રોબોટ્સ એટેક 17 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 17

રોબોટ્સ એટેક

ચેપ્ટર 17

આજે ડૉ.વિષ્નુની આંખ આજે જલદી જ ખુલી ગઇ હતી.તેથી તેઓ જલદીથી ઉઠીને તૈયાર થઇને પ્રાર્થનામેદાન તરફ ચાલ્યા ગયા હતા.ત્યાં પહોચતાં પહોચતાં તેમને રસ્તામાંથી જ તેમની ટીમના જેટલા લોકોના ઘર પડતા હતા તે બધાને પણ સાથે જ લઇ લીધા હતા.બધાને અલગ અલગ મોકલીને લોકો સુધી જલદી વાત પહોચાડવા અને બને તેટલા ઝડપથી લોકોને એકઠા કરવા માટેની કવાયત શરુ કરી દીધી હતી.ધીમે ધીમે મેદાન તરફ લોકોની ભીડ એકઠી થઇ રહી હતી.જેમ જેમ વાત ફેલાતી ગઇ તેમ તેમ લોકો આવતા ગયા અને એક કલાકમાં તો આખા નગરના લોકો પ્રાર્થનામેદાનમાં આવી ચુક્યા હતા.ત્યાં સુધીમાં પાર્થ ,નાયક,મેજર અને તેમના બીજા સાથીઓ પણ ત્યાં આવી પહોચ્યા હતા.ભેગા થયેલા લોકોમાં એજ ચર્ચા ચાલી રહી હતી કે આમ અચાનક આટલા વહેલા કેમ બધાને બોલાવ્યા હશે? ભીડની સંખ્યા સારી એવી થઇ એટલે ડૉ.વિષ્નુને લાગ્યુ કે હવે લગભગ બધા આવી ગયા છે તેથી તેમની વાત કહેવાની શરુઆત કરી.

હંમેશાની જેમ તેમને મિત્ર શબ્દથી જ તેમના વક્તવ્યની શરુઆત કરતા કહ્યુ, “જુઓ મિત્રો આજે તમને બધાને આટલા વહેલા અહિંયા એક ખાસ વાત જણાવવા માટે એકઠા કર્યા છે.તમારા બધા માટે એક સારી ખબર છે અને એક ખરાબ ખબર છે.ખરાબ ખબર તો તમારામાંથી કેટલાક જાણી પણ ચુક્યા હશે.દિલ્હી શહેરમાં બે દિવસ પહેલા એક દુર્ઘટના ઘટી છે.એક દંગામાં શાકાલે કેટલાય લોકોને ખુલ્લેઆમ ગોળીબારી કરીને મારી નાખ્યા છે.પણ સારી ખબર એ છે કે હવે પછી તે આવુ નહી કરી શકે.કારણકે હવે આપણે તેને એવુ કરવા માટેનો મોકો જ નહી આપીએ.આપણે તેની સામે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ અને તેથી જ આપણે આગલા બે દિવસમાં જ બધી તૈયારી કરીને અહીથી શહેર માટે નિકળી જઇશુ.તો શુ તમે બધા યુદ્ધ માટે તૈયાર છો?” ડૉ.વિષ્નુએ બુલંદ અવાજે પુછ્યુ. એટલા જ બુલંદ અવાજે આખી ભીડનો એક જ જવાબ હતો, “હંમેશા તૈયાર છીએ”. કારણ કે તેમને વીસ વર્ષો સુધી આ ક્ષણની તો પ્રતિક્ષા કરી હતી.તેઓ આજ સુધી એટલા માટે જ તો જીવી રહ્યા હતા કે તેમનુ ઘર જે શાકાલે તેમની પાસેથી છીનવી લીધુ હતુ તે તેઓ પાછુ મેળવી શકે.આજે એ પવિત્ર ક્ષણ આવી ગઇ હતી.ડૉ.વિષ્નુએ આગળ વધારે વાત ન કરતા એટલુ જ કહ્યુ, “તો યુદ્ધ માટે જેને જે પણ તૈયારી કરવી હોય અને પોતાના સ્વજનોને,સ્નેહીઓને મળવુ હોય તે માટે કાલે સાંજ સુધીનો સમય છે”.ત્યારબાદ બધા ઝડપથી વેરાઇ ગયા બધા પોતપોતાની તૈયારી કરવા માટે અને જે યુદ્ધમાં જઇ રહ્યા હતા તે લોકો તેમના સગા,સ્નેહીઓને છેલ્લીવાર માટે મળવા માટે ચાલ્યા ગયા.કારણ કે આ યુદ્ધમાં કોણ બચશે અને જીવતુ પાછુ આવશે તેની કોઇ ગેરંટી ન હતી.

પ્રાર્થનામેદાનનો કાર્યક્રમ પતી ગયા પછી ડૉ.વિષ્નુ પણ તેમના બધા હથિયારો અને ખાસ તો તેમનુ જે મહત્વનુ હથિયાર હતુ તેની તૈયારી કરવા માટે ગયા.મેજરને બધી જ તૈયારીઓ જોવા માટે કહી દીધુ.હવે તો રાજ અને વંશ પણ મેજરની સાથે તેમના કામમાં સાથ આપવા માટે હતા.પાર્થને તો કોઇ ખાસ તૈયારી કરવાની હતી નહિ.તેને નાયકને સાઇડમાં બોલાવ્યો અને કહ્યુ, “નાયક હુ અદીતીને મળવા માટે જઇ રહ્યો છુ. અહિંયા કોઇ મારા વિશે કંઇ પુછે તો સંભાળી લેજે”.એટલુ કહીને તે નિકળી ગયો.નાયકના જવાબની પણ તે રાહ જોવા ના ઉભો રહ્યો.અત્યારે બસ તેને જલદીથી જલદી અદીતી પાસે પહોચી જવુ હતુ.હવે તેની પાસે જે થોડો સમય બચ્યો હતો.તે સમય તે અદીતી સાથે વિતાવવા માગતો હતો.તે ઝડપથી ભગવાન કાશીવિશ્વનાથના મંદીર તરફ જવા લાગ્યો.તેના પગમાં આજે નવુ જ જોમ હતુ..આજે તેના પગ પણ અદીતીને મળવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા.મંદીરે પહોચ્યો ત્યારે લોકોની ભીડ ઓછી થઇ ગઇ હતી. થોડાઘણા લોકો જ હતા જે દર્શન કરીને નિકળી રહ્યા હતા.લગભગ અડધો કલાકમાં તો આખુ મંદીર ખાલી થઇ ગયુ.પણ હજુ સુધી અદીતી ક્યાંય દેખાતી નહોતી.બીજો અડધો કલાક વીતી ગયો તે મંદીરના પગથિયા પર જ બેસીને અદીતીની રાહ જોઇ રહ્યો હતો અને સામેથી તેને અદીતીને આવતા જોઇ.અદીતી આવીને ઉભી રહી કે તરત જ તેને થોડા રિસાઇને અદીતીને પુછ્યુ, કેમ આટલુ મોડુ કર્યુ? હુ પ્રાર્થનામેદાનથી સીધો અહિં તને મળવા માટે આવ્યો અને તુ હજી હવે આવે છે.અદીતીએ કહ્યુ, “હુ તો ક્યારની ઘરે આવી ગઇ હતી પણ પિતાજી માટે ખાવાનુ બનાવી રહી હતી.જેથી તારી સાથે અહિં મોડા સુધી બેસી શકુ”. “સારુ કંઇ વાંધો નહી.ચાલ અંદર જઇએ” પાર્થે કહ્યુ.પછી બન્ને મંદીરના પ્રાંગણમાં લગાવેલા બાંકડા પર આવીને બેઠા.પાર્થે કહ્યુ, કાલે તો હુ યુદ્ધ માટે ચાલ્યો જઇશ.પછી ખબર નહી આપણે ક્યારે મળીશુ. કે..પછી...અદીતીએ પાર્થને આગળ બોલતા અટકાવીને કહ્યુ, એવી નકારાત્મક વાતો ના કર.મને ભગવાન કાશીવિશ્વનાથ પર પુરો વિશ્વાસ છે કે આપણે જ યુદ્ધ જીતીશુ અને તુ જ આપણને આ યુદ્ધ જીતાડીશ.પાર્થે કહ્યુ,મને પણ ભગવાન પર તો પુરો ભરોસો છે.પણ ક્યારેક એવો વિચાર આવે છે કે બધા મારા પાસેથી ખુબ જ મોટી આશાઓ રાખીને બેઠા છે.મારામાં એવુ તો શુ ખાસ છે કે પિતાજી અને બધા લોકો મને તેમનો મસિહા કહે છે.હુ પણ એ બધાના જેવો જ એક સામાન્ય માણસ જ છુ.અદીતીએ કહ્યુ, “ના એવુ નથી મસિહા બધાથી અલગ દેખાવાથી નથી બનતો કે કોઇ ખાસ શક્તિઓ હોઇ તો જ મસિહા બની શકે એવુ નથી હોતુ.પણ જેના દિલમાં સચ્ચાઇ અને માનવતાના ગુણો રહેલા હોય અને જે સમય આવે લોકો માટે પોતાની જાન પણ આપવા તૈયાર થઇ જાય તે જ સાચો મસિહા છે અને હુ જાણુ છુ તારામાં એ બધા જ ગુણો રહેલા છે તને પણ સમય આવે એ ખબર પડી જશે કે ભગવાને અને લોકોએ તને મસિહા બનવા માટે શા માટે પસંદ કર્યો.તારે ફક્ત યુદ્ધ પર ધ્યાન આપવાનુ છે.મારી તુ બિલકુલ ચિંતા ના કરતો હુ તારા આવવાની રાહ જોઇશ.અને મને પુરો વિશ્વાસ છે કે તુ યુદ્ધ જીતીને પાછો આવીશ”.પાર્થે અકળાઇને કહ્યુ, “અદીતી ક્યારેક ક્યારેક તુ પણ મારા પિતાજી જેવી જ વાતો કરે છે.એ પણ મને એમ જ કહ્યા કરે છે કે કર્મ કરો અને ફળની ચિંતા ભગવાન પર છોડી દો.પણ આટલા બધા લોકો જે મારા પર આટલો વિશ્વાસ રાખીને બેઠા છે જે મને તેમનો મસિહા માને છે તેમની ચિંતા મને કેમ કરીને ના થાય”.અદીતીએ કહ્યુ, “પાર્થ તુ આમ વ્યગ્ર ના થા ભગવાન બધુ સારુ કરી દેશે”.પાર્થે તેનો હાથ પકડ્યો અને કહ્યુ, “થેંક્યુ અદીતી.તુ મારી સાથે હોય છે ત્યારે મારા દરેક ટેંશન,ભય બધુ જ ભાગી જાય છે”.અદીતી પણ પાર્થની આંખોમાં ખોવાઇ ગઇ.સાંજ સુધી તેઓ ત્યાંજ બેસી રહ્યા.અદીતી જે ખાવાનુ લાવી હતી તેમાંથી જ બંનેએ જમી લીધુ.પાર્થનુ દિલ હવે હળવુ થઇ ગયુ હતુ.હવે તેને કોઇ જ ચિંતા કે ભય ના હતો.સાંજે જ્યારે લોકો મંદીરમાં આવવા લાગ્યા ત્યારે અદીતી તેના ઘર તરફ ગઇ.પાર્થ પણ ભગવાન કાશીવિશ્વનાથના દર્શન કરીને ઘર તરફ ગયો.

પાર્થ ઘરે આવીને સીધો તેની રુમમાં ચાલ્યો ગયો.ઘરે આવતા જ તેને ઉદાસી ઘેરી વળી.જ્યાં સુધી તે અદીતી પાસે હતો તે ખુબ જ ખુશ હતો ત્યાં સુધી તે એ વાત પણ ભુલી ગયો હતો કે આવતીકાલે તેને યુદ્ધમાં જવાનુ છે અને એ પણ એવા ભયાનક યુદ્ધમાં કે તેમાથી તે જીવતો પાછો પણ ફરશે કે નહી તે કહી ના શકાય.પણ ઘરે આવતા જ ફરી એજ યુદ્ધની વાતો યાદ આવતા તે ઉદાસ થઇ ગયો હતો.નાયક પણ બહારથી આવી રહ્યો હતો.તેને પાર્થને આમ ઉદાસ બેસેલો જોઇને કહ્યુ, શુ થયુ દોસ્ત આમ ઉદાસ કેમ બેઠો છે? પાર્થે કહ્યુ, કંઇ નહી એમ જ.પણ નાયક આખી વાત સમજી ગયો હતો.તેને કહ્યુ, મને ખબર છે તુ કેમ ઉદાસ છે.કાલથી તુ અદીતીને નહી મળી શકે તે માટેને? પણ દોસ્ત તુ ચિંતા ના કર આપણે એ શાકાલને ધુળ ચટાવીને જલદીથી જલદી પાછા આવી જઇશુ.પાર્થે કહ્યુ, ના દોસ્ત અદીતીની વાત નથી.હુ જ્યારે પણ યુદ્ધનુ નામ સાંભળુ છુ મારા મગજમાં નેગેટીવ વિચારો આવવા લાગે છે.હુ આ કામ કરી શકીશ કે નહી? તેનો ડર સતાવે છે.જ્યાં સુધી હુ અદીતી પાસે હોઉ છુ ત્યાં સુધી મને કોઇ ડર કે ચિંતા નથી હોતા પણ તેનાથી દુર થતા જ ડર મને ઘેરી વળે છે.નાયકે કહ્યુ, તુ એ બધી ચિંતા છોડી દે અને બસ તૈયારી કરવા માંડ.આગળ જે થશે તે જોયુ જશે અને મોત મળે કે જીત મળે આ તારો દોસ્ત તારો સાથ ક્યારેય નહી છોડે.તુ બસ જમી લે અને પછી આરામ કર.મે તારી બેગ આંટીને પેક કરવા માટે કહી દીધુ છે.આપણે કાલે સવારે વાત કરીશુ.

*

આજનો દિવસ કાશીમાં વસતા બધા જ લોકો માટે ખુબ જ અગત્યનો હતો.આજે જ તેઓ શાકાલ સામે યુદ્ધ કરવા માટે નિકળવાના હતા.તેમની પાસે તેમના પરિવાર અને સ્નેહીઓની સાથે સમય વિતાવવા માટેનો આ આખરી દિવસ હતો.એના પછી યુદ્ધમાંથી કોણ પાછુ જીવતુ પાછુ આવશે? અને કોણ આ યુદ્ધમાં શહીદ થઇ જશે? તે કોઇ નહોતુ જાણતુ.તેથી જ બધા લોકો તેમનો આજનો દિવસ તેમના પરિવારજનો સાથે વિતાવવા માગતા હતા.પરંતુ પાર્થ સવારથી ઉઠ્યો ત્યારથી દ્વીધામાં હતો.તે પણ તેનો આજનો દિવસ તેના પરિવાર સાથે વિતાવવા માગતો હતો.તે આજનો દિવસ તેની મમ્મી સાથે વિતાવવા માગતો હતો.તેના પિતા તો યુદ્ધમાં તેની સાથે આવવાના હતા પણ તેની મમ્મીને તે ફરી વખત ક્યારે મળશે અને ફરી મળી પણ શકશે કે કેમ? તે તો તે પણ નહોતો જાણતો.પણ સાથે સાથે તે અદીતીને પણ મળવા માગતો હતો.તે આજનો તેનો કાશીનો છેલ્લો દિવસ તેની સાથે પણ વિતાવવા માગતો હતો.આખરે તેને નક્કી કર્યુ કે તે તેનો આજનો આખો દિવસ તેની મમ્મી સાથે વિતાવશે અને સાજે તે નિકળતા પહેલા અદીતીને મળીને નિકળશે. તેની મમ્મી તો સવારથી જ પાર્થની મનપસંદ રસોઇ બનાવવામાં લાગી ગયા હતા.ગઇ કાલે તે સાંજ સુધી ઘરે આવ્યો ન હતો તેથી તેઓ તેને ખુબ જ બોલ્યા હતા અને આજનો દિવસ તેમની સાથે જ રહેવા માટે તેમને પાર્થને કહ્યુ હતુ.તેઓ ઇચ્છતા હતા કે કાશીમાં તેમનો યુદ્ધ પહેલાનો છેલ્લો દિવસ તે તેમની સાથે જ વિતાવે.પાર્થ પણ સવારથી જ તેની મમ્મીને ઘરના કામોમાં મદદ કરી રહ્યો હતો.એ બહાને તે તેમની સાથે વાતો પણ કરી રહ્યો હતો.તે પણ જાણતો હતો કે અહિંયાથી ગયા પછી કદાચ તે ફરી પાછો આવે કે ન પણ આવી શકે...તેના મમ્મીની સાથે વાતો કરવામાં ક્યારે બપોરનો સમય થઇ ગયો તેની ખબર જ ન પડી.પછી આજે ઘણા સમય પછી તેમનુ આખુ કુટુંબ સાથે જમવા માટે બેઠુ નાયક પણ હવે તેમના પરિવારનો એક હિસ્સો બની ગયો હતો.તે પણ તેમની સાથે જમવા બેઠો હતો.તેને કહ્યુ, શુ વાત છે આંટી..આજે તો જમવાનુ કંઇક વધારે જ ટેસ્ટી બન્યુ છે.પાર્થે પણ કહ્યુ, હા મમ્મી આજનુ ખાવાનુ ખુબ જ ટેસ્ટી બન્યુ છે.તેના મમ્મીએ મજાકમાં કહ્યુ, એટલે કે રોજ જે ખાવાનુ બને છે તે ટેસ્ટી નથી હોતુ? અરે ના મમ્મી તારા હાથે તો હંમેશા ટેસ્ટી ખાવાનુ જ બને છે પણ આજના ભોજનની તો વાત જ કંઇક ઓર છે.પાર્થે કહ્યુ.તેના મમ્મીએ કહ્યુ, રહેવા દે હવે વધારે મસકા ના માર.પાર્થે કહ્યુ, અરે હુ મસકા નથી મારતો સાચુ કહુ છુ.નાયક તુ પણ બોલને. “હા આંટી પાર્થની વાત સાચી છે આજનુ ખાવાનુ ખરેખર ખુબ જ ટેસ્ટી છે.આવુ ખાવાનુ મે પહેલા ક્યારેય ખાધુ નથી અને અમે તો શહેરમાં હંમેશા બહારનુ ખાઇને જીવ્યા છીએ.આજે તમે જે પ્રેમથી ખાવાનુ બનાવ્યુ છે તેના લીધે તેનો ટેસ્ટ ઓર જ વધી ગયો છે”.નાયકે પણ તેનો સુર પુરાવતા કહ્યુ.

જમીને બધા ફરી વાતોએ વળગ્યા.અને વાતોમાં જ સાંજના ચાર વાગી.ત્યારબાદ ડૉ.વિષ્નુ તેમના બધા સાથીઓને બોલાવીને નિકળવાની તૈયારી કરવા માટે ગયા.નાયક પણ ડૉ.વિષ્નુની સાથે ગયો.પાર્થ પણ હવે અદીતીને મળવા જવા માગતો હતો.તેથી તે પણ તેના મમ્મીને છેલ્લીવાર મળીને તેને બીજુ કામ પતાવવાનુ છે તેમ કહીને નિકળી ગયો.ઘરેથી નિકળીને તેના કદમ સીધા મંદીર તરફ વળી ગયા તે જાણતો હતો કે અદીતી ત્યાં તેની રાહ જોઇને બેઠી હશે.આખા રસ્તે તે તેના વિશે જ વિચારતો રહ્યો તેને બસ એજ વિચાર આવતો રહ્યો કે તે ક્યારની તેની રાહ જોઇને બેઠી હશે.તે અત્યાર સુધી આવ્યો નહી એટલે તે ચાલી તો નહી ગઇ હોય ને? તેના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા.તેથી તે ઝડપથી ચાલવા લાગ્યો અને મંદીર નજીક આવતા આવતા તો તે દોડવા લાગ્યો.તે સીધો દોડીને મંદીરમાં પહોચ્યો.તે અને અદીતી જે જગ્યાએ હંમેશા મળતા હતા ત્યાં પહોચીને તેને જોયુ તો અદીતી ત્યાંજ બેઠી હતી.તે સવારથી જ ત્યાં તેની રાહ જોઇને બેઠી હતી.સવારથી તેને પાર્થની રાહ જોવામાં કાંઇ ખાધુ પણ ન હતુ.તે બસ પાર્થની રાહમાં જ ત્યાં બેસી રહી હતી.પાર્થને જોઇને તે દોડીને તેના ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.ત્યારબાદ કેટલીય વાર સુધી તે બન્ને તેમ જ એકબીજાને આલીંગનમાં જકળી રહ્યા.પછી છુટા પડીને અદીતીએ કહ્યુ, “તમે આવવામાં આટલુ મોડુ કેમ કર્યુ.મે આટલો સમય કેમ વિતાવ્યો તે તો મારુ મન જ જાણે છે.હુ સવારથી જ તમારી રાહ જોઇ રહી હતી.મને વિશ્વાસ હતો કે તમે જતા પહેલા મને એકવાર મળવા જરુર આવશો.મે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી.તેમને મારી પ્રાર્થના સાંભળી લીધી”.પાર્થ પણ રડી પડ્યો. “હુ પણ તને સવારથી જ મળવા માટે તલસી રહ્યો હતો.પણ આજે મારો કાશીમાં છેલ્લો દિવસ છે અને મારા પર જેટલો તારો અધિકાર છે તેટલો અધિકાર મારા પરિવારનો પણ છે.તેથી હુ મારા માતા પિતા સાથે હતો.પણ હુ તને પણ મળ્યા વગર કઇ રીતે જઇ શકુ.તારો પ્રેમ જ મને અહિંયા સુધી ખેચી લાવ્યો છે”.ત્યારપછી તો તેઓ વાતોમાં એવા ખોવાઇ ગયા કે ક્યારે બે કલાક વીતી ગયા તેની તેમને ખબર જ ન પડી.જ્યારે બધાને એકઠા કરવાનો ઘંટ વાગ્યો ત્યારે તે બન્નેને ભાન થયુ કે કેટલો સમય વીતી ગયો.પાર્થ ઉભો થયો અને તેને અદીતીને કહ્યુ, “અદીતી હવે હુ જાઉ છુ મારા જવાનો સમય થઇ ગયો છે.પણ હુ જરુર પાછો આવીશ તારો પ્રેમ મને તારાથી વધારે સમય દુર રહેવા નહી દે હુ એ દુષ્ટ શાકાલના સામ્રાજ્યને ખતમ કરીને જલદીથી પાછો આવીશ અને પછી આપણે આમ મંદીરમાં નહી મળવુ પડે.પાછો આવીને હુ તને દુલ્હન બનાવીને મારી સાથે સદાય માટે લઇ જઇશ”.પાર્થની વાત સાંભળીને અદીતીની આંખો ફરીથી ભીંજાઇ ગઇ.અને પાર્થ તેનો હાથ છોડીને નિકળી ગયો.કારણકે હવે તે વધારે સમય ત્યાં ઉભો રહ્યો હોત તો કદાચ તેનો હાથ જ ન છોડી શકતો.