Satya na Prayogo Part-1 - Chapter-10 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-1 - 10

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦. ધર્મની ઝાંખી

છ કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ કયાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઈએ તે ન મળ્યું એમ છતાં વાતાવરણમાંથી કંઈક ને કંઈક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઈએ. ધર્મ એટલે આત્મભાન, આત્માજ્ઞાન.

મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ઘા ઉત્પન્ન ન થઈ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઈ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું.

પણ જે હવેલીમાંથી ન મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ

રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ઘા હતી, તેથી મેં ભાળવયે ભૂતપ્રંતાદિના ભયથી બચવા રામનામનો જપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટકયો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ

અમોધ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેેમણે અમ

બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શારવવાનો પ્રબંધ કર્યો. અમે તે મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્યાં લગી તો આ નભ્યું.

રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઈ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ઘા નહોતી. પેલા વડીલ ભાઈના પ્રત્યે માન હતું તેથી અને કંઈક રામરક્ષા શુદ્ઘ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

પણ જે વસ્તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી.

પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાતેર રામાયણ સાંભળતા. સંભળાવતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત, બીલેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એમ કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્વરનાં બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યાં ને કેવળ રામનામનો જપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથાનો આરંભ કર્યો ત્યારે તેમનું શરીર તદૃન નીરોગી હતું.

લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઈ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઈ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે. આ રામાયણ-શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રથ ગણું છું.

થોડા માસ પછી અમે રાજકોટમાં આવ્યા. ત્યાં આવું વાચન નહોતું. એકાદશીને દિવસે ભાગવત વંચાય ખરું. તેમાં કોઈ વેળા હું બેસતો, પણ ભટજી રસ ઉત્પન્ન નહોતા કરી શકયા. આજે હું જોઈ શકું છું કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય. મેં તો તે ગુજરાતીમાં અતિ રસથી વાંચ્યો છે. પણ મારા એકવીસ દિવસના ઉપવાસમાં ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાજીને શુભ મુખેથી મૂળ સંસ્કૃતના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભગવદ્‌ભક્તને મોઢેથી સાંભળત તો તેના ઉપર પણ મારી ગાઢ પ્રીતિ બચપણમાં જ જામત. તે વયમાં પડેલા શુભ-

અશુભ સંસ્કારો બહુ ઊંડા મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ

ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે.

રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ મળી.

હિંદુ દર્મના પ્રત્યેક સંપ્રદાય પ્રત્યે આદરભાવ શીખ્યો, કેમ કે માતપિતા હવેલીએ જાય, શિવાલયમાં જાય અને રામમંદિર પણ જાય અને અમને ભાઈઓને લઈ જાય અથવા મોકલે.

વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઈ હમેશાં આવે. પિતાજી તેમને વહોરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્યવહારની વાતો કરે. ઉપરાંત, પિતાજીને

મુસલમાન અને પારસી મિત્રો હતા તે પોતપોતાના ધર્મની વાતો કરે અને પિતાજી તેમની વાતો માનપૂર્વક અને ઘણી વેળા રસપૂર્વક સાંભળે. આવા વાર્તાલાયો વખતે હું ‘નર્સ’

હોવાથી ઘણા વેળા હાજર હોઉંન આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.

ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્યે કંઈક અભાવ થયો. તે કાળે હાઈસ્કૃલને ખૂણે કોઈ ખ્રિસ્તી વ્યાખ્યાન આપતા. તે હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મીઓની બદગોઈ કરતા. આ મને અસહ્ય લાગ્યું. હું એકાદ જ વખત એ વ્યાખ્યાન સાંભળવા ઊભો હોઈશ, પણ બીજી વખત ત્યાં ઊભવાનું મન જ ન થયું. એ જ સમયે એક જાણીતા હિંદુ ખ્રિસ્તી થયાનું સાંભળ્યું. ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે ગોમાંસ ખવડાવવામાં આવ્યું ને દારૂ પિવડાવવામાં આવ્યો. તેનો પોશાક પણ બદલવામાં આવ્યો, ને તે ભાઈ ખ્રિસ્તી થયા પછી કોટ, પાટલૂન ને અંગ્રેજી ટોપી પહેરતા થયા. આ વાતોથી મને ત્રાસ પેદા થયો. જે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે. દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય ? આવી દલીલ મારા મને કરી. વળી જે ભાઈ ખ્રિસ્તી થયા હતા તેણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિંદા શરૂ કર્યાનું સાંભળવામાં આવ્યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભાવ પેદા થયો.

આમ જોકે બીજા ધર્મો પ્રત્યે સમભાવ આવ્યો, છતાં મને કંઈ ઈશ્વર પ્રત્યે આસ્થા હતી એમ ન કહી શકાય. આ વખતે મારા પિતાજીના પુસ્તકસંગ્રહમાંથી મનુસ્મૃતિનુું ભાષાંતર હાથ આવ્યું. તેમાં જગતની ઉત્પત્તિ વગેરેની વાતો વાંચી. તેના પર શ્રદ્ઘા ન બઠી. ઊલટી કંઈક નાસ્તિકતા આવી. મારા બીજા કાકાના દીકરા જે હાલ હયાત છે તેમની બુદ્ઘિ ઉપર મને વિશ્વાસ હતો. તેમની પાસે મેં મારી શંકાઓ રજૂ કરી. પણ તે મારું સમાધાન ન કરી શક્યા. તેમણે મને ઉત્તર આપ્યોઃ ‘ઉંમરે પહોંચતા આવૈ પ્રશ્નો તું તારી મેળે ઉકેલતાં શીખશે. અવા પ્રશ્નો બાળકોએ ન કરવા ઘટે.’ હું ચૂપ રહ્યો. મનને શાંતિ ન થઈ.

મનુસ્મૃતિના ખાધાખાધના પ્રકરણમાં અને બીજાં પ્રકરણોમાં પણ મેં ચાલું પ્રથાનો વિરોધ

જોયો. આ શંકાનો ઉત્તર પણ મને લગભગ ઉપરના જેવો જ મળ્યો. ‘કોક દિવસ બુદ્ઘિ ખૂલશે. વધારે વાંચીશ ને સમજીશ’ એમ વિચારી મન વાળ્યું.

મનુસ્મૃતિ વાંચી હું એ વેળાએ અહિંસા તો ન જ શીખ્યો. માંસાહારની વાત તો આવી ગઈ. તેને તો મનુસ્મૃતિનો ટેકો મળ્યો. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્યું. એ સમયે ધર્મ ગણી માંકડ આદિનો નાશ કર્યાનું મને સ્મરણ છે.

પણ એક વસ્તુએ જડ ઘાલી- આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે. સત્ય તો શોધવું જ રહ્યું.દિવસે દિવસે સત્યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તાર પામતી ગઈ અને હજુ પામતી રહી છે.

વળી એક નીતિનો છપ્પો પણ હ્ય્દયમાં ચોંટયો. અપકારનો બદલો અપકાર નહીં

પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ. તેણે મારી ઉપર સામ્રાજય

ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઈચ્છવું ને કરવું એ મારો અનુરાગ થઈ પડ્યો. તેના અગણિત અખતરાઓ આદર્યા. આ રહ્યો એ ચમત્કારી છપ્પોઃ

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે;

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.

આપણા ઘાસે દામ, કામ મહોરોનું કરીએ;

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ.

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;

અનગુણ કેેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી.

બીજા રસપ્રદ વિકલ્પો