chor machaye shor books and stories free download online pdf in Gujarati

ચોર મચાયે શોર

ચોર મચાયે શોર
-રાકેશ ઠક્કર
એ જાણીને નવાઇ લાગશે કે શશી કપૂરે ફિલ્મ 'ચોર મચાયે શોર' (૧૯૭૪) નું જે ગીત બેકાર માનીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. નિર્માતા એન.એન. સિપ્પીએ અશોક રૉયના નિર્દેશનમાં 'ચોર મચાયે શોર' નું નિર્માણ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર નહીં હોય કે ગીત-સંગીતને કારણે આ ફિલ્મ યાદગાર બની રહેવાની છે. આ ફિલ્મની સફળતાને કારણે નિર્માતા એન.એન. સિપ્પીએ એ જ કલાકારો અને સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે સી.પી. દીક્ષિતના નિર્દેશનમાં 'ફકીરા' (૧૯૭૬) બનાવી હતી. એનું પણ ગીત-સંગીત લોકપ્રિય થયું હતું અને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેને શ્રીકાંત- જયાપ્રદા સાથે 'ડોંગાલાકુ ડોંગા' નામથી તેલુગુમાં બનાવવામાં આવી હતી. જ્યારે 'ચોર મચાયે શોર' ની તેલુગુમાં 'ભાલે ડોંગાલુ' નામથી રીમેક બની હતી. જીતેન્દ્રએ 'ચોર મચાયે શોર'ની હીરોઇન તરીકે મુમતાઝને લેવાનો આગ્રહ કર્યો હતો. અગાઉના વર્ષોમાં બી ગ્રેડની હીરોઇન ગણાતી હોવાથી મુમતાઝ સાથે કામ કરવાનો ઇન્કાર કરનાર જીતેન્દ્રએ તેની લોકપ્રિયતાને કારણે જીદ કરીને પહેલી વખત તેને પોતાની સાથે હીરોઇન લેવા કહ્યું હતું. જોકે, 'ચોર મચાયે શોર' પછી મુમતાઝે ત્રણ જ ફિલ્મો આપ કી કસમ, પ્રેમ કહાની અને 'આઇના' કરીને અભિનયમાં વિરામ લઇ લીધો હતો. 'ચોર મચાયે શોર'ના ગીત-સંગીતની જવાબદારી સંજીવકુમારના કહેવાથી એન.એન. સિપ્પીએ રવિન્દ્ર જૈનને સોંપી હતી. પરંતુ જે ગીતનું સંગીત સિપ્પીને ગમતું એ અશોક રૉયને ગમતું નહીં. રવિન્દ્રએ ઘણી ધૂન તૈયાર કરી આપી ત્યારે એમાંથી પાંચને તેમણે પસંદ કરી હતી. એમાંનું કિશોરકુમારે ગાયેલું 'ઘૂંઘરું કી તરહ' તો એમને ભારે લોકપ્રિયતા અપાવી ગયું હતું. આ ગીત પછી જ કિશોરકુમારને ગાયનમાં ખરી સફળતા મળી હતી. ફિલ્મના અન્ય ગીતો એક ડાલ પર તોતા બોલે, પાંવ મેં ડોરી, યે મેરા જાદૂ અને 'આગરે સે ઘાઘરો મંગા દે' તો હિટ થયા જ હતા પણ 'લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે' સૌથી વધુ લોકપ્રિયતા લઇ ગયું હતું. આજે પણ લગ્ન પ્રસંગે ઇન્દ્રજીત સિંહ તુલસીએ લખેલું આ ગીત એટલા જ ઉત્સાહથી અચૂક વગાડાય છે.
નવાઇની વાત એ છે કે શશી કપૂરને આ ગીત પહેલાં જરાપણ ગમ્યું ન હતું. એ પ્રસંગને મનોજકુમારે યાદ કર્યો હતો. ત્યારે મનોજકુમાર અને શશી કપૂર 'રોટી કપડાં ઔર મકાન' માં સાથે કામ કરતાં હતા. બંને વચ્ચે સારી દોસ્તી હતી. એક દિવસ મનોજકુમાર 'ચોર મચાયે શોર' ના સેટ પર શશીને મળવા ગયા. ત્યાં જઇને જોયું તો શશી ગુસ્સામાં હતા. અને જે ગીતનું શુટિંગ કરી રહ્યા હતા તેનાથી ખુશ ન હતા. શશીએ મનોજકુમારને આવેલા જોઇ કહ્યું:"બોગસ હૈ યે ગાના" અને પછી મનોજકુમારને એ ગીત સાંભળવા કહ્યું. મનોજકુમારને રવિન્દ્ર જૈનના સંગીતવાળું એ ગીત રિવાઇન્ડ કરીને સંભળાવવામાં આવ્યું. જેવું ગીત પૂરું થયું કે મનોજકુમારે કહ્યું કે,"યાર, ગાના સુપરહિટ હૈ" અને શશી કપૂરે માનોજકુમાર પર વિશ્વાસ મૂકી નિર્દેશક અશોક રૉયને ગીતનું શુટિંગ શરૂ કરવા કહી દીધું. કિશોરકુમાર અને આશા ભોંસલેએ ગાયેલું 'લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે' શશીની કારકિર્દીનું ચાર્ટબસ્ટર ગીત સાબિત થયું. હિટ ગીતોને કારણે એ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં 'ચોર મચાયે શોર' બીજા સ્થાન પર રહી. વર્ષો પછી નિર્દેશક આદિત્ય ચોપડાએ શાહરૂખ-કાજોલની જોડી સાથે આ ગીત પર આધારિત ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' બનાવવાનું નક્કી કર્યું અને આનંદ બક્ષીને ગીતો લખવાનું કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે આ ટાઇટલ પરથી ફરી એવું ગીત લખાવવાનો મારી પાસે આગ્રહ ના રાખશો. કેમકે 'લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે' એક એવું ક્લાસિક ગીત છે જેને ફરી બનાવી શકાશે નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED