sarad sanhita motini - 2 books and stories free download online pdf in Gujarati

સરળ સંહિતા મોતીની.... - 2

૩. સર્જન

સર્જકને માત્ર પુસ્તકો વાંચવાથી કવિતાઓ અને વાર્તાઓ મળતી નથી સિવાય કે કોઈ ઓરડામાં બેસીને આખી દુનિયાની સફર કરનારો જૂલે વર્ન હોય!માણસના ચહેરા પર છુપાયેલી આકૃતિઓને જોઈને,પુસ્તકોમાંથી મેળવેલા શબ્દોનું રૂપ આપીને સાહિત્ય રચાય છે.એવા જ એક ઊંચા ગજાના સર્જકની જાણીતી પંક્તિની નાનકડી વાત માંડીએ....

"જગતની સર્વ કડીઓમાં,સ્નેહની સર્વથી વડી."

કવિ શ્રી ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે હું અને તમે જેને 'સુંદરમ'ના નામે ઓળખીએ છીએ તેની આ પંક્તિ છે.

વાત એ વખતની છે જ્યારે કવિ સુંદરમ કોઈ એક મેદાનના ચોકમાં ઉભા હતા.ત્યાં તેમની પાસે એક નાનકડી છોકરી આવી અને નોટ ધરી અને કહ્યું,"આમાં મને એક કડી લખી આપો ને!"ત્યારે સુંદરમને ઉપર લખી એ કડી સુઝેલી.

સુંદરમને આ અમર કડી કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવાથી નહિ પણ એ છોકરીની આંખમાં જે સ્નેહ હતો એ જોઈને સૂઝી હશે.બસ કવિતાઓ,વાર્તાઓ કે અન્ય બધું આમ જ આવે છે.

"વિચારો ઘૂંટાય છે કૈક તણા મનનગરમાં,
ને અનુભવના રંગે કવિતાઓ લખાય કાગળનગરમાં."
આ સર્જનની પ્રક્રિયાએ જ સુંદરમને કવિ સુંદરમથી છેક પદ્મશ્રી કવિ સુંદરમ સુધી પહોંચાડ્યા હશે.યુગોથી ચાલી આવતી આ આખી ભારતીય સાહિત્ય પરંપરાએ પશ્ચિમને પણ પ્રભાવિત કર્યું છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.આ કવિતાના કસબે જ સુન્દરમ પાસે એક એવું કાવ્ય લખાવ્યું ક જે જગતના તમામ પ્રેમીઓને સંતોષ આપી શકે એમ છે.એ કાવ્ય ખૂબ ટૂંકુ છે પણ એ પ્રેમીઓની ઉત્કટ લાગણીઓને ઝીલનારું છે.તેના શબ્દો છે...

"મેં તને ઝંખી છે,
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી."

૪. જલસા અવતાર

આજે વાત માંડવી છે પોતાને જલસા અવતાર કહેડાવનાર ચિનુ મોદીની.કવિતાના કસબથી માંડીને અધ્યાપન,સ્ક્રીપ્ત લેખક ને નાટક-નવલકથા સુધી ગુજરાતના સાહિત્ય જગતને જેને પોતાની કલમથી જલસો કરાવ્યો તે ચિનુ મોદીના બાળપણનો એક પ્રસંગ અહીં નોંધુ છું.

ગ્રહો અને વિજ્ઞાનની આ દુનિયામાં જ્યારે હૃદયની કેળવણી બંધ થઈ ગઈ છે એવા જમાનામાં જેના પિતાજી એના સંતાનને આઇ.એ.એસ. બનાવવા માંગતા હોય તે સંતાન તેના પિતાજીના આ પ્રસ્તાવને ઠુકરાવીને શિક્ષક અને તે પણ પાછો ગુજરાતીનો શિક્ષક થવાની હિંમત કરે ખરો?
પાંચ વખત ખોંખારો ખાઈને પણ જો આ પ્રશ્ન પૂછું તો પણ તમે બધા એક સુરે 'ના' જ કહેશો.પણ આજે મારે વાત એ સર્જકની જ માંડવાની છે જેને ખરેખર આવું કર્યું.એ સર્જકના પિતાનું નામ ચંદુભાઈ મોદી.એ તેમના કવિતાના રવાડે ચડેલા છોકરાને કાયમ ચપ્પલથી મારતા અને કહેતા કે તારે આઇ. એ.એસ. જ થવાનું છે અને છતાંય એનો વિરોધ કરીને એનો છોકરો ગુજરાતીનો માસ્તર થયો અને એક મોટો કવિ જેનું નામ ચિનુ મોદી.

હા,નારાજ હોવા છતાંયે પિતાજીએ વસંત વિલાસ છપાવી આપ્યું.રે મઠ જેવા વિદ્રોહી સંગઠનમાં જોડાયા અને કવિતાને કૃતાર્થ કરી.તો ચાલો આજે ઈર્શાદના જ એક જાણીતા શેરને યાદ કરીએ,

"પથ્થરો પોલા હશે શી ખબર?
મિત્રો સહુ બોદા હશે કોને ખબર?
એમની આંખો ભીંજાઈ'તી તો ખરી,
પણ આંસુઓ કોરા હશે કોને ખબર?"
એનું નામ જલસા અવતાર છે એ નામને એને સાહિત્યમાં બરાબર સાર્થક કર્યું છે.એને હમેશા ખુમારીથી અને જીવનના ઊંડાણને સ્પર્શીને ગઝલો લખી છે.પણ આજના કવિઓ જેમ પોતાની જાતને સંકોચીને સુરક્ષાની લાગણી અનુભવે છે એ આ ચિનુ મોદી નહિ.તેને તો અનેક કવિઓ તૈયાર કર્યા.એની નિશ્રામાં અનેક કવિઓએ પોતાની કાવ્યાત્મક કારકિર્દીની શરૂઆત પણ કરી છે અને સફળ પણ બનાવી છે.
પણ આ કવિ જેટલો કવિ કે ગઝલકાર તરીકે સફળ રહ્યો એટલો લેખક તરીકે પણ રહયો.જ્યારે 'હુકમ માલિક' નામનું નાટક શિક્ષક વર્ગમાં ભણાવે ત્યારે ખૂબ મોજ આવે.પણ શરત એટલી કે ગુજરાતી માધ્યમ હોવું જોય.આ ચિનુ મોદી જેવી કેટલીયે પ્રતિભા આજકાલ માતાપિતાની મહત્વકાંક્ષા નીચે દબાય છે એને ઈશ્વર હિંમત આપે અને એ વિકસે એવી અભ્યર્થના.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED