Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 27

વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે.

મારા મતે વિધાર્થી જીવન એક કોરી નોટબુક જેવું છે. આ નોટબુકમાં સારા શીક્ષકો રૂપી કલમથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો આ નોટબુક ભવિષ્યમાં એક શ્રેષ્ઠ પુસ્તક બનીને અનેક લોકોના ભવિષ્યને સુધારે છે. એટલે જ મે લખ્યું છે કે,
"જીવન એક પુસ્તક છે, તેને સજાવીને રાખજો,
ખુશીઓથી તેને મઢાવીને રાખજો,
સુખ દુઃખના પાનાં તો ફાટતાં જ રહેશે,
આ પુસ્તકને હૈયેથી સાચવીને રાખજો."
~કિશન અવકાશ.

અહીં દસમાં ધોરણમાં જન્માષ્ટમીના તહેવારની રજાઓ હતી.

"હાય કાજલ, શું કરે છે?"

"ઓહો આજ તો ભવિષ્યના ધી વોઇસ ઓફ ગુજરાતે અમને યાદ કર્યા."

"હા, કેમ? ના કરી શકાય?"

"કરાય હો. એ તો કહે તારું ફાઈનલ ક્યારે છે?"

"બસ 31 તારીખે. ચાર મહિનાનો સમય આપ્યો એ લોકોએ પ્રેક્ટિસ માટે."

"હા, તારે તો આમ પણ ફાયદો જ છે ને."

"પણ યાર હવે ટ્રોફી લેવા માટે મારા હાથ થનગની રહ્યા છે, ધી વોઇસ ઓફ ગુજરાતની ચમચમતી ટ્રોફી પણ મારા આ કોમળ અને માસૂમ હાથોમાં આવવા માટે તડપી રહી હોય એવું લાગે છે."

"ઓહો! તું આ ટ્રોફી મેળવીશ. એવું લાગે છે કે તું વોઇસ ઓફ ઇન્ડિયા પણ બનીશ."

"હા યાર, અહીંયા મેં સ્વપ્નાઓ તો ઘણાં જોઈને રાખ્યા છે. તને ખબર છે? કાલે રાત્રે એક મસ્ત સપનું આવ્યું. મેં ફાઈનલ રાઉન્ડમાં પર્ફોર્મ કર્યું, હજુ હોસ્ટ રિઝલ્ટ આપવાના જ હતાં કે..."

"શું થયું પછી?"

"હું ધડામ દઈને બેડ પરથી નીચે પડી અને સપનું તૂટી ગયું."

"ઓહ, અઘરો કેસ છે હો તું પણ."

"હા, એ તો છું જ. આ વાક્ય મારા મમ્મી રોજ બે વાર તો કહે જ મને."

"આપણે ક્યાંય બહાર ફરવા જઇએ તો બધાં?"

"પણ આ ઓનલાઇન બીમારીનું શું?"

"એ તો પછી ભણી લેશું યાર, પણ થોડું એન્જોય તો કરીએ."

"ઠીક છે, ગ્રુપમાં મેસેજ કર, જે લોકો સહમત હશે એ રિપ્લાય આપશે."

"ઓકે, ત્યાં જ નક્કી કરીએ. ચાલ, મળીએ પછી."

"ઓકે, બાય, ટેક કેર."

આ વિદ્યાર્થી અવસ્થા એટલે ગજબની અવસ્થા. આ અવસ્થાને થોડી લાલચ તો હોવાની જ. ભણતરથી છુટકારો મેળવવા માટે વોટ્સેપ ગ્રુપ પર આજે ઓનલાઇન સંસદ બેઠક ભરાણી હોય તેવું લાગી રહ્યું હતું. બધાં લોકો ત્યાં હાજરી પુરાવી ચૂક્યા હતા. બહાર ફરવા જવાના આ પ્રસ્તાવ પર છ સહમતીઓ આવી. બે મિત્રોએ ના પાડી અને બીજા બે મિત્રોનો કોઈ જ ઉતર આવ્યો નહોતો.

મિત્રો, આ દિવસોમાં વિદ્યાર્થીઓને મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં ૫હેલાં હજાર વખત વિચારે. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન ૫રમાત્માનો જ સંગ કરો. સદ્દવિચારોની નોટબુક બનાવો. જ્યારે ૫ણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન-મનન કરો.

છેલ્લે આ છ લોકો વન ડે સિટી પિકનિક કરશે એવું નક્કી કરવામાં આવ્યું. આ વન ડે સિટી પિકનિક એટલે શહેરમાં હરવું ફરવું અને મોજ કરવી. શોપિંગ મોલ ફરવાથી માંડીને કોઈ મસ્ત મજાનું ગુજરાતી ફિલ્મ જોવા સિનેમા હોલના દર્શન કરવા. અંતે રેસ્ટોરન્ટમાં જઈને ઠુસવું.

આ વન ડે પિકનિક નો આનંદ માણ્યા પછી બધાં ખૂબ જ રિલેક્સ થઈ ગયા હતા. દેવાંશી, કિશન, મનાલી, કાજલ, ધારા અને અમિત.
આ લોકોએ ખુબ જ ધમાલ કરી.

સિનેમા વખતે ચિચિયારીઓ પાડી, વિવિધ અવાજો કર્યા, મોજ મસ્તી કરી અને પરત ફર્યા.

રજાઓ પૂરી થઈ ગઈ હતી, હવે સપ્ટેમ્બર મહિનો નજીક આવી રહ્યો હતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. સપ્ટેમ્બર મહિનો આવે એટલે શિક્ષકોને એક દિવસ ફરીથી માન મળશે.
આ વખતે આ શિક્ષક દિવસની ઊજવણી કેવી રીતે થશે?

જાણીશું આગળના ભાગમાં.

દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી ૫સાર થઈ રહ્યો છે, જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદ્દભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખશાંતિની સંભાવનાઓ સાકાર થાય છે.

સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર-વિહાર, સૂવા-જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે.

મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી, શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે, જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીનભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. જે વિદ્યાર્થીઓનાં લક્ષણો ભણવાનાં હોય છે, તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં ૫ડતા નથી.

આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુ૫યોગ, સમયનું સંનિયોજન અને સદુ૫યોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન ૫રિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સત્સંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્ગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે, જેના દ્વારા તેનું ભવિષ્ય,સોનેરી અને શાનદાર બની જશે.

આવતો અંક :- શિક્ષક દિન વિશેષ

મળીએ આવતાં અંકમાં.