Satya na Prayogo Part-1 - Chapter-11 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-1 - 11

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય

તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદાવદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.

પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઈચ્છા હતી. મુંબઈમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ. ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કૉલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું ક્શ્કેલ

લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ(એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.

કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્ઘાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી

દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ કુટુંબ સાથેવો સંબંધ કાયમ રાખ્યો હતો.

તેઓ આ રજાના દિવસોમાં ઘેર આવ્યા. માતુશ્રી અને વડીલ ભાઈ સાથે વાતો કરતાં મારા ભણતર વિશે પૂછપરછ કરી. હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભલી કહ્યુંઃ ‘જમાનો બદલાયો છે. તમ ભાઈઓમાથી કોઈ કભા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાવો બોજો તેની પાસે ઉપડાવવો જોઈએ. તેને હજુ તો ચારપાંચ વર્ષ બી.એ. થતાં જશે, અને તેટલો વખત આપવા છતાં તેને પચાસસાઠ રૂપિયાની નોકરી મળશે, દીવાનપદ નહીં મળે. વળી જો એને ત્યાર પછી મારા દીકરાની જેમ વકીલ બનાવીએ તો વળી બીજાં થોડાં વર્ષ જાય, ને ત્યારે તો દીવાનગીરીને સારુ વકીલો પણ ઘણા તૈયાર થયા હોય. તમારે તેને વિલાયત મોકલવો જોઈએ. કેવળરામ (માવજી દવેના દીકરાનું નામ) કહે છે કે ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછો આવશે. ખરચ પણ ચારપાંચ હજારથી વધારે નહીં થાય. જુઆને પેલા નવા બારિસ્ટર આવ્યા છે તે કેવા દમામથી રહે છે! તેને કારભારુ જોઈએ તો આજે મળે.

મારી સલાહ તો છે કે મોહનદાસને તમારે આ વર્ષે જ વિલાયત મોકલી દેવો. મારા કેવળરામને વિલાયતમાં ઘણાય દોસ્તો છે; તેમની ઉપર તે ભલામણપત્રો આપશે તેને ત્યાં કશી અડચણ નહીં આવે.’

જોશીજી (અમે માવજી દવેને એ નામે સંબોધતા)ને પોતાની સલાહના સ્વીકાર વિશે કંઈ શંકા જ ન હોય તેમ મારી તરફ જોઈ મને પૂછયુંઃ

‘કેમ, તને વિલાયત જવું ગમે કે અહીં જ ભણ્યા કરવું ?’ મને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું. હું કૉલેજની મુશ્કેલીઓથી ડર્યો તો હતો જ. મેં કહ્યું, ‘મને વિલાયત મોકલો તો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાક્તરી ધંધો શીખવા ન મોકલાય ?’

મારા ભાઈ વચ્ચે બોલ્યાઃ

‘એ તો બાપુને ન ગમતું. તારી વોતો કરતાં જ તે કહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તેને વકીલ બનાવવાનો જ હતો.’

જોશીજીએ ટાપશી પૂરીઃ

‘મને ગાંધીજીની જેમ દાક્તરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાક્તર થઈને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાલપદ

અથવા એથીયે વધારે જોઈએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય. જમાનો દહાડે દહાડે બદલાતો જાય છે ને કઠણ થતો જાય છે, એટલે બારિસ્ટર થવું એ જ ડહાપણ છે.’

માતુશ્રીની તરફ કહ્યં, ‘આજ તો હું જાઉં છું. મારા કહેવાનો વિચાર કરી જોજો.

હું પાછો આવું ત્યારે તૈયારીના સમાચાર સાંભળવાની આશા રાખીશ. કંઈ અડચણો હોય તો

મને જણાવજો.’

જોશીજી ગયા. હું તો હવાઈ કિલ્લા બાંધવા મંડી ગયો.

વડીલ ભાઈ વિમાસણમાં પડયા, પૈસાનું શું કરવું? વળી મારા જેવા નવજુવાનને એટલે દૂર કેમ મોકલાય!

માતુશ્રીને તો કંઈ ગમ ન પડી. તેેને વિયોગની વાત જ ન ગમી. પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું : ‘આપણા કુટુંબમાં હવે વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી. તે આજ્ઞા આપે તો આપણે વિચારવાનું રહ્યું.’

વડીલ ભાઈને બીજો વિચાર સૂઝયો : ‘પોરબંદર રાજય ઉપર આપણો હક છે.

લેલીસાહેબ અડ્‌મિનિસ્ટ્રેટર છે. આપણા કૂટુંબ વિશે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની ખાસ મહેરબાની છે. તેઓ કદાચ રાજય તરફથી તને થોડીઘણી મદદ કરે.

મને આ બધું ગમ્યું. હું પોરબંદર જવા તૈયાર થયો. તે કાળે રેલ નહોતી, ગાડામાર્ગ હતો. પાંચ દિવસનો રસ્તો હતો. હું જાતે બીકણ હતો એ તો કહી ગયો છું. પણ આ વેળા

મારી બીક નાસી ગઈ. વિલાયત જવાલી ઈચ્છાએ મારા ઉપર સવારી કરી. મેં ધારજી સુંધીનું ગાડું કર્યું ધોરાજીથી એક દિવસ વહેલા પહોચવાના ઈરાદાથી ઊંટ કર્યું. ઊંટના સવારીનો પણ આ પહેલો અનુભવ હતો.

પોરબંદર પહોચ્યો. કાકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી. તેમણે વિચાર કરી જવાબ આપ્યો.

‘વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યારે હું તો તેમની રહેણીમાં કંઈ ભેદ નથી જોતો. તેમને ખાવાપીવાનો કશો બાધ હોતો નથી સિગાર તો મોઢામાંથી નીકલે જ નહીં. પહેરવેશ જુઓ તોપણ નાગો એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિઘ્ન નાખવા નથી માગતો. હું તો થોડા દિવસમાં જાત્રાએ જવાનો છું. મારે હવે થોડાં વર્ષ જીવવાનાં હશે. કાઠે આવેલો હું તલે વિલાયત જવાની - દરિયો ઓળંગવાની - રજા તો કેમ આપું ? પણ હું વચમાં નહીં આવું. ખરી રજા તારી બાની. જો તે તને રજા આપે તો તું સુખેથી જજે. હું તને રોકવાનો નથી એટલું કહેજે.

મારી આશિષ તો તને છેજ.’

‘આથી વધારની આશા તમારી પાસેથી મારાથી ન જ રખાય. મારે હવે મારી બાને રાજી કરવી રહી. પણ લેલાસાહેબ ઉપર ભલામણ તો મને આપશો ના?’ હું બોલ્યો.

કાકાશ્રી બોલ્યા : ‘એ તો મારાથી કેમ થાય ? પણ સાહેબ ભલા છે, તું ચિઠ્ઠી લખ.

કુુટુંબની ઓળખાણ આપજે. એટલે જરૂર તને મળવાનો વખત આપશે ને તેમને રુચશે તો

મદદ પણ કરશે.’

મને ખ્યાલ નથી કે કાકાએ સાહેબની ઉપર ભલામણ કેમ ન આપી. મારું ઝાંખું સ્મરણ અવું છે કે વિલાયત જવાના ધર્મવિરુદ્ઘ કાર્યમાં એટલી સીધી મદદ આપતાં તેમને સંકોચ થયો.

મેં લેલીસાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમને પોતાને બંગલે મને મળવા બોલાવ્યો. એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાહેબ મને મળ્યા, અને ‘તું બી. એ. થા, પછી

મને મળજે. હમણાં કંઈ મદદ ન અપાય’ એટલું જ કહી ઉપર ચડી ગયા. હું ખૂબ તૈયારી કરીને, ઘણાં વાક્યો ગોખીને ગયો હતો. નીચા નમીને બે હાથે સલામ કરી હતી. પણ મારી

મહેનત બધી વ્યર્થ ગઈ !

મારી નજર સ્ત્રીના ઘરેણાં ઉપર ગઈ. વડીલ ભાઈના ઉપર અપાર શ્રદ્ધા હતી.

તેમની ઉદારતાની સીમા નહોતી. તેમનો પ્રેમ પિતાના જેવો હતો.

હું પોરબંદરથી વિદાય થયો. રાજકોટ આવી બધી વાત સંભળાવી. જોશીજી સાથે

મસલત કરી. તેમણે કરજ કરીને પણ મને મોકલવાની ભલામણ કરી. મેં મારી સ્ત્રીના ભાગનાં ઘરેણાં કાઢીા નાખવાની સૂચના કરી. તેમાંથી રૂપિયા પૂરા પાડવાનું બીડું ઝડપ્યું.

માતા કેમ સમજે ? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઈ કહે, જુવાનિયા વિલાયત જઈ વંઠી જાય છે; કોઈ કહે, તેઓ માંસાહાર કરે છે; કોઈ કહે, દારૂ વિના ન જ ચાલે. માતાએ આ બધું મને સંભળાવ્યું. મેં કહ્યું, ‘પણ તું મારો વિશ્વાસ નહીં રાખે ?

હું તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ

હોય તો જોશીજી કેમ જવા દે ?’

માતા બોલી, ‘મને તારો વિશ્વાસ છે. પણ દૂર દેશમાં કેમ થાય ? મારી તો અક્કલ

નથી ચાલતી. હું બેચરજી સ્વામીને પૂછીશ.’ બેચરજી સ્વામી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તેમણે મદદ કરી. તેમણે કહ્યું : ‘હું એ છોકરા પાસે એ ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં

આવે.’ તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા

લીધી. માતાએ આજ્ઞા આપી.

હાઈસ્કૂલમાં મેળાવડો થયો. રાજકોટનો એક યુવાન વિલાયત જાય એ આશ્ચર્ય ગણાયું. જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યે વાંચી શક્યો. માથું ફરતું હતું, શરીર ધ્રૂજતું હતું, એટલું મને યાદ છે.

વડીલોના આશીર્વાદ લઈ મુંબઈ જવા નીકળ્યો. મુંબઈની આ પહેલવહેલી મુસાફરી હતી. વડીલ ભાઈ સાથે આવ્યા.

પણ સારા કામમાં સો વિઘ્ન હોય. મુંબઈનું બારું ઝડ છૂટે તેમ નહોતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED