Premchandjini Shreshth Vartao - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 1

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(1)

ભીનો ભીનો ઠપકો

આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં

સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ,

ઉદાર, સૌમ્ય અને સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું

હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું

કરનારનો તો દુનિયા પ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ

પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો

દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ

રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં

શી રીતે કરે!

એઓ તો આખો દિવસ મને બાળતા રહે છે. હું પરદો નથી

રાખતી પણ તોય મારા જેવી સીધી સાદી સ્ત્રીને બજારમાં જતાં શરમતો આવે

જ ને! અને એમની તો વાત જ કરવા જેવી નથી. જે દુકાને ભૂલે ભટકેય કોઇ

ઘરાક ના ફરકતું હોય એવી દુકાને એ વસ્તુ ખરીદવા જઇ ચઢે. એવી દુકાને

ના ભાવ તાલનું ઠેકાણું હોય ના વસ્તુમાં બરકત હોય કે ના તોલવામાં

ઢંગધડો હોય! એમને સારી દુકાનેથી વસ્તુ ખરીદવા વારંવાર સૂચના આપી.

પણ એ માને તો ને! ઘઉં લાવે તોય ખરાબ માં ખરાબ ચોખા એટલા તો જાડા

લાવે કે એને કૂતરાંય ના ખાય. દાળ લાવે તેય નર્યા કાંકરાવાળી પણ લાકડાં

બાળી નાખીએ તોય ઓગળવાનું નામ ના લે. ઘી લાવે તેય તેલના ભેગવાળું

અને પાછું નવટાંક ઓછું. ખૂબ જાણીતી દુકાને જતાં જાણે એમના પગમાં કાંટા

વાગે છે!

એક દિવસની વાત હોય તો તો જાણે સમજ્યાં, પણ આ તો

રોજેરોજની રામાયણ. સહન શી રીતે થાય? મને થાય છે કે એવા

રેંજીપેંજીની દુકાને શું કરવા જતા હશે એ? એમનું ભરણ પોષણ કરવાનો તે

કંઇ આપણે ઠેકો રાખ્યો છે! એ તો કહે છે કે, મને જોતાં જ બધા બોલાવવા

મંડી પડે છે. શું વાત છે! બસ, એમને બોલાવીને બે ચાર ખુશામતના શબ્દો

કહ્યા કે ભાઇ સાહેબતો ફાટીને ફેં થઇ જાય. પછી એમને ભાનેય ના રહે કે

દુકાનદાર કચરાનું પોટલું બંધાવે છે. એ શું કરવા એવા નઠારા દુકાનદારોને

મોંઢું બતાવતા હશે? શું કરવા એ જ રસ્તે થઇને આવતા જતા હશે?

એકવાર મેં એક ઘરેણું બનાવવા આપ્યું. હું તો ઓળખુંને એમને?

કશું પૂછવા કરવાનો તો કોઇ અર્થ જ ન હતો. મારા ઓળખીતા સોનીને

બોલાવતી હતી. આ સમયે એમની પણ હાજરી હતી જ, તેમણે તો કહ્યું -

‘‘આ સંપ્રદાય ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. દગો થયા વગર નહીં રહે.

પણ હું ઓળખું છું એક સોનીને. મારી સાથે જ ભણેલો છે. વરસોથી સાથે

જ રમ્યાં છીએ. એ મારી સાથે ચાલબાજી કરશે નહીં.’’ મને પણ થયું કે

એમનો મિત્ર છે તો વાંધો નહીં. મેં તો સોનાનું ઘરેણું ને સો રૂપિયા આપ્યા.

એમણે તો એ ઘરેણું અને રૂપિયા કોણ જાણે કેવા શઠ માણસને આપ્યા કે

વરસોની લમણાઝીંક પછી જ્યારે દાગીનો તૈયાર થઇને આવ્યો ત્યારે આઠ

આની તાંબુ એમાં ભળી ગયેલું. વરસોની મારી આશા ઉપર પાણી ફરી ગયું.

હું તો રડી કૂટીને બેસી રહી.

આવા તો એમના વફાદાર મિત્રો છે.એમની દોસ્તી જ

ભિખારીઓ, લફૂંગા, ખિસાકાતરું અને બેપરવાહ લોકો સાથેની! જેમને

મહેનતની સાથે બાપદાદાના જમાનાથી વેર ચાલ્યું આવતું હોય! કોઇકને

કોઇક રોજ પૈસા પાછા ઉછીના માગવા આવતું, ને લીધા વગર પાછું ફરતું

નહીં. કોઇએ લીધેલા પૈસા પાછા ચૂકવ્યા હોય એવું તો આજ દિન સુધી મને

સાંભરતું નથી. અને આ ભલા આદમીને હજાર હજાર વાર ગુમાવ્યા છતાં

ભાન થતું નથી. ઉછીના આપેલા રૂપિયા માગવાની વાત કરું તો એ મારા

ઉપર જ ઊકળી ઉઠતા. હું ઘણીવાર લુખ્ખા મિત્રોની વાતોમાં નહીં ફસાવવા

સમજાવતી રહેતી પણ એ મારું માને તો ને!

મારાં ઘરેણાં ગીરવે મૂકવાં પડે તો ભલે; પણ લોકો એમને શ્રીમંત

માને એ ઇચ્છા હતી. ખરું કહું છું ઘણીવાર તો પાઇ પાઇ માટે વલખાં મારવાં

પડે છે, તે એ મહાશયને તો રૂપિયા જાણે ઘરમાં બચકાં ના ભરતા હોય!

પૈસાની લેવડદેવડ ના કરે તો એમને જરાય ઝંપ ના વળે. સમજાવી

સમજાવીને તો મારે નાકે દમ આવી ગયો છે. યમરાજની જેમ કોઇકને

કોઇક મહેમાન માથે પડતું. કોણ જાણે કેવા બેફિકર મિત્રો હશે એમના! ઘર

તો જાણે નિરાશ્રિતોનો અખાડો! સગવડ અગવડનો વિચાર કર્યા વગર રોજ

રોજ એ કોઇકને ઘેર નિમંત્રણ આપતા હતા! મારે અને છોકરાંને તકલિફ

ઊઠાવવી પડતી. ઊનાળામાં તો પડ્યાં રહીએ ગમે ત્યાં, પણ શિયાળામાં રાત

કાઢતાં સાત જન્મારા સામટા યાદ આવી જતા. એમના મિત્રોને તો આવી

કોઇ ફિકર ચિંતા રહેતી નહીં.

ઇશ્વરકૃપાએ એમના બધા મિત્રો આ દરજ્જાના જ છે. એક પણ

માઇનો લાલ એવો નથી કે સમય આવ્યે એક પાઇની પણ મદદ કરે! એક બે

વાર મહાશયને એનો કડવો અનુભવ થઇ ગયો છે. તેમ છતાં આ જડભરતે

તો જાણે આંખો ખોલીને જોવાના સોગંદ ખાધા છે. એમને તો સાવ દરિદ્ર

માણસો સાથે ઘનિષ્ઠ સંબંધો છે. શહેરના કોઇ શ્રીમંત માણસને તો તેઓ

ઓળખતાય નહીં હોય! એમની દોસ્તી કરતાં તો પેટમાં ચૂંક આવે છે એમના.

જેના ઘરમાં ધાનપાણીનો સાંસા છે. એવા ભિખારીઓ એમના દોસ્તો બની

બેઠા છે.

એકવાર ઘરકામ કરનારો નોકર ચાલ્યો ગયો. એમને બીજો નોકર

જલ્દીથી રાખી લેવાની લાલચ થઇ આવી. હું ચાલાક અને ચતુર

કામવાળાની શોધમાં જ હતી. પણ એમણે તો માન્યું કે ઘરકામ કરનાર નોકર

વગર ગાડું અટકી ગયું છે જાણે! હું એંઠવાડ કાઢતી એ એમને ગમ્યું નહીં.

વળી બજારમાં એમને શાકભાજી લેવા જવું પડતું એય કઠવા લાગ્યું. એક

દિવસ એ ક્યાંકથી એક અણઘડને પકડી લાવ્યા. દેખાવે જ એ પૂરો અનાડી

લાગતો. પણ એમને તો એ જંગલીનાં એવાં તો વખાણ કર્યાં કે વાત ના

પૂછો! ખૈર, મેં એને રાખી લીધો. હું પણ એમની વાતો કોણ જાણે કેમ માની

લેતીતી. એ મારી માટે આશ્ચર્યનો વિષય હતો.

નોકર નામનો જ માણસ હતો. માણસાઇનો કોઇ છાંટો ના મળે

એનામાં. એના કામમાં કોઇ ભલીવાર નહીં. કામની પરવાય નહીં એને

ઇમાનદાર ખરો પણ બુદ્ધિમાં એક નંબરનો ગધેડો. બેઇમાન હોત તો તો એમ

માનત કે એ પોતે ખાઇ જાય છે પણ એ તો ગધેડાં જોડે ધરો ભલાવતો. દસ

સુધી હિસાબ આપી રહે નહીં. મને એના પર ગુસ્સો તો એવો આવતો કે શું

નું શું કરી નાખું જાણે! ઘરનો ધણી નાહીને ધોતિયું શોધી રહ્યો હોય ને એ

આઘો બેસી તમાશો જોતો હોય! આમ છતાં તેઓ તો તેના દોષને ગુણ

માનીને સંતોષ મેળવતા.

ઝાડું મારતાંય એને આવડે નહીં પૂરું. એ ઝાડું મારતો ત્યારે ઘરમાં

જાણે ધરતીકંપ થઇ જતો. કોઇ પણ વસ્તુ ઠેકાણે ના રહે. ઉથલપાથલ થઇ

જાય અને તમે તો જાણે કશુંય ના બન્યું હોય તેમ શાંતિથી બેસી રહેતા હતા.

એક દિવસ મેં એને ખૂબ તતડાવ્યો - ‘‘કાલથી જો બરાબર ઝાડું ના માર્યું તો

કાન પકડીને હડસેલી મેલીશ.’’ સવારે ઊઠીને જોઉં છું તો ઓરડો સાફ હતો.

બધી જ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવાયેલી હતી. ચપટી ધૂળેય ના મળે. હું દંગ

રહી ગઇ. ત્યારે તમે કહ્યું - ‘‘શું જુએ છે? ધૂળાએ આજે વહેલી સવારે ઝાડું

લગાવ્યું છે. મેં એને બરાબર કામ સમજાવ્યું હતું. તું તો એને કામની સમજ

પાડતી નથી ને ઉપરથી ધમકાવવા બેસી જાય છે.’’

મને થયું, કમબખ્તે ેક કામ તો સારું કર્યું! પછી તો ઓરડો રોજ

વ્યવસ્થિત જણાતો. ધૂળો હવે મને કામકઢો લાગવા માંડ્યો. સંજોગોની વાત

છે! પણ એક દિવસ વહેલી ઊઠી જોઉં છું તો ધૂળો ઓરડાના બારણે ઊભો

હતો. અને તેઓ ઝાડુ મારતા હતા. મારી આંખો લાલચોળ થઇ ગઇ. મેં

એમના હાથમાંથી ઝાડું ઝૂટવી લીધું ને ધૂળાના માથામાં ફટાકર્યું. હરામ

ખોરને એ જ વખતે બહાર કાઢી મૂક્યો. તમે કહેતા હતા. - ‘‘એનો પગાર

તો આપી દે.’’ વાહ! કામ કરવું નથી ને દામ લેવા છે! મેં રાતી પાઇ પણ ના

આપી. પહેલા એક ખમીશ આપેલું તેય લઇ લીધું પાછું. આ ઘટના પછી

મારા જડભરત મહાશય કેટલાય દિવસો સુધી રીસાયેલા રહ્યા. એ તો ઘર

છોડીને જ નાસી જતા હતા. ઘણી મહેનત પડી એમને રોકતાં મને. આવા

આવાય લઠ્ઠ માણસો પડ્યા છે આ દુનિયામાં! જો હું ના હોત તો કદાચ

કોઇકે એમને બજારમાં વેચી નાખ્યા હોત!

એકવાર મેહતરે ઉતરેલાં કપડાં માગ્યાં. આ મોંઘવારી અને

બેકારીના જમાનામાં તો ઉતરેલાં કપડાં પોલીસવાળાને ત્યાં કે શ્રીમંતોને ત્યાં

હોય. અમારે તો લૂંગડાં બધાં એક બચકામાં જ સમાઇ જાય. પૈસાનું જ

ઠેકાણું પડતું નહીં, પછી કપડાંની કેવી વાત! મેહતરને મેં ના પાડી દીધી.

કાતિલ ઠંડી પડતી હતી. મને એનો અનુભવ હતો. ગરીબો પર શું વીતતું હતું

તે હું જાણતી હતી. પણ મારી કે એમની પાસે માત્ર દિલગીરી વ્યક્ત કરવા

સિવાય બીજો ઉપાય પણ શું હતો? સમાજમાં આવી ફરિયાદો તો થતી જ

રહેવાની. જ્યારે પ્રત્યેક અમીર અને શ્રીમંતની પાસે એક એક માલગાડી

કપડાંથી ચિક્કાર હોય ત્યારે ગરીબોને શા માટે નગ્નતાનો અનુભવ કરવો

ના પડે?

મેં તો મહેતરને ના પાડી દીધી. પણ એમણે તો એમનો કોટ જ

આપી દીધો એને. મારું તો આખું શરીર જાણે ભડકે બળવા માંડ્યું. હું એવી

દાનવીર નથી કે બીજાંને ખવરાવીને હું પેટમાં ટાંટિયા ઘાલીને પડી રહું.

મારા એ આરાધ્યદેવ પાસે એક જ કોટ હતો. હવે એ પહેરશે શું? મિથ્યા

કીર્તિની ખેવનાએ એમની બુદ્ધિ હણી નાખી હતી. મહેતરે ઝૂડી ઝૂડીને સલામો

કરી, આશીર્વાદ આપ્યા ને પછી ચાલ્યો ગયો. તેઓ તો દિવસો સુધી ટાઢમાં

ધ્રુજતા રહ્યા. સવારે ફરવા જવાનું બંધ થઇ ગયું. ઇશ્વરે એમનાં દિલ અને

દિમાગ જરા વિચિત્ર પ્રકારનાં આપ્યાં હતાં. એમને તો ફાટતાંતૂટતાં લૂગડાં

પહેરતાં માથે લાજ નથી આવતી પણ મારો તો જીવ કપાઇ જાય છે. છેવટે

લોકલાજથી મારાથી રહેવાયું નહીં ત્યારે મેં એમને માટે નવો કોટ સીવડાવી

લીધો. મને તો થતું’તું કે પંડે થરથરવા દઉં, પણ જો માંદા પડી જાય તો પાછી

આફત વધી જાય.

મહાશયને તો એમ લાગતું હતું કે પોતે કેટલા વિનમ્ર અને

પરોપકારી હતા, એ વાતનો એમને ગર્વ હતો. મારી દ્રષ્ટિએ એ ન હતા

પરોપકારી કે ન હતા વિનમ્ર. એ તો જડતા હતી. જે મહેતરને એમણે કોટ

આપ્યો હતો તેને તો મેં દારૂના નશામાં લથડિયાં ખાતાં જોયો હતો. એમને

પણ મેં બતાવેલો. તો પછી બીજાઓની વિવેકશૂન્યતા ને શા માટે પ્રોત્સાહિત

કરવી આપણે? ખરેખર જો કોઇ વિનમ્ર અને પરોપકારી હોય તો ઘરના

માણસો સાથે પણ એ વિનમ્ર અને ઉદાર હોય. ઉદારતા અને વિનમ્રતા એ શું

બહારના લોકો માટે જ હોય છે?

મારી આટલી જિંદગામાં એ સદ્‌ગૃહસ્થે મને એમના હાથે કોઇ

ભેટ પણ આપી નથી. હા, હું બજારમાંથી જે વસ્તુ મંગાવતી એ તેઓ

લાવતા. એમાં એ ક્યારેય પણ આનાકાની કરતા નહીં. શરત માત્ર એટલી જ

કે પૈસા મારે આપવાના રહેતા. એમને ઘરમાં કોઇ વસ્તુ લાવવાનો કશો

ઉમંગ જ ન હતો. હા, એ પોતાને માટે પણ કશું ખરીદી લાવતા નહીં. હું

બીજી સ્ત્રીઓને માટે એમના પુરુષોને ઘરેણાં, કપડાં અને શૃંગારનાં સાધનો

લાવતા જોઉં છું ને મને થાય છે કે એમને આવું મન કેમ થતું નહીં હોય!

છોકરાંને માટે પણ એકાદ મરકડું કે મિઠાઇનો ટુકડો બજારમાંથી લાવ્યા નથી

એ કોઇ દિવસ. માટે હું તો એમને કંજૂસ, અરસિક અને હૃદયશૂન્ય જ

કહીશ, ઉદાર નહીં.

એમની સેવા ભાવનાના મૂળમાં હતું એમનું વ્યાવહારિક અજ્ઞાન.

જે ઓફિસમાં એ નોકરી કરે છે તે ઓફિસના કોઇ કર્મચારી સાથે એમને

મનમેળ નહીં. પરિણામ? પરિણામે એમને સવેતન રજાઓ મળતી નહીં. નથી

તો એમનો ઇજાફો છૂટતો કે નથી તો બઢતી મળતી. આખો દિવસ તનતોડ

વૈતરું કર્યા કરે. ઓફિસમાં એમને ‘ધિસ્સુ’ - ‘પિસ્સુ’એવાં નામોની નવાજેશ

થાય છે. ભલે એ ગમે તેટલો રૂઆબ જમાવતા હોય પણ એમના નસીબમાં

તો ઘાસ પાંદડાની જ રોટલી લખી છે. આ વિવેક નથી. સ્વાધીન મનોવૃત્તિ

પણ નથી. હું તો એને સમય ચાતુર્યનો અભાવ કહું છું. વ્યાવહારિક જ્ઞાનનો

દોષ માનું છું.

એ કુટુંબ સોવાનો દાવો કરે છે. એમંને ઘણાભાઇ ભત્રીજા છે. એ

તો એમનો ભાવેય પૂછતા નથી. પણ એ મહાશય તો એમની આગળ પાછળ

ફરતા રહે છે. એમના એક ભાઇ સાહેબ આજકાલ તાલુકદાર છે એમની

દેખરેખ હેઠળ મિલકતનો કારોબાર ચાલે છે. એ ઠાઠથી રહે છે. ઘેર મોટર,

છે, નોકર ચાકર છે. પણ અહીં એ ભૂલથીયે પત્ર નથી લખતા. એકવાર

અમારે પૈસાની તંગી પડી. મેં પૈસા માટે ભાઇને લખવાનું કહ્યું ત્યારે એમણે

જણાવ્યું કે - ‘‘એમને શું કામ ચિંતા કરાવવી? એમને ખર્ચ ક્તાં નથી થતું!

એવી તે એમની શી બચત થતી હશે?’’ મેં ઘણાય મજબૂર કર્યા ત્યારે માંડ

માંડ એમણે પત્ર લખ્યો ખબર નહીં કે એમણે પત્રમાં શું લખ્યું હતું? પત્ર

લખ્યો હતો કે બનાવટ કરી હતી એ પણ હું જાણી શકી નહીં. હું માત્ર એટલું

જ જાણી શકી કે પૈસા ક્યારેય આવ્યા ન હતા. હવે આવશે પણ નહીં.

કેટલાક દિવસો બાદ મેં પૂછ્યું - ‘‘ જવાબ આવ્યો કોઇ?’’

‘‘હજુ અઠવાડિયું થયું છે એટલામાં શાનો જવાબ?’’

ત્યાર પછી તો કેટલાંય અઠવાડિયાં વીતી ગયાં. પણ જવાબ ના

આવ્યો. હવે એ મને વાત કરવાનોય મોકો આપતા નથી. સદાય પ્રસન્ન રહે

છે. મારાં પિયરનાં માણસોની પણ વાહ, વાહ કરે છે. આ બધું એટલા માટે

કે હું શ્રીમાનને એમના ભાઇની બાબતે કશું પૂછી ના બેસું. એમની

સામાજિક, આર્થિક, રાજનૈતિક અને નીતિવિષયક બાબતોની ચર્ચા આગળ

તો ભલભલા વિશેષજ્ઞોને પણ હાર સ્વીકારવી પડે. આ બધું મને ભૂલાવામાં

નાખવા જ હતું. પણ હું એમ શી રીતે ભૂલી જાઊં? વિમાના પ્રિમિયમની

તારીખ આવી એટલે મેં મહાશયને પૂછ્યું - ‘ભાઇએ કંઇ જવાબ આપ્યો કે

આપનો પત્ર હજુ સુધી નથી મળ્યો? આ ઘરમાં આપણોય લાગભાગ છે કે

નહીં? કે પછી આપણે કોઇ નોકરાણીના પેટનાં છીએ? વર્ષનો પાંચસો

રૂપિયાનો નફો તો દશ વર્ષ પહેલાં હતો. અત્યારે તો રૂપિયા હજારમાં ઓછો

નહીં થતો હોય. પણ આજ સુધી આપણને એક કાવડિયુંય મળ્યું છે? મારા

હિસાબે તો રૂપિયા બે હજાર મળવા જોઇએ. એટલા ના આપે તો હજાર,

પાંચસો, અઢીસો તો આપે ને? અરે કદી નહીં તો વિમાના પ્રિમિયમની રકમ

તો આપે કે ના આપે? એમની તો આવકેય ભારે. લાંચ મળે એ વધારાની. એ

મોજ મજા કરે છે ને તમે એમની આગળ હાહા હીહી કરો છો!’

એમનામાં બુદ્ધિનો છાંટો જ ક્યાં છે! મિલકત એટલા માટે હોય છે

કે એની કમાણી એમાં જ પૂરી થઇ જાય. એમને બહાનાંય નથી જડતાં. મને

પૂછે તો એક નહીં હજાર બહાનાં બતાવી દઉં. કહું કે, ‘‘ઘરમાં આગ લાગી

ગઇ છે, બધું બળીને ખાખ થઇ ગયું છે, ચોરી થઇ છે. તણખલુંય બચ્યું

નથી. ઘરમાં દસહજારનું અનાજ ભર્યું હતું એમાં ખોટ ગઇ તમને તો સૂઝીસૂઝીને નાખી દેવા જેવી વાત સૂઝી. પાડોશમાંથી રૂપિયા ઊછીના લીધા ત્યારે કામ થયું. અને તમે તો ભાઇ ભત્રીજાનાં વખાણ કરતાં થાકતાં નથી. ભગવાન બચાવે એવા કૌરવોથી!’’

ઇશ્વરની કૃપાથી અમારે ચાર બાળકો હતાં. બે દિકરા અને બે દિકરીઓ. બધાંય મહેનતું થઇ ગયાં છે આજે તો. રાતના આઠ વાગવા છતાં યુવરાજ હજુઘેર પાછો ફર્યો નથી. મને તો ચિંતા થતી હતી. પણ એ તો નિશ્ચિંત મને બેઠા હતા. પેપર વાંચતા હતા. મેં પેપર ઝુંટવી લેતાં કહ્યું કે - ‘‘તમારું કાળજું કેટલું કઠણ છે. ભાગવાને તમને શું કામ બાળકો આપ્યાં હશે? પિતાની પુત્ર પ્રત્યે કંઇક તો જવાબદારી હોય છે ને! પણ તમે તો ગુસ્સે થઇ જાઓ છો. અત્યાર સુધી આવ્યો નથી. ઘણો નફ્ફટ છે. આજે તો આવે એટલે ચામડી જ ઉખાડી નાખું.ને. આમ ગુસ્સે થયા પછી શ્રીમાન એને શોધવા માટે નીકળે છે. તમે એને શોધવા જાઓ છો અને એ ઘેર આવે છે. હું એને પૂછું છું - ‘‘ક્યાં ગયો હતો તું? એ તો તને શોધવા ગયા! જોજે! આજે તારી શી વલે થાય છે. તું આ રીતે રખડવાની ટેવ જ ભૂલી જશે. એ તો ક્યારનાય તારી ઉપર દાંત કચકચાવતા હતા. આવતા જ હશે એ. તું એવો બહેકી ગયો છે કે કોઇનું કશું સાંભળતો જ નથી.’’ છોકરો ગભરાટનો માર્યો બત્તી સળગાવીને વાંચવા બેસી જાય છે. બે ત્રણ કલાક પછી પતિ મહાશય ઘેર પાછા ફરે છે. ઘરમાં પગ મૂકતાં જ પૂછે છે - ‘‘આવ્યો કે નહીં?’’

‘‘એ બેઠો આવીને. જઇને પૂછોને એને! હું તો પૂછીને થાકી ગઇ. મગનું નામ મરી નથી પાડતો.’’

છોકરો ગભરાટનો માર્યો ઊભો રહે છે. બંન્ને દિકરીઓ ભયથી ધ્રુજે છે. નાનો છોકરો બારીમાંથી ઉંદરની જેમ તાકી રહે છે. તેમનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો છે. તે એની પાસે જઇને લાકડી ફટકારવાને બદલે ધીમેથી ખભે હાથ મૂકી બનાવટી ગુસ્સાથી પૂછે છે - ‘‘તું ક્યાં ગયો હતો? ના કહેવા છતાં તું માનતો નથી. ખબરદાર, જો હવે મોડે સુધી ક્યાંય રખડવા ગયો છે તો?’’

આ તો પ્રસ્તાવના હતી. વિષયની શરૂઆતતો હવે થવાની હતી. પણ અહીં તો ભૂમિકા પછી વિષયની શરૂઆત જ નથી. તેમનો ગુસ્સો ઠરી ગયો. વાદળાંના ગડગડાટ પછી ચાર છાંટા વરસી જાય એમ. છોકરો અંદરના ઓરડામાં જઇ આનંદથી નાચવા માંડે છે.

હાર સ્વીકારતાં મેં ક્હ્યું - ‘‘અરે, તમે તો ડરી ગયા એનાથી. બે ચાર તમારા ચોડી દીધા હોત તો? આમ તો છોકરાં વાઘ થઇ જાય છે.’’

તેમણે કહ્યું - ‘‘મેં ધમકાવ્યો તો ખરો એને. સાંભળ્યું નહીં ને? જો જે હવે કોઇ દિવસ મોડો આવે તો!’’

‘‘તમે તો ધમકાવવાને બદલે એને મનાવવા મંડી પડ્યા હતા.!’’

‘‘અરે, તેં મારો ગુસ્સો જોયો નહીં?’’

‘‘તમારા ગુસ્સાની તો વાત જ કરવા જેવી નથી. લોકોના કાન તો બહેરા થઇ ગયા છે.’’

એ માનતા હતા કે શિક્ષા કરવાથી છોકરાં નઠોર થઇ જાય છે. છોકરાંને તો સ્વતંત્ર રહેવા દેવાં જોઇએ. એમના પર બંધન લાધવાથી શો લાભ? બંધન તો એમના માનસિક વિકાસને અટકાવે છે. આ તમારી ફિલોસોફીનું જ પરિણામ છે. કોઇ એક મિનિટ ચોપડી ઊઘાડી બેસતું જ નથી. આખો દિવસ બસ રમત, રમત ને રમત! તમેય એમની સાથે રમવા માંડો છો. મારા બાપ તો સવારથી જ છોકરાંને ભણાવવા બેસી જતા.

મારા બાપ તો છોકરાંને જરાય છૂટ ના આપે. છોકરાં એમના નામથી જ ધ્રુજી જતાં, કોઇની સામે બોલવાની તો હિંમત જ ના ચાલે. એ ઘરમાં પગ મૂકતા તો ઘરમાં શાંતિ છવાઇ જતી. એટલે જ આજે બધા છોકરાં સારા હોદ્દા પર છે હું છોકરાઓનું ઉપરાણું લેતી તો મને પણ એ ધમકાવી નાખતા. કહેતા - ‘‘તારે છોકરાઓ સાથે શી લેવા દેવા? એમને તું સુધારી શકે નહીં તો ભલે, પણ એમને બગાડવાનું અધમકૃત્ય તું ના કરતી.’’

પિતાજી છોકરાંને નાટક ચેટક ક્યારેય બતાવતા નહીં. અને તમે તો સામે ચાલીને એમને મેળામાં લઇ જાઓ. કહો છો કે - ‘‘ચાલો, છોકરાં મેળામાં મઝા આવશે. દારૂખાનું ફૂટશે. ચગડોળ ચાલશે અને ગેસના ફુગ્ગા આકાશમાં ઉડશે.’’ તમે તો એમને હોળી રમતાંય એટકાવતા નથી.

ગઇ સાલ દિકરીનું લગ્ન હતું. દહેજ નહીં આપવાનો તમારો

મક્કમ નિર્ધાર હતો. સમાજના નેતાઓનાં છળ પ્રપંચ જોવા છતાં તમારી

આંખો ઉઘડતી નથી. યુવક યુવતી માટે કુંવારાં રહેવું એ જ્યાં સુધી નિંદાપાત્ર

ગણાય છે ત્યાં સુધી દહેજની આ પ્રથા દૂર થવાની નથી. બે ચાર દહેજ

વિરોધી માણસોથી કશું વળવાનું નથી. દહેજપ્રથાની વિરુદ્ધમાં ભાષણ

આપનારા પણ દહેજને જતું કરી શકતા નથી. છોકરીઓ જ્યારે સારું

ભણીગણીને નોકરીએ લાગશે ત્યારે જ કદાચ આ પ્રથાનો અંત આવશે!

આમને આમ છોકરીના ઉંમર સત્તરવર્ષની થઇ ત્યારે મેં એની વાત પાકી કરી

દીધી સારું ઠેકાણું જોઇને ઘર પક્ષે લેવડ દેવડની વાત છેડી નહીત તેવી તમે

પણ મારી વાત સ્વીકારી હતી. વિવાહ હેમખેમ પતી જવાના હતા, પણ

મહાશયની આગળ હું ફરી હારી ગઇ. આ પ્રથા અધમ છે. નિંદ્ય છે. તેં તો

મારી આબરૂ પર પાણી ફેરવી દીધું.’’

જાન આવી ગઇ હતી અને અહીં તો દહેજની પ્રથા પર શાસ્ત્રાર્થ

ચાલતો હતો. લગ્નનું મૂહુર્ત રાત્રે બાર વાગે હતું. રિવાજ પ્રમાણે મેં વ્રત

ધારણ કર્યું હતું.તેમને તો વ્રતની જરૂરિયાત જ ના જણાઇ. અમારી બધાંની

ના છતાં પણ એમણે તો પેટ ભરીને ખાધું. ખેર; કન્યાદાનનો વખત થયો. તો

તે એ પ્રથાના પહેલેથી જ વિરોધી. તેઓ તો કહેતા કે કન્યા તે શું દાન દેવાની

વસ્તુ છે? દાન તો જમીનનું થાય, અન્નનું થાય, રૂપિયાનું થાય. કપડાંનું થાય,

પણ કન્યાનું તે દાન થતું હશે? હું ઘણુંય સમજાવતી કે આ તો વેદકાળથી

ચાલતી આવતી પ્રથા છે. પણ એમને ગળે એ વાત ઉતરતી જ નહીં. મેં

ઘણાય કાલાવાલા કર્યા, ખોળો પાથર્યો પણ એ તો ચોરી પાસે ફરક્યા જ

નહીં. વિવાહ વીત્યા. પછી કેટલાય મહિના સુધી અમારી વચ્ચે અબોલા

રહ્યા. છેવટે જખ મારીને મારે એમને મનાવવા પડ્યા.

ખૂબીની વાત કહો કે વિધિની વક્રતા કહો; એમનામાં આટઆટલા

દુર્ગુણો હોવા છતાંય હું એમનાથી એક દિવસ પણ અલગ રહી શકતી ન

હતી. મને એમનો વિયોગ સાલતો. એમનામાં આટલા દોષો હોવા છતાં હું

એમને અગાધ ચાહતી હતી. આમ થવાનું કારણ તો હું ખુદ પણ જાણી શકી

નથી. એ થોડાક પણ મોડા ઘેર આવતા તો મારો જીવ અધ્ધર થઇ જતો.

એમને બદલે આજે વિધાત્રી જો મને કોઇ સૌંદર્યનો સ્વામી, બળ અને બુદ્ધિનો

પ્રખર પ્રણેતા અને સંપત્તિનો કુબેર જેવો દેવતા આપવા ઇચ્છે તો હું એની

સામે આંખ ઊંચી કરીને જોઉં પણ નહીં. એનું કારણ ધર્મનું બંધન નથી કે

રૂઢિગત પતિવ્રત નથી. પણ અમારી બંન્નેની પ્રકૃતિમાં કેટલીક એવી

વિશેષતાઓ છે કે મશીનના ભાગોની જેમ એકબીજા સાથે એ વ્યવસ્થિત

રીતે જોડાઇ ગઇ છે. જાણીતા રસ્તે અમે બંન્ને કોઇ પણ જાતની શંકા વગર,

આંખો મીંચીને આગળ વધીએ છીએ. અમારી જીવનયાત્રાના માર્ગમાં

આવનારા અવરોધો અમારી નજરોમાં તરવરે છે. અજાણ્યા રસ્તે કદમ

માંડવાં એ કેટલાં કષ્ટમય હોય છે! કદાચ આજે હું એમના દોષોને

સદ્‌ગુણોમાં બદલી નાખવા માટે પણ તૈયાર નથી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED