Premchandjini Shreshth Vartao - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 5

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(5)

મનુષ્ય નહીં, દેવતા

હિન્દુ સમાજની લગ્નપ્રથા એટલી હદે દૂષિત અને ચિંતાજનક બની ગઇ છે કે એને શી રીતે સુધારવી એ જ સમજાતું નથી.સાત સાત પુત્રોના જન્મ પછી અવતરનારી દિકરીને હર્ષથી વધાવે એવાં માતા પિતા કોઇક વિરલ જ હશે! કન્યાના જન્મથી જ એના લગ્નની ચિંતા માબાપને સતાવવા લાગી છે. એટલે જ દિકરીના અવસાનનું દુઃખ કદાચ માતાપિતાને નહીં થતું હોય! દહેજપ્રથાનો વધતો જતો ઊંચો આંકડો જ આ સ્થિતિ માટે જવાબદાર છે. લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે શિક્ષિત સમાડ દિવસે દિવસે નિરધન થતો જાય છે. એનું પરિણામ શું આવશે એ તો ભગવાન જાણે!

દિકરા ગમે તેટલા હોય તો પણ માબને તેની ચિંતા થતી નથી. તે તેમને માટે ફરજિયાત નહીં, પણ ગોણ વિષય બની જાય છે. કારણકે એમના લગ્નની ખાસ ચિંતા હોતી નથી. દિકરાઓની નફટાઇ ચિંતાનો વિષય નથી બનતી. પણ દિકરીનાં લગ્ન તો કરવાં જ પડે. એ જવાબદારીમાંથી તો શી રીતે છટકી શકાય? દિકરીના લગ્નમાં વિલંબ થાય અને એનો પણ કુંડાળામાં પડી જાય તો તો ઘરની આબરૂ જાય. બહાર મોંઢુ બતાવવા જેવું પણ ના રહે. એ કલંકને છુપાવી શકાય તો તો વાંધો નહીં, પણ જો કુચરિત્રનો ભંડો ફૂટી જાય તો આખા કુટુંબને માથે કલંક લાગી જાય છે. એના જેવી બીજી કોઇ ભયંકર આપત્તિ નથી.

નવાઇની વાત તો એ છે કે દિકરીના લગ્નની મુશ્કેલીઓ અનુભવી મૂકેલ મા બાપ દિકરાના લગ્ન વખતે સઘળું ભૂલી જાય છે. એમને કન્યાપક્ષ માટે ઝરા પણ સહાનુભૂતિ થતી નથી. એથી ઊલટું એ દિકરાના લગ્નમાં થયેલ ખર્ચ વસૂલ કરવાની પેરવીમાં લાગી જાય છે. કેટલાંય મા બાપ દિકરીના લગ્નની ચિંતામાં રીબાઇ રીબાઇને મૃત્યુ પામે છે. કોઇક ગૃહત્યાગ કરે છે. ક્યારેક કુમળીકળી જેવી દિકરીને ઘરડા ખાંડા સાથે વળાવી દેવામાં આવે છે.

મુંશી ગુલજારીલાલ આવા જ એક અભાગી પિતા હતા. આમ તો એમની સ્થિતિ એટલી બધી ખરાબ ન હતી. વકીલાત ધંધામાંથી મહિને સો બસો કૂટી કાઢતા. ઘણીય કરકસર કરવા છતાંય ઝાઝી બચત થતી નહીં. મિત્રો અને સંબંધીઓની આગતા સ્વાગતા અને સરભરા પાછળ ઘણો પૈસો ખર્ચાઇ જતો. બે ત્રણ દિકરાઓના ભરણપોષણ અને શિક્ષણ પાછળ પણ ઠીક ઠીક પ્રમાણમાં ખર્ચ થતું હતું. પ્રથમ દિકરીનું લગ્ન તો એમણે એમના મોભા પ્રમાણે ધામધૂમથી કરેલું. પણ બીજી દિકરીના લગ્નની ચિંતા સતાવતી હતી. સારા ખાનદાનમાં લગ્ન થાય એ જરૂરી હતું. એમ ના થાય તો સમાજમાં નીચા જોયું થાય. સારા ઘરમાં દિકરીને વળાવવી હોય તો ઓછામાં ઓછા પાંચહજારના ખરચનો અંદાજ હતો. પુત્રી પણ હવે ઉંમરલાયક થઇ ગઇ હતી.

ઘણા ધમપછાડા કર્યા બાદ એક છોકરાની ભાળ લાગી. બાપ આબકારી ખાતામાં ચારસો રૂપિયાની નોકરી કરતો હતો. છોકરો પણ ભણેલો ગણેલો હતો. તેમણે પત્નીને જણાવ્યું - ‘‘છોકરો તો મળ્યો. ઘર પણ સારું છે. પણ છોકરો કહે છે કે મારે પરણવું જ નથી. એના માબાપે અને બીજાંઓએ ઘણોય સમજાવ્યો, પણ એકનો બે થતો નથી. શી ખબર, એને લગ્નથી આટલો તિરસ્કાર કેમ છે? કશું કારણ જણાવતો નથી. મા બાપનો એકનો એક છોકરો છે. મા બાપની ઇચ્છા છે કે એને પરણીવી દેવો. પણ એ કેમે કરી માનતો જ નથી. આમ તો એનાં મા બાપે સાકરના રૂપિયા તો લઇ લીધા છે. પણ મને કહ્યું છે કે છોકરો નહીં માને તો એ રૂપિયા પાછા આપી દેશે.’’

પત્નીએ કહ્યું - ‘‘તમે છોકરાને એક બાજુ બોલાવીને ના પૂછ્યું?’’

‘‘પૂછ્યું હતું. પણ એ તો રડવા લાગ્યો અને પછી. ઊઠીને ચાલતો થયો.’’

‘‘જોયું ને? આ છોકરી કેટલી ઉપાધિઓ કરાવે છે?’’

ગુલજારીલાલો જવાબ વાળ્યો - ‘‘આજના છોકરા જ એવા હોય છે. વાંચ્યું કે પરદેશમાં આજે તો છોકરાઓ કુંવારા રહે છે. ને બસ ઝાલી લીધું. એમને લાગે છે કે દુનિયાની બધી મુશ્કેલીઓ લગ્નમાં છે જાણે! હું પણ જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે આવું જ વિચારતો હતો.’’

‘‘જોકે વાત ખોટી નથી. લગ્ન પછી એનેક ઘણી મુશ્કેલીઓ વધી જાય છે. જુઓને, તમે ના પરણ્યા હોત તો અત્યારે આ ચિંતા સહન કરવી પડત? હુંય કુંવારી રહી હોત તો મઝા કરતી હોત અત્યારે.’’

એ વાતને એક મહિનો વીત્યે ગુલજારીલાલને પેલા છોકરાએ પત્ર લખ્યો.

‘પૂજ્યવર,’

સાદર વંદન.

અનેક મૂંઝવણોથી ઘેરાયેલો હું આપને આ પત્ર લખવાની હિંમત કરી રહ્યો છું. મારી આ ધૃષ્ટતા બદલ મને દરગુજર કરશો.

આપના ગયા પછી મારાં માતાપિતા લગ્ન માટે મારી ઉપર દબાણ કરી રહ્યાં છે. મારી મા રડે છે. મારા પિતાજી મારી સાથે બોલતા પણ નથી. એમને મારા ચારિત્ર્ય વિશે શંકા થવા લાગી છે. પણ વાસ્તવિક્તા છતી કરતાં મને ડર લાગે છે. એ જાણીને કદાચ એમને ઊડું દુઃખ થશે. મેં આજ સુધી જે હકીકત છુપાવી છે તે ના છુટકે મારે આપને જણાવવી પડે છે. આશા રાખું છું કે આપ એની જરા સરખી પણ ગંધ એમને આવવા દેશો નહીં. જે થવાનું છે એ થવાનું જ છે. પણ પહેલેથી શા માટે એમને શોકમાં ડૂબાડી દેવાં? મને ક્ષયરોગ થયો છે. ડૉક્ટરોનો પણ એ જ મત છે. મારાં મા બાપને આ વાતની ખબર નથી. જો એમને આ વાતની ખબર પડી જશે તો તેઓ રડી રડીને મરી જશે. હું હવે આ દુનિયામાં થોડા દિવસનો જ મહેમાન છું. ત્યારે મારે માટે લગ્નની વાત કરવી એ પાપ છે. લગ્ન કરીને હું કોઇ પરાયી દિકરીની જિંદગી બરબાદ કરવા માગતો નથી. મારી આપને વિનંતી છે કે મને લગ્નના બંધનમાં બાંધવાનો આગ્રહ આપ ના કરશો નહીં તો આપને પસ્તાવાનો વારો આપવશે.

સેવક

‘‘હજારીલાલ’’

પત્ર વાંચીને ગુલજારીલાલે પત્નીને પૂછ્યું - ‘‘આ બાબતમાં તારો શો અભિપ્રાય છે?’’

‘‘મને તો લાગે છે કે આ એક બહાનું બતાવી એ આપણી વાત ટાળવા માગે છે. મને તો એના ચહેરા ઉપર રોગનું કોઇ લક્ષણ જણાતું નથી.’’

‘‘ભગવાનનું નામ લઇ નક્કી કરી નાખો. કોઇ કોઇનું નસીબ ઓછું જાણી બેઠું છે?’’

‘‘હું પણ એમ જ વિચારું છું.’’

‘‘ના હોય તો કોઇ ડૉક્ટરને છોકરો બતાવી જોઇએ, જેથી દિકરીનું જીવન બરબાદ ના થાય. અને આપણે પાછળથી પસ્તાવું ના પડે.’’

‘‘તું ય ગાંડી થઇ છે કે શું? બધું જ સારું છે. એ છોકરાને હું બરાબર ઓળખું છું. લગ્ન પછી સ્વતંત્ર રીતે હરવા ફરવાનું બંધ થઇ જાય ને?’’

‘‘તો પછી સારું મૂહુર્ત જોવરાવી લગ્નની તૈયારી કરવા માંડો.’’

હજારીલાલ મોટા ધર્મસંકટમાં હતો. એની ઇચ્છા વિરુદ્ધ એનાં લગ્ન થતાં હતાં. એ લાચાર હતો. એણે ભાવિ સસરાને બધી બાબતથી વાકેફ કર્યાં. પણ કોઇને એની વાતમાં વિશ્વસ બેઠો નહીં. મા બાપ ને સાચી હકીકત

જણાવવાની એની હિંમત ન હતી. એને વારંવાર ખરાબ વિચારો આવતા

હતા. કોઇ ડૉક્ટરની સલાહ લઇ એમને ભાવિ સસરા પાસે મોકલવાની

ઇચ્છા થતી હતી. પણ એમ કરવા છતાં પણ એમને સાચું નહીં લાગે તો?

કદાચ કોઇ ડૉક્ટરને સમજાવીને મોકલવામાં તો નહીં આવ્યો હોય ને? એવું

એ વિચારશે. ડૉક્ટરોનું કહેવું હતું કે લગ્નથી એની સ્થિતિ વધારે ગંભીર બને

તેમ હતી.

લગ્નનો દિવસ આવી ગયો. ધામધૂમથી તૈયારીઓ થવા લાગી.

મહેમાનો આવતા જતા હતા. પણ હજારીલાલને ઘરમાં જીવ ઊંચો રહેતો

હતો. અરે! બિચારી એ છોકરીની શી દશા થશે? એને જ્યારે આ વાતની

ખબર પડશે ત્યારે એ મારા વિશે શું શું નહીં વિચારે? હું એ નિર્દોષ છોકરી

ઉપર આવો બેરહમ અત્યાચાર આચરી નહીં શકું. એને વૈધવ્યની આગમાં

જીવતી સળગાવી દેવાનો મને શો અધિકર છે? મારી જિંદગીનો શો

ભરોસો? આજે નહીં તો કાલે, અરે!કાલે નહીં તો બે વરસ પછીયે મારે

મરવાનું તો છે જ તો પછી શા માટે આજે જ ના મરવું? બધી જ ચિંતાઓને

અંત લાવવાનો એક જ એકમાત્ર ઉપાય છે. મા બાપ રડશે, માથાં ફૂટશે, પણ

એક નિર્દોષ કન્યાનું તો જીવન વેડફાઇ જતું તો બચી જશે ને?

શા માટે મારે પિતાને આ વાત ના કહેવી? એમને થોડા દિવસ

દુઃખ લાગશે તેથી શું? મા બાપના ક્ષણિક આપત્તિથી એક નિરપરાધ છોકરીનું

જીવન કાયમ મારે નષ્ટ થતું અટકી જાય એ નાની સૂની વાત છે કઇ?

આમ વિચાર કરીને એ ઊભો થયો અને પિતાજીની સામે આવીને

ઊભો રહ્યો.

રાતના દસ વાગ્યા હતા. બાબુ ગુલજારીલાલ ખાટલામાં પડ્યા

પડ્યા હુક્કો ગગડાવી રહ્યા હતા. આજે આખો દિવસ એમણે નાસભાગમાં

વીતાવ્યો હતો. માડપ, બેન્ડવાજાં, દારૂખાનું અને અન્ય રાચરચીલું નક્કી

કરવા માટે એ એક જગાએથી બીજી જગાએ દોડતા રહ્યા હતા. અત્યારે એ

આડા પડીને થાક ઉતારતા હતા. ત્યાં જ હજારીલાલને સામે ઊભેલો જોઇ

એમને અચંબો થયો. નિસ્તેજ ચહેરો, આંસુથી ઉભરાયેલી આંખો અને વ્યાકુળ

મુખમંડલ જોઇ ચિંતા સાથે એમણે કહ્યું - ‘‘કેમ લાલું, તબિયત તો સારી છે

ને? કેમ આમ ઉદાસ દેખાય છે?’’

‘‘મારે આપને એક વાત કહેવી છે, પિતાજી! પણ મને ડર છે કે

આપ...’’

‘‘સમજી ગયો. પેલી જૂની વાત જ છે ને? એ સિવાય બીજી વાત

હોય તો કહે.’’

‘‘હું એ અંગે જ કઇંક કહેવા માંગું છું.’’

‘‘તારે એ જ કહેવું છે ને કે, મને આ લગ્નના બંધનમાં ના નાખો,

હું એને મારે લાયક નથી, હું એ ભાર વેંઢારવા અસમર્થ છું? એ સિવાય છે

કોઇ બીજી નવી વાત?’’

‘‘હા, મારે આપને નવી વાત કહેવી છે. આપની આજ્ઞાનું પાલન

કરવું હું સર્વથા તૈયાર છું, પણ મારે આજે આપને એવી વાત કહેવી છે કે જે

આજ સુધી આપનાથી મેં છાની રાખી છે. પણ આજે એ વાત ઉપરથી પડદો

ઊંચકી લેવાનો સમય પાકી ગયો છે. આપ મારી વાત જાણ્યા પછી જે નિર્ણય

કરશો તે મને બેશક શિરોમાન્ય રહેશે.’’ - હજારીલાલે કહ્યું.

‘‘કહે, શું કહેવું છે?’’

હજારીલાલે વિનમ્રતાથી પોતાને થયેલા ક્ષય રોગની વાત કરી.

ડૉક્ટરોએ આપેલ અભિપ્રાયનો પણ ખ્યાલ આપ્યો. પછી કહ્યું - ‘‘આ

સ્થિતિમાં આપ મને લગ્ન કરવા ફરજ નહીં પાડો એનો મને પૂરતો વિશ્વાસ

છે.’’

હજારીલાલે ધ્યાનથી પુત્ર સામે જોયું. ફિક્કાસનું તો નામ નિશાન

ન હતું. દિકરાની વાત ઉપર એમને વિશ્વાસ બેઠો નહીં. પણ એ અવિશ્વાસને

છુપાવવા ક્યાંય સુધી શૂન્યમનસ્ક થઇ બેસી રહ્યા. પછી દુઃખી સ્વરે કહ્યું -

‘‘જો એમ જ હોય તો તારાં લગ્ન કરવાં મને વધારે જરૂરી લાગે છે. ઇશ્વર

એવો ખરાબ દિવસ જોવા અમને જીવતાં ન રાખે. પણ કદાચ ના બનવાનું

બની જાય તો તારી નિશાની તો રહે ને? તારી પત્નીને થનાર સંતાનથી

અમારું ઘડપણ સુધરી જશે, આ ઘરનું બારણું ઉઘાડું રહેશે. ડૉક્ટર કંઇ

કોઇની ભાગ્યરેખા ઓછી વાંચી શકે છે? ઇશ્વરની લીલા તો અપરંપાર છે.

ડાક્ટર શું જાણી શકે એ? ભગવાનની મરજી હશે તો સૌ સારાં વાનાં થશે.’’

હજારીલાલ નિરુત્તર રહ્યો. આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં. કંઠ

રૂંધાયો અને એ કશું બોલી શક્યો નહીં. ચૂપચાપ જઇને એના ઓરડામાં સૂઇ

ગયો.

વધુ ત્રણ દિવસ પસાર થઇ ગયા. હજારીલાલ કોઇ નિર્ણય કરી

શક્યા નહીં. લગ્નની બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ હતી. જાનૈયાઓ પણ

જવાની પૂરતી તૈયારીઓ કરવા લાગી ગયા હતા.

અંતિમ નિર્ણયની ક્ષણ માથે આવીને ઊભી હતી. હવે પળનોય

વિલંબ પાલવે તેમ ન હતો. એમનું દુઃખ સાંભળનાર કોઇ જ ન હતું.

હજારીલાલે વિચાર્યું કે માતાપિતા કેટલાં વેવલાં હતાં! એમને

ઉત્સાહમાં એ પણ સમજાતું નથી કે આવના વહુ પર શું શું વીતશે! કન્યાનાં

મા બાપ પણ આંધળાં થઇ ગયાં હતાં.

શું આ લગ્ન છે? આ તો છોકરીને કૂવામાં ધકેલી દેવા જેવું છે.

વૈધવ્ય જેટલી બીજી કોઇ યાતના દુઃખ દાયક નથી; અને એ લોકો તો જાણી

જોઇને વૈધવ્યના અગ્નિકુંડમાં દિકરીનો હવિ આપવા તૈયાર થયાં હતાં. આને

કંઇ મા બાપ કહેવાય? ના, ના, ના, એ તો કસાઇ કહેવાય. કસાઇ. જાણી

જોઇને પોતાના પ્રિય દિકરીના લોહીથી હાથ ખરડનાર મા બાપને શું કોઇ

શિક્ષા કરી શકાય નહીં? સમાજ પણ લાચાર બની બેસી રહ્યો છે. કોઇ કશું

બોલતું નથી.

હજારીલાલ ઊઠ્યો અને ચૂપચાપ ચાલ્યો ગયો. એના મોંઢા પર

તેજ ચમકતું હતું. એણે આત્મવિલોપન દ્વારા આ સંકટનું નિવારણ કરવાનો

દ્રઢ નિર્ધાર કરી લીધો. મોતનો એને લેશ માત્ર ભય ન હતો.

એ દિવસ પછી કોઇએ હજારીલાલને જોયો ન હતો. કોઇને ખબર

પણ ના પડી કે એ ક્યાં ચાલ્યો ગયો હતો. નદી, નાળાં, તળાવ વગેરે

જગાએ તપાસ કરવા છતાં ક્યાંયથી એનો પત્તો લાગ્યો નહીં. અરે! સમાચાર

પત્રમાં જાહેરાત પણ છપાવી પણ કોઇ પરિણામ આવ્યું નહીં.

કેટલાંક અઠવાડિયાં બાદ છાવણી રેલ્વે સ્ટેશનથી એક માઇલદૂરથી

કેટલાંક હાડકાં હાથ આવ્યાં હતાં. લોકો એ ધારી લીધું કે હજારીલાલે ગાડી

નીચે પડતું મૂકીને એના જીવનનો અંત આણ્યો હશે! પણ સાચી વાતની

કોઇને ખબર ના પડી!

ભાદરવાની ત્રીજનો દિવસ હતો. ઘરોમાં સફાઇ થઇ રહી હતી.

સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળે શણગાર સજીને ગંગાસ્નાન માટે જઇ રહી હતી.

ગુલજારીલાલની દિકરીઅંબા સ્નાન કરીને પાછી ફરી હતી, અને

તુલસીક્યારાની સામે ઊભી રહી પ્રાર્થના કરતી હતી. સાસરીમાં એને માટે

આ પહેલી ત્રીજ હતી. એણે ખૂબ આનંદથી વ્રત લીધું હતું. ઓચિંતા એને

પતિએ આવીને એને જોઇ અને કહ્યું - ‘‘મુન્શી દરબારીલાલ તારે શા સગા

થાય છે? ઘેરથી તારે માટે આ પારસલ મોકલ્યું છે. હમણાં જ ટપાલી આપી

ગયો છે.’’

આમ કહેતાં એણે પારસલ ખાટલા પર મૂક્યું. દરબારીલાલનું નામ

સાંભળતાં જ એની આંખો ઊભરાઇ ગઇ. પારસલ હાથમાં લઇ એ જોવા

લાગી પણ એની પારસલ ઉઘાડલાની હિંમત ચાલી નહીં. એની નજર સામે

અતીત સળવળી ઊઠ્યો. હજારીલાલ પ્રત્યે હૃદયમાં શ્રદ્ધાનો સંચાર થયો.

અરે! આ એ જ દેવાત્માના આત્મબલિદાનનું પુનિત ફળ છે કે મારે આ

દિવસ જોવાનો વારો આવ્યો! ઇશ્વર એમને આત્માને સદ્‌ગતિ આપે એ

ખરેખર મનુષ્ય નહીં, દેવ હતા. જેમણે એકમાત્ર મારા કલ્યાણ માટે એમણે

આત્માનું બલિદાન આપી દીધું.

પતિએ પૂછ્યું - ‘‘દરબારીલાલ તારા કાકા છે?’’

અમ્બાએ કહ્યું - ‘‘હા.’’

‘‘આ પત્રમાં હજારીલાલનું નામ લખ્યું છે. તે કોઇ છે?’’

‘‘મુન્શી દરબારીલાલના પુત્ર.’’

‘‘એટલે કે તારા કાકાનો દિકરો ખરું ને?’’

‘‘ના, મારા ઉદ્ધારક, મારા જીવનદાતા, મારા ભાગ્યવિધાતા,

મારા સૌભાગ્યના રક્ષક.’’

કોઇ ભૂલાઇ ગયેલી વાત યાદ આવી હોય તે રીતે પતિએ કહ્યું -

‘‘હાં, હાં, વાસ્તવમાં એ મનુષ્ય નહીં, દેવતા હતા.’’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED