have time? no time rewind books and stories free download online pdf in Gujarati

સમય છે? નો ટાઈમ રિવાઇન્ડ

સમય છે? નો ટાઇમ રીવાઈન્ડ

સાચ્ચે જ, સમય કિંમતી, મુલ્યવાન છે?!....આવું કોઈને પણ પૂછવામાં આવે તો જવાબ ‘હા’ જ મળે, યુ નો. જો હા હોય તો સમયની કિંમત કેટલી? શું તમને સમયની કિંમત ખબર છે?
સૃષ્ટિના સર્જનથી લઇ , આદિમાનવથી આધુનિક માનવી બન્યા ત્યાં સુધી સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું છે અને ફરતું રહેશે. તે ક્યારેય થાકતું નથી કે નથી રોકાતું. વળી આગળ ચાલ્યે જ જાય છે એટલે કહેવું પડે કે “ નો ટાઈમ રીવાઈન્ડ!...” આપણે વર્ષોથી એક કહેવત સાંભળતાં આવ્યા છીએ કે,
“ સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ! ”
અર્થ: “ગુમાવેલી સંપતિ કે લક્ષ્મી પ્રયત્ન કરી પાછી મેળવી શકાય, એકવાર દરિયામાં ગયેલું વહાણ પણ પાછુ કિનારે લઈ આવી શકાય, પણ વીતેલો સમય અને શરીરમાંથી ગયેલો પ્રાણ કદી પાછો આવતો નથી.”
વીતેલો સમય પાછો નથી આવતો એ સો ટકાની વાત છે, પણ ઈશ્વર આપણા અધૂરા કાર્ય માટે તક અથવા સમય એકવાર ચોક્કસ આપે છે. આપણી પાસે તાજું ઉદાહરણ છે બે વર્ષ અગાઉનું. વિશ્વમાં કોરોના નામની મહામારીએ ભરડો લીધો અને મહામારીને કાબુમાં લેવા લોકડાઉન થયું. એ આપણા માટે એક તક લઈને આવી. ઈશ્વરે આપણને એક સમય ફાળવ્યો. હા બહાર નીકળી ના શક્તા, પરંતુ ઘરમાં રહી ઘણાનાં કાર્યો પૂર્ણ થયાં. જેમને વાંચવાનો અને લખવાનો શોખ છે, જેમને પરિવાર સાથે સમય વિતાવવો હતો, બાળકો સાથે નવી નવી રમત રમવી હતી તે સૌને ભરપુર સમય મળ્યો. તેના માટે લોકડાઉન વરદાન સ્વરૂપ ફળ્યું!!...
આજે સમગ્ર વિશ્વ એ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતી કરી છે. વિવિધ મશીનરી અને ટેકનોલોજીના ઉદ્ભવના કારણે જે કાર્યમાં પુષ્કળ સમય વેડફાતો તે કાર્ય ગણતરીની કલાકોમાં અને તે પણ બમણું થઈ રહ્યું છે, છતાં આજના યુગમાં કોઈને પણ પૂછવામાં આવે કે, “તમારી પાસે સમય છે?”(હેવ યુ ટાઇમ?) તો જવાબ એક જ મળશે.” મારી પાસે સમય નથી!!... ખરેખર સમય નથી?
“ સમય નથી એમ ના કહો, એમ કહો કે મેનેજમેન્ટ નથી,કેમકે સમય તો બધાં પાસે ચોવીસ કલાકનો જ હોય છે!” ~ અજ્ઞાત
ઉપરોક્ત વિધાન જેણે પણ કહ્યું છે તે સો ટકા સાચું છે તે માનવું પણ પડે. કારણકે ઈશ્વરે કોઈને એક કલાક ના વધારે કે ના ઓછી આપી છે. તો પ્રશ્ન એ થાય કે “ શા માટે સમય નથી? સમય ક્યાં વિતાવીએ છીએ આપણે ? મનમાં નક્કી કરેલ કાર્ય પૂર્ણ ના થાય ત્યારે એક બહાનું આપણી પાસે તૈયાર જ સાંભળવા મળે “ સમય ના મળ્યો.” “શા માટે?” ખરેખર આપણે આપણી લાઈફમાં એટલા વ્યસ્ત થઇ ગયા છીએ કે, આપણે ઘણીવાર લોકોને એમ પણ બોલતા સાંભળીએ છીએ કે, “મારી પાસે તો મરવાનોય ટાઈમ નથી!!” “ શું આપણને ઈશ્વરે આપેલી ચોવીસ કલાક ઓછી પડે છે? કે પછી એવું લાગે છે કે ‘ વિશ્વના સફળ લોકો પાસે આપણા કરતા તેની પાસે વધારે કલાક છે?” આમ જોવા જઈએ તો વર્ષોથી એક નિયમ પાક્કો અને અટલ છે કે, ચોવીસ કલાક = એક દિવસ અને ૩૬૫ દિવસ = ૧ વર્ષ. આ બધાં માટે સરખું છે. તેમાં કોઈ ભેદભાવ નથી. તો પછી આપણે કઈ રીતે એમ કહી શકીએ કે,” મારી પાસે સમય નથી કે મને સમય મળતો નથી!” આ માત્ર મારા કે તમારા જ નહી,પણ સૌ કોઈની જીભે આવી જતું વાક્ય છે! આવું શા માટે? તો ચાલો આ તમામ સવાલોના જવાબ આપણે વિગતવાર જાણીએ.
સૌપ્રથમ વાત દિનચર્યાની કરીએ તો એક ટાઇમટેબલ પ્રમાણે જોઈએ તો, સવારે ઉઠી, સ્નાનાદિક કાર્ય પતાવી, નાસ્તો કરીએ, ઓફિસે, કામધંધે જઈએ, બપોરે લંચ લઈએ, થોડો આરામ કરી ફરી કામ શરુ કરીએ, સાંજે ઘરે આવી ફ્રેશ થઈ જમીએ અને સુઈ જઈએ. આ જરૂરી દિનચર્યા થઈ. હવે પહેલા ઉંઘ માટેની વાત કરીએ તો દરેક ઉમરનાં વ્યક્તિ માટે એક ચોક્કસ સમય છે.
ઉંમર દરરોજ ઉંઘનો સમય
૦-૩ મહિના ૧૪ થી ૧૭ કલાક
૪-૧૧મહિના ૧૨ થી ૧૫ કલાક
૧-૨ વર્ષ ૧૧ થી ૧૪ કલાક
૩-૫ વર્ષ ૧૦ થી ૧૩ કલાક
૬-૧૩વર્ષ ૯ થી ૧૧ કલાક
૧૪-૧૭ વર્ષ ૮ થી ૧૦ કલાક
૧૮-૨૫ વર્ષ ૭ થી ૯ કલાક
૨૬-૬૪ વર્ષ ૭ થી ૯ કલાક
૬૫ ૭ થી ૮ કલાક
જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાઇકોલોજીનાં જણાવ્યાનુંસાર ‘ જો બે દિવસ બે કલાકથી ઓછી ઉંઘ લેવામાં આવે તો ગુસ્સો વધવા લાગે, અપૂરતી ઉંઘથી એંગ્ઝાયટી (ચિંતા), થાક, તણાવ અને દુઃખની ભાવના વધે છે. જેના કારણે ગુસ્સો વધે, સતત તણાવની સ્થિતિથી કોર્ટીસોલ હોર્મો વધવા લાગે, જે બ્લડપ્રેશર વધારે, જે ગુસ્સાનું મુખ્ય કારણ છે એટલે દરરોજ ૭ થી ૯ કલાકની ઉંઘ જરૂરી છે. સરવાળે ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઉંઘના ગણીએ તો બાકી વધી ૧૬ કલાક. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટેનો અંદાજીત સમય ગણીએ તો બે કલાક. વધી ૧૪ કલાક. જેમાંથી આપણે સામાન્ય રીતે આઠ કલાક કામ કરીએ છીએ એટલે બાકી બચી ૬ કલાક. ...( રોજની ૩૦ મિનીટની કસરત માનસિક તણાવ અને ગુસ્સો ઘટાડવામાં ઘણી મદદરૂપ થાય છે. તે ૩૦ મિનીટ પણ ઉંઘ નાસ્તો અને જમવાનાં કુલ સમયમાં જ આવી ગઈ.) એટલે આપણી પાસે સમય બચ્યો ૬ કલાક એટલે ૩૬૦ મિનીટ એટલે ૨૧,૬૦૦ સેકન્ડ આ જોઇને ખરેખર આશ્ચર્ય થાયને કે આપણી પાસે આટલો બધો સમય બચે છે!!... હવે આપણે એ જાણીએ કે આ સમય જાય છે ક્યાં?

૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ આપણી સુખ સુવિધામાં વધારો કરતા ડીવાઈસનો ઉદ્ભવ થયો. અમેરિકન એન્જિનિયર માર્ટીન કૂપરે શોધેલ ડીવાઈસ એટલે મોબાઈલ. એ મોબાઈલ જે પહેલા ટેલીફોન હતો. ધીમે ધીમે તેનું સ્વરૂપ બદલ્યું અને આપણા ખિસ્સામાં સ્થાન મેળવી લીધું. ૧૯૭૩માં બનેલ મોટોરોલા કંપનીના મોબાઈલની કિંમત લગભગ ૨૭૦૦ યુ.એસ. ડોલર એટલે કે ૨ લાખ જેટલી હતી!!..
આપણા દેશમાં ૨૩ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ પહેલો સેલ્યુલર મોબાઈલ ફોન આવ્યો હતો. જે મોબાઇલે આજે ઘરે ઘરે સ્થાન મેળવી લીધું છે. માણસની જરૂરીયાત ‘રોટી, કપડાં, અને મકાન’ હવે ‘મોબાઈલ’ પણ! મોબાઈલ ઉપયોગી સાધન છે, જો સમજી વિચારીને વાપરીએ તો , બાકી અત્યારે તો આપણે મોબાઈલને નહી, પણ મોબાઈલ આપણને વાપરી રહ્યો છે, તેમ કહેવામાં જરાય નવીનતા નથી. શા માટે આવો જાણીએ...
સાઈબર મીડિયાના રિસર્ચમાં જણાવ્યાનુંસાર લોકો મોબાઈલ જોવામાં વર્ષના ૧૮૦૦ કલાક બરબાદ કરે છે. સરેરાશ દરરોજ પાંચ કલાક સમય વિતાવે છે. બીજી નાવીન્યસભર વાત એ છે કે મોબાઈલ પર સમય પસાર કરવામાં ભારત ત્રીજા ક્રમે છે! (ખરેખર આપણે આને પ્રગતી કરીએ છીએ એમ કહેશો?)
મોબાઈલનું સંશોધન થયું ત્યારે આટલો વપરાશ નહોતો, તેની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે ત્યારે લોકો જરૂરી કોલ કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા. તે સમય એવો હતો કે અત્યારે આપણે ત્રણ મહિનાનું રીચાર્જ કરીએ છીએ તેટલાંમાં ખાલી સીમકાર્ડ આવતું! પૂછજો તે સમયનાં વડીલોને.
ધીમે ધીમે સમય જતાં મોબાઈલમાં પ્રવેશ કર્યો એક જાદુઈ ચિરાગે....એટલે કે ઈન્ટરનેટ. આજે ઈન્ટરનેટના માધ્યમ થકી ઘણી માહિતી મેળવી શકીએ છીએ, મેસેજ મોકલી શકીએ છીએ.મતલબ ઘણું કરી શકીએ છીએ.
મોબાઈલમાં ઈન્ટરનેટના આગમન પછી તેનો ઉપયોગ વધ્યો. આજથી આઠ વર્ષ અગાઉની વાત કરવામાં આવે તો સાલ ૨૦૧૫માં વ્યક્તિ સરેરાશ ૮૦ મિનીટ મોબાઈલ ઈન્ટરનેટ પર ગાળતી. ધીમે ધીમે વધીને ૧૩૦ મિનીટ થઈ. વૈશ્વિક મીડિયા વપરાશમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ ૨૦૨૧માં ૨૭ ટકા હતો જે ૨૦૨૨માં ૩૧ ટકા થયો. ૨૦૧૯માં પ્રતિ માસ ૧૨ જીબી ,૨૦૨૦માં ૧૩.૩ જીબી અને ૨૦૨૧માં ૧૮.૪ જીબી ડેટાનો વપરાશ કર્યો. આ ઉપરથી કહી શકાય કે આજના સમયમાં આપણે મોબાઈલનો નહી,પરંતુ મોબાઈલ આપણો ઉપયોગ કરી રહ્યું છે!!...
માત્ર પાંચ- દસ મિનીટ માઈન્ડ ફ્રેશ કરવા હાથમાં લીધેલ મોબાઈલ આપણી ઘણી મિનીટ અને ક્યારેક તો કલાક પણ ગળી જાય છે!!....
આનું પરિણામ એ આવ્યું કે છાપાં અને મેગેઝીન વાંચવામાં સમયનો ઘટાડો આવ્યો. ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ૧૭ મિનીટથી ઘટી ૧૧ મિનીટ થયો અને મેગેઝીન વાંચવાનો સમય આઠ મિનિટથી ઘટી ચાર મિનીટ થયો. મતલબ આજનો માણસ વાંચનથી ધીમે ધીમે દુર થઈ રહ્યો હોય તેવું પણ કહી શકાય.
કલાક સામે મિનીટ અને મિનીટ સામે સેકન્ડ નાની લાગે, પણ ૬૦ સેકન્ડમાં શું થાય છે તે જુઓ.
૧૨ કરોડ રૂપિયા ઓનલાઈન ખર્ચાઈ જાય છે.
૭ કરોડ વ્હોટ્સઅપ મેસેજ સેન્ડ થાય છે.
૨૮૦૦૦ લોકો નેટફ્લિક્સ જુએ છે.
૬,૯૫૦૦૦ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી શેર થાય છે.
૧૯.૭૦ કરોડ ઈ-મેઈલ સેન્ડ થાય છે.
૫૦૦ યુ-ટ્યુબમાં ક્લાકનું કન્ટેન્ટ ડાઉનલોડ થાય છે.
આ તમામ આંકડા જુના છે, પણ આજના સમયનો અંદાજો આના પરથી લગાવી શકીએ કે અત્યારે આનાથી વધારે જ હોવાના.
મોબાઈલ જરૂરી વસ્તું છે, નો ડાઉટ, પણ સમય બચવા ના દે તે ખોટી વાત છે. મોબાઈલના માધ્યમથી દુર રહેતા લોકોનો સંપર્ક કરી શકીએ છીએ, પણ આપણાથી આપણે કેટલાં દુર થઈ ગયાં છે તેની ખબર છે. “ આજનો માણસ ટેક્નોલોજીની સાથે દૂરના વ્યક્તિ સાથે ભલે કનેક્ટ થઈ નજીક ગયો, પરંતુ નજીકમાં છે તેનાથી ઘણો દૂર થઈ રહ્યો છે!!...”
આજે ઘરના દરેક સભ્ય પાસે મોબાઈલ છે અને એકસાથે એક જગ્યાએ જ આખો પરિવાર હોવા છતાં જુદા છે, કારણકે દરેક પોતાના મોબાઈલમાં મશગૂલ છે. વર્ષો પહેલાં કોઈને કંઈપણ સંદેશ મોકલવો હોય તો ઘણો સમય લાગતો પણ, આજે કોઈ પણ સંદેશાવ્યવહાર કરવા માટે સેકન્ડ લાગે છે. ફરક એટલો છે કે ત્યારે પત્ર લખતાં તેમાં શાહીમાં પ્રેમ, લાગણી ભળતી. આજે પણ ઉમેરાતી હશે, પણ તેના જેટલી નહી.
આજે ફેસબુક અને વ્હોટ્સઅપમા આપણી પાસે ઘણા મિત્રો છે, પણ પાસે નહી. દરરોજ મિત્રોને મળવાની, પરિવાર સાથે થોડોક સમય વિતાવવાની મજા જ કંઇક અલગ હોય છે. થોડીક પળની વાતો પણ દિવસભરના થાકને પળમાં દુર કરી દે છે.
આપણી પાસે સમય નથી એ માત્ર પોકળ બહાનું જ છે. સમય છે, પણ આપણને તેની કિંમત નથી. જાણીતા નાટ્યકાર શેક્સપિયર તો એમ કહે છે કે, “ મેં સમય બરબાદ કર્યો, આજે સમય મને બરબાદ કરી રહ્યો છે.”
આપણે દિવસભર ઘણા એવા દ્રશ્યો જોઈએ છીએ કે, જે જોયા પછી લાગે કે ખરેખર સમય નથી?!... આજે ચાર રસ્તાના સિગ્નલ પર ગ્રીન લાઈટ થવાની રાહ જોવાનો પણ ઘણા પાસે સમય નથી. બહાર જવા માટે મોડાં નીકળીએ અને પછી જલ્દી પહોંચવા માટે વાહન ચલાવવાની ઝડપ રાખીએ તેના કેવા ઘાતક પરિણામો આવે છે તે આપણે સૌ જાણીએ છીએ.
સમય એટલે ખોબામાં ભરેલ પાણી. જેમ ટીપે ટીપે પાણી હાથમાંથી સરકી જાય તેમ સમય પણ આપણી પાસેથી સરકી રહ્યો છે. સમય નથી તેનું બીજું કારણ આપણી પાસે મેનેજમેન્ટ નથી. નથી આજે આપણી પાસે સમય પોતાના પરીવાર કે પોતાની જાત માટે.
“ જબ હમ રિશ્તો કે લિયે વક્ત નિકાલ નહી પાતે
તબ વક્ત હમારે બીચ સે રિશ્તો કો નિકાલ દેતાં હૈ!”
~અજ્ઞાત
જીવનનું એક પરમ સત્ય એટલે મૃત્યુ. જેને કોઈ ઈચ્છે તો પણ ટાળી નથી શકતું. જ્યારે ખબર પડે કે હવે ઘડી બે ઘડી ...ત્યારે બસ ઈચ્છા પુરતી નાં થયાનો અફસોસ રહી જાય છે. મનોમન કેટલુય ના કરી શક્યાનો પસ્તાવો થાય છે. ત્યારે એમ થાય કે “ કાશ આપણે ટાઈમ રીવાઈન્ડ કરી શકતા હોત તો?!...” બટ ઈટ ઈઝ નોટ પોસિબલ.
આપણે ટાઈમને રીવાઈન્ડ નથી કરી શકતા માટે ઈશ્વરે આપણને જે સમય આપ્યો છે તેનો સદુપયોગ કરીએ. જીવન મોજ- મસ્તીથી વિતાવીએ. ફરી ફરી નહી સમય મળે કે નહી જિંદગી.
અંતમાં ૧૯૮૦માં રીલીઝ થયેલ મુવી ‘ધ બર્નિગ ટ્રેન’ નો ખૂબ જ સુંદર ડાયલોગ:
“ મોતને જિંદગી કો વક્ત હી કબ દિયા હૈ, જિંદગી હમેંશા હાર કી બાજી લડતી હૈ ઔર જીતતી હૈ...”
************
સાગરમંથન : માનવમન ઘણી એષણાઓનો ભરેલો પટારો છે. જેમાં ઘણી ઈચ્છા પૂરી થઈ જાય તો ખુશ અને નાં થાય તો કહી દઈએ કે ‘સમય ના મળ્યો! ’



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED