દીકરી મારી દોસ્ત - 4 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત - 4

દીકરી મારી દોસ્ત

  • ......
  • દીકરીની આંખોમાં ઉગતું મેઘધનુષ...
  • આંખોમાં અચરજ, હોઠોમાં હાસ્ય, અંગઅંગ ઉજાસ.

    વહાલી ઝિલ, આજે શુભમ અને “ તારા ” ઘરના બધાને આપણે ઘેર જમવાનું કહ્યું હતું. કેવું વિચિત્ર લાગે છે..! “તારું ઘર ”..તારું ને મારું ઘર જુદા કઇ ક્ષણથી થઇ ગયા ? શુભમે તારી આંગળીમાં વીંટી પહેરાવી ત્યારથી ? એ ક્ષણ શું આપણી જુદાઇની ક્ષણ હતી ? ( જોકે અહીં હું શારીરિક કે સામાજિક જુદાઇની વાત કરું છું. ) અને મારા મનમાં રણકી ઉઠી કયાંક વાંચેલ આ પંક્તિ...પૂરી તો યાદ નથી. પણ કંઇક આવું હતું.

    “ ખોળો વાળી ને હજી રમતા’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઉતર્યા....આમ પાનેતર પહેર્યું ને.. પરદેશી પંખીના ઉઠયા મુકામ. ”

    જો એ જુદાઇની ક્ષણ હોય તો યે મંગલમય કેમ લાગતી હશે ? દરેક પુત્રીને અને દરેક માને પણ..! આપણી સંસ્કૃતિના મૂળ કેટલા ઉંડા હશે ! આ કપરી ક્ષણની પણ દરેક મા બાપ આનંદથી રાહ જોતા હોય છે. દીકરીના તુલસી કયારાને અન્યના આંગણામાં રોપવાની..એને લીલોછમ્મ બની ત્યાં ખીલવાની..પ્રતીક્ષા કદાચ જાણ્યે અજાણ્યે દીકરીના જન્મની સાથે શરૂ થઇ જતી હશે. હે ઇશ્વર, દરેક દીકરીનો એ તુલસી કયારો લીલોછમ્મ રહે એ પ્રાર્થના આજે વિશ્વની સમસ્ત પુત્રી માટે અંતરમાંથી વહે છે.

    “ દીકરી ના સાપનો ભારો, દીકરી ના કોઇ ઉજાગરો; દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો તુલસી કયારો. ”

    તે દિવસે..તારા સાસુ, સસરા અને શુભમની હાજરીમાં તું કેવું સરસ ધીમે ધીમે બોલતી હતી.! હું તો સાંભળતી જ રહી ગઇ..! આ તો મારું શીખડાવેલ નથી. કયાંથી..કયારે શીખી ગઇ મારી દીકરી આ બધું ? પ્રકૃતિનું કયું અગોચર તત્વ આવી ને તેના કાનમાં ફૂંક મારી ગયું ? દરેક છોકરીમાં આપમેળે આ સમજ કયા પાતાળમાંથી ફૂટી નીકળતી હશે ? ‘ મમ્મી, થોડું લો ને...’ અરે વાહ..! હું તો જોઇ જ રહી..! પરમ આશ્ર્વર્યથી..

    “ કોઇ એકની નજર ફરી અને ...આ આખું યે અસ્તિત્વ બદલાયું છે. ”

    સાચું કહું....? મને તો હસવું આવતું હતું. મારી બેટી કેવી ડાહી થઇ ગઇ છે !

    બાકી મારી પાસે તો રોજ કેવા યે નખરા કરતી અને કરાવતી હોય છે..! તારી અને મારી આંખો મળી..બંને ધીમું મલકયા..કોઇને યે ખબર ન પડે તેમ..! એ એક ક્ષણમાં રચાયેલ આપણું ભાવવિશ્વ કોઇ ને યે સમજાય તેમ નહોતું. બાકી આજે યે હું કંઇ તારા એ નખરા ભૂલી તો નથી જ.! ત્યારે તને ખવડાવવા માટે મારે..અમારે કેવા જાતજાતના નાટક કરવા પડતા હતા..વાર્તાઓ કરવી પડતી હતી. દૂધનો ગ્લાસ લઇને પાછળ પાછળ ફરવું પડતું. એ દ્રશ્યો તને આ રૂપે જોઇને અનાયાસે મારી અંદર ફરી એક્વાર ઉગી નીકળ્યા.

    ગ્લાસમાંથી દોડી દોડીને એક ઘૂંટડો ભરીને પાયલ છમકાવતી ..ભાગી જતી તું..અને આંખો બંધ કરી બોલતી હું, ‘ ઝિલ, જો તું દૂધ પી ન જતી હોં..મીની માસી આવી ને પી જાય છે...અને મને “ ઉલ્લુ ” બનાવી ખુશ થતી તું દૂધ ગટગટાવી જતી....અને મારી સામે જોઇને વટથી ઉભી રહેતી..અને મારે કહેવાનું કે .’લે,મીની દૂધ પી ગઇ ? ‘ અને તું મને તારું દૂધવાળુ મોં બતાવી રહેતી. આજે શુભમને વિવેકથી દૂધનો ગ્લાસ આપી રહેલ તને જોઇને હું આ મીઠી યાદોથી મલકી ઉઠું છું. દરેક દીકરી મા પાસે આવા નખરા કરતી જ રહેતી હોય છે ને ?

    સમય કયારે અતીત બની સરી ગયો...નજર સામે તું મોટી થઇ..અને છતાં કયારે મૉટી થઇ એ ખબર ન પડી. દરેક દીકરીની મા ને આવું જ થતું હશે ને ? કોઇને ખબર નહીં પડતી હોય ને ? કોઇ શબ્દોમાં વ્યકત કરી શકે... કોઇ નહીં..પણ અનુભૂતિ તો દરેકની આ જ હોતી હશે ને ? દરેક મા ખાસ કરી ને જીવનસંધ્યા એ.. જ્યારે દીકરી દૂર હોય ત્યારે આમ જ છલકતી હશે ને ? અને કયારેક આંખમાંથી બે બુંદ ટપકી પડતા હશે. એ ખારા બુંદ કોઇ શબ્દોના મોહતાજ થોડા હોય છે ?

    આજે પપ્પાને મૂકીને તું શુભમ સાથે આનંદથી હોંશથી જાય છે. પણ તે દિવસોમાં તો પપ્પાને ઓફિસે જવું હોય તો તારી હાજરીમાં કયારેય જઇ શકતા નહીં. તારા રુદનથી ગભરાઇને હું તને દૂર લઇ જાઉં પછી જ પપ્પા ઓફિસે જવા નીકળી શકતા. પપ્પાની તું ચમચી હતી ને.! અને તારું જોઇને મીત પણ પછી એવું જ કરતો. યાદ છે એ દિવસ ? એકવાર પપ્પાને બહારગામ જવાનુ હતુ. મીત ને મજા નહોતી આવતી. એને પક્ષીઓ જોવા બહુ જ ગમતા. તેથી તે દિવસે એનું ધ્યાન બીજે દોરવા તું એને કહેતી હતી.,’ ભઇલા, જો કાગડો...’ બાજુમાં આવી ને બેસેલ કાગડો બતાવતા તેં એને કહ્યું. અને કેવી યે નિર્દોષતાથી ત્રણ વરસનો મીત રોતલ અવાજે બોલી ઉઠેલ,’ કાગડા કરતાં તો મને પપ્પા વધારે ગમે છે..!’

    અને હું ખડખડાટ હસી પડેલ. અને આજે યે આપણે કહીએ છીએ ને કે મીતને પપ્પા કેટલા ગમે ? ‘ કાગડા કરતાં વધારે..! ‘ અતીતના એ મીઠા સ્મરણોથી આજે અમારી દુનિયા લીલીછમ્મ બની ઉઠે છે. જીવનસંધ્યાએ દરેક મા બાપ પાસે રહેલ આ અમૂલ્ય ખજાનો તેમના જીવનમાં મીઠાશ ભરી રહે છે. આજે તારી આંખોમાં ઉગતા મેઘધનુષને હું આનંદથી માણી રહું છું. દીકરીનું હાસ્ય માના ભાવવિશ્વને કેવો ઉજાસ અર્પી રહે છે.!

    શૈશવની એ સરળતા, એ મધુરતા , એ સહજતા કયા બાળકની માએ નહીં અનુભવ્યા હોય ? એટલે જ કદાચ “ મૂછાળી મા ” શ્રી ગિજુભાઇએ કહ્યું હશે કે ” બાળક એ ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે. ” જો કે એ પ્રેમપત્ર વાંચવા... માટે ઉકેલવા માટે, આપણે પૂરતો સમય આપીએ છીએ ખરા ? આપણી આંખો છાપાના અક્ષરો વાંચી શકે છે. સૂડોકુની પઝલો ઉકેલી શકે છે. પણ શિશુની આંખમાં છલકતું વિસ્મય વાંચવાનો એની પાસે સમય છે ખરો ? બાળકની આંખમાં ડોકાતા પ્રશ્નોને એ ઉકેલવાનો પ્રયત્ન કરે છે ખરો ? વાર્તાની અવેજીમાં આઇસ્ક્રીમ કે સમયની અવેજીમાં બાળક ને અપાતી ચોકલેટ...માતા પિતાના સ્નેહના વિકલ્પ બની શકે ખરા ?

    યાદ છે ? તારી સાથે જ ભણતો પેલો રોનિત ? તેની મમ્મી કંપનીમાં નોકરી કરતી. રોનિત એકવાર ખૂબ બીમાર હતો. હોસ્પીટલમાં દાખલ કરેલ અને લોહી ચડાવવું પડે તેમ હતું..ત્યારે તેની મમ્મી આપણને આવી ને કહી ગઇ હતી રોનિતનું ધ્યાન રાખવા માટે. જેથી પોતાની રજા “ ખોટી રીતે ” ન બગડે. ! તેના પપ્પા પણ કંપનીમાં મોટી પોસ્ટ પર હતા. પૈસાની કોઇ જ જરૂરિયાત...કોઇ મજબૂરી નહોતી...છતાં.....અને મમ્મીએ રજા ન લીધી એટલે ગુસ્સે થઇ ને તેના પપ્પાએ પણ રજા ન લીધી.! અને રોનિત પાસે આખો દિવસ હું બેઠી હતી. ત્યારે રોનિતે મને કહેલ શબ્દો આજે પણ હું ભૂલી શકી નથી .’ આંટી, તમારે પણ કામ હોય તો જજો હો.! હું તો રોજ એકલો જ રહું છું .મારા માટે કોઇને સમય કયારેય હોતો જ નથી.’ બાર વરસના રોનિત ની વાતનો મારી પાસે કોઇ જવાબ કયાં હતો ?

    તું હમેશા રોનિત કેવો તોફાની છે..અને કલાસમાં બધાને કેવી રીતે હેરાન કરે છે તે મને કહેતી રહેતી. પણ નાનપણથી બાળકની પ્રેમની જરૂરિયાત ન સંતોષાય ત્યારે બાળક બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે ઘણીવાર આવા તોફાનો કરતા હોય છે. બાળકની કે કોઇ પણ માનવની કદાચ સૌથી મોટી જરૂરિયાત છે પ્રેમ. માણસ ભાવનાનો ભૂખ્યો છે..મુઠ્ઠી જેવડા હ્રદયને લાગણીની ભૂખ સતાવતી જ રહે છે. કોઇ પોતાને ચાહે અને સમજે...દરેક માનવીની આ મૂળભૂત ઝંખના રહે છે. નાનકડા...અણ સમજુ શિશુથી માંડી...જીવનના અંતિમ તબક્કે પહોંચેલ વૃધ્ધ વ્યક્તિમાં પણ હૂંફ મેળવવાની આ એક સનાતન આરઝૂ છે. પણ આજે કેરીયર પાછળ સતત દોડતા રહેતા માતા પિતા શૈશવમાં બાળકને પૂરતો સ્નેહ કે સમય નથી આપી શકતા. અને પછી આ બાળકો મોટા થઇ ને જયારે માતા પિતાને સ્નેહ, સન્માન ન આપી શકે ત્યારે તેઓ ફરિયાદ કરતા રહે છે. આજે વૃધ્ધાશ્રમો છલકતા રહે છે..એના ઘણાં કારણો છે..હશે..પરંતુ એમાનું એક કારણ આ પણ છે જ. અને કેટલાયે બાળકો આવા કોઇ કારણસર મોટા થઇ ને સમાજ માટે બોજારૂપ બની રહે છે. અપરાધી બની રહે છે. કોઇ બાળક અપરાધી તરીકે થોડું જનમ્યું હોય છે ? અપરાધી બનવાના કારણો એને એની આસપાસના વાતાવરણમાંથી જ મળતા હોય છે.

    જોકે ઘણીવાર પેટની આગ બૂઝાવી શકવાની પણ અસમર્થતા હોય ત્યારે મા બાપ મજ્બૂર બની જતા હોય છે. સંજોગોની....મજબૂરીની ચક્કી માં પીસાતા માતા પિતાની વાત અલગ છે. તેમના પ્રશ્નો અલગ છે.

    અને દુનિયામાં કેટલાયે બાળકોને બે ટંક પૂરતું ભોજન પણ નથી મળતું. એ વાસ્તવિકતા પણ આપણી નજરે રોજ ચડે જ છે ને ? અને આપણે એ બધા દ્રશ્યોથી એવા તો ટેવાઇ ગયા છીએ કે આપણી સંવેદનાને એ ખલેલ સુધ્ધાં કયાં પહોંચાડે છે ?

    તમે બધા તો બેટા, નશીબદાર છો. પણ દુનિયામાં આવા કમનશીબ બાળકોની સંખ્યા તમારા કરતા અનેકગણી છે..એનું શું ? આભ ફાટેલ હોય ત્યારે થીગડું દેવાની સમર્થતા કયાંથી લાવવી ? જોકે આ કંઇ જવાબ નથી જ. મનનું બહાનુ માત્ર છે. સોમાલિયાના બાળકોના દારૂણ ચિત્રો જોયા પછી યે માનવી કયારેય એવું વિચારી શકે છે કે આખો સમાજ અઠવાડિયામાં એક ટંક પણ ભોજન છોડી કેટલા માસૂમ ની જિંદગીઓ બચાવી શકે ? પણ આપણે તો માત્ર ચર્ચા જ કરીએ છીએ....એ કડવી વાસ્તવિકતાનો ઇન્કાર થઇ શકે તેમ છે ખરો ?

    અને છતાં વિશ્વના કોઇ ખૂણાઓમાં ધૂણી ધખાવીને, મૂક રહી ને બાળકો માટે કાર્ય કરતા માનવીઓ પણ છે જ. જેની સુવાસથી કંઇક ના જીવનબાગ ખીલી રહ્યા છે. એ અજાણ માનવીઓને સલામ.

    હમણાં શ્રાવણ મહિનો ચાલે છે. ભક્તિની જાણે સીઝન આવી છે. ધાર્મિકતાનો ઉછાળ આવ્યો છે. મંદિર અને ભગવાન પણ પ્રોફેસનલ બની ગયા દેખાય છે. ઇશ્વરને યે આજે મણમણના તાળાઓની જરૂર પડે છે. કમાન્ડોની...ચોકીદારોની ચોકીની જરૂર પડે છે. આખા વિશ્વની ચોકી કરતો ઇશ્વર ખુદ કેદખાનામાં પૂરાઇ ગયો છે. મંદિરનો બીઝનેસ આજે વિકસતો જાય છે. મંદિરની ભવ્યતા વધતી જાય છે. આજે લોકો મંદિર..તેનો ભભકો, તેનું ડેકોરેશન જોવા જાય છે. મંદિર આજે પીકનીક પોઇન્ટ બની ગયું હોય તેવું અનુભવી શકાય છે. મંદિરે જનાર લોકોની સંખ્યા વધતી જાય છે. પરંતુ ઇશ્વરને મળવા જનાર માનવીઓ ઓછા થતાં જાય છે. આજે શ્રાવણ મહિનાની કૃત્રિમ ધમાલ જોઇને મન આવા વિચારોથી ઉભરાતું રહે છે. મહાદેવના મંદિરે દૂધના લોટાઓ અને હવે તો સીધી દૂધની કોથળીઓ શિવલિંગ પર ઢોળાતી જોઉ છું..અને મને મનમાં હમેશાં વિચાર આવે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એને કયાં દૂધની ખોટ છે ? મંદિર બહાર ઉભેલ આ અર્ધભૂખ્યા છોકરાઓને આ દૂધ ન પીવડાવી શકાય ? તો ભગવાન વધુ પ્રસન્ન ન થાય ? “જન સેવા એ જ પ્રભુસેવા ” એ આપણે કેમ ભૂલી જઇએ છીએ ? અરે, આસ્થા ..કે શ્રધ્ધા માટે પ્રતીક રૂપે દૂધના એકાદ ટીપાનો અભિષેક કરી પછી એ દૂધ પ્રસાદ તરીકે કોઇ નાનકડા શિશુને ન પીવડાવી શકાય ? તો કદાચ શ્રી કરશનદાસ માણેક જેવા કવિને ગાવું પણ ન પડે કે..” એક દિન આંસુભીના રે હરિના લોચનિયા મેં દીઠા...” આપણે તો કવિને દેખાય છે તે આંસુભીના લોચન પણ કયાં જોઇ શકીએ છીએ ? વિચારોની ઘટમાળ અંતરમાં ચાલતી રહે છે. મન ઉદાસ થઇ જાય છે. જીવન તો વહેતું રહે છે. કયારેક આ માસુમ બાળકોને આનંદની બે ચાર ક્ષણો હું પણ આપી શકીશ ખરી ?

    હમણાં તો તારી શુભમ સાથેની વાતો સાંભળતી રહુ છું. અને લીલીછમ્મ થતી રહુ છું. અંતરમાં એક અજવાસ પ્રગટી રહે છે..દીકરીના ઉમળકાનો અજવાસ. દરેક દીકરીનો એ અજવાસ...એ ઉમળકો કયારેય ન વિલાય એ પ્રાર્થના સાથે.

    “ બેટા, સ્ત્રી પુરૂષ સમાનતાનો આ યુગ છે..એ વાત જો કે સાચી. છે. આજે સ્ત્રી શિક્ષિત બની છે, ઘરની બહાર કામ કરતી થઇ છે. પણ તેથી નારીવાદનો ઝંડો લઇને ફરવાની કોઇ જરૂર નથી. સદીઓના ઊંડા ઉતરેલ મૂળ અચાનક સાવ જ મૂળિયાથી ઉખડી નહીં જ શકે.. એને સમય લાગશે જ..એનો સ્વીકાર કરવો જ રહ્યો. એને ચર્ચાનો કે સ્વતંત્રતાનો મુદ્દો બનાવવાથી જીવન નાવ વમળમાં ફસાઇ શકે છે. હા,પત્ની બહાર કામ કરતી હોય ત્યારે પતિ ઘરમાં દરેક કાર્ય માં મદદરૂપ થાય એ ઇચ્છનીય જરૂર છે..અને કરાવવું પણ જોઇએ. સ્ત્રી બહાર કામ કરે એ જેમ આજે સહજ બની ગયું છે તેમ ઘરમાં કામ કરાવવું પણ પતિ માટે સહજ હોવું જોઇએ. પણ એ સ્નેહથી થાય તો જ...કયારેય એનો દુરાગ્રહ રાખીશ નહીં..એ મેન્ટાલીટી પરિપકવ થતા સમાજને.....પુરૂષને સમય લાગશે જ. ત્યાં સુધી વિરોધ કરવાને બદલે જરૂર પડે તો સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય..હકીકતે આજે દરેક માતા જો નાનપણથી જ પુત્રને પણ ઘરના નાના મોટા કામની આદત પાડે તો ભવિષ્યમાં આ પ્રશ્ન જ ઉભો ન થાય. અને ધીમે ધીમે સમાજમાં આમૂલ પરિવર્તન આવી શકે. બાકી ત્યાં સુધી જે પરિસ્થિતિ હોય તેનો હસીને સ્વીકાર કરવો એ જ ઉત્તમ ઉપાય છે ”