Rasdhar ni vartao - Bhimo Gharaniyo books and stories free download online pdf in Gujarati

ભીમો ગરાણીયો

ભીમો ગરાણીયો

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૭. ભીમો ગરાણીયો

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે-જો એ છાબડું સતનું હોય તો - મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ; ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે, પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય. એવો જ રૂડો દેખાણો હતો એક ગરાણિયો; આજથી દોઢસો વરસ ઉપર સાતપડા ગામને ટીંબે, સાતપડાને ચોરે મહેતા-મસુદી અને પગી પસાયતા મૂંઝાઇને બેઠા છે. શું કરવું તેની ગમ પડતી નથી.

પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાં તોરણ બાંધવા આવ્યાં છે. એટલે ના પણ કેમ પડાય ?

“બીજું કાંઇ નહીં,” એક આદમી બોલ્યો : “પણ નોખાં નોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે? નત્યનો કજિયો ઘરમાં ગરશે.”

“પણ બીજો ઉપાય શો! એના બાપની જમીન આપણા ગઢન પાયા સુધી પોગે છે એની કાંઇ ના પડાય છે ?” બીજાએ વાંધો બતાવ્યો.

“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઇએ; ગામ ગામ વચ્ચેના સંપ સાટું શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહિ છોડે?”

“હા જ તો! હજી કાલ સવારની જ વાત; સધરા જેસંગની મા મીણલદી મલાવ સરોવર ખાંડું થાતું’તું તોય વેશ્યાનું નહોતું પાડ્યું.”

“અને આપણે ક્યાં જમીનનાં બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દિયે. એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું. બિચારાં પશુડાં પોરો ખાશે, વટેમાર્ગું વિસામો લેશે અને વળી કજિયો-કંકાસ નહિ થાય.”

“પણ ઇ સાવજને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય, બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો. એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ, ભાઇ ! તમે સહુ પસાયતાઓ જઇને મારા નામે દરબારને સમજાવો.”

“તો ભલે, હાલો!” કહેતા પસાયતા ઊભા થયા; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા... પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે, તેનું સાક્ષાત્‌ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઇ હાલીમવાળી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે, “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ. અને પછી પાયો દોરી લ્યો ઝટ.”

“બાપુ, રામ રામ!”કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા.

“કેમ શું છે?” પ્રતાપસંગજીએ તોરમાં પૂછ્યું.

“બાપ, વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાચી, પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી...”

પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને ? પ્રતાપસંગજી શું સાવઝ-દીપડો છે ? માણસ જેવું માણસ છે. આપણે જઇને ઊભા રહીએ, ફરી સમજાવીએ, ન માને તો પાણીના કળશો ભરીને આડા ઊભા રહીએ. આમ રોયે શું વળશે?’

સહુની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઇ. આછા-પાંખા કાતરા એકવડિયું ડિલ, ફાટલતૂટલ લૂગડાં, ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું, કાખમાં તરવાર હાથમાં હોકો, ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે.

“ત્યારે, ભીમા ગરણિયા,” માણસોએ કહ્યું; “તમે અમારી હારે આવશો?”

“ભલે, એમાં શું? તમે કહેતા હો તો હું બોલું.”

“જે ઠાકર” કરીને સહુ ઊપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાલ્યો. સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો, પ્રતાપ સંગજીને ગોઠણે હાથ નમાવી બોલ્યો, “બાપુ, રામ રામ!”

“રામ રામ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ જોઇ રહ્યા, મોં આડો રૂમાલ રાખીને હસવું ખાળ્યું.

“છઉં તો આયર.”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ!” દરબારે મશ્કરી કરી; “બોલો આયરભાઇ, શો હુકમ છે?”

“બાપુ, હુકમ અમારા ગરીબના તે શિયા હોય! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુના પ્રભુ રાજી રે’!”

“આયરભાઇ!” પ્રતાપસંગનું તાળવું તૂટું તૂટું થૈ રહ્યું, “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના, બાપ! હું તો પસાયતોય નથી.”

“ત્યારે?”

“હું તો મુસાફર છું. અસૂર થયું છે ને રાત રિયો છું.”

“તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ!”

“અમારે આયરને આબરૂ શી, બાપ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક છોડવાની બે ડાળ્યું ; એક જ ખોરડું કહેવાય, ગંગાજળિયું ગોહિલ ફુળ બેયનું એક જ, અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમં બાધી પડે એવું ફજિયાનું ઝાડ કાં વાવો?”

“હવે ભાઇ, રસ્તો લે ને! ભલે ભાવનગરનો ઘણી મને ફાંસીએ લટકાવે.”

“અરે બાપા!” જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે, “શેત્રુંજાના બાદશાહ! એમ ન હોય. હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઊપડે.”

“આયરડા!” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા.

“બાપુ, તમારે આવું તોછડું પેટ ન જોવે, અને ભાવનગર-પાલીતાણા બાખડે”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું.”

“એ ટાણે તેડાવ્યાનું વેળું નહિ રહે, ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારાં ઓવાળે ચડે. બાપુ ! ઇ ટાણે વષ્ટિનો વખત ન રહે. પછી તો જેના ઘરમાથી ઝાઝાં નળિયાં-”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે.”

‘હું તો અસૂર થયું છે તે રાત રિયો છું. પણ, બાપુ, રે’વા દ્યો.’

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઇ યે થાય !”

“એ - મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી, “નાખો ખૂંંટ, ગધેડીઓ ખોદો, આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમામા મ્યાનમાંથી તરવાર ખેંચાણી. ઉઘાડી તરવાર લઇને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું, “જોજો હોં, ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો!”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો. જરીફોના પગ જાણે ઝલાઇ ગયા, ઠાકોરથી આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું, “ત્યાં જ બેઠા રે ‘જો દરબાર ! નીકર ઓખાત બગડી જશે. હું તો આયરડો છું. મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે. પણ જો તમારા ગળાને આ કાળકા લબરડો લેશે ને, તો લાખ ત્રાંસળિયું ખડખડી પડશે. શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય.”

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો. સોળ કળાના હતા, પણ એક કળાના થઇ ગયા. આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી. ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો, “અમારું માથું તો ધરધણી માણસનું, દરબાર! યાળીને બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો. હાલ્યા છો કે હમણાં ઉતારી લઇશ માથું - ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ.”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડિલ ધ્રૂજ ઊઠ્યું. માણસોએ ભીમાને ઝાલી લીધો. પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોંચી ગયા.

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લક્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે. એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે બાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિની ડંકો વાગ્યો.

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા, એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે. બા’રા નીકળતા જ નથી.”

“માંદા છે ?”

“ના, મામા, કાયા તો રાતીરાણ્ય જેવી છે.”

“ત્યારે?”

“ઇ તો રામધણી જાણે. પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે. વાતું થાય છે કે કોઇક આયરે બાપુને ભોંઠામણ દીધું.”

“ઠીક, ખબર આપો દરબારને, મારે મળવું છે.”

એનું નામ હતું વાળા શામળો ભા. દાઠા તરફના એ દરબાર હતા. પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતાં. માથા ઉપર મલોખાં મેલીને ફગ બાંધતા હતા. (‘ફગ’ એ જૂના જમાનાની પાઘડી હતી) એના ભૂજબળની ખ્યાતિ આખઈ સરવૈયાવાડમાં પથરાઇ ગઇ હતી. મેડી ઉપર જઇને એણે દરબારને હિંમત દીધી, “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય, દરબાર ! અને, એમાં ભીંઠામણ શું છે ?”

“પણ, વાળા ઠાકોર, માળો એક આયર નરપલાઇ કરી ગયો !”

“અરે, સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું. આયરડું શું---”

“રંગ, વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્કૂર્તિ આવી. પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડ્યો, અને બોલ્યા, “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી, હો! આયર બહો કોબાડ માણસ છે, બહુ વસમો છે.”

“હવે દોઠા જેટલો છે ને ?”

“અરે, રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર, ઇ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હોં ! જાળવો તો ઠીક.”

તાડ જેવડો છે કે કાંઇ નાનોમોટો, એ હું હમણાં માપી આવું છું. દરબાર તમતમારે લહેરથી કસુંબો પીઓ. બાકી એમ રોયે રાજ નહિ થાય.

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા. ઢોર વાંભવાની વેળા થઇ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા. ગોવાળને હાકલ દીધી, “એલા આયડું ! ક્યા ગામનો માલ છે ?”

“બાપુ, સાતપડાનો.”

“હાંક્ય મોઢા આગળ, નીકર ભાલે પરોવી લઉં છું.”

“એ હાંકું છું, બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે ‘વાઉં.” એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ધોળીને પાલીતાણાને માર્ગે ચડાવી. મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના.

ધ્રસાંગ! ધ્રસાંગ! ધ્રસાંગ! સાતપડે ઢોલ થયો. પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે, એમ વાવડ પહોંચ્યા, પણ આયરો બધા જોઇ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા, તરવારો બાંધીને હાલ્યા જાય છે. એને જેતાશે શી રીતે! સહુનાં મોં ઝાંખાંઝપટ થઇ ગયાં.

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી. ચોરે જઇને છૂટે ચોટલે એણે ચસકો કર્યો. “અરે આયરું ! એ ભાઇ પસાયતાઓ ! કોઇ વાસ નહિ રાખે હો! અને આજ ગરાણિયો ગમતરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં ભીમો ગરાણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો. ખોભળે ભાલું, ખભામાં ઢાલોતર, કેડ્યે તરવાર, અને હાથીની કુંભથળને માથે જાતી ડાબા માંડે એવી રાંગમાં ઘોડી. ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું, “શો ગોકીરો છે, ભાઇ ?”

“ભીમભાઇ, દુશ્મનો ફેરી કરી ગયા.”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો.”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં. હાકલ કરી કે “ આયરો, ઊભા થાઓ, નીકર કોઇ વાસ નહિ રાખે”

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય.”

પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઇ હતી. પણ ભીમે પાણી ન માગ્યું, સાંગ માગી, ઘોડાનું પલાણ ન છાંડ્યું. આયરાણીએ દોટ દીધી, ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી. સાંગ દઇને બાઇ પાછી વળી; માથે મોતીભરેલી ઇંઢોણી મેલીને હેલ્ય ચડાવી, ખંભે સાંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરેઘરમાંથી આયરની વહુ-દીકરીઓ હેલ્યો નેે સાંબેલા લઇને નીકળી. રણઘેલડી આયરાણીઓનો હેલારો ચડ્યો.

ગામ કલક્યું. ખંપાળી, કોદાળી કે લાકડી ઉપાદી, રીડિયા ચસકા કરતું ટોળું નીસર્યું. મોખરે ભીમો પોતે ઘોડી ઉપર, ને બીજા બધા પાળા, ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાય છે. ઘોડીને આધસોડે લેતો આવે છે. માણસો વાંસે દોડ્યા આવે છે. આયરાણીઓનો હેલારો ગાજતો આવે છે.

સીમાડે મલ દેખાણે. શામળા ભએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી, ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી, વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે.

‘એર, એક અસવાર બાપડો શું કરતો ‘તો ?’ એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો. હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગજ્યા, હાથમાં ગણણ...ગણણ...ગણણ સાંગ ફરતી આવે છે. આવતાં જ હાકલ કરી. તાદ જેવડો થયો. “કયાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવારો ઓઝપાણા. ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો, પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો.

લગાફગ... લગાફગ... લગાફગ કરતા ભા ભાગ્યાઃ દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં થઇ રહ્યા. ફરડક -હું, ફરડ ! ફરડક -હું, ફરડ ! ફરડક -હું, ફરડ ! એમ ફડકારા બોલાવતા ભા’ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઇને પછી લગોલગ થઇ ભીમાએ સાંગ તોળી. બોલ્યો, “જો, મારું તો આટલી વાર લાગે. પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસે ; તું પાલીતાણા - ફુંવરનો મામો કે’વા ! પણ જો ! આ તો નહિ મેલું.”

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી મલોખાંની ફગ ઉતારી દીધી. સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઇને આયર પાછો વળ્યો. કાંધરોટો દેતો નીકળ્યો. દોઢસો અસવારોની ગાંઠ પડી ગઇ છે પણ કોઇએ તેને છંછેડ્યો નહિ.

શામળો ભા તોપાટીએ ચડી ગયા, તે ઠેઠ ડુંગરામાં દરશાણા.

એક કહે “અરે, બાપાની ફગ ઉપાડી લીધી.”

બીજો કહે : “ઇ તો માથાનો મેલ ગયો.”

ત્રીજો કહે : ‘ઇ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા. ફગ ગઇ તો ઘોળી. માથાનો મેલ ઊતર્યો, બાપા ! વાંધો નહિ. કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો.’

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા. પ્રતાપસંગજી નજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં. મોં પર વિભૂતિનો છાંટોયે ન મળે. ભાએ સલામ કરી.

“ગરાસિયાના પેટનો છો?” દરબારે કહ્યું, “મેં નો’તો ચેતવ્યો?”

“માળો... આયરદો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી! “ભા’ની જીભના લોચા વળવા લાગ્યા.”

“ન થાય? અમથો હું હાલ્યો આવ્યો હોઇશ? જાવ, મને મોઢું દેખાડશો મા”

શામળો ભા પાટીએ ચડી ગયા. તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું.

પતંગિયા જેવો ભીમો ફગ લઇને સીમાડેથી પછો વળ્યો. વાંસે ધણ ચાલ્યું આવે છે. ગામલોકોએ એને આવતો ભાળ્યો અને લલકાર કર્યો, “રંગ ભીમા ! રંગ ગરાણિયા !” “અરે બા, મને રંગ શેના ?” ભીમે કંઇયે પોરસ વગર જવાબ વાળ્યો, “એ તો ભાવનગરના બાદશાહનું નશીબ જબ્બર છે, અને બાકી તો આયર-કાઠીનું કામ છે કે વારે ચડવું”

ભાવનગરના દરબારગઢની મેડીએ કનૈયાલાલ વેજેસંગ મહારાજ કિચડૂક... કિચડૂક... હીંડોળાખાટે હીંચકે છે. સામે દિવાન પરમાણંદદાસ અને મેરુભાઇ બેઠા છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે, “પરમાણંદદાસ, આયરે માળે અખિયાત કરી, હોં ! એને આંહીં તેડાવીએ. મારે એને જોવો છે.”

“ભલે મહારાજ, અસવાર મોકલીએ.”

“એલા, ક્યાંનો બીડો ?”

“બાપુ સાતપડાનો.”

“ઉઘાડો, ઝટ ઉઘાડો, પરમાણંદદાસ !”

પરમાણંદદાસ વાંચે છે તે મહારાજ સાંભળેે છે, લખ્યું હતું કે ભીમાં ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે, દોઢસો અસવારને એકલે તગડી, ધણ પાછું વાળ્યું છે અને શામળા ભાની ફગ સાંગની અણીએ ઉતારી લઇ જીવતા જાવા દીધા છે.

વજા મહારાજની છાતી પહોળી થવા માંડી. પાસાબંધી અંગરખું પહેર્યું છે તેની કસો તૂટી પડી, “રંગ ! ઘણા ઘણા રંગ!” એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો, ‘પરમાણંદ દાસ ! દાદના શેખને પચાસ ઘોડે સાતપડે મોકલો ભીમાને તેડી આવે.”

“ભલે, બાપુ !”

“પણ કેવી રીતે લાવવા, ખબર છે ?”

“ફરમાવો.”

“પ્રથમ તો એને જે ફગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી અને બીજું, સાતપડા ને ભાવનગર વચ્ચે આપણાં જેટલાં ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળ કરી, કસુંબા કાધી, ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું. ગામેગામ એ આયરને છતો કરવો.”

જમાદાર ઊપડ્યા. સાતપડા માથે જઇને ભીમા ગરણિયાને બાથમાં લઇ લીધા.

“અરે રંગ ગરાણિયા ! મહારાજની લાજ વધારી !”

“અરે બાપુ ! ઇ તો મહારાજનાં ભાગ્ય જબરાં ! હું શું કરી શકતો’તો ?”

“લ્યો, થાવ સાબદા, તમારે ભાવનગર આવવાનું છે.”

“અરે બાપા, હું ગરીબ માણસ ! મહારાજ પાસે મેંથી કાંઇ અવાય ?”

“અને ઓલી ફગ સાથે લેવાની છે.”

ભીમો તૈયાર થયો, પણ ફગ લેવાનું ન માન્યો. એટલે દાદન શેખે પટેલને લઇ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી, સંચોડી સાંગ જ સાથે લઇ લીધી.

“લ્યો ગરણિયા, નાખો સાંગ પાઘડામાં.”

“અરે બાપ ! મારું મોત કાં કરાવો ?”

“તો અમે લેશું.”

મોખરે ફગ સોતી સાંગ, પછી ગરણિયો અને વાંસે અસવારોઃ એમ અસવારી ચાલી. ગામડે ગામડે સામૈયાં, વધામણાં અને કંકુના ચાંદલાં ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય છે, ગરણિયાના શૂરાતનની વાત મંડાય છે, શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે. ઘાટા કસુંબાની અંજળીઓ ઉપર અંજળીઓ અપાય છે. એમ થતાં થતાં ભાવનગર આવ્યું.

શરમાતે પગલે ગરણિયો મેડી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે શૂરવીરનું ડોકું દેખાણું, તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઠારસેં પાદરના ધણી ઊભા થઇ ગયા.

“અરે બાપ ! રે’વા દ્યો ! મનેે ભોંઠામન દ્યો મા !” એમ ભીમે અવાજ દીધો. પણ મહારાજની તો છાતી ફાટતી હતી. એ શી રીતે અટકે ? આઠ કદમ સામા ચાલ્યા.

“આવો ! ગરણિયા, આવો ! આવો ! એમ આદર દીધો, પણ મોંમાં શબ્દ સમાતો નથી. દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું. લઇ જઇને પોતાને પડખે બેઠક દીધી. મરક મરક ! મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દૂબળા પાતળા પરોણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે. ભીમાની પાંપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે, અને મોંએ શરમના શેરડા પડે છે.”

આખી વાત માંડીને દાદન શેખે કહી સંભળાવી. સાંભળીને મહારાજ મોં માં આંગળા નાખી ગયા.

“ગરણિયા !” મહારાજે પૂછ્યું, “શું દરબાર તમને પાળે છે?”

“ના બાપુ, હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું. અહીં તો સગાવળોટે આવ્યો’તો.”

“ઠીક, મેરુજી ! ત્રાંબાનું પતરું મંગાવો.” મહારાજે વજીરને કહ્યું.

ત્રાંબાનું પતરું આવ્યું.

“લખો ચાર સાંતીની જમીન, બે વાડીના કોસ, રાજની ગાદીએ દીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય.”

લેખ લખાણો.

“હવે લાવો પહેરામણી.”

પોશાક આવ્યો. લાટપાટા શણગારેલી ઘોડી આવી. હીરની સરક બેય બાજુ હીંડોળતી આવી છે, સાચા કિનખાબના આગેવાળ અને જેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યાં છે; કોઇ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઇ છે; અને જેમ કોઇ આણાત કાઠિયાણી લાજના ઘૂમેટા તાણતી હોય તેમ ઘોડીની કાનસૂરીની અવળ સવળ દોઢ્ય ચડી રહી છે. ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાંસો થાબડ્યો, બોલ્યા “ભીમા ગરણિયા ! તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કંઇ નોકરી નથી કરવાની. ખાવ, પીઓ અને આનંદ કરો.”

બાર મહિના ચાલે તેટલું પળાણિયા વીડમાંથી ખડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળાં મોકલાવ્યાં. અસવારો જઇને વાજતે ગાજતે ભીમાને સાતપડે મૂકી આવ્યા.

આજ પણ એના વંશજો ગરાસ ખાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED