ મળતી હતી અને દરેકના મનમાં સાત્વિક ભાવ જાગૃત થતો હતો !

" કૃતિ બેટા કેમ છે તું ? રાજકોટની યાદ નથી આવતી ને ?" ગુરુજી કૃતિની સામે જોઈને બોલ્યા. એ જાણતા જ હતા કે આજ કાલ કૃતિ ખૂબ જ ખુશ હતી.

" જી ગુરુજી. આપના આશીર્વાદથી ખૂબ જ સુખી છું. " કૃતિ બોલી.

" તમારો કેનેડાવાળો દીકરો શું કરે છે મનીષભાઈ ?" ગુરુજીએ મનીષની સામે જોઈને પૂછ્યું.

"જી ગુરુજી એ પણ બિલકુલ મજામાં છે. " મનીષભાઈ બોલ્યા.

" બસ બે ત્રણ મહિનામાં જ એ દીકરો તમને ખુશ ખબર આપશે કે તમે દાદા બનવાના છો. એક વર્ષની અંદર પુત્રનો જન્મ થશે. એક આત્મા એની પત્નીના ગર્ભમાં પ્રવેશવા માટે તૈયારી કરી રહ્યો છે. " ગુરુજી બોલ્યા.

" વાહ ગુરુજી. આ તો આપે એવા સમાચાર આપ્યા છે કે આજે જ પેંડા વહેંચવાનું મન થાય છે. આપ કહો એટલે ફાઈનલ જ હોય !" ધીરુભાઈ શેઠ હરખાઈને બોલ્યા.

"ગુરુજી એક સવાલ પૂછું ?" અત્યાર સુધી ચૂપ બેઠેલો અનિકેત બોલ્યો.

" બોલને બેટા. તને તો બધો જ અધિકાર છે." ગુરુજી હસીને બોલ્યા.

" આપશ્રીએ કહ્યું કે કોઈ આત્મા ગર્ભમાં પ્રવેશવા માટે તૈયાર છે. તો એ આત્મા નજીકના દિવસોમાં પ્રવેશ ના કરી શકે ? બે મહિના પછી શા માટે ?" અનિકેત બોલ્યો.

"રામચરિત માનસમાં ભગવાન રામના જન્મ સમય વિશે તુલસીદાસજીએ લખ્યું છે કે - યોગ લગન ગ્રહ વાર તિથિ...સકલ ભયે અનુકૂલ !- મતલબ કે ભગવાન રામને જન્મ લેવા માટે પણ ચોક્કસ ગ્રહ નક્ષત્રની સ્થિતિ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવી પડી હતી. માતા પિતાના ગ્રહો પ્રમાણે ગર્ભ ધારણ થતો હોય છે એટલે જ્યાં સુધી એવી ગ્રહ પરિસ્થિતિ ના સર્જાય ત્યાં સુધી રાહ જોવી જ પડે છે બેટા." ગુરુજી હસીને બોલ્યા.

" ચાલો હવે ગુરુજીને વધારે સવાલો કરશો નહીં. સાડા સાત વાગી ગયા છે. એમને હવે એમના બેડરૂમમાં લઈ જાઓ. જેથી ત્યાં બેસીને એ એમની નિત્ય પૂજા કે ધ્યાન કરી શકે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" તમે અને અનિકેત રાત્રે ૯ વાગે મારી પાસે આવજો." ગુરુજી ઉભા થતાં ધીરુભાઈની સામે જોઈને ધીરેથી બોલ્યા.

પ્રશાંતભાઈ ગુરુજીને ગેસ્ટ બેડરૂમમાં લઈ ગયા. એ બેડરૂમને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો અને સુગંધી સ્પ્રે કરવામાં આવ્યો હતો. એ જ બેડરૂમમાં સેવક માટે પણ અલગ પથારીની વ્યવસ્થા કરેલી હતી.

" સેવક માટે ભોજનની વ્યવસ્થા કરો અને ગુરુજી તો અત્યારે રાત્રે દૂધ અને ફ્રુટ્સ સિવાય બીજું કંઈ લેતા નથી એટલે અત્યારે ત્રણ ચાર ફ્રૂટ સમારીને એક પ્લેટ ગુરુજીના રૂમમાં મોકલો. અને રાત્રે સૂતી વખતે ઈલાયચી વાળું ગરમ દૂધ મોકલી આપજો." ધીરુભાઈ શેઠ મોટી વહુ હંસાને સંબોધીને બોલ્યા.

બરાબર નવ વાગે ધીરુભાઈએ અનિકેત સાથે ગુરુજીના રૂમમાં પ્રવેશ કર્યો અને બંને જણા ગુરુજીને પ્રણામ કરીને નીચે પાથરેલી જાજમ ઉપર બેઠા.

"હું તમારા સ્વ. પિતા વલ્લભભાઈનો ખાસ સંદેશ આપવા માટે જ તમારા ઘરે આવ્યો છું. એ સંદેશ તમારા આ અનિકેત માટે છે. જો મારે મુંબઈ આવવાનું ના થયું હોત તો મારે તમને બંનેને રાજકોટ બોલાવવા પડત." ગુરુજી બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED