Rasdhar ni vartao - Simade Sarap Chirano books and stories free download online pdf in Gujarati

સીમાડે સરપ ચિરાણો

સીમાડે સરપ ચિરાણો

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩. સીમાડે સરપ ચિરાણો

કથા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મધરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે.

કોઇ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે. તે વખતે તેઓએ સામેથી એક જબરદસ્ત સર્પને આવતો દીઠો. કોઇકે મશ્કરીમાં કહ્યું કે ‘ભાઇ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.’ તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એકસામટા બોલી ઊઠ્યા, ‘હે બાપ! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેંચી દ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સેમાડા તરીકે કબૂલ છે.’

સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો, વાંકી ચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઇને બેય પક્ષો ‘વાહ બાપા ! વાહ મારા દેવતા!’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઇ ગયેલું અણીદાર ઠુંઠું પોતાના સામે ઊભું છે.

બરછી જેવી ઝીણી એની અણી જોઇને નાગ પળભર થંભી ગયો. અને તરત માણસો બોલી ઊઠ્યા, ‘હવેશું થાશે ? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો. હવે જોઇએ કે દાદો કોને રેહ દેશે.’

આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઇ પડી કે કઇ બાજુ ચાલું? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઇ જશે.

એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધેસીધો એ ઠુંઠાની અણી ઉપાર ચડ્યો. અણી એની ફેણમાં સોંસરી પરોવાઇ ગઇ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઇ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અણસરખી કહેવાત.

એનું નામ સીમાડે સર્પ ચિરાણો ! આજ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલબાપા’ નામે ઓળખે છે. ભિન્નભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે. વર-કન્યાની છેડાછેડી ત્યાં જઇને છોડાય છે.

----- ભાગ ૧ સમાપ્ત -----

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED