Tara dilam a khatakavu joiae books and stories free download online pdf in Gujarati

તારા દિલમાં આ ખટકવું જોઈએ

દિવ્યાંગને માત્ર જોવા, માણવા અને નકારવા કરતા જાણવા અને અનુભવવા વધારે અાલ્હાદાયક...!!

સરદાર અને ગાંધીના ગુજરાતમાં મીઠડી ગુજરાતી ભાષા ધરાવતી ગુજરાતી પબ્લિક સામે આજે થોડી શરમજનક અને કટુતા ભરી યુનિક વાત કરવી છે. સેવા અને સહકાર આ બે શબ્દોનું તાંડવ એટલું પ્રચંડ છે કે સહાનુભૂતી શબ્દ પહાડ નીચે દબાઈ ગયો હોય એવું લાગે છે. પણ એનાં પ્રાપ્તિ સ્થાન તરફ નજર કરનાર વ્યક્તિ કેટલા? સેવા અને સહકારથી આગળ સહાનુભૂતી દર્શાવવાની તૈયારી કેટલાની? લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નહીં.

કોઈ પણ પ્રકારનું દિવ્યાંગ વ્યક્તિ તમને મળે અને તમે એને ૧૦૦ રૂપિયા આપો અથવા તો તેને કઈ ખાવાનું આપો કે પછી કપડા આપો તો શું તેને તમે સેવા કહેશો? ધારો કે કોઈને રસ્તો ક્રોસ કરવો હોય અને તમે કરાવી આપ્યો અથવા તો કોઈને બસમાં ચડવાની તકલીફ છે અને તમે એને શીટ સૂધી પોંહચાડી દીધો તો એને તમે સહકાર સમજશો? તો મારી દ્વષ્ટિએ જવાબ છે, ના...!! તમે આવું જે પણ કંઈ દિવ્યાંગ માટે કરો છો તેને જો માત્ર ત્રણ અક્ષરોમાં સમાવવું હોય તો તેને કહેવાય મદદ, કે જેની માત્ર દિવ્યાંગ જ નહીં પણ વિશ્વની સમગ્ર જીવ સૃષ્ટીને આજ નહીં તો કાલે જરૂર પડવાની છે!. તો પછી આપણે ત્યાં કરેલી મદદ શાં માટે કંઇક વધારે પડતી જ દેખાડતા હોઈએ છીએ? તમને સંસ્કાર કદાચ માતા પિતા પાસેથી મળી રહેશે અને શિક્ષણ તમને શિક્ષક આપી શકશે પણ સહાનુભૂતિ તો તમારે જાતે જ અનુભવીને અને કસીને મેળવવી પડશે. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને સહાનુભૂતિ આપી શકે.

હવે જો મુદ્દાનાં ટ્રેક પર મારું પ્લેન લેન્ડિંગ કરું તો રસોઈ બનાવતી કેટલી ગૃહિણી ને ખબર છે કે અંધ છોકરી કઈ રીતે રસોઈ બનાવે છે? એવા કેટલા મેરીડ કપલ છે કે જેને ક્યારેય વિચાર આવ્યો હોય કે આ લોકો મેરીડ લાઇફ કઈ રીતે માણતા હશે? ૨૪ કલાકમાંથી ૧૭ કલાક ફોન વાપરતા યુવા ધનને કેટલાને એ જાણવાની જિજ્ઞાસા છે કે દિવ્યાંગ લોકો એન્ડ્રોઇડ ફોન કઈ રીતે વાપરતા હશે. રસ્તા, મૂવી, ગાર્ડન, જમવું, રમવું જેવી ઘણી દૈનિક ક્રિયા કે જેમાંથી દરેકને પસાર થવું પડે છે તો એ લોકો કઈ રીતે તેમાં ખરા ઉતરતા હશે એનો વિચાર આવ્યો છે ખરો????

આજે બિઝનેસમાં ગુરૂ ગણાતા ધીરુભાઈ આપણે બધાને યાદ છે . પણ ૨૩ વર્ષની ઉંમરે ૫૦ કરોડની કંપનીનો સીઈઓ બનનાર શ્રીકાંત બૉલાને કેટલાં ઓળખે છે? તે જ રીતે રિલાઇન્સ કે જે અંદાજિત ૪ લાખ લોકોને રોજગારી આપે છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ અમદાવાદમાં આવેલી ડીજાઇનમેન્ટ કંપની કે જેમાં ૭૦% માણસો અપંગ લોકો કામ કરે છે એટલે કે રોજગારી મેળવે છે એનું શું આપણને ભાન છે?? ( અત્યારે લોકો દિવ્યંગોને રૂમ પણ ભાડે આપવામાં સંકોચ અનુભવે છે એ વાત જુદી છે )

૧૦ માં ધોરણમાં ત્રણ વાર ફેલ થયેલો સચિન તેંડુલકર આજે એક બેસ્ટ ક્રિકેટર તરીકે આપણા હૈયામાં વસે છે પણ પોરબંદરના નાનકડા ગામમાં જન્મેલો ભીમા ખૂટી કે જેનું સિલેકસન એશિયા કપમાં થયેલું છે તેમજ જેમણે સમગ્ર ભારતને રિપ્રેજન્ટ કર્યું હતું એની ભણક પણ છે આપણે? હિંમત અને આત્મવિશ્વાસ ધરાવતા અઢળક દાખલા તમે આજુબાજુમાં જોતા હશો પણ જે છોકરીને ટ્રેનની પટરી પર એક રાતમાં ૪૫ ટ્રેન ફરી ગઈ હોવા છતાં પણ આજે ૭ જેટલા શિખરો સર કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા હોય એ અરૂનીમાં સિન્હા ને આપણામાંથી કેટલા ઓળખે છે ?

તેવી જ રીતે એક પગે ૧૦ કિલોમીટરની મેરેથોન પાર કરનાર તેમજ રેપલિંગ અને ૨૫૦૦ માણસને ડાંસ શીખવાડી ચૂકેલ જાવેદ ચોધરીને કોણ ઓળખે છે? કોઈ ક્રીમની જાહેરાત માટે અમદાવાદની હમણાં જ બનેલી બહેરી મૂંગી મિસ વર્લ્ડને કેમ નથી લેતું કોઈ?? આવા નાના મોટા અનેક દાખલા છે. ગણવા બેસીશું તો ઘણું લાંબુ લિસ્ટ થશે.

ક્યાંકને ક્યાંક આપણા વિચારમાં ખોટ છે અથવા તો આપણો ઈગો આડે આવે છે. આપણે એની જગ્યાએ આપણી જાતને નથી વિચારી શકતા એટલે એને મહેસૂસ નથી કરી શકતા. રોડ પર લાકડી લઈને જતા અંધ માણસને બધાએ જોયા જ હશે, હવે તમારે એને મદદ કરવી પણ કદાચ એ મદદ એને સંપૂર્ણ પણે સમાધાનની ન પણ હોઈ શકે કેમ કે આપણી પાસે સમજાવવા માટે પૂરતું નોલેજ નથી. એક વખત વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળમાં આવેલા વિઝન ઈન ધ ડાર્કમાં જઈને અંધત્વને અનુભવો ત્યારે ખબર પડશે કે હકીકત શું છે. માત્ર શરીરથી સ્વસ્થ અને બધા અંગ હોવાથી એક માણસ નથી બનાતું, બાકી આજે રોબર્ટ પણ આધારકાર્ડ ધરાવતું હોત. મને તો એવું લાગે છે કે આ સિંહ જેવા દિવ્યાંગોને આપણે બકરાં સમજીને બેઠા છીએ. તો મિત્રો આ પણ એક રૂઢિચુસ્તતા જેવું જ પરિબળ છે કે જેને આજ નહીં તો કાલ સમાજમાંથી નાબૂદ કરવું પડશે. નહીતર આપણને જ ભરખી જશે એ વાત નક્કી છે!

જેમ રોટલી ની કોર અલગ કાઢી નાખીએ એમ દુનિયામાંથી બહાર કાઢી નાખેલા દિવ્યાંગોને જરૂર છે આત્મસન્માન અને સમભાવનાની. બાડો, બોબળો, લંગડો, જેવા શબ્દો કદાચ ક્યાંક આપણી મૂર્ખામીની નિશાની છે. અને હા, એવું તો બિલકુલ નથી કે ખાલી દિવ્યાંગ નામ આપી દેવાથી સુગમ્ય ભારતનું નિર્માણ થઈ જશે. મેં પણ લેખ લખીને ક્યાંક ને ક્યાંક દિવ્યાગો કહીને અલગ જ દર્શાવ્યા કહેવાય તો એ માટે દિલગીર છું. એ આપણી જેવા જ માણસો છે, તો એને દિવ્યંગો કે બીજા કોઈ લેબલ કરતા માણસ જ રાખીએ તો વધુ સારું.

-અલ્પેશ કારેણા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED