Pruthvivallabh - 27 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 27

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૭. મૃણાલે રસ્તો કાઢ્યો

મૃણાલવતી અસ્થિર ચિત્તે વિચાર કરી હી, પણ કંઈ નિશ્ચય પર આવી શકી નહિ. મુંજે તેને બળજોરીથી હા કહેવડાવી હતી; તેણે રાતે અવંતી જવાનું વચન આપ્યું હતું. મુંજની મોહક આંખોની નજર બહાર થતાં, આ વચન તેને રુચ્યું નહિ. તેનું માન, તેનું ગૌરવ, વર્ષોના રચેલા મહત્ત્વાકાંક્ષાના કિલ્લા, અત્યાર સુધી સત્તા મેળવવા આદરેલા મહાપ્રયત્નો આ બધાંના આ વચનથી ચૂરેચૂરા થઈ જતા હતા.

તે વૃદ્ધ હતી, તેનામાં ડહાપણ હતું, તે જોઈ શકી કે મુંજ તેને આંખની પલકમાં રમાડી જાય તેવો ઉસ્તાદ હતો. તેની સાથે તેના રાજ્યમાં જાય એટલે પોતે નિરાધાર બને એમાં તો કંઈ સંશય હતો જ નહિ.

આ નિરાધારીના ભયંકર અનુભવની ઝાંખી થતાં તેને કમકમાં આવ્યાં. તે આવી તપસ્વિની - આવી રાજ્યવિધાત્રી - આવી અવની કંપાવતી મહામાયાની એખ પળમાં આવી નિરાધારી !

પણ મુંજનો મોહ પણ તેને ભયંકર હતો, તેના વિના એકલા રહેવાની તેનામાં હિંમત નહોતી; તેના વિના બે દિવસમાં સરજાયેલી રસસૃષ્ટિનો વિનાશ થશે તેની પણ તેને ખાતરી હતી. તે મુંજ માટે જ સરજાયેલી હતી, અત્યાર સુધી તેને જ માટે નિર્જીવ જીવનના શુષ્ક અરણ્યમાં તે રખડતી હતી. હવે તેને હાથથી કેમ જવા દેવાય ? પોતાની મેળે આ નવી રસસૃષ્ટિને આગ કેમ લગાડાય ?

મુંજ નિશ્ચલ હતો. પોતે નહિ જાય તોપણ એ તો જવાનો; અને સદાને માટે તે એકલી-અટૂલી બની જવાની. પછી જીવવું શા કામનું ? પછી સત્તા હોય તેને પણ શું કરવી હતી ? પછી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ ન થઈ તોપણ શું ? આ સ્થિતિ તેને નિરાધારી કરતાં પણ વધારે ભૂંડી લાગી.

તો શા સારુ સત્તા ને મહત્ત્વાકાંક્ષા પર પૂળો ન મૂકવો ? તેમાં ક્યાં સુખ કે ક્યાં શાંતિ સમાયાં હતાં ? એલતા કરતાં નિરાધારી શી ખોટી ?

તે નિશ્ચય પર આવવા લાગી - અવંતી જવું તેમાં જ ઓછું દુઃખ સમાયું હતું. તેના મનની અનિશ્ચિત સ્થિતિનો અંત આવવા લાગ્યો. એક વિચાર આવ્યો, અને તેનું હૃદય વજ્રના પંજામાં પકડાયું : મુંજ જુવાન હતો : સુંદર હતો, રસિક હતો; સ્ત્રીઓને વશ કરવાની વિદ્યામાં પ્રવીણ હતો : તેની વાત પરથી તેણે અનેક હૃદયોને રીઝવ્યાં ને રંજાડ્યાં હશે એમ જણાતું હતું. તે સૌંદર્યભક્ષી હતો. પોતે વૃદ્ધ, કદરૂપી, નીરસ, રસશાસ્ત્રથી અજ્ઞાત ને લલિતકળાઓની કટ્ટી વેરી હતી. પોતાનો ને મુંજ વચ્ચેનો સંબંધ ક્યાં સુધી પહોંચશે ? વિચાર ભયંકર, ત્રાસદાયક, હૃદયભેદક હતો. કઈ દોરીએ આ સંબંધ સંધાયો હતો ! નહોતું સૌંદર્યનું આકર્ષણ, નહોતી રસજીવનમાં સહકાર કરવાની શક્તિ, નહોતો બાળપણનો શ્રદ્ધાળુ પ્રણય; માત્ર એ બે વચ્ચે કાચી દોરી હતી. પોતે મુંજનાં કીર્તિ ને સૌંદર્ય પર મોહી હતી; તેના પ્રભાવશીલ, સત્તાશીલ સ્વભાવ પર મોહી હતી. આ તેનો મોહ કેટલી વાર ટકશે ? કેમ ટકશે ? અવંતી જતાં પોતાના પ્રભાવની પૂર્ણાહુતિ થશે, પોતાની સત્તાનો નાશ થશે. અત્યારે જ તેનાં પ્રભાવ ને સત્તા પૃથિવીવલ્લભના પગનાં તળિયાં નીચે કચરાતાં હતાં. પછી - પછી શું ?

એક સંશય ખરાપણાનું સ્વરૂપ પકડવા લાગ્યો : મુંજે માત્ર ક્ષણિક આનંદ માટે વશ કરી હતી. એ પ્રમાણે અનેકનું તે કરતો હોવો જોઈએ; તો કારાગૃહમાંથી છૂટતા નવયૌવનભર્યા મોહક સંસારમાં એને જોઈતી રસિક સુંદરીઓ કેમ નહિ સાંપડે ? પછી શું ?

માન્યખોટ જાય - અવંતી જાય - પૃથિવીવલ્લભ જાય; પછી પોતે ક્યાં ? એ સ્થિતિ કલ્પવાની પણ તેનામાં શક્તિ રહી નહિ.

વચ્ચે માથું રાખી તેણે વિચારમાળા ફરેવ્યા કરી. આબધાનો સાર એટલો જ નીકળ્યો કે મુંજને માન્યખેટમાં રાખળો એ નિરાકરણ બધી રીતે ઠીક હતું. પોતે સત્તાધીશ રહેશે, મુંજ પણ હાથમાં રહેશે અને આનંદની અવધિ અનુભવવાનું સહેલ થઈ પડશે. જેમ-જેમ તે વિચાર કરતી ગઈ તેમ તેમ આ નિરાકરણ વધારે રુચિકર લાગ્યું. પોતે પહેલાં પણ એ જ વિચાર કર્યો હતો; માત્ર મુંજે એ વિચારને હસી કાઢ્યો તેથી જ તેણે પડતો મૂક્યો હતો.

હવે મુંજને રાખવો કેમ ? તેને જઈ મળી આવવું ? ક્યાં સુધી તેણે વિચાર કર્યો અને પછી તે નિશ્ચય પર આવી.

એક દાસને બોલાવ્યો, અને કુંવર અકલંકચરિતને બોલાવી મંગાવ્યો.

‘કુંવર !’

‘કેમ બા ?’

‘બેટા ! તારા શૌર્યને દીપાવે એવું કામ સોંપવું છે.’

‘શું ?’

‘મને એક કાવતરાની જાણ પડી છે.’

‘શા વિશે ?’

‘મુંજને આજે રાત્રે છોડાવી જવા વિશે.’

‘હેં !’ કહી કુંવર એક ડગલું પાછળ હઠ્યો, ‘કોણે કહ્યું ?’

‘તારા બાપની ને તારી રક્ષા કરતાં મને શાની જાણ નથી પડતી ?’ મૃણાલે કહ્યું, ‘આજે રાત્રે બાર વાગે તેને લઈ જવા માણસો આવવાના છે.’

‘ક્યાંથી ?’

‘સુરંગમાંથી. તે કાવતરું ફોડવું છે ને મુંજને જતો અટકાવવો છે.’

‘જેવી આજ્ઞા.’

‘પણ તને કેમ મેં બોલાવ્યો, ખબર છે ?’

‘ના.’

‘તારા બાપને બોલાવી કહેત, પણ તે નિર્મળ બુદ્ધિ છોડી દ્વેષી થાય છે - મુંજને મારવા માગે છે. રાજાઓનાં શરીર સદાય અસ્પર્શ્ય ગણાય; તેમાં જ રાજનીતિ છે. તું આ નીતિ જાળવશે માટે તને આ કામ સોંપું છું.’ ‘જેવી આજ્ઞા.’ ‘મુંજનો વાળ પણ વાંકો ન થાય - નહિ તો તારી અકલંક કીર્તિ કલંકિત થશે. તું જાણે. જા, સાવધાન રહી કામ કરજે.’ ‘એમાં કહેવું નહિ પડે,’ કહી કુંવર આવ્યો હતો તેવો સ્વસ્થ પાછો ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED