Rasdhar ni vartao - Dhundhalinath ane siddhanath books and stories free download online pdf in Gujarati

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ! અરધી સાચી ને અરધી ખોટી. હજીર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?”

એટલે બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં. એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું :

“ઇ બધું આવું, ભાઇ! આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પૉ’રના ગપાટા હાલે છે; પણ હું તો ઢાંકને ડુંગરે ડાંગનો ટેકો લઇ ને જ્યારે ચલમ ચેતવું છું, ત્યારે મને ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તો મારી આંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની કૂંક જેવો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે.”

“વાત તો કહો!”

“એર, વાત કેવી ? ઇ તો ટાઢા પો ‘રના! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે! આ તો વે’લાંની વાતું. મોઢામોઢ હાલી આવે એના કંઇ આંકડા થોડા માંડેલ છે ?”

એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણી દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસોવરસ બજરનાં પડતલ વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દો. પાછો આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડ્યા. જેવું ધ્યાનતેવું દિલનું ગજું; જેવું અન્ન તેવો ઓડકાર; ધૂંધાનેતો ગિરનારનું જ ધ્યાનરાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટીગઇ.

બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઇક ટ્રક ઉપર બેસીને ધૂણી ધખાવી, તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે “ધૂંધળીનાથ ધૂંધળીનાથ! નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”

“અહાલેક! શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનથ, શાંતિનાથ, એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઇ ગયા. ગુરુ બોલ્યા “જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે.

તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો.” (સાફી=ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટૂકડો રાખવામાં આવે છે તેને ‘સાફી’ કહે છે.)”

જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ. બીજાને ચલમ આપે. પણ માફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું.

નવનાથોએ ખુલાસો કર્યો “ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કામ કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ! બાર વરસ બીજાં ; આબુમાં જઇ ધૂણી પ્રગટો! જાવ બાપ! ચોરાસી સિદ્ધને પંગતમાં તમારી વાટ જોવાશે.”

આબુની અવધિ પણ પૂરી થઇ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યાં. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ નવેય નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે “આનાથી તપ જીરવાશે નહીં. એ હલકું દૂધ છે ; કો’ક દી ને કોક દી એ ન કરવાના કામો કરી બેસશે.”

તેજની જીવત જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘુમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એમનું આવવું થયું.

ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુના ચરણમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઇને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.

ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા; પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું, “રાણાજી! બાર વરસે પાછો આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી’ આંસુ પાડવા બેસીશ માં. બાર વરસે પાછો આવું છું.”

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઇ બહાર નીકળ્યાં. બેમાંથી એક ધરાણે લૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી ફૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં પણ તેજની વિભૂતી કાંઇ મેલે ઢાંકી રહે ?

ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઇને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બારવરસના બાળકે માથું મૂંડાવી ભગવા પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબો ખોબો આંસુ પાડતાં ચિતોડગઢ પાછા વળ્યાં.

ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંકક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું.

આંહી તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું “બાપ, હું આ ડુંગરમાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને આંહીં સદાવ્રત રખજો. ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઇ પૂરજો.” એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.

વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઇ ગઇ ? નગરીમાં ઝોળી ફેરવે, પણ કોઇએ ચપટી લોટ ન દીધો. દયા માનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં’તાં. પણ સત્તર-અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો સમજુ હતો.

એણે એક્કેક ચેલાને એક્કેક ફુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઇ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહીં, જાઓ જંગલમાં.

બીજો દી, ત્રીજો દી, અને ચોથો દી થતાં તો ફુહાડા મેલી-મેલીને બધા ચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણા ફુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતને પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તો આશ્રમ વાળી ચોળી, ઝાડવાને પાણી પાઇ, સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની બારી બાંંધી શહેરમાં વેચી આવે.

નાણું નહીં જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલા ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઇ લળી લળી હેત ઢોળે છે.

આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઇને જીવાત પડી. સુંવાળી કાયા ખરીને! કેટલુંક સહેવાય ? દુઃખ તો ચિત્તોડની મોલાતમાં કોઇ દિવસ દીઠું નહોતું. અને આંહી એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો.

સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યે ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પુરું થયું. આંખો ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે ? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો; ગુરુ પટાવી લીધા.

ઘણાં વરસનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાતરાની લે ‘રે લે ’રે એની ઉજાગરભરી આંખો મળી ગઇ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે.

તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણ સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઇને જોયું માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે.

“કાંઇ નહિ, બાપુ! ગૂમડું થયું છે.” સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

“સિદ્ધનાથ!” ગુરુની ભૂકુટિ ચડી : “જોગ પહેર્યો છે એ ભૂલીશ માં. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું. ગુરુદુહાઇ છે.”

સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠ્યું. અડતાળીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય તેવું રૂપ બંધાઇ ગયું. હૈયામાંથી “હાય! હાય!” એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા, “અરે હાય હાય! દયા પરવારી રહ્યાં!

મારો બાલ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે! અને મારી તપસ્યા! ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં! મારે તપસ્યાને શું કરવી છે! સિદ્ધનાથ! બચ્યા! દોડ, ઓલી કુંભારણને ચેતાવ. માંડ ભાગવા. પાછું વાળીને ન જોવો હો, આજ હું પ્રેહપાટણને પલટાવું છું.”

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ! ત્રાહિ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે “ગુરુદેવ! ગુરુદેવ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોવાં. અરે બાપુ! માનવીઓ તો બધાંય માટીનાં. એના પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ. ગજબ કરો મા! લાખ્ખોની હત્યા, નિસાસા, કલ્પાંત કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?”

પણ ગુરુ વાર્યા ન રહ્યાં. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું : “સિદ્ધનાથ! હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ; દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહીં તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા!”

સિદ્ધનાથે દોડ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી છોકરાંને આંગળીએ લઇ ડોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે, “ઓ ધરતી મૈયા! પટ્ટણ સો દટ્ટણ! અને માયા, સો મિટ્ટિ!”

એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યાં આંધી ચડી. વાદળાં તૂટી પડ્યાં. મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઇ ગઇ. એક પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઇ ગઇ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે!

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચોરાસી સિદ્ધોએ અવાજ દીધો કે, “આજથી એની ચલમસાફી બંધ કરો!” કંઇક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઇ ગયો. “ભાઇ! ગમે તેવો કોળીનું દૂધ ના ?”

આં અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે ઊભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિં. અરેરે! ઘડી પહેલાં જ્યાં હજારો નર નારી ને નાનાં છોકરાં કલ્લેોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઇ હોંકારી દેવા પણ હાજર નહીં ? હું સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી.

કોઇક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઇશ, મારાં તપ સંઘરીશને એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું.

એ... દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઇ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાંનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઇ જોઇને બેય માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં, પૂછ્યું, “કોણ છો ?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારો બેટો નાગજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”

“બચ્ચા નાગજણ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :”

જેસો લંકેશ તેસો ઢંકેશ,

દુશ્મન માર વસાવ દેશ.

(જેવો લંકાનો સ્વામે રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ, તારી ઢંક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે, બેટા, ફરી વાર આંહીં આપણે નગર વસાવીએ.)

ઠંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થાતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે; સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા.

“કેમ, બચ્ચા ?” “જોગીએ પૂછ્યું.”

“શી”

“આપે કહેલું કે જેસો લંકેશ તેઓ ઢંકેશ!”

“હા.”

“તો બસ, મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગજણ!” ગુરુએ નિસાસો નાખ્યો, “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપણું વેણ છે.”

“વેણે વેણ સાચું કરવું છે ?”

“હા.”

“તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”

“ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા! પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ! ઉગમણુંં મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવણ (શાલિવાહન) ગોહિલ એને ઘેર સોનદેવ સતી; એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઇ જાય, બોલાવું ?”

“બોલાવો.”

“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ.”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ! હું નાગાજણ, હું જેઠવો, ઝુઝી જાણું છું.”

પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીનો પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી. જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બોન, મને તારો મા-જણ્યો ભાઇ માનજે. અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ!”

રોજ બોલાવે. રોજ ઓળીયો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો, “બોન, કંઇક કાપડાની કોર લાગી લે.”

“ટાણે માગીશ, ભાઇ!”

કહીને રાણી ચાલી ગઇ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઢ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યાં. કોઇ કહે કે એ તો શાલિવાહન, એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગરા કરે છે. છત્રીસ-છત્રીસ તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ એક્કેક કોઠા ઉપર નાગાજણને લઇને ચડતો ગયો. ચડીચડીને એણે આગમ ભાખ્યાં. જુગજુગની ભવિષ્યવાણી કાઢી ક્યારે શું શું બનશે, જેઠવા ફુળની કેવી ચડતી પડતી થાશે એનો કાળલેખ ઉકેલી-ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

“નાગાજણ! હવે તો મને રજા દે, બચ્ચા! ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઇને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે, બાપ! તારી સન્મતિ થાજો! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પંથ ચૂકીશ માં! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?”

જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રીય અને વળી ચિતોડગઢનું ફૂળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ, વીરભદ્ર જેવો એ મહાજતિ. મોકળી લટે અહાલેક! બોલતો, દુનિયાને જગાડતો, કોઇ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઇને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં દેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નહી; એક શિલા પણ યસ દેતી નથી.

“કોઇ નાગાજણનું મસ્તક લાવી ઓપ ? હું એ એક માથું લઇને પાછો જાઉં.” શાલિવાહન રાજાએ સાદ પાડ્યો.

એક ચારણે કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો. ચારન ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઇઓ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઇ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ : અનો એવો ભરોસો, ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઇને નાગાજણના દસોંદીને જગાડ્યો. “આવી જા સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.”

તે દિવસે તો, ભાઇ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટડમાં નાગાજનનું શીશ માંડ્યું.

શાલિવાહનનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે “લાવ તારા રાજાનું માથું.”

દસોંદી શું મોં લઇને જાત! પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઊઠ્યો, “એર, મારો દસોંદી! એનાં વેણ માથી તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રીય માથું મેલીને નિર્ભય બની સૂઇ જાય; બોલાવો એ ચારણને.”

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્ધેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી,

“આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?” દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો, “હવે તો માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે. ચારણ! આ માથું લઇને તારા રાજાને આપજે અનેકહેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જોગમાયા રાણીમાને - મારી બોનને કહેજે ભાઇનું જુદ્ધ જોવા બહાર નીકળે.”

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઇ પડ્યું થાળીમાં, લઇને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

આંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊઠ્યું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે, માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો, પાછળ કબંધે દોડ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોનરાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલવ પાથર્યો. તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઇ આપવા જતો હોય એમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે, “બોન, માગી લે.”

“વીરા મારા! તે દી વેણ દીધું તું કે કાપડની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરતન શમાવી લે, ભાઇ!”

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઇ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ પાસે બેસીને જોગંદરે આંસુડાં તપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.

“આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઇ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તો રાતને ટાઢે પો’રે ડોબાં ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ.” એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીત માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઇ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ. કોઇ અબધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય તેવો વાદળીએ વીંટાતો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED