Darna Mana Hai - 1 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-1 ભાણગઢઃ બોલતા ખંડેરોનો ગઢ

ડરના મના હૈ

Article 1

બોલતા ખંડેરોનો ગઢ- ભાણગઢ

લેખકઃ મયૂર પટેલ, વલસાડ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

‘રાજસ્થાન’ નામ લેતાં જ અફાટ રણપ્રદેશ અને ભારતનાં રાજવી ઈતિહાસની ભવ્યતાની સાક્ષી પૂરતા મહેલો માનસપટલ પર તાદૃશ્ય થઈ જાય છે. પણ આ જ રાજસ્થાનનો એક ખૂણો એવો પણ છે જ્યાંનો ઈતિહાસ સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સુતો છે. ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું એ ‘ભાણગઢ’ નામનું નાનકડું ગામ આજે ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા ગણાયેલા આ સ્થળે એવું તો શું બને છે એ જાણવા ભાણગઢનો ભૂતકાળ ઉખેળવો પડશે.

ભાણગઢ:

દુનિયામાં અનેક એવા સ્થળો છે જે તેના ઐતિહાસિક વારસાને બદલે તેને લગતી ભૂતિયા કહાનીઓને લીધે પ્રવાસીઓમાં આકર્ષણ જગાવતા હોય છે. રાજસ્થાનનાં અલવર જિલ્લામાં આવેલું ‘ભાણગઢ’ પણ એક એવું જ સ્થળ છે. અલવરથી જયપુર જતા હાઇવે નંબર 11A પર આવેલું ભાણગઢ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્થળ છે. મધ્યમ કદનાં પહાડોથી ઘેરાયેલા ભાણગઢમાં વડ અને કેવડાનાં સુંદર વૃક્ષો ઠેરઠેર જોવા મળે છે. અહિં ઘણા જોવાલાયક મંદિરો છે, જેમ કે ગોપીનાથ મંદિર, સોમેશ્વર મંદિર, કેશવરાજ મંદિર અને મંગલાદેવી મંદિર. આ તમામ મંદિરોની બાંધણી અત્યંત ચિત્તાકર્ષક છે અને તેમની જાળવણી ઘણી સારી રીતે કરવામાં આવી છે. ભાણગઢનો વિશાળ કિલ્લો તેના સ્થાપત્ય માટે જાણીતો છે. જોકે આંગળીને વેઢે ગણી શકાય એટલા બાંધકામો સિવાય ભાણગઢમાં એવા ઘણા મંદિરો અને હવેલીઓ છે કે જે કાળની થપાટે એટલી હદે ખંડેર બની ચૂક્યા છે કે હવે તેમની જાળવણી શક્ય નથી. કિલ્લા તરફ જતા માર્ગની બન્ને બાજુ સ્થિતપ્રજ્ઞની જેમ ઉભેલા આ ખંડેરો ભાણગઢની સુવ્યવસ્થા અને સ્થાપત્યને ખૂબ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. પરંતુ ભાણગઢ જે બાબત માટે વિશ્વવિખ્યાત છે એ એનો ઐતિહાસિક વારસો નથી. ભાણગઢ ભૂતિયા હોવાનું કહેવાય છે અને રાત્રે અહીં ભૂતાવળ થતી હોવાની વાયકા છે. તે પણ એટલી હદે કે આ નગરને વિશ્વની સૌથી વધુ ડરામણી ‘ટોપ 10’ જગ્યાઓમાં ગણવામાં આવે છે. ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે અહીં એક બોર્ડ મૂક્યું છે જેના પર લખ્યું છે કે, ‘ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશ પ્રતિબંધિત છે. નિયમનો ભંગ કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ માટે એક નિયમ છે કે કોઈ પણ રક્ષિત સ્મારકના પરિસરની અંદર જ પુરાતત્વ વિભાગની ઓફિસ હોવી જોઈએ, પરંતુ રાત્રી દરમ્યાન ભાણગઢમાં થતી રહસ્યમય ગતીવિધિઓને લીધે અહીં ઓફિસ ખોલવાની હિંમત પુરાતત્વ વિભાગ પણ કરી શક્યો નથી. તેમની ઓફિસ ભાણગઢનાં ખંડેરોથી એક કિલોમીટર દૂર ખોલવામાં આવી છે. ભૂતપ્રેતને માત્ર નબળા મનનો વહેમ ગણીને હસી કાઢનારાઓ માટે આ ઘણું સૂચક છે.

ઈતિહાસ અને લોકવાયકા:

ભાણગઢનો ઈતિહાસ જોઈએ તો ઈ. સ. ૧૫૭૩માં રાજા ભગવંત દાસે પોતાના દિકરા માધો સિંહ માટે ભાણગઢ નગરનું નિર્માણ કરાવ્યું હતું. માધો સિંહ પછી તેના દીકરા છત્તર સિંહે ભાણગઢનું રાજ સંભાળ્યું હતું. ઈ. સ. ૧૬૩૦માં છત્તર સિંહના મૃત્યુ પછી ભાણગઢનું પતન શરૂ થયું અને એ પતન માટે બે અલગ અલગ લોકવાયકાઓ કારણભૂત હતી. એક વાયકા મુજબ ભાણગઢ શરૂઆતથી જ એક શ્રાપિત નગર હતું. નગરના શિલારોપણ અગાઉ આ સ્થળ એક વેરાન જંગલ હતું અને અહીં ગુરુ બાલુનાથ નામના એક સંત એકલા રહેતા હતા. તેઓ પ્રભુભક્તિમાં લીન રહેતા હતા અને સંન્યાસી જીવન જીવતા હતા. તેમણે નગરની સ્થાપના માટે એ શરતે મંજુરી આપી હતી કે નગરના કોઈ પણ મકાનની ઊંચાઈ એટલી ન હોવી જોઈએ કે જેથી તેનો પડછાયો તેમના રહેઠાણ પર પડે. તેમની શરત રાજવી પરિવાર દ્વારા માન્ય રાખવામાં આવી હતી. ભાણગઢ નગરમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતું ત્યારે તેમની શરતનું અચૂકપણે પાલન કરવામાં આવતું. વર્ષો વીતી ગયા અને ભારતવર્ષમાં ભાણગઢ એક જાણીતા નગર તરીકે ઉભરી આવ્યું. ગુરુ બાલુનાથના મૃત્યુ પછી તેમની સમાધી ભાણગઢમાં જ બનાવવામાં આવી હતી. અને એમના મૃત્યુ પછી પણ એમની શરતનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરંતુ છત્તર સિંહના દીકરા અજબ સિંહે અજાણતામાં આ શરતનો ભંગ કર્યો અને પોતાના મહેલની ઊંચાઈ એટલી વધારાવી દીધી કે જેથી તેનો પડછાયો ગુરુ બાલુનાથના રહેઠાણ પર પડવા લાગ્યો. બસ... તે દિવસથી ભાણગઢને ગુરુ બાલુનાથનો શ્રાપ લાગી ગયો. લોકો રહસ્યમય રોગચાળાનો ભોગ બનવા લાગ્યા. ધનધાન્યનું ઉત્પાદન કોઈ પણ દેખીતા કારણ વગર ઘટવા લાગ્યું. કોઈ અદૃશ્ય શક્તિના કોપને લીધે ભાણગઢની જનતા આકસ્મિક મૃત્યુનો ભોગ બનવા લાગી. ક્યારેક દુકાળ પડતો, તો ક્યારેક અતિવૃષ્ટિ થતી. ક્યારેક રેતીનું તોફાન ચડતું, તો ક્યારેક ભાગોળે ચરવા ગયેલા ઢોરઢાંખર સામૂહિક રૂપે ગાયબ થઈ જતા. હા, રીતસર ગાયબ થઈ જતા, અને પછી એમનો કોઈ પત્તો લાગતો નહીં. આ પ્રકારની સિલસિલાબંધ આપત્તિઓને લીધે ધીમે ધીમે નગર ખાલી થવા લાગ્યું, અને પછી એક દિવસ એવો આવ્યો કે ભાણગઢમાં એક પણ માણસ બચ્યો નહિ. લોકો કહે છે કે, ગુરુ બાલુનાથના શ્રાપને લીધે ભાણગઢમાં કોઈ પણ ઘરનું છાપરું સાબૂત નહોતું રહેતું. છાપરું બનાવવામાં આવે તો પણ એક યા બીજા કારણસર તૂટી જ પડતું.

આને સમાંતર બીજી પણ એક વાયકા જાણીતી છે જે ભાણગઢની યુવાન રાજકુમારી રત્નાવતીને લગતી છે. રૂપરૂપનાં અંબાર સમી રત્નાવતી ખૂબ જ ચતુર અને આકર્ષક યુવતી હતી. પાક કળાથી લઈને તલવારબાજી અને નૃત્યથી લઈને ઘોડેસવારી જેવી અનેક કળાઓમાં તે નિષ્ણાંત હતી. આવી સર્વાંગ, સંપૂર્ણ યુવતીને પામવા કોઈ પણ પુરુષ તૈયાર થઈ જાય. કિશોરાવસ્થામાં પ્રવેશતા જ રત્નાવતીને લગ્ન માટે આસપાસનાં રાજ્યોનાં રાજકુમારોના માગા આવવાના શરુ થઈ ચૂક્યા હતા. પરંતુ ભાણગઢમાં કોઈક એવું હતું જેની કાળી નજર રત્નાવતી પર હતી. સિંઘીયા નામના એક તાંત્રિકને રત્નાવતી સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો. ભાણગઢનાં કોઈ ખૂણામાં તે એકલો રહેતો અને રહસ્યમય જીવન જીવતો હતો. વર્ષો સુધી ગૂઢ શક્તિઓ અને તંત્ર વિદ્યાનો અભ્યાસ કરીને તેણે કેટલીક અમોઘ શક્તિઓ મેળવી હતી. તે રત્નાવતીને પરણવા ઈચ્છતો હતો પણ તે જાણતો હતો કે તે કદી રત્નાવતીને સીધે રસ્તે પામી શકવાનો નથી એટલે તેણે પોતાની તાંત્રિક શક્તિઓનો દુરુપયોગ કરી રાજકુમારીને પામવાનો પ્રયાસ કર્યો હતો. એક દિવસ રત્નાવતીની દાસી તેના માટે બજારમાંથી સુગંધી તેલ ખરીદી રહી હતી ત્યારે સિંઘીયાએ ચુપકીદીથી એ તેલ પર પોતાની મેલી વિદ્યા અજમાવી દીધી. એ મંત્રેલા તેલનો સ્પર્શ થતાં જ રત્નાવતી તેના વશમાં થઈ જાય એમ હતું. પણ સિંઘીયાની ગણતરી ખોટી પડી કેમ કે રત્નાવતીએ સિંઘીયાને મેલી વિદ્યા અજમાવતા જોઈ લીધો હતો. તેણે તેલની શીશી ત્યાં જ ઢોળી દીધી. તેલ જમીન પર પડતા જ એક મોટા પથ્થરના રૂપમાં ફેરવાઈ ગયું. કોઈનું ખરાબ કરવા માટે અજમાવાયેલી તાંત્રિકવિધિ એમ કંઈ ખાલી જાય એમ નહોતું. કાળી શક્તિએ પોતાનો પરચો આપ્યો અને એણે પોતાના જ સર્જકનો ભોગ લીધો. એ પથ્થર હવામાં ઊડ્યો અને જઈને સીધો થોડે દૂર છુપાઈને બેઠેલા સિંઘીયા પર જ પડ્યો. આમ, પથ્થરનો સર્જક જ તેની નીચે ચગદાઈને મરણને શરણે થઈ ગયો. પરંતુ મરતા પહેલા તેણે ગુસ્સામાં આવી શ્રાપ આપ્યો કે ભાણગઢનાં તમામ રહેવાસી અકાળ અવસાન પામશે. સીંધિયાના શ્રાપને કહેર બનીને ભાણગઢવાસીઓ પર વરસવામાં વાર ન લાગી. બીજે જ વર્ષે ભાણગઢનું તેના પડોશી રાજ્ય સાથે યુધ્ધ થયું અને રાજકુમારી રત્નાવતી સહીત અનેક પ્રજાજનો તે યુધ્ધમાં માર્યા ગયા. તે પછી પણ ભાણગઢમાં અકાળ મૃત્યુ, અકસ્માત અને રોગચાળા જેવી ઘટનાઓએ અનેક લોકોનો ભોગ લીધો. ત્યારથી લઈને અત્યાર સુધી ભાણગઢમાં એ તાંત્રિકના શ્રાપને લીધે રહસ્યમય દુર્ઘટનાઓ બન્યા જ કરે છે એવું સ્થાનિક લોકોનું માનવું છે. અને હા, વાયકા એવી પણ છે કે એ દુષ્ટ તાંત્રિક આજે પણ અદૃશ્ય સ્વરૂપે ભાણગઢમાં હાજર છે અને કોઈક ખંડેર મંદિરની છત પર બેસીને આવતા-જતા લોકો પર ચાંપતી નજર રાખે છે.

ભાણગઢની આજ:

ઈ. સ. ૧૭૮૩ના ભયંકર દુકાળ પછી તો ભાણગઢ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું. આજે જે લોકો ત્યાં વસે છે તે ભાણગઢની હદ બહાર વસે છે. સ્થાનિક લોકોમાં ભાણગઢનાં ભૂતોની દહેશત એટલી હદે પ્રવર્તે છે કે, રાત પડ્યા પછી તો કોઈ ભૂલથી પણ ભાણગઢમાં પ્રવેશ કરતું નથી. અહીં કેટલાક યુવાનો ગાઇડ તરીકે કામ કરે છે, પણ કોઈ પ્રવાસી ગમે એટલા રૂપિયાની લાલચ આપે તો પણ તેઓ સૂરજ ઢળ્યા પછી ભાણગઢમાં જવા તૈયાર થતા નથી. અહીંનાં ખંડેરોમાં અનેક એવા બોગદાઓ છે કે જે જમીનની નીચે બનેલા વિશાળ ભોંયરાઓમાં લઈ જાય છે પરંતુ કોઈ એ અંધારિયા બોગદાઓમાં પ્રવેશવાની હિંમત કરતું નથી. ભાણગઢ જતાં પ્રવાસીઓને ઘણીવાર વિચિત્ર અનુભવો થાય છે. કોઈને દેખીતા કારણ વગર બેચેની લાગે છે તો કોઈને ખુલ્લી હવામાં પણ ગભરામણ થવા લાગે છે. દિવસનાં અજવાળાંમાં પણ જો આવું થતું હોય તો પછી રાતનું તો પૂછવું જ શું! ખરેખર તો ભાણગઢનાં રહસ્યમય ખંડેરોમાં રાત પડ્યા પછી શું થાય છે એ કોઈ કહી શકતું નથી કેમ કે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી દાખલ થયેલો માણસ કદી પાછો ફરતો નથી. અને એવા કિસ્સાઓ એક થી વધારે વાર બન્યા છે કે જ્યારે કોઈ અટકચાળા પ્રવાસીઓ ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી દાખલ થયા હોય અને પછી હંમેશ માટે ગાયબ થઈ ગયા હોય. એટલા માટે જ તો ભારતીય પુરાતત્વ વિભાગે અહીં પેલું ચેતવણીસૂચક બોર્ડ મૂકવું પડ્યું છે. ભારતભરમાં અનેક સ્થળોએ ભૂત થતું હોવાનું કહેવાય છે પરંતુ ખુદ સરકારી તંત્રે ક્યાંય આ પ્રકારની ચેતવણી મૂકવી પડી નથી, એ હકીકત ભાણગઢમાં ભૂતિયા પ્રસંગો બનતા હોવાની બાબતનું આડકતરી રીતે સમર્થન કરે છે.

આ પ્રકારની વાતો સાચી છે કે માત્ર અફવા એની કોઈ નક્કર સાબિતી નથી પણ એટલું તો પાકું છે કે ભાણગઢ નામનું એ પ્રાચીન નગર સૈકાઓથી પોતાના ખંડેરોમાં કોઈ રહસ્ય ધરબીને બેઠું છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED