Pavagadh Darshan books and stories free download online pdf in Gujarati

પાવાગઢ દર્શન

પાવાગઢ માતાજીનાં દર્શને જાઓ ત્યારે....

સૌને જય માતાજી....
પાવાગઢમાં બે મહત્વના ડુંગર છે.એક ડુંગર ઉપર મહાકાળી માતનાં બેસણા છે.
બીજા પૂર્વ તરફ ડુંગર ઉપર "મહાકાળી" માતાની બહેન "ભદ્રકાળી"નાં બેસણાં છે.ભદ્રકાળી માતાના ડુંગર ઉપર જવા માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી.કઠિન પગદંડીથી ડુંગર ઉપર જવુ સાહસિક ભક્તોનું કામ છે.એટલે ત્યાં જવા યાત્રિકો ભાગ્યેજ જોવા મળે છે.
પાવાગઢ જવા માટે ચારે બાજુથી મોટાં તમામ શહેરોથી મુખ્ય ધોરીમાર્ગની સગવડ છે.બીજું મહત્વનું કે ત્યાં જવા માટે દરેક ડેપોની ડાયરેક્ટ એસ.ટી.બસની યાતાયાત છે.અગાઉ રિઝર્વેશન કરાવી જઈ શકો છો.જો પોતાનાં વાહનથી જવુ હોય તો એક દિવસ શાંતિથી રોકાય તે રીતે જાઓ તો પાવાગઢ ફરતે ઘણાં જોવાલાયક સ્થળો છે.તે જોઈ શકાયઃ હાલોલ ખાતે નિમેટા ગાર્ડનમાં અનેક ગુજરાતી ફિલ્મનું શુટીંગ થયેલું છે અને થાય છે.આ સ્થળોમાં ખાસ કરી ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા ચંપાનેર સ્ટેટનો મજબૂત બંધાયેલો કિલ્લો આજે પણ તેની મજબૂતાઈની સાક્ષી છે.અમદાવાદના મહમંદ બેગડા દ્વારા પાવાગઢના જયરાજવીજયસિંહ(પતાઈ રાજા)ની પાસેથી છળકપટ વડે આ રાજાની જાણ બહાર પાવાગઢ ઉપર ઓચિંતી ચડાઈ થતાં રાજાને કમોતે મરવું પડ્યું.સાથે તેના સાથી મંત્રી સંત્રીઓએ સહાદત વહોરી તેમાંના ઘણાં પૂર્વના જંગલો અને સાતપુડાના જંગલોમાં જતા રહ્યા.તેમની આશરે 300 રાણીઓએ પથ્થર પર પડી પ્રાણ ત્યાગ કર્યો.અને રાજા પતાઈ ખુદ તેની બંદૂક વડે જાતે બંદૂકની પગના અંગુઠો ટીગરમાં ભરાવી ગળાના આગળના ભાગે ગોળી ખાઈ આત્મહત્યા કરી શહીદી વહોરી.અને આ હિન્દૂ આખરી રાજા સાથે પાવાગઢ બાદશાહના હાથમા જતાં ચંપાનેર રાજ્ય હિન્દૂ રાજવીઓએ ગુમાવી દીધું.
આ કિલ્લાને થોડું ઝીણી નજરે જોશો તો હિન્દૂ રાજવીઓની સંસ્કૃતિ તેમજ કિલ્લાની અંદર અલગ અલગ દેવ દેવીઓની દેરીઓ નાનાં મંદિર આજે પણ મોજુદ છે.બાદશાહના શાશન વખતે તેમણે ફરી કિલ્લાની દીવાલોને સમરાવી હતી.લોકશાહી(1947) પહેલાં ગાયકવાડી શાસન હતું.
મહાકાળી માતાના દર્શને જાઓ તો હવે ઘણી બધી માનવોસર્જિત સગવડ છે.ધર્મશાળા,હોટેલ નાનાં મોટાં ઉદ્યોગ અને ધંધાદારી માટે પાવાગઢ મહત્વનું શહેર થતું જાય છે.
માતાજીનાં ડુંગર પર જવા પગપાળા પગથિયાં પથ પણ 10 ફૂટ જેટલો પહોળો અને અલગ અલગ જવા આવવા વચ્ચે ગ્રીલ અને પગથીઓ 5 ઇંચ જેટલી નાની સાઈઝની બનાવી છે.તેમજ આ પગથિઓની બન્ને બાજુ પથ્થરની સરસ બેઠક બનાવી છે,જેથી વિસામો ખાતાં ખાતાં યાત્રિકો ડુંગર ઉપર ચડી ઉતરી શકે.સાથે સાથે ડુંગર ઉપર "માંચી"નામના બસ સ્ટોપ પોઇન્ટ પરથી માતાજીના ડુંગરની ટોચ પાસે રોપવે (ઊડન ખોટોલા)ની વ્યવસ્થા છે.જેનું અમે ગઈ કાલે ગયા ત્યારે 150 ₹ જવા આવવાનું ફિક્સ ભાડુ લીધું હતું.યાત્રિકોનો ઘસારો તહેવારોમાં વધુ હોય છે.આપ જાઓ તો તહેવાર સિવાયનો સમય પકડશો તો હોટલ,ધર્મશાળા થોડું સસ્તું પડશે અને શાન્તિથી દર્શનનો લ્હાવો મળી રહેશે.માતાજીના મંદિર ફરતે પરિસરમાં હવે બાંકડાથી માંડી ફર્શની સુંદર વ્યવસ્થા છે.તમે શાંતિથી ત્યાં બેસી દર્શન કે ડુંગરનું દ્રુષ્ય નિહાળી શકો છો.
ત્યાં થોડે નીચે દુધિયા તળાવની ફરતે પગપથ બનાવી છે,જેને ત્યાં ટહેલવું હોય કે બજારની કટલરી કે બાળકો માટે રમકડાં ખરીદી કરવી હોય તો આરામથી થઇ શકે છે.
થોડું દુઃખ એ છે કે માંચી થી મંદિર સુધી બન્ને બાજુ અને પગથિયાં ઉપર અનેક પ્રકારનો કચરો ખાસ કરી પ્લાસ્ટિક બોટલો અને પેકેટના નકામા કાગળ વડે યાત્રિકો ખુબ ગંદકી કરે છે.સાથે માલ ઉપર લઇ જવા ગધેડા(Donky)નો ઉપયોગ થાય છે.આ નિર્દોષ પ્રાણીની રીતસર મને દયા આવી.
જાગૃત ટ્રસ્ટને વિનતી કે કચરા પેટી દરેક ઠેકાણે મૂકી અને સતત તે કચરાના નીકાલની વ્યવસ્થા ગોઠવવી પડશે.કોઈ પરદેશી ટુરિસ્ટ આવી આ જોઈ જાયતો આપણા દેશની ઇમેજ ખરામ કરે તે દરેક ભારતીય માટે શરમજનક છે.માટે કચરાને યોગ્ય જગ્યાએ નાંખે, નાસ્તા કે પાણીની પાઉચ/બોટલો યોગ્ય જગ્યાએ નાખવાની કડક હાથે જરૂર છે.
ધર્મશાળાઓ અને હોટલો તમારા ખિસ્સાને પરવડે તે પ્રકારે સગવડ આપે છે.
વરસમાં અનેક પદયાત્રી સંઘ અન યાત્રિકો સતત ચાલ્યા કરે છે.અતૂટ શ્રદ્ધાનાં દર્શન પણ થાય છે.કોઈ દંપત્તિ પોતાનું તાજું બાળક લઇ ચાલતાં માતાજીનાં આશીર્વાદ લેવા જતાં જોઈ શકાય છે,તો ક્યાંક દંડવત પ્રણામ કરતાં પગથિયાં ચડતા ભક્તો/માનતાઓવાળા તમને જોવા મળશે.એક ભાઈને હાથ અને ઢીંચણમાં લોહી નીકળતું હોવા છતાં નિઃસંકોચ હસતે મુખે માતાજી દર્શનની તાલાવેલી દેખાતી હતી.
આવાં અનેક ચમત્કારો તમને જોવા મળશે.હું નર્મદાની ઉત્તર ગુજરાત તરફ આવતી(કપડવંજ તરફ) કેનાલેથી ગયો હતો.કેનાલની બન્ને બાજુ સરસ મજાની લીલી વનરાઈ અને મંદ મંદ પવનની મજા માણવાનો લ્હાવો મળ્યો.પવિત્ર નર્મદા મૈયાના કલકલ કરતાં પાણીમાં વમળ અને ક્રોસરોડ પર પડતા પાણીના ધોધની સેલ્ફી લેવાની મજા પડી ગઈ.પોતાની કાર હોય તો કેનાલ પર ટ્રાફિક વગર પ્રવાસ માણવાની મજા આવશે.પ્રવાસમાં માર્ગ પર કીટલીથી માંડી નાની મોટી નાસ્તા કે જમવા માટે લોજ હોટલ પણ મળશે.પેટ્રોલ પંપ પણ મળી રહેશે.આટલી માહિતી તમને પ્રવાસ કરવામાં પૂરક બનશે તેવી આશા સાથે જય માતાજી ગુડ નાઈટ.(તા.04/11/2022)
-સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED