Bharatna Bhutiya sthado books and stories free download online pdf in Gujarati

ભારતનાં ભૂતિયાં સ્થળો

ડરના મના હૈ

Darna Mana Hai-30 ભારતનાં ભૂતિયાં સ્થળો

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

અવાવરું મકાન કે કોઈ કબ્રસ્તાનમાં ભૂતાવળ થતી હોય એ તો સમજાય એવી વાત છે, પણ ટુરિસ્ટ એટ્રેક્શન હોય એવા ખૂબ જાણીતા સ્થળોએ ભૂત-પ્રેતના પરચા મળતા હોય એ નવાઈની વાત ગણાય. ભારતમાંય આવા ડરામણા સ્થળોની કમી નથી. પૂનાના ‘શનિવારવાડા ફોર્ટ’થી લઈને હૈદરાબાદની ‘રામોજીરાવ ફિલ્મ સિટી’ તથા પશ્ચિમ બંગાળના ‘બેગુનકોડોર રેલવે સ્ટેશન’થી લઈને દિલ્હીના ‘ખૂની દરવાજા’ સુધીની ભૂતિયા સફર ખેડવા તૈયાર થઈ જાવ…

બેગુનકોડોર રેલવે સ્ટેશન, પશ્ર્ચિમ બંગાળઃ ભૂતાવળે બંધ કરાવેલું સ્ટેશન

પશ્ર્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં બેગુનકોડોર નામનું એક નાનકડું ગામ આવેલું છે. કોલકાતાથી ૧૬૧ કિમી અને પુરુલિયાથી ૪૬ કિલોમીટરનાં અંતરે વસેલા આ ગામના રેલવે સ્ટેશને ૪૨ વર્ષો સુધી કોઈ ટ્રેન થોભી નહોતી. કારણ? કારણ કે આ ગામનાં રેલવે સ્ટેશને ભૂતાવળ થતી હતી!

૧૯૬૭ના વર્ષમાં જ્યારે લોકલ ટ્રેનો આ ગામે થોભતી હતી ત્યારે સ્ટેશન પરના એક કર્મચારીએ એક મહિલાનું ભૂત જોયું હતું. ખૂબ ડરી ગયેલા એ કર્મચારીએ નોકરી છોડી દીધી અને ત્યાર બાદ તો બીજા કર્મચારીઓમાં એ ભૂતનો ડર એવો બેસી ગયો કે કોઈ અહીં કામ કરવા તૈયાર નહોતું. ઘણા બધા કર્મચારીઓએ બેગુનકોડોર સ્ટેશન પર નોકરી કરવા જવાનું બંધ કરી દીધું એટલે જરૂરી સ્ટાફના અભાવે આ સ્ટેશન બંધ થઈ ગયું. ટ્રેનોએ અહીં થોભવાનું બંધ કર્યું એટલે ગામવાસીઓની તકલીફમાં વધારો થયો. લોકોએ ફરી વાર સ્ટેશનને કાર્યાન્વિત કરવા માટે સ્થાનિક સરકાર સમક્ષ માગણી મૂકી, પરંતુ કોઈ પણ કર્મચારી આ સ્ટેશને નોકરી કરવા તૈયાર જ ન હોવાથી ૧૯૬૭થી લઈને છેક ૨૦૦૯ સુધી, કુલ મળીને ૪૨ વર્ષો સુધી આ સ્ટેશન બંધ રહ્યું. સાફસફાઈના અભાવને લીધે સ્ટેશનની ઈમારત ખંડેરમાં બદલાઈ ગઈ અને વખત જતાં સ્થાનિક લોકોએ પણ સ્ટેશન ફરી શરૂ થાય એની આશા મૂકી દીધી.

બેગુનકોડોર સ્ટેશને દેખાતી ભૂતાવળ બાબતે બે પ્રકારની વાતો લોકોમાં થતી રહી છે. એક એ કે બેગુનકોડોર સ્ટેશન તરફ આવતી લોકલ ટ્રેનમાં એકલી પ્રવાસ કરતી કોઈ મહિલા પર બળાત્કાર કરીને તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આ જ મહિલાનું પ્રેત પછીથી રેલવે સ્ટેશને દેખાવા લાગ્યું હતું. ભૂત-પ્રેતના અસ્તિત્વમાં ન માનનારા લોકો દલીલ કરતા કે ત્યાં ભૂત-બૂત કશું નહોતું, પરંતુ બેગુનકોડોર જેટલા દૂરના સ્થળે નોકરી કરવા આવવું ન પડે એટલા માટે સ્ટેશનના કર્મચારીઓએ ભેગા મળીને ભૂતની વાતો ઊપજાવી કાઢી હતી. જોકે આ દલીલ ગળે ઊતરે એવી નથી. કારકિર્દી ઘડવાની તકો બહુ ઓછી હતી એવા એ જમાનામાં રેલવે જેવી સલામત નોકરી દાવ પર લગાડવા કોઈ એમ જ તૈયાર ન થાય! વળી એ પણ પ્રશ્ર્ન થાય છે કે શું સિનિયર ઓફિસરોએ પણ જુનિયરોને આવી અફવા ઉડાડવામાં મદદ કરી હોય?

૨૦૦૯માં મમતા બેનરજીના પ્રયત્નોથી બેગુનકોડોરનું સ્ટેશન ફરી શરૂ કરવામાં આવ્યું અને હવે અહીં લોકલ ટ્રેનો નિયમિતપણે થોભે છે. હવે અહીં કોઈ ભૂતાવળ દેખાતી નથી, પરંતુ વર્ષો અગાઉ પેલી મહિલાનું ભૂત થતું હોવા વિશે સ્થાનિકો હજી પણ ચર્ચા કરતા રહે છે.

શનિવારવાડા ફોર્ટ, પૂના, મહારાષ્ટ્રઃ પેશ્વાના વંશજની ચીસોથી ગૂંજતો કિલ્લો

ઈસવી સન ૧૭૩૨માં પૂનામાં પેશ્ર્વા બાજીરાવ પ્રથમ દ્વારા બનાવાયેલો શનિવારવાડા ફોર્ટ આજ સુધી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વિશાળ પથ્થરો ચણીને બનાવાયેલા આ ભવ્ય કિલ્લામાં પણ ભૂત થતું હોવાની વાયકા વર્ષોથી ચાલતી આવે છે. પૂનમની રાતે અહીં કોઈના મદદ માટેના પોકાર સંભળાય છે. આ ઐતિહાસિક કિલ્લામાં એવું તો શું બન્યું હતું એ જાણવા ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે. અઢારમી સદીમાં પૂનામાં પેશ્ર્વાઓ રાજ કરતા હતા. પેશ્ર્વા બાલાજી બાજીરાવ અને ગોપીકાબાઈને ત્યાં ૧૭૭૦માં નારાયણરાવનો જન્મ થયો હતો. ભાવિ વારસને જાતજાતની કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પિતાના મૃત્યુ બાદ નારાયણરાવને ગાદી મળી, પરંતુ એ સમયે તે હજી ૧૩ જ વર્ષના હોવાથી રાજકારભારની જવાબદારી તેમના કાકા રઘુનાથરાવ પર હતી. કાકાની દાનત રાજગાદી પર બગડતાં તેણે નારાયણરાવની કતલ કરવાનો કારસો ઘડી કાઢ્યો. વર્ષ ૧૭૭૩નો ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલતો હતો એ દરમિયાન જ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. સત્તાલાલસી રઘુનાથરાવના સિપાઈઓએ મધરાતે શનિવારવાડા ફોર્ટ પર હુમલો કરી દીધો. જીવ બચાવવા માટે નારાયણરાવ પોતાનો ઓરડો છોડી બહાર ભાગ્યા. હાથમાં નગ્ન તલવારો સાથે રઘુનાથરાવના યમદૂતો તેની પાછળ પડ્યા. નારાયણરાવ કિલ્લામાં આમથી તેમ ભાગ્યા કે જેથી કોઈ મદદ મળી શકે, પરંતુ તેમના પહેરેદારોને તો પહેલાં જ ખતમ કરી નાખવામાં આવ્યા હતા. સંકટની એ ઘડીમાં નાનકડા બાળકને પોતાના કાકા જ યાદ આવ્યા. ભાગતી વખતે તેણે ‘કાકા, મલા વાચવા!’ (કાકા, મને બચાવો!) એવી બૂમો પાડી. બિચારાને એ ખબર નહોતી કે તેનો જીવ લેવા માટે એ રાક્ષસોને તેના કાકાએ જ મોકલ્યા હતા. નારાયણરાવ મદદ માટે બૂમો પાડતા રહ્યા પણ તેમને કોઈ મદદ ન મળી. આખરે તેમને તલવારો વડે વાઢી નાખવામાં આવ્યા. ખૂબ ક્રૂરતાપૂર્વક તેમની લાશના નાના નાના કટકા કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યા. મરતાં પહેલાં નારાયણરાવે મદદ માટે જે બૂમો પાડી હતી એ જ બૂમોના પડઘા આજની તારીખે પણ શનિવારવાડા ફોર્ટમાં ગુંજતા રહે છે, એવું કહેવાય છે.

રામોજીરાવ ફિલ્મ સિટી, હૈદરાબાદ, આંધ્ર પ્રદેશઃ સિપાઈઓના રક્તથી ખરડાયેલી ભૂમિ

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યાં ફૂલીફાલી છે એવા હૈદરાબાદ શહેરમાં રામોજીરાવ ફિલ્મ સિટી એક ખૂબ જાણીતું સ્થળ છે. ફિલ્મો સાથે સંકળાયેલા હજારો લોકોને રોજી પૂરી પાડતી રામોજીરાવ ફિલ્મ સિટી સન ૧૯૯૬માં બનાવવામાં આવી હતી. દિવસ-રાત ફિલ્મોના શૂટિંગથી ધમધમતા આ સ્થળે પણ વર્ષોથી ભૂતાવળ થતી આવી છે. ફિલ્મસિટીમાં બનેલી હોટેલોમાં રાત્રિ દરમિયાન ભૂતાવળો થતી હોવાની અનેક સાબિતીઓ મળી છે. કમરામાં રાખેલો ખોરાક ફ્લૉર પર વેરણછેરણ થઈ જવો અને ડ્રેસિંગ મિરર પર આપોઆપ જ ઉર્દૂ ભાષામાં લખાણ ઉપસી આવવા જેવી ઘટનાઓ તો અહીં સામાન્ય થઈ પડી છે. હોટેલમાં રાત રોકાનારાની લૉક મારીને રાખેલી બેગો અહીં આપમેળે જ ખૂલી જાય છે અને અંદરનો સામાન આખા રૂમમાં વેરવિખેર થઈ જાય છે. અહીં થતી પ્રેતાત્માઓનું કારણ એ છે કે આ જગ્યા સદીઓ પહેલાં યુદ્ધભૂમિ હતી. નિઝામના જમાનામાં આ સ્થળે અનેક યુદ્ધો લડાયાં હતાં અને હજારો સિપાઈઓનાં લોહી આ ભૂમિ પર રેડાયાં હતાં. દાયકાઓ સુધી રક્તરંજિત થયેલી આ ભૂમિ પર રામોજીરાવ ફિલ્મ સિટી બાંધવામાં આવી હોવાથી અહીં વારંવાર ભૂતોના પરચા મળતા રહે છે. આ અદૃશ્ય ભૂતોથી છુટકારો મેળવવા અનેક વાર તાંત્રિક વિધિઓ કરવામાં આવી છે, પરંતુ ઝાઝો ફાયદો થયો નથી. થોડા દિવસોની શાંતિ બાદ પાછું બધું જેમનું તેમ જ થઈ જાય છે. ઉર્દૂમાં ન સમજાય એવા અક્ષરોમાં લખાતા શબ્દો પણ આ ભૂતોવળોનાં જ કારસ્તાન છે.

વૃંદાવન સોસાયટી, થાણે, મહારાષ્ટ્રઃ તમાચા મારતું ભૂત

થાણે ખાતે આવેલી વૃંદાવન સોસાયટીના ‘બિલ્ડિંગ બી’ના ૬૬ નંબરના ફ્લૅટમાં એક આધેડ વયના પુરુષે આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારથી તેનું ભૂત રાતના સમયે આ સોસાયટીમાં ભટકતું રહે છે. એ ભૂત કોઈને દેખાતું નથી, પણ તેની હાજરી અનુભવી શકાય છે. ‘બી’ બિલ્ડિંગનો નાઈટ વોચમેન એક રાતે પોતાની જગ્યાએથી ઊઠીને ‘એ’ બિલ્ડિંગના વોચમેન પાસે ટાઈમપાસ કરવા ગયો હતો. ગપ્પાં મારતી વખતે પેલાનું ધ્યાન બીજી તરફ ગયું ત્યાં જ તેના ગાલ પર એક ઝન્નાટેદાર તમાચો પડ્યો. ‘એ’ બિલ્ડિંગના વોચમેને પોતાને માર્યો હતો એમ માની તેણે તેને મારવા માંડ્યો. બંને વચ્ચે મધરાતે મારામારી થવા લાગી. થોડી વાર બાદ બંનેને ખ્યાલ આવ્યો કે ‘બી’ બિલ્ડિંગના વોચમેનના ગાલ પર પડેલો એ તમાચો કોઈ અદૃશ્ય શક્તિએ માર્યો હતો. ડરના માર્યા બંને જણે નોકરી છોડી દીધી. તેમના પછી નોકરીએ લાગેલા ચોકીદારોને પણ એ રીતે જ તમાચા પડવાનું ચાલુ રહ્યું, પરંતુ આવા તમાચા એ જ ચોકીદારોને પડતા જે પોતાની ફરજ ચૂકતા. જેમ કે ચાલુ ડ્યુટીએ પાનમસાલા ખાવા આમતેમ જતા રહેવું કે ખુરશીમાં બેઠાં બેઠાં ઊંઘી જવું. કહેવાય છે કે ‘બી-૬૬’ ફલેટમાં આપઘાત કરનાર વ્યક્તિનું પ્રેત જ એ ચોકીદારોને તેમની ફરજચૂક બદલ સજા કરતું હતું.

ડૉ હિલ, કુરસંગ, પશ્ર્ચિમ બંગાળઃ સ્કૂલ પર કબજો જમાવી દેતી ભૂતાવળ

પશ્ર્ચિમ બંગાળના વિશ્ર્વવિખ્યાત હિલ સ્ટેશન દાર્જીલિંગથી ૩૦ કિલોમીટર દૂર કુરસંગ નામનું નાનકડું હિલ સ્ટેશન આવેલું છે. લીલાંછમ જંગલો અને અદ્‍ભુત હવામાન ધરાવતું આ સ્થળ શરૂઆતથી જ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી અહીં થતી ભૂતાવળની વાયકાને લીધે વધુ ને વધુ પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે. કુરસંગનાં ભેજવાળાં, ગાઢ, ઠંડાં જંગલમાં એકથી વધારે હત્યાઓ થઈ છે અને કેટલાક લોકો હંમેશ માટે ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોની કદી ભાળ નથી મળી! જંગલને અડીને આવેલી ‘વિક્ટોરિયા બોઇઝ હાઈસ્કૂલ’માં ભૂતાવળ થતી હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી પડતી હોવાથી શિયાળા દરમિયાન શાળાઓમાં વેકેશન આપવામાં આવે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન જ્યારે શાળાઓમાં રજા હોય છે, ત્યારે બંધ પડેલી વિક્ટોરિયા બોઇઝ હાઈસ્કૂલ પર ભૂતો કબજો જમાવી દેતાં હોવાનું માનવામાં આવે છે. એકાંતમાં આવેલી બંધ શાળામાંથી જાતજાતના અવાજો આવતા હોય છે એવું અહીંથી પસાર થનારા લોકો કહે છે.

મોટે ભાગે દાદર પર ઘણાં બધાં બાળકો એક સાથે ચઢ-ઊતર કરતાં હોય એવા અવાજો સંભળાય છે. જાણે કે શાળા ચાલુ હોય એવો ભાસ સ્થાનિકોને થાય છે. વિક્ટોરિયા હાઈસ્કૂલ ઉપરાંત પણ કુરસંગનાં જંગલમાં બીજી એક ભૂતાવળ થાય છે. જંગલના ‘ડૉ હિલ’ નામે ઓળખાતા વિસ્તારમાં દસ-બાર વર્ષના એક બાળકનું ભૂત અવારનવાર દેખાતું રહે છે. બળતણ માટેનાં લાકડાં વીણવા જંગલમાં જતા સ્થાનિક લોકોને ટૂંકી ચડ્ડી અને મેલું પહેરણ પહેરેલો એ બાળક વર્ષોથી દેખાતો આવ્યો છે. કોઈ તેને બોલાવે કે તેની નજીક જવાની કોશિશ કરે તો તે ઊંડા જંગલમાં ભાગી જાય છે. જોકે આજ સુધી એ બાળકના પ્રેતે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.

દિલ્હી કેન્ટોન્મેન્ટઃ દોડતા વાહન સાથે સ્પર્ધામાં ઉતરતી એ આત્મા

દિલ્હીનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર લીલાંછમ વૃક્ષોથી ભરપૂર છે. કુદરતી સૌંદર્યથી ફાટફાટ થતાં આ વિસ્તારમાં વર્ષોથી એક ભૂત થતું હોવાની વાયકા છે. અહીંથી પસાર થતી સડક પર સફેદ સાડી પહેરેલી એક સ્ત્રીનું ભૂત થાય છે જે એકલા મુસાફરી કરી રહેલા વાહનચાલકો પાસે લિફ્ટ માગે છે. જો કોઈ પરગજુ મુસાફર પોતાનું વાહન થોભાવી દે તો તેના દેખતાં જ પેલી સ્ત્રી જાણે કે હવામાં ઓગળી ગઈ હોય એમ અદૃશ્ય થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ તેને લિફ્ટ આપવા માટે રોકાવાને બદલે વાહન હંકારતો રહે તો પેલું ભૂત જાણે કે એ વાહન સાથે સ્પર્ધામાં ઊતરે છે. ફૂલ સ્પીડમાં ભાગતા વાહન કરતાંય વધુ ઝડપે દોડીને તે વાહનને પાછળ છોડીને સડસડાટ આગળ નીકળી જાય છે.

કેન્ટોન્મેન્ટના એ નિર્જન વિસ્તારમાં લોકોને રાતના અંધારામાં જ નહીં પણ દિવસના અજવાળામાં પણ આવા ભૂતિયા અનુભવો થતા રહે છે. કહેવાય છે કે એ સ્ત્રીનું વર્ષો પહેલાં એ જ રસ્તા પર એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારથી તેનું ભૂત ત્યાં દેખાતું રહે છે.

જમાલી-કમાલી મસ્જિદ-મકબરો, મહેરૌલી, દિલ્હીઃ સપાટા બોલાવતા ‘જીન’

દિલ્હીની દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં આવેલું સ્થળ મહેરૌલી એક પુરાતત્વીય કોમ્પ્લેક્સ છે. અહીં જમાલી-કમાલી નામની મસ્જિદ કમ મકબરો આવેલો છે જે કલાકારીગીરીનો એક ઉત્તમ નમૂનો છે. સોળમી સદીમાં જમાલી અને કમાલી નામના બે મુસ્લિમ સંતો આ સ્થળે આવીને વસ્યા હતા. તેમણે લોકોને ધર્મનું સાચું જ્ઞાન આપ્યું અને ખુદાની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું. ઈસવી સન ૧૫૨૮માં તેમનાં અવસાન થયા બાદ મસ્જિદના પરિસરમાં જ તેમને દફનાવવામાં આવ્યા અને એમનો મકબરો બનાવવામાં આવ્યો. ત્યારથી એ મસ્જિદ અને મકબરો સંયુક્તપણે જમાલી-કમાલીને નામે જાણીતો થયો છે. આજે એ સ્થળ ‘જીન’નું ઘર હોવાનું કહેવાય છે, પરંતુ આ જીન એ નથી જે ‘હુકુમ, મેરે આકા!’ કહીને તમારી ત્રણ ઈચ્છાઓ પૂરી કરી દે. આ જીન થોડા તકલીફદાયક-મુશ્કેલીકારક છે. જમાલી-કમાલીની મુલાકાતે આવનારા લોકોએ આ સ્થળના ખૂણાઓમાંથી જંગલી પ્રાણીઓના ઘુરકાટ સાંભળ્યાના બનાવો બન્યા છે. કેટલાક પ્રવાસીઓને પીઠ અને ગાલ પર અદૃશ્ય શક્તિ દ્વારા તમાચા પડવાની ઘટનાઓ પણ બની છે. આવા પ્રસંગોએ ભોગ બનેલા લોકોનાં શરીર પર મારનાં નિશાન પણ મળી આવ્યાં છે. આવી તમામ અસામાન્ય ઘટનાઓની પાછળ જમાલી-કમાલીમાં રહેતા જીનોને કારણરૂપ ગણવામાં આવ્યા છે.

ખૂની દરવાજા, દિલ્હીઃ લોહી નીંગળતી એ દીવાલો

દિલ્હી શહેરના પ્રવેશદ્વાર ગણાતા ૧૩ દરવાજા પૈકીનો એક એવો ખૂની દરવાજા ભૂતિયો હોવાનું કહેવાય છે. પચાસ ફીટ ઊંચાઈનો ખૂની દરવાજા બહાદુર શાહ ઝફર માર્ગ પર દિલ્હી ગેટની નજીક આવેલો છે. લાલ દરવાજા તરીકે પણ ઓળખાતા આ દરવાજાનું નિર્માણ શેર શાહ સૂરીએ કરાવ્યું હતું. અંગ્રેજ હકૂમત વિરુદ્ધ સન ૧૮૫૭માં જ્યારે આઝાદી મેળવવા માટે પહેલો વિગ્રહ થયો હતો ત્યારની આ વાત છે. મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના બે દીકરા મિર્ઝા મુગલ, ખીર્ઝ સુલતાન અને પૌત્ર અબુ બકરની હત્યા અંગ્રેજ ઓફિસર વિલિયમ હડસને ખૂની દરવાજા પાસે કરી હતી. એ હત્યાકાંડ ઘટે એ પહેલા બહાદુર શાહ ઝફરે અંગ્રેજો સામે ઘૂંટણિયાં ટેકવી દીધાં હતાં અને આત્મસમર્પણ કરી દીધું હતું, પરંતુ તેના ત્રણ રાજકુમારો એમ કરવા તૈયાર નહોતા. તેઓ લપાતા-છુપાતા ભાગતા ફરતા હતા, પરંતુ તેઓ લાંબો સમય આ રીતે જીવી શકે એમ ન હોવાથી તેમણે પણ આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી. બહાદુર શાહ ઝફરની જેમ તેમને પણ જીવનદાન મળશે એમ વિચારી તેમણે શરણાગતિ સ્વીકારી લીધી, પરંતુ અંગ્રેજ સરકારને તેમને જીવતા રાખવાની કોઈ જરૂર લાગી નહીં. ૨૨ સપ્ટેમ્બર, ૧૮૫૭ના દિવસે વિલિયમ હડસને ત્રણે રાજકુમારોને લાલ દરવાજા પાસે ગોળીએ દીધા હતા અને એટલે જ એ સ્થળ ખૂની દરવાજા નામે જાણીતું થયું હતું. એ ખૂની દરવાજા પર ત્રણે રાજકુમારોનાં ભૂત થતાં હોવાનું કહેવાય છે. ચોમાસા દરમિયાન દરવાજાની છતમાંથી લોહી ટપકતું હોવાના પણ કિસ્સા નોંધાયા છે. કેટલાક લોકોએ તો દરવાજાના પથ્થરોમાંથી ન સમજી શકાય એવા અવાજો સાંભળ્યાનાં પણ દાવા કર્યા છે.

આ ઉપરાંત પણ ભારતમાં કેટલાંક એવાં સ્થળો છે જ્યાં વર્ષોથી ભૂતાવળ થતી હોવાની લોકવાયકા ચાલતી આવી છે. ગુજરાતના સુરત શહેરમાં આવેલા ડુમસના દરિયાકિનારે હિન્દુઓની સ્મશાનભૂમિ આવેલી છે. દરિયાકિનારાના એક ચોક્કસ વિસ્તારમાં રાત દરમિયાન ભૂતો દેખાવાના બનાવો બન્યા છે. કોલકાતા શહેરમાં બી.બી.ડી. સ્કેવર ખાતે આવેલા રાઈટર્સ બિલ્ડિંગમાં પણ ભૂતાવળ થતી હોવાનું કહેવાય છે. લાલ રંગના આ વિશાળ સરકારી મકાનના અમુક ઓરડાઓ વર્ષોથી વણવપરાયેલા પડ્યા છે. કોઈને પણ એ ઓરડાઓના દરવાજે લાગેલાં તાળાં ખોલવાની છૂટ નથી. એ તમામ ઓરડાઓ ભૂતાવળા હોવાની માન્યતા છે. રાતના સમયે એ કમરાઓમાંથી કોઈકના રડવાના અવાજો આવતા હોવાની વાયકા છે.

કોલકાતાના જ અન્ય એક સ્થળ ‘રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન’માં પણ ભૂતો દેખાતાં હોવાનું કહેવાય છે. રવિન્દ્ર સરોવર એક માનવનિર્મિત સરોવર છે જેમાં કૂદીને અનેક લોકોએ આત્મહત્યા કરી છે. સરોવરની બાજુમાં જ આવેલા મેટ્રો સ્ટેશનમાં એ સરોવરમાં જીવ આપનાર લોકોના પ્રેતાત્માઓ દેખાતા આવ્યા છે.

મેરઠમાં આવેલ ‘જી. પી. બ્લોક’ નામનું મકાન, કોટાની ‘બ્રિજ રાજ ભવન હોટલ’ અને દિલ્હીનો ‘સંજય વન’ વિસ્તાર પણ ભૂતાવળાં સ્થળો ગણાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED